દિવાન-એ-ખાસ

– વિક્રમ વકીલ

મોરીછાપી હત્યાકાંડ : સામ્યવાદીઓએ કરેલી કત્લેઆમનો વણકહ્યો લોહીયાળ ઇતિહાસ

*******

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવેલા ગરીબ હિન્દુઓને જ્યોતિ બસુએ કઈ રીતે મોતને ઘાટ ઊતાર્યા હતા?

*******

”પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારે અમારો આર્થિક બહિષ્કાર ચાલુ કર્યો હતો. 1979ની 26મી જાન્યુઆરી પોલીસની 30 જેટલી લોન્ચ બોટ અને ત્રણ જેટલી બીએસએફની સ્ટીમરે મોરીછાપી ટાપુને ઘેરી લીધો હતો. ઘણા દિવસોથી અમે અનાજ, પાણી કે દવા લેવા માટે ટાપુની બહાર જઇ શક્યા નહોતા. જ્યારે પણ અમારી હોડીઓ ટાપુથી દુર જવાનો પ્રયત્ન કરે કે પોલીસની લોન્ચ ટક્કર મારીને અમારી હોડીને ડુબાડી દેતી હતી અને હોડીમા સવાર લોકો ડુબી જતા હતા. અમારા નેતા સતીષ મોન્ડાલ અને રંગલાલ ગોલ્ડારે નક્કી કર્યું કે એક હોડીમાં ફક્ત સ્રીમોઓને બેસાડીને જ પાણી અને અનાજ લેવા મોકલીએ. પોલીસ કદાચ મહિલાઓને જોઇને હોડીને જવા દેશે. પરંતુ અમે ખોટા પડ્યા. ખાખી વર્દીધારીઓએ મહિલાઓની હોડીને પણ ટક્કર મારીને ડુબાડી દીધી. મહિલાઓ ડૂબી રહી હતી ત્યારે હું અને બીજા 400 જેટલા પુરુષો હિંમત કરીને એમને બચાવવા દોડ્યા. અમે નદીમાં ડુબકી મારીને તરતા તરતા પહોંચ્યા ત્યારે ડુબી રહેલી મહિલાઓ પર પોલીસે ફાઇરીંગ શરૂ કર્યું. જોકે અમે હિંમત કરીને કેટલીક મહિલાઓને બચાવી લીધી…. ”

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવીને પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલા સંતોષ સરકાર ઉપરનો પ્રસંગ યાદ કરતા લગભગ રડી પડ્યા હતા. મોરીછાપી શું છે અને ત્યાં શું શું થયું હતું એની આપવીતી કહેવા માટે સંતોષ સરકાર જેવા બીજા કેટલાક બંગાળી હિન્દુઓ હજી હયાત છે.

પશ્ચિમ બંગાળમાં કલકત્તાથી આશરે 70 કીલોમીટર દૂર આવેલા સુંદરવનના જંગલોની વચ્ચે મોરીછાપી નામનો નાનકડો ટાપુ આવ્યો છે. 1947ના ભાગલા વખતે એ વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા હિન્દુઓમાંથી, ઉપલા વર્ગના હિન્દુઓ કલકત્તા સ્થાયી થવા માટે નસીબદાર રહ્યા હતા. મોટા ભાગના ગરીબ અને દલિત હિન્દુઓને પશ્ચિમ બંગાળમાં આવકાર મળ્યો નહીં હોવાથી તેઓ ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સ્થાયી થયા હતા. આ હિન્દુઓની હાલત ખૂબ જ કપરી હતી. જંગલમાં તેઓ આદિવાસીઓની સાથે રહીને ભૂખમરામાં દિવસો પસાર કરતા હતા. હિટલરના કોન્સનટ્રેશન કેમ્પમાં જે હાલત યહુદીઓની હતી એવી જ હાલત હિન્દુ શરણાર્થીઓની હતી. 60ના દાયકામાં પણ પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો દ્વારા થતા અત્યાચારથી કંટાળીને હિન્દુઓ મહામહેનતે ભારત શરણાર્થી તરીકે આવ્યા હતા. એ વખતે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સીપીઆઇ (એમ) વિરોધ પક્ષ તરીકે હતો. મધ્યપ્રદેશના જંગલોમાં સ્થાયી થયેલા આ શરણાર્થીઓને બંગાળમાં સ્થાયી થવાનું આમંત્રણ અને લાલચ સામ્યવાદીઓએ આપી હતી.

સામ્યવાદી કહો, ડાબેરી કહો, માઓવાદી કહો કે અર્બન નક્સલ કહો. પ્રજાતિ એક જ છે. આ પ્રજાતિ હંમેશા એવો દેખાડો કરે છે કે તેઓ ગરીબોના મસિહા છે. લિબરલ છે. સેક્યુલર છે. પોતાના વિરોધીઓ માટે તેઓ હંમેશા ફાસિસ્ટ, કોમવાદી, માસ મર્ડરર… જેવા શબ્દપ્રયોગનો ઉપયોગ છુટથી કરે છે. સામ્યવાદીઓનો અસલી ચહેરો જોવો હોય તો ઘણા બધા દાખલા આપી શકાય. પરંતુ હમણા જ પ્રકાશિત થયેલા એક પુસ્તકે આ સામ્યવાદીઓનો એક એવો બિહામણો અને બર્બર ચહેરો એક્સપોઝ કર્યો છે કે કદાચ હિટલર અને મુસોલિની જેવા ક્રુર શાસકોને પણ સારા કહેવડાવે.

સામ્યવાદીઓ જે ઇતિહાસને વિશ્વથી છુપાવવા માંગતા હતા, જેના ઉલ્લેખ માત્રથી છળી ઊઠતા હતા એ હવે વિશ્વસમક્ષ બેનકાબ થઈ ગયો છે.

સિત્તેરના દાયકાના અંતભાગમાં પશ્ચિમ બંગાળની સત્તા પર પહેલી વખત સામ્યવાદીઓએ કબજો જમાવ્યો. મુખ્યપ્રધાન તરીકે જ્યોતિ બસુ હતા. સામ્યવાદીઓની વાતમાં વિશ્વાસ રાખીને કેટલાક હજાર શરણાર્થીઓ મોરીછાપી ટાપુ પર સ્થાયી થયા. જાત મહેનતે એમણે જંગલમાં મંગલ જેવું વાતાવરણ ઉભુ કર્યું. તેઓ માંડ બે પાંદડે થયા તે સામ્યવાદીઓની આંખમાં ખૂંચવા માંડ્યા. આ શરણાર્થીઓમાંથી મોટા ભાગના નવશુદ્ર તરીકે ઓળખાતા દલિત હતા. સામ્યવાદી સરકારે મોરીછાપીના શરણાર્થીઓને ધમકી આપવાની ચાલુ કરી કે તેઓ ટાપુ ખાલી કરી નાંખે. ધમકીઓથી ડરીને કેટલાક શરણાર્થીઓ સુંદરવન જંગલની અંદર ભાગી ગયા. આ ભાગેલા શરણાર્થીઓમાંથી કેટલાકને રેલવે સ્ટેશન પરથી જ પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. દિવસો સુધી એમને ખોરાક અને પાણી આપવામાં આવ્યા નહીં. કેટલાકને તડીપાર કરવામાં આવ્યા. ત્યાર પછી મોરીછાપીમાં રહી ગયેલા 40 હજાર જેટલા દલિત શરણાર્થીઓ પર જે અત્યાચાર થયા તેનો જોટો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જડે તેમ નથી.

સરકારે પોલીસ મોકલીને શરણાર્થીઓના ઝુંપડાઓ સળગાવી દીધા. ટાપુને ચારે તરફથી ઘેરી લઈને અનાજ અને પાણીનો પૂરવઠો અટકાવી દેવામાં આવ્યો. અનાજ, પાણી અને દવા વગર હજારો શરણાર્થીઓ મૃત્યુ પામ્યા. પોલીસ અત્યાચારમાં બાકીના બીજા જે મૃત્યુ પામ્યા એ બધાનો આંકડો ગણતા એમ કહેવાય છે કે 10 હજાર હિન્દુ શરણાર્થીઓની કત્લેઆમ કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ પછી જ્યારે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું ત્યાર પછી ત્યાંના હિન્દુઓ પર થતા અત્યાચારમાં ઘટાડો થયો નહીં એટલે અહીંના હિન્દુઓ માટે સૌથી મોટી દ્વિધા એ હતી કે એમણે કરવું શું ?

શરૂઆતમાં જે શરણાર્થીઓ આવ્યા હતા તેમને દંડકારણ્યમાં કામચલાઉ તંબુઓ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. આવા હિન્દુ શરણાર્થીઓ માટે મોરીછાપીનો ટાપુ એ કાયમના વસવાટનું સ્થળ બની શકે એમ હતું. શરણાર્થીઓ આવ્યા એ પહેલાં મોરીછાપી ટાપુ પર કોઈ વસવાટ કરતુ નહોતું એટલે સામ્યવાદી સરકાર પાસે દલિતોની કત્લેઆમ કરવા માટે કોઈ કારણ પણ નહોતું.

દિપ હલદર નામના તેજસ્વી પત્રકારે મોરીછાપી હત્યાકાંડમાંથી બચી ગયેલા અને જેમણે હત્યાકાંડ વિશે ફર્ટ્મહેન્ડ માહિતી મેળવી હતી તેવાઓને મળીને ‘બ્લડ આઇલેન્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પહેલાં મોરીછાપીના હત્યાકાંડને પૃષ્ઠભુમીમાં રાખીને અમિતાવ ઘોષ નામના જાણીતા લેખકે એક નવલકથા પણ લખી હતી. નવાઇની વાત એ છે કે 1984ના શીખ હત્યાકાંડ વિશે તપાસ કરવા યોગ્ય રીતે જ ઘણા કમિશનો નિમાયા અને ઘણા લેખો લખાયા, પરંતુ મોરીછાપી હત્યાકાંડ વિશે દેશ-વિદેશમાં બહુ ઓછાને ખબર છે. જ્યોતિ બસુની સરકારે મોરીછાપીના શરણાર્થીઓ પર અત્યાચાર કરવાનું જે કહેવાતું કારણરજુ કર્યું હતું એ પ્રમાણે મોરીછાપી એ પ્રતિબંધીત ટાપુ છે અને શરણાર્થીઓને કારણે ત્યાંના પર્યાવરણને નુકશાન થાય એમ હતું ! જોકે મોરીછાપીના હત્યાકાંડ વિશે જાણકાર કેટલાકની દલીલ છે કે સામ્યવાદીઓને દલિતો પ્રત્યે અણગમો હોવાથી તેઓ ઇચ્છા નહોતા કે પશ્ચિમ બંગાળમાં તેઓ સ્થાયી થાય. મોરીછાપીના હત્યાકાંડ પાછળનું કારણ જે કંઈ હોય, પરંતુ એક વાત નક્કી છે કે જો આ હત્યાકાંડની ફરીથી તપાસ થાય અને સત્ય બહાર આવે તો દેશના અર્બન નક્સલોનું માથું જિંદગીભર શરમથી ઉચું નહીં થાય !

* * *

(નરેન્દ્ર મોદીને હિટલર ગણાવતા લાલભાઈઓએ અરીસામાં મોઢું જોવાની ખાસ જરૂર છે..)

પહેલાં માંગવુ અને માંગેલું મળે ત્યારે રડવું!

માણસના સુખ દુ:ખનું કારણ કેવળ મન જ છે, એમ આપણા પ્રાચીન તેમજ અર્વાચીન શાસ્ત્રકારો સમજાવતા આવ્યા છે. પણ આટલી નાનકડી વાત સ્વીકારવી બહુ અઘરી લાગે; ગીતા કહે છે કે ‘મન એવ મનુષ્યાણામ્ કારણમ્ બન્ધ મોક્ષયો:‘ સુખ આપે તેવી તમામ સગવડો અને દુર્લભ એવા ભૌતિક પદાર્થો મળ્યા પછી પણ દુ:ખી થવાનું કોઈ ને કોઈ કારણ માણસનું મન શોધી જ કાઢે છે! જે મળ્યું તેનો માણસને સંતોષ નથી અને નથી મળ્યું તેનો અફસોસ કરવા લાગી જાય છે. મનને વાળવું જોઈએ પણ તે પહેલાં એને સમજવું જરૂરી છે. એના લક્ષણો સમજાય તો તેનો કોઈ ઉપાય વિચારી શકાય.

