આપણો જ કક્કો સાચો!

કેટલીક વસ્તુ જ્યારે વિના પ્રયત્ને મળી જાય છે ત્યારે તેનું મૂલ્ય આપણને સમજાતું નથી. આપણને વારસામાં મળેલી કેટલીક બાબતોમાં આમ જ થવા પામ્યું છે. કોઈ આપણને સમજાવે તો જ ખબર પડે કે જગતમાં કોઈની પાસે નથી એવી ઘણી બધી અમૂલ્ય ચીજોના આપણે માલિક છીએ. આપણે સાવ નિર્ધન નથી જ, ઊલટાના આપણે સૌથી વધારે સંપત્તિવાન છીએ. ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વરસાની વાત જવા દઈએ, પણ આપણા મૂળાક્ષરોની બાબતમાં તો આપણે સાચા અર્થમાં શ્રીમંત છીએ જ, એ વાત જો સમજાય તો આપણને આપણા પૂર્વજો પ્રત્યે જરૂર માનની લાગણી પેદા થાય.

કોઈ આપણને પૂછે કે તમને કક્કો બારાખડી આવડે છે? તો આપણને ઘડીભર તો એમ જ લાગે કે કેવો બેહુદો સવાલ છે! કક્કો બારાખડી શીખ્યા વિના જ શું આપણે આટલી ડિગ્રી સુધીનું ભણતર પ્રાપ્ત કર્યું હશે? આપણી ભાષામાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા? સ્વરનો ઉચ્ચાર ક્યાંથી થાય, કેવી રીતે થાય, વિવિધ વ્યંજનોનો ધ્વનિ ક્યાંથી નીકળે, બોલતી વખતે આપણી જીભ કયા કયા સ્થાનોને સ્પર્શે, હવા નાકમાંથી કે કંઠમાંથી કેટલા પ્રમાણમાં પસાર થાય તે બાબત પર જો વિચાર કરીએ તો એ વાતનું આશ્ચર્ય થાય કે, આપણા પૂર્વજોએ મગજની કેટલી બધી કસરત કરીને મૂળાક્ષરો શોધ્યા હશે અને વૈજ્ઞાનિક ઢબે એની ગોઠવણી કરી હશે!

નિશાળમાં ભણતી વખતે એ બધું સમજવા- સમજાવવાનો સમય નહોતો, આપણને અક્ષરનો પરિચય થાય એટલે પત્યું. ચલતીકા નામ ગાડી! અને એ ગાડી એવી રીતે ચાલતી જ રહી કે એનું મિકેનિઝમ સમજવાનું અને એની માવજત કરવાનું જ વિસારે પડી ગયું. કેટલાયે પાર્ટ્સ આપણે બેદરકારીથી ખોઈ નાંખ્યા, એ પાર્ટ્સ બીજે ક્યાંય ઉપલબ્ધ નથી એટલે આપણે જાતે જ સમજપૂર્વક એને પ્રસ્થાપિત કરવા પડશે. વિશ્વના આંગણે ફરતા થઈએ એટલે આંતર્રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી તો શીખવી જ પડે, પણ તેથી માતૃભાષાની અવગણના તો ન જ થઈ શકે ને? બીજાની સારી બાબતોનું અનુકરણ જરૂર કરવું જોઈએ પણ આપણી અમૂલ્ય મૂડીનું રક્ષણ પણ કેમ ભુલાય?

