સુકા જોશી કોણ?

સુકા કે સુખા?

સુ. કા. જોશી એ ઈનિશિયલ છે કે પછી એનું નામ જ સુખા છે?

કંઈ ખબર નથી.

85 ની સાલમાં હું સ્વાધ્યાયમાં જતો થયો. પછી મેં જોયું કે સુરતથી બહારના સ્વાધ્યાયી લોકોનુ જો સુરતમાં આગમન થયું હોય તો તેઓ સુરતના વનિતા વિશ્રામ કેન્દ્રમાં જરૂર આવે કારણ કે ત્યાં તે વખતે વિડિયો કેન્દ્ર ચાલુ થયું હતું. આ રીતે મહારાષ્ટ્રથી આવેલો એક છોકરો મારું ઘર પૂછતો મારે ત્યાં આવ્યો. એ જલગાંવથી આવ્યો હતો અને જલગાંવની કોલેજમાં ભણતો હતો. એણે જલગાંવની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે મને માહિતી આપવા માંડી, તેમાં સુકા જોશીનું નામ અવારનવાર બોલાતું સંભળાયું. ‘સુકા જોશી’ અથવા ‘જોશી સર’ નો નામોલ્લેખ વારંવાર થતો રહ્યો. ‘સુકા જોશી’ના વખાણ કરતાં એ જાણે થાકતો ન હતો. સુકા જોશીનું કુટુંબ તન, મન, ધનથી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હતું. સુકા જોષી વિદ્વાન, વિવેકી અને નિષ્ઠાવાન અધ્યાપક હતા. વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને આદરભર્યું સ્થાન ધરાવતા હતા એમ સમજાયું. તેઓ જલગાવમાં ડીબીટી કેન્દ્ર પણ ચલાવતા હતા. ડીબીટીમાં ગ્રેજ્યુએટો અને કોલેજીયનો આવતા હોય. ડીબીટી એટલે ડિવાઇન બ્રેઇન ટ્રસ્ટ. આવા કેન્દ્રમાં પ્રવચન અને ચર્ચાનું સ્તર ઘણું ઊંચું હોય છે. અહીં યુવાનોના અભ્યાસ અને તર્કશક્તિ ખિલવવાનું કામ થતું હોય છે. યુવાની ખીલે તેવા પ્રકારની પ્રવૃત્તિઓનું ધામ એટલે ડીબીટી. કારણ કે ‘યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે!’

વર્ષો પછી અમારે ત્યાં ઉપરથી એવો આદેશ આવ્યો કે જ્યાયસ અને અવર જ્યાયસ લેવલના તમામ ભાઈઓએ તેમને ફાળવેલા નિશ્ચિત ગામો પકડીને તમામ શક્તિ તે વિસ્તારમાં જ કામે લગાડવી. સ્વાધ્યાય પ્રવૃત્તિને પરિણામ લક્ષી બનાવવી હોય તો એક જ જગ્યાએ ખૂંપી જવું. ‘ભક્તિફેરી’ હોય કે ‘તીર્થયાત્રા’ હોય તેમણે આ જ ગામડાં પકડી રાખવા. ગામમાં એટલી હદે ઓતપ્રોત થઈ જવું કે ગામની પ્રત્યેક વ્યક્તિને તમે પ્રેમથી નામ દઈને બોલાવી શકો અને ગામના લોકો તમને પ્રેમથી નામ દઈને બોલાવતા થાય. તમારી અઠવાડિક રજા કે તહેવારના દિવસોમાં પણ તમારે એ જ ગામોમાં ધામો નાખવો. આમ કરવાથી સાતત્ય જળવાવાના કારણે વિચારોનું પરિણામ ગામના લોકોમાં જોવા મળશે. કામ ઊગી નીકળેલું દેખાશે. “ટૂંકમાં, તમારે સૌએ સુકા જોશી બનવાનું છે.”

ઘણા મિત્રોએ આ પહેલાં સુકા જોશીનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે! સૌના મનમાં પ્રશ્ન થયો કે આપણને સુકા જોશી બનવાનું કહેવામાં આવ્યું છે, તો એ સુકા જોશી છે કોણ? અને એણે એવું તે શું કર્યું કે આપણે સૌએ એનું અનુકરણ કરીને એના જેવા થવાનું?

વાત સાંભળી કે દર રવિવારે માધવબાગ પાઠશાળામાં ચાલતા પૂજ્ય દાદાના પ્રવચનમાં પણ વ્યાસ પીઠ પરથી ‘સુકા જોશી’ના કર્મયોગનો ઉલ્લેખ થતો હતો. ‘સુકા જોષી’એ કર્યું તેવું કાર્ય કરવા દરેક યુવાને આગળ આવવું જોઈએ. ‘સુકા જોશી’ દર રવિવારે અને વેકેશનમાં પણ એના પુત્ર પરિવાર સાથે આદિવાસી ગામડાંઓમાં જઈને તેમની વચ્ચે રહીને સ્વાધ્યાય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. આને કહેવાય સમજણ, આને કહેવાય નિષ્ઠા, આને કહેવાય ભક્તિ, આને કહેવાય જીવન અને આને જ કહેવાય તપ. ‘સુકા જોશી’નો કર્મયોગ જોવો હોય તો નર્મદા જિલ્લામાં, ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગવાલી અને કાકડી આંબા ગામ એકવાર જોઈ આવો.

તમે ‘યોગેશ્વર કૃષિ’ જોઈ હશે તમે ‘વૃક્ષ મંદિર’ જોયું હશે પરંતુ, યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર એ બંનેની ગરજ સારે એવું કામ થયું છે ગવાલી અને કાકડીઆંબા ગામમાં.

આદિવાસીઓએ ક્યારેય કદી કાજુ બદામ નહીં ખાધા હોય, જોયાં પણ નહીં હોય પરંતુ, સુકા જોશીના પ્રયત્નથી ગામમાં કાજુ બદામના વૃક્ષોનું વાવેતર થયું. સુખા જોશી એટલે જાણે આદિવાસીઓનો દેવ, સુખા જોશી એટલે જાણે એમનો ભગવાન. સુખા જોશી એટલે એક એવું વ્યક્તિત્વ કે એમના એકે એક શબ્દ માં અમારું કલ્યાણ જ હોય, એવું આદિવાસીઓના મનમાં ઠસી ગયું. એમણે આદિવાસીઓને ત્રિકાળ સંધ્યા શીખવી. અભણ એવા આદિવાસીઓ સંસ્કૃત શ્લોકો બોલતાં થયાં. આ આદિવાસીઓ સવાર સાંજ વૈદિક પ્રાર્થના અને સંસ્કૃત સ્તોત્રો ચોપડીમાં જોયા વગર બોલતાં થયાં. આ આદિવાસીઓએ ‘વૃક્ષમાં વાસુદેવ છે’ એમ સમજીને વૃક્ષો રોપ્યા. એ વૃક્ષોનો ઉછેર કરવો અને તેનું જતન કરવું, એ જ એમની મૂર્તિપૂજા અને એ જ એમની ભક્તિ છે એવી સમજણ એમણે કેળવી. આખું ગામ એક ‘પરિવાર’ બની ગયું. સૌના આચાર વિચાર અને ધ્યેય એક થયાં. આખું ગામ ‘વૃક્ષમંદિર’ બની ગયું. કાજુના વૃક્ષ પર કાજુ આવતાં થયાં. પૂજ્ય દાદાના કાન સુધી આ વાત પહોંચી અને પૂજ્ય દાદા સ્વેચ્છાએ પોતે તે ગામોમાં પધાર્યા. અહીંનું કાર્ય જોઈને તેઓ ખુશ થઈ ગયા અને પગપાળા ચાલીને આ તપસ્વીનું કાર્ય તેમણે નજરો નજર જોયું. એમનું દિલ પ્રસન્ન થઈ ગયું અને સુખા જોશીને તેમણે હૈયાના આશીર્વાદ આપ્યા. પ્રેમથી એમની પીઠ થાબડી અને અન્ય યુવાનોએ પણ આ જ રીતે કાર્ય કરવું જોઈએ એવી પ્રેરણા આપી.

સુકા જોશીને જોયા વગર એમના વિશે એક માનભરી આકૃતિ સ્વાધ્યાયીઓના મગજમાં આકાર લેવા માંડી અને ગવાલી તથા કાકડીઆંબા- એ બંને ગામોની એકવાર જાત્રા કરવી જોઈએ એવી ભાવના થવા માંડી! લોકો બસ ભાડે કરીને એ ગામો જોવા માટે એક ટ્રીપ ગોઠવવા લાગ્યા. ખરેખર, અદભુત કામ થયું હતું. બુદ્ધિનિષ્ઠા કોને કહેવાય એનું પ્રત્યક્ષ પ્રમાણ સૌને જોવા મળ્યું.

આયોજન મુજબ દરેક જિલ્લાના દરેક તાલુકાના અગ્રણી ભાઈઓએ તેમના તાલુકાના ગામો દત્તક લીધાં અને કૃતિશીલ સ્વાધ્યાયી કાર્યકર્તાઓની ટીમ નિયમિત રીતે એમને ફાળવેલા ગામડાઓમાં જઈને કાર્ય કરવા લાગી.

પછી અચાનક શું બન્યું તેની કોઈ જાણ કર્યા વગર ઉપરથી આદેશ આવ્યો કે “સુકા જોશીને હવે ભૂલી જાઓ. એનું નામ પણ હોઠ પર આવવું જોઈએ નહીં!” કાર્યકર્તાઓને નવાઈ લાગી. પૂછ્યું પણ ખરું કે ‘જેમના જેવા થવાનું અમને કહેવામાં આવ્યું હતું, તેના જેવા થવાની વાત તો દૂર પણ તેનું નામ સુદ્ધાં ન લેવાનું શું કારણ?’ કોઈ પ્રતીતિકર જવાબ તો ન મળ્યો. એટલું જ કહેવામાં આવ્યું કે “તમને એનું નામ લેવાની ના પાડી એટલે વાત એટલથી જ બંધ. એના વિશે ઊંડા જઈને વિચારવાની કોઈ જરૂર નથી.”

અંદરો અંદર ગણગણાટ થયો એટલે એવું કહેવામાં આવ્યું કે “સુખા જોશીનો ઘમંડ વધી ગયો છે. એના સત્કાર્યનું એને અભિમાન આવી ગયું છે. જે ઘમંડ કરે છે તેનું પતન થાય જ છે માટે હવે એનું નામ આપણે માટે ત્યાજ્ય છે. ‘સુખા જોષી’એ એવું કયું કામ કર્યું કે જેમાં એનો ઘમંડ પ્રગટ થતો હોય તે કોઈએ જણાવ્યું નહીં. પણ જે સત્ય છુપાવવામાં આવે છે તે કોઈને કોઈ રૂપે પ્રગટ થયા વગર રહેતું નથી. ક્યારેક ને ક્યારેક તો એ બહાર આવતું જ હોય છે.

યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર જેવા પ્રયોગોમાં ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદનને વેચીને એમાંથી જે લક્ષ્મી પેદા થાય છે તેને કહેવાય ગ્રામલક્ષ્મી. આ ગ્રામલક્ષ્મી એ આ સમુદાયની માતા છે અને કટોકટીના કાળમાં તે આ સમુદાયની પ્રેમપૂર્વક સંભાળ લે છે. તાત્કાલિક એ રકમ ગામમાં ન રાખતાં હેડ ઓફિસ, મુંબઈ મોકલી આપવામાં આવતી હોય છે. દરેક ગામ ખાતે તેમના ખાતામાં એ રકમ જમા કરવામાં આવે છે, એવી સામાન્ય માહિતી આપવામાં આવતી હોય છે અને એના પર સૌને ગળાં સુધીનો વિશ્વાસ પણ છે.

સાંભળવા મળ્યા મુજબ દુકાળના વર્ષોમાં આદિવાસીઓ બેહાલ થઈ ગયા. સુખા જોશીને લાગ્યું કે “આ ગામો તરફથી જમા કરાવાયેલી મહાલક્ષ્મીમાંથી પ્રસાદ રૂપે એમને કંઈક મળવું જોઈએ કે જેથી તેઓ આજના કારમા દુકાળના પ્રસંગે ટકી શકે.” વાત ખોટી નહોતી. આ જ તો એમની ખરી જરૂરિયાતના ખરા દિવસો હતા. અને એક રીતે જોઈએ તો એમના પરસેવાની આ કમાણી હતી. પરંતુ, સુખા જોશીને ધરાર ના પાડી દેવામાં આવી. “એક વખત ભગવાનને અર્પણ થઈ ગયેલી લક્ષ્મી પર માત્ર ને માત્ર ભગવાનનો જ અધિકાર હોય છે, તે સિવાય બીજા કોઈનો નહીં ! અપાયેલું દાન પાછુ મંગાય ખરું? ના, ન જ મંગાય. એ રકમ પર હવે ગ્રામવાસીઓનો કોઈ અધિકાર થતો નથી.” સુખા જોષીને છેતરાયાની લાગણી થઈ! એમણે અવાજ ઊંચો કર્યો અને મહાલક્ષ્મી વિશેની જે કલ્પના આજ સુધી સમજાવવામાં આવી હતી તે યાદ કરાવી. તો આ થયો એનો ઘમંડ. પછી લોકમાનસમાંથી સુખા જોશીની એ છાપને ભૂંસી નાખવાના પ્રયત્નો શરૂ થયા. પહેલું કામ થયું એમને ભૂલી જવાનું અને ત્યાર પછીનું કામ એમના ચાહકોના દિલમાં એને અપ્રતિષ્ઠિત કરવાનું. શું એના હૃદયમાં રામ નહોતો? એના લોહીનો રંગ બદલાઈ ગયો હતો?

જે ગામોમાં સુખા જોષીએ કર્મયોગ સિદ્ધ કર્યો હતો તે જ ગામમાં આરોગ્યની સેવા આપવાના નિમિત્તે ‘પતંજલિ ચિકિત્સાલય’ ઊભું કરવામાં આવ્યું અને તબીબોની ટૂકડીઓ એમના વારા પ્રમાણે ત્યાં નિયમિત જવા લાગી. દૂર દૂરના ગામોમાંથી અને શહેરોમાંથી તબીબો, નર્સો અને બીજા સ્વાધ્યાયી કાર્યકરો ભેગા થઈને કાર કે ટેમ્પોનું આયોજન કરીને નિયમિત પૂજારી તરીકે ત્યાં જવા લાગ્યા.

ગરીબ રોગીઓની સારવાર કરવાનો જ ધ્યેય હોય તો શહેરના સ્લમ એરિયામાં કે આજુબાજુના આર્થિક રીતે પછાત ગામડાઓમાં જઈને પણ એવા કેમ્પ ગોઠવી શકાયા હોત. એમ કરવાથી કાર્યકરોનો જવા આવવાનો સમય પણ બચે, શક્તિ પણ બચે, વાહનભાડાના નાણાં પણ બચે અને વધારે રોગીઓની સારવાર થઈ શકે; તેને બદલે સુરત વલસાડ જેવા દૂરના શહેરોમાંથી આટલે બધે દૂર આવો પ્રયોગ ગોઠવવાની કોઈ જરૂર નહોતી અથવા એના જેવા બીજા પ્રયોગો નજીકના વિસ્તારમાં પણ ગોઠવી શકાયા હોત પણ તેવું થયું નથી. એટલે આ પ્રયોગ પાછળ સુખા જોશીના કામને ભૂંસી નાખવાનો બદઇરાદો જ હતો એવી શંકા જરૂર થઈ શકે.

પછી તો ઇન્ટરનેટ પરથી એવી પણ વિગતો જાણવા મળી કે સુકા જોશીએ બનાવેલા મંદિરમાંની મૂર્તિ બાબતે એમના પર કેસ કરવામાં આવ્યો અને ભગવાન યોગેશ્વરની એ મૂર્તિને જેલના સળિયા પાછળ રાખવામાં આવી! પરિવાર કદી સ્પષ્ટતા કરતો નથી એટલે સાચી વિગતો બહાર આવતી નથી અને બીજા માધ્યમો દ્વારા આવી વિગતો બહાર આવે તો એક જ દલીલ કરવામાં આવે છે કે “આપણું કાર્ય એ જ છે આપણો જવાબ!” કોઈપણ વિવાદના જવાબમાં ઢાલ તરીકે કાર્યને આડે મૂકી દેવાનો અભિગમ લોકોને ગળે ઊતરતો નથી.

વનવગડાના ફૂલ

શ્રી દિનેશ પાંચાલ કે જેઓ બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ કર્મચારી અને ગુજરાતમિત્ર અખબારના કટારલેખક છે એમણે એમની સાહિત્યયાત્રા વિષે ખૂબ સારી લેખમાળા ઈન્ટરનેટ પરથી રજૂ કરી. શ્રી પાંચાલ ગુ.મિ. માં આવ્યા તે પહેલાં ગુજરાત સમાચારમાં ‘દર્પણ જૂઠ ના બોલે‘ કોલમ લખતા હતા. એકવાર તેમનો કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો. લેખમાં લખેલી વાતો રેશનલ હતી અને લેખક મારી જેમ જ બેંક કર્મચારી હતા અને સમવયસ્ક જણાયા; તે કારણસર કે પછી પાંચાલ અને મિસ્ત્રીની સામાજિક ધરી એક જ હતી તે કારણે, ગમે તે હોય હું એમનાથી આકર્ષાયો. તેઓ ગુ.મિ.માં રેગ્યુલર લખતા થયા એટલે એમને નિયમિત વાંચવાનું બન્યું. અમારી વચ્ચે લેખક વાચકનો બંધાયેલો સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. એમના ઘરે જવાનું પણ અને અન્યત્ર મળવાનું પણ થતું રહ્યું. સાહિત્યમાં એમનું પ્રદાન મોટું છે. રેડિયો નાટક, વાર્તાઓ અને નિબંધો એમ વિવિધ ક્ષેત્રોમાં કલમ અજમાવી ચૂક્યા છે અને એમના ઘણાં બધા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. મને પોતાને એમનું વાર્તાલેખક તરીકેનું રૂપ વધારે પસંદ રહેતું આવ્યું છે.

