શબ્દો આપણાં સ્વજનો

          આ વિશ્વમાં કશુંય સ્થાયી નથી; જગત પરિવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે સૃષ્ટિ બદલાતી રહે છે. માણસો પણ બદલાય છે અને સંબંધો પણ બદલાતા રહે છે. આપણે પોતે પણ હવે પહેલાંના જેવા ક્યાં રહ્યા છીએ! શરીરની અવસ્થા બદલાય છે, ખાવા પીવાની વસ્તુ અને રીત બદલાય છે. વસ્ત્રપરિધાન, જીવન વ્યવહાર, શાળાનો અભ્યાસક્રમ અને નોકરી વ્યવસાયની રસમો બદલાય છે. જૂનું ભુલાય છે અને એને સ્થાને નવું જ કંઈક આવીને ગોઠવાય છે. કેટલાક પરિવર્તનો આપણને ગમે છે, કેટલાક પરિવર્તનો સમજાતા નથી, તેથી શરૂઆતમાં ગમતા પણ નથી. ધીમે ધીમે વિરોધ ઓગળતો જાય છે અને ન ગમતા ફેરફારો જોડે અનુકૂલન સધાતું જાય છે.

          બધું જ બદલાતું હોય ત્યારે આપણી વાતચીતમાં વપરાતા શબ્દો પણ કેમ બાકાત રહે? કહેવાય છે કે ગમે તેટલું નજીકનું સગપણ હોય, પણ અવર જવર વગરનો સંબંધ નકામો. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. અર્થસભર શબ્દો પણ વપરાશના અભાવે ભૂલાતા જાય છે. ટેકનોલોજીના વિકાસ સાથે આપણે નવા નવા સાધનો વાપરતા થયા તેને કારણે નવા શબ્દોના પરિચયમાં આવ્યા અને હવે તે આપણા જીવન સાથે વણાઈ ગયા. પહેલાં સહજપણે મોઢા પર આવી જતા જૂના શબ્દો વપરાશના અભાવે આપણે ભૂલવા પણ માંડ્યા.

          આપણાં ગામડાંઓમાં પહેલાં ખેતી કરવા માટે બળદનો ઉપયોગ થતો અને વાહન વ્યવહારના સાધન તરીકે બળદગાડાનું ચલણ ચાલતું હતું, પણ ટ્રેકટરો આવવાથી બળદો ગયા અને બળદગાડાંય ગયાં. પજારીમાં જ્યાં બળદો બંધાતા ત્યાં ટ્રેકટરો ગોઠવાતા થયાં. પશુઓ માટે ઘાસ, ચારના ભારા ગોઠવાતા ત્યાં ડિઝલના પીપડા મૂકાતા થયા. સ્વાભાવિક રીતે બળદો ન રહેવાથી પરાણા અને પરાણીઓ પણ ગઈ. પશુધન ઓછું થઈ જવાથી વાડામાં સીંચાતા ઘાસ પરાળના કુંદવા પણ ગયા. દર પાંચ – છ દિવસે ખેડૂતોને ત્યાં વલોણું થતું તે બંધ થવાથી ગોળી, રવઈ, નેતરાં, દોણી અને નાના વારિયાં અલોપ થઈ ગયાં. બળદના દોર, મછોટી, ઘૂઘરા, ઢોરને બાંધવાના ખૂંટા, સાંકળ, મઢ્ઢી અને અડોલી ગઈ. તાજી વિયાયેલ ભેંસના દૂધથી બનતી બરી પણ અલભ્ય બની ગઈ. પરગામ જતી વેળા બળદને નીરવા માટે ગાડામાં ઘાસ-પરાળ પાથરીને તેના પર ગોદડી પાથરી તેના પર બેસવામાં આવતું. સામાન પાંજરી તરફ મૂકાતો, હવે બળદગાડા સાથે તેની પાંજરી પણ ગઈ અને કારની ડીકી આવી ગઈ. ઘાસ ચારાને બદલે વાહનની ટાંકીમાં પેટ્રોલ પૂરાવવાનું ચાલુ થયું.

          દાતણ છૂંદવા અને નિશાળમાં ઘંટ વગાડવા માટે વપરાતી લાકડાની મોગરી છેલ્લે ક્યારે જોઈ હશે તે યાદ નથી આવતું. જૂની લોકપ્રિય કહેવતો સમજાવવી અઘરી બનતી જાય છે. ‘આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ‘, કહેવતમાં ઉલાળ અને ધરાળ શબ્દોને કેવી રીતે સમજાવવા? ‘આજની ઘડી ને કાલનો દા‘ડો‘, એમાં ઘડીનું માપ કેવી રીતે સમજવાનું? –ઘડી,પળ, વિપળને સ્થાને કલાક, મિનિટ, સેકંડ ગોઠવાઈ ગયાનેય ખાસ્સો સમય થઈ ગયો. રાજ્યના મુખ્ય પ્રધાન કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતોય નથી એના અનુસંધાનમાં વપરાતી કહેવત ‘ગંજીનો કૂતરો પોતે ખાય નહિ ને કોઈને ખાવા દે નહિ‘- અહીં વપરાતા ગંજી શબ્દને કયા અર્થમાં લેવો, આપણે તો અંડરવેર તરીકે ગંજી પહેરતા આવ્યા છીએ! કૂંદવું ક્યાં શોધવા જવું?‘ નેવના પાણી મોભે ચડે નહિ‘, પણ હવે તો ધાબાં આવી જવાથી નેવાણાં પણ રહ્યા નથી, નેવના પાણી ઝીલવાની મજા જ જતી રહી છે. આજના મકાનોમાં મોભ, ગયા, ભારોટિયા, ટોડલા, અડારા રહ્યા જ નથી, અરે! હવે તો ઊંબર પણ જવા માંડ્યા છે. ‘આપણી તે લાપસી અને પરાઈ તે કુસકી‘ પહેલાં ગાડાં ભરીને ભાત (ડાંગર) ખંડાવવા મિલમાં જતા. ભાતના છોડા તે કૂસકો અને બારીક છોડા સાથે ચોખાના થોડા અંકુરો પણ આવે તે કુસકી! આ કુસકી ખાવામાં મીઠી લાગે, એટલે બાળકો મૂઠી ભરી ભરીને મોઢામાં ઓરે. દૂધ દેતી ભેંસને ટોપલો માંડવામાં પણ કુસકીનો ઉપયોગ થતો. હમણાંના બાળકોને કુસકી ક્યાં જોવા મળે? કણકી જોવા મળે ખરી! ફીફાં ખાંડવા એટલે વ્યર્થ મહેનત કરવી, પણ ફીફાં કોને કહેવાય? ‘ફીફાં‘ એટલે અનાજના છોતરાં. છોતરાંને ખાંડવાથી કંઈ મળવાનું નથી.
ફીસું એટલે ઓછા જોરવાળું, ઢીલું, નરમ એવો અર્થ થાય; ઝાડ પર ચડ્યા હોઈએ અને નાજુક ડાળી પર પગ ટેકવીએ  કે તરત જ વડીલો ચેતવે કે આ ઝાડની ડાળી વધારે ફીસી આવે એટલે એનો ભરોસો નહિ. ફેં ફાટવી એ શબ્દ પ્રયોગમાં‘ ફેં‘ નો અર્થ શો થાય એમ અમે બધાને પૂછતા પણ કોઈ જવાબ મળતો નહિ, શબ્દોનો અર્થ સમજ્યા વગર માત્ર ટેવને કારણે તથા લોકોમાં તે પ્રચલિત હોવાને કારણે આપણે વાપરતા રહ્યા છીએ, પણ એનો સચોટ અર્થ છે, થાકને લીધે હાંફી જવાથી ગળામાંથી આવતો અવાજ. પહેલાંના વડીલો ગુસ્સે થતા ત્યારે ચાવણમાં ઓઝટ મારીને બત્રીસે બત્રીસ દાંત ખંખેરી નાંખવાની ધમકી આપતા! એ ચાવણ એટલે લમણું અર્થાત્ જડબાંવાળો ભાગ. પત્રની શરૂઆત ‘સવિનય જત જણાવવાનું કે‘ થી થાય, પણ ‘જત” નો અર્થ કોઈ જણાવતું નથી એક રૂઢિ તરીકે લખાતો હશે એમ માની લઈએ. જખ મારવી શબ્દ નિર્દોષ છે પણ એનો ધ્વનિ આપણને ગાળ જેટલી ચોટ પહોંચાડે છે.

          હેરાનગતિ કરવા આપણી પાસે  કોઈ નક્કામી મહેનત કરાવે તેને માટે પત્તર રંગવી, પત્તર ખાંડવી, પત્તર ધામવી જેવા શબ્દો વાપરતી વખતે આપણે સાવધ થઈ જઈએ, અજાણપણે કયાંક અજુગતું તો નથી બોલતા ને, એવો છૂપો ભય લાગે. સાર્થ જોડણીકોષે એનો અર્થ આપવાનું ટાળ્યું છે, પણ ભગવદ્ગોમંડળે  પત્તરનો એક અર્થ ‘કાગળ’ની સાથોસાથ બીજો અર્થ ‘મળદ્વાર’ પણ આપ્યો છે. ”મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો” દાનો એટલે પ્રામાણિક, ડાહ્યો, સમજુ, વિવેકી. પણ દાથરો શબ્દ મૂઠિયાં, પાતરાંને વરાળથી બાફતી વખતે તેને વાસણમાં મૂકેલા પાણીથી અધ્ધર રાખવા જે ઘાસ મૂકવામાં આવે તેને માટે વપરાય છે. શહેર કે કસબામાં ઘાસ ક્યાં લેવા જઈએ, એટલે લાકડાની પટ્ટી જડેલો, વાસણને બંધબેસતો થાય એવો દાથરો અથવા કાણાંવાળી ડીશ બજારમાં મળે છે, જેને ફેંકવો નથી પડતો.
મોબાઈલ શબ્દનો અર્થ થાય હરતું ફરતું. આજ સુધી આપણે મોબાઈલ દવાખાનું, મોબાઈલ લાઈબ્રેરી, મોબાઈલ બેંક – જેવા શબ્દો સાંભળ્યા હતા, પણ લગભગ એક દાયકાથી સેલફૉન વધારે પ્રચલિત થયા. ઘર કે ઓફિસ છોડીને માર્કેટિંગ કરતા કે બહાર ફરતા લોકોનો પણ ઝડપથી સંપર્ક કરવા માટે એ ખૂબ ઉપયોગી સાધન છે. ‘મોબાઈલ‘ શબ્દ સાંભળતાંની સાથે જ બીજું કંઈ યાદ ન આવતાં સૌ પ્રથમ તો મોબાઈલ ફૉન જ યાદ આવે, જાણે કે એ સેલફૉનનો પર્યાય ન હોય! કેટલીક માહિતી આપણા મગજમાં હોય પણ જલદી હોઠ પર જ ન આવે, ત્યારે આપણને અકળામણ થાય અને બોલી ઉઠિએ, “ભાઈ મગજમાં છે, પણ જલદી ડાઉનલોડ નથી થતું!”   કેટલીક જૂની માહિતી ‘ડિલિટ’ પણ થઈ જતી હોય છે. ઉપયોગના અભાવે ભૂલી જવાય.

          આપણને ગમતાં નવાં પુસ્તકો વસાવતા જઈએ, ગમતાં  ગીતોની નવી નવી સીડીઓ લાવીએ, નવા સંબંધીઓ અને ગમતા માણસો જોડે મૈત્રી બંધાતી જાય. એ સૌ મહત્ત્વના અને ઉપયોગી છે, પણ સમયના અભાવે બધા જોડે સંપર્કમાં રહી શકાતું નથી તેથી તેમની અવજ્ઞા થતી હોય તેવું લાગે. સંબંધો ભૂલાવા લાગે. સંબંધોની કડી મેળવવા સંદર્ભો આપવા પડે. શબ્દોની બાબતમાં પણ એવું જ છે. ભુલાવા આવેલા શબ્દોનો પરિચય તાજો કરવા માટે ડિક્ષનરી અથવા શબ્દકોષો ઉથલાવવા પડે. ચિર પરિચિત સંબંધી કે મિત્ર વરસો પછી આપણને ભેટી જાય ત્યારે શરૂઆતમાં તો આપણને એમ જ લાગે કે આમને ક્યાંક જોયા છે. કોણ છે ને ક્યાં જોયા છે, તે યાદ નથી આવતું પણ જરાક થોભી જઈને પરિચય પામવાનો પ્રયત્ન કરીએ અને ઓળખાણ તાજી થાય ત્યારે ખોવાયેલો ખજાનો પુન: પ્રાપ્ત થયાનો આનંદ રોમે રોમ રણઝણી ઊઠે! શબ્દો પણ આપણા સન્મિત્રો છે, સ્વજનો છે; ક્યારેક એને યાદ કરીને ઓળખવાની કોશિષ કરી જોવા જેવી ખરી; એને પામવાનો આનંદ અદ્વિતીય છે.

–પરભુભાઈ એસ. મિસ્ત્રી

એક ‘માણસ’ હતો…

            એક માણસ હતો. શું નામ રાખીએ? ‘માણસ’ જ રાખીએ. એ સાવ સામાન્ય હતો. એની આજુબાજુ કંઈ કેટલાયે મિત્રો તેમજ સ્વજનો હતા. સૌ એનાથી જુદા હતા. એ સૌના નામ હતા. ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’…… પણ એ બધા અસામાન્ય હતા અને તેથી જ એ સામાન્ય હતો અને તેથી એ ‘માણસ’ જ હતો.

          ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’ વગેરે પણ નાના હતા ત્યારે એના જેવા જ હતા. બધા સાવ સામાન્ય જ હતા. અ,બ અને માણસ ઉંમરમાં સરખાજ હતા. નાના હતા ત્યારે સ્કૂલે સાથે જ આવતા. શેરીનું પેલું ગલુડિયું એઓ સાથે ખૂબ ભળી ગયેલું ચાલતું ચાલતું રોજ એ સહુની સાથે સ્કૂલ સુધી આવતું. ગલુડિયાનો ‘માણસ’ના લંચબોક્ષમાં પણ ભાગ રહેતો. પરંતુ, ગલુડિયામાંથી કૂતરો બનવાની પ્રક્રિયાનો અણસાર આવતાં ‘અ’ અને ‘બ’ની શંકા વધવા માંડી હતી. કૂતરું તો કરડી પણ ખાય! અને એક દિવસ અ એ રસ્તામાં પડેલી લાકડીથી એને હાંકી કાઢ્યું. કૂતરાને વાગ્યું પણ ખરું. ગભરાયેલા કૂતરાને ‘માણસે’ હૂંફ આપી. પીઠ પર લાગેલા ઘાવને પાણીથી સાફ કરી મલમપટ્ટી પણ કર્યા. ‘અ’ અને ‘બ’ સમયસર સ્કૂલે પહોંચી ગયા. ‘માણસ’ મોડો પડ્યો. શિક્ષક દ્વારા શિક્ષા થઈ. ‘અ’ અને ‘બ’ એ ‘માણસ’ને સાઈકલમાં પંક્ચર પડવાનું બહાનુ બતાવવા પણ કહ્યું પણ ‘માણસ’ તો શિક્ષક સમક્ષ સાચું જ બોલ્યો અને અભ્યાસના ભોગે સેવા કરવાની વાતોની વર્ગમાં હાંસી પણ થઈ. શિક્ષકે તો ‘માણસ’ને એના માતા-પિતા વિષે પણ પૂછ્યું. સાવ સામાન્ય માતા-પિતાના પુત્ર પાસે આશા પણ શી રખાય, એવું જાહેરમાં બોલી શિક્ષકે પોતાના શિક્ષકત્વનો પ્રભાવ પણ વધાર્યો. પરીક્ષામાં ‘અ‘ નો નંબર ‘માણસ’ની બરાબર પાછળ જ આવતો. એકવાર ‘માણસ’ને છ પ્રશ્નોમાંથી ચાર બરાબર આવડતા હતા. ચારના ઉત્તર લખી ‘માણસ’ વર્ગખંડ છોડવાની તૈયારી જ કરી રહ્યો હતો ત્યાં તો પ્રિન્સિપાલ સાહેબે આવી એની પાટલી પાસેથી એક ચબરખી ઉપાડી. એણે જોયું કે ચબરખીમાંના અક્ષરો એના નહોતા. પુસ્તકમાંના જ શબ્દો ચબરખીમાં કોતરાયેલા હતા. એની ઉત્તરવહીમાં પણ એ જ લખાણ હતું  એ કેવી રીતે સાબિત કરે કે એ ચબરખી એની નહોતી! શાળાનું નામ ખરાબ કરનાર એ તો ગુનેગાર બન્યો. ‘અ’ અને ‘બ’ અભ્યાસમાં  એનાથી આગળ નીકળી ગયા. એની ગાડી પણ સામાન્ય ઝડપે ચાલી રહી હતી. મા પણ કહેતી કે, રાજધાની એક્ષપ્રેસ અને લોકલ ગાડીએ એક જ પાટા પર  ચાલવું પડે. હા, રાજધાની એક્ષપ્રેસ ધસમસતી આવે અને એ તો બધા કરતાં પહેલી જાય. લોકલે બાજુ પર ખસી જવું પડે અને અન્ય પ્લેટફોર્મ પર પોરો ખાવો પડે. અન્યને જગ્યા આપવામાં તો એ એક્કો હતો.  ‘અ’ અને ‘બ’ તો એટલી ઝડપે ભાગતા હતા કે, કયા સમયે ક્યાં હોય તે કળવું ખૂબ મુશ્કેલ બનતું. પરંતુ, ‘ક’ અને ‘ડ’ એની જેમ જ લોકલ ગાડી હતા. નોકરી લેવા પણ ‘ક’ એની સાથે જ હતો.  ઈન્ટર્વ્યુ બંનેએ સાથે જ આપ્યો હતો. ખૂબ મોટી કહેવાતી ફેકટરીમાં એણે અને ‘ક’ એ અરજી કરી હતી. કંપનીએ ટેક્ષ બચાવવા શું કરવું જોઈએ એવા સવાલના જવાબમાં ‘ક’ એ વ્યવહારુ માર્ગ અપનાવવાનો રસ્તો સૂચવ્યો હતો. કંપનીનો ફાયદો જેમાં હોય તે રસ્તે જવું એવું ‘ક’ માનતો હતો. વળી, એણે તો ઉત્પાદન વધારવાના ઉપાયો પણ બતાવ્યા હતા. કિંમત એની એ રાખી વજન ઓછું કરવું કે થોડા થોડા સમયે જુદા જુદા નામ અને દેખાવ હેઠળ એકની એક પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાના ઉપાયો ઉત્સાહથી બતાવ્યા હતા. એ જ પ્રશ્નો ‘માણસ’ને પૂછાયા તો ગ્રાહકને કે વેપારીઓને કદી ન છેતરવાની બાબતે ભાર મૂક્યો હતો. ટેક્ષ તો જે હોય તે ભરવાથી જ કંપનીની શાખ વધે એવું જોરશોરથી ઈન્ટર્વ્યુ લેનારને એણે કહ્યું હતું અને એ ડિસ્ક્વોલિફાય થયો હતો.

          હા, માણસને ગાતાં સારું આવડતું હતું. નાનપણથી જ એ સારું ગાઈ શકતો. એ તો ગાઈ જ શકે ને! કારણ કે, એની મા પણ સારું ગાતી. એનું ગાવાનું પણ એનું પોતાનું નહોતું એની એ આવડત તો એની માને કારણે હતી. વેલ, ‘ડ’ ને પણ સારું ગાતા આવડતું. ‘ડ’ એ તો ગામના જાણીતા સંગીત ગુરુ પાસે તાલીમ લીધી હતી. આથી ‘ડ’ અસામાન્ય હતો. અને તેથી જ સ્કૂલમાં, શેરીમાં, કોલેજમાં બધા એને ગમે ત્યારે ઊભો રાખી ગીત ગવડાવતા. ‘ડ’ એવું નહીં કરતો.

          એ તો ગુરુજી સાથે ઘણા કાર્યક્રમો આપતો. એની ખૂબ વાહ વાહ થતી. ‘ડ’ ને ઊંડેઊંડે ખબર હતી કે, ગમે તેટલી તાલીમ લીધી હોય પરંતુ, માણસના અવાજની બરોબરી એ કરી શકે એમ નથી કારણ કે, ‘માણસ’નો અવાજ ખરેખર તો એનો પોતીકો જ હતો. એ અવાજને ક્યાંય ચાંદીના વરખ લગાડી રૂપાળા બનાવવાની કે બોક્ષની અંદર સાચવીને મૂકી રાખવાની જરૂર જ નહોતી. ‘ડ’ માણસને ગમે ત્યાં ઊભા રહીને ગાવાની ના પાડતો પણ ‘માણસ’ જેનું નામ! સ્થળ કાળનું ભાન ભૂલીને પણ સૂર રેલાવતો. બધા માત્ર એની વાહ વાહ કરતા. મા એને સુદામા કહેતી. ઊમેરતી પણ ખરી કે, સુદામાની ઝોળી તો ખાલી હોય, પણ તારી ઝોળીમાં તો બધાને માટે કાંઈનું કાંઈ હોય જ. કૂતરા- બકરા માટે  મલમપટ્ટી, દોસ્તો માટે સમય, કોઈને માટે તારી કલા તો કોઈને માટે મૌન. મા વળી એમ પણ  કહેતી કે, સુદામાનું બળદગાડું પણ ચાલેલું જ ને- તારી લોકલ ગાડી પણ ચાલશે. પણ, તે દિવસે તો ખરું થયું હતું. એક સ્કૂલમાં એને પ્રાર્થના ગાવા બોલાવેલો. મુખ્ય મહેમાન સંગીતના ખૂબ જાણકાર હતા. એની પ્રાર્થના મહેમાનને ખૂબ ગમી અને એમણે ‘માણસ’ને એક પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું એ  મુખ્ય મહેમાનથી ચેતીને ચાલવાની ‘ડ’ દ્વારા ખૂબ ચેતવણી મળી. એ મહેમાન સાથે કામ ન કરવાની ‘ડ’ દ્વારા સલાહ મળી.પણ ‘માણસ’ જેનું નામ! એને એ મુખ્ય મહેમાન હોય કે અન્ય ‘અ’ ,‘બ’, ‘ક’, ‘ડ’ હોય. એને શું ફેર પડે?  ‘ડ ‘ને એકબીજાની પૂંછડી પકડીને ઝાડ પર ચઢતા વાંદરા દેખાયા.  છેલ્લો વાંદરો આગલા વાંદરાની પૂંછડી છોડી દે એટલે બધા ધબાય નમ:. છેલ્લાએ ઝડપથી ખસી જવાનું. ‘ડ’ ને માણસ સૌથી ઉપરનો વાંદરો જણાયો. ‘ડ’ એ માણસને શુભેચ્છાઓ પણ ખૂબ આપી. ગળું ખૂલે એ માટે પાન પણ ખવડાવ્યું ‘માણસ’નું ગળું ખૂલવાને બદલે બંધ થઈ ગયું.

          એ ‘માણસ’ તમને કે મને કોઈ દિવસ મળી પણ જાય. એને ઓળખવાનું અઘરું નહીં પડશે. એના ઘોઘરા અવાજે કહેશે પણ ખરો, ‘જોજો ભાઈ પાન ખાવ ત્યારે સાચવીને અને જોઈને ખાજો. પાન બનાવનારથી ભૂલમાં સિંદુર ન નંખાઈ ગયું હોય… ભૂલ તો કોઈથી પણ થાય.’

          આપણે સામાન્ય બની રહેવું હોય તો એની વાત સાંભળીશું નહિતર અસામાન્ય બનવાની રેસના ભાગીદાર થતાં કોણ રોકી શકે???

મેઘધનુષ

જ્યારે જ્યારે હું જગતમાં પડતો રહ્યો,
ત્યારે ત્યારે હું જ ખૂદને જડતો રહ્યો.

DR.KIRTIDA VAIDYA

લેખિકા- ડૉ. કીર્તિદા કે. વૈદ્ય. એમ.એસ.સી. એમ. ફીલ. પીએચ.ડી.(રસાયણશાસ્ત્ર)
૧૯૮૨થી બી.પી. બારિયા સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં લેક્ચરર તરીકે સેવા આપી રહ્યા છે. સયાજી વૈભવ લાયબ્રેરીમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સક્રિય છે. શાસ્ત્રીય ગરબા અને લોકનૃત્યોનું દિગ્દર્શન કરી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. નવસારીથી પ્રકાશિત થતા પ્રિયમિત્ર પખવાડિકના ‘વેદના- સંવેદના’ વિભાગમાં નિયમિત કટાર લખતા રહ્યા છે. બેન કીર્તિદાને ગઝલ લખવામાં રસ છે અને કવિ સંમેલનમાં અવારનવાર ભાગ લેતાં રહ્યાં છે. નવી પેઢીમાં વાચનરસ વધે અને અભિવ્યક્તિની કળા પાંગરે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. એમણે મોનો એક્ટિંગ માટેની ઘણી સ્ક્રિપ્ટ પણ લખી છે.

ડિપ્રેશનના દર્દીને ડૉ. શ્રીકૃષ્ણના પ્રિસ્ક્રિપ્શન્સ

‘વિશ્વનો વૈશ્વાનર- વૈદ્ય શ્રી કૃષ્ણ અને દ્વિધાની માનસિક બિમારીવાળો અર્જુન’

કોઈ પણ દર્દી જ્યારે ડોક્ટર પાસે દવા લેવા જાય શ્રદ્ધા અને શરણાગતિના ભાવ સાથે જાય તો જ એની દવા બરાબર લાગુ પડે અને બિમારી જલદી દૂર થાય.

નિર્બળતાથી દૂષિત થયેલો, મનથી મુંઝાયેલો, શિષ્યભાવે સંપૂર્ણ શરણાગતિ સાથે અર્જુન શ્રીકૃષ્ણ પાસે પોતાની બિમારી દૂર કરવા માટે ગયો અને કહેવા લાગ્યો કે :-

‘કાર્પણ્ય દોષોપહૃતસ્વભાવ: પૃચ્છામિ ત્વામ્ ધર્મ-સંમૂઢ ચેતા: યત્ શ્રેય: સ્યાત્ નિશ્ચિતમ્ બ્રુહિ તન્મે શિષ્ય: તે અહમ્ મામ્ ત્વામ્ પ્રપન્નમ્ ’ અર્જુનની આ વિનંતી ધ્યાનમાં લઈને ડોકટર શ્રીકૃષ્ણચંદ્રજીએ બિમારી દૂર કરવા માટેનું પ્રિસ્ક્રિપ્શન- દવાનો નુસખો કહેવા માંડ્યો.

નુસખો ૧: -‘માત્ર: સ્પર્શાસ્તુ કૌંતેય, શીતોષ્ણ સુખ દુ:ખદા:
આગમા પાયિનો નિત્યા: તાન્ તિતિક્ષસ્વ ભારત’
આમ, બધાં વિરોધી દ્વંદ્વોને સહન કરીને માનસિક તનાવને સ્વસ્થ મનથી દૂર કર.માનસશાસ્ત્ર psychology ની દૃષ્ટિએ શરીર અને મનનું સ્વાસ્થ્ય જાળવવા માધે તનાવરહિત દશા ખૂબ અગત્યનો ભાગભજવે છે. ખાસ કરીને ‘માત્રા: સ્પર્શા:’ ઇન્દ્રિયોના વિષયો સાથે સંકળાયેલા સંબંધો સુખ દુ:ખ તો આપતા જ રહેવાના.પરંતુ, એ નિત્ય નથી. માત્ર passing clouds પસાર થતી વાદળી જ છે.આ રીતે શ્રી કૃષ્ણે અર્જુનને વળગણરહિત બનવા માટેની દવાનો પહેલો નુસખો આપ્યો.

નુસખો ૨: – નાસતો વિદ્યતે ભાવો, નાભાવો વિદ્યતે સત: .
વળી, વધુ સધિયારો આપવા શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, મિથ્યા વસ્તુનું અસ્તિત્વ કાયમ રહેતું નથી અને જે શાશ્વત છે તેનો કદી નાશ થતો નથી. આ પરિવર્તનશીલ શરીર કાયમ રહેતું નથી. વિવિધ કોષો cells ની ક્રિયા પ્રતિક્રિયાથી શરીરમાં પળે પળે ફેરફાર થતા જ રહે છે. આ બધી ઉત્પત્તિ પરા અને અપરા પ્રકૃતિના ઘટનાક્રમથી થયા જ કરે છે. માટે તું વિહ્વળતા દૂર કરી માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કર.

નુસખો ૩: – ‘સુખ દુખી સમે કૃત્વા, લાભાલાભો જયાજયૌ.’
વળી પાછા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, સુખ-દુ:ખ, લાભ-ગેરલાભ, જય-પરાજય આવા અનિશ્ચિત પરિણામોનો વિચાર કરીને તારા મનમાં મુંઝવણ ઊભી કર્યા વગર તું કાર્ય કરશે તો તારું સ્વાસ્થ્ય જળવાશે. અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થતાં શારીરિક દુર્બળતા દૂર થશે અને સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશે.

નુસખો ૪: – ‘પ્રજહાતિ તદા કામાન્ સર્વા: પાર્થ મનોગતાન્
આત્મનિ એવ આત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞ: તદ્ ઉચ્યતે ’
મનનું સ્વાસ્થ્ય જાળવવા માટે, mental poise  મનની સ્થિરતા માટે સર્વ પ્રકારની મનોકામનાઓ Desires and Cravings ઈચ્છાઓ અને અભિપ્સાઓનો ત્યાગ કરવો જોઈએ, એમ શ્રીકૃષ્ણ અર્જુનને સમજ આપે છે.

નુસખો ૫: – ‘દુ:ખેસ્વનુદ્વિગ્નમના:….
વીતરાગ ભય ક્રોધ:’
શ્રીકૃષ્ણ અર્જુનને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે આ એક ખાસ અગત્યનો નુસખો આપે છે કે, દુ:ખમાં વ્યગ્ર નહી; થવું અને રાગ ભયથી મુક્ત રહેવું કારણ કે, રાગ અને ભય માણસની તંદુરસ્તી માટે છૂટવાં જ જોઈએ. આગ અને દ્વેષ શરીરને  ખોટી ઉત્તેજના આપી શારીરિક સ્વાસ્થ્યને હાનિ કરે છે, જ્યારે ક્રો! અને ભય માનસિક ઉત્તેજના આપી માનસિક સ્વાસ્થ્યને બગાડે છે.

નુસખો ૬: – ‘યતોવિષયાન્પુંસ: સંગસ્તેષુપજાયતે
સંગાત્સંજાયતે કામ: કામાત્ ક્રોધોભિજાયતે
ક્રોધાત્ ભવતિ સંમોહ: સંમોહાત્ સ્મૃતિવિભ્રમ:
સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશ: બુદધિનાશાત્ પ્રણશ્યતિ.’
શ્રીકૃષ્ણ અર્જુનને માનસશાસ્ત્રીય પ્રક્રિયા, આ નુસખા દ્વારા સમજાવે છે. વિષયોનું રટણ, આસક્તિ પેદા કરેછે. આસક્તિમાંથી  કામના  થાય છે. અને કામનામાંથી ક્રોધ જન્મે છે. ક્રોધમાંથી મૂઢતા ઉદ્ભવે છે, જેને પરિણામે બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી પોતાનો વિનાશ થાય છે..