આજે આપણી પાસે ‘મ’ અને ‘ન’ એમ બે જ અનુનાસિક વપરાશમાં બચ્યા છે કારણ કે, અંગ્રેજીમાંM અને N એમ બે જ અનુનાસિકો છે. આપણી માતૃભાષામાં પાંચ અનુનાસિકો હતા. બાકીનાનો ઉપયોગ બંધ થયો એટલે ભૂલાઈ જવા આવ્યા છે, એટલું જ નહીં કોઈ એનો ઉપયોગ કરે તો આપણને તે અજુગતું લાગે છે! જમાનો પર્ફેક્શનનો ચાલે છે, છતાં આપણે પર્ફેક્ટ્નો જ ઉપહાસ કરીએ છીએ એય કેવી વિડંબના! ગંગા બોલતી વખતે બે ‘ગ’ ની વચ્ચે જે અનુનાસિક આવે તે ‘ન’ નથી, પણ અંગ્રેજીમાં Ganga લખાય એટલે આપણે અનુસ્વાર પછીનો વર્ણ ‘ગ’ જે વર્ગનો છે તેનો અનુનાસિક ‘ડં’ લખતા નથી. પછી બોલતી વખતે પણ ગન્ગા બોલીએ છીએ. મંજુલા અંગ્રેજીમાં (Manjula) લખતી વેળા એનો ઉચ્ચાર (મન્જુલા) બદલાઈ જાય છે. હંસ, વંશ, વાંસ અંગ્રેજીમાં લખતી વખતે Hans (હન્સ), Vansh (વન્શ) અને Vans (વાન્સ) લખીએ તો એનો ઉચ્ચાર બદલાય જાય છે. ટંડેલ બોલતી વખતે અનુસ્વારની જગ્યાએ ણ્ નો ધ્વનિ સંભળાવો જોઈએ પણ આપણને ટન્ડેલ સંભળાય છે કારણ કે,અંગ્રેજીમાં માટે કોઈ લિપિ ચિહ્ન નથી એમની પાસે M અને N–એમ રોકડા બે જ અનુનાસિકો છે એટલે આપણી પાસે યોગ્ય અનુનાસિક હોવા છતાં આપણે તે વાપરવાનો છોડી દીધો! પહેલાં લખવામાં અને પછી બોલવામાં!આપણે દૃષ્ટિનો ઉચ્ચાર દ્યષ્ટિ, દ્રુષ્ટિ કે દ્રષ્ટિ કરીએ છીએ. સંસ્કૃત ને બદલે સન્સ્ક્રિત બોલીએ છીએ, કૃષ્ણને આપણે ક્રશ્ન, કરસન, ક્રિશ્ન, કિસન બનાવી દીધો. અમૃતને અમ્રત કે અમરત બનાવી દીધા અને ગૃહપતિને ગ્રહપતિ!

આપણે જે ભાષા બોલીએ છીએ તે જુદા જુદા ધ્વનિઓની બનેલી છે. આ ધ્વનિઓ ધ્વનિપથમાંથી પસાર થતા વાયુને કારણે સંભવે છે. ફેફસાંમાંથી નીકળેલો વાયુ કંઠનાળમાં થઈને મુખ કે નાક વાટે બહાર નીકળે તેને ધ્વનિપથ કહેવાય. આ ધ્વનિપથમાંથી પસાર થતો વાયુ કોઈ પણ સ્થળે અવરોધાયા વગર સીધો બહાર આવે ને જે ધ્વનિ (અવાજ) નીકળે તેને ધ્વનિશાસ્ત્રની વ્યાખ્યા મુજબ ‘સ્વ’ર કહેવાય અને આ વાયુ જો ક્યાંક કશે અવરોધાય તો તેનાથી પેદા થતા અવાજને ‘વ્યંજન’ કહેવાય. જો તે નહિવત એટલે કે નિગ્લિજીબલ અવરોધાય તો તેને અર્ધવ્યંજન અથવા અર્ધસ્વર તરીકે ઓળખવામાં આવે છે.

આપણી વર્ણમાળામાં સ્વર –( અ, આ, ઇ, ઈ, ઉ, ઊ,ઋ,એ,ઐ,ઓ ઔ) અને વ્યંજનો ( ક્, ખ્, ગ્, ઘ્….જ્ઞ સુધીના) ને જુદા પાડવામાં આવ્યા છે. રોમન લિપિ કે જેમાં અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પૅનિશ વગેરે ભાષા લખાય છે તેમાં આવું વિભાજન કરવામાં આવ્યું નથી. અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ – સ્વરો આલ્ફાબેટમાં વેર વિખેર પડ્યા છે. શાસ્ત્રીય વર્ગીકરણ એ વિજ્ઞાનનું પાયાનું એક લક્ષણ છે.એ દૃષ્ટિએ તો આપણો કક્કો સ્વર અને વ્યંજનનું સુસ્પષ્ટ વર્ગીકરણ ધરાવતી દુનિયાની એકમાત્ર વૈજ્ઞાનિક વર્ણમાળા છે એટલું જ નહીં, વ્યંજનોમાં પણ આંતરિક વર્ગીકરણ કરવામાં આવેલું છે.‘અ’ અને ‘આ’ કંઠ સ્થાનેથી, ‘ઇ’ અને ’ઈ’ તાલુ સ્થાનેથી, ‘ઉ’ અને ‘ઊ’ હોઠ પાસેથી ઉચ્ચારાય છે તેથી તે અનુક્રમે કંઠ્ય, તાલવ્ય અને ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે.કંઠ, તાલુ, મૂર્ધા, દાંત અને હોઠ થકી ઉચ્ચારિત થતા વ્યંજનો ક્રમ મુજબ ગોઠવાયેલા છે.