હમણાં જ એમની એક પોસ્ટમાં આપવીતી વર્ણવતાં એમણે લખ્યું કે તેઓ વાંસદા તાલુકાના વનપ્રદેશમાં આવેલા ભિનાર ગામમાં એક લુહારના ઘરે જન્મેલા. તે જમાનો અભાવ વચ્ચે જીવવાનો હતો. તેમાંયે જંગલ વિસ્તારનું નાનકડું, અંધારું ગામડું અને અકિંચન કુટુંબ. શ્રમ કરીને પેટિયું પુરવાનું. સામાન્ય સગવડનાં યે ફાંફા પડતા હોય ત્યાં ભણતર પાછળનો ખર્ચ શ્રમજીવી લોકોને તો પોષાય જ નહિ. છોકરો ભણે તેના કરતા જલદી કામધંધો કરતો થઈ જાય તો ઘર ચલાવવામાં બાપાને મદદરૂપ થાય. છોકરી પરણવા લાયક થાય તેની ચિંતા સતાવે, પણ છોકરો મોટો થતો જાય તેમ હાથલાકડી કરતો થાય એ સ્થિતિ વડીલોના મનમાં આશા જગાડે. ભણતર કંઈ તે વખતે મોઘું તો નહોતું જ; પ્રાથમિક શિક્ષણ સૌને માટે સાવ મફત હતું અને ગુણવત્તા સભર પણ હતું. ઘરનું કામ કરતાં કરતાં કે મજૂરીની આવક ઊભી કરીને પણ ભણી શકાતું. વિદ્યાર્થી એના મા બાપને ભારે તો નહોતો જ પડતો કારણ કે, એની ભણતરની જરૂરિયાત જેટલું તો એ વેકેશનમાં કમાઈ જ લેતો. અમે બધા એ જ પરિસ્થિતિમાં ભણ્યા છીએ. ગરીબાઈ અને અગવડ એ કંઈ નવાઈની વાત નહોતી. બધા જ સમદુ:ખિયા હતા.

સવાલ હાઈસ્કૂલમાં ભણવાનો હતો. યુનિફોર્મ સીવડાવવાનો ખર્ચ કરવો પડતો. ટર્મ ફી અને શિક્ષણ ફીના પૈસા ભરવા પડતા. એ રકમ માસિક પાંચ કે દસ રૂપિયા હતી, જે આજની સરખામણીએ ભલે સાવ નગણ્ય કહેવાય. પરન્તુ તે વખતે રિસેસમાં ચણા ખાવાના બે પૈસાયે નહોતા મળતા ત્યારે પાંચ રૂપિયા તો બહુ મોટી રકમ ગણાતી. જે કુટુંબો આર્થિક રીતે પછાત હોય એટલે કે જેમની આવક વાર્ષિક નવસો- બારસોથી ઓછી હોય તેમને સરકાર તરફથી તે વખતે ફી માફી મળતી અને તે સહાયને આધારે અંગ્રેજી બે ચોપડી ભણવા માટે ભાગ્ય ખુલતું. અભ્યાસ સારો હોય તો એસ.એસ.સી પૂરું કરી શકાતું નહિતર તે જમાનામાં 60-70 ના દસકામાં નવો નવો હીરા ઉદ્યોગ ખીલવા લાગ્યો હતો તેમાં ઝંપલાવવાના અરમાન રહેતા. એ હીરાઘસુનું કામ શીખવા માટે પણ પાંચસો રૂપિયા ભરવાના હતા. છ મહિના પછી હીરા ઘસવાની મજુરીની આવક ચાલુ થઈ જતી. એ રકમ સારી એવી મોટી હતી. અમારા ઘણા સહાધ્યાયીઓ અને કેટલાક શિક્ષકો સુદ્ધાં ચાલુ નોકરી છોડીને હીરામાં બેસી જતા હતા. હીરામાં થતી કમાણી ઈર્ષ્યા જગાવે તેવી હતી. આ સંજોગોમાં વડીલો એસ.એસ.સી. સુધી આપણને ભણવા દે એ જ એમનો મોટો ઉપકાર અને એ જ આપણા માટેનો એમનો ત્યાગ! યુવાન એસ.એસ.સી થાય એ જ મોટી લાયકાત ગણાતી. પ્રથમ વર્ગ તો ભાગ્યે જ કોઈનો આવે, પણ જો આવે તો એને એટલી પ્રતિષ્ઠા મળે કે જાણે એ સ્કૂલમાં નહિ, પણ બોર્ડમાં પ્રથમ આવ્યો હોય! એવા વિદ્યાર્થીઓ ગામનું ગૌરવ ગણાતા.

આ સંજોગોમાં દિનેશભાઈ પાંચાલ ભણ્યા અને બેંકમાં નોકરી કરતા કરતા સાહિત્ય ખેડાણ કરતા રહ્યા અને એમની એકધારી નિષ્ઠાને કારણે સાહિત્યજગતમાં જે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા તે સાચેમાચ એક વિરલ સિદ્ધિ છે. મારી એક વોટ્સેપ પોસ્ટમાં એમની સાહિત્ય યાત્રાને મેં ‘તળેટીથી શિખર સુધીની નહિ, પણ ઊંડી ખીણથી ઊંચા શિખર સુધીની વિકાસયાત્રા‘ તરીકે મેં બીરદાવી છે. વનવગડામાં ઊગેલા ફૂલના સૌંદર્ય અને સુગંધ વિષે મોટેભાગે કોઈને માહિતી નથી હોતી અને તેથી તેની કદર પણ નથી થતી. ઊગે છે, ખીલે છે, કરમાય છે અને ખરી પડે છે; એની નોંધ કોણ લે ભલા? શા માટે લે?

ભિનારના વનવગડામાં ઊગેલા ફૂલો પૈકીનું એક ફૂલ જેમ શ્રી દિનેશભાઈ પાંચાલ છે તેમ મારી જાણમાં ભિનાર ગામના જ અન્ય બે ફૂલો પણ છે; જે કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર પ્રગતિ કરતા રહ્યા છે અને જીવનના ઊચ્ચ મુકામ સુધી તેઓ પહોંચી શક્યા છે, જેમના નામો પણ ક્યાંય સાંભળવા મળતા નથી. એ બે ફૂલો પૈકીનું એક ફૂલ તે એડવોકેટ રમણલાલ પી. પટેલ અને બીજું ફૂલ તે ભાગ્યેન્દ્રકુમાર પટેલ. બંને જણા શિડ્યુલ ટ્રાઈબ એટલે કે ઢોડિયા પટેલ જાતિમાં જન્મેલા. રમણભાઈ ૧૯૪૨માં, દિનેશભાઈ ૧૯૪૯ માં અને ભાગ્યેન્દ્રકુમાર ૧૯૬૭ માં જન્મેલા છે, આટલો તફાવત તેમની ઉંમરમાં છે. રમણભાઈ તે જમાનામાં ગ્રેજ્યુએટ થયા એટલું જ નહિ, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયા. એલ.એલ.એમ. પણ થયા એ બહુ મોટી સિદ્ધિ ગણાય. નવસારીની લૉ કોલેજના પ્રિન્સિપાલ પણ બન્યા. વનવગડાનું ફૂલ કાયદાનું ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજના સર્વોચ્ચ પદે બીરાજે સ્વયં એક બહુ મોટી સિદ્ધિ ગણાય. એટલું જ નહિ રમણભાઈએ એમના વિસ્તારમાં પોતાની સઘળી કમાણી ખર્ચીને એક વૃદ્ધાશ્રમ પણ ઊભો કર્યો. આ કંઈ જેવું તેવું પ્રદાન ન ગણાય. પછાત વિસ્તારની પછાત કોમમાં જન્મીને આવા વિરલ સામાજિક કામો કરનાર ખરેખર નમસ્કારને પાત્ર છે. એમણે ક્યારેય પોતાના નામની કે કામની ક્યારેય જાહેરાત કે આત્મપ્રશંસા નથી કરી. તેઓ ભલા અને તેમનું કામ ભલું.

ભાગ્યેન્દ્ર પટેલની તો વાર્તા જ કોઈ દંતકથા જેવી લાગે. એમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એ વીસ બાવીસની ઉંમરનો છોકરો હશે. તે સૂરતના અલથાણ ટેનામેન્ટ પાસે આવેલી ભારતીશ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. નારગોલની ચિત્રકળા વિદ્યાલયમાંથી આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફરની ડિગ્રી મેળવી હતી. લોકો એને ભગુ પેન્ટર તરીકે ઓળખતા. સૂરતમાં જાહેરાતોના હોર્ડિગ ચિતરવા એ પાલખ બાંધીને સખત મજુરી કરતો. સાહિત્યમાં શોખ હોવાથી વાંચતો અને લખતો. રેડિયો અને સંગીતમાં સારી એવી દિલચસ્પી. એક ચર્ચાપત્ર દ્વારા અમારો પત્રસંબંધ બંધાયેલો. પછી રૂબરૂ મળવાનું થયું. તે વખતે એ નજીકની એક હિંદી માધ્યમની હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયો હતો. સૂરતના એફ. એમ રેડિયો સ્ટેશન પર કામ કરવાની તીવ્ર ઈચ્છા હતી, પણ એની પસંદગી નહિ થયેલી. નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના રેડિયો સ્ટેશન પર જઈને સૌને આસિસ્ટ કરતો રહ્યો.

એકાએક એના ભાગ્યનો સિતારો ચમક્યો. દિલ્હીની નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી વિભાગમાં કામ કરવાની એને તક મળી. દિલ્હી ગયા પછી એ કામમાં એવો મંડી ગયો કે ઊંચું જોવાની ફૂરસદ ન મળી. એની ક્રિયેટિવીટીને જાણે પાંખો ફૂટી. ભારે સંઘર્ષ કરીને એણે એનું સ્થાન મજબૂત કર્યું. આ માણસમાં અપાર શક્તિ ભરેલી છે. સાહસિક છે, વિવેકી છે, આભને બાથ ભરવાનો આત્મવિશ્વાસ છે. સાંઈ બાબામાં આસ્થા ધરાવે છે. સંગીતની સૂઝ છે. વાર્તાકાર છે, ચિત્રકાર છે, ફોટોગ્રાફર છે, સંપાદક છે, રેડિયો પર સમાચાર વાચક છે. નાટ્ય અને ફિલ્મ નિર્માતા છે, દિગ્દર્શક છે, ગીતકાર અને ગાયક છે. સાહિત્યકારો સાથે સતત સંપર્કમાં રહે છે. પુસ્તકોનો પ્રચારક છે. એના અક્ષરો એટલે મોતીના દાણા! ચાલુ ટ્રેને એણે મને લખેલા પત્રોમાં ના એના અક્ષરો જોઈને મને મારા અક્ષરોની શરમ લાગે. સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં મશગુલ રહે છે. જે કોઈ કામ હાથમાં લે છે તે જીવ રેડીને કરે છે.

આટલા બધા પ્રવૃત્તિમય રહેવા છતાં ભાગ્યેન્દ્ર સંબંધોનો માણસ છે. એના સંબંધમાં હોય તેવી કોઈ વ્યક્તિને મદદરૂપ થવાની તક મળતાં જ તેના ટાઈટ શિડ્યુલમાંથી કોઈ પણ રીતે સમય કાઢીને તમામ મદદ સહજ ભાવે કરે છે. આ બહુ મોટી વાત છે.

એના માટે તો એક સ્વતંત્ર લેખમાળા કરવી પડે.

પ્ર. મિ.

જોડણીદોષની વ્યથા કોને કહેવી?

આપણે ઉચ્ચારો સાંભળીને શીખીએ છીએ અને જોડણી જોઈને શીખીએ છીએ.

રોજ રોજ જે લખાણ નજરે પડતું હોય તેનાથી તે અક્ષરોના આકાર અને શબ્દોની જોડણી આપણા મગજમાં રેકોર્ડ થઈ જતી હોય છે. તેનાથી કંઈક જુદું કે વિપરીત જોવામાં આવે ત્યારે આપણે મુંઝાઈ જઈએ; આપણને શંકા પડે કે અત્યારે નજર સામે છે તે સાચું કે આજ સુધી જે જોતા આવેલાં છીએ તે સાચું. સામાન્ય જનતાને તો કોઈ ફરક પડતો નથી, તેમને તો લખનાર શું કહેવા માંગે છે તે મુદ્દો સમજાઈ જાય એટલે વાત પૂરી. સવાલ વિદ્યાર્થીઓને, શિક્ષકોને, સાહિત્યકારોને, પત્રકારોને અને પ્રૂફ-રીડરોને થતો હોય છે. યોગ્ય શબ્દ, યોગ્ય જોડણી, વિરામચિહ્નો વગેરેની જરૂર તેમને વધારે પડતી હોય છે.

સામાન્ય રીતે પાઠ્યપુસ્તકોમાં છપાયેલા શબ્દોની જોડણી પ્રમાણિત હોય છે. નવલકથા, વાર્તા, પ્રવાસવર્ણન કે ચિંતનાત્મક લખાણોમાં સ્પષ્ટતા કરેલી હોય છે કે જોડણી સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે. નવજીવન પ્રકાશનના પુસ્તકો વાંચનારના મનમાં શબ્દોની જોડણી બરાબર અંકિત થઈ ગયેલી હોય છે. જે સામગ્રી ઉતાવળે પ્રકાશિત થાય છે તેમાં પ્રૂફરીડિંગ થતું હશે ખરું, પણ તેમાં કેટલાક દોષો રહી જવાની સંભાવના રહેલી છે તેથી વર્તમાનપત્રોમાં છપાયેલા શબ્દોની જોડણીને પ્રમાણભૂત માનવામાં જોખમ રહેલું છે. પહેલાં, ‘ગુજરાતમિત્ર‘, ‘સમકાલીન‘ જેવાં અખબારોમાં જોડણીની શુદ્ધતા જળવાતી હતી. હાલમાં જોડણીની એટલી ચોકસાઈ કોઈ રાખતું હોય એમ જણાતું નથી. આપણે લખેલા શબ્દોની જોડણી સાચી છે કે ખોટી તે ચકાસવા માટે આપણી પાસે એકમાત્ર આધાર છે માન્ય જોડણી કોશ. પ્રૂફરીડરોએ જોડણીકોશને અનુસરવાનું હોય છે. માત્ર અનુમાનને આધારે કોઈ લખાણને પ્રમાણિત કરી શકાય નહીં.

કવિમિત્રોના લખાણમાં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે, એમણે લઘુ- ગુરુની મર્યાદા સ્વીકારીને કાવ્યરચના કરવી પડતી હોય છે. અનુસ્વાર, હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ નો ખ્યાલ રાખીને જ તેમણે શબ્દો પ્રયોજ્યા હોય છે. અન્ય લેખક મિત્રોને શબ્દોની સાચી જોડણી ખબર હોવા છતાં એમની ભૂલ રહી જવાની શક્યતા એટલા માટે હોય છે કે વિચારોના તેજ પ્રવાહોને શબ્દોમાં ઉતારતી વખતે જોડણી સુધારવાનો તેમની પાસે સમય નથી રહેતો. એ બધું સુધારવા જાય તો પેલો પ્રવાહ અટકી પડે, તે જરાય પોસાય નહીં; જોડણી તો પછીયે સુધારી શકાય. વળી, એ કામ માટે તો પ્રૂફ રીડર પણ મળી શકે.

હમણાં, મારી એક પોસ્ટમાં મેં ‘દ, ઘ, અને ધ‘ વિશે લખ્યું હતું. ‘ધ્ધ‘ અને ‘દ્ધ‘ માં થતા ગોટાળા પર પ્રકાશ પાડ્યો હતો. ચર્ચામાં ભાગ લેતાં એક મિત્રે શંકા કરી કે ‘મુદ્રિત શબ્દોની જોડણી મુજબ હાથે કાગળ પર લખી ન શકાય. શુદ્ધ જોડણીના આગ્રહી એવા ગાંધીજીએ પણ શુદ્ધ, બુદ્ધ, શ્રાદ્ધ લખવાને બદલે શુધ્ધ, બુધ્ધ, શ્રાધ્ધ એમ જ લખ્યું હોવાની ધારણા છે.‘

મિત્રે દાવો કર્યો કે ‘‘અમે જાણીતા દૈનિકોમાં પ્રૂફ રીડિંગ કર્યું છે, ઘણાં પત્રકારોના લખાણનું પ્રૂફરીડિંગ કર્યું છે, સ્વયં અમે પણ લેખક અને પત્રકાર તરીકે ઘણા લેખો, વાર્તાઓ- નવલકથા લખી છે પરંતુ તમે જે રીતે ‘દ્ધ‘ હાથે લખવાના આગ્રહી છો એવાં ‘દ્ધ‘ લખનારના સંપર્કમાં આવ્યા નથી. અમે આજે પણ પ્રબુધ્ધ કે અનિરુધ્ધ જ લખી શકીએ છીએ. પેઈન્ટર પણ ‘શુધ્ધ ઘી મળશે‘ માં ‘ધ્ધ‘ જ લખતાં હોવાનાં પૂંઠા પરના બોર્ડ જોયાં છે…‘‘

ચોંકાવનારું સત્ય રજૂ કરવા બદલ એ મિત્રનો હાર્દિક આભાર માનવો જ રહ્યો. છાપામાં કેવી રીતનું પ્રૂફરિડિંગ થઈ રહ્યું છે તેનો ચિતાર આપવા એમણે સ્વાનુભવ રજૂ કરવાની હિંમત દાખવી, એમની નિખાલસતાને બીરદાવવી જ જોઈએ. છાપાંઓમાં ‘નિષ્ણાંત‘ અને ‘આંતકવાદ‘ જેવા શબ્દો કેમ છપાય છે તેના મૂળ અહીયાં પડેલાં છે! જોડણીકોશનો ઉપયોગ કર્યા વિના જ લખાણ એપ્રુવ કરે એવા સંનિષ્ઠ પ્રૂફરીડરો આપણી શિક્ષણ વ્યવસ્થાએ તૈયાર કર્યા છે!