નુસખો ૭:-  ‘પ્રસન્નચેતસોહ્યાસુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે’

છેવટે, આ નુસખા દ્વારા શ્રીકૃષ્ણ અર્જુનને ‘પ્રસન્નચિત્ત’ ચિત્તની પ્રસન્નતાનું મહત્ત્વ સમજાવે છે. મન પ્રફુલ્લિત હોય તો શરીરમાં સ્ફૂર્તિ રહેવાથી, અવયવોને ગતિશીલતા મળે છે. ગતિશીલતા આવવાથી કાર્ય કરવાની ધગશ રહે છે. અને એ ધગશ એટલે જ તંદુરસ્તી. સર્વ રોગોની દવા મનની પ્રસન્નતા છે.
આમ, ડોકટર શ્રીકૃષ્ણે અર્જુનને psychological  માનસશાસ્ત્રીય treatment સારવાર આપી સ્વસ્થ બનાવ્યો.
-અસ્તુ.-

પુસ્તકનું નામ- ‘સંતપ્રસાદ-ના- સંપ્રસાદ –નું- સંપ્રદાન’
મુદ્રક: દુર્લભભાઈ ટી. પટેલ, ગીતાંજલિ પ્રિન્ટર્સ, સૂરત
લેખક: સંતપ્રસાદ દીવાનજી, ૧૯ મધુવંતી, રામકૃષ્ણનગર, ઘોડદોડ, સૂરત-૧

યુનિકોડમાં ટાઈપિંગ : પરભુભાઈ એસ. મિસ્ત્રી

મંદિર નિર્માણની જરૂર શેને માટે?

Swaminarayan_Temple_Mathura

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે, પળ પળ તારાં દરશન થાયે દેખે દેખનહારા રે

નહીં પૂજારી નહીં કો‘ દેવા, નહીં મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા,ચાંદો સૂરજ તારા રે

ઈશ્વરની સર્વવ્યાપકતાનો ખ્યાલ આપતી આ પ્રાર્થના પ્રાથમિક શાળામાં ભણતી વખતે બેહદ ગમી ગયેલી. બીજી એક પ્રાર્થના ‘વંદન લે તું અમારાં, પ્રભુજી! વંદન લે તું અમારાં…‘ આખી તો યાદ નથી, પણ ‘કુંજ નિકુંજે પોઢણ તારા, ગિરિ શિખરે સિંહાસન ઢાળ્યા.. ફૂલડે ફૂલડે હસવાં તારાં, કલકલતાં ઝરણાંમાં તારા ઝાંઝર ઝણકંતા..‘ જેવા ત્રુટક ત્રુટક શબ્દો દ્વારા પણ સમજાય તેમ છે કે સર્જનહાર પોતે પોતાના સર્જનમાં છુપાયો છે! એને અન્યત્ર આવાસ ફાળવવું એ ગુસ્તાખી છે! અપમાન છે. એને રહેવા માટે આપણે મંદિર બનાવવું પડે એ તો એના સર્વશક્તિમાનપણામાં કરેલી શંકા છે. સર્વવ્યાપકને તે કદી કેદ કરી શકાય? આપણા ભગવાનને એટલો લાચાર તો ન જ બનાવવો જોઈએ કે એ આપણી દયા પર જીવે અને આપણે રાખીએ તેમ તે રહે!

કોલેજમાં ભણતા ત્યારે ‘ઈશ્વરે ઘર બદલ્યું‘ નામનું એક નાટક આવેલું. અમારા પ્રોફેસર ડૉ. ગોઠવરીકર મજાકમાં કહેતા કે, ‘ઈશ્વર અમેરિકા ચાલ્યો ગયો છે! નાલાયક લોકોએ મંદિરો અને તીર્થસ્થાનોને ઈશ્વરને રહેવા લાયક રહેવા દીધાં હોય તો ઈશ્વર અહીં રહે ને! આટલી સંકુચિતતા, ગુંગળામણ, ગંદકી, અસભ્યતા, અબૌધ્ધિકતા કંઈ ઈશ્વરને ગમે ખરી?‘ અને પછી ધર્મના થયેલા  વ્યાપારીકરણ પર આક્રોશભર્યા શબ્દો દ્વારા એમનો પૂણ્ય પ્રકોપ ઠાલવતા. ‘પેટભરુ લોકો‘ અને દંભીઓ પ્રત્યે તેમને તીવ્ર રોષ હતો.

મૂળ વાત, ‘ભગવાન છે જ‘ એ માન્યતા સ્વીકાર્યા પછી સવાલ એ પેદા થાય જ કે તે ક્યાં છે? ‘મને કહોને પરમેશ્વર કેવા હશે? કેવા હશે ને ક્યાં રહેતા હશે? આંબાની ઊંચી ડાળે ચડીને કેરીના મૂકનાર કેવા હશે!- પ્રીતમલાલ મજમુદાર રચિત આ બાળગીતમાં બાળઝંખના કે બાળજિજ્ઞાસાના રૂપમાં ઈશ્વરને શોધવાનો પ્રયાસ થયો છે. ભગવદ્ ગીતામાં ભગવાનના શ્રીમુખેથી કહેવાયું છે કે, ‘સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટ: ‘ એટલે કે દરેકના હૃદયમાં હું રહેલો છું. હૃદય ચીરનારા સર્જ્યનોને કોઈના હૃદયમાં ઈશ્વર દેખાયો છે કે કેમ તે ખબર નથી, પણ હવે તો શંકા પડે છે કે, માણસે પોતાના હૃદયને પણ એટલી હદે દૂષિત કરી નાંખ્યું કે ઈશ્વરે ત્યાંથીય હૃદયવટો લઈ લીધો હોય. એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં આપણે ત્યાં મંદિરો નહોતા. મૂર્તિપૂજા ય નહોતી. આર્યો તો યજ્ઞો કરતા અને દ્રવ્યયજ્ઞ સાથે જ્ઞાનયજ્ઞ કરતા- એ રીતે સંસ્કૃતિનો અથવા સભ્યતાનો પ્રચાર કરતા.

મંદિરો ક્યારથી, કોણે, કયા હેતુસર ચાલુ કર્યા તેની પળોજણ છોડીને મંદિરો કેવા હોવા જોઈએ, મંદિરોમાં કઈ પ્રવૃત્તિ થવી જોઈએ એના વિષે સ્વ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ જે નવતર વિચાર અને પ્રયોગ કરી જોયો તે જાણવા જેવો છે. તેમની કલ્પના પ્રમાણે ગામમાં જેમ મારું ઘર હોય તેમ ભગવાનનું પણ એક ઘર હોવું જોઈએ. ભગવાન તો સર્વવ્યાપક છે, એને કોઈ ઘર કે મંદિરની ગરજ નથી, પણ મને તેની ગરજ છે! સર્વવ્યાપક ભગવાનની અનુભૂતિ લેવા જેટલી મારી બુદ્ધિ પુખ્ત થઈ નથી એટલે મેં અવિવેક કરીને તેને સીમિત બનાવ્યો. ભગવાન મારી સમીપમાં જ છે એમ મને લાગે તો હિંમત રહે. પણ ભગવાનના સામીપ્યથી જેમ હિંમત રહે, તેમ ડર પણ રહે! સર્વાન્તર્યામી અને સર્વશક્તિમાનની હાજરીમાં આડુંઅવળું કંઈ કરાય તો નહીં જ, પણ વિચારી સુદ્ધાં ન શકાય. માણસે શિસ્ત, સંયમ અને સભ્યતાથી વર્તવું પડે. (જો કે એટલી સીમિત જગ્યામાં પણ સખણાં રહેવાનું અઘરૂં થઈ પડે છે!) પણ ઈશ્વરને હૃદયમાં, ઘરમાં કે ગામમાં બેસાડનાર બેજવાબદાર રહી શકે નહીં. ઈશ્વરના અસ્તિત્વમાં માનવું અને તેના સાંન્નિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરવો એ મોટી જવાબદારીનું કામ ગણાય. દુર્ભાગ્યે આપણા લોકોમાં એવી ભયંકર ગેરસમજ છે કે મંદિર બાંધવાથી મોટું ધર્મકાર્ય થઈ ગયું અને ચિત્રગુપ્તના ચોપડામાં આપણા ખાતે પૂણ્ય જમા થઈ ગયું. મંદિર જેમ ઊંચું, ભવ્ય અને વિશાળ; ધજા જેટલી ઊંચી ફરફરે તેટલો આપણો ધર્મ કે સંપ્રદાય વધુ મહાન!

પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ કહેલું કે, કાલ ઊઠીને ભારત મહાન વિશ્વસત્તા બને (આપણાં લક્ષણો પરથી એવું બને એવી શક્યતા તો જણાતી નથી છતાં ધારવામાં શું જાય છે?) તો દુનિયાભરના લોકો આપણા દેશની મુલાકાત લેવા આવે, આપણી પાસેથી કંઈક શીખવા આવે ત્યારે આપણે તેમને શું બતાવીશું? ભાખરા નાંગલનો ડેમ બતાવીશું? તાજમહેલ બતાવીશું? બહુમાળી વસાહતો બતાવીશું? ભવ્ય, આલિશાન, સોનેમઢેલ શિખરોથી શોભતા મંદિરો બતાવીશું? એ કંઈ વિશેષ વાત નથી. એવી સિદ્ધિ તો વિદેશો પાસે આપણા કરતાં વધારે હશે. એકલી સ્થાપત્ય કળાથી કોઈ સમાજ ઊંચે નથી આવી જતો. માણસ તરીકે આપણે સમાજમાં માનવ્ય કેટલું વિકસાવ્યું તે વાત અગત્યની છે. માણસ તરીકે આપણામાં રહેલા દોષોને અંકુશમાં રાખવા આપણે કઈ સિદ્ધિ હાંસલ કરી, સદ્ ગુણો બહાર લાવવા માટે શું કર્યું, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સત્વ ગુમાવ્યા વગર  ટકી રહેવાની કોઈ શક્તિ કે સમજણ કેટલે અંશે પ્રાપ્ત કરી, સુખ અને દુ:ખ સામે જોવાનો કયો દૃષ્ટિકોણ સમાજમાં ઊભો કર્યો, માણસ- માણસ વચ્ચે રહેલા ઊંચ નીચના, ગરીબ- તવંગરના, ભાષાના, પ્રદેશના, માલિક- મજૂરના ભેદભાવો કેટલે અંશે દૂર કરી શકયા, જીવન તરફ, બીજા માણસ તરફ અને પ્રકૃતિ તરફ જોવાનો ભોગનો દૃષ્ટિકોણ કેટલે અંશે બદલાયો?-…આ બધા મુદ્દા પર ચિંતન કરવા જેવું છે. મંદિરોમાં આ સમસ્યાઓના સમાધાન માટે કોઈ નક્કર પ્રયાસો થતા હોય તો ઠીક છે, નહિતર કેવળ મોટાઈ માટે, લોકો પાસે પૈસા ઉઘરાવી, મફતમાં જમીન કે મટિરિયલ્સ મેળવી ઈમારત ઊભી કરવી બેકાર છે. એ માત્ર સ્થાપત્યનો નમૂનો બનશે, એથી વિશેષ કંઈ જ નહીં. આપણે ઈમારત નહીં, આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી છલકાતો માણસ અને એવો જ ગૌરવવંતો સમાજ ઊભો કરવાનો છે.

            મંદિરને પ્રદર્શનનો વિષય બનાવવાને બદલે મંદિર વિષે વિશિષ્ટ ભાવ જાગૃત કરવાનો છે. ગામના લોકોએ સ્વેચ્છાએ કાઢેલી જગ્યા પર, ગામમાં શેઠ કે મજૂર કોઈ જાતના ભેદભાવ વગર શ્રમ કરી જમીન સમથળ કરે, કોઈ જાતની દિવાલ કે ધાબું સુદ્ધાં ભર્યા વગર ઘાસ, વેલાથી, વાંસ કે લાકડા (અથવા એંગલ)ના ટેકે ઊભા કરેલા મંદિરમાં આરસની જગ્યાએ લીંપણ હોય, ભવ્ય દેદિપ્યમાન મોંઘી મૂર્તિને બદલે કેવળ ફોટા હોય, મંદિરને તાળાં ન હોય, મંદિર ત્રણ બાહુથી ખુલ્લું હોય. દર વર્ષે પગારદાર પૂજારીને બદલે ગામના લોકો જ તેમના વારા પ્રમાણે મંદિરની સાફસૂફી, ફૂલોનો શણગાર (એ જ પૂજા!) કરે, સાંજે સૌ સાથે મળી પ્રાર્થના કરે, કોઈના જીવનમાં આવેલી સમસ્યા જાણીને તેને હૂંફ આપે તેમના માર્ગદર્શક બને. કોઈના ઓશિયાળા થયા વગર ગામની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે સૌ સાથે મળીને પુરુષાર્થ કરે. ભગવાનને પ્રિય એવા, માનવ્યને ઊંચું લાવનારા, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય તેવા તેજસ્વી વિચારોનો સ્વાધ્યાય થાય. પરસ્પર સ્નેહભાવ વધે, પરમેશ્વરના આશીર્વાદ મળે તેવા સત્કાર્યોનું આયોજન થાય અને સમગ્ર ગામ એક કુટુંબની જેમ વર્તે. એ જોઈ ભગવાનનું હૈયું પણ હરખાય અને તેને અહીં વસવાનું મન થાય. ટૂંકમાં કહીએ તો મંદિરો ગામના સોસિઓ- ઈકોનોમિક પ્રોબ્લેમ્સ દૂર કરનારા કેન્દ્રો બને. . આ માત્ર કલ્પના નથી, એવા કૂટિર મંદિરોના સંનિષ્ઠ અને સફળ પ્રયત્નો થઈ ચૂક્યા છે. આપણો આખો દેશ મંદિરોની ઈમારતો (દહેરાંથી) ઊભરાય છે, નવી ઈમારતોની કોઈ જરૂર જ નથી; જો સાચે જ કોઈ જરૂરત હોય તો તે છે મંદિર પાછળ રહેલ ભાવનાનો જીર્ણોદ્ધાર કરવાની.

લેખક- સર્જક: પરભુભાઈ એસ. મિસ્ત્રી

૫૪- શ્રી રામનગર સોસાયટી.

કબીલોર, ગ્રીડ, નવસારી

પીન- 396424

સંપર્ક: 02637-236312 મો. 9327431312

email- parbhubhai@gmail.com

ભટકતી ટપાલની સદ્ ગતિ!

postal

જયાભાદુરીની ઉપહાર ફિલ્મ જેમણે જોઈ હશે તેમને એક દૃશ્ય તો અચૂક યાદ રહી ગયું હશે; અભણ જેવી બાલિકાબધૂ બહારગામ નોકરી અર્થે ગયેલા તેના શિક્ષિત પતિને એક ચિઠ્ઠી લખીને જીભની લાળ વડે પરબિડિયું બંધ કર્યા પછી પૂરેપૂરું નામ સરનામું લખવાને બદલે માત્ર પતિનું નામ જ લખે છે અને ટપાલબોક્ષમાં નાંખી આવે છે! આ જોઈને પ્રેક્ષકોને રમુજ થાય છે. કેટલી અબૂધ અને ભોળી છોકરી છે! પણ એય એક જમાનો હતો. પત્ર લખવાનો એ રોમાંચ અદભૂત હતો. પ્રિયજનને પત્ર લખવા કાગળ અને પેન હાથમાં તો લઈએ, પણ શરૂઆત ક્યાંથી કરવી, સંબોધન શું કરવુ, હૈયાની વાત અક્ષરમાં કેવી રીતે ઉતારવી, કંઈ સૂઝે નહીં અને કોઈને પૂછાય પણ નહીં! પછી સાહસ કરીને, જેવું આવડે તેવું લખી તો કાઢીએ પણ મનને સંતોષ થાય નહીં! લખ્યા પછી કેટલાય કાગળ ફાડી નાંખવામાં આવે; છેલ્લે જે દસ્તાવેજ (પ્રેમનો!) તૈયાર થાય તેય કેટલી બધી વાર વાંચ્યા કરીએ. ઝટ ટપાલપેટીમાં નાંખી આવવાનું મન પણ ન થાય. અક્ષરે અક્ષરે પ્રેમ નીતરે અને શબ્દે શબ્દે હૈયું પ્રગટે! જાત જાતના ચિત્રો સહિત અવનવી શૈલીમાં પત્ર લખાય. લાગણીના પૂરમાં બુદ્ધિ તણાતી હોય એવો એ અનુપમ અનુભવ! અલ્પશિક્ષિતો તો ઠીક, શિક્ષિતો પણ પ્રેમના નશામાં એવી ભૂલ કરી બેસે કે એ પત્રને ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં ટપાલખાતાને નવનેજાં પાણી ઉતરે! બધ્ધું લખીએ પણ સરનામું જ ન લખીએ તો શું થાય!