અનુનાસિક એટલે નાકમાંથી બોલાતો વ્યંજન. એ બોલતી વખતે આપણી જીભ જે તે સ્થાને વાયુને રોકી દઈને તેને નાકને રસ્તે બહાર નીકળવાની ફરજ પાડે છે. ‘S.’કંઠ્ય અનુનાસિક છે કારણ કે, તે બોલતી વખતે જીભ કંઠના ભાગે ચોંટી જઈ હવાને નાકના રસ્તે ધકેલે છે.‘ગ’અનુનાસિક બોલતી વખતે જીભ તાલુ સ્થાનેથી હવાને વાળી દે છે, ‘ણ’ બોલતી વખતે મૂર્ધાને સ્થાનેથી ‘ન’ બોલતી વખતે દાંતના સ્થાનેથી અને‘મ’ બોલતી વખતે હોઠ પાસેથી હવાને રોકીને નાસિકા વાટે બહાર ધકેલે છે. વ્યંજનોને પાંચ વર્ગોમાં ગોઠવેલા છે, પ્રથમ વર્ણના આધારે તે ‘ક’ વર્ગ, ‘ચ’ વર્ગ,’ ટ’ વર્ગ ‘ત’ વર્ગ અને ‘પ’ વર્ગના નામે તે ઓળખાય છે.‘ય’,’ર’,‘લ’,’વ’ આ વર્ણો ‘અંત:સ્થ’ તરીકે ઓળખાય છે કારણ કે, આ ધ્વનિઓ સ્વર અને વ્યંજનની વચ્ચે, અંતરાલમાં રહેલા છે. વર્ણમાળામાં છેલ્લે ઉષ્મન ધ્વનિઓ મૂકેલા છે. પહેલાં મૂર્ધન્ય ‘ષ’, ત્યારબાદ તાલવ્ય ‘શ’ અને તેના પછી દંત્ય ‘સ’, એવો તેનો અનુક્રમ છે.એ દરેકનો ધ્વનિ અલગ હોવા છતાં તેનો ઉચ્ચાર જોઈ શીખવતું ન હોવાથી આપણે તેમને સમાન ગણીને વિકલ્પ તરીકે લખતા અને બોલતા આવ્યા છીએ. સૌરાષ્ટ્ર તરફના લોકો તો ‘ચ’ નો ઉચ્ચાર પણ ‘સ’ જેવો જ કરે છે. ‘હ’ ને સંસ્કૃતમાંથી લીધો છે અને ‘ળ’ એ વિશિષ્ઠ એવો ગુજરાતી ધ્વનિ છે. છેક છેલ્લે ‘ક્ષ’ અને ‘જ્ઞ’ લખાય છે, પણ તે સ્વતંત્ર વ્યંજનો નથી. ‘ક્ષ’ એ‘ક્’ અને ‘ષ્’ નો જોડાક્ષર તો ‘જ્ઞ’ એ ‘જ્’ અને ‘ગ્’ નો જોડાક્ષર છે. આ બધી માથાકૂટ સમજાવવામાં જલસો દીપોત્સવી અંકે મદદ કરી છે તેનો આભાર માનવો રહ્યો. આપણા તમામ વ્યંજનો ખોડા એટલે કે હલંત છે. કોઈ વ્યંજન પૂર્ણ નથી. એની સાથે જ્યારે સ્વર ‘અ’ ઉમેરાય ત્યારે જ એ પૂર્ણ બને છે, એ વાત યાદ રાખવા જેવી છે. ગીતામાં ભગવાને અમસ્થું જ નથી કહ્યું કે, अक्षराणाम् अकारोस्मि – અક્ષરોમાં ‘અ’ એ મારી વિભુતિ છે. શિવ વગર જીવનું અસ્તિત્વ જ નહીં! ૨૭૦૦ વર્ષ પહેલાં રચાયેલી આ વર્ણમાળાની વૈજ્ઞાનિકતાથી વિદેશના વિદ્વાનો ચકિત થાય છે, પણ આપણે મન તો ‘ઘરકી મુરગી દાલ બરાબર!’

Leave a comment