સાચી જોડણી લખવી બહુ અઘરી છે. શુદ્ધતાનો આગ્રહ રાખનાર વ્યક્તિની જોડણી હંમેશાં સાચી જ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહી. શંકાના સમાધાન માટે એણે પણ જોડણીકોશનો આધાર લેવો પડે છે. ઘણા મહાનુભાવો લખતી વખતે જોડણીકોશ હાથવગો રાખતા હોય છે. રાખવો જ જોઈએ. તેમ છતાં ક્યાંક તો ક્ષતિ રહી જવાની શક્યતા રહે જ છે. પ્રૂફ રીડિંગ એ બહુ કડાકૂટવાળો વ્યવસાય છે. ગમે તેટલી કાળજી રાખીને પ્રૂફ તપાસ્યાં હોય તોયે તેમાં કોઈ ને કોઈ કચાસ તો રહી જ જાય છે. જેટલીવાર તપાસો તેટલીવાર કંઈ નહીં ને કંઈ ક્ષતિ રહી ગયેલી માલુમ પડે. બીજા કોઈ ભૂલ કરે તે તો સમજ્યા, પણ જેમને જોડણીની ભૂલ સુધારવાનું કામ સોંપાયું હોય તેઓ પણ જોડણીકોશ જોવાની તસ્દી લીધા વિના ‘હાંક, સુલેમાન ગાલ્લી!‘ કોઈ જોવાનું નથી- એવો અભિગમ અપનાવે ત્યારે એ વ્યથા કોને કહેવી?

પ્રૂફરીડરની અણઆવડત, એની બેદરકારી, એણે ઉતારેલી વેઠ ગુજરાતી ભાષાને ખૂબ મોંઘી પડે છે. વાચકો સામાન્ય રીતે એણે પ્રમાણિત કરેલી જોડણીને અનુસરતા હોય છે. તેથી પ્રૂફ રીડરની ભૂલ વિસ્તરતી જ રહે છે અને એ પાપ માટે તેઓ જ વધારે જવાબદાર છે. મહેનતાણું ઓછું પડતું હોય તો માંગી લેવું જોઈએ અથવા કામ છોડી દેવું જોઈએ, પણ વેઠ તો ન જ ઉતારવી જોઈએ. એવી વેઠનું ગૌરવ લેનાર સુજ્ઞ લોકોમાં હાંસીને પાત્ર બને છે.

આપણે પેઈન્ટરોની જોડણીને અનુસરી શકીએ નહીં. તેઓ બિચારા ઓછું ભણેલા છે. તેમને જેવાં વાક્યો લખી આપ્યાં હોય તે મુજબ તેઓ બોર્ડ ચીતરે છે. એમાં દોષ રહી જતો હોય તો તેને માટે તેઓ જવાબદાર નથી. તેમનો એવો દાવો પણ નથી હોતો કારણ કે તેઓ સમજે છે કે એ તેમનો વિષય જ નથી. જેમનો એ વિષય છે તેમને કોઈ ચિંતા ન હોય તો એ શું કામ માથાકૂટમાં ઊતરે? આપણને આપણા કામ સાથે નિસબત હોવી જોઈએ.

આશા રાખું છું કે પ્રૂફરીડર ભાઈઓ જોડણીકોશનો ઉપયોગ કરતા થાય! એ ખરીદવાની શક્તિ ન હોય તો પ્રકાશક પાસે માંગણી કરે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે. ચલતી કા નામ ગાડી – સૂત્ર ભૂલી જવા જેવું છે. એ સૂત્ર મુજબ ચાલવાથી જ તો આજની દુ:ખદ પરિસ્થિતિ સર્જાઈ છે.

અસ્તુ.

પ્ર. મિ

8Suresh Desai, Ramesh Tanna and 6 others

2 Comments

Like

Comment

Share

શ્રમનું વિભાજન: એક સુવ્યવસ્થા

એક સમૃદ્ધ પરિવારમાં ચાર પુત્રવધૂઓ હતી. સાસુમાને થયું કે આજ સુધી તો મેં પરિવારને સારી રીતે સાચવ્યો. ઘરનું સંચાલન, સામાજિક ફરજો તમામ જવાબદારી મારી એકલીના શિરે હતી. ઘણી તકલીફો પડી, પણ મારી હયાતિ પછી એવું ન બનવું જોઈએ કે કોઈ એકલીના માથે જ બધું આવી પડે. એવું પણ ન બનવું જોઈએ કે ઘરની જવાબદારીમાંથી સૌ હાથ ઊંચા કરી દે! આવું થાય તો તો વરસોની મહેનત અને કાળજી કુનેહથી ઊભી કરેલી સમૃદ્ધિ નાશ પામે અને પ્રતિષ્ઠાનું યે પડીકું વળી જાય. અગમચેતી દાખવીને મારે હવે એ નિર્ણય લેવો જોઈએ કે ઘરની કઈ જવાબદારી કઈ વહુને સોંપવી. આમ તો ચારેચાર પુત્રવધૂઓ સંસ્કારી છે, સક્ષમ છે તેમ છતાં એકવાર તેમની પરીક્ષા મારે લેવી જોઈએ. તેમની રૂચિ શેમાં છે તે જાણ્યા પછી જવાબદારી સોંપાય તો તે ભારરૂપ નહીં લાગે અને મન મૂકીને ફરજ નિભાવે.

એક દિવસ સાસુમાએ ઘરની મોટી વહુને ડાંગરના પાંચ દાણા આપ્યા  અને તેને કહ્યું કે આ તને સાચવવા માટે આપું છું. મને જરૂર પડે ત્યારે તારી પાસેથી માંગીશ. આ રીતે વારાફરતી બાકીની વહુઓને પણ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને માગું ત્યારે મને પાછા આપજો એમ જણાવ્યું. આ દાણા સાચવવા આપવા પાછળનો હેતુ તો ફક્ત સાસુને જ ખબર; વહુઓને તો એટલી જ ખબર કે સાસુમા જ્યારે માંગશે ત્યારે એ પાછા આપવાના છે. એક વહુને લાગ્યું કે ઘરમાં કોઠારમાં અનાજના આટલા દાણા ભર્યા છે, સાસુમા જ્યારે માંગશે ત્યારે કોઠારમાંથી પાંચ દાણા કાઢીને આપી દેવાશે, આ પાંચ દાણાને અલગથી સાચવવાની જરૂર નથી એમ સમજીને તેને ફેંકી દીધ!. બીજીએ એક નાની ડબ્બીમાં એ દાણા સાચવી રાખ્યા. ત્રીજી વળી એ દાણા છોલીને ચોખા ખાઈ ગઈ. ચોથીએ શું કર્યું તે ખબર ન પડી.

ચાર પાંચ વરસ પછી સાસુમાએ ચારે વહુઓ પાસેથી એ દાણાની ઉઘરાણી કરી. પહેલી તો તરત જ જઈને કોઠારમાંથી પાંચ દાણા ગણીને કાઢી લાવી અને સાસુના હાથમાં મૂક્યા. બીજી વહુ એના કબાટમાંથી ડબ્બી શોધી લાવી અને તે ખોલીને પાંચ દાણા જે હતા તે કાઢી આપ્યા. ત્રીજીએ કહ્યું કે મારી પાસે તે દાણા નથી. એ દાણા તો હું ખાઈ ગઈ હતી! ચોથીને પૂછ્યું કે મેં તને પાંચ દાણા આપેલા તે ક્યાં છે. તેણે નમ્રતાથી કહ્યું કે ‘મા, તે દાણા અત્યારે હું હાજર કરી શકું તેમ નથી. તે લાવવા માટે તો તમારે મારા પિયરમાં ગાડું મોકલવું પડશે‘. સૌને નવાઈ લાગી કે પાંચ દાણા લાવવા માટે વળી ગાડું મોકલવાનું હોય! એની વાત કોઈને સમજાઈ નહીં. સાસુમાએ એ જાણવા માગ્યું કે એણે આપેલા પાંચ દાણાનું એણે શું કર્યું. વહુએ જણાવ્યું કે તમે આપેલા પાંચ દાણા મારા પિયરમાં મે વાવ્યા. તે પાંચ છોડ પર કંટી આવી અને તેમાં અનેક દાણા આવ્યા. પાંચ દાણાના પાંચસો થયા. એ તમામ દાણાને બીજે વરસે મેં વાવ્યા તો પાંચસો છોડ પર એટલા બધા દાણા આવ્યા કે એક ગુણ ભરાઈ ગઈ. બીજે વર્ષે તે વાવ્યા તો કોઠી ભરીને ડાંગર પાકી. દાણા વધતા જ ગયા. આજે મારા પિયરમાં એટલા બધા દાણા છે કે તેને લાવવા માટે ગાડું જ મોકલવું પડે. તમે આપેલા પાંચ દાણાનો એ પ્રતાપ છે.

ચારેચાર વહુ ગુણિયલ હતી. સાસુમાને વહાલી હતી પણ દરેકની કાર્યક્ષમતા અને વૃત્તિ જુદી જુદી હતી એ સાસુમાને સમજાઈ ગયું. ઘરના બધાં જ કામો સરખાં મહત્ત્વના છે. કોઈ કામ હલકું નથી. દરેક કામ અગત્યનું છે. ક્યારેક કોઈ કામ જેને સોંપાયું હોય તે વ્યક્તિ ઉપલબ્ધ ન હોય તો ઘરના અન્ય કોઈ પણ સભ્યે તે જાતે કરી લેવું પડતું હોય છે. ઘરના કામમાં બાદશાહ ગુલામ એવી કહેવત છે. પછી સાસુમાએ ચારે વહુઓને તેમની વૃત્તિને અનુરૂપ કામ વહેંચી આપ્યાં. ઘરની જવાબદારી વહેંચી આપી. જેને ફેંકતા આવડતું હતું તેને ઘરની સાફસૂફીનું કામ સોંપ્યું. કઈ વસ્તુ જરૂરી છે ને કઈ જરૂર વગરની છે એનો ખ્યાલ રાખીને ઘરની ચીજવસ્તુઓને ગોઠવવાની કે નિકાલ કરવાની અને ઘરને સુઘડ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. બીજીને ઘરનું રસોડું સોંપી દીધું. એને ચાખતાં સારું આવડતું હતું! ત્રીજીને તિજોરીની ચાવી આપવામાં આવી.તેની સાચવણી સારી હતી. પણ ચોથીને? ચોથીને પરિવારની મુખ્ય વ્યક્તિ બનાવી ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી. આમાં કોઈને સજા કરવાનો કે કોઈને સરપાવ આપવાનો સવાલ નથી, પણ જેની જે કામમાં નિપુણતા છે તે મુજબનું કામ તેમને સોંપાયું. સાસુમાને નિરાંત થઈ ગઈ કે હું નહીં હોઉં ત્યારે પણ મારી વહુઓ પરિવારને સારી રીતે ચલાવશે, સૌની કાળજી લેવાશે, પરિવાર પ્રગતિ કરશે અને એની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતી રહેશે. ચારે વહુઓ સંસ્કારી છે, પરિવારને સમર્પિત છે અને પરસ્પર લાગણીવાળી છે. ‘પુત્રવધૂઓની પરીક્ષા‘ નામનો એક પાઠ પ્રાથમિક શાળામાં ભણવામાં આવેલો તેની આ વાત છે.

આપણે આપણા ઘરમાં સામાજિક પ્રસંગ લઈને બેઠા હોઈએ ત્યારે આપણાં ઘણાં બધા સગાં સ્નેહી અને મિત્રો ભેગાં થાય છે. પ્રસંગને સારી રીતે પાર પાડવા માટે તેઓ કોઈ ને કોઈ જવાબદારી લેવા ઉત્સુક હોય છે, પણ દરેકની સમજણ, રૂચિ, કેપેસીટી જુદી જુદી હોય છે, તેથી તે ઓળખીને તે મુજબ તેમને કામ સોંપવામાં આવે તો તેઓ ઉમંગભેર અને પૂરતી ચોકસાઈથી તે કામગીરી બજાવે છે. પોતે કામ આવ્યાનો તેમને ય આનંદ અને આપણું કામ સારી રીતે પાર પડ્યાનો આપણનેય આનંદ. કોઈ પરાયું નથી, કોઈ નકામું નથી. કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક વ્યક્તિની ભાગીદારી, દરેકની ઉપયોગિતા અને દરેકનું સરખું મહત્વ જળવાય છે. કોઈને એમ નહીં લાગે કે અમે તો નકામા અટવાયા! પાંચ આંગળીઓ કદી સરખી હોતી નથી. દરેકનું કામ જુદું પણ કોઈ કામ હલકું કે ઉતરતું નહીં. દરેક કામ અતિ મહત્વનુ. દરેક માણસ પણ સરખા મહત્વનો.

નાનામોટાં મંડળોથી માંડીને કોઈ સંસ્થા, સંગઠન કે તંત્રમાં પણ લગભગ આ જ રીતે વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. કોઈક ઉદ્યોગગૃહ હોય તો પ્રોડક્શન સાથ સંકળાયેલા કર્મચારીઓનો એક વર્ગ હોય છે. તેમના કામનું સુપરવિઝન કરનાર બીજો એક વર્ગ હોય છે. તેનાથી ઉપર ત્રીજો એક વર્ગ હોય છે જે નિષ્ણાતોનો વર્ગ છે. તેઓ અવારનવાર અપડેશન કરતા રહે છે અને સૌથી ઉપર એક વર્ગ એવો છે જે નીતિ વિષયક નિર્ણયો લે છે. કામ કરવાની ક્ષમતા અને અનુભવને આધારે તેમને પ્રમોશન પણ મળતા રહે છે. ઉદ્યોગગૃહની પ્રગતિમાં તમામ સરખા હિસ્સેદાર હોય છે. સમય સમય પર સાચા નિર્ણયો લેવાવા જોઈએ. એ નિર્ણયોને અનુરૂપ પ્રોગ્રામ સેટ થવા જોઈએ. તે ગુણવત્તા મુજબ વર્કરોએ કામ કરવું જોઈએ. આ બધામાં ક્યાંક પણ ચૂક થાય તો વ્યવસ્થા ખોરવાય છે અને ધારેલા પ્રોજેક્ટ સમયસર પાર પડતા નથી. દરેક વર્ગ વચ્ચે સાયુજ્ય હોવું જરૂરી છે.

આપણા સરકારી તંત્રોમાં પણ સ્ટાફ વચ્ચે વ્યવસ્થાના ભાગરૂપે એક ભેદરેખા હોય છે. કામના પ્રકાર અને જવાબદારી મુજબ ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓ હોય છે ત્યારબાદ ક્લાસ વન, ક્લાસ ટુ ઓફિસર કે મેનેજરો હોય છે.અને નિર્ણયો લેનાર, પોલીસી ઘડવાનું કામ સરકાર કરતી હોય છે. આ સૌ વચ્ચે સમજદારી હોય, કોઓર્ડિનેશન હોય તો તંત્ર સારી રીતે ચાલે છે.. જો વ્યવસ્થા ઢીલી તો તંત્ર ઢીલું અને વ્યવસ્થા જડબેસલાક હોય તો તંત્ર વધારે કાર્યક્ષમ પુરવાર થાય છે.

આ વ્યવસ્થા દુનિયામાં સઘળે જોવા મળે. જે પીંડે તે બ્રહ્માંડે. આપણા શરીરમાં દરેક અંગો કામના છે અને દરેકનું મહત્ત્વ છે, પણ વિચાર કરવાનું અને નિર્ણયો લેવાનું કામ મગજ કરે. સંરક્ષણ કે આક્રમણ કરવા માટે આપણા હાથ તત્પર જ હોય. કામ કરવા માટે શક્તિ જોઈએ. ખોરાક પચાવવાથી માંડી તેનું લોહી બનાવી તેને સતત ફરતું રાખીને પુરવઠો પહોંચાડવાનું કામ પેટ કરે અને કામ કરવા કે સેવા કરવા શરીરને ઊંચકીને ફેરવવાનું કામ પગ કરે. પગમાં ઘા થાય તો મગજમાંથી હુકમ છૂટે અને હાથ તરત જ મદદે પહોંચે, લોહીનો વધુ પુરવઠો મોકલાય. શરીરનું સમગ્ર તંત્ર સક્રિય થઈ જાય. આજ ફોર કાસ્ટ સિસ્ટમ તો નથી ને?

સમાજ એ ઘણા બધા માનવોનો બનેલો સમુદાય છે. સમાજમાં જીવનની આવશ્યકતાઓનું ઉત્પાદન કરનાર વર્ગને ઉત્પાદક નામ આપીએ. રોટી, કપડા અને મકાન, દવા, શિક્ષણ, મનોરંજન એ જરૂરી વસ્તુઓ છે. અને તેની સાથે સંકળાયેલો વર્ગ પણ ઉત્પાદક જ ગણાય. આ  સેવાનું કામ છે. સફાઈ કરવી એ જ એકમાત્ર સેવા નથી.આજે જુદી જુદી સર્વિસ આપનારા સેન્ટર ખૂલ્યાં છે. જેઓ તાકીદે સેવા અપે છે અને યોગ્ય ચાર્જ લે છે. ઉત્પાદન કરનાર વર્ગ જાતે સમાજમાં ફરીને તેનું ઉત્પન્ન પહોંચાડી શકતો નથી એટલે એ બધાંની કિંમત આપીને એકત્ર કરી તેના પર પોતાનું યોગ્ય મહેનતાણું ચડાવીને સમાજમાં વિતરણ કરનારો એક વર્ગ ઊભો થયો.. તેને વિતરક કહીએ. કોઈપણ સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો આ ઉત્પાદક અને વિતરક વર્ગ સક્ષમ હોવા જોઈએ. તો અને તો જ જરૂરિયાની વસ્તુઓ સમાજના એકેએક માણસ સુધી પહોંચી શકે.

