શાસ્ત્રાત્ રૂઢિ બલીયસિ

ભાઈ બહેનના હેતના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર હમણાં જ આવી ગયો. કેટકેટલીય બહેનો ક્યાં ક્યાંથી પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે કેટલીય તકલીફો વચ્ચે પણ હૈયામાં હેતનો દરિયો લઈને ઉમટી પડી. ભાઈ બહેનના સગપણ તો દુનિયાના દરેક સમાજમાં હોય પણ એ સગપણ અને પ્રેમને વ્યક્ત કરતો સામુહિકપણે ઊજવાતો આવો ઉત્સવ બીજે ક્યાંય હશે કે કેમ તેની શંકા છે. મહાત્મા ગાંધીજીએ કાચા સૂતરને તાંતણે આપણને સ્વરાજ અપાવ્યું અને આપણા પ્રાચીન સમાજશાસ્ત્રીઓએ એવા જ કાચા સૂતરના તાંતણે ભાઈબહેનના પ્રેમને અમર બનાવી દીધો. આ તહેવારમાં રાખડીઓની વિવિધતા અને વહેવાર તો પાછળથી દાખલ થયો હશે, પણ સ્નેહના પ્રતીક તરીકે બંધાતા સાદા દોરામાં રહેલી તાકાત હૃદયને ભીંજવી જાય છે. બજાર રંગબેરંગી રાખડીઓથી ઉભરાયછે, સામયિકોના પાના પણ રાખડીનો તહેવાર ઉજવતા માલમ પડે છે, રેડિયો, ટેલીવિઝન પરથી રક્ષાબંધનના ગીતો પ્રસારિત થાય છે, સર્વત્ર નિર્દોષતા પવિત્રતા અને મધુરતા નાચતી માલમ પડે છે. (આજના સમયમાં યુવક યુવતિઓ ફ્રેન્ડશીપડે મનાવે છે પણ તેમાં આટલી ઉત્કટતા અને ટકાઉપણું અનુભવવા મળતું નથી)

‘ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના‘, ‘રાખી ધાગોંકા ત્યૌહાર..‘, જેવા ફિલ્મી ગીતો આપણાં હૃદયને સ્પર્શી જાય છે. રેડિયો, ટીવી નહોતાં ત્યારે પણ ‘કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..‘ એ ગીત ખૂબ ગવાતું અને આજે પણ એ ગીત સાંભળવા મળે છે. કૌટુંબિક ભાવના, રાષ્ટ્રીય ભાવના અને સામાજિક ઉત્તરદાયિત્વને દૃઢ કરતી અનેક રૂઢિઓ આપણે ત્યાં પ્રચલિત છે તેમ ઋતુ અને આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય કરનારી તેમજ નવરાત્રિ, દિવાળી, હોળી, મકરસંક્રાંતિ કે વસંતોત્સવ દ્વારા પ્રકૃતિ સાથે તન્મય કરનારી રૂઢિ પણ દાદ માંગી લે તેવી છે. જ્ઞાનની ક્ષિતિજો દિનપ્રતિદિન વિસ્તરતી જાય છે, માણસનું જીવન બદલી નાંખે તેવાં નવાં નવાંસંશોધનો થતાં જાય છે. પ્રયોગશાળામાં સિદ્ધ થતું સત્ય પ્રયોગશાળા પૂરતું સીમિત રહી જાય છે, ચિંતકોનું ચિંતન પ્રવચન હૉલ કે પુસ્તકોમાં કેદ થઈ જાય છે. અનેક રિસર્ચ ગ્રંથો યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં ગુંગળાતા પડ્યા છે. લોકજીવન અને રિસર્ચને જાણે કંઈ લાગતું વળગતું નથી. વિજ્ઞાન એને રસ્તે અને જનજીવન એને રસ્તે. વિજ્ઞાન ગમે તેટલું વિકસે, ચિંતનશિબિરો ગમે તેટલી થાય પણ તે લોકોના જીવનવ્યવહારમાં પરિણમતું ન હોય તો એનો શો અર્થ?

ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે તે કીંમતી બી જ વાવતો હોય છે પણ ખેતરમાં બી જયારે ઊગે છે ત્યારે પાકની સાથે નિરર્થક અથવા ઉપદ્રવી નિંદામણ પણ ઊગી નીકળતું હોય છે, જે પાકને નુકસાનકર્તા છે; તેવી રીતે સદુદ્દેશથી શરૂ કરેલી રૂઢિ જોડે હાનિકારક બાબતો પણ ભળી જતી હોય છે જે રૂઢિનું સત્વ હણી લે છે. સમયાંતરે એનું નિંદામણ થતું રહેવું જોઈએ. સંત પુરુષો એ જ કામ કરતા હોય છે.

માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો એનો સમાજ પર કશો પ્રભાવ ન હોય તો એનું જ્ઞાન સમાજમાં કાર્યાન્વિત થતું નથી અથવા સમાજ એના જ્ઞાનનો યોગ્ય લાભ ઉઠાવી શકતો નથી. કાલ માર્ક્સની વિચારધારાને લૅનિનનું પ્રભાવશાળી નેતૃત્વ સાંપડ્યું ત્યારે જ એ પરિણામલક્ષી બન્યું. આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઘટના યાદ કરીએ તો તે જમાનામાં એવી માન્યતા હતી કે, વરસાદનો દેવ ઈન્દ્ર હોવાથી ઈન્દ્રની પૂજા થાય તો જ વરસાદ આવે. જો ઈન્દ્રપૂજા ન થાય તો તે દેવ રૂઠે. શ્રી કૃષ્ણ ભગવાને લોકોને સમજાવ્યું કે વરસાદનું કારણ ઈન્દ્ર નથી પણ પર્વત છે, તમારે પૂજા જ કરવી હોય તો આ ગોવર્ધન પર્વતની કરો, ઈન્દ્રની નહિ. જુનવાણી લોકોનું કામ હોય વિરોધ કરવાનું! પેઢીઓથી ચાલતી આવેલી ઈન્દ્રપૂજા એક નાદાન છોકરાના કહેવાથી બંધ ન કરી શકાય. રૂઢિ તૂટશે તો તેનું માઠાં પરિણામો આવશે; પણ, ગોકુળના લોકો પર શ્રી કૃષ્ણનો પ્રભાવ એટલો હતો કે તેમણે ઈન્દ્રપૂજા ફગાવીને ગોવર્ધનપૂજા કરી. કુદરતનું કરવું તે મુશળધાર વરસાદ પડ્યો અને તે થોભવાનું નામ નહોતો લેતો. જુનવાણીઓના હાથમાં સબળ હથિયાર આવી ગયું. ઈન્દ્રની અવગણનાનું આ સીધું પરિણામ છે! કૃષ્ણને કહો કે હવે ગોકુળને બચાવે! ઢોર ઢાંખર અને માનવવસ્તીને શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતની ગુફાઓમાં સુરક્ષિત ખસેડ્યા. એક રૂઢિને તોડીને તેને સ્થાને બીજી વધારે તર્કયુક્તરુઢિ પ્રસ્થાપિત કરવી એ ખાવાના ખેલ નથી. વિજ્ઞાન ગમે તે કહેતું હોય, શાસ્ત્રમાં ભલે જુદું લખેલું હોય પણ જનમાનસને બદલવાનું જરાયે આસાન નથી.

ઉપર, રક્ષાબંધનને લગતા ગીતોમાં એક લોકગીતનો ઉલ્લેખ થયો. ‘કુંતાઅભિમન્યુને બાંધે અમર રાખડી‘ માં રાખડી(રક્ષાકવચ)નો ઉલ્લેખ થયો છે, ભાઈબહેનના પ્રેમની વાત કહેવામાં આવી નથી, છતાં આ ગીત રક્ષાબંધનના દિવસે ગવાય છે અને જનમાનસ પર તેનો પ્રભાવ પણ છે. સાત કોઠાના યુદ્ધ સમયે શું ખરેખર કુંતા માતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી ખરી? સૌ પ્રથમ તો ‘વૈશમપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મેજય રાય…‘થી લોકપ્રિય બનેલું શ્રી વલ્લભરામ સૂરજરામ વ્યાસ રચિત મહાભારતના દ્રોણપર્વમાં કડવું નં૪૨થી ૫૩સુધીમાં અભિમન્યુના પરાક્રમની કથા આલેખવામાં આવી છે અને યુદ્ધે જવા તૈયાર થયેલા પૌત્રને કુંતાજી રાખડી બાંધે છે. સતીનું સત અવિચળ રહે એવું લાગે છે પણ અભિમન્યુ એ અસુરનો જીવ હોવાની કથા મુજબ જો તે વિજેતા બને તો ભગવાનનું મહત્ત્વ ઘટી જાય એવા ડરથી ભગવાન કાવતરું કરીને ઉંદર સ્વરૂપે આવીને રાખડીને કાતરી કાઢે છે, રાખડી કપાઈ જવાથી સતીનું રક્ષાકવચ છૂટી જાય છે. અનેક મહારથીઓ યુદ્ધનાનિયમો નેવે મૂકીને ખૂબ ક્રુરતાથી તેની હત્યા કરે છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મૂળ મહાભારતમાં દ્રોણપર્વ અંતર્ગત અભિમન્યુવધ પર્વના ૩૩ થી ૫0 અધ્યાય પૈકી ક્યાંય એવો ઉલ્લેખ વાંચવા મળતો નથી કે અભિમન્યુ અસુર હોયને શ્રી કૃષ્ણે તેને મરાવી નાંખ્યો હોય. ઊલટું, સાતમો કોઠો કેમ ભેદવો તેનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ કાજે લોહીના છેલ્લા ટીપા સુધી ઝઝુમીને વીરગતિ પામનાર અભિમન્યુને તેઓ આંખમાં આંસુ સાથે અંજલિ આપે છે. અહીં વેદ વ્યાસ કરતાં વલ્લભરામ વ્યાસનો જનમાનસ પરનો પ્રભાવ વધારે કામ કરી ગયો એમ સ્પષ્ટ જણાઈ આવે છે. આપણને વેદ વ્યાસ ભૂલ કરતા હોય એવું લાગે છે! મૂળ મહાભારત જોડેનો સંબંધ છૂટી ગયો અને લોકપ્રિય તથા સહેલા પ્રચલિત સાહિત્યને ઈતિહાસ સમજી લેવાને કારણે એક મહામાનવને અન્યાય કરી બેઠા. વાતનો સાર એ જ છે કે રૂઢિ ગમે તેટલી સારી કે ખરાબ હોય પણ તે શાસ્ત્ર કરતાં અત્યંત બળવાન હોય છે. માનવજીવનને સુખી બનાવવા માટે અદ્યતન શાસ્ત્રોમાં સંગ્રહાયેલા જ્ઞાનનું રૂઢિમાં રૂપાંતર કરવું આવશ્યક છે.