ફિલ્મની માત્ર કલ્પના જ નહીં, પણ જીવનની આ નરી વાસ્તવિકતા હતી અને એને ઝાઝો વખતેય નથી થયો. હજી ગઈ કાલની, એટલે કે ગયા ત્રણ ચાર દસકાની જ તો વાત છે. અંગત પત્રોમાં શું લખેલું હશે, તે જાણવાની ઉત્સુકતા પત્રના પ્રાપ્તકર્તા કરતાંય અન્યોને વધારે હોય! પત્ર ફૂટી જાય તો પોતાનો પ્રેમ જાહેર થઈ જાય. જાહેર થઈ ગયેલો પ્રેમ વખોડાય અને ઈજ્જતના કાંકરા થઈ જાય, એટલે કેટલાક લોકો પત્રને મથાળે સૂચના મૂકે, ‘માલિક સિવાય ખોલશો નહીં!‘ એવી સૂચના મૂકવાથી કંઈ સલામતી પ્રાપ્ત નથી થઈ જતી. ઊલટાનું, જેના હાથમાં એ પત્ર આવે તેની ઉત્સુકતા ઓર વધી જાય; તે એવી સિફતથી પત્ર ફોડે, વાંચે અને ફરીથી ચોંટાડી દે કે કોઈને અણસાર પણ ના આવે. લોકોના પત્રો ફોડીને રહસ્ય જાણી લેવાનોય કેટલાક લોકોને ઉન્માદ હોય છે! જાણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધાનો છૂપો આનંદ માણતા હોય તેટલો મલકાટ તેમના ચહેરા પર છાનો નથી રહેતો.

પરંતુ, આજે આપણે એ વિષય પર વાત કરવી છે કે અધૂરા અને વણઉકેલાયેલ સરનામાવાળા પત્રોનું શું થતું હશે, તેને કેવી રીતે યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં આવતા હશે, અગર કેવી રીતે ઠેકાણે પાડવામાં આવતા હશે! નિશાળમાં તો શીખવવામાં આવે જ છે કે, પત્ર લખતી વેળા જમણા ખૂણે લખનારનું પૂરું નામ , ઘર નંબર, મહોલ્લો, ગામનું  નામ, તાલુકો, જિલ્લો અને પીન અવશ્ય લખવા. ત્યારબાદ તારીખ લખીને ડાબી તરફ પત્ર જેને લખાયો છે તેને માટે યોગ્ય સંબોધન અને ત્યારબાદ પત્ર લખવાનું પ્રયોજન યોગ્ય ભાષામાં મુદ્દાસર લખી, પત્ર પૂરો કરીને પરબિડિયા પર સારા અક્ષરે પ્રાપ્તકર્તાનું તથા પત્ર મોકલનારનું નામ અને પૂરું સરનામું લખીને પછી જ પત્ર પોસ્ટ કરવો. જેથી તે પત્ર યોગ્ય વ્યક્તિને પહોંચે અથવા કોઈ સંજોગોમાં વ્યક્તિ ન મળે તો લખનારને પરત થાય; પત્ર રઝળે નહીં. કેટલાક અણવીતરા લોકોની ગણતરી એવી હોય કે જરૂર કરતાં ઓછી કીંમતની ટિકિટ લગાડી હોય તો ‘નોટ પેઈડ‘નો થપ્પો લગાડીને પેનલ્ટી વસુલ કરવા ટપાલખાતું તે પત્ર અચૂક પહોંચાડે!

આર.એલ.ઓ. એટલે કે રિટર્ન લેટર્સ ઓફિસ નામના કાર્યાલયમાં અધૂરા અથવા વિચિત્ર સરનામાવાળા પત્રો એકઠા થાય છે. આ ખાતામાં એવા તાલીમબદ્ધ લોકો હોય છે, જેઓ જટિલ પત્રો જોઈને જ પામી જાય છે કે એને ઠેકાણા સુધી કેવી રીતે પહોંચાડવાનો છે. તેઓ ભણેલા-ગણેલા તથા અભણોની તમામ પ્રવૃત્તિઓ, તમામ પ્રાદેશિક ભાષાઓના શિખાઉ લોકોની ચાલુ ભાષાને બહુ નજીકથી સમજે છે. સરનામું જ નહીં લખ્યું હોય એને વાંચીને પત્ર મોકલનાર કે પ્રાપ્ત કરનારની વિગતો જાણવા તેઓ અનુમાનો કરે છે, પોતાના તરફથી શક્ય તમામ પ્રયત્નો કરી લીધા બાદ જ તે કચરાપેટીમાં જાય છે. આ કામમાં ઘણીવાર તો ચિઠ્ઠી ખોલીને વાંચવાની મજબૂરી પણ આવી જાય છે. તાર ટપાલ ખાતાના મહાનિર્દેશક રહી ચૂકેલા જાફ્રે ક્લાર્કનું પુસ્તક ‘પોસ્ટઓફિસ ઓફ ઈન્ડિયા‘માં અનોખા સંબોધનોવાળા તમામ પત્રોના ઉદાહરણ જોવા મળે છે. એમાં પરમ પૂજ્ય, શ્રદ્ધેય અને પ્રાત:સ્મરણીયથી માંડીને કોણ જાણે કેટલાયે સંબોધનો તો થતા હતા, પણ સરનામું જ નહોતા લખતા.એક ધ્યાનાકર્ષક પત્ર પર સરનામું નીચે મુજબ લખેલું હતું:

પ્રતિ શ્રી, 2,12,22-1-18-13-1

3-15,19-8-1-14-20-9-4-25-1,13-1-14-9-9-18

22,16,18-21-14-4-1-12

22-9-1,13-1-14-16-21-18-1

4-9-19-19-21,10-1-9-16-21-18(18-1-10)

અનુભવી કર્મચારી એચ.એમ.અન્સારીએ એની સાંકેતિક ભાષાને તોડીને એ સરનામું શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી. અંગ્રેજી વર્ણમાળાના 1 થી લઈ 26 સુધીના સંખ્યાને ક્રમ આપીને અંકલિપિની મદદથી એ જ દિવસે પત્રને એ સરનામે પહોંચાડી દીધો. એના પર રિમાર્ક કરેલું હતું; અનુવાદિત (ટ્રાન્સલેટેડ)

સેવામાં, બી. એલ. વર્મા, દ્વારા- શાં વિદ્યામંદિર, મુ. પો. રીદાલ,  જિલ્લા- જયપુર (રાજસ્થાન)

પ્રખ્યાત ડોગરી લેખક અને ભારતીય તાર-ટપાલ બોર્ડના સભ્ય જેવા મહત્ત્વના હોદ્દા પર રહી ચૂકેલા શ્રી શિવનાથે પોતાની નોકરી દરમિયાન અનોખા સરનામાથી લખેલા પત્રો જોયા હતા. જેવા કે- ૧.પૂજ્ય ભાઈસાહેબના ચરણોમાં ૨. શાસ્વત શ્રી સર્વ ઉપમા યોગ્ય સકલ ગુણ નિધાન પંડિત શ્રીયૂત શુક્લ સાહેબ બહોરને રામ.

એવી રીતે એક પત્રમાં લાલ ગોળો બનાવીને, પાન દરીબા નવી દિલ્હી લખેલું હતું. કુશળ ટપાલીની સમજમાં આવી ગયું કે આ પત્ર દરીબાના છેદીલાલ પાનવાળાનો હોઈ શકે છે. છેવટે તે જ પ્રાપ્તકર્તા નીકળ્યો. ગામડે રહેતી એની પત્નીએ તે લખ્યો હતો. એકવાર કલકત્તાની જીપીઓમાં એક પત્ર આવ્યો જેના પર સરનામાની જગ્યાએ વાયોલીનનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. ખૂબ માથાઝિંક કર્યા પછી પણ કંઈ ન વળ્યું એટલે કલકત્તા આર.એલ.ઓ. માં મોકલવામાં આવ્યો. મગજની ઘણી બધી નસ ખેંચી જોયા પછી પછી એ પત્ર બેહલા (બંગાળીમાં વાયોલિનને બેહલા જ કહે છે) પોસ્ટ ઓફિસ મોકલવામાં આવ્યો., જ્યાં સંબંધિત વ્યક્તિ સુધી પહોંચાડવામાં સફળતા મળી

કાનપુરના એન.આર.સેનના નામે ૧૪ જૂન ૧૯૬૩ના રોજ લખાયેલ પત્ર પહોંચાડવામાં આવ્યો તેના પર એડ્રેસ હતું:  આર સ્નેહ, ૬૪-૬૫ કોર્ટ મહેલ, કાનપુર. પણ એનું સાચું સરનામું હતું: એન.આર. સેન, ૬૫-૬૪ મોતી મહેલ, કાનપુર! એ પત્ર કાઠગોદામથી માંડી દેશના તમામ ભાગોમાં સફર કરતો કરતો ૧૨ ઓગસ્ટના રોજ પહોંચી ગયો. શ્રી સેને એ માટે ટપાલ ખાતાનો લેખિત આભાર માન્યો. કુરિઅરવાળા આવી સેવા આપી શકે ખરા?

બલિયાથી શ્રીમતી ધન્નોદેવી નામની મહિલાએ મુંબઈ માટે એક પત્ર મોકલતી વેળાએ પત્રની ઉપર એક ધમકી પણ લખી હતી કે મુન્નાના બાપા સિવાય જે કોઈ ખોલશે તેને સો ગૌહત્યાનું પાપ લાગશે! એ પત્રને આ સરનામે રવાના કરાયો હતો:

રાજકુમાર મિશિર, મુંબઈનીચાલમાં, મોટા દેવળની પાછળ, કંદોઈની દુકાનની બાજુમાં પાનની દુકાને પહોંચે અને મુન્નાના બાપાને હાથોહાથ આપવામાં આવે.

એ જ રીતે અન્ય એક પત્ર આ સરનામે લખવામાં આવ્યો: જોગબાનીથી ધન્જુરામ થાપા. પત્ર અલ્હાબાદ બેંકમાં જઈને ધનીરામ થાપા ચોકીદારને મળે. અત્યંત જરૂરી.

આજે સાક્ષરતા વધી હોવા છતાં, ૨૦૦૩-૦૪ના રેકર્ડ મુજબ આર.એલ.ઓ.ની એકલી કલકત્તા કચેરીમાં ૩૪.૩૭ લાખ પત્રો આવ્યા જેમાંથી માત્ર ૧.૨૭ લાખ મૃત જાહેર થયા બાકીનાને પહોંચાડવામાં આવ્યા અગર લખનારને પરત કરવામાં આવ્યા.આ બધું છતાં, વાર્ષિક સરેરાશ અઢી કરોડ પત્રો આર.એલ.ઓ પહોંચાડાય છે તે બતાવે છે કે આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. ટપાલખાતાની નિષ્ઠાને સલામ.

માનવીના જીવનમાં બળ્યું છે શું?

                                

પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતાં ન માછલી સ્વીમીંગપુલ જાતી,

ખુશ્બુએ વાયરાનું ટ્યૂશન ક્યાં રાખ્યું છે, તો પણ એ કેવી ફેલાતી.

ભમરો વિશારદ નથી તોય ગાય, કહે ફૂલોને કાનમાં પતંગિયાં,

બેટરીનું સાદું વિજ્ઞાન નથી જાણતાં, તો પણ ચમકે શું આગિયા.

ઝરણાં એ પૂછીને ભુસ્કો ન મારતાં, કેટલીક મળવાની ખ્યાતિ,

ઝાડવાંઓ યોગાસન શીખ્યાં જ નથી, છતાં ઊભાં અઠંગ એક ચરણે.

કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે, કોણ મારી દીકરીને પરણે.

ઈર્ષ્યા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે એ લોકો એમની હયાતિ.

પર્વત પણ બી.એ.બી.એડ. નથી તોય એની વાદળ સુધીની છે પહોંચ.

માણસ  શું શીખ્યા કે માણસાઈ લંગડાતી, મનમાં પહેરી જાણે મોચ.

આપણને નહીં, એ લોકોને જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી.

ઈડરે ગુજરાતને આપ્યા એક કવિ – મનિષી શ્રી ઉમાશંકર જોષી અને બીજા  કવિ મુકેશ જોશી. મુકેશ જોશીની કવિતા ઉપર લખી તેવી રમતિયાળ હોય છે, પણ હળવાશભરી ટકોર કરીને આપણા ચિત્તમાં ચિંતનના વમળો સર્જી જાય છે. શબ્દોનું સૌન્દર્ય માણી લીધા પછી એનો મર્મ પામવાનો પ્રયત્ન કરીએ ત્યારે હૈયામાં વેદનાની ટીસ ઊઠી આવે છે. સ્પિરીટ લગાડ્યા પછી ઈન્જેક્શનનો આછેરો ડંખ લાગે તેનો આપણને અનુભવ છે. એક્ઝેટલી, એ જ રીતે મુ. જો.ની રચના પણ આપણને ઝીણું ઝીણું, મીઠું મીઠું દર્દ આપી જતી હોય છે.

શિક્ષણનો એક પણ શબ્દ લખ્યા વગર આપણી નિષ્ફળ નીવડેલી શૈક્ષણિક નીતિ પર એમણે વેધક કટાક્ષ કર્યો છે. આમ તો આપણે સમજતા આવ્યા છીએ કે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે માનવ. સૃષ્ટિનું સર્જન કરતા કરતા ભગવાનને પણ થાક લાગ્યો હશે એટલે પોતાની જ પ્રતિકૃતિ જેવા મનુષ્યનું સર્જન કરીને હાશ અનુભવી કે હવે પછી મારું કામ મારું લાડકું સંતાન, સંભાળી લેશે. પરંતુ, આપણી જેમ ભગવાનની આશા પણ ઠગારી નીવડી! લાડકા લોકો જ હંમેશાં વધારે પીડા આપતા હોય છે. પ્રકૃતિને જાળવવાની અને એને સુશોભિત રાખવાની અપેક્ષા જેની પાસેથી રાખી હતી, તે માણસે જ પ્રકૃતિનો વિનાશ કરી નાંખ્યો. દીકરો કપૂત નીવડે તેની વ્યથા કેવી હોય તેની ઈશ્વરને પણ સમજ પડવા લાગી હશે. કવિ જ્યારે એમ લખે કે, ‘આપણને નહીં, એ લોકોને (નિર્દોષ જીવ જંતુને) જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી‘, ત્યારે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોવાનો અને બુદ્ધિમાન હોવાનો દાવો કરનાર માનવ ભોંઠો પડી જાય તેમ છે.