આવા સમૃદ્ધ સમાજ પર બહારના આક્રમણનો ભય રહે. સુવ્યવસ્થા ઢીલી પડેતો આંતરિક પ્રશ્નો પણ ઊભા થાય. તેથી સલામતી અને સુરક્ષા માટે સંરક્ષક વર્ગ હોય. અને તમામ લોકોએ અંગત તેમજ જાહેર જીવન કેવી રીતે જીવવું તેની કેળવણી આપનાર ચિંતકોનો એક વર્ગ હોય. આ ચારેચાર વર્ગ વચ્ચે સાયુજ્ય હોય, એકરાગિતા હોય, અનુકૂલન હોય તો સમાજ સ્વસ્થ રહે.  જેને આપણે ઉત્પાદક વિતરક, સંરક્ષક અને ચિંતક નામ આપ્યાં તેને જ અંગ્રેજીમાં પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યૂટર, પ્રોટેક્ટર અને થિંકર કહેવાય. આપણા સૌના પૂર્વજ એવી આર્ય પ્રજાએ એને શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ નામ આપ્યાં એમાં ખોટું શું છે? ખોટું એ થયું કે આપણે વર્ણને વર્ગ સમજવાને બદલે જ્ઞાતિ સમજી બેઠા અને તેમાં ઊંચનીચના ભેદ દાખલ થયા. અપડેશન કરીને રજુ કરવામાં આવે તો શ્રમ વિભાજન કરનારી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા જગતની શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

પ્ર. મિ.

કૃષ્ણદાસ જી. ગુજરાતીનું સ્મૃતિ ચિત્ર

કે. જી. ગુજરાતીનું સ્મૃતિચિત્ર

જન્મ-15/04/1939; મૃત્યુ 01/11/2022

‘૭૨ ની સાલમાં સુરતની મેઈન ઓફિસમાં આવ્યો ત્યારે મને પહેલ વહેલો HSS એટલે કે ‘હોમ સેવિંગ્સ સેઈફ ડીપોઝીટ‘ ડીપાર્ટમેન્ટમાં બેસાડવામાં આવ્યો. અન્ય લેજર્સ ઉપરાંત નવા ખાતા ખોલવાનું એ કાઉન્ટર હતું. એ જગ્યા પર અમદાવાદનો રમણલાલ એ. પ્રજાપતિ બેસતો હતો. એને ત્યાંથી ઉઠાડીને ક્લિયરિંગમાં લઈ જવાનો હતો. પણ ઉઠતાં પહેલાં એણે મને તાલીમ આપવાની હતી. ડાબી બાજુ હૂંડીનું IBC ડિપાર્ટમેન્ટ હતું. જમણી બાજુના કાઉન્ટર પર ગુજરાતી બેસતા હતા. બે ખુરશીની વચમાં સ્ટૂલ અને સ્ટૂલ પર તે વખતના ભારેખમ લેજર્સ મૂકવામાં આવતા. એની બાજુમાં શાંતિલાલ માસ્ટર અને તેની બાજુમાં પ્રવીણસિંહ પરમાર કામ કરતો હતો. એની પાસે સ્ટાફ લેજર ઉપરાંત રિકરિંગના લેજર અને કેશ સ્ક્રોલ રજિસ્ટર રહેતું.

રમણ પ્રજાપતિ મને ટ્રેનિંગ આપે તે ગુજરાતી છાનામાના જોયા કરે, પણ કંઈ બોલે નહીં. તેઓ ઓછાબોલા હતા. પ્રવીણસિંહ વાંકડિયા વાળવાળો સોહામણો અને બોલકણો છોકરો હતો. તે અવાર નવાર મારી સામું જોયા કરે અને એના હોઠ બોલું બોલું થાય, પણ બોલે નહીં, બોલવાનો મોકો શોધતો રહે. પ્રજાપતિ આઘોપાછો થાય ત્યારે મારી પાસે આવીને મને કહે કે ‘બહુ ટેન્શન રાખવાનું નહીં, કંઈ પણ મુંઝવણ થાય તો મને પૂછી લેવાનું!‘ પરમાર ખૂબ ઉત્સાહી, મળતાવડો તથા કો-ઓપોરેટિવ જણાયો. અમે બંને એ જ બેચના હતા, પણ મારા કરતા એ દસ મહીના વહેલો રિક્રુટ થયો હતો. અમે સમોવડિયા ગણાઈએ. ગુજરાતી બોલે ઓછું, પણ અમને ઓબ્ઝર્વ કર્યા કરે. તેઓ સિનિયર હતા. તેમની નોકરીના દસ વરસ થયા હતા. સ્વાભાવિક રીતે તેઓ અમારા મુરબ્બી હતા. પહેલાં, તેઓ ગોડાઉન કિપર તરીકે કામ કરી ચૂક્યા હતા. મારો સ્વભાવ સંકોચશીલ, હું ગામડિયો હોવાથી મારામાં લઘુતાગ્રંથિ પણ ખરી અને મારી પડોસમાં ગુજરાતી સાહેબ પણ પાછા ઓછાબોલા એટલે અમારા બે વચ્ચેનો સંવાદ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. કારણ વગર કોઈની બાબતમાં માથું મારવાની ગુજરાતીને આદત જ નહોતી. કોઈ પૂછે તો પણ ખપ પૂરતું જ બોલે. બહુ વિચાર કરીને બોલે. અમારી વચ્ચે જનરેશન ગેપ હતો એમ લાગ્યું અને એટલે જ એમને વડીલ સમજીને અમે પણ અમુક અંતર રાખીને એમની જોડે વાત કરતા. તેઓ ઠરેલ વ્યક્તિ હતા જ્યારે અમે ઉછાંછળા છોકરાં! આટલી આમન્યા તો અમારે રાખવી જ પડે!

શરૂઆતમાં હું નવસારીથી અપડાઉન કરતો હતો પણ પછી રૂસ્તમપુરાના દેહલા મહોલ્લામાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું ચાલુ કર્યું. એક દિવસ સમય જોઈને ગુજરાતીએ મને પૂછ્યું, ‘મિસ્ટર મિસ્ત્રી, તમે જમવાનું શું કર્યું છે?‘  મેં કહ્યું કે હોટેલની કૂપન લીધી છે. સવારે નજીકમાં જ લાલગેટ પાસે આવેલી ‘સોના રેસ્ટોરન્ટ‘ માં જમીને બેંક પર આવું છું. સાંજે સિનેમા રોડ પર આવેલી ‘બ્રીજભુવન હોટેલ‘ માં જમીને પછી રૂસ્તમપુરા જાઉં છું.‘ એમણે પૂછ્યું, ‘કેટલો ખર્ચો આવે?‘ મેં કૂપનનો ચાર્જ જણાવ્યો. એમણે કહ્યું કે ‘મોંઘું પડે. તમને બહારનું ખાવાનું અનુકૂળ આવે ખરું?‘ પછી એમણે મને જણાવ્યું કે ‘મારો મિત્ર નટવરલાલ શિક્ષક છે અને જે અવારનવાર મને મળવા અહીં આવે પણ છે તે, અમારા એક બેનને ત્યાં સવાર સાંજ જમે છે. બેનનું ઘર ગોપીપુરા હનુમાન ચાર રસ્તા આગળ જ છે. તમને જો રસ હોય તો હું એમને વાત કરું. તમારો સમય બચશે, ખર્ચમાં પણ ફરક પડશે અને હેલ્થ પણ જળવાશે. અનુકૂળ આવે તો ચાલુ રાખજો, ન અનુકૂળ આવે તો છૂટ્ટા. બ્રાહ્મણ પરિવાર છે.‘ થોડો સમય ચાલુ રાખ્યા પછી મેં ત્યાં જવાનું બંધ કરી દીધું. એ બહેન ગુજરાતીને ધરમનો ભાઈ માનતા અને બહુ માન રાખતાં. પણ ગુજરાતીનું બીજું એક નામ ‘ચંદુભાઈ‘ છે એમ મને ત્યાંથી જાણવા મળ્યું.  ‘ચંદુભાઈ‘ નામ બહુ ઓછા લોકોને ખબર હશે.

મુરબ્બી હોવા છતાં તેઓ ‘તમે‘ કહીને જ વાત કરતા. પીળા કલરનું ઝીણી ચેક્સવાળું શર્ટ પહેરતા અને કાયમ શર્ટ ઈન કરતા. દરેક બાબતમાં એમની ઝીણી ઝીણી ગણતરી રહેતી. કોઈની જોડે વાત કરતી વખતે ‘મિ. દલાલ, મિ. પરમાર, મિ. દેસાઈ કે મિ. મિસ્ત્રી‘ એમ સંબોધન કરતી વખતે ‘મિસ્ટર‘ શબ્દ સહજ રીતે બોલતા. અજાણ્યા કસ્ટમર જોડે વાત કરતી વખતે પણ ‘મિસ્ટર, તમે સહી ખોટી જગ્યાએ કરી છે, અહીં ચોકડી મારી છે ત્યાં સહી કરી આપો.‘ એમ સરનેઈમ ખબર ન હોય તો ખાલી ‘મિસ્ટર‘ બોલતા.

વાઉચર ત્રણ જાતના આવે; કેસ, ક્લિયરિંગ અને ટ્રાન્સફર. એકવાર મેં એમના લેજરમાં કરેલું પોસ્ટિંગ જોયું તો BY CLG ને બદલે BY CHQ ON L. B. લખેલું જોયું. મને નવું લાગ્યું એટલે જિજ્ઞાસાવશ પૂછ્યું. એમણે સમજાવ્યું કે ખાતામાં ભરેલા ચેક બે જાતના હોય. લોકલ બેંકના ચેક હોય તે લોકલ ક્લિયરિંગમાં જાય અને બહારગામના હોય તે OBC માં જાય. તેમાં પાછા આપણી બેંકના હોય તેમ બીજી બેંકના પણ હોય! તેના પર બેંકનું કમીશન અને પોસ્ટજીસ લાગે. મારે માટે આ બધું, તે વખતે નવું હતું. મેં પણ એમનું જોઈને બાય ચેક ઓન એલ.બી. લખવાનું ચાલુ કર્યું. કાળી ટોપી અને ધોતિયું-કોટ પહેરીને આવતા શાંતિલાલ માસ્ટર તો ‘બાય ચેક‘ જ લખતા. તેઓ પણ અમારી જોડે સેવિંગ્સમાં જ હતા.

ગુજરાતી સરનેઈમ પરથી મેં એકવાર વાત કાઢી કે આખા ગુજરાતમાં તમે એકલા જ ગુજરાતી થોડા છો? તમે ગુજરાતી છો તો અમે થોડા જ નોન- ગુજરાતી છીએ! એમનાથી હસી પડાયું. એમણે સ્પષ્ટતા કરી કે હું કર્ણાટકી છું. મને એ ન સમજાયું કે નોન ગુજરાતી પીપલ ગુજરાતી કેવી રીતે કહેવાય! તેઓ વૈષ્ણવ હતા. કે. જી ગુજરાતી એટલે કે કૃષ્ણદાસ ગોવિંદજી ગુજરાતી. એમણે પોતાના વ્યક્તિત્વને અમુક નિયમોમાં બાંધી દીધું હોય એમ જણાતું. તેઓ બીજા જેટલા મુક્ત અને સ્વતંત્ર નહોતા. બીજાંને જે ચાલે તે એમને ન ચાલે. એમની ચોઈસ અન્યો કરતા અલગ હોય. જીવન જીવવાની એમની શૈલી જ બીજાથી જુદી હતી. એમની એ પરંપરા હશે, સંસ્કારો હશે, સંજોગો હશે; કારણો જે હોય તે પણ ઘણી બાબતોમાં તેઓ બીજાથી જુદા પડતા હતા એ હકીકત છે.

માણસના સ્વભાવ અને વર્તણૂંક બાબતે અનેક પરિબળો જવાબદાર હોય છે. પરિવારની જીવનશૈલી, શિક્ષણ, સંસ્કાર, જવાબદારીઓ, અને સારા માઠા અનુભવોને આધારે વ્યક્તિત્વ ઘડાતું હોય છે.  કરણાટકના બીજાપુર જિલ્લાનું બગલકોટ ગામ એ ગુજરાતી પરિવારનું વતન નું ગામ છે. હવે તો બગલકોટ એક અલગ જિલ્લો બની ગયો છે. વર્ષો પહેલાં એમના ઐક મોટાભાઈ સૂરત આવયા હતા. તેઓ P & T માં સરકારી નોકરી કરતા હતા. ટેલિફોન ખાતામાં તેમનું સારું એવું માન પણ હતું. તેઓ ચંદુભાઈને ગામથી અહીં સૂરત ખેંચી લાવ્યા. મેનેજર પારેખ સાહેબને વાત કરીને નોકરીએ લગાડ્યા. ત્યારબાદ ચંદુભાઈએ નાનાભાઈને બોલાવી લીધો અને તેને કેનેરા બેંકમાં નોકરી મળી. કૌટુંબિક જવાબદારી વધારે હતી. ઐક બહેનઅને તેના ત્રણ છોકરાંને મોટાં કરવાની જવાબદારી પણ ચંદુભાઈએ સ્વીકારી હતી, તેથી તેમને ગામ નિયમિત પૈસા મોકલવા પડતા. આ બધાંને કારણે પૈસાની ખેંચ ભોગવવી પડતી. સાયકલ અને પંખો ખરીદવા માટે પણ તેમણે બેંકની લોન લેવી પડે એવી હાલત કંઈ કોઈને જણાવવાની  ન હોય. કોઈને એમ થાય કે બેંકની નોકરીવાળાને તો જલસા જ હોય, પણ એ વાત બધા માટે સાચી નથી. એક સમયે એમ કહેવાતું કે બેંકવાળા માટે ‘‘ઓટી (ઓવરટાઈમ) ઈઝ રોટી એન્ડ સેલરી ઈઝ સેવિંગ!‘‘ પણ એ ભ્રમણા હતી. જેમને માથે જવાબદારીઓનો ડુંગર હોય અને બધાંને થાળે પાડવાના હોય તેમણે કરકસર વચ્ચે જીવવું પડતું હોય છે.

એમણે કાજીના મેદાન વિસ્તારમાં મકાન બનાવ્યું હતું. રિસેસમાં ઘરે જતા અથવા ભાગળ સુધી ચાલતા આંટો મારી આવતા. ચાલવું એ એમની હોબી હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી દાંડી સત્યાગ્રહની સુવર્ણજયંતી વખતે સાબરમતીથી દાંડીની પદયાત્રા કોંગ્રેસ પક્ષે યોજી હતી. તેમાં ગુજરાતીએ પણ ભાગ લીધો હતો. અખબારોમાં પદયાત્રીઓનો ફોટો છપાયો હતો તેમાં ગુજરાતી પણ હતા.

કરંટ ખાતામાં કામ કરતા હતા ત્યારે એમણે સાઈકલ ખરીદવા માટે વ્યાજ ફ્રી લોન માટે અરજી કરી હતી. કરંટના ઓફિસર ભગવાનદાસ કાકાએ કૉમેન્ટ પણ કરી કે ‘વ્યાજ મુક્ત લોનની ફેસિલીટી અવેઈલ કરવી હોય તો સાયકલ જ શા માટે, સ્કૂટર જ ખરીદવું જોઈએ‘. ગુજરાતીએ કહેલું કે ‘બીજા માટે તે જરૂરી હશે, મારે માટે જરૂરી નથી.‘ એમના આર્થિક સામાજિક સંજોગો પ્રમાણે એમણે જે નિર્ણય લીધો હોય તેમાં તેઓ અડગ હતા. વાત સાચી હતી. એક મહીનાનો પગાર એડવાન્સ લઈને પણ સાઈકલ લઈ શકાય. પણ બીજે મહીને તો કપાઈ જાય! ફેસ્ટિવલ એડવાન્સ લઈને ખરીદી કરે તો આઠ મહીનામાં રિકવર થઈ જાય પણ ઈન્ટરેસ્ટ ફ્રી સ્કિમનો લાભ લીધો હોય તો છત્રીસ મહીનામાં ચૂકવવાની રહે. તેથી પગારમાંથી એટલી ઓછી કપાત થાય અને બાકીની રકમ ઘર ચલાવવામાં વાપરી શકાય. સ્કૂટર લે તો હપ્તો તો મોટો આવે જ, તે સાથે લાઈસન્સ, વીમો, પેટ્રોલનો ખર્ચ પણ ઉમેરાય જેથી આર્થિક માર પડે. એ એમને માટે બીનજરૂરી લાગવાથી એમણે હરક્યુલસ સાઈકલ લીધેલી. તેઓ બહુ જ કરકસરથી જીવતા હતા. બોલવામાં પણ કરકસર અને પૈસા ખરચવામાં પણ કરકસર. પારકી પંચાતમાં એમને કોઈ દિલચસ્પી નહોતી. બીનજરૂરી પંચાત કરનારા એમની દૃષ્ટિએ નાદાન હતા. વિવાદથી તેઓ દૂર જ રહેતા હતા છતાં અમુક બાબતોમાં તેમનો સ્પષ્ટ અને જુદો મત પડતો હોવાથી તે મુદ્દા પૂરતો વિવાદ જરૂર રહેતો. પોતાની માન્યતા અને નિર્ણયમાં મક્કમ રહેવાને કારણે સંબંધિત વ્યક્તિને ગુજરાતી જિદ્દી પણ લાગ્યા હોય તો નવાઈ પામવા જેવું નથી. પણ જુદો મત ધરાવવાને કારણે તેઓ કોઈનું અહિત વિચારતા નહોતા. એમને ક્યારેય કોઈની સાથે ઊંચા સાદે વાત કરતા જોયા નથી. પોતાનો મત સ્પષ્ટ રીતે જણાવી દીધો કે વાત ત્યાં જ પૂરી.