પહેલાંના વખતમાં જમાઈને એક અતૃપ્ત જીવ તરીકે ઓળખવામાં આવતો. એની યોગ્ય અયોગ્ય તમામ જીદ પૂરી કરવાના સતત પ્રયાસો પછી પણ જમાઈરાજને કદી સંતોષ જ ન થાય. એક સદગૃહસ્થના વાડામાં ઉગેલા આંબા પર કેરીઓ આવી. સ્વાભાવિક રીતે મજૂરને બોલાવીને ટોપલો ભરી કેરી દીકરીના સાસરે પહોંચાડી. કેરી સ્વાદિષ્ટ હતી, સુમધુર હતી, પિયરની હતી એટલે દીકરી તો ખુશ થઈ જ ઉપરાંત ઘરના અન્ય સભ્યો પણ ખૂબ ખુશ થઈ ગયાં, એકમાત્ર જમાઈને વાંકું પડ્યું! સાનુકુળ પ્રતિભાવ સાંપડશે એમ સમજી દીકરીએ તો હરખભેર કેરીના વખાણ કર્યા અને તે મોકલવા બદલ પિતાનો આભાર માન્યો. પણ જમાઈ જેનું નામ! તેણે કહ્યું કે ‘એક ટોપલો ભરીને કેરી મોકલી તેમાં શું ધાડ મારી? મોકલી મોકલી ને એક જ ટોપલો કેરી!..‘ દીકરીનું મોઢું પડી ગયું. એને થયું કે આ વરસે કેરીનો પાક જ ઓછો થયો છે અને બજારમાં જે આવે છે તેના દામ પણ ઊંચા જ છે. એ સંજોગોમાં મજૂરી ખર્ચીને પણ પિતાજીએ આટલી સરસ કેરી મોકલાવી તેની કોઈ કદર જ નહીં?

બીજે વરસે, કેરીની સિઝન આવી ત્યારે સસરાજીએ દસ મણ કેરી દીકરીને ત્યાં મોકલી. આશા રાખી હતી કે આ વખતે તો જમાઈરાજને જરૂર સંતોષ થશે અને વાંક કાઢવાનું કોઈ કારણ મળશે નહીં. પણ જમાઈની ખોપરી અલગ જ હતી. એણે કહ્યું, ‘ઠીક છે, પણ આંબા પરની બાકીની કેરી તો એ લોકોએ જ ખાધી ને!‘ બીજી વખતે સસરાજીએ આંબા પર જેટલી કેરી આવી હતી તે તમામ કેરી દીકરીને ત્યાં મોકલી આપી. તોયે જમારાઈ તે જમાઈરાજ! એ દીકરીને કહે કે ‘તારો બાપ કેટલો બધો કંજુસ છે!‘ દીકરીને થયું કે હવે વળી શું ઓછું પડ્યું? જમાઈ કહે કે ‘આંબા પરની તમામ કેરી મોકલી તેથી શું થઈ ગયું, આંબાની માલિકી તો એમણે પોતાની પાસે જ રાખી ને!‘

માણસનું મન કદી ધરાતું જ નથી. એને કોઈ વાતનો ઓડકાર કદી આવતો જ નથી. જેમ ખાતો જાય તેમ તેની ભૂખ વધે ને વધારે ઉઘડતી જ જાય છે.

સુખી થવા માટે જરૂરી તેટલાં સાધન સામગ્રી મળ્યાં પછી બીજી એક પંચાત ઊભી થાય છે. તે એ કે ‘બીજાને મારા કરતાં વધારે કેમ મળ્યું?‘ બીજાનું સુખ માણસથી સહન થતું નથી. પરિણામે એને જે સુખ મળ્યું છે તે પણ એ ભોગવી શકતો નથી! ઈર્ષ્યાળુ અને અદેખા લોકો સુખના સાગર વચ્ચે પણ મનમાં ને મનમાં બળ્યા જ કરે છે. કેટલાક લોકો એનાથીયે આગળ જઈને એમ વિચારે છે કે મને જે મળ્યું તે પ્રાપ્ત કરવાની કોઈનામાં લાયકાત નથી. બીજાએ જે સિદ્ધિ મેળવી તે તો જાણે કે ગેરરીતિ કરીને મેળવી, યોગ્યતા ન હોવાથી અપ્રામાણિકતાથી મેળવી, કાળાંધોળાં કરીને મેળવી. તેનો સંતાપ તેને સતત પીડા આપતો રહે છે. અપાર સમૃદ્ધિ વચ્ચે પણ માણસ સુખ ચેનથી કેમ નથી જીવી શકતો તેનું આશ્ચર્ય છે.

સંસ્કૃતમાં એક સુભાષિત ભણાવાય છે કે અભાવ વચ્ચે, દરિદ્રતા વચ્ચે પણ મસ્તી અને ખુમારીથી જીવી શકાય છે. સર્પા: પિબન્તિ પવનમ્ ન ચ દુર્બલાસ્તે, શુષ્કૈ: તૃણૈ: વનગજા: બલીનો ભવન્તિ. કન્દૈ: ફલૈ: મુનિજના ક્ષપયન્તિ કાલમ્. સંતોષ એવ મનુષસ્ય પરમ્ નિધાનમ્. ચાર્લ્સ મેકેનું અતિપ્રસિદ્ધ કાવ્ય ‘મિલર ઓફ ડી‘ ઘણાંના ભણવામાં આવ્યું હશે. ડી નદીને કાંઠે અનાજ દળવાની ઘંટી ચલાવતો સામાન્ય ઘંટીવાળો વહેલી સવારથી સાંજ સુધી અનાજ દળવાનું કામ કરતો હતો. મસ્તીથી ગાતો હતો કે I envy nobody – no, not I – And nobody envies me!’ હું કોઈની અદેખાઈ કરતો નથી અને કોઈ મારી અદેખાઈ કરતું નથી. પણ મજાની વાત એ બને છે કે રાજાને તેની અદેખાઈ આવે છે. રાજા વિચારે છે કે આટલી સમૃદ્ધિ વચ્ચે પણ હું ઉદાસ રહું છું. મને ચેન નથી. હું તારી જેમ મોટેથી, મસ્તીથી ગાઈ શકતો નથી. મારા કરતાં તો તું વધારે સુખી છે. લોટથી મેલી થયેલી તારી ટોપી મારા સુવર્ણમુગટથી વધારે મૂલ્યવાન છે.

ઘંટીવાળો કહે છે કે હું આત્મનિર્ભર છું. ડી નદી મારી ઘંટી ફેરવે છે, અને તેનાથી મારા કુટુંબનું પોષણ કરું છું. મારો રોટલો હું જાતે રળું છું. હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું. મારે માથે કોઈ દેવું નથી. રાજા શાણો છે તે કહે છે કે તારા જેવો માણસ એ મારા ઈંગ્લેન્ડનું ગૌરવ છે, હું તને શુભેચ્છા પાઠવું છું કે તું સુખી જ રહે.; પણ મહેરબાની કરીને એવું ગાતો નહીં કે તારી અદેખાઈ કરવાવાળું કોઈ જ નથી!

ભગવદ ગીતા કહે છે કે ‘શરીરમ્ યદવાપ્નોતિ યત્ ચાપિ ઉત્ક્રામતીશ્વર:, ગૃહીત્વા એતાનિ સંયાતિ વાયુ: ગન્ધાનિવાશયાત્.- જીવ જ્યારે આ દેહ છોડી જાય છે ત્યારે (વાયુ જેમ ગંધને તેના એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જાય છે તેમ) મન સહિત સૌ ઇન્દ્રિયોને પોતાની સાથે લઈ જાય છે. જન્મજન્માંતરથી મન જીવાત્માની સાથે જ ફરતું રહે છે. એક જન્મમાં કરેલી ઈચ્છા તેના મનમાં સચવાઈ પડેલી હોય છે અને કર્મફળ પાકતાં કે યોગ્ય સ્થિતિ સંજોગો પ્રાપ્ત થતાં તે ઈચ્છા સાકાર થાય છે. જ્યારે ઈચ્છા કરી હતી ત્યારે જે સુખદ જણાતું હતું તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દુ:ખનું કારણ બની જાય છે. માણસ ઘણીવાર ફરિયાદ કરે છે કે આવું દુ:ખ મને જ કેમ, પણ એને ખબર નથી હોતી કે આપણને જે સુખ અને દુ:ખ મળે છે તે તો એક સમયે એણે પોતે જ માંગ્યું હતું.

નોકરી દરમિયાન, એક સમયે આપણા સંજોગોને અનુરૂપ આપણે જ રિક્વેસ્ટ ટ્રાન્સ્ફર માંગી હોય છે. પણ તે સમયે ન થઈ હોય. વર્ષો પછી નિયમો બદલાય, બદલીનું ચક્કર ચાલવા માંડે અને જૂના રેકોર્ડને આધારે આપણે માંગેલા સ્થળે જવાનો ઓર્ડર નીકળે ત્યારે આપણને તે સજા લાગે છે!

નગરમાં એક નવી સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું હતું. મકાન માટે પાયા ખોદનારા, કડિયાકામ કરનારા શ્રમજીવીઓ કામ કરતા હતા તે બાજુની સોસાયટીના બંગલાવાસીઓ જોયા કરે. મજૂર અને મજૂરણ ભારે અગવડ વચ્ચે પણ ખિલખિલાટ કરતાં, મસ્તી કરતા કામ કરતાં રહે છે. તેમનું નાનું બાળક ઝાડની ડાળીએ કે લાકડાના ખૂંટાથી બનાવેલા કામચલાઉ ઘોડિયામાં સૂતું હોય. એ રડતું હોય તો મજૂરણ વચ્ચે વચ્ચે આંટો મારીને ઝુલાવી આવે છે. બાળકને પણ લાગે છે કે મા મારી જોડે જ છે. તેને હૂંફ મળે છે. તે નિશ્ચિંત થઈ ઊંઘી જાય છે. બપોરે રિસેસ સમયે મજૂર દંપતિ જમવા બેસે છે. પતિ જાહેર નળ પરથી પાણી ભરી લાવે છે. પત્ની રોટલો શાક કાઢે છે. બંને જણાં અતિ આનંદથી ભોજન આરોગે છે. એકમેક વચ્ચે પ્રેમાગ્રહથી ‘તું ખા, નહીં તું ખા!‘ નો ભાવભર્યો સંવાદ ચાલે છે. નજીકમાં જ સાદડી પર બાળકને સુવાડ્યું હોય છે. તે પણ હાથપગ ઉછાળતું રમી રહ્યું છે. આ મનોરમ્ય દૃશ્ય બંગલાવાસીઓ એકીટસે જોયા કરે છે. તેમના મનમાં ઈચ્છા નિર્માણ થાય છે કે, ‘આનું નામ જિંદગી કહેવાય!‘ ભગવાને તથાસ્તુ કહ્યું હોય કે ન પણ કહ્યું હોય, પણ અર્ધજાગૃત મન આ ઈચ્છાને પકડી રાખે છે અને હવે પછીના આવનારા સમયમાં કે જન્મારામાં એ ઈચ્છા ફળિભુત થાય છે ત્યારે માણસ ફરિયાદ કરે છે કે મને આવી સજા કેમ?!

પ્ર. મિ.

31/12/2022

માંગો તે મળશે! શોધો તે જડશે!

આપણા લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે ‘માંગ્યા વિના તો મા પણ ના પીરસે!‘ એકે કહ્યું, બીજાએ કહ્યું અને વાત આગળ વધતી ગઈ. કોઈ માએ પણ એનો વિરોધ કરવાની હિંમત ના બતાવી. દરેક માતાએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ છે કે શું કથન સંપૂર્ણ સાચું છે? આપણો બધાંનો અનુભવ તો એમ કહે છે કે આ જગતમાં મા અને ઈશ્વર એ બે જ એવાં છે કે જે માગ્યા વગર પણ આપે જ છે! એનાથી વિપરીત ઘણીવાર તો માંગી માંગીને થાકી જઈએ તો પણ આપતા નથી. બાળકનો અને ભક્તોનો તો સ્વભાવ હોય માંગ માંગ કરવાનો એટલે માંગે, પણ મા અને ઈશ્વર બહુ સારી રીતે સમજે છે કે બાળકનું/ભક્તનું કલ્યાણ શેમાં છે. એને કઈ વસ્તુની ખરી જરૂર ક્યારે છે અને કેટલી છે; તે મુજબ યોગ્ય સમયે, યોગ્ય વસ્તુ, યોગ્ય માત્રામાં આપે છે. આ તેમનો સ્વભાવ છે. મા અને ઈશ્વર એ બંને જવાબદાર સરકાર જેવાં છે. જ્યારે માણસની ઈચ્છાઓ વિરોધ પક્ષ જેવી છે! વિરોધપક્ષોનું કામ છે લોકોમાં ઈચ્છા અને અસંતોષ જગાડવાનું, લીડરશીપ લઈને સરકાર સામે માંગણી કરવાનું, પણ કોઈ સરકાર માંગતાંની સાથે જ કોઈ સગવડ આપી દેતી નથી.

માંગેલી તમામ વસ્તુ મા નથી આપી દેતી. બાળકની જરૂરિયાત કોઈ મા તાત્કાલિક નથી સંતોષી દેતી. બાળકની માંગણી પર તે ગંભીરતાથી વિચાર કરે છે અને આશ્વાસન આપે છે કે હું તારી ઈચ્છા સંતોષવાનો પ્રામાણિક પ્રયત્ન જરૂર કરીશ પણ તેને માટે વાર લાગશે. કેટલી વાર લાગશે તે ખબર નહીં, પણ તને એ મળશે જરૂર. દીકરા તું મોટો થા પછી તને પરણાવીશ! બાળક છે એટલે એ માંગે તો ખરું જ, પણ એની તમામ માંગણી સ્વીકારવા જેવી નથી હોતી; એમ કરવા જાય તો એ બાળક માટે જ હાનિકારક નીવડવાની પૂરી શક્યતા હોય. કેટલીક માંગણીઓ અણસમજમાં પણ કરેલી હોય. સરકાર પણ વિવિધ સમુદાયની માંગણીઓ પર સહાનુભૂતિથી વિચારવાની ખાતરી આપે છે. પૂરેપૂરી તમામ માંગણી સંતોષી શકતી નથી તેથી નેતાઓ જરૂર કરતા વધારે જ માગણી મૂકે છે જેથી કાપકૂપને અંતે જરૂરી મુદ્દા પર સમાધાન થાય. ભગવાન પણ માંગતાંની સાથે જ કોઈને કંઈ આપી દેતા નથી. હરજીની મરજી પડે ત્યારે તે આપણી અરજી પર નજર કરે. એની સામે આંદોલન કરી શકાતું નથી.