સ્નેહના સૂકાતા ઝરણાં કે સંસ્કારની કટોકટી ?

હૈયું હચમચી જાય તેવા સમાચાર વાંચ્યા. બારડોલીના કોઈ મનહરભાઈ મિસ્ત્રીની લાશ મળી નહેરમાંથી. બે પુત્રો અને એક પુત્રીના આ પિતાને આત્મહત્યા કરવા સુધી પ્રેરી જનારી વિગતમાં જતાં માલમ પડ્યું કે દીકરી પરણીને સાસરે હતી. બે ભાઈઓને તેમના મા બાપને પોષવા અઘરા લાગ્યા એટલે બાગબાન ફિલ્મની સ્ટોરીની જેમ એકે રાખી માને અને બીજાએ રાખ્યા બાપાને. વહુ જબરી નીકળી. સસરો તેને ભારે પડ્યો એટલે પજવવાનું ચાલુ કરી દીધું. નોકરની જેમ ઘરકામ કરવાની જવાબદારી સોંપી. ખાધા બલ્લે જેને નોકર મળે તે તો પરમ ભાગ્યવાન કહેવાય! સસરો ઘરમાં કચરા પોતું કરે તો જ તેને ખાવાનું મળે, તે પણ માત્ર એક જ રોટલી! રોટલી સાથે શાક ખાવા જોઈતું હોય તો કપડાં ધોવા પડે. દાળ- ભાત જોઈતા હોય તો પચાસ રૂપિયા કમાઈ લાવીને વહુના હાથમાં આપવા પડે. કેવી તાનાશાહી, કેવી લાચારી!! પુત્રવધૂ બનેલી સ્ત્રીના મગજમાં આટલી બધી તુમાખી ક્યાંથી આવીને ભરાતી હશે? સિંહ જેવા પુરુષોએ પોતાના અવસ્થાને કારણે ઘરમાં મિયાંની મિંદડી થઈને જીવવું પડે એ કેવી દયાજનક સ્થિતિ? લાંબા સમય સુધી બાપાએ આ અપમાન વેઠ્યું પણ સહનશક્તિની હદ આવી ત્યારે મોતને વહાલું કર્યું. સ્યૂસાઈડ નોટમાં લખી ગયા કે મારી લાશ મારા પુત્રોના હાથમાં સોંપશો નહિ! મૃતદેહ મળ્યો. પંચક્યાસ થયો. ગામલોકોએ સ્મશાનમાં દીકરીને બોલાવી. લોકેલાજે બંને ભાઈઓ પણ આવ્યા. સ્યૂસાઈડ નોટ વાંચીને ગુસ્સા પર કાબુ ન રહેતાં ગામલોકોની હાજરી વચ્ચે બહેને બંને ભાઈઓને ગાલ પર તમાચા ઝીંકી દીધા અને સ્મશાનની બહાર કાઢી દીધા. પિતાના અગ્નિસંસ્કાર પત્યા પછી સીધી પોલીસ સ્ટેશને પહોંચી, એની ફરિયાદ પરથી બંને પુત્રો અને પુત્રવધૂઓની ધરપકડ થઈ. જેમણે જેમણે આ વાત જાણી તેમને જરૂર આઘાત લાગ્યો. સ્ત્રીસશક્તિકરણની ઝૂંબેશને ફટકો પડે એવી આ દુર્ઘટના છે. માથાફરેલ પુત્રવધૂઓ જેમને માથે ઠોકાઈ હોય તેવા વૃદ્ધોની યાતના અરેરાટી ઉપજાવનારી હોય છે. આવા નમૂનાને જન્મ આપવા બદલ એમના મા બાપને શરપાવ મળવો જોઈએ!