બોતેર-તોતેરની સાલમાં ‘ખેરાલુવાળા બાપુ‘ ના મંતરેલા પાણીનો બહુ પ્રચાર ચાલતો હતો. આપણા ઘરથી લઈ ગયેલા પાણીમાં બાપુ તરીકે પ્રખ્યાત એક મુસ્લીમ યુવાન ફૂંક મારી આપે, તે પાણી દવાની જેમ રોજ રોજ પીવાથી ગમે તેટલો અસાધ્ય રોગ પણ સાજો થઈ જતો હોવાનો પ્રચાર થતો હતો. ડૂબતો માણસ તરણું ઝાલે તેમ શ્રદ્ધાળુ લોકોની ભીડ જામતી. એ જ અરસામાં મારી માને કેન્સરનું નિદાન થયું હતું અને તે છેલ્લા સ્ટેજમાં હતું. પથારીવશ માની ખબર લેવા જે કોઈ આવે તે સલાહ આપતા કે એકવાર ખેરાલુ જઈને પાણી મંતરાવી લાવવા જેવું ખરું. જોગાનુજોગ ભરૂચમાં એક જાહેર મેદાનમાં બાપુ પધારવાના હતા. ગુજરાતી પણ ત્યાં જવા તૈયાર થયા એટલે મને આશ્ચર્ય થયેલું. સ્વજનોના કલ્યાણ માટે લોકનિંદાની પરવા કર્યા વિના નિર્દોષ લાગતા ઉપચાર કરવામાં કંઈ ખોટું નથી. એમનો દીકરો ત્યારે નાનો હતો અને બાળલકવાની અસર હેઠળ હતો. તે માટે તેઓ ભરૂચ જવા તૈયાર થયા. મેં પણ મારી મા માટે મંતરેલુ પાણી લઈ આવવા મન મનાવ્યું.

કાજીના મેદાનમાં એમણે ઘર તો બનાવેલું, પણ ત્યાં મુસ્લીમ વસ્તી હતી અને ત્યાંના અસામાજિક તત્વોએ ઐમને ઘણા હેરાન કર્યા હતા. કંટાળીને એ ઘર તેમણે વેચી દેવું પડેલું. ત્યારબાદ નદી પાર ‘દીપદર્શન‘ સોસાયટીમાં તેમણે મકાન બનાવ્યું.  તેઓ કેટલા ભાઈઓ હતા તેની પૂરી માહિતી તો નથી પણ એમનો નાનો ભાઈ કેનેરા બેંકમાં નોકરીએ લાગ્યો હતો. મોટાભાઈ રામદાસ ભાઈ તો અમારી સાથે અલથાણ ટેનામેન્ટમાં રહેતા હતા. તે સિવાય એમના એક ભાઈ કર્ણાટકમાં વકીલ હતા એવું મેં સાંભળેલું.

અમે અડાજણ, આનંદમહેલ રોડ પર રહેવા આવ્યા તે પછી નજીક આવ્યા. સવારે ચૌટાપુલ બેંક પર જતી વખતે અને સાંજે રિટર્ન થતી વખતે પણ એમની સોસાયટી પાસેથી જ પસાર થતો. વધુમાં લીલાબેન નામની એક મહારાષ્ટ્રિયન મહિલા અમારા બંનેના ઘરનું કામ કરવા આવતી હતી એટલે પણ અમારા સંબંધનો સેતુ બની રહ્યો. સૂરત છોડ્યા પછી વર્ષો બાદ, કોરોનાના કરફ્યુ વચ્ચે, મણકાના ઓપરેશન માટે અમારે નવસારીથી સૂરત આવવાનું થયું અને સૂરત જ રહેવું પડ્યું, ત્યારે એમના દીકરાને ફૉન કરીને વિનંતી કરી કે મારે ચંદુભાઈને મળવું છે. હું મોર્નિંગ વૉકમાં નીકળું છું. તું પપ્પાને ઓટલા પર આવવાનું કહેજે. જોખમ વચ્ચે, માસ્ક પહેરીને અમે સાત આઠ મિનિટ સાથે બેઠા અને એ અમારી આખરી મુલાકાત નીવડી. એમનો સદભાવ કદી ભૂલાય તેમ નથી. ભગવાન એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના.

કૃષ્ણદાસ ગોવિંદભાઈ ગુજરાતી  પત્ની- ગીતાબેન કૃષ્ણદાસ ભાઈ- બંસીભાઈ જી ગુજરાતી

પુત્ર- પ્રવીણ (અક્ષય),  પુત્રવધૂ- જ્યોતિ પુત્રી- દર્શના કાપડિયા   જમાઈ- ઉર્જિત કાપડિયા

પ્ર. મિ.

૪ નવે. ૨૦૨૨

હવે પ્રભુ, અવતાર નહીં લો તો સારું!

લોકપ્રિય ગાયક કલાકાર સ્વ. મુકેશજીના એક ગુજરાતી ભજનની પંક્તિ છે, ‘હવે ખરું અવતરવાનું ટાણું, હવે પ્રભુ, અવતાર લો તો પ્રભુ જાણું!‘ ભગવાનને અવતાર લેતાં પહેલાં સો નહીં, હજાર વાર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાયેલી છે. પ્રભુએ બનાવેલો વિશ્વબાગ માણસજાતે ઉજ્જડ કરી નાંખ્યો છે. તેની વેદના ભગવાન સમક્ષ વર્ણવવામાં આવી છે.

પણ ભગવાન અવતાર લે ખરો? ગીતામાં ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત..સંભવામિ યુગે યુગે‘ વચન આપ્યા પછી ભગવાન હજી સુધી આવ્યા હોય એમ લાગતું નથી. આજની પરિસ્થિતિ એવી છે કે ભગવાન અવતાર લેતા હોય તોપણ એમને ના કહેવાનું મન થાય તેમ છે. હવે તો અવતરવાનું માંડી જ વાળજો! ભગવાનને પણ વેચીને ચણા ખાઈ આવે તેટલી હદે માનવજાત સ્વાર્થી અને નિર્લજ્જ બની ચૂકી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક કથાકાર સાધુઓ અને અન્ય સ્વામીજીઓ તરફથી સૃષ્ટિના આદિ દેવ બ્રહ્માજી, મહાદેવજી, અને વિષ્ણુના અવતારી પુરુષ શ્રી કૃષ્ણ ભગવાન વિશે બેહુદા વક્તવ્યો અપાયાના વિડીયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનું તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોય, તેઓ તેમના અનુયાયીઓ કે સત્સંગીઓના જીવનને અયોગ્ય રસ્તેથી વાળીને પરમાત્માના માર્ગે વાળી તેમનો ઉદ્ધાર કરતા હોય તેમ જ સમાજના અન્ય વર્ગોની પણ માનવતાના રાહે સેવા કરતા હોય તો તે પ્રવૃત્તિ ખરેખર જ પ્રશંસનીય, વંદનીય અને અભિનંદનીય છે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. પરંતુ, જ્યારે તેઓ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા પુરવાર કરવા માટે સત્સંગીઓના મનમાં બીજા ધર્મ- સંપ્રદાય અને તેના થઈ ગયેલા મહાપુરુષો વિશે હલકટાઈનો ભાવ પ્રગટ કરે, તેમનું અપમાન કરે, નીચા દેખાડે, પોતાના સંપ્રદાયના સ્થાપક મહાપુરુષના નોકર ચાકર કે શરણાગત ભક્ત તરીકે પ્રસ્થાપિત કરવાની ચાલબાજી કરે એ અત્યંત ઘૃણાસ્પદ અને નીંદનીય કૃત્ય છે. કોઈ ધર્મના પ્રવક્તા બીજાની નિંદા કરતા હોય, બીજાને હલકા પાડવાની કોશિશ કરતા હોય તો તેમના પંથના જે વડા ધર્મગુરુ હોય તેમણે તેનો કડક શબ્દોમાં જાહેર વિરોધ કરવો જોઈએ. તેમને સંપ્રદાયમાંથી પાણીચું આપવું જોઈએ અને સંપ્રદાયના જે કોઈ ગ્રંથોમાં એવું વિકૃત અને નીંદનીય લખાણ હોય તે ગ્રંથોને પાછા ખેંચી લેવા જોઈએ. જે ગ્રંથો ઉપલબ્ધ હોય તેને જાહેરમાં બાળી નાખી તેનો નાશ કરવો જોઈએ. જો એમ ન થતું હોય તો વડા ધર્મગુરુઓનો પણ આ સ્વામીજીઓને અંદરખાનેથી સંપૂર્ણ ટેકોજ  છે એવી શંકા અસ્થાને ન ગણાય. છૂપી રીતે તેઓ પણ સનાતન ધર્મના આદિ દેવોને નીચા દેખાડવાના મતના છે અને તેમની મૂક સંમતિ છે, એમ જ પુરવાર થાય.

આ બધી મોંકાણ થવાનું કારણ છે અવતારવાદ. જો સનાતન ધર્મે અવતારવાદ જ માન્ય ન કર્યો હોત તો આ બધા દેહધારી મહાપુરુષોના અનુયાયીઓએ બીજાને ઉતારી પાડવાના ઉધામા ન કર્યા હોત. આવી નિંદનીય ઘટનાઓ બને છે તેથી હિન્દુ ધર્મના અવતારવાદના સિદ્ધાંતની સમીક્ષા કરવી જરૂરી બને છે.

મારી પાસે બે પુસ્તકો છે તે પૈકી એક છે દંતાલીવાળા સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની પુસ્તિકા ‘શું ઈશ્વર અવતાર લે છે?‘ અને બીજું એક પુસ્તક છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનો પર આધારિત ‘દશાવતાર‘; જેમાં અવતારવાદ કોના માટે છે અને એની આવશ્યકતા શી,  તે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.

કીંમતી રત્ન કોઈ પાગલના હાથમાં જઈ પડે તો તેની શી દશા થાય, સુંદર પુષ્પોની માળા વાંદરાના ગળામાં પહેરાવીએ તો તેની કેવી હાલત થાય, તેની કલ્પના આપણે કરી શકીએ તેમ છીએ. વિશ્વના મહાન પુરુષો તેમના સમયમાં જે કોઈક મૂલ્યવાન સિદ્ધાંતો સમાજના કલ્યાણ માટે કહી ગયા તેનું કેવું અવમૂલ્યન અને અંધાનુકરણ થયું છે, તેનો નમૂનો અવતારવાદ પૂરો પાડે છે. અખો કહે છે તેમ “કહ્યું કાંઈ અને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું” એવો ઘાટ અવતારવાદના સિદ્ધાંતનો થયો છે.

ભારત ધર્મપ્રધાન દેશ પણ ગણાતો આવ્યો છે. આપણા ધાર્મિકો બુદ્ધિ કરતા ભાવનાને વધારે મહત્વ આપતા જણાયા છે. ધાર્મિક ગણાતા લોકોનું વાંચન બિલકુલ નથી અથવા બહુ જ ઓછું છે એમ કહી શકાય. તેમનું જે  વાંચન છે તે પણ તેમના સાંપ્રદાયિક ગ્રંથો પૂરતું જ સીમિત છે. તેમાં ‘હા જી, હા’ કરવા સિવાય  જિજ્ઞાસા ભરેલા પ્રશ્નો કે શંકા ઉઠાવીને તેનું બૌદ્ધિક સમાધાન કરી સ્વીકારવાનું વલણ બિલકુલ નથી. યત્ સાહેબ ઉક્તમ્ તત્  પ્રમાણમ્. કથાકાર કે સ્વામીજીએ જે કંઈ કહ્યું તે બધું પ્રમાણભૂત જ હોય, એમણે બધી વાતોનો વિચાર કરીને જ કહ્યું હોય, આપણે તો તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાનું જ હોય, આવું વલણ ભક્તગણમાં જોવા મળે છે અને તે ખતરનાક છે.

શિક્ષાપત્રી વાંચતા એમ સમજાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે. મહાપ્રભુ વલ્લભાચાર્યે વૈષ્ણવ ધર્મ પ્રચલિત કર્યો અને કાળાંતરે જેમની જનોઈ છૂટી ગઈ હતી તેવા તમામ લોકોને કંઠી પહેરાવી ભાગવત ધર્મ સમજાવ્યો અને તેનું પાલન કરવા આચારસંહિતા આપી. કોઈપણ મહાપુરુષ પોતાના સીમિત આયુષ્યકાળ દરમિયાન સમગ્ર સમાજ સુધી તો ન જ પહોંચી શકે. તે વખતના દેશ, કાળ અને મુસાફરીના ટાંચા સાધનોને લઈને એ કરવું શક્ય પણ ન ગણાય, તેમ છતાં સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી ભગવાનનો પ્રેમ અને ભક્તિ સમજાવવા તેમણે અથાક અને અવિરત પ્રયત્નો કર્યા. તેમના પછી થયેલા અન્ય મહાપુરુષોએ તેમનું અધૂરું કામ પૂરું કરવા સમાજના બાકી રહેલા સમુદાયો સુધી પહોંચીને આગળ ધપાવ્યું. આ રીતે જોતા સહજાનંદ સ્વામીએ મહાપ્રભુ વલ્લભાચાર્યના મિશનને જ આગળ ધપાવ્યું અને તેમના વૈષ્ણવ ધર્મનો વિસ્તાર કર્યો એમ કહી શકાય. તેઓ સૌ વંદનના જ અધિકારી હોય.

વેદો ‘ન ઇતિ, ન ઇતિ‘ કહે છે તેનો અર્થ શો થાય? ભગવાન અવતાર લે છે? ના ઇતિ. ભગવાન એટલે આ બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર, ચલાવનાર અને એને સુશોભિત કરનાર અદૃશ્ય શક્તિ. એ અગોચર છે, અતીન્દ્રિય છે, એ નિર્ગુણ અને નિરાકાર છે. એને જન્મ નથી અને મૃત્યુ પણ નથી. એને કોઈ માતા નથી અને પિતા નથી. એ જ સર્વ પ્રાણીઓનો માતા અને પિતા છે. એ સર્વ શક્તિમાન છે. આ સૃષ્ટિમાં કંઈ પણ કરવા માટે એણે મનુષ્યદેહ લેવાની કોઈ જરૂર નથી. એ સર્વશક્તિમાન છે અને દેહ ધારણ કર્યા વગર પણ જે કરવું હોય તે કરી શકે છે. દુષ્ટોનો નાશ કરવો હોય કે સજ્જનોનું રક્ષણ કરવું હોય એ તમામ કામ કોઈ આકાર ધારણ કર્યા વગર પણ કરી શકે છે. નિરાકાર એવો ભગવાન શા માટે સાકાર બને? નિર્ગુણ શા માટે સગુણ બને? અસીમ શા માટે સીમિત બને?

અવતારવાદ એ પ્રયત્નશીલ સજ્જનોને માટે અપાતું એક આશ્વાસન છે, સુમધુર કલ્પના માત્ર છે. બ્રહ્મનું માનૂષીકરણ કરવાથી અને મનુષ્યનું બ્રહ્મીકરણ કરવાથી આ બધા ગોટાળા થાય છે. જેમણે જન્મ લીધો, માણસ તરીકે અકલ્પનીય પુરુષાર્થ કર્યો અને કલ્પનાતીત પરિણામો જગતને ભેટ ધર્યાં અને જેઓ મૃત્યુ પામ્યા તે સૌ મહામાનવો હતા. તેમને માટે ભગવાન કે પ્રગટ બ્રહ્મસ્વરૂપ કે અનંતકોટિ બ્રહ્માંડ નાયક જેવા વિશેષણો વપરાય તે એમના પ્રત્યેના ભાવ ભક્તિને કારણે વપરાતા વિશેષણો સિવાય બીજું કંઈ નથી. એમાં રહેલા ભાવનેપ્રણામ કરીને કહેવાનું કે તેઓ પૈકી કોઈ ભગવાન નથી. કોઈનો ભગવાન ઊંચો અને કોઈનો નીચો એવો વિચાર સુદ્ધાં બાલિશ છે. એમની મહત્તા વધારવા માટે રચેલી કથાઓ પણ કાલ્પનિક છે. હવે બે હાથ જોડીને, ભગવાનને કહેવાનું મન થાય છે કે કૃપા કરીને અવતરવાનો વિચાર પણ કરતા હોય તો માંડી જ વાળજો! લોકો નિરર્થક લડી મરશે.

પ્ર. મિ.

  

રાધાનું પાત્ર કાલ્પનિક છે.

આપણા કવિઓ, લેખકો અને કથાકારોએ રાધાના પાત્રને એટલું ચગાવ્યું છે કે જાણે રાધા વિના કૃષ્ણનું જીવન અધૂરું લાગે. રાધાનો પ્રેમ, રાધાનો ત્યાગ અને રાધાની સમજદારીને એટલો બધો ઢોળ ચડાવીને ચમકાવવામાં આવે છે કે બિચારા કૃષ્ણ, રાધા સમક્ષ ઝાંખા પડી જાય! કૃષ્ણ કે જેમને વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે એ પુરાણપુરુષને વામણા બતાવનારા સાક્ષરો અને ધર્મવીરો રાધાને ક્યારે અને ક્યાંથી ઊંચકી લાવ્યા અને કેવી રીતે એને કૃષ્ણના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધી તે વિષે ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. ‘મારા રામ તમે નહિ આવો સીતાજીની તોલે!‘ એવા વાહિયાત પણ અતિ લોકપ્રિય ભજનમાં જેમ સીતાના પાત્રને અતિશયોક્તિ અલંકાર વાપરીને ઉઠાવ આપવાની કોશિષ અણસમજુ લોકોએ કરી છે તેવું જ રાધાની બાબતમાં પણ થયું છે. સીતાજી તો રામાયણનું પ્રભાવી પાત્ર છે અને તેઓ ભગવાન રામચંદ્રજીના જીવનસંગિની હતાં જ્યારે રાધાનો તો મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં નથી. રામકથાની જેમ ભાગવત કથાની પારાયણો ખૂબ પ્રચલિત છે તે ભાગવત પુરાણમાં પણ રાધાનો ઉલ્લેખ નથી તેમ છતાં ભાવિકોના હૃદય આકાશે રાધાનો સિતારો ભગવાન કૃષ્ણ કરતા વધારે તેજથી પ્રકાશી રહ્યો છે!