એક એવી વિચારધારા પણ સમાજમાં ચાલી રહેલી છે કે માંગવામાં જાય શું? માગણી કર્યા વિના કોઈને ખબર કેમ પડે કે આપણને શું જોઈએ છે. સરકારી કર્મચારીઓનો તો અનુભવ રહ્યો છે કે વાજબી માંગણી સંતોષવામાં પણ સરકાર આનાકાની કરે છે. છેવટે હડતાળનું શસ્ત્ર અજમાવવું પડે છે. નાક દબાવીએ તો મોઢું ખૂલે જ! કર્મચારીઓ અસહકાર કરીને તંત્રોની કામગીરી ખોરવી નાંખે, જાહેર જનતા અટવાય અને સરકાર પર દબાણ વધે, પરિણામે સરકાર ઢીલી પડે અને અનિચ્છાએ પણ માગણી સ્વીકારે. બાળકો પણ ઘણીવાર જીદ્દ પર ઊતરે છે, મા બાપનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરે છે અને બાળકને શાંત કરવા માટે માવતરે નાછૂટકે કેટલીક વસ્તુ લગાડી મૂકવી પડે છે! પણ પછી માણસ નજરમાંથી ઊતરી જાય છે. તેના પ્રત્યેનો ભાવ ઘટી જાય છે.

પણ આપણે વાત સુખ અને દુ:ખ વિશે કરતા હતા. તમામ અપેક્ષાઓ સંતોષાયા પછી પણ માણસને સુખ નથી મળતું તેનું શું? ભૌતિક પદાર્થો માણસને સુખની ગેરંટી નથી આપતા. આપણી એક ગેરસમજ એવી છે કે પૈસા, પ્રતિષ્ઠા અને પદ માણસને સુખ આપે છે. ઘણા સંપત્તિવાનો માટે તેમની સંપત્તિ જ દુ:ખનું કારણ બનતી હોય છે. હોદ્દો પણ કાંટાળો તાજ બની રહેતો હોય છે. પ્રતિષ્ઠાથી હૈયાની વેદના શાંત નથી થતી. લગ્ન કરીશ તો સુખી થઈશ એવી ધારણા બાંધી હોય છે, પણ ઘણા કિસ્સામાં લગ્ન જ દુ:ખનું કારણ બની જાય છે. ઈચ્છિત વ્યક્તિ જોડે લગ્ન કરીને હું સુખી થઈશ એમ માનતા હોઈએ અને લગ્ન પછી તે પ્રિયપાત્ર તરફથી જ વધારે સંતાપ ભોગવવો પડે એમ બની શકે. દંપતિને સંતાન માટે આરત હોય. શેર માટીની ખોટ સતત પીડા આપતી હોય, તેને માટે તમામ પ્રયત્નો દિલ રેડીને કર્યા હોય, પણ એ શેર માટી જ મગજની પાંચશેરી બની જતી હોય એવું પણ જોવા મળે છે. તો પછી સુખ મેળવવાનો ઉપાય શો? કુંવારો કોડે મરે અને પરણેલો પીડા ભોગવે! હોય તોયે દુ:ખ અને ન હોય તોયે દુ:ખ!

સુખ અને દુ:ખ આપણા મનમાં જ પડ્યા છે. મન જો સમજતું હોય તો અભાવો વચ્ચે પણ માણસ આનંદથી જીવતો હોય છે મન ન સમજતું હોય તો જગતભરની સમૃદ્ધિ વચ્ચે પણ માણસની અકળામણનો પાર નથી હોતો. બધો આઘાર મન પર છે. આપણા ધર્મશાસ્ત્રો હંમેશાં મનને ઓળખવાની અને મનને સમજાવવાની વાત કરે છે. વિવિધ યુક્તિઓ દ્વારા મનને શિક્ષણ આપવાનું સૂચવે છે. વ્રત ઉપવાસ દ્વારા મનગમતી વસ્તુઓ વગર ચલાવી લેવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રમશ: વસ્તુની જરૂરિયાત ઓછી કરતા જઈ છેવટે વસ્તુ વિના પણ જીવન સારી રીતે ચાલે છે એનો સ્વીકાર મન કરે છે. જીવનને ઉન્નત બનાવનારા સદવિચારોનો નિયમિત ડોઝ આપવામાં આવે છે. તેનું સાતત્ય રાખવાનું સૂચવે છે. પરિણામે મન પલોટાય છે અને સદવિચારોનું રૂપાંતર સદવૃત્તિમાં થાય છે. ત્યાર પછીનું પગથિયું તે સદપ્રવૃત્તિનું છે. વૈદિક સંસ્કૃતિનો એક મંત્ર છે, ‘સમાનિ વ આકૂતિ: સમાના હૃદયાનિ વ:‘ સદવિચારો અને સદવૃત્તિ ધરાવનાર લોકોનો એક સમુદાય બને. એ સમુદાય વિસ્તાર પામતો રહે તો સમગ્ર સમાજ સુખી થાય, સમગ્ર સમાજ પ્રગતિ કરે. સહનાવવતુ સહ નૌ ભુનક્તુ, સહ વીર્યમ્ કરવાવહૈ. તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. પછી ત્રણે પ્રકારની (આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક) શાંતિનો અનુભવ દરેકને પ્રાપ્ત થાય.

મનનું એ લક્ષણ રહ્યું છે કે એને જે જોઈએ તે એ મેળવે જ છે. મન અત્યંત શક્તિશાળી છે. જાગૃત મન કરતા અજાગૃત મનનો હિસ્સો ઘણો મોટો છે. લો ઓફ એટ્રેકશન મુજબ મન જેનું સતત ચિંતન કરે છે તે વસ્તુ કે તે પરિસ્થિતિ તે પ્રાપ્ત કરી જ લે છે. વાસનાનું ચિંતન સતત ચાલતું રહે તો એ વાસના સંતોષાય એ પરિસ્થિતિ જીવ માટે નિર્માણ કરશે અને વાસુદેવનું ચિંતન કરવાની ટેવ પાડી હશે તો વાદુદેવનું મિલન કરાવશે. ગુગલ સર્ચમાં એક વખત આપણી પસંદગીના વિષય બાબતે કંઈ સર્ચ કર્યું હોય તો બીજીવાર સર્ચ કરતી વખતે તે વિષય પરની ઢગલેબંધ માહિતીનો ખડકલો આપણી સમક્ષ કરે છે. શું સર્ચ કરવાનું તે આપણા સંસ્કાર અને ધ્યેય પર આધાર રાખે છે. મન પાસે આપણે સુખ શોધીશું તો સુખની અઢળક સામગ્રી ઠાલવશે; દુ:ખ શોધીશું તો ડૂબી જઈએ એવડો મોટો દરિયો આપણી સામે મૂકી દેશે. આપણને શું જોઈએ છે, સુખ કે દુ:ખ? ભુક્તિ કે મુક્તિ? વાસના કે વાસુદેવ?

પ્ર.મિ.

ખેતરની પોંકપાર્ટી અને દહેરાની કથા!*

સાલ હશે લગભગ ૧૯૮૮-૮૯ની. દર વરસે તાપીને સામે કાંઠે શીતલ ટૉકિઝની પાસે આવેલું શીતલ નગર એ પોંકનગરનું રૂપ ધારણ કરે. પુલના એ છેડેથી પસાર થનારના નાકમાં અદૃશ્ય રીતે પોંકની સુવાસ પ્રસરી જાય. ચાલુ વાહને નજર એ સુગંધનો પીછો પકડે. એ લઈ જાય આપણને સીધ્ધી પોંકનગરીમાં! ત્યાં રાખના ઢગલાવાળી ભઠ્ઠીઓ નજરે પડે. ભઠ્ઠીની આજુબાજુ મજૂરો કામ કરતા બેઠા હોય. તેઓ પૈકી કેટલાક ભભરોટમાં કણસલા સેકતા દેખાય. કેટલાક મજુરો એ કણસલાને સુતરાઉ કપડાની કોથળીમાં ઘાલી ઝપેટતા દેખાય. કેટલીક મજુરણ બહેનો એ પોંકને સૂપડામાં ખાલવીને ઝાટકતી હોય. ઝાટકવાથી રાખ કે બોરાવાળા દાણા અલગ થઈ જાય. બીજી તરફ કણસલા સાથે કાપી લાવેલી જુવારના છોડની થપ્પી હોય. ભઠ્ઠીનો માલિક પોંક વેચવા બેઠો હોય. પોંક લેવા આવનાર ઘરાકોની લાઈન લાગી હોય. માલિક સાથે ભાવતાલ અને પોંકની વકલ અંગે ચર્ચા ચાલતી હોય. માલિક એના ઘરાકોને ઊના ઊના પોંકનો ટેસ્ટ કરાવતો હોય. થોડીક ભઠ્ઠીઓનો પોંક ચાખ્યા પછી નક્કી થાય કે કઈ ભઠ્ઠી પરનો પોંક ખરીદવો. પોંક ખરીદ્યા પછી લાલ, કાળી, પીળી એટલે કે લાલ મરચાવાળી, લીંબુ- મરીવાળી અને મોળી સેવના પડીકા બંધાવવાના. કોઈકવાર સાંજના સમયે અમે કાંતિલાલ ખાંડવાળા જોડે પોંક ખરીદવા જતા. તેઓ એમના મુંબઈના સગાં માટે, પોંક ખરીદવાનો હોય ત્યારે અમને સાથે લઈને જતા. કાંતિભાઈની આંખો નબળી હતી. સૂર્યાસ્ત થયા પછી એમને ફરવામાં તકલીફ પડતી. કાંતિભાઈની આંખો ભલે નબળી હતી, પણ સ્વાદેન્દ્રિય તેજ હતી! ગજબના સ્વાદ પારખુ માણસ. ભાવતાલમાં પણ એમની વાણિયાગીરી (ચીકાસ) અચૂક ભાગ ભજવે. ભઠ્ઠીએ ભઠ્ઠીએ પોંકનો નમૂનો ચાખતાં ચાખતાં જ અમારા જેવાનું તો પેટ ભરાઈ જાય.

પરિવાર સાથે, પોંક પાર્ટી માણવાનો કાર્યક્રમ નક્કી કર્યો હોય ત્યારે સેવ ઉપરાંત ગરમ ગરમ પોંકવડા અને લસણની ચટણી, સાકરિયા દાણા તથા લસ્સીનો ટેસ્ટ પણ માણીએ.

પણ આ બધું તો શહેરમાં આવ્યા પછીના પોંકની વાત છે. અમે રહ્યા ગામડાના માણસો. બચપણમાં અમે જુવારના ખેતરે ભઠ્ઠી સળગાવીને પોંક પાડીને ખાતાં તથા ઘણીવાર કણસલાં કાપી લાવીને, સાંજે ઘરે આવીને ભભરોટમાં કણસલા સેકતા. અને કાથીના ખાટલાંની નીચે સૂપડું મૂકીને તેમાં પોંકના દાણા પડે એ રીતે ખાટલા પર બેસીને ગરમ ગરમ કણસલાને ઘસતા. તે જ રીતે વાંસના ટોપલાને ઊંધો વાળીને તેના પર સેકેલા કણસતા ઘસતા. અમુક અનુભવીઓ તો ડાયરેક્ટ હાથમાં જ ગરમ ગરમ કણસલું ચોળીને પોંક કાઢીને આરોગતા! આ બધાં દૃશ્યો અલોપ થઈ ગયાં છે કારણ કે, અમારા તરફ જુવાર અને મગફળીની ખેતી થતી બંધ થઈ ગઈ. કપાસ પણ બંધ થઈ ગયો. નહેરના પાણી મળતા થવાથી બંને સિઝનમાં ડાંગરની વિવિધ જાતો ઉગાડવાના પ્રયોગો થયા. પછી ઘઉં પણ થવા લાગ્યા. ઘઉંનું ઉત્પાદન બરાબર જામ્યું નહી. એટલામાં શેરડી ચાલુ થઈ ગઈ. સર્વત્ર લીલીછમ શેરડીના ઉપવનો રચાવાં લાગ્યાં. પરિણામે જુવાર, કપાસ, મગફળી, ડાંગર અને વાલ તુવેર સાથેના અમારા સ્મરણો ભુતકાળમાં દટાઈ ગયાં.