માણસ બુદ્ધિશાળી હોવાથી ડગલે ને પગલે ફાયદાની ગણતરીઓ માંડતો જાય છે. બાળક જન્મે ત્યારથી એને કેળવવા માટે કેટ કેટલાંય  આયોજનો કરે છે. પ્લેગૃપથી શરૂ કરી નર્સરી, પ્રાયમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, હજારો જાતના ડિપ્લોમા અને સેંકડો પ્રકારની ઉપાધિ અને મહાઉપાધિઓ! સંગીત અને નૃત્ય તેમજ જીમ, સ્વિમીંગ, કરાટે, યોગાસન અને વ્યક્તિત્વ વિકાસના વર્ગો. અગણિત પ્રકારના વર્ગો ભર્યા પછી પણ માનવતા તો લંગડાતી જ રહી ગઈ છે. જિંદગીના અણમોલ વર્ષો અને ધૂમ નાણાં ખર્ચ્યા પછી પણ માણસમાં માણસાઈ આવતી નથી. માણસાઈ કેળવવાની વાત તો દૂર રહી, ઉલટાંનું ઊચ્ચ શિક્ષણ મેળવીને માણસાઈ ગુમાવવાની કટ્ટર હરિફાઈનો યુગ જાણે માનવસમાજમાં ચાલી રહ્યો છે. ‘માણસની ડિગ્રી જેટલી ઊંચી તેટલો તે વધારે ભયાનક!‘ એ સત્ય સાબિત કરવું પડે તેમ નથી. આ દેશને અભણોએ નથી લૂંટ્યો તેટલો ભણેલા લોકોએ લૂંટ્યો છે. સૃષ્ટિનો શણગાર બનવાની જવાબદારી ઈશ્વરે જેના માથે નાંખી હતી, તે માણસે જ સૃષ્ટિની ઘોર ખોદી છે. માણસ પ્રકૃતિને જરાયે વફાદાર રહ્યો નથી, આદમીસે જાનવર જ્યાદા વફાદાર હૈ!

કોઈપણ જમાના કરતાં આજે શિક્ષણ વધ્યું છે, દિવસે દિવસે શિક્ષણ મોંઘું બનતું જાય છે તેમ છતાં, શિક્ષણનો ક્રેઝ વધતો જાય છે. તકલીફ એટલી જ છે કે, શિક્ષણનો કોઈ વિશેષ પ્રભાવ માણસના જીવન પર દેખાતો નથી. ભણેલા અને અભણ, અગર ઉચ્ચ શિક્ષિત અને અલ્પ શિક્ષિત વ્યક્તિની જીવન શૈલી કે માનસિકતા વચ્ચે કોઈ તફાવત દૃષ્ટિગોચર  થતો નથી. આજે જે કંઈ શિક્ષણ લેવામાં આવે છે તેનો એકમાત્ર હેતુ વધુમાં વધુ દ્રવ્યપ્રાપ્તિનો છે. કયા અભ્યાસક્રમાં જવાથી નોકરી જલદી મળી જાય તેમ છે, કઈ લાઈનમાં જવાથી વધારે ધનપ્રાપ્તિ થઈ શકે તેમ છે, કયો હોદ્દો અગર વ્યવસાય સૌથી વધારે પૈસા અને પ્રતિષ્ઠા મેળવી આપે તેમ છે, તેને ખ્યાલમાં રાખીને માણસ સમયનું અને પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરે છે! આજનું શિક્ષણ એની દિશા ગુમાવી ચૂક્યું છે. શિક્ષણ એ ચોખ્ખેચોખ્ખો ધંધો બની ગયું છે. કોઈ પણ મિશન જ્યારે ધંધો બની જાય ત્યારે તેમાં ધંધાના તમામ અપલક્ષણો આપોઆપ આવી જાય છે. સારા માણસ બનવા માટે ભણવું જોઈએ, એ હેતુ હવે ભણનાર બાળક કે તેના પાલકનો રહ્યો નથી. મા બાપ એવું ઈચ્છે છે કે, પોતાનું બાળક ઊચ્ચ પદવી મેળવીને વધારેમાં વધારે ધન કમાય. સારા માણસો – જવાબદાર નાગરિકો તૈયાર કરવા માટે  ભણાવવું જોઈએ એ હેતુ શિક્ષકનો પણ રહ્યો નથી. શિક્ષક ભણાવે છે આજીવિકા માટે. શિક્ષકના વ્યવસાય કરતાં અન્યત્ર વધારે કમાણીની તક મળે તો શિક્ષકત્વને છોડતાં જરાયે વાર નહીં લાગે! સંચાલકો શાળા કોલેજો ખોલે છે તે વિદ્યાપ્રેમને કારણે નહીં પણ અધિક કમાણીને માટે. (કેટલાંક સુખદ અપવાદો પણ છે.) બાળક, પાલક, શિક્ષક અને સંચાલકોનો શિક્ષણ પાછળનો હેતુ જ ઉમદા ન હોય તો શિક્ષણ અવગતે જ જાય, તેમાં કોઈ સંશય રહેતો નથી. વિદ્વાન અને લોકપ્રિય ચિંતક ડો. ગુણવંત શાહે લખ્યું છે કે શિક્ષણનો મેરુદંડ જ સડી ગયો છે. સત્ય તો એ છે કે વધારે ધન કમાવા માટે જિંદગીના મૂયવાન એવા આટલા બધા વરસો અને પૈસા બગાડવાની જરૂર જ નથી. અભણો અથવા અલ્પશિક્ષિતો, ભણેલા માણસો કરતાં વધારે કમાતા હોય એવા દાખલા શોધવા બહુ મહેનત કરવી પડે તેમ નથી. સમાજમાં અગણિત મનુષ્યો એવા મળી આવશે, જેમણે શાળામાં બહુ થોડું ભણતર લીધું હોય તેમ છતાં વધારે ધન, પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કર્યાં હોય. હમણાં જ પ્રગટ થયેલો એક સર્વે એવું જાહેર કરે છે કે સુડતાલીસ ટકા ગ્રેજ્યુએટો કોઈ પણ જાતનું કામ કરવાની પાત્રતા ધરાવતા નથી.

પેટ ભરવા માટે જ જો ભણવા જવાનું હોય તો જાનવરો આપણાં કરતાં શ્રેષ્ઠ ગણાય. પોતાનો ખોરાક એ પોતાની મેળે ગમે ત્યાંથી મેળવી લે છે એ શીખવા માટે કોઈ વર્ગો ભરવા ક્યાંય જવું પડયું નથી. આપણે મનુષ્યો જિંદગીનો લગભગ ત્રીજો ભાગ ભણવામાં ખર્ચી નાંખતા હોવા છતાં નોકરી ન મળ્યાનો કે જેવી જોઈતી હતી તેવી નોકરી ન મળ્યાનો અસંતોષ અને સંતાપ લઈને જીવીએ છીએ. જીવનમાં આપણી અપેક્ષા મુજબનું પરિણામ ન આવતાં આપણે બહુ જલદી હતાશ થઈ જઈએ છીએ. પરીક્ષામાં સારું ન લખી શકાવાથી, બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સારું ન આવવાથી, પ્રેમી કે પ્રેમિકાએ વિશ્વાસઘાત કર્યો હોવાથી, નોકરીમાં પ્રમોશન ન મળવાથી આત્મહત્યા કરનારાઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડી સંશોધકો- વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખુમારીભેર ટકી રહેવાનું કે પરિસ્થિતિનો અડગતાથી સામનો કરવાની તાકાત આપવામાં આજનું શિક્ષણ નિષ્ફળ ગયું છે. આજનું શિક્ષણ સારા ટેકનિશ્યન પેદા કરી શકે છે, તેને માટે જરૂરિયાત મુજબ રોજ ‘સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થા‘ નામના નવા નવા કારખાના અને લારી ગલ્લા ખુલતા જાય છે; પણ આત્મસન્માન, આત્મગૌરવ, પરસન્માન-પરગૌરવ અને આત્મ પ્રત્યય ધરાવતા શ્રેષ્ઠ માણસો તૈયાર થતા નથી. અભ્યાસક્રમનો એ વિષય જ રહ્યો નથી કારણ કે શિક્ષણનો સમગ્ર દોર શિક્ષણશાસ્ત્રીઓને બદલે ઉદ્યોગપતિઓના હાથમાં ચાલ્યો ગયો છે. બીજાની અગવડનો મારે કેવી રીતે લાભ લેવો, શું કરવાથી બીજાના પૈસા મારા ગજવામાં આવે, બીજાની પત્ની કે પ્રેમિકાને હું કેવી રીતે મારી કરી શકું એવી બેશરમ વૃત્તિ ધરાવતો સમાજ તૈયાર થઈ રહ્યો છે અને સજ્જનો માથે હાથ દઈને બેઠા છે; એ આપણા સમાજની કરુણતા છે.

કવિ કહે છે તેમ, ‘કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે, કોણ મારી દીકરીને પરણે?  ઈર્ષ્યા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે એ લોકો એમની હયાતિ!‘ – આપણી જિંદગીમાં ગૌરવ લેવા જેવું શું છે?  ઈર્ષ્યા આવે એવી જિંદગી તો કૃમિ કીટકોની છે. સાચું જ કહ્યું છે, ‘આપણને નહીં, એ લોકોને જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી.‘

જ્ઞાતિ પરંપરા અને જ્ઞાતિપંચોની બદલાતી જતી ભૂમિકા

          વ્યક્તિ એ સમાજરચનાનું સૌથી નાનું એકમ છે. તેનાથી આગળનું એકમ એટલે  કુટુંબ. કુટુંબમાં એક અથવા  એક કરતાં વધારે વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે. ઘણાં કુટુંબો મળીને એક મહોલ્લો, શેરી અથવા સહકારી સોસાયટી બને છે. ઘણાં મહોલ્લા મળીને એક વૉર્ડ કે એક ગામ બને છે. ઘણાં ગામો મળીને તાલુકો, ઘણા તાલુકા મળીને જિલ્લો અને એ રીતે રાજ્ય અને દેશ બને છે. વહીવટ ચલાવવા માટે સમાજના વિવિધ ઘટકોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. કોઈ પણ યોજનાનો અમલ કરવો હોય તો શાસકો સીધા વ્યક્તિ સુધી નથી પહોંચી શકતા. વહીવટીતંત્રમાં ઉપરથી નીચે જવા કે નીચેથી ઉપર સુધી પહોંચવા માટે વિવિધ પગથિયાં પસાર કરવા પડે છે.

         ભારતીય સમાજ અનેક જ્ઞાતિ સમૂહોમાં વહેંચાયેલો છે. દરેક જ્ઞાતિના લોકોની આજીવિકાના સાધનો અલગ અને જીવનશૈલી પણ અલગ. એમના રિવાજો અલગ તેમ વાણી વ્યવહાર અને વિચારસરણી પણ ભિન્ન. વ્યવસાયની અસરને કારણે સ્વભાવમાં પણ વૈવિધ્ય જોવા મળે. પ્રત્યેક જ્ઞાતિની ઓળખ માટે આપણે ત્યાં વિપુલ માત્રામાં કહેવતો પ્રચલિત થયેલી છે; જેમાં એમના ધંધાના લક્ષણોનો પ્રભાવ ચોખ્ખો વર્તાઈ આવે છે. દરેક સમુદાયના લોકોમાં ગુણ- અવગુણ તો હોવાના જ તેથી જાતિ વિષયક કહેવતોમાં જ્ઞાતિવિશેષ ગુણોની સાથે જ્ઞાતિના અપલક્ષણોનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે! વાણિયા, બ્રાહ્મણ, દેસાઈ, પાટીદાર, સોની, સુથાર, લુહાર, દરજી… વગેરે જ્ઞાતિના લોકો એક સમૂહમાં સાથે રહેતા. એટલે જ તો જૂનાં ગામડાં અને નગરો વાણિયાશેરી, દેસાઈવાડ, બ્રાહ્મણ મહોલ્લો, કુંભારવાડ, સુથારવાડ, દરજીફળિયુ, કોળીવાડ, હળપતિવાસ, હરિજનવાસ, નાયકીવાડ, ઢોડિયાવાડ, ખત્રીવાડ, ઘાંચીશેરી, ગોલવાડ વગેરેમાં વિભાજિત થયેલાં જોવા મળે છે. દરેક જ્ઞાતિના લોકો પરસ્પર અવલંબિત હતા અને તે સૌ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો પણ હતા. પ્રત્યેકનું મહત્ત્વ હતું. પ્રત્યેક જ્ઞાતિ સમુદાયના વણલિખિત કાયદાઓ હતા અને જ્ઞાતિપંચના વડાઓનું સમગ્ર જ્ઞાતિ પર આધિપત્ય રહેતું. ‘પંચ કહે તે પરમેશ્વર‘ નો એ જમાનો હતો. નાના મોટા ઝગડાની પતાવટ પંચ દ્વારા જ થતી. જ્ઞાતિના ધારાનો ભંગ કરનારને દંડ કે પછી નાત બહાર મૂકવા જેવા આકરા પગલાં પણ જ્ઞાતિપંચો ફરમાવતા અને તેનો ચુસ્તપણે અમલ થતો. ભક્ત કવિ નરસિંહ મહેતાને, વીર કવિ નર્મદને કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પણ નાતના સખત કાયદાનો કડવો અનુભવ થયેલો. આદિ શંકરાચાર્ય અને સંત જ્ઞાનેશ્વરના પિતાનો તેમની નાતે બહિષ્કાર કરેલો. આ થઈ જ્ઞાતિપંચોના ઈતિહાસની આછેરી ઝલક.

       આઝાદી મળી અને દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ્ઞાતિપંચના વડાઓનો પ્રભાવ પણ ઓસરવા લાગ્યો. તાનાશાહી ગઈ અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતપોતાના સમુદાયને પ્રગતિના પંથે દોરવાનો માર્ગ ખુલ્લો થયો. કુરિવાજો સામે મેદાને પડનાર સુધારાવાદી લોકોને કાયદાની ઓથ મળી. ‘નાત બહાર‘ મૂકીને જ્ઞાતિજનને પજવવાનું શસ્ત્ર હવે રહ્યું નહીં. (કમનસીબે અમુક યુનિયનોમાં પોતાના જ મેમ્બરોનો બૉયકોટ કરવારૂપ એ  હથિયાર હજી અસ્તિત્વમાં છે.) આર્થિક રીતે સધ્ધર અને સુશિક્ષિત એવી ઊંચી ગણાતી આવેલી જ્ઞાતિઓએ  જ્ઞાતિજનોના વિકાસ માટે ઝડપભેર પ્રગતિશીલ પગલાં ભરવા માંડ્યા. સામાજિક પ્રસંગે રસોઈના સાધનો કે મંડપનો સામાન રાખવા માટે તૈયાર કરેલા મકાનોને સ્થાને નવી નવી વાડીઓ અસ્તિત્વમાં આવવા માંડી. એ વાડીઓમાં એક તરફ અપરિણીત યુવક યુવતિઓના પરિચય મેળાઓ યોજાવા લાગ્યા તો બીજી તરફ બાળકોના સંસ્કાર ઘડતર માટેની પ્રવૃત્તિઓ, બહેનોને પગભર કરવા માટે રોજગારલક્ષી પ્રકલ્પો અને જ્ઞાતિના યુવાવર્ગને શિક્ષણની સવલતો, માર્ગદર્શન અને જરૂરી તમામ સહાયો મળી રહે તે માટેના આયોજનો થવા લાગ્યા. નાના બાળકોથી માંડીને પ્રૌઢો સુધી તમામને તેમની સિદ્ધિ બદલ  અભિવાદન, પ્રોત્સાહન અને હૂંફ મળે એવા કાર્યક્રમો થવા માંડ્યા. સમાજના લોકોને શુદ્ધ સાત્વિક મનોરંજનની સાથોસાથ જીવનલક્ષી વિચારો મળે એ માટે વિદ્વાનોના પ્રવચનો પણ ગોઠવાવા લાગ્યા. વ્યક્તિ અને જ્ઞાતિસમાજ વચ્ચેનો નાળસંબંધ હકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ બન્યો. દીર્ઘદૃષ્ટિવાળા આગેવાનોના નેતૃત્વ હેઠળ જૂનવાણી વિચારધારાથી મુક્ત થઈને નવી દિશા તરફ ડગ મંડાયા.

       આર્થિક રીતે સદ્ધર એવા જ્ઞાતિ સમાજોના દૃષ્ટિવંત આગેવાનોએ શિક્ષણક્ષેત્રે પણ પ્રગતિશીલ કદમો ભર્યા. ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટે ખાનગી નિવાસી શાળાઓ પણ ચાલુ કરી. પોતાના સમાજને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થાય, શરીર અને મનથી ખડતલ બને, બૌદ્ધિક વિકાસ થાય એ માટે સતત ચિંતન કરીને તમામ સવલતો પૂરી પાડવાનો તેમનો અભિગમ અન્યો માટે પણ પ્રેરણાદાયી રહ્યો. સામાજિક સુધારા માટે પણ જ્ઞાતિસમાજો ઘણી ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. વ્યક્તિગત રીતે માણસ ગમે તેટલો સુધારાવાદી અભિગમ ધરાવતો હોય, પણ સુધારાને અમલમાં મૂકવા આડે અનેક અવરોધો આવતા હોય છે, જ્યારે જ્ઞાતિ-સમાજ પોતે સુધારાવાદી ચળવળ ચલાવતો હોય ત્યારે તે જ કામ સરળ બની જાય છે. સૂરતના પાટીદાર સમાજે ભ્રૂણહત્યા ના વિરોધમાં જબરદસ્ત આંદોલન સફળતાપૂર્વક ચલાવ્યું અને બેટી બચાવ ચળવળને વેગવંતી બનાવી. સમૂહલગ્નો કરી વેડફાતી સંપત્તિ અને સમય તો બચાવ્યા જ, પણ તેની સાથે ગરીબ પરિવારોને મજબૂત આધાર પણ આપ્યો. પતિ-પત્ની વચ્ચે  મનમેળ હોય તેટલું પૂરતું નથી; સાસુ-વહુ અને દેરાણી જેઠાણી વચ્ચેના સંબંધો પણ સુમધુર રહેવા જોઈએ. લગ્નવિધિ પ્રસંગે અગ્નિની સાક્ષીએ ફરાતા ચોરીના ચાર ફેરા ઉપરાંત પાંચમો ફેરો બંને પક્ષના વડીલોએ પણ ફરીને તેમને પ્રતિજ્ઞાબદ્ધ થવાનો ચાલ શરૂ કર્યો. રસ્તાઓ ગમે તેટલા પહોળા કરવામાં આવે તોયે વધેલા વાહન વ્યવહારને લીધે ટ્રાફિક જામ થઈ જતો હોવાની સમસ્યાથી આપણે પરિચિત છીએ. તેમાંય વળી લગ્નસરા ચાલતી હોય ત્યારે તો ભાઈ, તોબા! ટ્રાફિક જામ થવાના સમયે જ વરઘોડો કાઢવાના માનસમાં પરિવર્તન લાવવાની કોઈનામાં તાકાત નથી. પણ પાટીદાર સમાજે એ દિશામાં પહેલ કરીને વરઘોડો કાઢવાનો રિવાજ બંધ કરી ટ્રાફિક જામનો ત્રાસ દૂર કર્યો એ બદલ એમને સલામ. આપણા સમાજમાં ઘણા બધા સુધારા કરવાનો સમય પાકી ગયો છે, માત્ર આલોચના કરતા બેસી રહેવાને બદલે ઠોસ પગલાં લેવાની જરૂર છે. સુધારાની વાત સમાજના લોકોને ગળે ઉતારી શકે એવા પ્રતિષ્ઠિત અને હિંમતવાન આગેવાનોની આવશ્યકતા છે. ‘જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધારા કરો નહીં તો મરો‘ . જૂનવાણી માનસ છોડ્યા વગર હવે ચાલવાનું નથી.

          જૂદી જૂદી જ્ઞાતિઓના મંડળો ઊભાં થતાં જાય છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓની જાહેરાત તથા અહેવાલો અખબારના પાના પર વાંચવા મળે છે. તેથી સમાજચિંતકોના મનમાં ક્યારેક શંકા પણ જાગે છે કે જ્ઞાતિવાદ ફરીથી વકરી તો નથી રહ્યો ને? ખરું જોતાં, પ્રજા હવે સમજતી થઈ છે કે પ્રગતિ કરવી હશે તો સંગઠન હોવું જરૂરી છે. અત્યાર સુધી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી ગયેલી જ્ઞાતિના વિચારશીલ લોકોને પણ સમજાયું છે કે જો સમાજનો વિકાસ કરવો હશે તો આત્મનિર્ભર બનવું પડશે. આપણો હાથ પકડીને કોઈ બીજો આપણને ઊંચે લાવશે, એવી ભ્રમણામાં જીવવાનો કોઈ અર્થ નથી. આપણો ઉદ્ધાર આપણે પોતે જ કરવો પડશે. કોઈના વિકાસની ઈર્ષ્યા કરીને મનમાં બળવાને બદલે વિકસિત જ્ઞાતિ-સમાજના ઈતિહાસ પરથી પ્રેરણા લઈ પોતપોતાના સમાજને ઉપર લઈ જવાની જરૂર છે. હવે ઊંચ નીચના ખ્યાલો રહ્યા નથી. વારસાગત વ્યવસાયોનો છેદ ઊડી ગયો છે. સૌને શિક્ષણ અને આજીવિકા પ્રાપ્ત થાય એ માટે સહચિંતન કરે, આર્થિક રીતે સમૃદ્ધ થવાના બહેતર વિકલ્પો શોધે, કુરિવાજોના સકંજામાંથી સમાજને છોડાવે તથા પોતાની શક્તિ અને સૂઝનો પ્રામાણિક રીતે ઉપયોગ કરે તો વિકાસને આડે આવે એવા કોઈ પ્રતિકૂળ સંજોગો હવે રહ્યા નથી. બીજાનું સારું જોઈને તેનું અનુકરણ કરવાની જરૂર છે.

         સમગ્ર સમાજનો વિકાસ કરવો હશે તો તમામ જ્ઞાતિ-સમાજો પોતપોતાની રીતે પ્રવૃત્ત બને એ જરૂરી છે. સંસ્કાર, શિક્ષણ, કુનેહ, બુદ્ધિમતા, શ્રેષ્ઠતા  અને વિકાસ પર કોઈ કોમ કે જ્ઞાતિનો ઈજારો નથી. સંકલ્પ મજબૂત હશે તો પ્રગતિ દૂર નથી. સંકુચિત જ્ઞાતિવાદમાંથી મુક્ત બની સમજણ અને સહકારથી વિકાસકૂચ કરવાનો માર્ગ અત્યંત સરળ બનતો જાય છે એ વીતેલા દસકાની ફળશ્રૂતિ નજરઅંદાજ કરવા જેવી નથી.

કરવા જઈએ કંસાર અને થઈ જાય થૂલી

              પીડિત, આફતગ્રસ્ત અને અભાવમાં જીવનારા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા વર્ષાવનાર સજ્જનોની કોઈ જમાનામાં ખોટ નથી પડી. રેલ, દુકાળ, ધરતીકંપ, અકસ્માત, રોગચાળો જેવી આપત્તિ આવી પડે ત્યારે સમાજના પરોપકારી માણસો મોકળા મનથી પોતાની સંપત્તિ, શક્તિ અને સમયનો વિનિયોગ કરીને દુ:ખીજનોની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે. કોઈ પ્રસિદ્ધિ, કદર કે ઈનામની અપેક્ષા વગર મૂંગે મોઢે કામ કરનારા અનેક લોકો અને સંસ્થાઓ સમાજમાં સક્રિય છે, એ આનંદ અને ગૌરવદાયી ઘટના છે. સરકાર કરતાંય આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમાજમાં ઘણાં કામો થતાં રહેલાં છે.

        શિયાળાની ઋતુમાં ધાબળાદાન, ઉનાળામાં શીતળ પેયજળ કે છાસકેન્દ્રો, વિદ્યાર્થીઓને નોટબુક, પુસ્તકો, અન્ય જરૂરી સ્ટેશનરી, બૂટ-ચંપલ, છત્રી, રેઈનકોટ વગેરે વહેંચવું એ પૂણ્યકાર્ય છે. રોટરી, લાયન્સ જેવી સેવાભાવી આંતર્રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચાલતા નેત્રયજ્ઞો, દંતયજ્ઞો કે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો દ્વારા જરૂરતમંદો માટે ઉપયોગી કામો થતાં રહેલાં છે. કેટલાક સેવાકાર્યોની જાણ દૈનિક અખબાર કે અન્ય સામયિકો દ્વારા આપણને થાય છે, તો કેટલાક સેવાકાર્યોની સુવાસ આપણને વિશ્વાસુ સજ્જનો દ્વારા મળે છે. આવું, ભલાઈનું કોઈ કામ આપણા હાથે પણ થવું જોઈએ અથવા એવી સંસ્થાઓ કે ગ્રુપ સાથે જોડાઈને આપણે પણ કંઈક યોગદાન આપવું જોઈએ એવી સદ્પ્રેરણા આપણા હૃદયમાં જાગે છે.

         પૂજા અને ધ્યાન તો ઘરમાં પણ થઈ શકે, એ માટે મંદિરોની કોઈ જરૂર નથી. મંદિરો ઊભા કરવા પાછળ કોઈ વિશિષ્ઠ અર્થ હોય તો તે એ  કે મંદિર એ ગામનું ભાવકેન્દ્ર અને સંસ્કારકેન્દ્ર બને. પરમ પિતા ઈશ્વરના અધ્યક્ષપણા હેઠળ ગામના સંચિતો ને વંચિતો ભેગા મળે. સંસ્કાર, સત્કાર્યો અને ગામની સુખાકારી માટેના ત્યાં આયોજનો થાય. ગામ કુટુંબભાવનાથી એકત્ર મળે. એકમેકના સુખ દુ:ખથી વાકેફ થાય અને અગવડ ટાણે એકબીજાને મદદરૂપ થાય. આવાં મંદિરો ગામમાં અવશ્ય હોવાં જઈએ. મંદિરો એ ગામના અર્થ-સામાજિક કેન્દ્રો બનવા જોઈએ. તો એ ગામની શોભા બની શકે. દેખાદેખીથી અથવા કોઈના મનમાં તરંગ આવે કે ગામમાં એકાદ મંદિર હોવું જોઈએ અને ભંડોળ ઉઘરાવીને સુંદર ઈમારત તૈયાર થઈ જાય. આરસની મનોહર મૂર્તિય આવી જાય, પણ પરિવારભાવનાથી ગામના લોકો ભગવાન પાસે બેસીને સત્કાર્યો કરતા ના હોય તો એવા મંદિરોનો કોઈ અર્થ નથી. માત્ર મંદિર બનાવવું એ કોઈ સત્કૃત્ય નથી. નિરંતર સત્કાર્યો ચાલતા રહેવા જોઈએ. આજે તો મંદિરો હાટ બનતા જાય છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને મંદિર વચ્ચેનું સામ્ય વધતું જાય છે.

         ગામમાં લાયબ્રેરી હોવી જોઈએ, જાહેર પુસ્તકાલયો એ તો જ્ઞાનની પરબ છે, પણ તે કોના માટે? કોઈ જ્ઞાનપિપાસુ હોય તેના માટે. કમનસીબે, એવાં કેટલાંય પુસ્તકાલયો છે જેનાં પુસ્તકો પર ધૂળના થર જામી ગયેલા દેખાય છે, કોઈ એને વાંચતું નથી. કોઈને ધૂળ સાફ કરવાની આવશ્યકતા જણાતી નથી. વૈભવી ગણાતી લાયબ્રેરીની પણ આ જ દશા છે. પુસ્તકો તો ઠીક, પણ આજની તારીખનું અખબાર પણ હાથમાં આવતું નથી. લાયબ્રેરી એટલે નવરા લોકોને નિરાંતે ઊંઘવાનું સ્થાન! કોઈ કર્મચારી કે સંચાલક પણ એવા લોકોને આવતા રોકવાની તસ્દી લેતા ન હોય તો એવી લાયબ્રેરીની ભવ્યતાના ગુણગાન ગાવાનો કોઈ જ અર્થ નથી. સાચી ધાર્મિકતા જગાડ્યા વિનાના મંદિરો અને જ્ઞાનની ભૂખ જગાડ્યા વિનાના પુસ્તકાલયો કીંમતી જગ્યા ખોટેખોટી રોકે છે. સર્વે કરીએ તો એવું તારણ નીકળવાનો પૂરો સંભવ છે કે, અમુક મર્યાદિત લોકો સિવાય અન્ય લોકો એનો લાભ લેતા નથી. એનો અર્થ એ જ કે સમાજમાં સાચી ધાર્મિકતા વધારવામાં મંદિરો સરેઆમ નિષ્ફળ ગયાં છે અને લોકોની જ્ઞાનક્ષુધા જગાડવામાં પુસ્તકાલયોએ નાદારી નોંધાવી છે.

           અખબારમાં અવાર નવાર સમાચારો પ્રગટે છે કે ઠંડીમાં ગરીબોને ઓઢાડેલા ધાબળા બીજે દિવસે બજારમાં વેચાઈ જાય છે અને તેનો દારૂ પીવાય જાય છે. વિદ્યાર્થીઓને ભણવા માટે અપાયેલી સ્કોલરશીપમાંથી ટીવી, મોબાઈલ કે બીજાં શોખના સાધનો ખરીદાઈ જાય છે. નવસારીમાં એકવાર રેલ આવેલી ત્યારે નારણલાલા કંસારાની દુકાનેથી ખરીદીને દાનમાં અપાયેલા વાસણો બીજે દિવસે એ જ દુકાનમાં વેચીને તેમાંથી રેડિયો સેટ ઘણાં ઝૂપડામાં આવી ગયેલા. બધે જ આ પરિસ્થિતિ છે. આફત આવે એટલે અમુક લોકોના ચહેરા પર ચમક આવે!  હવે મદદનો ધોધ વહેશે અને જે મળે તેમાંથી દબાવી રાખેલી ઈચ્છા પૂરી કરી શકાશે! લોકો આશાળભૂત થઈ ગયા છે. અભાવગ્રસ્ત વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ચીજ વસ્તુ વહેંચવા જનારા સજ્જનોને અનુભવ છે કે અમુક વર્ગમાં મદદ માંગવાની અને મદદ પર જીવવાની ભૂખ જાગી છે. આ ભૂખમાંથી ભીખ જન્મે છે. પાછા ક્યારે આવવાના છો અને બીજીવાર શું વહેંચવાના છો એવી પૃચ્છા થાય છે. લોકોને લોન લઈ, હુન્નર કરીને આગળ આવવું નથી પણ લોન પરની સબસીડી જોઈએ છે. લોન તો પાછી વાળવાની હોય જ્યારે સબસીડી તો શીરાની જેમ ગળે જ ઉતારી દેવાની હોય. પૈસા ઉછીના નથી જોઈતા પણ મદદ તરીકે જોઈએ છે. સદ્ વિચારોની નહીં, પણ સારા અને મફતમાં મળતાં ભૌતિક સાધનોની ભૂખ જાગી છે. પરોપકારી અને દાનવીર થવાની હોશ વગરની હોંશ એને માટે જવાબદાર છે. માનવતાવાદી ગણાવવાની ઘેલછાથી આચરેલો અતિ ઉત્સાહ માણસોને બગાડે છે. મદદ કરનારની ભાવના ખરેખર ઊંચી છે પણ પરિણામ વિપરીત છે; ત્યારે શું દાન કરવુંજ નહીં? કોઈને મદદ કરવી જ નહીં? બહુ પેચીદો પ્રશ્ન છે. મદદ તો કરવી જ છે, રાહતકાર્ય તો કરવા જ જોઈએ. જેમને આપણે ઓળખતા હોઈએ, જેના ગુણ અવગુણોનો આપણને પરિચય છે અને જેમની સાથે આપણો સંબંધ છે, જેની સાચી જરૂરિયાતનો આપણને ખ્યાલ છે અને મદદનો દુરૂપયોગ નથી જ થવાનો એનો આપણને ભરોસો છે, તેમને આંગળી આપી ઊંચે લાવવા એ ધર્મકાર્ય છે. પણ, જેઓ હંમેશાં મદદ પર જ જીવવા માંગતા હોય તેમને ઉત્તેજન આપવું એ અધર્મ છે. પરંતુ માણસો જોડે સંબંધ પ્રસ્થાપિત કરી એની જરૂરિયાત સમજવા જેટલો સમય જ કોની પાસે છે?

       એક જવાબદાર માતા અને બીજો ઈશ્વર તેના સંતાનોને કઈ વસ્તુની, ક્યારે અને કેટલી જરૂર છે તે સારી રીતે સમજે છે અને તે જ પ્રમાણે તે જરૂરત પૂરી કરે છે. સંતાન અને ભક્તો તો જ્યારે જે મન થાય તે પ્રાપ્ત કરવાની જીદ પકડીને રડે, પણ કલ્યાણ ઈચ્છતી મા તેને રડવા જ દે છે. ઈશ્વર પણ ભક્તોને ટટળાવતો હોય છે. મા અને ઈશ્વર નિષ્ઠુર દેખાય, પણ તેને હૈયે સંતાનોનું  હિત વસેલું હોય છે. તેથી કેટલીક વસ્તુ માંગ્યા વગર પણ આપી દે છે જ્યારે કેટલીક વસ્તુ ગમે તેટલા આક્રંદ બાદ પણ નથી આપતા. આપણે જેને મદદ કરવા માગીએ છીએ તેને ખરેખર મદદની આવશ્યકતા છે કે કેમ, કેવા પ્રકારની અને કેટલી મદદની જરૂર છે તેનો વિવેકપૂર્વક ક્યાસ કાઢીને મદદ કરવામાં આવે તો એ જરૂર આશીર્વાદરૂપ નીવડે, એ માટે ફિલ્ડવર્કરની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આવેશમાં આવીને, સત્કાર્ય કરવાની ચળ ધરાવતા સજ્જનો કરવા તો જાય છે કંસાર, પણ તેની અજાણપણે થૂલી થઈ થઈ જાય છે. તેથી જ લાયબ્રેરીના પુસ્તકોને ઊધઈ લાગે છે, રખડુ લોકો ત્યાં આવીને નિરાંતે પગ લંબાવી ઊંઘે છે. મંદિરોમાં ભગવાન ઢંકાઈ જાય છે, સંસ્કારને બદલે અર્થોપાર્જનના ધામ બને છે, તથા પ્રસંગોચિત મદદ પ્રાપ્ત કરી સ્વમાનપૂર્વક ઊભા થવાને બદલે પરોપજીવી વર્ગ ઊભો થાય છે.

લેખક-  પરભુભાઈ એસ. મિસ્ત્રી

૫૪- શ્રી રામનગર સોસાયટી.

કબીલપોર, ગ્રીડ, નવસારી

પીન- 396424

સંપર્ક: 02637-236312 મો. 9327431312

email- parbhubhai@gmail.com

અહમની શસ્ત્રક્રિયા કરતી આચારસંહિતા

સૂરત સોનાની મૂરત તરીકે ઓળખાય છે. સુવર્ણનગરી સૂરતના એક સપૂત એટલે શ્રી કૃષ્ણકાંત ભુખણવાલા. જન્મ કલકત્તા, વતન સૂરત પણ કર્મભૂમિ મોહમયી નગરી મુંબઈ. તેમણે કારકીર્દિ બનાવી ફિલ્મ લાઈનમાં. અભિનય શક્તિ એટલી જોરદાર કે કોઈ એક બીબામાં કેદ થવાને બદલે વૈવિધ્યભર્યા રોલ જાન રેડીને ભજવ્યા. આયુષ્યના એકાણુંમા વર્ષમાં પ્રવેશ ટાણે એમની કારકીર્દિ અને સંસ્મરણોની સુવાસોથી સભર ‘ગુઝરા હુઆ જમાના‘ પુસ્તકનું ગાંધીસ્મૃતિ હૉલમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું. ‘કે.કે સાહેબ‘ના હુલામણા નામથી જાણીતા આપણા આ વડીલ એટલે સિનેમા જગતનું એક મહામૂલું ઘરેણું. સૂરત શહેરનું કીંમતી રત્ન. એમના સાંનિધ્યમાં એમના જીવનની વીતેલી પળો માણવાનો સોનેરી અવસર એટલે આ લોકાર્પણવિધિ. ૨૦ એપ્રિલ, શનિવારની સલૂણી સાંજ. પીઢ પત્રકાર, મૂર્ધન્ય સાહિત્યકાર, સૌના આદરણીય વડીલ અને સૂરતના ગૌરવવંતા સંસ્કાર પુરુષ શ્રી ભગવતીકુમાર શર્માજીના હસ્તે વિમોચનવિધિ. ગાંધીજીના નિયમિતતા અને સમયપાલનના ગુણોના આગ્રહી એવા ડૉ. શશિકાંતભાઈ શાહનું સંચાલન. સોનામાં સુગંધ ભળે એવા ‘ગાંધી સ્મૃતિ‘ નામના હૉલના ગુણગ્રાહી શ્રોતાઓ, એ આ કાર્યક્રમનું મહદ્ સૌભાગ્ય. સુજ્ઞ વિવેકીજનોથી ઊભરાતા આ હૉલમાં નિયત સમયે, બરાબર સાડા ચાર વાગ્યે પડદો ખૂલ્યો. અદભૂત રોમાંચક પળ વચ્ચે કે.કે.સાહેબની અનોખી ઢબે પ્રસ્તુતિ.એકાણુંની ઉંમરે પણ રણકદાર, પ્રભાવી અવાજથી શ્રોતાઓને એમણે કરેલું ઉદ્ બોધન ચિર કાળ સુધી હૉલમાં પડઘાયા કરશે.

લોકોને સંમોહિત કરનારું કે.કે.સાહેબનું  ગૌરવવંતુ વ્યક્તિત્વ અને એમણે કરેલી અદાકારીના યાદગાર અંશો રજૂ કરતી વિડિયો ક્લિપ માણતાં માણતાં શ્રોતાજનો એક જુદા જ ભાવવિશ્વમાં ખેંચાઈ જતા અનુભવાયા. સંપાદક શ્રી બીરેનભાઈ કોઠારીએ અતિ કુશળતાપૂર્વક સંપાદન કરીને ધારાવાહિક લેખમાળાનું ગ્રંથમાં કરેલું રૂપાંતર આ પ્રસંગનું એક મહત્ત્વનું અંગ હતું. શ્રી બકુલ ટેલરે કરેલું ટૂંકું આવકાર પ્રવચન અને તે પછી સંપાદન પ્રક્રિયામાંથી પસાર થતી વેળાનું બિરેનભાઈએ કરેલું અત્યંત રસપ્રદ વર્ણન…. સમયનું ભાન ભૂલીને સૌ કાર્યક્રમ માણતા હતા અને એકાએક સમય દેવતાએ પોતાનો પરિચય કરાવ્યો. બીરેનભાઈને અપાયેલી મિનિટો પૂરી થવા આવી છે, તેની જાણ સંચાલકે  શ્રી બીરેનભાઈને કરી અને સૌની ભાવસમાધિમાં વિક્ષેપ પડ્યો. સમય થંભી ગયો હતો કે લોકો સમયને ભૂલી ગયા હતા? વક્તા અને શ્રોતાઓ તમામને ખ્યાલ ના રહ્યો કે કાર્યક્રમ સમય મર્યાદામાં સમાપ્ત કરવાનો છે! દિલની વાતો કહેવા આડે સમય સૌથી મોટો વિલન છે. વડીલો અને સંચાલકો તો મફતમાં બદનામ થાય છે. દિલ કહે કે, ‘સમય તૂ ધીરે ધીરે ચલ.‘ પણ સમયની ગતિને કોઈ રોકી શક્યું નથી. સમયને માન આપ્યા વગર છૂટકો જ નથી. જે સમયને માન આપે છે, તેનું ગૌરવ જળવાય છે, જે સમયને ઓવરટેક કરવા જાય છે તે પછડાય છે. મોટાભાગની રોડ દુર્ઘટના ઓવરટેકથી જ થાય છે.

દરેક વક્તાને ફાળવેલી સમય મર્યાદાની પત્રિકા મંચ પર બિરાજમાન મહાનુભાવોને આપવામાં આવેલી હતી તેમ છતાં સમયભાન ન રહેતાં સંચાલકે કરેલી નૂકતેચીનીકરી અને ભૂકંપ સર્જાયો! બીરેનભાઈ સ્તબ્ધ થઈ ગયા. મારા માટે પણ સમયની પાબંદી?…એમને ઘણું કહેવાનું રહી જતું હતું, એમનું દિલ દુભાયું. કચવાતે હૈયે વાક્ય અધૂરું રહેવા દઈને તેમણે માઈક છોડી દીધું. એમના નાના ભાઈ શ્રી ઉર્વિશ કોઠારી એક પ્રતિભાશાળી કટારલેખક, પીઢ પત્રકાર અને રેશનાલિસ્ટ તરીકે સુપ્રતિષ્ઠિત છે. તેઓ પણ મંચ પર બિરાજમાન હતા. તેમના ચહેરા પર કડવાશ વ્યાપી ગઈ. સંચાલકશ્રીએ બીરેનભાઈની નમ્રપણે માફી માંગીને સ્પષ્ટતા કરી કે કાર્યક્રમના સંચાલનની જવાબદારી લેતાં પહેલાં મેં સમયપાલનના અમારા આગ્રહથી આયોજકોને વાકેફ કર્યા હતા. અમારા દરેક કાર્યક્રમો સમયસર શરૂ થાય છે અને સમયસર પૂરા થાય છે. આ જ અમારી વિશિષ્ઠ ઓળખ છે. ઉર્વિશભાઈ બોલવા ઊભા થયા, પણ ‘જયહિંદ, જયભારત. મને આપવામાં આવેલી પાંચ મિનિટનો સમય હવે શરૂ થાય છે અને તે જતી કરીને હવે પછીના વક્તાને હું આપવા માંગું છું‘ એટલું બોલીને અભણ મહિલાની જેમ છણકો કરીને તેઓ બેસી ગયા! એમની બોડી લેન્ગવેજ વિચિત્ર હતી. મોઘમ, થોડુંક જ બોલીને પારાવાર રોષ તેઓ દર્શાવી ગયા. સંચાલકે ફરજ બજાવીને સમય મર્યાદા તરફ ધ્યાન ખેંચ્યું, તે કંઈ તેમનો ગુનો થોડો ગણાય? અવિવેકી કોણ, જે સમયનું પાલન કરે તે કે, સમય સાથે જે તાલ ન મેળવી શકે તે? વિદ્વાનો પણ આટલી સાદી વાત ન સમજી શક્યા.

પછીના વક્તા હતા સૌના વડીલ અને આદરણીય તથા લોકપ્રિય લેખક શ્રી ભગવતીકુમાર શર્માજી. યથોચિત શબ્દપ્રયોગો અને ઉચ્ચારશુદ્ધિથી શોભતું તેમનું વક્તવ્ય બેનમૂન હતું. કે.કે. સાહેબના પ્રદાન અને તેમના પ્રત્યેના સ્નેહને તેમણે આબાદ પ્રગટ કર્યા. પ્રવચનની શરૂઆતમાં તેમણે સમયની પાબંદી પ્રત્યે નારાજગી પ્રગટ કરતાં કહ્યું કે, ‘બોલતી વખતે મને ઘડિયાળના કાંટા ચૂભે છે.‘ તેમનો નિર્દેશ કાંટા કરતાં સંચાલકની સમય પ્રતિબદ્ધતા તરફ જ વધારે હતો તે છાનું ન રહ્યું. તે વખતે ઉર્વિશભાઈના ચહેરા પરનો મલકાટ પણ છૂપો ન રહી શક્યો. પ્રાસંગિક ટકોર સમજીને સૌએ એ શબ્દો નજરઅંદાજ કર્યા. પરંતુ, પ્રવચનના અંતે પણ તેમણે હૃદયની કડવાશ દોહરાવી તે અજૂગતું જરૂર લાગ્યું અને તે વેળા તો ઉર્વિશભાઈ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયેલા દેખાયા. જાણે વેર સંતોષાઈ ગયાનો ક્રુર આનંદ!…

સંચાલકે ફરીથી વાત દોહરાવી. આગલે દિવસે જ ભગવતીભાઈએ મને કહ્યું હતું કે પાંચ દસ મિનિટ કોઈ વધારે બોલે તેમાં શું થઈ ગયું? અને મેં જણાવ્યું હતુ કે પાંચ વક્તા બોલવાના હોય અને બધા એ રીતે છૂટ લે તો કાર્યક્રમ અડધો કલાક તો સહેજે લંબાઈ જાય. લોકો દૂર સુદૂર (૫૦-૬૦ કિ.મી)થી કાર્યક્રમ માણવા આવ્યા હોય તેમને ઘરે પહોંચતા ઘણી તકલીફ પડે. આયોજકોએ મારી શરત મંજૂર કર્યા પછી જ મેં આ જવાબદારી લીધી હતી. આપ મારા ગુરુ છો અને આપના તરફથી તો અમને આશીર્વાદની જ અપેક્ષા હોય છતાં આપને માઠું લાગ્યું હોય તો હું દીલગીર છું. પછી તો કે.કે.સાહેબને સૌએ માણ્યા અને કાર્યક્રમ અપેક્ષા અનુસાર નિયત સમયે સંપન્ન થયો. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ઘટના તે આચારસંહિતાનું પાલન કરવામાં પડતી તકલીફની છે. આ ઘટનાના સાક્ષી શ્રોતાઓ જ્યારે જ્યારે ‘ગુઝરા હુઆ જમાના‘ના લોકાર્પણ પ્રસંગને યાદ કરશે ત્યારે આચારસંહિતાના પાલન પ્રત્યે વિદ્વાનોએ દર્શાવાયેલો આ તીવ્ર અણગમો પણ સ્મૃતિપટ પર અણગમતી છાયા જરૂર ચિત્રાંકિત કરી જશે.

સુજ્ઞ વાચક મિત્રો, ઘટના તદ્દન સાચી, પાત્રોના નામ પણ સાચા, કોઈને ઝાંખા પાડવાનો મુદ્દલે આશય નથી. તમામ મહાનુભાવો આપણા સૌના આદરના અધિકારી સજ્જનો છે જ, તે વિષે કોઈ જ શંકા નથી. આપણું ફોકસ ઘટના ઉપર છે. સમય અને સ્થળ બદલાતા રહે છે, સબ્જેક્ટ બદલાતા રહે છે અને પાત્રો બદલાતા રહે છે, પણ ઘટના પુનરાવર્તન પામતી જ રહે છે એનું દુ:ખ છે. અહીં આ પ્રસંગે વિધાતાએ સન્માનનીય વિદ્વાનોને નિમિત્ત બનાવીને અપજશના અધિકારી બનાવ્યા. ક્યારેક, ક્યાંક, પાત્ર તરીકે આપણે પણ ગોઠવાતા આવ્યા જ છીએ અને પોતાને વી.આઈ.પી. સમજતા આવેલા આપણને, જો કોઈ આચારસંહિતા કે નિયમ બતાવે ત્યારે આપણને ચચરાટ થઈ આવે છે. આપણો અહંકાર ફેણ માંડીને ફુત્કારવા માંડે છે અને અશોભનીય સ્વરૂપે પ્રગટ થાય છે તેથી પ્રસંગની ગરિમા હણાય છે. સુવ્યવસ્થિત રીતે અને સુચારુ ઢબે જાહેર કે અંગત શુભ પ્રસંગોના સંચાલનમાં આપણે જ આડખીલી બનતા રહ્યા છીએ તેનું શું? આપણે સમજદાર સજ્જનો હોવા છતાં એક બહેતર પ્રણાલિકા ઊભી કરવામાં ઊણા ઊતરતા આવ્યા છીએ. ઘેટાંને સંભાળવા માટે ધારિયાધારી ભરવાડની જરૂર પડે અને આપણને સાચવવા માટે દંડાધારી પોલીસની જરૂર પડે એ કેટલી હિણપતભરી બાબત છે? આચારસંહિતાના પાલનની વાત આવતાં જ આપણું નાક છીંકાઈ જાય છે, આવું કેમ? આપણે સ્વયંશિસ્ત કેમ નથી પાળી શકતા? અનિયંત્રિતપણું તો  જાનવરનું લક્ષણ ગણાય. શિસ્તપાલન કરવાનો કોઈ આગ્રહ કરે ત્યારે જે સ્ટાઈલથી આપણે ઘુરકિયાં કરીએ છીએ તે આપણને લાગેલા  સોશિયલ અને રેશનલ વિશેષણોનો છેદ ઊડાડી દે છે. રહી જાય છે કેવળ એનિમલ; આપણા સૌના માટે દુ:ખદ અને શરમજનક બાબત જ આ છે.

સંસ્કૃતમ્ અત્યંતમ્ સરલા ભાષા.

નેવુંના દાયકામાં ‘સંસ્કૃતભારતી‘ સંસ્થાની કામગીરી વિષે પ્રમિલા પરીખ દ્વારા લખાયેલ અને ‘સમકાલીન‘ દૈનિકમાં છપાયેલ અહેવાલ વાંચવામાં આવેલો; પ્રસ્તુત લેખની વિગતો વાંચીને નવાઈ એ લાગેલી કે એ સંસ્થાએ કેટલાંક એવાં ગામડાં તૈયાર કર્યાં છે કે, જ્યાંના તમામ લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરે છે! આદિવાસી શ્રમજીવી મહિલાઓ ખેતરોમાં કામ કરતી વખતે સંસ્કૃતમાં જ ગપ્પાં મારે છે. બાળકો લખોટી કે પકડદાવ જેવી રમતો રમતી વખતે સંસ્કૃત ભાષા જ બોલે છે, દુકાને ઘરવખરીની ચીજો ખરીદતી વખતે તેમજ ઘરનો રોજિંદા તમામ વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે. આપણી માન્યતા એવી છે કે સંસ્કૃત તો પંડિતોની જ ભાષા છે, અત્યંત ક્લિષ્ટ છે અને તે ડેડ લૅન્ગવેજ (મૃત ભાષા) છે. પણ અભણ આદિવાસીઓને સરળતાથી સંસ્કૃત બોલતાં જાણીને અચરજ થયું. શું આ વાત સાચી હશે? શંકાના સમાધાન માટે પત્રવ્યવહાર કર્યો, કેટલુંક સાહિત્ય મંગાવ્યું, વિડિયો કેસેટ જોઈ અને સંસ્કૃત અઘરી ભાષા હોવાનો ભ્રમ ખરી પડ્યો. બેંગલુરુ શાખામાંથી પત્ર દ્વારા સંસ્કૃત શીખવાની કોશિષ કરી. પરીક્ષાઓ આપી. ઘણી બધી પુસ્તિકાઓ અને ઓડિયો કેસેટ પણ મંગાવી.

દરમિયાન, કદાચ ૨૦૦૦ ની સાલમાં ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વલસાડ જિલ્લાના કિલ્લા પારડી ગામે પંડિત સાતવળેકર સંસ્કૃત વિદ્યાલયના ઉપક્રમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જે કાર્યક્રમ સંસ્કૃત ભાષામાં જ રજુ થવાનો હતો અને સ્થાનિક બાળકો જ તેમાં ભાગ લેવાના હતા એવી જાહેરાત વાંચવામાં આવી. અતિથિવિશેષ તરીકે પંડિત ચમૂ શાસ્ત્રી પધારવાના હતા. અન્ય બે રસિક મિત્રોની સાથે કિલ્લા પારડી જવાનું થયું. પંડિત ચમૂ શાસ્ત્રીએ પ્રવચન શરૂ કર્યું. આખું પ્રવચન સંસ્કૃતમાં હતું. દસેક મિનિટ પછી એમણે સભાજનોને પ્રશ્ન કર્યો કે તમને મારી વાત સમજાય છે ને? જેમને એક પણ વાક્ય ન સમજાયું હોય તેઓ હાથ ઊંચો કરે. ઘણાં શ્રોતાઓએ હાથ ઊંચા કર્યા જેમાં મુસ્લીમ ભાઈઓ પણ હતા. શાસ્ત્રીજીએ રમુજ કરી કે તમને મારો સવાલ સમજાયો કઈ રીતે?  મેં તો સંસ્કૃતમાં જ સવાલ પૂછયો હતો!  એમણે સ્પષ્ટતા કરી કે, ‘હું વિમાન, ટ્રેન, બસ કે રિક્ષામાં મુસાફરી કરતી વખતે પણ સામાવાળા જોડે સંસ્કૃતમાં જ બોલું છું અને આજ સુધી કોઈને કંઈ તકલીફ પડી નથી. સંસ્કૃતથી આપણે ટેવાયા નથી એટલે તે આપણને અઘરી લાગે છે!‘ ત્યારપછી તો નાટક, ગરબા, નૃત્ય વગેરે સંસ્કૃતમાં રજુ થયા અને મનભરીને માણ્યાં સૂરતની ભૂલકાં ભવન હાઈસ્કૂલના અધ્યાપક શ્રી મહારુદ્ર શર્મા અને પ્રાધ્યાપક ભરતભાઈનો પાઠકનો પરિચય થયો; તેઓ સંસ્કૃતના પ્રચાર માટે ઉત્સાહથી કામ કરતા જણાયા.

કોઈપણ ભાષાનો જ્યાં બોલચાલમાં ઉપયોગ ન થાય ત્યાં સુધીનો તમામ વ્યાયામ નિરર્થક છે. સંસ્કૃત સંભાષણના વર્ગો ભરીએ તો તેને સારી રીતે વ્યવહારાન્વિત કરી શકાય. સૂરત અને નવસારીમાં એના વર્ગો ચાલ્યા. સૂરતમાં પૂર્ણાહૂતિ અને નવસારીમાં પ્રારંભ અને પૂર્ણાહૂતિના દિવસે જ જઈ શકાયું. સ્થાનિક કક્ષાએ જે પરિવર્તન જોવા મળ્યું તે સુખદ આશ્ચર્ય હતું. માત્ર એક અઠવાડિયાની પ્રેકટિશ કરીને બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોએ જે રજુઆત કરી તે પ્રશંસનીય હતી. ટોપલામાં શાકભાજી વેચવા નીકળેલી વૃદ્ધા જાણે સંસ્કૃત નગરીમાંથી (કર્ણાટકના માથુર ગામથી!)આવી હોય તેમ સહજતાથી સંસ્કૃતમાં બોલતી હતી. તમામની રજુઆત હૃદયસ્પર્શી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો કોઈ વસ્તુ શીખવી અઘરી નથી; સંસ્કૃત તો જરાય નહીં.

૧૯૭૫ની સાલમાં દેશમાં કટોકટી ચાલતી હતી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ સૂરતમાં, શાહપોરના સ્વામીનારાયણ મંદિરમાં આવેલા અને તેમણે અડધો કલાક સંસ્કૃતમાં પ્રવચન આપ્યું હોવાનું અખબારમાં વાંચ્યું ત્યારે ભારે અચંબો થયેલો. એક રાજકારણી સંસ્કૃતમાં ભાષણ આપે એ વાત જ માનવામાં ન આવે. કર્ણાટકના શિમોગા શહેરમાં સુષ્મા સ્વરાજ ચૂંટણી પ્રચારાર્થે ગયેલા ત્યારે તેમણે વીસ મિનિટ સંસ્કૃતમાં પ્રવચન આપેલું. સંસ્કૃત ભાષાને અઘરી અને મૃત ગણનારા લોકોને આઘાત અને આશ્ચર્ય થાય તેવી હકીકત તો એ છે કે આપણા દેશની બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. આંબેડકરનો આગ્રહ હતો કે ભારતનુ બંધારણ તો સંસ્કૃતમાં જ લખાવું જોઈએ. એમનું ચાલ્યું હોત તો તે સંસ્કૃતમાં જ લખાયું હોત, પણ બહુમતી સભ્યોને સંસ્કૃત આવડતું ન હોવાથી તેમણે વિરોધ કર્યો અને વાત પડતી મૂકાઈ.

ગુજરાતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અનેક સ્કૂલો હશે પણ એક સ્કૂલ સંસ્કૃત માધ્યમમાં પણ શિક્ષણ આપે છે, તેનો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી આ સ્કૂલમાં ૮૪ વિદ્યાર્થીઓ સંસ્કૃત સાહિત્ય, વેદ, ઉપનિષદો, પુરાણો અને જ્યોતિષશાસ્ત્ર સાથે અંગ્રેજી ભાષા અને કોમ્પ્યુટરનો પણ અભ્યાસ કરે છે. અહીં અંગ્રેજી અને કોમ્પ્યુટર સિવાયના બધા જ વિષયો સંસ્કૃત માધ્યમથી ભણાવવામાં આવે છે. સામાન્ય સ્કૂલમાં સાતમું ધોરણ પાસ કરનાર કોઈ પણ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. આ શાળામાં આઠ વર્ષ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને ‘શાસ્ત્રી’ની ડિગ્રી મળે છે. આ ડિગ્રી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા સાથે બી.એ.ની ડિગ્રીની સમકક્ષ ગણાય છે. ગુજરાત સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડે અહીં સંસ્કૃત ભાષાની પરીક્ષાનું કેન્દ્ર પણ ખોલ્યું છે.

સંસ્કૃત એ આપણા દેશની મૂળ ભાષા છે. અંગ્રેજોએ આ દેશના મૂળવતનીઓને પોતાનું ગૌરવ ભુલાવવા અને અંગ્રેજીના રવાડે ચડાવવા સંસ્કૃતને મૃતભાષા તરીકે જાહેર કરી. આમ ભારતીયોને ભારતીયતાના સંસ્કારોથી દૂર રાખવામાં એ લોકો સફળ પણ થયા. આપણો અમૂલ્ય સંસ્કાર વારસો પ્રાચીન ગ્રંથોમાં સચવાયો છે, એ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. આપણને સંસ્કૃત આવડતું ન હોય તો એ ગ્રંથોને સમજી કેવી રીતે શકીએ? આપણે આપણાં મૂળ તરફ જઈ જ ન શકીએ એ માટે તો અંગ્રેજોએ આપણે ત્યાં મૅકોલેની શિક્ષણપદ્ધતિ દાખલ કરેલી. ભારતીય પ્રજાનું મનોબળ તોડવાના એકમાત્ર ઉદ્દેશથી સંસ્કૃત ગ્રંથોનું વિકૃત અર્થઘટન રજુ કરનારા ભાષંતરકાર તરીકે મેક્સમૂલર નામના વિદ્વાનને રોક્યા હતા. તે માટે તેમને અધધધ કહી શકાય તેટલી રકમનું મહેનતાણું ચૂકવવામાં આવેલું. આ ષડ્યંત્રના પરિણામે આજે પણ આપણા કેટલાક વિદ્વાનો, એક કાળે, વિશ્વને માર્ગદર્શન આપનારી ભારતીય સંસ્કૃતિ માટે હીણપતભર્યાં લખાણો લખતા રહ્યા છે. સંસ્કૃત બચશે તો સંસ્કૃતિ બચશે.

ભારતીયો ફરીથી ભારતીયતા તરફ વળે તેમાટે અમદાવાદના ‘એકલવ્ય સંસ્કૃત એકેડેમી‘ નામની સંસ્થાના ડાયરેક્ટર પ્રા. મિહિરભાઈ ઉપાધ્યાય અથાગ પ્રયત્નો કરે છે. એમની સંસ્થાએ લગભગ પચાસ જેટલા લોકપ્રિય ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કરાવ્યો છે. ઉદાહરણ તરીકે, ‘તારા વિના શ્યામ, મને એકલડું લાગે!-‘ આ ગરબો તો સંસ્કૃતમાં આ રીતે ગાઈ શકાશે,

ત્વામ્ વિના શ્યામ  અહમ્ એકાકી ભવામિ.

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

ગરબાક્રીડન્ત્ય:  ગોપ્ય:  હો  હો

શૂન્યા:  ગોકુલસ્ય  વીથ્ય:

શૂન્યાસુ  નગરીષુ  ગોકુલસ્ય વીથિષુ (૨)

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

ત્વામ્ વિના શ્યામ  અહમ્ એકાકી ભવામિ.

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)

શરદરાત્રી ઇયમ્ શોભના હો હો

ચન્દ્રિકા ઉદિતા મનોહરા

ત્વમાગચ્છતુ  શ્યામ રાસક્રીડાયામ્ શ્યામ

રાસક્રીડાયૈ આગમ્યતામ (૨)….

અને ‘પંખીડાં તું ઊડી જાજે પાવાગઢ રે…‘ એ લોકપ્રિય ગરબો સંસ્કૃતમાં ગાવો હોય તો?..

પક્ષિણો:     હે… પક્ષિણ: .. પક્ષિણ:  હે .. પક્ષિણ: …

પક્ષિણ:   ઉડ્ ડયીન્તાં     પાવાગઢમ્ રે. …

મહાકાલ્યૈ: કથયતુ    ગરબા રમતામ્ રે

હે…  ગ્રામસ્વર્ણકારબન્ધો શીઘ્રમાગચ્છ

મમ   માત્રે   સુન્દરં  મંજીરમાનય

શોભનં  મનોહરં  ચ  દિવ્યમાનય   રે

મહાકાલ્યૈ   કથયતુ ગરબા રમતામ્ રે…….

બાળક જ્યારે બોલતાં શીખતું હોય ત્યારે કોઈ મા-બાપ તેને માથે વ્યાકરણનો ભાર નથી થોપતા. બાળકો માતૃભાષા બોલે અથવા ટીવી જોઈને હિંદી શીખે ત્યારે વ્યાકરણ વચમાં નથી આવતું.. નિશાળમાં ભણવા જાય ત્યારે મોડેથી એને કર્તા, ક્રિયાપદ. નામ સર્વનામ વિશેણ,વિભક્તિ, લિંગ અને વચન વગેરે વાત જાણવા મળે છે. સંસ્કૃતભારતી સંસ્થા પણ સાદાં સરળ વાક્યો સાચી રીતે બોલતાં શીખવે છે અહીં વ્યાકરણ જરાયે ભારરૂપ નથી લાગતું. આપણે આપણા મૂળ તરફ વળવું હોય, આપણો પોતાનો પરિચય પામવો હોય તો સંસ્કૃત શીખવું આવશ્યક છે.

.