અનુમાન લગાવી શકાય તેમ છે કે રાધાને કાલ્પનિક ગણાવવાના કારણે કેટકેટલા લોકોના હૈયે ‘ગહરી ચોટ‘ લાગી શકે તેમ છે. રાધા કોણ હતી અને કૃષ્ણના જીવનમાં તેનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થયો, ભગવાન કૃષ્ણના અવતારી કાર્યમાં રાધાનો ફાળો શો હતો એ કોઈ જણાવી શકે તેમ નથી. ‘ચોકીદાર ચોર છે‘ એવું સૂત્ર ગમે તેટલા લોકો ગમે તેટલીવાર બોલીને આકાશ ગજવે તેથી ચોકીદાર ચોર થઈ જતો નથી. કોઈ આધાર વગરની વાત ગમે તેટલા લાંબા સમયથી બોલાતી કે લખાતી આવે તેટલા માત્રથી તે સત્ય સિદ્ધ નથી થઈ જતી. આપણી એક તકલીફ એ છે કે મનને ગલગલિયાં કરાવે તેવી રોચક વાતો કોઈ ભગવાનના નામ સાથે જોડીને રજુ કરે તો તે આંખ મીંચીને સ્વીકારી લઈને રજુ કરનારની સાથે ડોલવા લાગી જઈએ છીએ; આ આપણું લક્ષણ રહ્યું છે. વળી પાછા કહીએ છીએ કે ‘શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર?‘. શ્રદ્ધાનું મૂલ્ય છે જ, એનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ‘યા દેવિ! સર્વ ભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:‘ એમ કંઈ અમસ્તું જ નથી કહેવાયું, પણ આપણી શ્રદ્ધાને સત્યનું પીઠબળ હોવું જરૂરી છે એ વાત ભૂલી જવાય છે. શ્રદ્ધા શબ્દમાં સત્ય નિહીત છે. સત્ વત્તા ધૃ ધારયતિ- જે સત્યને ધારણ કરે છે તેનું નામ શ્રદ્ધા. આપણે તો સાચી ખોટી માન્યતાઓને જ શ્રદ્ધા ગણાવતા ફરીએ છીએ.

ચાલો, આપણે રાધાનો પીછો પકડવાની થોડીક કોશિષ કરી જોઈએ. આપણી પાસે રાધાનું પાત્ર આવ્યું કેવી રીતે? કૃષ્ણ સાથે એનું નામ જોડાયું કેવી રીતે? મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ અને શ્રીમદ ભાગવત્ જેવા ગ્રંથોમાં કૃષ્ણ ચરિત્રની ચર્ચા તો છે, પણ તેમાં રાધાનું નામ ક્યાંયે જોવા મળતું નથી. રાધા આજે વૈષ્ણવ સમાજમાં શ્રી કૃષ્ણની પત્ની તરીકે સર્વમાન્ય રીતે સ્થાપિત થઈ ચૂકી છે. રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ થઈ શકતી નથી. આ બધું કેમ થયું?

રાધા-રાણીના ગરબા અને ભજનો તથા કવિતા દ્વારા આપણને રાધાની ઓળખાણ થઈ. કાવ્યો, ગઝલો, વાર્તા, નવલકથાઓમાં રાધાના કેરેક્ટરને ડેવલપ કરેલા જોયા. કથાકારોના મુખેથી રસાળ શૈલીમાં રાધા વિષેના વર્ણનો સાંભળ્યા, પણ આપણે કોઈ દિવસ કોઈને પૂછવાની તસ્દી નથી લીધી કે કયા પ્રમાણભૂત ગ્રંથોમાંથી આ વાત લેવામાં આવી છે. આપણા કથાકારો વ્યાસપીઠ પર ભાગવત કે રામચરિત માનસ ગ્રંથનું પોટલું લઈને તો જરૂર બેસે છે, પણ શ્લોક ટુ શ્લોક કે ચોપાઈ લઈને એનો અર્થ સમજાવવાનું ટાળે છે. એમને આવડતી અને એમને ગમતી વાતોનો વિસ્તાર કરીને સમયનો બગાડ કરે છે, પણ મહત્વની વાતો ઓમિટ કરી દેવાની લુચ્ચાઈ કરે છે!

શ્રી કૃષ્ણને તે જમાના પ્રમાણે આઠ રાણીઓ હતી. રુક્મિણી જોડે એમણે પ્રેમલગ્ન કરેલા. રુક્મિણીના પિતાએ તેના વિવાહ જરાસંધના પુત્ર શિશુપાળ સાથે ગોઠવી રહ્યાની ગંધ આવતાં જ રુક્મિણીએ એક પ્રેમપત્ર લખીને શ્રીકૃષ્ણને મોકલ્યો. તે શ્રી કૃષ્ણના અપ્રતીમ પરાક્રમથી અને વ્યક્તિત્વથી આકર્ષાઈને પોતાનું દિલ તેમને અર્પિત કરી ચૂકી હતી. જગતના અપ્રતીમ સૌંદર્યે એવા જ અપ્રતીમ પૌરુષને લખેલો ઈતિહાસનો એ પહેલવહેલો પ્રેમપત્ર ગણાય છે. અન્ય પત્નીઓ જાંબુવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. એ જમાનામાં પરાક્રમી પુરુષો જોડે સંબંધ સ્થાપિત કરવા ત્યારના રાજાઓ પોતાની બહેન કે દીકરીને પરણાવીને સંબંધની મધુરતા વધારતા તે રિવાજ મુજબ બનેલી પત્નીઓ છે. આ રીતે કૃષ્ણની આઠ રાણીઓ હતી. પણ કૃષ્ણ જાણે આજના જમાનાની જેમ ગેરકાનુની લગ્નબાહ્ય સંબંધ બાંધતા વિલાસી પુરુષ હોય તેમ રાધા જોડે એમનું નામ જોડવામાં આવે છે તે સાવ અજુગતું છે. સોળ સહસ્ર રાણીઓની વાત લખીને તો આપણા સાહિત્યકારોએ કૃષ્ણજીને સાવ વિલાસી જીવડો બનાવી દેવાની ધૃષ્ટતા કરી છે. તે સમયે આસામના નરકાસુરે સોળ હજાર કન્યાઓને કેદ કરી હતી. કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરીને એ કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરી. સમાજ એ મહિલાઓને દૂષિત થયેલી માનતો હતો. એવી ભ્રષ્ટ થઈ ચૂકેલી સ્ત્રીઓને વેશ્યા ગણીને એમના ભાઈ કે પિતા કે કોઈ સગાં પણ એમનો સ્વીકાર કરવા તૈયાર ન થયા ત્યારે અપમાનિત થયેલી એ સ્ત્રીઓ દુ:ખી હૃદયે શ્રી કૃષ્ણ પાસે ગઈ. બોલવા લાગી કે, ‘અમારો કોઈ સ્વીકાર કરતું નથી. તમે અમને કારાવાસમાંથી તો છોડાવી પણ હવે અમે ક્યાં જઈએ? અપમાનભરેલી આઝાદી કરતાં તો તે કારાવાસ સારો હતો‘. શ્રી કૃષ્ણે હિંમતભેર કહ્યું કે ‘કોઈ તમારો સ્વીકાર ભલે ન કરે, પણ હું તમારો સ્વીકાર કરું છું. આજથી તમે સૌ મારી પત્ની છો. કોઈ પૂછે તો વિશ્વાસપૂર્વક કહેજો કે અમે કૃષ્ણની પત્નીઓ છીએ.‘

મહાપુરુષો જેનો સ્વીકાર કરે તેનો અનાદર કોઈ કરી શકતું નથી. શ્રી કૃષ્ણે એ અપ્રતિષ્ઠિત મહિલાઓને પોતાની કાયદેસર પત્ની તરીકે અપનાવીને તેમને સમાજમાં પ્રતિષ્ઠાભર્યો દરજ્જો આપ્યો. શ્રી કૃષ્ણનું આ પગલું ક્રાંતિકારી હતું. કોઈનામાં આટલી હિંમત ન જ હોઈ શકે. ભારતને આઝાદી મળી અને ભાગલા પછી જે કત્લેઆમ. લૂંટ, બળાત્કાર અને હિંસાનું તાંડવ ખેલાયું ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. દૂષિત થયેલી સ્ત્રીઓને એમના પતિ, ભાઈ, પિતા અને સમાજે તરછોડી દીધી ત્યારે એમને વારાંગના થઈને જીવવાનો વારો આવ્યો. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી નોંધે છે કે તે વખતે કૃષ્ણ જેવું વિરાટ વ્યક્તિત્વ આપણી સમક્ષ હોત તો એ બહેનોએ પતિત તરીકે જિંદગી ગુજારવી પડી નહોત. શ્રી કૃષ્ણ જેવા વીર ક્રાંતિકારી નાયકને સોળ હજાર રાણીઓ હતી એમ કહીને તેમનું વિલાસી ચિત્ર ઊભું કરનારની મતિ અતિ ક્ષુદ્ર છે એમ કહી શકાય. હદ તો ત્યારે થાય છે જ્યારે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો બાંધતા લંપટ પુરુષને ‘કાનુડા‘ નું લેબલ મારવામાં આવે છે!

‘બ્રહ્મવૈવર્ત‘ પુરાણના આધારે સંશોધન કરનાર હિંદીના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય નાટ્યલેખક શ્રી નારાયણ પ્રસાદ બેતાબે ‘રાધાકૃષ્ણ‘ નામની એક પુસ્તિકા બહાર પાડી હતી. તેમણે લખ્યું છે કે એ પુરાણમાં જુદા જુદા સ્થળે રાધા અને કૃષ્ણનો સંબંધ પિતા-પુત્રી, માતા- પુત્ર, પતિ-પત્ની વગેરેનો કહ્યો છે. આ બધામાંથી કયો સંબંધ સાચો તે તો ભગવાન જ જાણે! બ્રહ્મવૈવર્ત પુરાણ સિવાય બીજા કોઈ કૃષ્ણચરિત્રના આધારભૂત ગ્રંથમાં રાધાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ પુરાણ વેદવ્યાસ રચિત માની શકાય તેવું નથી. એની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. કથાકારો પોતાની માન્યતા અને કલ્પનાનું ગિલિટ ચઢાવીને મનોરંજક ટૂચકાઓ ઉમેરીને પાત્રોની રજુઆત કરી શ્રોતાઓને મનોરંજન કરાવતા આવ્યા છે.

પુરાણકારોને સેક્સી વર્ણન કરતા કોઈ સૂગ નથી આવતી. તેઓ લખે છે” રાધા પૂર્ણ યૌવનથી ભરેલી યુવતિ હતી. રોઈ રહેલા બાળકૃષ્ણને શાંત કરવા ખોળામાં લઈને વહાલ વરસાવવા લાગી. પછી એનું માતૃત્વ કોણ જાણે ક્યાં ચાલી ગયું તે વહાલ વરસાવતાં વરસાવતાં તે રાધા કામવાસનાનો અનુભવ કરવા લાગી. બાળકૃષ્ણે પણ એક નવયુવાનનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી જે લખ્યું તે વર્ણન શરમ અને મર્યાદાનો લોપ કરનારું છે.ધૃત્વા ચ તાં કૃષ્ણ; સ્વાપચાચાસ વૃક્ષસિ ચ કાર શિથિલં વસ્ત્રં ચુમ્બન ચ ચતુર્વિધમ- રાધાનો હાથ પકડીને કૃષ્ણે તેને આલિંગનમાં લીધી. રાધાના વસ્ત્ર ઢીલાં કરીને ચારે તરફ ચુંબન કરવા લાગ્યા. આ તો સૌથી શ્લિલ એવો શ્લોક થયો તો પછી અશ્લિલ શ્લોકમાં કેવું વર્ણન આવતું હશે તેની કલ્પના થઈ શકે છે.

આરાધ્ય દેવ એવા શ્રી કૃષ્ણને લંપટ ગણાવવા એ કંઈ જેવી તેવી ધૃષ્ટતા નથી. આપણા દેવ જો આવા હોય તો પછી તેના ઉપાસકો પણ લંપટતા આચરે તેમાં કોઈ નવાઈ નથી. જે દેવની ઉપાસના કરતા હોય તેના ગુણો તેના ઉપાસકોમાં આવે! કૃષ્ણ જાણે કે રાધા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહ્યા હોય એવું વર્ણન કરવું એ આપણા આરાધ્ય દેવનું હડહડતું અપમાન છે. યુગપુરુષને થતો રહેલો અન્યાય છે. પુરાણકારોને, કથાકારોને અને સાહિત્યકારોને પોતાના મનનો કિચડ પ્રગટ કરવા જાણે બીજું કોઈ પાત્ર જ  ન મળતું હોય તેમ રાધાના કાલ્પનિક પાત્ર સાથે કૃષ્ણનો સંબંધ કલ્પી લઈને તેમના પવિત્ર ચરિત્રને કલંકિત કરે તે કોઈ રીતે શોભાસ્પદ નથી.

પ્ર. મિ.

FACEBOOK ARTICLE PUBLISHED IN ‘PRIYAMITRA’ WEEKLY.

તમારા શરીર પર ડામના દાગ છે? ક્યાં, પેટ પર કે બરડા પર?!…

આજે જેઓ સાંઠથી ઉપરની ઉંમરના હશે અને ગામડામાં મોટા થયા હશે તેમના શરીર પર ક્યાંક તો ડામના અવિચળ ચિહ્નો હજીયે મોજુદ હશે. તેમને કદાચ યાદ પણ નહિ હોય કે એ ડામ તેમને કયા ગુનાની સજા તરીકે મૂકવામાં આવ્યા છે.

બાળપણમાં અમે મહોલ્લામાં ખમીશ ઉતારીને હુતુતુતુ રમતા ત્યારે બોકા પર નવા પૈસાની સાઈઝના ચાર ડામ તો અવશ્ય જોવા મળતા! ખમીશની નીચે ગંજી (બૉડિશ!) પહેરવાનું ચલણ ત્યારે નહોતું. ગંજીને બૉડિશ જ કહેતા હતા. બોકો એટલે પેટ! કોઈ બાળકના પેટ પર ગણપતિ બેસાડ્યા હોય તેવા ઢીંગલાના આકારમાં ડામ મૂકવામાં આવતા હતા. અમે એના પર આંગળીઓ ફેરવતા! બરડા પર બટાકાની વેફર ચોંટાડી હોય તેવો ગોળ ડામ પણ કેટલાક બાળકોના શરીર પર જોવામાં આવતો.

આ ડામ મૂકવાનું કારણ શું? એ કોઈ જાતની આઈડેન્ટિટી હશે? બચપણમાં મૂકેલા એ ડામ આજીવન સ્મૃતિચિહ્નો ધરાવતા હોય છે.

ગુજરાતીમાં કહેવત છે કે દુ:ખનું ઓસડ દહાડા. સમય એ કોઈપણ દુ:ખને ભૂલવાનું સૌથી અકસીર ઔષધ છે. ડામ પણ એવું જ એક ઔષધ ગણાય!. એ જમાનામાં હજી પેનેસિલિન ગામડાં સુધી પહોંચી નહોતી. પેનેસિલિનને અદભૂત ઔષધ ગણવામાં આવે છે કારણ કે  લગભગ સો ઉપરાંત રોગો પર દવા તરીકે અસર કરે છે. પણ પેનેસિલિન આવ્યું તે પહેલાં ડામનું સામ્રાજ્ય હતું! માત્ર સો જ નહિ, લગભગ તમામ રોગો પર ડામ એ અકસીર ઈલાજ ગણાતો હતો. શરીરના જે ભાગમાં પીડા થાય તે ભાગમાં છેલ્લો ઉપચાર ડામ! વડીલો ડામ મૂકવાની વાત કરે કે તરત ઘણાંના પેટમાં દુ:ખતું બંધ થઈ જતું!

એ જમાનામાં દાક્તરો નહોતા. કમ્પાઉન્ડર કક્ષાનો માણસ થોડા થોડા દિવસે સાઈકલ પર આંટો મારી જતો. કાનમાં ભુંગળું નાંખીને બીજો છેડો છાતી પર ફેરવતો. નાડી પકડતો, મોં ખોલીને જીભ જોતો અને જનરલ ડોઝ તૈયાર કરેલો હોય તેમાંથી પીવાની દવા આપતો. ઈંજેશન તો ક્યારેક જ મૂકાતું. ઈંજેશન મૂકાતું જોવા માટે ગામલોકો ટોળે વળતા! મોટાભાગના દરદો તો હાથઓસડથી જ મટાડવામાં આવતા. જડી બુટ્ટીના જાણકારોની ગામમાં કોઈ ખોટ નહોતી. કયા સમયે કઈ વનસ્પતિના પાન, ફળ, ફુલ, છાલ , દાતણ, મૂળિયાં કે રસ ઉપયોગમાં આવે તેનું જનરલ નોલેજ મોટાભાગના લોકો ધરાવતા હતા. રોગ તનનો રોગ હોય કે મનનો ઉપચાર હાથવગો જ હતો. મનોચિકિત્સકો નહોતા, પણ મનોચિકિત્સકોના બાપ જેવા ભુવા ભગતો હતા અને તેમનો ભારે દબદબો પણ હતો. કોઈના શરીરમાં ડાકણ ભરાયેલી હોય તેને ભગાડવા માટે પણ ડામ મૂકવામાં આવતા. ચોકમાં છાણાં સળગાવીને ડાંભણિયું લાલ થાય એટલી જ વાર! ચપકો મૂકો અને ડાકણ અલોપ!

આવા અણઘડ નિષ્ણાતોને કારણે કેટલાયે મનોરોગીને લાકડીના સપાટા ખાવા પડ્યા હશે અને કેટલાના શરીરે ડામ પડ્યા હશે તેની કલ્પના અતિ બિહામણી છે. મારે તો ખાલી, પેટ અને બરડા પર મૂકવામાં આવતા ડામ વિશે જ વાતો કરવાની છે. શિશુ અવસ્થામાં જાતજાતની શારીરિક તકલીફો આવતી હોય છે. તે પૈકીની એક છે ‘વાવળી‘. આ વાવળી થઈ હોય તેના ઉપચાર તરીકે પેટ પર ડામ મુકાવવાનું વલણ સામાન્ય હતું.