ઈચ્છાપોરથી આવતા શાંતુભાઈ- એસ.વી. જોડે કામ કરતાં કરતાં હું ગામડાંના એ જુના દિવસો યાદ કરતો રહેતો. એવામાં તેમણે એક દિવસ પ્રસ્તાવ મૂક્યો કે મેં મારા ખેતરમાં જુવાર કરી છે. આપણે કેટલાક મિત્રો મળીને અમારા ખેતરે એ દેસી જુવારની પોંક પાર્ટીનું આયોજન કરીએ. ખેતરે જઈને ઢેફાંવાળી જમીન પર બેસીને ખાવાનો એક વિશિષ્ટ આનંદ છે! એ તો જે જાણે તે જ જાણે! મારું હૈયું તો આનંદથી નાચવા લાગ્યું. શાંતુભાઈનું દિલ બહુ મોટું એટલે એમણે સૌને સપરિવાર પધારવાનું આમંત્રણ આપ્યું. બાળકો વળી એ આનંદ ક્યાં લેવા જવાના? એમને તો આપણી સાથે લેવાનાં જ હોય!

નક્કી કરેલા દિવસે પહેલાં અમે શાંતુભાઈના ઘરે ભેગા મળ્યા અને પછી એમના ખેતરે ગયા. મારી પાસે TVS 50 મોપેડ હતું. અમે બે અને અમારાં બે સંતાનો એ મોપેડ પર બેસીને ઈચ્છાપોર પહોંચ્યા. શાંતુભાઈના ઘરે પહોંચીએ તે પહેલાં જમણી તરફ એક દહેરું દેખાય. આવતાં- જતાં દરેકની દૃષ્ટિ એ દહેરા પર પડે. મેં તો નિશાની તરીકે યાદ રાખ્યું હતું કે એ દહેરું આવે ત્યારપછીની ગલીમાં વળીએ એટલે સીધ્ધા શાંતુભાઈના વાડા બારણે પહોંચી જવાય. ઘરથી ખેતર જવાની વ્યવસ્થા અને પસંદગીની જુવાર પરથી કણસલા કાપીને તેનો પોંક પાડવાની તથા બાવળના કાંટા સળગાવીને ભઠ્ઠીનો ભભરોટ પેદા કરવાની તમામ વ્યવસ્થા તેમણે કરી હતી. આમ પણ, એસ.વી નું કામ બધું ફટાફટ અને સચોટ તથા સંપૂર્ણ જ હોય. એમાં ભાગ્યે જ કોઈ ખામી રહે. ઝીણી ઝીણી બાબતો આપણને યાદ આવે તે પહેલાં તો એમણે એનો અમલ કરી દીધો હોય.

અમે કોણ કોણ હતા? બધાં નામો તો ચોક્કસપણે યાદ નથી પણ સતીષભાઈ શાહ, ડી.ડી જોશી, કિશોરચંદ્ર ડી દેસાઈ, આનંદોવાળા જગદીશભાઈ દેસાઈ, પ્રવીણસિંહ પરમાર સપરિવાર ભેગાં થયાં હતાં. શરૂઆતમાં જુવારના ખેતરના ચાસે ચાસે ફરવાનો આનંદ માણ્યો. બાળકોને તો મજા પડી જ, સાથે અમને પણ જુના દિવસો યાદ આવ્યા. પોંકની પ્રક્રિયા ખેતરના ખૂણે બેસીને નિહાળી. દેસી કુમળી કુમળી જુવારના લીલા લીલા દાણાનો પોંક અમે ખાધો. તદુપરાંત શાંતુભાઈએ સુરતથી આંધળી વાનીના પોંક, સેવ, ચટણી અને પોંકવડાની તથા મઠ્ઠાની પણ વ્યવસ્થા કરી હતી. બંને જાતનો પોંક અમે ખાધો. પોંકની મિજબાની માણતાં માણતાં સૂર્ય પશ્ચિમ આકાશમાં ક્યારે ઢળી ગયો તે ખબર જ ના પડી. જેમ જેમ અજવાળું સંકેલાતું ગયું તેમ તેમ ઠંડીનું જોર વધવા લાગ્યું! અંધારું અને ઠંડી બંને એકી સાથે ઘટ્ટ થતાં ગયાં. આવતાં તો આવી ગયાં, પણ હવે ઘરે જવાશે શી રીતે, તેની ચિંતા થઈ. ખેતરેથી શાતુભાઈના ઘરે આવી ગયાં. નવો અને તાજો જ અનુભવ ચિત્તમાંથી ખસતો નહોતો. વરસો જશે પછી પણ એ મહેફિલ તો યાદ રહેશે.

મારી દીકરી તે વખતે ઘણી નાની એટલે તે મોપેડમાં આગળ ઊભી રહે. શાંતુભાઈએ વિચારી લીધું કે ચાલુ વાહને એને ઘણી ઠંડી લાગશે. એના નાના દીકરાનું જાકીટ લાવીને એમણે મારી દીકરીને પહેરાવી દીધું.

પણ મેં ગામમાં પ્રવેશ કરતાં પાદરે ઊભેલા દહેરાનો ઉલ્લેખ કર્યો હતો તેની વાત પોંક ખાતાં ખાતાં નીકળી અને શાંતુભાઈએ તેની જે વિગત આપી તે રસપ્રદ હોવાથી લખ્યા વિના રહેવાતું નથી.

‘શાંતિલાલ! તમારા ગામના પાદરે ઊભેલા એ દહેરાનો કોઈ ઇતિહાસ હશે, નહીં? કોઈ ચમત્કારિક ઘટના કે એવું કંઈક.‘

પોંકવડું મોઢાંમાં મૂકતાં મૂકતાં જગદીશ દેસાઈએ સવાલ કર્યો.

શાંતુભાઈ બહુ સ્ટ્રેટ ફોર્વર્ડ માણસ. ગોળ ગોળ અને ગળ્યું ચોપડીને વાત કરવાનું એમના સ્વભાવમાં નહીં. જેવું હૈયે તેવું જ હોઠે!

‘અરે હાનો ઇતિયાસ અને હાનો ચમત્કાર!‘ શાંતુભાઈ બોલ્યા.

‘તો પછી એ દહેરું બન્યું કઈ રીતે, કોણે એને બનાવ્યું?‘

‘વાત એમ છે કે આ દહેરા બનાવવા પાછળ કોઈ ચમત્કારિક ઘટના કે કોઈ વિશિષ્ટ હેતુ કે ધાર્મિક ભાવના કે એવું બધું કંઈ છે જ નહીં! બનેલું એવું કે…‘ શાંતુભાઈએ વાત માંડી એટલે બધાંના કાન એ તરફ મંડાયા. (હમણાં જ મને ડી.ડી જોશીએ યાદ કરાવ્યું કે ‘છે અને નથી‘ એ બે શબ્દો એસ.વી પટેલ એકીસાથે બોલે! ગામડામાં આ બહુ કોમન છે)

‘વરસો પહેલાં, એકવાર અમારા ગામમાં વાંદરાની એક ટોળી આવી પહોંચી. તે ખેતરના પાકને નુકસાન કરે અને ઘરનાં નળિયા ઉખેડી નાંખે. એટલે ગામના જુવાનિયાઓ કૂતરાનો સાથ લઈને વાંદરા સાથે જંગ ખેલ્યા. તેમાં એક વાંદરો મરી ગયો. બીજા વાંદરા ભાગી ગયા. પણ મરેલા વાંદરાને જોઈને ગામના માણસોને વિચાર આવ્યો કે આ બહુ ખોટું થયું. વાંદરો પણ શરીરે તો માણસ જેવો જ. વળી એ હનુમાનનું સ્વરૂપ ગણાય. એટલે એની લાશને રખડવા ન દેવાય. ગામના લોકોએ એ જગ્યા પર એનો અગ્નિસંસ્કાર કર્યો.‘

‘એ સારું કર્યું.‘

‘પછી થોડાંક વરસ પછી ગામલોકોને થયું કે એ જગ્યા પર દહેરું બનાવવું જોઈએ. એટલે આ દહેરું બન્યું! વાત આટલી જ છે.‘

.. પણ આજે આટલાં વરસો પછી, 2022 ની આ દિવાળી પર એક સાંજે એમના ઘરે જવાનું થયું ત્યારે દહેરાનું નવસંસ્કરણ થઈને તે મંદિર સ્વરૂપે ઊભેલું જણાયું. આ છે સામાન્ય જણાતી ઘટનાની ઉત્ક્રાંતિ!

પ્ર. મિ.

23/01/2023

પ્રસાદની રામાયણે તો રવાડે ચડાવી દીધા!

———————————–

પ્રસાદ શબ્દે આપણામાં અનેક ભ્રમ પેદા કર્યા છે.

ઉત્તર ગુજરાતમાં આવેલ અંબાજીના મંદિરમાં માતાજીના પ્રસાદ તરીકે આજસુધી મોહનથાળ ધરાતો હતો તેને બદલે ચીકીનો પ્રસાદ ધરાવવાનું આપણી બીનસાંપ્રદાયિક સરકારે ફરમાન જાહેર કર્યું અને ભક્તોના મનમાં વમળ ઊભા થવા લાગ્યા. મોહનથાળ અને ચીકી વચ્ચે કોઈ લડાઈ નથી, પણ ભક્તો અને પ્રસાદના વેપલા સાથે સંબંધિત લોકો માટે પ્રસાદનો મુદ્દો મોટો પ્રેસ્ટિજ ઈસ્યુ બની ગયો. મંદિરમાં પ્રસાદમાં શું ધરાવવું તે નક્કી કરનાર સરકાર વળી કોણ? આવી દખલગીરી તે બીજા ધર્મોમાં કરી શકે કે કેમ!

મને લાગે છે કે આ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો અંગત મામલો કહેવાય. માબાપ અને સંતાનો વચ્ચેનો તથા પતિ અને પત્ની વચ્ચે હોય તેવો જ બિલકુલ અંગત વિષય. મારા માબાપને શું ભાવે અને એમને મારે શું ખવડાવવાનું તે મારે નક્કી કરવાનું હોય. પતિને શું થાવે તે પત્નીને વધારે ખબર હોય. બાળકને કઈ વસ્તુ માફક આવે અને કઈ નહીં તે એના માબાપને વધારે ખબર હોય. તેઓ શું રાંધે અને ક્યારે ખાય તે વિષયમાં કોઈની દખલગીરી ચાલી ન શકે.

અમે તો ગામડામાં મોટા થયાં એટલે પ્રસાદ વિશેની અમારી પ્રાથમિક સમજણ ખૂબ મર્યાદિત રહેવા પામી છે. કોઈ માતાના સ્થાનકે બધા માનતા ચડાવવા જાય તે લોકો નાળિયેર વધેરે, અને ઘરે આવીને મહોલ્લામાં ખાંડ કોપરુંનો પ્રસાદ વહેંચે. નિશાળમાં છોકરું પાસ થાય તો ખાંડ- કોપરાનો પ્રસાદ વહેંચાય. કોઈને ત્યાં બાળકનો જન્મ થાય તોયે ખાંડ- કોપરાનો જ પ્રસાદ વહેંચાય. પ્રસાદ એટલે ખાંડ કોપરું- એ જ વાત અમારા મગજમાં નાનપણથી ફિટ થઈ ગયેલી. બરફી, પેંડા, જલેબી એવી ચીજ વસ્તુઓ અમારા સિલેબસના બહારની હતી!

પછી થોડાંક મોટાં થયાં એટલે સત્યનારાયણનો શીરો પ્રસાદ તરીકે ચાખવા મળ્યો. એ શીરો તે વખતે પ્રસાદ તરીકે, નામનો જ બનતો. કથા વખતે વહેંચાતો પ્રસાદ એટલી અલ્પ માત્રામાં અમને મળતો હતો કે એને પ્રસાદ કરતાં દવા કહેવી વધારે યોગ્ય ગણાય! આટલો ઓછો પ્રસાદ કેમ મળ્યો? આ તો એક કોળિયા જેટલો પણ નહીં થાય! એવી ફરિયાદ કરનારને ચૂપ કરી દેવામાં આવતો. વડીલો કહેતા કે પ્રસાદ એ પેટ ભરીને ખાવાની ચીજ નથી. ‘પ્રસાદ વળી કોને કહેવાય? જીભ પર મૂક્યો અને સ્વાદ ચાખવા મળ્યો એટલે એનું કામ પૂરું!‘ આ વાત તે વખતે ગળે ઉતરતી નહીં, પણ વડીલો જોડે માથાઝીંક વળી કોણ કરે?