‘કભી કભી‘ કોલમમાં લેખક દેવેન્દ્ર પટેલે સૂરતમાં બનેલી આવી જ એક ઘટના એક વરસ પહેલાં લખેલી તેનું સ્મરણ થઈ આવ્યું. સૂરતના સુસંસ્કૃત વિસ્તારના એક પરિવારમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓના મા બાપની વીતકકથા વાંચીને અરેરાટી થાય. ત્રણ પુત્રીઓ પરણીને ઘરમાંથી વિદાય થઈ. તેમની રીતે સાસરામાં ગોઠવાઈ ગઈ. મોટા પુત્રને આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબમાં પરણાવેલો. પુત્રવધૂ પિયરમાં સૌની લાડકી તે સારો એવો કરિયાવર લઈને આવેલી. સંયુક્ત કુટુંબમાં રહેવાનું ન ફાવતાં તેના બાપાએ બે બેડરૂમ કિચનનો ફ્લેટ ખરીદી આપેલો ત્યાં તેણે પોતાની મરજી મુજબનો સંસાર ઊભો કર્યો. સાસુ સસરાની જફા મટી ગઈ.

નાનો દીકરો કોલેજમાં ભણતો હતો. છેલ્લા વરસમાં હતો. ભણતર પૂરું થાય પછી એને પરણાવવાનું વિચારતા હતા ને એક દિવસ અચાનક દીકરાને તાવ આવ્યો, બીમારી વધતી ગઈ, હોસ્પીટલમાં દાખલ કર્યો. સારવાર પાછળ ખૂબ પૈસા વેર્યા, પણ બીમારી પ્રાણઘાતક નીવડી. નાનો દીકરો ને વહુ ઘડપણમાં સેવા કરશે એવું આશ્વાસન હતું તે પણ ઠાલું નીકળ્યું. દીકરાના અકાળે થયેલા અવસાનથી વૃદ્ધ મા બાપને માથે આભ તૂટી પડ્યું. પુત્ર વિરહમાં વલોપાત કરતી મા પણ વધુ જીવી ન શકી. ‘છેવટે તો આપણે બે જ હોઈશું!‘ એવી સ્થિતિનું વર્ણન કરતો વોટ્સેપ મેસેજ તો ઘણાએ વાંચ્યો હશે; એકલા રહી જનાર પર શી વીતતી હશે તેની કલ્પના અતિ બિહામણી છે. પતિ બિચારો એકલો થઈ ગયો. એકલવાયું જીવન જીવવાનું અઘરું હતું. ઢળી ગયેલી અવસ્થા અને જુવાનજોધ દીકરાના મૃત્યુથી ભાંગી પડેલ તથા જીવનસાથી વિહોણા એ વૃદ્ધનો જીવનમાંથી રસ જ ઊડી ગયો હતો. લોકે લાજે દીકરો પોતાના ફ્લેટ પર લઈ ગયો. વહુનું મોઢું ચડી ગયું, આ બલા ક્યાંથી વળગી! વર જોડે પણ હસવા બોલવાનું બંધ કીધું અને સસરા જોડે ભિખારી જેવો વ્યવહાર કરવા લાગી. સસરાને સવારે ચા પીવાની ટેવ, પણ ત્રણ ચાર વાર માંગે ત્યારે કલાક પહેલાં ઊકાળેલી ઠંડી ચા ઠોંસે! વડીલને રીબાવવામાં કયો પાશવી આનંદ મળતો હશે, આવી વીરાંગનાઓને? વહુનું ફુંગરેલું મોં જોઈને ખાવાનું માંગતાંયે ગભરાટ છૂટે. ગણતરીની રોટલી ને શાક જે મળે તેનાથી ચલાવી લેવાનું. દાળભાત તો પંદરેક દિવસે મળે. વહુની ગેરહાજરીમાં દીકરાને એક દિવસ વાત કરી કે ‘ભાઈ, હું અડધો ભૂખ્યો રહું છું‘, પણ એણે વાત એક કાને સાંભળી ને બીજા કાનેથી કાઢી નાંખી. વિસનખીનો આટલો બધો ધાક!

કેટકેટલી બાધા રાખીને માણસ ભગવાન પાસે સંતાનની માંગણી કરે, કેવી કેવી અગવડો વેઠીને સંતાનોને સગવડ આપવાનો પ્રયત્ન કરે. તેમના ભાવિ સુખ માટે ભણાવે, ઉત્સાહથી પરણાવે અને પછી તેમના જ હાથે અવહેલના પામે! ભગવાનનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માણસ એમ લખવા બોલવાની આપણે ફિલસૂફી છાંટીએ અને એ જ ઉત્કૃષ્ટ સર્જન જ્યારે હૈયે લાત મારે ત્યારે ભગવાન પરની આસ્થા પણ ડોલી જ જાય. જાનવર કરતાંયે જાય એવું જીવન જોઈને ઘૃણા છૂટે. એક દિવસ દીકરાએ કહ્યું કે ‘તમે રહેતા હતા તે મકાન અમારા નામ પર કરી દો.‘ દીકરાએ ડોક્યુમેન્ટમાં જ્યાં સહી કરવાનું કહ્યું ત્યાં બાપાએ સહી કરી આપી.