આજે રોગનો ઉપચાર કરતાં પહેલાં જેમ લેબોરેટરીના રિપોર્ટ કઢાવવામાં આવે છે અને એ રિપોર્ટ જોઈને નિષ્ણાત ડોક્ટરો દવા પ્રિસ્ક્રાઈબ કરે છે તેમ તે વખતના રોગ પારખુઓ શરીર તપાસીને મેંસથી નિશાન કરી આપે, પછી રવિવાર કે મંગળવારના દિવસે ડામ મૂકવાના નિષ્ણાત પાસે જવું પડે. એનો વટ એમ.ડી. ડોક્ટર કે સર્જ્યન કરતાંયે વધારે હતો! તેઓ પહેલાં ખાતરી કરી લે કે પરીક્ષણ કઈ લેબોરેટરીમાં કરાવ્યું હતું! જો કે આમાં ગાંધી વૈદનું સહિયારું જેવો કોઈ આર્થિક લાભ મેળવવાનો નહોતો. જે કંઈ થતું તે સેવાના ભાવથી જ થતું હતું. દરદીને સર્જરી માટે જેમ ઓપરેશન ટેબલ પર લેવામાં આવે તે જ ભાવથી તેને માનસિક રીતે તૈયાર કરીને ડામ લેવા તૈયાર કરવામાં આવે. સગડીમાં છાણાં સળગાવવામાં આવે. અસલ તેલ કાઢવા માટે જે પળી વાપરવામાં આવતી તેના જેવું ડાંભણિયું હોય, તેને રાતીચોળ ગરમ કરવામાં આવે અને પછી ડામ મૂકનાર વડીલ પૂરી સ્વસ્થતાથી યોગ્ય નિશાન કરેલી જગ્યા પર ડામ મૂકે. ચામડી બળે તેનો ચમ્મ દાઈને થતો અવાજ સંભળાય અને ધુમાડો નીકળતો પણ દેખાય! દરદીનો કણસાટ પણ સંભળાય. ડામ મૂકતી વખતે કંઈ લોકલ એનેસ્થેશિયાની સગવડ નહોતી. ઓપીડીમાંથી દરદી ઘરે જાય એટલે ડામને પકવવા માટે શાક તરીકે ખાસ કઠોળનો ઉપયોગ થાય તેમાંયે વાલ કે વાલની દાળ તો સર્વોત્તમ! ડામ કે શીતળાની રસીને પકવવામાં આવે એટલે તેમાં પરૂ ભરાય અને ભારે હેરાનગતિ થાય.

પણ તમે ‘સાપણ‘ વિશે સાંભળ્યું છે? સાપણ એટલે સાપની માદા. અમુક બાળકોના બરડા પર જે રુંવાટી હોય છે તેમાં કેટલાકને સાપણ દેખાય છે! આ સાપણ શું કરે? બાળકોને ખાઈ જાય! જે બાળક વારંવાર માંદું પડતું હોય તેનાથી મોટા ભાઈબેન પરના બરડા પર સાપણ હોય ત્યારે આવું બને છે એવો નિષ્ણાતોનો મત છે. બાળક અવારનવાર માંદું પડે અને મરી પણ જાય. તેના મૂળમાં હોય છે આ સાપણ. જેના બરડા પર સાપણ હોય તેને કંઈ નહિ થાય, પણ તેના પછીના સહોદરને આ સાપણ ખાઈ જતી હોવાથી એનું મોંઢું બાળી નાખવું પડે! હરતી ફરતી લેબોરેટરીના નિષ્ણાતો બરડા પર ધારી ધારીને જૂએ અને સાપણનું મોઢું તપાસી આપે. રવિવાર મંગળવારે એ વધારે સ્પષ્ટ દેખાઈ આવે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેમ વધારે નિષ્ણાતો ભેગા થયા હોય ત્યારે સાપણનું મોઢું દરેકને જુદી જુદી જગ્યાએ દેખાય! જેની વાક્છટા વધારે પ્રભાવી હોય તેનો મત આખરી ગણવામાં આવે અને પછી તે નિશાન પર ડામ મૂકવામાં આવે. બિચારા પેલા બાળકની દશા તો બલિદાનના બકરા જેવી થાય! વગર વાંકે બરડો ડંભાવવાનો!!

બીજા કોઈની વાત કરવાને બદલે હું મારો અનુભવ કહેવાનું વધારે પસંદ કરીશ. મારા જનમ પછી છેક નવ દસ વરસના ગાળા બાદ મારી બહેનનો જન્મ થયો. એ ત્રણ ચાર વરસની થઈ હશે ને માંદી પડી. નિષ્ણાત કાકી-માસીઓ ભેગી થઈ અને મારા શરીર પર સાપણ હોવી જોઈએ એવો ઠરાવ બહુમતીથી પસાર થયો. એ સમાચાર હું સાંભળી ગયો અને ડરી ગયો! મારી માને પૂછ્યું. તેણે મને અસ્પષ્ટ જવાબ આપ્યો. હું ગુસ્સે થયો. મને મારી બહેન વહાલી હોવા છતાં ડામ મૂકવાના નિર્ણયનો મેં મક્કમતાથી વિરોધ કર્યો. ઘરમાંથી ભાગી જઈશ અને પાછો ઘરે આવીશ જ નહિ એમ મેં કહી દીધું. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલો ઠરાવ રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડી નાંખેલો તેટલી જ મક્કમતાથી મેં પણ તે વખતે ડામ લેવાની સાફ ના પાડી દીધેલી! બધા મને સમજાવે કે તારી બહેન મરી જશે તો? મેં કહી દીધું, ‘ભલે મરી જતી! તમને આટલા બધા વરસો દરમિયાન ક્યારેય મારા શરીર પર સાપણ દેખાઈ નહિ અને હું બાર તેર વરસનો થયો ત્યારે એ ઓચીંતી ક્યાંથી પ્રગટ થઈ?‘ મારી માને મારી દલીલમાં સચ્ચાઈ લાગી. મેં કહ્યું, ‘જો મારા બરડા પર સાચે જ સાપણ હોય તો બચપણમાં જ એને ડાંભી દેવી જોઈતી હતી. હવે એને ડાંભવાથી થતી પીડા હું સહન કરી શકું તેમ નથી. સાપણની વાત સાવ ઉપજાવી કાઢેલી જ છે. હું એમાં માનતો નથી.

મારી મક્કમતાથી નમતું મુકવામાં આવ્યું. હું ડામ લેવામાંથી બચી ગયો. મારી બહેનને પણ કંઈ થયું નહિ. સાંઠી વટાવીને એ પણ હજી જીવે છે!

પ્ર. મિ.

બીજો ચિરંજીવી ખલનાયક બલિરાજા!

      સત્યનારાયણની કથાના અંતે ગવાતી દશાવતારની આરતીમાં આવતી કડી, ‘‘પાંચમે અતિ બળિયો બળદેવ જેથી સુરપતિ યે કાંપે; વામનરૂપ ધર્યું મહારાજે બળિને પાતાળે ચાપે. જયદેવ જયદેવ‘ એ તો ઘણાને ખબર હશે. પુરાણકથા મુજબ બલિરાજા ખૂબ પરાક્રમી હતો, ખૂબ ધાર્મિક હતો. એણે પુષ્કળ યજ્ઞો કર્યા. એને ઈન્દ્ર જોડે વિરોધ હતો. એ ઈન્દ્રાસન પડાવી લેવા માંગતો હતો. જેનામાં લાયકાત હોય તે ઈન્દ્ર બને એમાં કંઈ બહુ મોટી વાત નથી. એ એનો અધિકાર પણ ગણાય. ઈન્દ્રએ ગભરાવાનું કોઈ કારણ પણ નહોતું. લાયકાત હોય તે માણસને આગળ આવવા દેવો જોઈએ. પણ બલિરાજા બગભગત હતો. એનું પ્રગટ કાર્ય સાત્વિક જણાતું હતું, પણ એની પછવાડે મોટી ચાલ હતી. ઈન્દ્રને એ વાતની જાણ હતી એટલે એણે વિષ્ણુને વાકેફ કર્યા હતા. ભગવાનને પણ છેતરે એવા ધાર્મિક પુરુષો આજે પણ ક્યાં ઓછા છે? વિષ્ણુ ભગવાને ઈન્દ્રરાજાને સંભાળવાનું માથે લીધું. બલિ જ્યારે યજ્ઞ કરતો હતો ત્યારે બટુકનું રૂપ લઈને ભગવાન તેની પાસે ગયા અને ભિક્ષા માંગી. જૂની હિંદી ફિલ્મ ‘વામન અવતાર‘નું ગાયન યાદ આવી જાય તેમ છે. ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી!‘ બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલાં પૃથ્વી માંગી. બલિએ રાજીખુશીથી પૃથ્વી લઈ લેવા કહ્યું.  ડગલાં ભરતી વખતે ભગવાને વિરાટ રૂપ લીધું અને પહેલા ડગલે પૃથ્વી અને બીજા ડગલે ત્રિભુવન માંગી લીધું. હવે ત્રીજું ડગલું ક્યાં ભરૂં એમ ભગવાને પૂછ્યું ત્યારે બલિએ કહ્યું કે મારા માથા પર પગ મૂકો. ભગવાને માથા પર પગ મૂક્યો અને બલિ પાતાળે ચંપાઈ ગયો. ભગવાને એને વચન આપ્યું કે હું તારા પુત્ર પરિવારનું રક્ષણ કરીશ તું પાતાળમાં નિરાંતે રહેજે. બલિના ત્યાગની અવેજીમાં વરસનો એક દિવસ એના નામે ઊજવવાનો નક્કી કર્યો. બલિ પ્રતિપદા એટલે કે બેસતું વરસ એ બલિની યાદમાં ઊજવાય છે; આ થઈ પૌરાણિક કથા.

એક સવાલ મગજમાંથી નીકળે તેવો નથી. બલિરાજા ધાર્મિક અને સાત્વિક પ્રકૃતિનો હોય અને સમાજ માટે સારી પ્રવૃત્તિઓ કરતો હોય તો ભગવાને એને પાતાળમાં કેમ ચાંપ્યો? પુરાણકારો જે વાત કરે છે તે બુદ્ધિમાં ઉતરે તેવી નથી. દંતકથા તો એમ પણ કહે છે કે બલિ એવો ચતુર નીકળ્યો કે એણે ભગવાનને પોતાના અંગરક્ષક-નોકર તરીકે રહેવાની ફરજ પાડી.

બલિ કોણ હતો? હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ હતો. પ્રહલાદનો દીકરો  વિરોચન અને વિરોચનનો દીકરો તે બલિ. પ્રહલાદ સાત્વિક પ્રકૃત્તિનો હતો. આધ્યાત્મિક હતો. તેને રાજગાદી પર બેસવાની લાલસા નહોતી, પણ નરસિંહ ભગવાને તેને બળજબરીપૂર્વક ગાદીએ બેસાડ્યો. સારા માણસો રાજકારણમાં આવવા જોઈએ. સંસાર અસાર છે, રાજકારણ એ કિચડ છે એમ સમજીને ‘ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્‘ કરીને ધ્યાનમાં બેસી જવું સરળ છે. હિમાલય ભ્રમણ કરવું પણ સરળ છે, પણ તેને બદલે રાજકારણના કિચડનો સામનો કરીને, પ્રજાને સુશાસન આપીને પણ પ્રભુસેવા કરી શકાય. આ પણ સાધના જ છે, તપ જ છે, આમાં આત્માની ઉન્નતિ અને સમાજકલ્યાણ બંને સચવાય જ છે એમ સમજાવીને પ્રહલાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. પ્રહલાદે સરસ રાજ્ય કર્યું. ત્યાર પછી પ્રહલાદનો દીકરો વિરોચન ગાદીએ આવ્યો. તે ઊંધો નીકળ્યો. વિરોચન નાસ્તિક હતો. તેનામાં બાપના કરતા દાદાના લક્ષણો વધારે હતા. ઉત્તમ પિતાના સંતાન ઉત્તમો જ હોય એવું બનતું નથી. હિરણ્યકશિપુ જેવો પ્રહલાદ ન નીકળ્યો અને પ્રહલાદ જેવો વિરોચન ન નીકળ્યો. મારા પિતા મહાન હતા એમ કેવળ બોલવાથી કામ ન ચાલે. જાતે મહાન કામો કરી દેખાડવા પડે. પિતાના સ્વસંપાદિત ગુણો સંતાનમાં આવતા નથી. પિતા કરતા દાદાના સંસ્કાર પૌત્રમાં વધારે આવે છે. પ્રહલાદના છોકરા વિરોચનમાં બાપના ગુણો ન હોવાથી તે નિષ્ફળ રહ્યો. સાત્વિક વિચારો સમજવા તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો.

વિરોચનનો છોકરો બલિ બાળપણથી જ બુદ્ધિશાળી અને કૂટનીતિજ્ઞ હતો. તેણે તેના પારિવારિક ઈતિહાસનો બરાબર અભ્યાસ કર્યો હતો. તેણે જોયું કે હિરણ્યકશિપુ તાકાતના જોરે બળજબરીથી શાસન કરવા ગયો તો એણે મરવું પડ્યું. પ્રહલાદ જેટલી ભક્તિ અને સંસ્કાર તેનામાં હતા નહિ. તે આસુરી સંસ્કૃતિનો હતો. હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિરોચનની મિશ્ર આવૃત્તિ એટલે બલિરાજા! બલિને સમજાઈ ગયું કે ખાઓ, પીઓ અને મજા કરો એ આસુરી વૃત્તિના વિચારો કેવળ સામર્થ્યના જોરે પ્રજા પર લાદી શકાશે નહિ, લોકો માનશે નહિ અને બીજો નરસિંહ ઊભો થશે! એટલે એણે મોટા મોટા યજ્ઞો કરીને ધાર્મિકતાનો દેખાવ ઊભો કર્યો. યજ્ઞ એટલે દેવપૂજા સંગતિકરણ મિત્રકરણ. જે મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી. લોકોમાં જે કંઈ ગુણો હોય તે બદલ તેમની પ્રશંસા કરી- પૂજા કરવી, તેમની સાથે આત્મીયતા ઊભી કરવી. આજના અનુસંધાનમાં કહેવું હોય તો બલિ રાજાએ વિપદગ્રસ્ત લોકોને મદદ કરીને અને સમાજના બુદ્ધિમાન લોકો- લેખકો, પત્રકારો, કાનૂની નિષ્ણાતો વગેરેને એવોર્ડ આપીને વિભૂષિત કર્યા. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ખુશ રાખ્યા એનો અર્થ એ જ કે સમાજના બૌદ્ધિક વર્ગને સુખ સગવડો આપીને સંતુષ્ટ રાખ્યા જેથી તેમની વફાદારી શાસન પ્રત્યે કાયમી રહે. બૌદ્ધિકોની ફરજ હતી કે તેઓ પ્રજામાં સંસ્કાર ઊભા કરે. સમાજને સભ્ય બનાવે, જવાબદાર નાગરિકત્વ નિર્માણ કરે. બલિએ આ વિકાસપ્રક્રિયા ચાલાકીપૂર્વક અટકાવી દીધી. બ્રાહ્મણોને પૂરતી દક્ષિણા મળતી હોય અને રાજદરબારમાં પ્રતિષ્ઠિત સ્થાન મળતું હોય તો એને બીજું જોઈએ પણ શું?

ઉપલક રીતે ધાર્મિકતા ધમધમતી રહેતી. કથા પારાયણો ચાલતા રહેતા, હોમ હવનો ચાલતા રહેતા. ધાર્મિક સ્થળો ઊભાં થતાં હતાં, પણ ત્યાં પૂજા-પાઠ, ભજન- સત્સંગ અને આરતી- પ્રસાદથી વિશેષ કશું થતું નહિ. પ્રજાને ઉત્સવોની ઊજવણી કરવામાં મશગુલ રાખવામાં આવતી. માણસમાં માનવીય ગુણો પાંગરે અને વિકસે એ માટેની તમામ બારીઓ બંધ કરી દેવામાં આવી હતી. શિક્ષણ અને કેળવણી રાજ્યાશ્રિત બનતા જ જીવનલક્ષી પાઠો શિખવવાનું બંધ થયું અને રોજગારલક્ષી અભ્યાસક્રમને ઉત્તેજન આપવામાં આવ્યું. સમાજ સમસ્યાગ્રસ્ત બનતો ગયો અને દરેક સમસ્યાનો ઉકેલ બલિરાજા પાસે જ છે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. બલિ જ સૌનો બેલી છે. બલિ જેવો કોઈ રાજા થયો જ નથી અને બલિ જે કરી શકે તે કોઈનાથી ન થઈ શકે એવી ધારણા ઊભી કરવામાં આવી.

દેશના રક્ષણ માટે તત્પર એવા પરાક્રમી વીરજવાનોને વીરતા બતાવવાથી વંચિત રાખ્યા. એમને વૈશ્વિક માનવવાદના પાઠો ભણાવી એમના લોહીને ઠંડુ પાડી દેવામાં આવ્યું. માનવ અધિકારની દુહાઈ આપીને આતતાયીઓ સામે શસ્ત્ર ન ચલાવવાની સૂચના આપીને તેમના શૌર્ય પર લગામ મૂકી દીધી. સશસ્ત્ર આતતાયીઓ જોડે માનવતા દાખવીને તેમના પર શસ્ત્રપ્રહાર કર્યા વિના શહીદ કરવાનો કારસો ઘડાયો. ચાલાકીપૂર્વક ક્ષત્રિયત્વ ખલાસ કીધું. વહીવટી અધિકારીઓને બઢતી આપીને ખુશ રાખ્યા જેથી તેમની પાસેથી ઈચ્છિત ગેરકાનૂની કામ પણ લઈ શકાય. શાસકો પાસેથી કટકી- પ્રસાદ મળતી હોય અને પ્રજાને લૂંટવાની તરકીબ મળતી હોય તો વહીવટીતંત્ર કોઈ દિવસ શાસકો સામે માથું ઉંચકવાની હિંમત ના કરે! બલિ રાજા યાવત્ચન્દ્ર દિવાકરૌ સત્તા સંભાળે એવા આશીર્વાદ એને મળતા જ રહે. બલિ ખરેખર મુત્સદ્દી રાજકારણી હતો. ઉપરથી ભલો, પરોપકારી અને ધાર્મિક રહીને એણે સમાજજીવનના મજબૂત પાયા જ તોડી નાખ્યા. આટલો ક્રૂર તો હિરણ્યકશિપુ પણ નહોતો! એ તો જે કરતો તે ખુલ્લંખુલ્લા કરતો. તે દંભી તો નહોતો જ. બલિની ચાલાકી સામે કેટલાક અધિકારીઓએ માથું ઊંચક્યું તો એમને ‘રાજસત્તાનો લોભ છે‘ એવો આરોપ એમના માથે મૂકીને બદનામ કરવામાં આવ્યા.