પ્રેમવિહ્વળ બનેલી કલાવતી કન્યા સત્યનારાયણનો પ્રસાદ લીધા વગર પતિ મિલન માટે ઉતાવળે દોડી અને અજાણપણે તેનાથી મહાન અપરાધ થઈ ગયો. પતિ અને પિતાના કિનારે આવેલા વહાણ ડૂબી ગયાં. એ કાલ્પનિક ઘટના લોકમાનસ પર એવી અસર કરી ગઈ કે હવે લોકો પ્રસાદ લીધા વગર ઊઠતા જ નથી. રખે ને કોઈ દેવના અપરાધી ઠરીશું અને કોઈ મસમોટી સજા મળી જશે તો? એવી ભયગ્રંથિ બંધાઈ ગઈ. પરિણામે લોકો કહેતા થઈ ગયા કે પ્રસાદ તો માંગીને પણ ખાઈ જ લેવો! પ્રસાદનો મહિમા અપાર છે. મહિમાના પરસાદ કો ખાતાં પાવન થાય, સુખ ઉપજે દુ:ખ જાય… પ્રસાદના એક કણમાં પણ કેટલી બધી ચમત્કારિક શક્તિ ભરેલી છે! પ્રસાદની અવગણના કરવાથી દેવ કોપાયમાન થાય. પ્રસાદમાં એવો કયો ગુણ હશે કે એ ન લેવાથી તમામ સત્કાર્યો પર પાણી ફરી વળે? પ્રસાદના મહિમાનો અતિરેક થવાથી આપણે કથા ભૂલી ગયા, વ્રત ભૂલી ગયા અને કેવળ પરસાદિયા ભગત બની ગયા! ભગવદ્ ગીતાનો ઉપદેશ બાજુ પર રહી ગયો અને તેના માહાત્મ્ય વાંચવા પર ધ્યાન કેન્દ્રિત થયું. આમ તો શીંગદાણા, કેળાં, સાકર અને સફરજન જેવાં ફળો પણ પ્રસાદ તરીકે ચઢાવી શકાય. જન્માષ્ટમી પર પંજરી કે પંજાજીરી પ્રસાદ તરીકે વહેંચાતી હોય છે.

ભક્તની જેવી ભાવના હોય, તેની જેવી આર્થિક સ્થિતિ હોય તે મુજબ તે પોતાના ઈષ્ટદેવને પોતાને મનગમતી વસ્તુ ધરાવે, અર્પણ કરે અને તે અન્ય લોકોને વહેંચી દીધા પછી જ પોતે આરોગે. આટલી સીધી સાદી વાતને અમુક નિશ્ચિત વાનગી સાથે જોડી દેવાનો શો અર્થ? વીરપુરના જલારામ મંદિરે છૂટી મીઠી કણી આપવામાં આવતી. દ્વારકામાં પહેલીવાર ગયો ત્યારે ચાસણીમાં બોળેલા ખડખડિયા જેવો પ્રસાદ વેચાતો જોયો. જે પૈસા ધરાવે તેને જ મળતો હતો. આજસુધી ચાખેલા પ્રસાદ મફતમાં મળતા હતા, પણ પૈસા ખરચીને ખાધેલો પહેલો પરસાદ ઠોરનો પ્રસાદ હતો, જે ખરેખર કઠોર- સખત હતો!

અમૃતસરના સુવર્ણમંદિરમાં મળતો શીરાનો પ્રસાદ તો દાઢે વળગે તેવો છે! તિરુપતિ બાલાજીના લાડવા તો માણસના માથા જેટલા મોટા હોય છે! એક આખો લાડવો ખાતાં તો ફેં ફાટી જાય! જૈનોના પવિત્રધામ મહુડીમાં મળતા સુખડીના પ્રસાદ વિશે સાંભળ્યું છે. એ પ્રસાદ ત્યાં જ ખાઈ જવાનો હોય છે. મહુડીથી બહાર લઈ જવા પર પ્રતિબંધ હોવાનું કહેવાય છે. આ બધા સ્ટાર તીર્થધામો છે, શ્રીમંતોના યાત્રાસ્થળો છે. એમના પ્રોટોકોલ હોય તે મુજબનો જ પ્રસાદ ધરાવી શકાય. આપણા ગામડાના દેવસ્થાનો આપણા જેવા સાદા અને સરળ. તેને ધરાવાતો પ્રસાદ પણ સાદો અને સહજપ્રાપ્ય. અમુક જ વસ્તુ ચડાવાય એવો દુરાગ્રહ નહી.

સંતોષીમાતા એ પૌરાણિક માતા છે જ નહીં, એ તો વીસમી સદીનું સર્જન છે, મને એમાં શ્રદ્ધા નથી પણ એ વ્રત કરનારા શ્રદ્ધાળુ લોકો જે પ્રસાદ વહેંચે છે તેનું સ્વાગત છે. બાળકોના શરીરમાં પ્રોટીન તત્વ પૂરું પાડનાર ચણાનો પ્રસાદ ચડાવવાનું જેમને સૂઝ્યું હશે તેની બુદ્ધિને નમસ્કાર!

અરે, અરે! પ્રસાદનો મૂળ અર્થ તો થાય કૃપા. એ તો લખવાનું રહી જ ગયું.

નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદન્મયાચ્યુત,

સ્થિતોSસ્મિ ગતસંદેહ: કરિષ્યે વચનં તવ. गीता- १८/७३

ભગવાનના પ્રસાદથી કૃપાથી અર્જુનનો મોહ દૂર થયો. સ્વધર્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ. સર્વ સંદેહો ટળી ગયા અને સ્વધર્મમાં સ્થિર થઈ ભગવાનની આજ્ઞા પાળવા તત્પર થયો. – આવું કોઈ પરિણામ આપણે જેને પ્રસાદ માનીને કકળાટ કરીએ છીએ તેવા પ્રસાદથી આવેલું જણાતું કેમ નથી? આવી કોઈ કૃપા આપણને કેમ પ્રાપ્ત થતી નથી? કે પછી એ આપણે ઈચ્છતા જ નથી! આપણને તો પેટ ભરાય અને જીભને ચટાકો મળે એવો જ પ્રસાદ અપેક્ષિત જણાય છે.

ગીતાનો બીજો અધ્યાય ‘આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમ્ અધિગચ્છતિ‘ માં પ્રસાદ એટલે ચિત્તની નિર્મળતા અર્થાત પ્રસન્નતા એવો અર્થ સમજાય છે. ‘પ્રસાદે સર્વદુ:ખાનામ્ હાનિરસ્યોપજાયતે,- પામે પ્રસન્નતા તેના દુ:ખો સૌ નાશ પામતાં‘

કોણ આટલી બધી માથાકૂટ કરે? બંધારણે આપણને નિરંકુશ થવાનો મૌલિક જંગલી અધિકાર આપ્યો છે. જેને જેમ ચાલવું હોય તેમ ચાલવા દો. કોઈ શું કામ તેમાં દખલગીરી કરે?

પ્ર. મિ.

કડવા કારેલાંની કડવી સ્મૃતિ!

કારેલાં? એનું નામ સાંભળીને જ મોઢા પર કડવાસ ફરી વળે! જેને કડવા કારેલા ખાવાના ગમતા હોય તે મહાપુરુષોને ખરેખર નમસ્કાર જ કરવા પડે. બચપણથી કડવો સ્વાદ મારો શત્રુ બનેલો છે. શરીરમાં જરાક ધગુ ભરાય કે વડીલોનું ફરમાન છૂટે ‘એને ચૂરણ પીવડાવો!‘ ચૂરણ શબ્દ સાંભળીને જ મોતિયા મરી જાય. એ ચૂરણ એટલે મહા સુદર્શન ચૂર્ણ. તે વખતે ઘરેઘરમાં ચૂરણની ડબ્બી હાથવગી રહેતી. બીજો કડવો પદાર્થ કાચકા! કાચકાને સેકીને તેનો ભૂકો પાણીમાં કાલવીને પીવાનો. એ ઓસડ તૈયાર થતું હોય ત્યારે ઘરમાંથી ભાગી છૂટવાનું મન થાય. ભ્રષ્ટાચારીઓ ઈ.ડી.થી જેટલા ગભરાય છે તેના કરતા અને અમે ચૂરણ અને કાચકાથી વધારે ગભરાતા હતા. બીજી એક વનસ્પતિ હતી કડવી નાઈ. એનું નામ સાંભળીને કમકમા આવી જતા.

અમારા ઘરમાં કારેલાનું શાક બનતું ત્યારે હું દૂધ અને રોટલો અથવા સેકેલો પાપડ અને રોટલો ખાવાનું પસંદ કરતો. મારા સિવાય મારા ઘરના બધા જ લોકો કારેલાનું શાક અને રોટલો ખાય તે હું જોયા કરું. મને વિચાર આવતો કે આટલું કડવું શાક એ લોકો કેવી રીતે ખાતા હશે! રોટલાનો બુકિયો તોડે અને કારેલા સાથે તેને રગદોળે ત્યાંથી માંડીને એ કોળિયો મોંમાં મૂકે, ચાવે અને ગળે ઉતારે ત્યાં સુધીના તેમના ચહેરા પરના ભાવો હું કૂતુહલથી નીરખ્યા કરું. આ લોકોને જરા પણ કડવું નહીં લાગતું હોય? કેવી રીતે ગળે ઉતારતા હશે? મારા બાપુજી કહે કે જે સ્વાદ છે તે તો ગળા સુધીનો જ છે. રાત્રે કારેલાંનું શાક ખાધું હોય પછી બીજે દિવસે બહુ સારું લાગે! નીરોગી રહેવાય. મને એ બાબતમાં શંકા જ રહેતી. પાઠ્યપુસ્તકમાં એક કવિતા ભણવાની આવેલી. ‘કડવા કારેલાના ગુણ ન હોય કડવા હો રે! કડવા વચન ન હોય કડવા હો રે! છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી, કાતર કાપે ફરી સાંધવા હો રે!‘ ખરું જોતાં આ ‘હો રે..‘ શબ્દ પર પણ મને તે વખતે ચીડ ચડતી. છીણી અને કાતરની વાત જુદી છે. કારેલાં તે કારેલાં! એમાં અનેક ગુણો હોય તો પણ મારે એ ગુણ નથી જ જોઈતો.

વિશેષ વાત તો એ હતી કે અમારે ત્યાં બનતા કારેલાના શાકમાં જરા પણ ગોળ કે ખાંડ નાંખતા નહોતા. જો કે ગમે તે નાંખે તો યે એની કડવાસ નથી જ જતી એની મને પાક્કી ખાતરી હતી. અમારા ચોકમાં કારેલીનો માંડવો રહેતો. નાના છોકરાંને ધાવણ છોડાવવા કારેલાના પાન ચોળીને તેના રસનો ઉપયોગ થતો. આ ઘટના જ સાબિત કરે છે કે ઝેર જેવા કડવા કારેલાના રસને કારણે અમૃત તુલ્ય પયપાન બાળકોએ જતું કરવું પડતું. જે વાત નાનું બાળક સુદ્ધાં સમજી શકે તે વાત વડીલો કેમ નથી સમજતા તે મને નહોતું સમજાતું. કારેલીના પીળાં ફૂલ ખીલે ત્યારથી મને ગભરામણ થતી! હું એ કારેલાંનું નિરીક્ષણ કરતો રહેતો. એની છાલ એટલે જાણે મગરની ચામડી. જોકે તે વખતે મેં મગર હજી જોયું નહોતું, પણ મગરનું ચિત્ર તો જોયું જ હતું ને!

કારેલાંના શાકને બદલે એનો ઓપ્શન મળવાને કારણે હું એની કડવાસથી બચી તો ગયો, પણ અમારી શત્રુતાનો અંત આવ્યો નહીં. મને થયું કે આવડું અમસ્તું એ કારેલું મોટું કે હું મોટો? હું એનાથી હારી જાઉં તો હું મરદ શાનો! કોઈ ન જાણે તેમ મેં પાટિયામાંથી રોટલા પર કારેલા લઈને ખાવાની હિંમત ભેગી કરી અને આંખ મીંચીને મોઢામાં મૂકીને દુશ્મનને ચાવી નાખતો હોઉં તેમ ચાવવાની બહાદુરી તો બતાવી, પણ તરત જ વાડામાં જઈને થૂંકી નાખવું પડ્યું. તો યે ગળામાં કડવો સ્વાદ તો રહી જ ગયો. બાપુજીએ કહેલું કે ગળા સુધી જ કડવું લાગે, પણ આણે તો ગળે ઊતર્યા વગર જ પરચો બતાવી દીધો. કારેલાને કપાતું જોઉં ત્યારથી સિસકારા આવવા માંડે. કારેલું કડવું તો ખરું પણ એની ગંધ પણ એટલી જ કડવી.

એકવાર કારેલાના ઘૂઘરાની વાત મેં સાંભળી. મારી માને મેં કહ્યું કે કારેલાનો ઘૂઘરો ભરે તો હું કારેલું ખાઉં. માએ ઘૂઘરો બનાવ્યો તે મોટું મન રાખીને ખાધો તો ખરો, પણ કારેલું તો મેં ન જ ખાધું! મસાલાનું પૂરણ જ ખાધું.

મોટા થયા પછી મેં કારેલા સાથેનો હિસાબ ચૂકતે કરવાનું નક્કી કર્યું. હું સમજતો થયો હતો કે જીવને જેવો કરીએ તેવો થાય. મતલબ કે મનને પણ બાળકની જેમ પટાવવું પડે અને પટાવતાં પટાવતાં તેની આદત પડી જાય પછી કોઈ વાંધો ન આવે. જુદા જુદા પ્રસંગે મેં બીજા કોઈને ત્યાં કારેલાનું શાક ખાવાનો પ્રયત્ન કર્યો. સમજાયું કે એની કડવાસ દૂર કરવા બાફતી વખતે શું કરવું જોઈએ. નાડ હાથમાં આવી ગઈ. પછી તો કારેલાંનો મુખવાસ પણ ખાધો છે. અને કડવાસ વગરના કારેલા પણ ખાધા છે.

મારી અંગત વાત લખું? લખી જ દઉં. મિત્રોને મારી અંગત વાતમાં વધારે રસ પડશે એ હું જાણું છું. મેં લગન કર્યા પછીની વાત છે. પતિ પત્ની વચ્ચેની અંગત વાત છે. નવપરણિત યુવાન હૈયાની વાત છે. હું બેંક કર્મચારી અને મારી પત્ની હોસ્પીટલમાં નર્સ. એક સાંજે મેં એને કારેલાનું શાક બનાવવાનું કહ્યું. એણે સ્પષ્ટતા કરી કે હું શાક બનાવીશ પણ મને કારેલાં ભાવતાં નથી. હું કારેલા ખાઈશ નહીં. અરે તું બનાવ તો ખરી! ઘરમાં અમે બે જ જણ. ખાવા તો બેઠાં, પણ કોઈ ખાય નહીં! એ કહે કે તમને ભાવતું હોય તો તમે ખાઓ, પણ હું નહીં ખાઉં. મારે ગળે નહીં ઊતરે. (મને મનમાં થયું કે કારેલાની બાબતમાં અમે બંને સરખાં જ નીકળ્યાં!) મેં કહ્યું કે કારેલા મને પણ ભાવતા તો નથી જ, પણ એક સે ભલા દો! આપણે બે જણાં મળીને કારેલાંનું ભક્ષણ કરીશું. પણ એ ટસથી મસ ના થઈ. રાત્રિના દસ થયા. આજુબાજુના લોકો પણ જમી પરવારીને સૂવાની તૈયારીમાં હતા. અમે હજુ ખાધું નહોતું. પહલે આપ, પહલે આપ, જેવું પણ નહીં. તમારે ખાવું હોય તો ખાઓ, હું કારેલું ખાવાની નથી જ!

પછી એણે મક્કમતાથી એનો આખરી નિર્ણય જાહેર કર્યો. ‘હવે પછી મને કંઈ પણ બોલશો તો હું આ બીજા માળેથી નીચે ભુસકો મારીશ!‘ વાત બહુ ગંભીર તબક્કામાં પ્રવેશી ગઈ. કારેલું ખાવાથી કોઈ મરી નથી ગયું. આમ તો બીજે માળેથી ભૂસકો મારવાથી પણ મરી ન જવાય, હાડકાં જરૂર ભાંગે! મેં કહ્યું, ‘તું જાણે છે કે તારા વગર હું જીવી ન શકું. તું ભૂસકો મારશે તો હું પણ ભૂસકો મારીશ. મરી તો નહીં જ જઈએ પણ ફ્રેકચર તો થશે જ. પોલીસ આવશે. અકસ્માતનો કેસ નોંધાશે. પડી જવું કારણ લખાશે. શું લખાશે? અખબારમાં સમાચાર આવશે કે કારેલાના દુ:ખે એક શિક્ષિત અને યુવાન દંપતિએ કરેલો આપઘાતનો પ્રયાસ! હાઉ ફની! એ સમાચાર વાંચીને લોકોને હસવાનું થશે. મરીએ તો કોઈ ઉચ્ચ ધ્યેય રાખીને મરીએ! આવડા કારેલાંને માટે કંઈ મોંઘી જિંદગી આપી દેવાની હોય? એમાં આપણી ઈજ્જત શી રહે. ચાલ, હવે ઘણું મોડું થઈ ગયું છે. આપણે લોકોને હસવાનું કારણ નથી આપવું. હાસ્યાસ્પદ મોત નથી જોઈતું. અમે બંને જણાં હસીને હળવા થયાં. જમીને વાતો કરતાં સૂઈ ગયાં. શું જમ્યા તે બરાબર યાદ નથી. પણ એ પ્રસંગ તો આબાદ યાદ રહી ગયો છે.

મનને જે ન ગમે તે જ સ્વીકારવાની તેને ટેવ પાડવી જોઈએ. કાલે જ ‘ચાલ, મન જીતવા જઈએ‘ ફિલ્મનો બીજો ભાગ રાજહંસ થિયેટરમાં જોતી વખતે કારેલાંની વાત આવી એટલે કટુરસને બદલે હાસ્યરસ ઊભરી આવ્યો.

પ્ર. મિ.

મનને કેળવવાની વાત જ સાવ ભૂલાઈ ગઈ

————————————-

બેંકમાં રિસેસ દરમિયાન અમે ટોળ ટપ્પા મારતા બેઠા હતા. કોની શૈક્ષણિક યોગ્યતા કેટલી તેની વાત નીકળી. બીલીમોરાથી આવતા કિશોર દેસાઈએ સ્ટેટેસ્ટિકમાં એમએસસી કર્યું હતું. બહુ જ ઈન્ટેલિજન્ટ છોકરો. રાજસ્થાનથી ઓલ ઈન્ડિયા ટેસ્ટ પાસ કરી ઓફિસર થઈને આવેલા અમારી જ ઉંમરના કૈલાસ ચંદ્ર શર્માજીએ કે. ડી. ને કહ્યું કે, ‘યાર, તુમ તો ફોગટમેં બેંકમેં આયે હો! તુમ તો કિસી કાલેજમેં પ્રોફેસર બન સકતે થે.‘ કે. ડી પ્રામાણિક યુવાન હતો તેણે કહ્યું કે, ‘હું પ્રોફેસર થઈને શું ભણાવું?‘ શર્માજીને નવાઈ લાગી. ‘યાર તુમ એસા ક્યૂં સોચતે હો? જો તુમને પઢા વહી સિખાને કા હૈ ન?‘

કે.ડી.એ હસતાં હસતાં જવાબ વાળ્યો. ‘પરીક્ષાની તૈયારી વખતે જે ચેપ્ટર્સ અઘરાં લાગવાથી મેં ઓમિટ કરી દીધેલા. તે ચેપ્ટર્સ વિદ્યાર્થીઓને હું કેવી રીતે ભણાવી શકું?‘ કે. ડી. ની આટલી સરળતા અને બૌદ્ધિક પ્રામાણિકતા જોઈને શર્માજી દંગ થઈ ગયા. એવા તો કેટલાયે શિક્ષકો અને પ્રોફેસરો વિદ્યમાન હશે કે જેમણે ભણતી વખતે કેટલાંયે પ્રકરણો ઓપ્શનમાં કાઢી નાંખ્યા હશે અને તેમ છતાં તેઓ વિદ્યાસંસ્થાઓમાં તેમનું ગાડું ગબડાવતા હશે! તેમની અને તેમના વિદ્યાર્થીઓની સ્થિતિની ભાગ્યે જ કોઈ કલ્પના કરતું હશે.

ઓપ્શન, ઓપ્શન, ઓપ્શન!

આ ઓપ્શને તો માણસના જીવનમાં દાટ વાળ્યો છે. આઈધર ધીસ ઓર ધીસ! આ નહીં તો આ. આ નહીં તો પેલું. એમાં જ માણસ અણઘડ રહી જાય છે. એનામાં પાંગળાપણું ઉમેરાતું જાય છે. એ અપૂર્ણ રહી જાય છે. ઓપ્શન શોધવાની આદત એનો આત્મવિશ્વાસ તોડી નાંખે છે. નાનપણથી આ સિલસિલો ચાલુ થાય છે. મા બાપ અને ઘરના વડીલો લાડ લડાવીને બાળકોના મનને મારી નાંખે છે. આ વાનગી નથી ભાવતી તો એના બદલામાં એને મનગમતો અન્ય કોઈ વિકલ્પ આપો. આ પોષાક નથી ફાવતો તો વાંધો નહીં, એને મનગમતો બીજો કોઈ પોષાક લઈ આપો. આ છૂટ વધતી જ જાય છે. બાળક લાડઘેલું થઈ જાય છે અને વડીલો પાસે મનમાની હરકતો કરાવતું રહે છે. એ જ બાળક જ્યારે વિશ્વના પ્રાંગણમાં પોતાનું સ્થાન બનાવવા જાય છે અને જ્યારે એનું ધારેલું થતું નથી અને ત્યારે એ ફસડાઈ પડે છે. નાસીપાસ થઈ જાય છે. નાહિંમત બની જાય છે. સર્વત્ર અંધારું જ વર્તાય છે. ગુંગળાય છે. પોતાને નિ:સહાય સમજે છે. આ પરિસ્થિતિમાં તે ઘર છોડી દે છે, હોસ્ટેલ છોડી ભાગી જાય છે, ક્યારેક દુનિયા પણ છોડીને આત્મહત્યા કરવા તરફ વળે છે.

પરીક્ષામાં એક પેપર ખરાબ જતાં જ કેટલાક વિદ્યાર્થીઓ માથે હાથ દઈ બેસી જાય છે. એક પેપર ખરાબ ગયું તો તેનો અફસોસ કરી બીજાં પેપર પર માઠી અસર કરવાને બદલે બાકીના પેપર પર તડામાર તૈયારી કરી નુકસાન ભરપાઈ કરવાનો અભિગમ રાખવો જોઈએ. એક પરીક્ષામાં નાપાસ થવાથી જિંદગીનું અંતિમ પરિણામ નથી આવી ગયું. હજી આખી જિંદગી બાકી છે. વધારે સારી તૈયારી કરીને ઝળહળતી કારકિર્દી બનાવવાની તક રાહ જોતી ઊભી છે. ‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય‘ એ કવિતામાંથી શું શીખ્યા?

માણસની જિંદગી મૂલ્યવાન છે, નજીવી બાબતમાં એને ફેંકી ન દેવાય. અભ્યાસમાં અત્યંત તેજસ્વી બાળકો સાવ ક્ષુલ્લક કારણોસર જીવન ટૂંકાવે છે ત્યારે એમ લાગે છે કે આપણી કેળવણીમાં જ કંઈ ખામી છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ પણ ડિપ્રેશનમાં આવીને જીવનનું અંતિમ પગલું ભરી બેસે છે કારણ કે તેમણે સંજોગોનો સામનો કરવાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. જીવન એક સંઘર્ષ છે અને તેમાં હાર જીત તો ડગલે ને પગલે આવતી જ રહે છે. સફળતા અને નિષ્ફળતા કાયમી નથી. સંસાર દ્વન્દ્વાત્મક છે. એ દ્વન્દ્વોને સહન કરવાની તાલીમ જે આપે તે જ જીવનલક્ષી શિક્ષણ.

‘ચાલ, મન જીતવા જઈએ‘ ફિલ્મ જોતી વખતે મોટાભાગના સિનિયર સિટિઝનોને એવી અનુભૂતિ થઈ કે અમારી પેઢી અભાવો અને અગવડો વચ્ચે ઉછરીને મોટી થઈ. સંઘર્ષ કરીને મોટી થઈ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચેથી આપમેળે રસ્તો કાઢવાનું શીખી ગયા. પરંતુ, અમે જે અગવડો ભોગવી એ અમારા સંતાનોને ભોગવવી ન પડે તે માટે તેમને તમામ સગવડો આપીને અમે ભૂલ કરી. જે માગ્યું તે આપ્યું. જે નહીં માંગ્યું તે પણ આપ્યું. પાણી માંગતાં દૂધ આપ્યું. સાઈકલને બદલે સ્કૂટર આપ્યું. લેટેસ્ટ સગવડો આપીને તેમને સુખી રાખ્યા. પણ ત્યાં જ મોટી ભૂલ રહી ગઈ. સગવડોએ તેમની ખુમારી છિનવી લીધી. ઝઝૂમવાની તાકાત હણી લીધી. ‘તિરાડે ફૂટી કૂંપળ‘ નાટકમાં એક વડીલનો ડાયલોગ છે કે છોકરાંઓને ખવડાવવાનું સુનાનું, પણ અઘાવવાનું ચૂનાનું!‘ આ ડાયલોગ પર ખૂબ તાળીઓ પડતી આવી છે. આ વાતનો અમલ થવો ઘટે. અમારી જોડે બેંકમાં કામ કરતો યુવાન જશપાલ દેસાઈ એના મા બાપનો એકનો એક દીકરો અને બાપા જલદી અવસાન પામેલા. એને જીવનની હાર્ડ ટ્રેનિંગ મળી. એક ભાઈએ એને સવાલ પૂછ્યો કે ‘તને પોતાનાથી દૂર કરી જોખમી તાલીમ માટે મોકલતાં તારી માનો જીવ કેમ ચાલ્યો?‘ જશપાલે મગરૂરીથી સુંદર જવાબ આપેલો, ‘હું એકનો એક છું એટલે જ મને વધારે સક્ષમ બનાવવા માટે મારી મધરે મને આવી સખત તાલીમ લેવા મોકલ્યો.‘ બધા મા બાપ એવી સૂઝ નથી બતાવી શકતા.

અમારી પેઢી પાસે ઓપ્શન નહોતા. જમવામાં એક જ શાક હોય પછી તે કારેલાંનું હોય કે ભીંડાનું. ન ભાવતી વસ્તુ જોઈને બાળક ઠઠણવા માંડે! આ શાક તો કેમ કરીને ગળે ઉતરે? માનો સાદ પડે ‘ભૂખ લાગી હોય તો ચૂપચાપ ખાઈ લે. બધાએ ખાધું અને તને જ શાનો વાંધો છે? તારા એકલાને ખાતર નવું કંઈ નહીં બને. અમે બનાવવા માટે નવરા પણ નથી. ભૂખે ભરડો ભાવે અને ઊંઘ ઊકરડે આવે. માણસને ભૂખ નથી લાગી તેની આ બધી ચાતરમ છે. પેટમાં પોલ પડી હોય તેને બધું પેસી જાય!‘ કોઈ વિકલ્પ ન દેખાતાં ઝખ મારીને કારેલા ખાવા પડે. ભણતાં ભણતાં ઘરનું અને ખેતીનું કામ પણ કરવું પડે. ઢોર ઢાંખરનું પણ ધ્યાન રાખવું પડે. સામાજિક જવાબદારીઓ પણ બજાવવી પડે. ગામમાં કે શેરીમાં રમવા ગયેલું બાળક કોઈનો માર ખાઈને આવે કે કશે પડીને –અફળાઈને આવે તો તેને પંપાળવાને બદલે ઉપરથી બે લાફા મારી દેવાતા! ત્યાં શું મેથી જમવા ગયો હતો? એવો ઠપકોયે મળતો. પોતાને થયેલી ઈજા છાની ચોરીથી સહન કરવી પડતી. વડીલોના તમાચા ગયા, માનો સોટીમાર ગયો, શિક્ષકો કાન પકડતા કે કોહણમાં ચાવી આપતા, ઠપકાના વેણ ઠપકારતા એ બધું ચાલી ગયું. બાળકોને લાડ, જીવનસાથીને લાડ, પ્રજાને લાડ.. માણસના મનને લાડ! આ વધી ગયેલાં લાડથી માણસ પોપલગારા બની ગયા. સહનશક્તિ ગુમાવી બેઠા. બાપા ખિજાયા અને બાળક ઘર છોડી ભાગી ગયું. ધણીએ પિયર જવાની ના પાડી અને પત્નીએ ફાંસો ખાધો કે ઝેર ગટગટાવ્યું- આવા સમાચારો શું સૂચવે છે? એ જ કે મનને કેળવવાનું ચૂકી જવાયું. સાઉન્ડ બૉડી એન્ડ સાઉન્ડ માઈન્ડ! પહેલવાન જેવો તાકાતવર માણસ અને સ્કોલર વિદ્વાન પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં નાસીપાસ થઈ જાય એ અધૂરી તાલીમની ચાડી ખાય છે.

પ્ર. મિ.

ઢેડિયો ફાંહ!

બહુ વર્ષો પહેલાં, અમારા ગામના પાદરે છાપરામાં એક હળપતિ રહેતો હતો. ઢેડિયો એનું નામ. અમે બાળકો તો એમને ઢેડિયા કાકા તરીકે જ ઓળખતા હતા પણ આખું ગામ એમને માટે *ઢેડિયો ફાંહ* શબ્દ વાપરતું. ફાંહ એટલે શું? એવો કોઈ શબ્દ ચોપડીમાં તો ભણવામાં નહોતો આવ્યો. વડીલો કહેતા કે એ ઢેડિયાની એક પણ વાત પર ભરોસો કરવો નહીં! એને મોટી મોટી ફાંહ મારવાની ખરાબ આદત છે. ફાંહ પરથી ફોંહાટ શબ્દ આવ્યો. એ ફોંહાટ ભાઈની વાતમાં કદી આવવું નહીં!

બહુ મોડેથી સમજાયું કે આ શબ્દ ડંફાસ પરથી આવેલો છે. ડ નીકળી ગયો અને સ નો હ બોલવાથી ફાંસ નું ફાંહ થઈ ગયું. ડંફાસવીરો માટે ફોંહાટ શબ્દ આવી ગયો.

આવા ફોહાટ લોકો બડી બડી બાપ લાખ ચાલીસ ની ડીન્ગ મારતા હોય છે. રાજકારણમાં આજકાલ ફેંકુ શબ્દ પ્રચલિત બન્યો છે. આવા છોકરાઓ માટે અમે છાંટુ શબ્દ વાપરતા અને તેને વૉર્નિગ આપતાં કહેતા કે થોડીક ઓછી છાંટ માર! એ અરસામાં બજારમાં છાંટ વાળા કેળાં પણ લારી પર વેચાતાં થઈ ગયા હતાં!

ભાજપ અને આર.એસ.એસ. વિરોધીઓમાં રાષ્ટ્રપ્રેમની ખોટ

ભારત દેશને એની પોતાની અસલી તાકાતથી વંચિત રાખવાનો કારસો આઝાદી મળી ત્યારથી ચાલતો આવ્યો છે. હિંદુ સંસ્કૃતિના દુશ્મનો કોણ છે?

નરેન્દ્ર મોદી વિશેના તથ્યો કયા-કયા છે?

ચાલો એક લાંબી વાર્તા કહું.

1996 માં પહેલી વાર વાજપેયીજી એ સરકાર બનાવી એ તો વિપક્ષે રીતસર ફૂંક મારીને તેર દિવસમાં ઉડાડી મૂકી અને બીજી વાર તેર મહિના લાગ્યા. જયલલિતામાં તો કંઈ એટલી બુદ્ધિ હોય નહિ પણ અંદરખાને એને ધાક ધમકી આપીને ટેકો ખેંચાવી લીધો અને એક વોટ થી સરકાર પડી ગઈ. પણ ભારતની પ્રજાએ ત્રીજી વાર હજી વધુ મજબૂતી સાથે વાજપેયીજીને સરકાર બનાવવાનો મોકો આપ્યો.

આ પોઈન્ટ પર લુટ્યેન્સની ટોળકી (એનડીટીવી અને મંડળી) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે વિચાર્યું કે ભારતની પ્રજાએ તો વાજપેયીજીને સત્તા આપવાનું નક્કી કરી જ લીધું છે તો આપણે પાણીમાં રહીને મગર સાથે દુશ્મની શા માટે કરવી? અને આમેય જો ભાજપની સરકાર પણ આપણા ખિસ્સામાં રહેતી હોય તો ભાજપ હોય કે કોંગ્રેસ, આપણને શું? તે પછી સરકારમાં એવા લોકોનો પ્રભાવ વધ્યો જેને મીડિયા સાથે સારુ બનતું હોય. જશવંત સિંહ, યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા, અરુણ શૌરી વગેરે એવાં નેતાઓ હતા જેમને જમીન સાથે કોઈ સબંધ નહોતો પણ લુટ્યેન્સ‌ સાથે ઘરોબો હતો. કારગિલ યુદ્ધમાં પણ એનડીટીવીની મહિલા પત્રકાર બરખા દત્તને છેક યુદ્ધભૂમિ સુઘી જવા દેવામાં આવી અને દુનિયાએ પહેલી વાર ટીવી પર લાઈવ યુદ્ધ જોયું. આને લીધે ભારતીય સેનાનું લોકેશન છતું થઈ જતા અનેક સૈનિકો શહીદ થયા.

ત્યારબાદ ગુજરાતમાં એક મહાવિનાશક ભૂકંપ આવ્યો અને એ સાફ થયું કે કેશુબાપાના કંટ્રોલમાં કશું નથી અને ગુજરાતને નવા મુખ્યમંત્રીની તાતી જરૂર છે. મારા પપ્પાએ તે વખતે આરએસએસ તરફથી ભચાઉમાં સેવા કરતી વખતે આંખે જોયેલું કે સરકારી અધિકારીઓ એમ્બેસેડર ભરીને વિદેશી રાહત સામગ્રી (કેન ફૂડ, ધાબળા, તંબુ) વગેરે ચોરી જતાં. કેશુબાપાથી આ વિષયમાં કશું થયું નહિ એટલે એવા મજબૂત નેતા ની જરૂર વર્તાઈ જેને સરકારી બાબુઓ ઉલ્લુ ન બનાવી જાય.

અને એવા નેતાને દિલ્લીથી પેરાશૂટ ડ્રોપ કરવામાં આવ્યાં જેણે ગુજરાતમાં સરપંચની ચૂંટણી પણ નહોતી લડી. આ નેતાને પણ મીડિયા સાથે ભારે ઘરોબો હતો અને મુખ્યમંત્રી બન્યાના થોડાં મહિના પછી ઝી ન્યુઝ ના સુધીર ચૌધરીએ એમને પૂછ્યું પણ હતું કે “હવે તો તમે મળતા જ નથી; ઘમંડ ચડી ગયું છે કે શું?” મને યાદ છે મોદીનું નામ જયારે ઘોષિત થયું ત્યારે ઝી ન્યુઝ પર પાંચેક મીનીટની ક્લિપ આવી હતી જેમાં મોદી એક ગેલેરીમાં હીરોની અદાથી એન્ટ્રી પાડે અને કેમેરો છેક ફ્લોર લેવલ થી મોદીને નિહાળે. બેકગ્રાઉન્ માં ઢમ ઢમ કરીને મ્યુઝિક વાગે. હું તેર વર્ષનો હતો પણ મને અજુગતું તો લાગેલું જ કે મીડિયા એક નેતાને આમ પિકચરના હીરોની જેમ શા માટે બતાવે?

ખેર, એ પછી ૨૦૦૨ માં કંઈક એવું થયું જેણે દેશને હલાવી મૂક્યો. લુટયેંસ એ નક્કી કર્યું કે મોદી હેઝ ટુ ગો. આ કોઈ ખાનગી વાત નથી છાપામાં રીતસર આર્ટિકલ લખાયા જેનું હેડિંગ હતું “મોદી, ચાલ સામાન બાંધ”.

પણ ત્યારે કંઈક એવું બન્યું જેની આ ટોળકીએ કલ્પના પણ નહોતી કરી. અડવાણીજીએ વાજપેયીજીને કનવિન્સ કરી લીધા કે મીડિયા ગમે તે કહે, મોદી નિર્દોષ હોય તો એની પાસે રાજીનામુ ન જ મૂકવાય. બીજેપી હાયકમાંડમાં અચાનક ફૂટેલી આ કરોડરજ્જુથી ટોળકીને ઝટકો તો લાગ્યો, પણ એ મૂછમાં મલકાયા પણ ખરા કે “અબ હમ દીખાતે હૈ, હમસે પંગા લેને કા નતીજા!”

અને એ પછી લોન્ચ થયું મોદી અને ભાજપને ભારતના રાજકીય ઇતિહાસમાંથી હંમેશા માટે ભૂંસી નાખવાનું અભિયાન: મોદી હટાઓ. ચોવીસમાંથી બાર બાર કલાક મોદીને ટીવી પર ગાળો આપવામાં આવતી. ૨૦૦૨ ની કરુણ ઘટનાના મહિનાઓ અને ક્યારેક વર્ષો પછી તિસ્તા સેતલવાડ અને રાણા અય્યુબ જેવી ભાડૂતી ‘પત્રકારો’ દ્વારા કપોળકલ્પિત વાર્તાઓને સત્યનો જામો પહેરાવીને તરતી મૂકવામાં આવી. એક હાડ થીજાવી દે તેવી વાર્તા એવી હતી કે હિન્દુઓ મુસ્લિમ બાળકોને હવામાં ઊંચે ઉછાળી તલવાર પર કેચ પકડતા અને ગર્ભવતી મહિલાઓના પેટ ચીરીને ભ્રુણને બહાર ખેંચી કાઢતા. આવી વિકૃત કલ્પના પણ કોઈ કઈ રીતે કરી શકે એનો જવાબ મને વર્ષો પછી રશિયન લેખક દોસ્તોયેવસ્કીની ‘બ્રધર્સ કરામાઝોવ‘ વાંચતી વખતે મળ્યો. યુરોપના ધર્મયુદ્ધો (કૃસેડ્સ) વખતે તુર્કીના મુસ્લિમ સૈનિકો ખ્રિસ્તીઓ સાથે આવા અત્યાચારો કરેલ એવું ખ્રિસ્તી દસ્તાવેજોમાં નોંધાયું છે. એ જ વાર્તાને સીધી અહીં ચિપકાવવામાં આવી.

તિસ્તા જેવીઓએ મુસ્લીમ મૃતકોની સંખ્યા વધુ દેખાડવા માટે જૂની કબરો ખોદી કાઢી. વળી, બોલીવુડની નંદિતા દાસ જેવી અભિનેત્રીઓએ ડુંટીથી ચાર આંગળી નીચે સાડી પહેરી મોદી હટાઓના પાટિયા લઈને ફોટા પડાવ્યા. ગુજરાતના આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પાસે કોંગ્રેસની ટીકીટના બદલામાં મોદી વિરદ્ધ ખોટી વાર્તાઓ બોલાવડાવાઈ, જે છેવટે કોર્ટમાં ગપ્પાં સાબિત થઈ. (આ મહાશયે તુષાર મહેતાનો ઇમેઇલ એકાઉન્ટ હેક કર્યો અને જુનિયર અધિકારીઓ પર ખોટી એફિડેવિટ કરવાનું દબાણ કર્યું હોવાનું કોર્ટમાં પાછળથી સાબિત થયું). મોદીને ગાળો આપવી એ ફેશનેબલ બની ગયું અને મોદી માટે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનું અશક્ય બન્યું.