બીજા જ દિવસથી વીસનખીએ નહોર ભરાવવા માંડ્યા. ‘આખો દિવસ શું ઘરમાં પડ્યા રહો છો?‘ સસરા સમજી ગયા, જમ્યા પછી નજીકના મંદિરે જઈ બાંકડા પર સૂવાનું ગોઠવ્યું; ઠંડી હોય કે તાપ હોય. ઓશિયાળાની જેમ ઘરમાં જવાનું અને જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાવાનું; ન હોય તો ભૂખ્યા સૂઈ રહેવાનું. એક દિવસ ન રહેવાયું એટલે બોલાઈ ગયું કે ‘વહુ, તું આ જે કરે છે તે સારું નથી. તારા સંતાનો આ બધું જૂએ છે, મુજ વીતી તુજ વીતશે…‘ વહુએ લાકડી શોધી કાઢીને સસરાની ધોલાઈ કરી નાખી. સાંજે દીકરાને વાત કરી તો તે પણ એલફેલ બોલી ગયો. વૃદ્ધની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઈ. એટલે જ નરસિંહ મહેતાએ ફરિયાદ કરતાં ગાયું હશે કે ‘ઘડપણ શીદ મોકલ્યું?‘ ઘડપણ એ માનવજીવનનો મોટો અભિશાપ હશે?

માર ખાઈ ખાઈને ત્રાસી ગયા. પત્નીને યાદ કરતાં બોલે કે ‘મને એકલો મૂકીને તું ચાલી ગઈ એના કરતા હું જ મરી ગયો હોત તો સારું થાત.‘ મરવાની વાત યાદ આવતાં રેલના પાટા પર જઈને સૂઈ ગયા, પણ મોત એમ કંઈ રેઢું થોડું જ પડ્યું છે? ઓળખીતા પારખીતા જોઈ ગયા એટલે સમજાવીને પાછા લાવ્યા, પણ વહુ દીકરામાં શરમનો છાંટો હોય તો ને? સુધરે એ બીજા! સંવેદનાહીન માણસો, સાવ નપાવટ! નહાવા માટે ગરમ પાણી મળતું હતું તેય બંધ થઈ ગયું. ઠંડું નહાવાની પ્રકૃત્તિ નહિ. દુર્બળ દેહ, બીમારીને પેસતાં વાર નહિ લાગે. બપોરે મોડેથી નહાય અથવા શિયાળાની કડકડતી ઠંડીમાં તો નહાવાનું જ માંડવાળ કરવું પડે.

એક દિવસ એક વૃદ્ધાશ્રમમાં રહેવા તેઓ ચાલી નીકળ્યા. મેનેજરે કહ્યું કે સગાં વહાલાંને લઈને આવો, ખર્ચ કોણ ભોગવશે? વૃદ્ધાશ્રમે પણ ન સંઘર્યા એટલે ભત્રીજાઓને ઘરે ગયા. આજીજી કરી કે મને ગમે ત્યાં મૂકી આવો, પણ મારે દીકરાના ઘરે જવું નથી. ખૂબ વિચારને અંતે તેઓ સાબરકાંઠાની એક સંસ્થામાં મૂકી આવ્યા. એ એક એવી સંસ્થા કે જ્યાં રક્તપિત્તના દર્દીઓની સારવાર અને મંદબુદ્ધિના બાળકોની સારી માવજત કરે છે. અહીં એ વૃદ્ધ સુખેથી રહે છે. સવારે ગરમાગરમ ચા- નાસ્તો મળે છે. કપડાં, થાળી વાડકો ધોવા માટે વોર્ડ બોય છે. નહાવા માટે ગરમ પાણી છે. બે ટાઈમ પૌષ્ટિક પૂરતું ભોજન મળે છે. તેઓ રોજ ગીતા વાંચે છે. તેમને હવે એક નવો પરિવાર મળ્યો છે; તેઓ ખુશ છે.

અમિતાભ બચ્ચનની હિંદી ફિલ્મ ‘બાગબાન‘ અને કે.કે સાહેબની ગુજરાતી ફિલ્મ ‘વિસામો‘ જેમણે જોઈ હશે તેમણે એ ફિલ્મો જોતી વખતે અસહાય વૃદ્ધોની પીડા અનુભવી હશે. પ્રફુલ્લ દવેના દર્દભર્યા કંઠે વિસામો ફિલ્મમાં ગવાયેલું એ ગીત ‘એક પારેવડાંની જોડ હતી‘ પ્રેક્ષકોના હૈયામાં ચિરા પાડતું અનુભવાય છે. ‘ચણી ચણીને ચાંચ તણખલાં હોંશે બાંધ્યો માળો, સંસારની બાજી વિખાણી હસતો ઉપરવાળો!‘ જેણે આંખો અને પાંખો આપી એ જનક અને જનેતા જ જેને માથા પરનો ભાર લાગે એ જીવતરને ધિક્કાર છે. સાથે મળીને જે દંપતિએ સુખ દુ:ખ વેઠી જીવન સંઘર્ષ કર્યો, પોતાના સુખ પર પૂળો મૂકીને સંતાનોનું જીવન સુખી બને એ માટે જેઓ ઘસાઈ છૂટ્યા એમને જ્યારે વિસામો લેવાની ઘડી આવી ત્યારે એમના પ્રેમની અદેખાઈ કરે, એમની મજાક ઉડાવે ત્યારે તેઓ માણસ હોવાની તમામ લાયકાત ગુમાવે છે. આવનારી તો પારકા ઘરથી આવી હોય, એણે સાસુ સસરાનો સંઘર્ષ જોયો ન હોય; એને તો એવુંયે લાગે કે તમારાથી થતું હશે ને કીધું હશે એમાં શી મોટી ધાડ મારી? પણ પોતાનું સંતાન જ્યારે પાણીમાં બેસી જાય ત્યારે મા બાપના મનમાં શું થતું હશે? અરેરે, મારો જ રૂપિયો ખોટો નીકળ્યો? આ રૂપિયો ખોટો નીકળે એની વેદના ભારે પીડાદાયક હોય છે.