બલિના સમયમાં એક આદર્શવાદી અને સાત્વિક પ્રકૃત્તિની સ્ત્રી હતી. તેનું નામ અદિતિ. અદિતિએ ભગવાન પાસે એવો પુત્ર માંગ્યો કે જે વૈદિક સંસ્કૃતિ મુજબ જીવન જીવે અને મરવા પડેલી વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરે. ભગવાન પોતે એમને ત્યાં પુત્ર થઈને જન્મ્યા, તેમનું નામ વામન. વામન બચપણથી જ કલ્પક બુદ્ધિના હતા. તેમણે શાંતપણે લોકો વચ્ચે જઈને લોકોને જગાડવાનું કામ કીધું. બાળવયમાં બાળકોને સાથે લઈને જંગલોમાં, કે નદી કિનારે લઈ જઈને રમતો રમાડતો, તેનામાં વીરતા જગાડતો, જીવનલક્ષી શિક્ષણ આપી તેમને સાચા અર્થમાં સંસ્કારી નાગરિક બનાવતો. દેશાભિમાન જગાડતો, સંસ્કૃતિપ્રેમ જગાડતો અને એ રીતે જાગૃત સમાજ ઊભો કરતો ગયો. બલિના ગુરુ શુક્રાચાર્યે બલિને ચેતવ્યો કે આ છોકરો સાધારણ નથી. એ તારા વિનાશનું કારણ બનશે. પણ બલિ એની ચતુરાઈ પર મુસ્તાક રહ્યો.

અને જેને વામન ધારેલો એ બટુક દિવસે દિવસે વિરાટ બનતો ગયો. જનસમાજમાં એની લોકપ્રિયતા વધતી ગઈ. લોકો ‘વામન! વામન!..‘ ના નારા લગાવવા લાગ્યા. બલિની ચતુરાઈ લોકો સમજી ગયા અને બલિમુક્ત સમાજનિર્માણ માટે સંકલ્પબદ્ધ થતા ગયા. એક દિવસ બલિરાજા યજ્ઞ કરતા હતા અને વામન તેમની સમક્ષ જઈને ઊભા રહ્યા. બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલામાં જે માંગી લીધું તે સાંભળીને બલિના પગ તળેથી ધરતી ખસી ગઈ! હકીકતમાં વામને જ એ ધરતી ખેંચી લીધી હતી. બલિનું પતન થયું અને એ નજરકેદ થયો.

કમનસીબે, સમાજમાં આવા દંભીઓ પાકતા જ રહે છે જેઓ સમાજના બેલી હોવાનો દાવો કરતા જાય અને સમાજને નિર્માલ્ય બનાવતા જાય. તેમની સામે સદા જાગૃત રહેવાનો બોધ આપવા માટે બલિને ચિરંજીવી માનવામાં આવ્યો હશે એમ સમજાય છે.

પ્ર. મિ.

પ્રાત: સ્મરણીય ચરિત્રો

 ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ સવારે જાગીને પથારીમાં બેઠા થતાંની સાથે જ કરદર્શન કરવાનું હોય છે. કરદર્શનના શ્લોકો થકી માણસમાં ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. જમીન પર પગ મૂકતી વેળા ધરતી માતાને નમસ્કાર કરી એની ક્ષમા માંગવાની હોય છે. દાતણ કરતી વખતે વનસ્પતિને નમસ્કાર કરતો શ્લોક તથા સ્નાન કરતી વખતે ભારતની મુખ્ય નદીઓનું આવાહ્ન કરવામાં આવે છે. સાથે સાથે પુશ્યશ્લોક ચરિત્રો, મોક્ષદાયી સાત નગરીઓ, પાંચ સતીઓ તથા સાત ચિરંજીવી ચરિત્રોને યાદ કરવામાં આવે છે. એ શ્લોક આ મુજબ છે;

‘અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભિષણ; કૃપ: પરશુરામશ્ચ સપ્તૈ: તે ચિરજીવિત:‘

આ સાત ચિરંજીવીઓ હજી જીવે છે એવું કહેવાય છે. ખરેખર તેઓ સદેહે હજી સુધી હયાત હશે કે? શ્રદ્ધાળુઓ તો મક્કમપણે માને જ છે કે આ પાત્રો હજી હયાત છે. અને પ્રસંગોપાત અમુક ખાસ લોકોને દર્શન પણ આપે છે. એમની શ્રદ્ધા અને ભાવનાને નમસ્કાર કરીને આગળ વિચારીએ તો ચિરંજીવી એટલે અમર અથવા લાંબાકાળ સુધી ટકનારા; તેમનો દેહ અમર કે તેમના સદવિચારો અને તેમનું કર્તૃત્વ અમર? ભારતીય સંસ્કૃતિના આ મહાન પાત્રો તેમની વિશેષતાને કારણે જનમાનસમાંથી કદી વિસરાતા જ નથી. શાસ્ત્રકારોએ એમના દેહવિલય વિષે કંઈ લખ્યું નથી એટલે લોકો માને છે કે તેઓ હયાત હોવા જોઈએ, પણ આવું કદી હોઈ શકે નહિ. મહાભારતના મુખ્ય પાત્ર અને અવતારી પુરુષ એવા શ્રી કૃષ્ણને અને ઈચ્છિત મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહને મૃત્યુ આવે અને વ્યાસજીને મૃત્યુ ન આવે એવું બની શકે ખરું? અશ્વત્થામા અને કૃપાચાર્યના એવા તે કયા અવતારી કાર્યો બાકી રહી ગયા કે તેઓ હજી મૃત્યુને રોકીને જીવી રહ્યા હશે? રામાયણના રામ અને લક્ષ્મણ ચાલ્યા ગયા અને હનુમાનજીને ચારેય યુગમાં જીવતા રહેવાના આશીર્વાદ આપ્યા એટલે તેઓ હજી હાજરાહજુર છે એમ મનાય છે. હનુમાનજીનું સમગ્ર જીવન જ પ્રેરણાદાયી રહ્યું છે, વ્યાસ ભગવાનના વિચારો પણ માનવજીવનને નિત્ય માર્ગદર્શન આપતા રહેલા છે. તેઓ અમર રહે તે તો ઉત્તમ વાત છે જ, પણ ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સદેહે હયાત હોત તો અતિ ઉત્તમ ગણાત. તેઓ પ્રકૃત્તિના નિયમોને વશ થઈ કાળધર્મ પામ્યા તો આ સાત પાત્રોને કેમ અહીં મૂકી ગયા, એવો સવાલ મનમાં જાગવો સ્વાભાવિક છે.

કથાકારો કહેતા આવ્યા છે કે રામાયણની મંથરા હજી જીવે છે. બીજાનું સુખ જોઈને દ્વેષાગ્નિથી બળતા કે અદેખાઈ કરનારા લોકોને કથાકારો મંથરાનું રૂપ ગણે છે. કથાકારોને મંથરાના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ મળતો ન હોવાથી આવા ચિબાવલા વાક્યો ગોઠવી કાઢીને ભાવિકોના મગજમાં ફિટ બેસાડી દે છે. જાણે નવું સંશોધન થયું હોય તેમ આ બાબતને ભાવપૂર્વક વર્ણવવામાં આવે છે. એકે કહ્યું એટલે બીજાને પણ એમ કહેવાની ચળ ઉપડે છે અને મંથરાને ચિરંજીવી બનાવવાની ચાનક આગળ વધતી જ જાય છે. તો પછી સાત ચિરંજીવીઓમાં મંથરાનું નામ કેમ નથી લેવાતું? એવાં તો કેટલાયે પાત્રો છે કે જેમના મૃત્યુ વિશે કોઈ વિગતો ક્યાંય મળતી નથી એટલે તેઓ હજી મર્યા જ નથી એમ માનવામાં કોઈ ન્યાય નથી. આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ અને મા ભારતીના લાડકા સંતાન એવા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હોવાના પુરાવા ન મળવાના કારણે તથા તેમના અપ્રતીમ પરાક્રમ અને બુદ્ધિમતા પર ગજબનો વિશ્વાસ હોવાથી લોકો માનતા જ નહોતા કે તેમનું મૃત્યુ થયું છે. તેમના જીવિત હોવા વિષે અનેક દંતકથાઓ વરસો સુધી ચાલતી રહી, પણ સજીવોને જેમ જન્મ છે તેમ મૃત્યુ પણ છે જ, ‘નામ તેનો નાશ‘ એ અવશ્યંભાવિ ઘટના છે. એને ટાળી ન શકાય; ભાવનાથી માનવું તે અલગ વાત છે.

સાત ચિરંજીવીઓ પૈકી અશ્વત્થથામાને પ્રથમ ક્રમાંક અપાયો છે તે આશ્ચર્યજનક બાબત છે. અશ્વત્થામાએ એવું તે શું કર્યું કે એને યુગો સુધી માનવસમાજે જીવતો માનવો પડે? અશ્વત્થામા કોણ હતો? દ્રોણ ગુરુનો એ પુત્ર હતો અને જીવથીયે વહાલો હતો. ‘અશ્વત્થામા મરાયો છે એવા સમાચાર જ્યારે દ્રોણને મળશે ત્યારે દ્રોણ હથિયાર હેઠે મૂકી દેશે અને દ્રોણ હણાશે‘ એવો એને શ્રાપ કે વરદાન હતું. સામાન્ય રીતે દીકરા કરતા બાપ જ વહેલો મૃત્યુ પામતો હોય છે, પણ બાપની હયાતિમાં દીકરો મૃત્યુ પામે તો તે અમંગળ ઘટના વખતે પિતાના પ્રાણ પણ લગભગ ચાલ્યા જ ગયા હોય એવી કરુણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. પિતા નિરૂત્સાહી થઈ જાય છે અને જીવવાની ઈચ્છા ગુમાવી બેસે છે. મહાભારતના યુદ્ધમાં એવી તે કેવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જેવા અવતારી પુરુષે સત્યપ્રિય યુધિષ્ઠિરને સત્યભાષણ કરવાની પ્રતિજ્ઞા તોડીને અસત્ય વચન બોલવાનું સમજાવવાનો વખત આવ્યો?

દ્રોણગુરુ તે દિવસે રણાંગણમાં સાક્ષાત કાળ બનીને કાળો કેર વર્તાવી રહ્યા હતા. એવું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું કે પૃથ્વીનો પ્રલય થવાની જાણે કે ઘડીઓ ગણાઈ રહી હતી. એક બ્રાહ્મણ આટલો બધો ક્રુર અને નિષ્ઠુર બની શકે? દ્રોણની લોહીપિપાસાએ એને બ્રહ્મરાક્ષસ બનાવી દીધો હતો. એને અટકાવવો જરૂરી હતો. લાખો સ્ત્રીઓ વિધવા અને લાખો બાળકો અનાથ થવા જઈ રહ્યા હતા. આખરે કયા વેરને કારણે દ્રોણગુરુ આટલા બેફામ બન્યા હતા? નિર્ધનતાને કારણે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો અને હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્રવિદ્યા સ્વીકારવાનું સ્વીકાર્યું એ માટે એમની પાસે વાજબી કારણો હતા, પણ રાજકુમારોનું શિક્ષણ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં પડી રહેવા પાછળ કઈ મજબૂરી હતી? કયો લોભ હતો? જે કારણથી એકલવ્યને એમણે બાણવિદ્યા શીખવવાની ના પાડી તે કારણ પોતાના દીકરા અશ્વત્થામાને કેમ લાગુ પાડ્યું નહિ? ક્ષત્રિય રાજકુમાર અર્જુનને તેની યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું, પણ અશ્વત્થામાને કઈ યોગ્યતા જાણીને  બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા આપી? અને તે યે પાછી અધૂરી? બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું તે અશ્વત્થામા જાણતો નહોતો. (ગુરુ દ્રોણે એક કુપ્રથા શરૂ કરી તે હજી આજે યે ચાલુ છે. દ્રોણના પહેલાં, રાજકુમારો પણ ઋષિના તપોવનમાં ભણવા જતા અને અન્ય સામાન્ય બાળકોની સાથે આચારસંહિતા મુજબ રહીને અભ્યાસ કરતા હતા. સત્તાધીશો કે શ્રીમંતોના ઘરે જઈ, તેમના બાળકોને પ્રાયવેટ ટ્યૂશન આપવા જવાની ગૌરવહીન પ્રથા ગુરુ દ્રોણે ચાલુ કરી.)

ભારદ્વાજ ઋષિના વંશજો આટલા નપાવટ પાકશે એવું કોઈએ ધાર્યું નહિ હોય. દ્રોણ ગુરુની વિનાશલીલાને અટકાવવા યુધિષ્ઠિરનો પ્રતિજ્ઞાભંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. એ જમાનો પ્રાણને ભોગે પણ પ્રતિજ્ઞાધર્મને બચાવવાનો હતો, પછી ભલે જગતનું અકલ્યાણ થાય! દેવવ્રત ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદી પર ન બેસવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા ન પાળી હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. જગતના કલ્યાણ આડે પ્રતિજ્ઞા નડતી હોય તો એવી પ્રતિજ્ઞા તોડવી એ જ પરમ ધર્મ બની રહે છે. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ બોલવાની ફરજ પાડી કે અશ્વત્થામા હણાયો છે. અશ્વત્થામાના મરવાના સમાચાર સાંભળીને દ્રોણ જરા ઢીલા પડ્યા. સમાચારની ખાતરી કરવા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને એમણે વાતની પૂર્તિ કરતાં જણાવ્યું કે ‘હા, અશ્વત્થામા હણાયો છે.‘ (નર: વા કુંજર: વા- એ શબ્દો યુધિષ્ટિર બોલ્યા જ નથી છતાં, એ તૂત ચાલુ જ છે!) પ્રતિજ્ઞા મુજબ દ્રોણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને ધ્યાનાવસ્થામાં બેઠા. તે સમયે ધૃષ્ટદ્યુમ્ને એમનું માથું વાઢી લઈને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.

પિતાના મોતનો બદલો લેવા કે પછી દુષ્ટ દૂર્યોધનના વહાલા થવા માટે અશ્વત્થામાએ રાત્રિના ઘોર અંધારામાં, યુદ્ધ છાવણીમાં ભરનિદ્રામાં સૂતેલા દ્રૌપદીપુત્રોને પાંચ પાંડવો સમજીને જીવતા સળગાવી મૂક્યા એ કાયરતાપૂર્ણ દુષ્કૃત્ય કોઈ નરપિશાચ જ કરી શકે. ઉરીમાં શું બન્યું હતુ? અશ્વત્થામા આવ્યો હતો કે? એ જમાનામાં, દુશ્મનને સાવધ કરીને, તેના હાથમાં મનગમતું હથિયાર આપીને તેને યુદ્ધમાં લલકારવામાં આવતો. રાત્રે અસાવધ સ્થિતિનમાં નિંદર માણતા મહારથીઓને ચૂપકીદીથી ચોર પહલે આવીને સળગાવી મૂકવા જેટલી કુટિલતા એક બ્રાહ્મણ ક્યાંથી લાવ્યો હશે? સૂતેલા દ્રૌપદી પુત્રોની નિર્ઘૃણ હત્યા કર્યા પછી એણે જરીકે અપરાધભાવ ન અનુભવ્યો. એ જ્યારે પકડાયો ત્યારે એના હાથમાં બ્રહ્માસ્ત્ર હતું.

ગુરુપુત્ર અને બ્રાહ્મણપુત્ર સમજીને જેની હરકતોને માફ કરતા આવેલા એ નરાધમે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું. પુત્રોની હત્યાથી કોપાયમાન અર્જુને પણ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. પૃથ્વીનો પ્રલય થશે એવી દહેશતથી વ્યાસજીએ તેમને બ્રહ્માસ્ત્ર વાળવાની અપીલ કરી. અર્જુને તો બ્રહ્માસ્ત્ર વાળી લીધું. પણ અશ્વત્થામા વાળી ન શક્યો. આકાશ કે પાતાળ જેવી કોઈ દિશામાં ફેંકવું અનિવાર્ય હતું. પાંડવોના વંશનું નિકંદન કાઢવાને સંકલ્પબદ્ધ એવા આ બ્રહ્મરાક્ષસે કુટિલતાથી અટ્ટહાસ્ય કરીને શહીદ નવયુવાન અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર નિશાન તાક્યું! માનવતા શરમાઈ નહિ, પણ ખરેખર ધ્રુજી ઊઠી. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ સ્તબ્ધ થઈ ગયા!

જગતમાં આવા લોકોની પણ કમી નથી, જેમને કોઈ કરતાં કોઈની શરમ નથી. તેઓ ગમે તે હદે જઈ શકે છે. વિદ્વાન બ્રાહ્મણો સુદ્ધાં બ્રહ્મરાક્ષસ બની શકે છે. સાક્ષરા: વિપરિતાનિ રાક્ષસા: ભવન્તિ. પોતાની જાત સિવાય કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પળેપળ સાવધતા રાખવી જરૂરી છે. કોઈપણ મનુષ્યના દિમાગમાં પ્રવેશ કરીને શયતાન ગમે ત્યારે આપણા પર ત્રાટકી શકે છે. બનેલો માળો પીંખી શકે છે! એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે?

પ્ર. મિ.