આનો રાજકીય પ્રભાવ એવો પડ્યો કે નીતીશ કુમાર જેવા કાચા પોચા તો ડરીને NDA છોડી ગયા કે સાલું જે માણસને મીડિયામાં સાવ રાક્ષસ તરીકે ચીતરવામાં આવ્યો હોય એની સાથે એક ફોટો પણ છાપામાં આવે તો આપણી તો કરિયર પૂરી થઈ જાય.

પણ ગુજરાતમાં પ્રજાએ પૂર્ણ બહુમત સાથે ભાજપને ચૂંટી કાઢી. એક નહિ, બે નહિ ત્રણ વાર મોદી ચીફ મિનિસ્ટર ચૂંટાયા. આ દરમ્યાન આકાર પટેલ જેવાઓએ એવો અભિપ્રાય આપ્યો કે ગુજરાતની પ્રજા જ કોમવાદી અને મુસ્લિમ વિરોધી છે એટલે મોદી જીતે છે. મતલબ કે લુટયેન્સના લાખ ના પાડવા છતાં ગુજરાતીઓ મોદીને વોટ આપવાની જુર્રત કરે એટલે ગુજરાતી પ્રજાને જ રાક્ષસ ચીતરવાનુ શરૂ થયું અને આ કામ પાછું ગુજરાતીઓને જ સોંપાયું. મુંબઈના ગુજરાતીઓ બિચારા નાછૂટકે મોદીને ગાળો આપતા, જેથી કોમવાદીમાં ન ખપી જવાય. દિલ્હીમાં ગુજરાતીઓ અછૂત જાહેર થયા અને નર્મદા યોજના જેવી વેલિડ માગણીઓ વિરૂદ્ધ પણ અમીર ખાન જેવા ધુરંધરો પડ્યા અને જ્યારે એના રીટેલીએશનમાં ફનાનો બહિષ્કાર થયો ત્યારે અનિલ કપૂરે બધા બોલિવુડ સ્ટારોને ભેગા કરી ઘોષણા કરી કે “ગુજરાત શું અમારો બહિષ્કાર કરે, અમે જ ગુજરાતનો બહિષ્કાર કરીશું”.

ખેર, ૨૦૧૪ આવતા આવતા યુપીએ સરકારે એવી કળાઓ કરી કે ખુદ એમને ગેરંટી હતી કે આ વખતે તો નહિ જ જીતીએ. મણીશંકર ઐયરે CWC ની મીટીંગ પછી જે હુંકાર કર્યો કે “એક ચાયવાલા ઈસ દેશ કા પીએમ નહિ બન સકતા નહિ બન સકતા” ત્યારે એનો કહેવાનો મતલબ એ હતો કે બીજેપી તો સત્તા પર જરૂર આવશે, પણ મોદીને પીએમ નહિ બનવા દઈએ. બસો બોતેરમાં વીસ સીટ પણ ઓછી પડે એટલે નીતીશ પાસે શરત મુકાવીશું કે મોદીને બહાર કાઢો તો ટેકો આપું, અને પૂર્ણ બહુમત તો અમારા બાપા રાજીવ ગાંધી પછી કોઈ માયકા લાલને નથી મળી એટલે એ તો બહુ દૂરની વાત છે!

પણ ભારતની પ્રજાને પણ આ ખબર હતી એટલે મોદીને ગણીને પૂર્ણ બહુમત કરતા દસ સીટ વધુ આપી કે “માત્ર ભાજપ નહિ, મોદી જ જોઈએ”. ૨૦૧૯ આવતાં શશી થરૂરે વળી ડહાપણ ડહોળ્યું કે “ટુ થાઉઝંડ ફોરટીન વોઝ અ ફ્લુક ઇલેક્શન. એવી ભૂલ પાછી નહિ થાય”. લ્યો.. પ્રજાએ આપેલ જનાદેશને ફ્લૂક એટલે અઠે ગઠે જાહેર કરવામાં આવ્યો.

ખેર, પછી શું થયું એ તો આપણે જાણીએ જ છીએ. અસહિષ્ણુતા, એવોર્ડ વાપસી, શાહીન બાગ, ટિકેત આંદોલન જેવા ધતિંગ એ મૂળ “મોદી હટાઓ” કેમ્પેનના જ નવા અવતારો છે, અને હજી જૂજવા રૂપ ધારણ કરીને કેમ્પેન પાછું ને પાછું ઉથલા મારતું જ રહેશે. એવું નથી કે ટોળકી સાવ હાથ ઘસે છે. તેઓ પણ મોદીને ગાળો આપતા આપતા મેગસેસેથી લઈને મેકગિલ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂક્યા છે. દરમ્યાન નવા ભારતનો ઈતિહાસ હજી તો લખાઈ રહ્યો છે. સ્ટે ટ્યુન્ડ

પ્ર. મિ.

गई भवानि भवन बहोरि, बंदि चरन जोरि करजोरी।

जय जय गिरिबर राज किशोरी, जय महेश मुख चंद्र चकोरी।

નવસારીના લુન્સીકૂઈ મેદાન પર શ્રી પ્રેમચંદ ભાઈ લાલવાણીએ અત્યંત ભાવપૂર્વક ખુલ્લા દિલે પૈસા ખરચીને ઊભા કરેલા કથામંડપમાં પરમ આદરણીય પૂ. મોરારિદાસ હરિયાણી કે જેઓ મોરારિબાપુના નામથી જ વિશેષત: ઓળખાતા આવ્યા છે તેમની નવસો ચૌદમી કથાનો ગઈકાલે શુભારંભ થયો. પહેલા જ દિવસે સભામાં ઉમટેલી મેદની જોઈને બાપુ પ્રસન્ન થઈ ગયા. ગઈકાલે મારાથી જઈ શકાયું નહોતું એટલે યુ ટ્યૂબ પર સાંભળી લીધું અને આજના સવારના અખબારમાં થોડી માહિતી વાંચી લીધી. શારીરિક અસ્વસ્થતાને કારણે વધારે વખત બેસવામાં મુશ્કેલી હતી છતાં કથામંડપની પોઝિટીવિટીનો લાભ લેવા મન આકર્ષાયું એટલે સાડા નવ વાગ્યે પ્રવેશ મેળવ્યો. કથા દસ વાગ્યે શરૂ થવાની હતી.

બરાબર દસના સમયે બાપુ પધાર્યા. આજે ઔપચારિકતાને ઝાઝો અવકાશ નહોતો. કથા કેવળ કથા માટે જ હતી. એની પછવાડે ફંડ ઉઘરાવવાનો કોઈ આશય નહોતો. યજમાન પોતે પણ વિનમ્ર હોવાથી બીનજરૂરી ઔપચારિકતા ટાળીને પૂ. મોરારિબાપુની અમૃતવાણીનો જ બને તેટલો લાભ લેવા ઉત્સુક જણાયા. ભાવિકોને મન તો ઘર બેઠા ગંગાજી પધાર્યા હતા. એટલે માનસ સરિતામાં ડૂબકી લેવા તત્પર હોય જ. ઘણા સમય પછી પૂ. મોરારિબાપુના પ્રત્યક્ષ દર્શન કરવાની અમૂલ્ય તક તો શેં ચૂકે?

જનકપુરીના ઉદ્યાનમાં સહેલીઓ સંગ ઉમા ભવાનિની પૂજા કરવા ગયેલાં સીતાજી ભવાનિની જે સ્તુતિ કરે છે ત્યાંથી ગઈકાલે શરૂઆત થઈ હતી. મને એવો ખ્યાલ હતો કે સ્તુતિ પૂરી થઈ ગઈ હશે અને આજે તો કથા આગળ ચાલશે. વ્યાસપીઠ પર આસન ગ્રહણ કર્યા બાદ માઈક પર બાપુએ જે ધ્યાનમંત્રોનું ગાન કર્યું તે મને બિલકુલ સમજાયું નહીં. એક પણ શબ્દ મારાથી પકડાતો નહોતો. આમ તો બાપુનો અવાજ બુલંદ અને ઉચ્ચારો સ્પષ્ટ આવતા હોય છે, પણ મને આજે બરાબર સંભળાયું નહી, સમજાયું નહીં. અલબત્ત, એ મારું અજ્ઞાન જ હતું. બાપુનો વાંક તો ક્યાંથી હોય. શરૂઆતની લગભગ બેતાલીશ મિનિટ એવી ગઈ કે મારું અવળચંડુ મન અવળા વિચારે ચડી ગયું. ગુંગો બોલે તે ગુંગાની મા જ સમજે! તેમ ભક્ત બોલે તે ભગવાન જ સમજે, બીજાની એમાં ચાંચ ન ડૂબે. આજના વિષય પર આવતાં પહેલાં મનની યોગ્ય સ્થિતિ સ્થાપિત કરવા એ બધું જરૂરી હોય છે. અમારા બાપદાદાઓ સુથારીકામ કરતા. લોકોને ત્યાં રોજ પર કામ કરવા જાય ત્યારે કામ શરૂ કરતા પહેલાં પથરી કે નિહાણા પર ઓજારની ધાર કાઢવા બેસે. અડધો કલાક તો એ રીતે કામ કર્યા વિના જ જાય છે એમ ઘરધણીને લાગે. કોઈ આખાબોલા હોય તે મોઢા પર ચોપડાવે પણ ખરા કે આજના રોજમાંથી અડધા કલાકની મજૂરી કપાઈ જશે! હથિયારોની ધાર ઘરેથી જ કાઢી લાવવી જોઈએ નૈ! એમ તો હજામ પણ દાઢી પર સાબુ લગાડી દીધા પછી ચામડા પર અસ્તરો ઘસીને ટાપ ટીપ અવાજ કરવા માંડે. લોકો તેને પણ કહેતા કે ઘરથી જ અસ્તરાની ધાર કાઢી લાવતાં શું થાય! ટિકા કરનારાની બુદ્ધિ પર દયા આવે એવી વાત છે. એ ચામડા પર ટાપટીપ અસ્તરો ઘસવાથી કંઈ ધાર ન નીકળે! એ તો સાબુના ફીણથી દાઢી પરના વાળ નરમ થાય ત્યાં સુધી નવરા બેસીને રાહ જોવા કરતાં આ રમતમાં સમય પસાર કરતો હોય છે.

પણ હથિયાર ઘસવાની અને ધ્યાનમંત્રો બોલવાની ક્રિયા એકસરખી નથી. એની પરસ્પર સરખામણી કરવામાં અવિવેક છે. પણ મન કોને કહે, એ તો ગમે તે વિચારવા લાગી જાય.

એસીની વ્યવસ્થા કરેલી હોવાથી ઝીણી વાછટ જેવા ફુવારા ચાલુ થઈ ગયા. થોડા વખત પછી બંધ થશે એમ ધારેલું હતું, પણ એ ઝીણી વાછટ ચાલુ રહી. છત પર ધુમ્મસ છવાયા જેવું વાતાવરણ થઈ ગયું. મહિલાઓએ ઓઢણી માથા પર ઓઢવા માંડી. કપડાં પર ભિનાશ ફરી વળી. હાલમાં ચાલતા વાઈરલગ્રસ્ત લોકોને અકળામણ પણ થવા લાગી. ભાવિકો ખૂબ સહનશીલ અને મર્યાદાશીલ હોવાથી કોઈ ફરિયાદ નથી કરતા, પણ મારાથી સહન થાય તેમ નહોતું. બરાબર પોણો કલાક જંતરમંતર ચાલ્યા પછી બાપુએ કથા સાથેનો તંતુ જોડ્યો. સવા બારે મારે ઊઠી આવવું પડ્યું, ત્યાં સુધીમાં આ ચોપાઈને પકડી રાખીને અનેક મુદ્દા પર ચર્ચા કરી. કોઈનો પત્ર વાંચ્યો. આ ચેષ્ટા મારી કલ્પના બહાર હતી. એનાથી યે ચોંકાવનારી બાબત તો એ હતી કે બાપુએ એ પત્ર ફાડીને તેના ટૂકડા કરી નાંખ્યા. મને તો કેબિનેટે મંજુર કરેલો ઓર્ડિનન્સ જાહેરમાં ફાડી નાખનાર અભિમાની શેહજાદાની યાદ આવી ગઈ. જોકે તેની સાથે બાપુની સરખામણી કરવામાં પણ અન્યાય અને અવિવેક બંને છે.

પણ મને ગમતા એક પ્રસંગનો ઉલ્લેખ માત્ર એક જ વાક્યમાં થયો. ‘વિશ્વામિત્રજી અયોધ્યા આવ્યા અને દશરથે રામ લક્ષ્મણને મોકલી આપ્યા‘ આટલું બોલીને બાપુ તો આગળ નીકળી ગયા અને મારું મન તો દશરથ રાજાના દરબારમાં જ અટવાઈ ગયું. ત્યાં જે અકલ્પનીય પ્રસંગ બની ગયો તેનું સ્મરણ મને આહ્લાદક લાગ્યું. એ પ્રસંગની એવી તે શી વિશેષતા હશે કે મારું મન ત્યાં જ અટકી ગયું?

જણાવું કે નહીં જણાવું?

હવે હમણાં તો નહીં જ! રાત્રિના સાડા દસ થઈ ગયા છે.

પ્ર. મિ.