ભણેલી અને નોકરી વ્યવસાય કરતા કરતા યે ગૃહસ્થાશ્રમની તમામ જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવનારી મહિલાઓ પણ આ સમાજમાં છે. જેઓ પોતાની કમાણીમાંથી સાસુ સસરાને પ્રેમથી પોષે છે એટલું જ નહિ તેમના વતીની તમામ સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે. કુટુંબમાં પતિ ક્યારેક ફરજ ભૂલે અથવા મન નાનું કરે તોયે પત્ની તેને મનાવીને બાજી ઠેકાણે પાડે અને કુટુંબની પ્રતિષ્ઠા જાળવે એવા ઉદાહરણો પણ આપણી આંખ સામે તરવરે છે; તે સૌને નમસ્કાર કરવાનું મન થાય, તેમના મા-બાપને અભિનંદન આપવાનું મન થાય પણ એ જ સન્નારીની વૃદ્ધાવસ્થામાં જ્યારે બદહાલત થાય અને એણે જ્યારે દીકરા વહુની તુમાખી સહન કરવાની આવે ત્યારે આપણે કેવી સંવેદના અનુભવીશું? આવા દાખલા હવે વધતા જાય છે.

વૃદ્ધાશ્રમો વધતા જાય છે એ આનંદના સમાચાર છે કે મોંકાણના? કુટુંબવ્યવસ્થા તૂટે અને વૃદ્ધોએ નિરાધાર નિ:સહાય બની ઠોકર ખાતા, અડલાતાં થઈ જાય એટલે તેમને રાહત આપવા માટે વૃદ્ધાશ્રમો બને છે. ગુનાનું પ્રમાણ વધારે હોય ત્યાં પોલીસ સ્ટેશનની જરૂર ઊભી થાય છે. અદ્યતન સાધનોથી સજ્જ મોટી મોટી હોસ્પીટલો બને એ ગૌરવની વાત નથી; એ હોસ્પીટલો સમાજના અનારોગ્યની ચાડી ખાય છે. શ્રેષ્ઠ વાત એ છે કે કોઈએ હોસ્પીટલમાં ભરતી થવાનો વખત જ ન આવવો જોઈએ; શ્રેષ્ઠ વાત એ છે કે પોલીસ સ્ટેશન કે કોર્ટના પગથિયાં જ ન ચડવા પડે અને શ્રેષ્ઠ વાત એ જ છે કે કોઈ વૃદ્ધને પરિવાર છોડીને વૃદ્ધાશ્રમોની વાટ ન પકડવી પડે!

વોટ્સેપ પર જ એક લઘુ નવલકથા વાંચવા મળી તે પ્રસ્તુત છે; ‘ વૃદ્ધાશ્રમમાં બે વેવણો ભેગી થઈ ગઈ!‘ સમજો તો ઘણું સમજાઈ જાય તેમ છે.

મંત્રો એટલે જીવનસૂત્રો….

નવસારીની સાયન્સ કોલેજમાં અમે ભણતા ત્યારે પ્રો. ડી. એ. દાદી સાહેબ અમને કેલ્ક્યુલસ ભણાવતા હતા. એક દિવસ વર્ગમાં એક સમીકરણ ઉકેલતી વખતે એમણે એક સૂત્ર યાદ કર્યું અને જણાવ્યું કે આ સમીકરણ ઉકેલવામાં આપણને એ સૂત્ર ઉપયોગી થઈ પડશે. એકાએક એમના ચહેરા પર સ્મિત ઝળહળી ઊઠ્યું અને મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘ સૂત્ર ઈઝ ધ મંત્ર ઓફ મેથેમૅટિક્સ !‘ મંત્ર શબ્દની આટલી સરળ અને વહેવારિક વ્યાખ્યા અનાયાસે એમના મુખેથી સાંભળી તેવી જ હૃદયમાં કોતરાઈ ગઈ.

દેવ કે કોઈ શક્તિને સાધ્ય કરવા માટે જે ગૂઢ શબ્દ કે શબ્દો વપરાય તેને સાદી સમજ પ્રમાણે મંત્ર કહેવામાં આવે છે. મંત્ર આપવો એટલે દીક્ષા આપવી અથવા સમજાવી દેવું. ધાર્મિક સંપ્રદાયોમાં અનુયાયી તરીકે જોડાનાર વ્યક્તિ મંત્ર લેવા ધાર્મિક વડા પાસે જાય છે. વડા ધર્મગુરુ સાધકને શરૂઆતમાં લઘુ મંત્ર અને પછી ગુરુ મંત્ર આપે છે. મંત્ર ગુપ્ત રાખવાનો હોય છે. કોને કયો મંત્ર આપ્યો તે જાહેર કરવાનું હોતું નથી. મંત્ર જેટલો ગુપ્ત રાખી શકાય તેમ તેની શક્તિ વધારે. જો તે જાહેર કરી દેવામાં આવે તો તેની શક્તિ ઘટી જાય એવું ધર્મગુરુઓ ઠસાવતા હોય છે. આમેય રહસ્ય જ્યારે ખુલ્લું થઈ જાય ત્યારે તેની અસર કે પ્રભાવ ઓસરી જતો હોય છે. રહસ્ય જ્યાં સુધી ગુપ્ત રહે ત્યાં સુધી તેમાં અપાર શક્યતાઓ ભરેલી હોય છે.પરંતુ મંત્ર આપવો એનો એક અર્થ એવોય થાય છે કે કોઈને સમજાવી દેવું. આપણા વડાપ્રધાન સૌને નમો મંત્ર આપવા માટે જાણીતા છે.. મતલબ કે કોઈ કામ કેવી રીતે કરવાનું કે જેથી તે જલદી થાય, સરળતાથી થાય અને એ કામ કરવા પાછળનો હેતુ સિદ્ધ થાય તેની હિન્ટ આપવી તેને પણ વહેવારિક ભાષામાં મંત્ર આપેલો કહેવાય.

‘મંત્રપુષ્પાંજલી કરવી’ એનો નકારાત્મક અર્થ નીકળે છે. કોઈને કડક શબ્દોમાં ઠપકો આપવો, મારવો કે ગાળો આપવી અથવા શાપ આપવા માટે ‘મંત્રપુષ્પાંજલી કરી‘ એવો શબ્દપ્રયોગ થાય છે. કોઈ કોઈનાથી મોહ પામે કે અંજાઈ જાય તો તે ઘટનાને મં‘ત્રમુગ્ધ‘ થઈ ગયા કહેવાય. પણ તો પછી, મંત્રાલય કે મંત્રણાનો શો અર્થ લેવો? આ શબ્દોને મંત્ર સાથે શી લેવા દેવા હશે? મંત્રનું અપભ્રંશ મંતર થાય. મંતરવું કે મંતરાવવું એટલે કોઈને ભરમાવવું કે ઠગવું. જંતર મંતર જાદુ બનંતર… મંતર એટલે જાદુ. અશક્યને શક્ય કરી દેખાડવું. જો કે જાદુગરો નરી હાથચાલાકી અર્થાત ચપળતાનો જ ઉપયોગ કરતા હોય છે.

એટલી વાત તો નક્કી કે દેખીતી રીતે અશક્ય લાગતું કામ સાકાર કરવું હોય તો ચીલા ચાલુ પદ્ધતિ કરતાં કોઈ વિશેષ રીત અપનાવવી પડે અને એ વિશેષતાને જ કહેવાય મંત્ર. આરોગ્ય માટેના મંત્રો, આર્થિક બદહાલત દૂર કરી સમૃદ્ધ થવા માટેના મંત્રો, અભ્યાસક્રમમાં આવતા કૂટપ્રશ્નો ઉકેલવાના મંત્રો, જીવનમાં આવતી અનેક અડચણો પાર કરવાના મંત્રો, સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો. વહીવટી ગુંચ દૂર કરવાના મંત્રો.મંત્રોએટલે સંસ્કૃત જેવી કોઈ ભાષાના ગૂઢ શબ્દો જ નહિ, પણ સમસ્યાનો ઉકેલ લાવનારા સરળ સૂત્રો. મંત્ર સરળ હોય કે ગૂઢ, પણ એને સિદ્ધ કરવા માટે તપ કરવું પડે તેમ એ સૂત્રો ભલે બોલવામાં સરળ હોય પણ તેને કાર્યસાધક બનાવવા માટે તપ કરવું પડે. માત્ર બોલવાથી કે જપ કરવાથી દહાડો નહિ પાકે. એને વ્યવહારમાં કાર્યાન્વિત કરવા પડે.

‘દરદરોજ વાંચનાર હોશિયાર બને છે‘ આવું સૂત્ર વર્ગખંડના પાટિયા પર લખવામાં આવતું. ભણવામાં હોશિયાર બનવાનો આ એક સીધો સાદો મંત્ર છે.પણ આ મંત્રનું માત્ર રટણ કરવાથી એનું પરિણામ નથી મળતું. કાર્યસાધક બનાવવા માટે મંત્રને જીવનમાં ઉતારવો પડે. પાકો અભ્યાસ કરવો પડે ‘.કરે તેવું પામે અને વાવે તેવું લણે‘ આ કહેવત પણ મંત્ર જેટલો જ પ્રભાવ ઊભો કરે છે. બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકાય. ઊજળું પરિણામ જોઈતું હોય તો કર્મો પણ ઉજળાં જ કરવા પડે. માણસને સુખી થવાની ચાવીરૂપ આવા સૂત્રો મંત્ર કરતાં જરાય ઊતરતા નથી. વગર મહેનતે કામ સિદ્ધ કરી આપનારા ચમત્કારિક મંત્રો પ્રત્યે આપણને આકર્ષણ રહે છે. કોઈ એવો મહાત્મા આપણને મળી જાય કે જે આપણા માથે હાથ ફેરવીને કોઈ મંત્ર બોલે અને કહે કે,‘બેટા, તેરા કલ્યાણ હો જાયેગા‘ અને આપણી સઘળી સમસ્યાનો અંત આવે, એવી મિથ્યા ભ્રમણામાં આપણે જીવીએ છીએ.

પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેએ શ્રીમદ ભગવદ ગીતાના નિચોડરૂપે કેટલાંક સૂત્રો આપણને આપ્યાં છે જે ‘ગીતા સંદેશ‘ તરીકે ઓળખાય છે, એનું પ્રત્યેક વાક્ય મંત્રની કક્ષાનું છે. ‘કર્યા વગર કંઈ મળતું નથી. કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે. કામ કરતો જા અને ભગવાનને હાંક મારતો જા. નિરાશ થઈશ નહિ. મદદ તૈયાર છે. ભગવાન હરહંમેશ તારી જોડે જ છે.‘ આ જીવનસુત્રોને સમજીએ તો એમાં રહેલી શક્તિનો અનુભવ થશે. એનું મહત્ત્વ સમજાશે. અને જીવનમાં ચમત્કાર સર્જાશે.

‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે‘ એ કહેવતને અનુરૂપ ઉપનિષદનો એક જાણીતો મંત્ર છે, ‘ચરૈવેતિ‘.માણસ પ્રવાસ દ્વારા ઘણું શીખે છે, ઘણો ઘડાય છે. પરંતુ, જિજ્ઞાસા અને અવલોકનવૃત્તિ જરૂરી છે. જે પ્રદેશમાં ફરીએ ત્યાંના લોકોનું જીવન, ત્યાંની આબોહવા, ત્યાંની વનસ્પતિ, ત્યાંના લોકોની સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરતાં કરતાં કરેલું ભ્રમણ ચોક્કસપણે માણસનું ઘડતર કરે જ.

આપણો શાંતિમંત્ર જે સર્વ પ્રસંગે બોલાતો રહ્યો છે, તેનો જો મર્મ સમજાય તો સર્વત્ર સદાકાળ શાંતિ જ સર્જાય જો તે સમજીને જીવાય તો. આપણે તો ત્રણ વાર શાંતિ બોલીને મંત્રના પરિણામની રાહ જોયા કરીએ પણ એમ કાંઈ ચમત્કાર સર્જાતો નથી. ‘ૐ સહનાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહવિર્યં કરવાવહૈ, તેજસ્વીનાનધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ‘- ની પાછળ ઊચ્ચ અને કલ્યાણકારી ભાવના રહેલી છે, એની પછવાડે ક્રાંતિકારી વિચારધારા રહેલી છે, એમાં સ્વસ્થ સમાજરચનાના બીજ રહેલા છે. તેનો જો વહેવારમાં અમલ થાય તો પૃથ્વી પર સ્વર્ગ સર્જાય,પણ આપણે તો વિચાર્યા વગર પોપટપાઠ જ કરતા રહ્યા છીએ એટલે એનું પરિણામ દેખાતું નથી.

જિંદગી છે તો એમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહેવાના. દુ:ખને યાદ કરી કરીને રડ્યા કરવાથી કોઈનું ભલું નથી થતું. મુસીબતો નવાઈની કંઈ આપણા જ જીવનમાં ઓછી આવે છે? પણ આપણે હંમેશાં એકના એક રોદણાં રડ્યા કરીએ તો કોઈ આપણી પાસે ઊભું પણ ન રહે. દુ:ખોને હસી કાઢવાની ટેવ પાડવી જોઈએ. ‘હસે તેનું ઘર વસે‘. મુસીબતોથી જેમ ગભરાતા જઈએ તો તેમ મુસીબતો આપણને વધારે ગભરાવે. સાચો રસ્તો તો એ છે કે હિંમતથી એનો સામનો કરવો. ‘હિમતે મર્દા તો મદદે ખુદા‘ આપણે હિમતથી પુરુષાર્થ કરવાને બદલે સીધા ભગવાનને જ હાક મારવા લાગી જઈએ તો એમ કંઈ ભગવાન નવરા નથી કે કોઈના નોકર પણ નથી કે આળસુનો સાદ સાંભળીને દોડ્યા આવે ! ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે ઉપાધિઓ આવી પણ તેમણે હસતાં હસતાં એનો ઉકેલ આણ્યો. જેના હોઠો પર સદાય સ્મિત રમતું હોય તેની સામે મુસીબત પણ લાચાર.

મંત્રો કે સૂત્રો પોતે કોઈ જ ચમત્કાર કરતા નથી એનો વ્યવહારમાં ઉપયોગ કરવાથી ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે.