દાદાને આંગણ આંબલો

 લગનનાં ગીત લગન વખતે જ ગવાય એવી કહેતી છે, પણ વિડંબના એ છે કે હવે તો લગન વખતે પણ ગીત ગવાતા સંભળાતા નથી.

થોડાંક વરસ પહેલાં, આકાશવાણીના સૂરત એફ. એમ કેન્દ્ર પરથી એક પ્રાયોજિત કાર્યક્રમ રજુ થયેલો. જેનું નામ હતું, ‘દાદાને આંગણ આંબલો‘ જેની સ્ક્રિપ્ટ લખી હતી રવીન્દ્ર પારેખે. એ કાર્યક્રમ એટલો સરસ છે કે ફરમાઈશ કરીને વારંવાર સાંભળવો ગમે તેવો છે.

એ સ્ક્રિપ્ટ કંઈક આ મુજબ છે;

એક કુટુંબમાં કન્યાના લગ્ન લેવાઈ રહ્યા છે. કન્યા અને દાદી વચ્ચે સખીપણા છે અને બેઉ વચ્ચે ભાવપૂર્ણ સંવાદો થઈ રહ્યા છે. દાદી જુના જમાનાની છે. પૌત્રી નવા જમાનાની છે. બે જમાનાનો સમન્વય થઈ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં પ્રસંગને અનુરૂપ લગ્નગીતો ગવાઈ રહ્યાં છે. કાર્યક્રમ સાંભળનાર બહુ સહજ રીતે ધ્યાનમગ્ન થઈને માણે એવી સરસ રજુઆત છે. બ્યુટિપાર્લરમાં જઈ મેંદી મુકાવીને હરખભેર ઘરે આવતી કન્યા દાદીમાને મેંદી રંગ્યા હાથ બતાવવા ઉત્સુક છે. દાદી તેની રાહ જોતાં અને કામ કરતાં ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે..‘ ભજન ગણગણી રહી છે. પૌત્રી ‘હાય દાદી!‘ બોલતી લાડ કરતી આવે છે. દાદી ઊંચું જોઈને ‘આવી ગઈ તું?‘ કહેતાં તેનું અભિવાદન કરે છે. ‘આટલી બધી વાર કેમ લાગી?‘ સવાલના જવાબમાં કન્યા બ્યુટિપાર્લરમાં લાગેલી લાઈનની વાત કરે છે. દાદી કહે છે કે મેં તો તને કહ્યું જ હતું કે હું તને મેંદી મૂકી આપું, પણ તું તો નવા જમાનાની છોકરી. તને એ ન ગમ્યું અને તું પાર્લરમાં ગઈ. કન્યા કહે છે‘ તારી પાસે મુકાવી હોત તો રાત પડી ગઈ હોત. દાદીમા કહે છે કે તે રાત તો આમેય પડી જ ગઈ! કન્યા એના હાથ પરની મેંદી બતાવીને તેના વખાણ કરે છે. દાદી કબૂલે છે કે આટલી સરસ તો મેં પણ ન મૂકી હોત, પણ મેં ગાયું હોત જરૂર કે ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. ‘ દાદીમા તાનમાં આવીને ગાવા લાગી જાય છે. કન્યા બોર થાય છે અને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ‘દાદી, તને આટલું બધું મોંઢે કેવી રીતે રહી જાય છે તે જ મને સમજાતું નથી‘. દાદી કહે છે કે ‘તને ન જ સમજાય, બે વત્તા બે નો ગુણાકાર કેલ્ક્યુલેટર પર માંડનાર પેઢીને એ ન જ સમજાય. તને નથી લાગતું કે ટેકનોલોજી વધી અને યાદશક્તિ ઘટી? રિવાજો ભુલાયા અને સંસ્કારો પણ! આ તારા લગ્ન છે, પણ કંઈ લગ્ન જેવું લાગતું નથી. દીકરી કહે છે કે કલાક પછી તો ડિસ્કો દાંડિયા છે.

દાદી કહે છે કે આ તારા દોઢિયા ફોઢિયામાં મને સમજ ના પડે. જૂનું તેટલું સોનુ માનતી દાદીને તો ગીત ગાવામાં જ રસ છે. પૌત્રી ઉત્સુકતાથી પૂછે છે, ‘હેં દાદી! તેં તો પીઠી ચોળી હશે, નહીં? દાદી કહે છે કે મારી માએ ચોળેલી પણ તે ગાતાં ગાતાં! જો સાંભળ આ ગીત, બેકગ્રાઉન્ડમાં સમુહ સ્વરમાં ગીત ગવાઈ રહ્યું છે. ‘પીઠી ચોળી લાડકડી, ચુંદડી ઓઢી લાડકડી, ચુંદડીએ ધબકારા ઢાંક્યા.. કન્યા આ ગીત સાંભળીને ખુશ થઈ જાય છે. દાદીની વાત આગળ ચાલે છે, ‘આજે તમે જેમ ડાચાં રંગો છો ને તેમ અમારા વખતમાં વાનો લગાડાતો. ‘વોટ વાનો?‘ કન્યા પૂછે છે અને દાદી એના રંગમાં જાણે જાહેરાત કરતી હોય તેમ જવાબ આપે છે કે ‘વાનો એટલે સુગંધીદાર, ગુણયુક્ત પાઉડર, ત્વચા પર લગાડો તો… ‘દાદી ક્રીમ લગાડો કે પાઉડર, એનાથી શો ફેર પડે? દાદી કહે કે ‘ફેર પડે, ક્રીમ લગાડીને તું ઢગલો રૂપિયા ખરચી આવી પણ વાનો ફોઈ પાસે લગાવાતો અને એ રીતે ઘરની દીકરીનો હક ઊભો કરાતો. ચાલો એનું પણ એક ગીત સાંભળ,‘ ફરીથી સમુહગાન શરૂ થાય છે, ‘જે જોઈએ તે માંગો મહિયારી, આજે મહિયારીનો દાવ! તમારા વીરાની શાખ ઘણેરી, આજે મહિયારી દાવ. પેટી ખોલાવો ને પેટારા ખોલાવો આજે0.. સેલાની જોડી કઢાવો રે બેની, આજે મહિયારીનો દાવ. સાંકળીની જોડી કઢાવો રે બેની, આજે તમારો દાવ. મામી તો હોશે લાવ્યા…લાડકડીના હાથે કેવાં શોભી રહ્યાં!

કન્યા પૂછે છે, દાદી તારા લગનમાં પણ ગીતો તો ગવાયા જ હશે ને, એટલે દાદીને ચાનક ચડે છે, ‘અરે તે વખતે તો બધું ગીતોથી જ શરૂ થતું અને ગીતોથી જ પૂરું થતું. જન્મથી મરણ સુધીના કેટલાં બધાં ગીતો! દરેક પ્રસંગે ગીતો ગવાતાં. પણ એક વાત તો હતી જ કે તે જમાનામાં નાનામાં નાની ચીજોનું પણ મહત્વ સ્વીકારાતું. હમણાં તો તમે ફોન કરો અને રેસિપી તૈયાર પણ પહેલાં તો પેણો ચડાવાતો તે માટે ચૂલ ખોદાતી. તેનું પણ ગીત ગવાતું ચૂલામાં વળી ગાવાનું શું? એમાં તો ખાવાનું હોય! પણ એ ખાવાનું જે આપે છે ને તે ભૂમિનું પૂજન કરીને તેનો મહિમા ગાવાની વાત છે. વોટ નેક્સ્ટ? દાદી કહે છે કે ઉકરડી નોતરવાની. કન્યાને નથી સમજાતું. દાદી સમજાવે છે કે લગનનું ઘર હોય એટલે ભીડભાડમાં ઘરેણાં ખોવાય. બધાએ નવા કોકા પહેર્યા હોય, તેને કચરો કાઢવાનું કેમ સોંપાય એટલે કચરો વાળી ઝૂડીને ભેગો કરાતો. એમાં ખોવાયેલી વસ્તુ જડી આવતી. આમ ઊકરડી નોતરવાનો રિવાજ પડી ગયેલો. એક ગીત સંભળાય છે, ‘સહુ દેવને નોંતરીએ પાવલિયે પડી પડી.‘

શુભ પ્રસંગે દેવદેવીઓને પણ નોતરવામાં આવે. ‘બ્રહ્માણી આવ્યા ને લક્ષમીજી આવ્યા, માય દેવને માંડ્યા અમે … ભરી ભરી.

પણ સ્થાપના તો ગણેશજીની થાય ને? ‘ગણેશને તેડાવો રે રૂડા અવસરીએ.. એ ગણેશને બેસાડો રે સોના રૂપા બાજઠિયે. (આવાં ગીતોની ઠસક માણવા જેવી હોય છે! એનો સ્વરનિયોજક કોણ હશે?)

પણ બધામાં ધાર્મિક મહત્વ જ રહેતું એવું નહી, સામાજિક મહત્વ પણ રહેતું તને જાણીને નવાઈ લાગશે કે પૌત્રી દાદાને કહેતી કે એને કેવો વર જોઈએ છે? ‘બેની દાદાજીને ખોળે બેસી, ધીમું ધીમું બોલે, દાદા વર જોજે કંઈ વાડીમાંનો મોરલો.‘

લગ્ન એ અંગત બાબત હોવા છતાં એને જ્યારે સામાજિક પીઠબળ મળે છે ત્યારે એ પ્રસંગવિશેષ બની જાય છે. એટલે જ તો લગ્ન ટાણે બધાંને કંકોતરી લખીને આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી ગીત ગવાય છે

‘ કાગળ મંગાવો, કંકોતરી છપાવો, સગે વહાલે પહોંચાડો, આપણે ઘેરે બેની બાનો માંડવો..

મોટા કાકાને મોકલાવો, મોટા કુટુંબને તેડાવો રૂડા ગામને જમાડો આપણે ઘેરે લાડકડીનો માંડવો..‘

દાદી સમજાવે છે ગ્રહદેવતાની કૃપાદૃષ્ટિ ઊતરે તે માટે ગ્રહશાંતિ અને માંડવો સજાવવામાં કલાની અભિવ્યક્તિ છે બેટા, પણ આજે તો ફાસ્ટફુડિયા જમાનામાં માંડવા પણ રેડીમેડ મળે છે. પણ પહેલાં તો દીકરી દાદાને કહેતી, ‘આલા લીલા વાંસલડા વઢાવો રે દાદ! માણેકથંભ રોપાવો રે..‘ ગવાતું.

દાદી અને દીકરી વચ્ચે હળવી શૈલીના સંવાદો વચ્ચે કેટલીક ગંભીર વાતો પણ થાય છે. જૂનું તેટલું બધું સારું જ હતું એવું નથી. તે વખતે બાળલગ્નો થતા એટલે આજે પણ કરવા એવો આગ્રહ કદાપિ ન કરાય. આણાં તેડવા અને આણાં વળાવવા પાછળ બધાંનો ધીમે ધીમે પરિચય થાય એ જ ઉદ્દેશ હતો. પહેલાંના સમયમાં લગ્ન ગોઠવવાથી માંડીને મોસાળું કરવાની તમામ ફરજ અને ગરજ મામાની ગણાતી હતી. આજે કોઈ મામો એવું કરવા જાય તો ‘મામો‘ જ બની જાય.

દરમિયાન વરઘોડાની વાત નીકળે છે અને એક ગીત શરૂ થાય છે, ‘હંસા તારી સોનાની ચાંચ. હંસા તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે રે હંસો મોતી ચણવા જાય… હંસા જાજે ઉગમણે દેશ, હંસા જાજે આથમણે દેશ, વળતો જાજે રે વેવાઈને માંડવે હો રાજ.. કોઈ જાતના મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટનો સાથ લીધા વગર કુદરતી રીતે ગવાતાં આવાં ગીતો વગર આજના લગ્ન પ્રસંગો ઓશિયાળાં બની ગયાં છે. ફિક્કાં ફિક્કાં લાગે છે.

વરઘોડા શબ્દ પર દીકરી વાંધો લે છે. ‘વરને વળી ઘોડો શી રીતે કહી શકાય?‘ દાદીને ટીખળ સૂઝે છે તે કહે છે કે ‘તું ત્યારે તારા વર ગધેડો કહેજે!‘  લગ્ન સાથે પ્રકૃતિ, પ્રાણી અને પંખી જોડાયેલાં છે. હંસની ચાંચ સોનાની છે એમાં મહત્વ સોનાનું નથી પણ હંસનું પ્રતીક જેના માટે વપરાયું છે તે આત્માનું મહત્વ છે. દાદી મીરાંબાઈનું ગીત ‘જૂનું તો થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું‘ ગાઈ સંભળાવે છે.

એકાએક ફટાણાં યાદ આવે છે એટલે સમુહસ્વરે ફટાણાં ગવાય છે,

‘ઘરમાં નહોતું નાણું ત્યારે શીદ માંડ્યું તું ટાણું, મારા નવલા વેવાઈ! ઘરમાં નહોતી જાજમ, ત્યારે શીદ તેડ્યું તું સાજન, મારા નવલા વેવાઈ! ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડી ‘તી જાન, મારા નવલા વેવાઈ!  હવે ‘નવલા વેવાઈ‘ શબ્દ ભુલાવા આવ્યો છે.

સપ્તપદી અને મંગલાષ્ટકની વાત થાય છે અને શરૂ થાય છે. મહિલાઓનુ ગૃપ ઉંચા અવાજે ગુજરાતી ભાષામાં ભાવથી મંગલાષ્ટકનું ગાન કરે છે અને વાતાવરણમાં ગંભીરતા સાથે પવિત્રતા છવાઈ જાય છે.

કન્યાવિદાય  પ્રસંગે દીકરી રડશે એવી વાત દાદી કરે છે અને દીકરી કહે છે કે હું રડવાની નથી!મારી રાજીખુશીથી સાસરે જતી હોઉં પછી શા માટે રડવાનું? વાત વિદાયની છે, ‘વી ડાય‘ ની નહીં!  દાદી ચેલેન્જ કરે છે કે મરજીથી પરણે છે છતાં તું રડશે જ, તેમાંયે જમાઈની હાજરીમાં તો ખાસ! એવામાં કોરસ શરૂ થાય છે. ‘દાદાને આંગણ આં..બલો, આંબલો ઘોર ગંભીર જો..! મજાક મસ્તી વચ્ચે વાતાવરણમાં ગંભીર પલટો આવે છે. દીકરી ડૂસકાં લેતી સંભળાય છે. ગીત આગળ ચાલે છે, ‘પહેલું પાન અમે ચૂં..ટિ.યું, બીજું ચૂં..ટ.વા દેજો. દાદાને વહાલા દી..ક..રા, અમને દીધાં, પર..દેશજો‘  તે સાથે જ લાગણીનો બંધ તૂટી જાય છે અને દીકરી હીબકાં ભરતી થઈ જાય છે. શબ્દો, ગાનારનો ભાવ, ગીતનું કોમ્પોઝિશન, રજૂઆત એટલી સચોટ છે કે એ સાંભળનારનું હૈયું પણ દ્રવી જાય છે. ખરેખર વિદાય તો હજી થઈ જ નથી, ગીતના શબ્દો જ સૌને રડાવી દે છે.

હવે આંગણાં જ નથી રહ્યાં. આંગણાં ગયાં અને આંગણાંમાંથી આંબાયે ગયા. આંબો એક કાળે સમૃદ્ધિનું પ્રતીક ગણાતો. હવે મોકળાશ જ નથી રહી. માણસના હૈયામાંય મોકળાશ રહી નથી. માણસ પ્રકૃતિથી દૂર થતો ગયો, વિકૃતિની નજીક થતો ગયો. સ્તુતિ ગઈ અને સ્ફૂર્તિ પણ ગઈ.

બહુ અર્થપૂર્ણ સંવાદો લેખકે લખ્યા છે. પ્રકૃતિ જ ઈશ્વર છે. નરસિંહ મહેતા કહે છે, ‘પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૂક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે‘ તો વળી નાનાલાલે તો ફૂલને દેવની હથેળી કહી છે. દીકરી કહે છે કે ‘પ્રકૃતિ અને સ્ત્રી સાથે સાથે જ ચાલે છે‘ દાદી કહે છે, ‘ના દીકરી, પ્રકૃતિ તે જ સ્ત્રી છે અને સ્ત્રી તે જ પ્રકૃતિ છે. પ્રકૃતિને નુકસાન કરીને માણસે સ્ત્રીને પણ હાનિ પહોંચાડી છે. સ્ત્રીના બધાં જ કાર્યો પ્રકૃતિ સાથે સંકળાયેલાં હતાં. મેઘ અને મધ હોય તો પણ મા તો એથીય  વિશેષ મધુર છે. ગીત ગવાય છે ‘મીઠાં મધુ ને મીઠાં મેહૂલા રે લોલ‘.

બીજી ઘણી વાતો આ કાર્યક્રમમાં સમાવિષ્ટ થઈ છે. બધું અહીં લખવું શક્ય નથી, પણ જૂના સમયમાં લગ્ન પ્રસંગે ગવાતું એક પ્રભાતિયું મેં પણ સાંભળ્યું હતું તે અહીં ગવાય છે તેનો ઉલ્લેખ કરીને વિરમું છું. વારંવાર ફરમાઈશ કરીને રેડિયો પરથી આ કાર્યક્રમ માણવા જેવો છે.

સૂરજ ઊગ્યો રે કેવડિયાની પડખે કે વહાણેલાં ભલાં વાયાં રે.

સૂતા જાગો રે વસુદેવના નંદ કે વહાણેલાં ભલાં વાયાં રે….

‘પ્રિયમિત્ર‘ શિવમ્ સુંદરમ્

પ્ર. મિ.

શિક્ષણ વ્યવસ્થા પર કોનું નિયંત્રણ હોવું જોઈએ

‘આજનું શિક્ષણતંત્ર ખાડે ગયું છે‘ એવી ફરિયાદ ઘણા સમયથી સંભળાતી રહી છે. છેલ્લા વર્ષો દરમિયાન ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ થવા લાગી છે અને ખાનગી સ્કૂલ- કોલેજોના રાફડા ફાટ્યા છે. સરકારી શિક્ષણ પ્રજાને પરવડે છે, પણ સરકારને મોંઘું પડે છે. ખાનગી સંસ્થા દ્વારા અપાતું શિક્ષણ પ્રજાને મોંઘું પડે છે, એવી સતત ચાલતી રહેલી બૂમ વચ્ચે પણ લોકો તેને જ પસંદ કરતા જાય છે. પ્રજાના એક વર્ગ તરફથી અવાજ ઊઠી રહ્યો છે કે સરકારે શિક્ષણનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ. સરકાર મીંઢી છે. એના મનનો ગલ જાણવા દેતી નથી! ખરેખર શું હોવું જોઈએ, શિક્ષણ સરકાર હસ્તક હોવું જોઈએ કે ખાનગી પેઢીને હસ્તક હોવું જોઈએ? કે પછી એ સ્વતંત્ર હોવું જોઈએ?

આ મુદ્દો સમજતા પહેલાં મહાભારત કાળની ઘટના પર એક નજર મારવા જેવી છે. શિક્ષણ પહેલવહેલું રાજ્ય હસ્તક થયું હોય તો તે મહાભારતના કાળમાં થયું છે. દ્રોણ ગુરુ એવા પહેલવહેલા શિક્ષણશાસ્ત્રી છે જે તપોવન છોડીને રાજકુમારોને બાણવિદ્યા શીખવવા હસ્તિનાપુર ગયા. સંજોગો જ એવા નિર્માણ થયા હતા કે દ્રોણાચાર્ય પાસે એ સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. દારુણ ગરીબી પીછો છોડવાનું નામ નહોતી લેતી. દ્રોણાચાર્યની પત્ની પાસે નાનકડા અશ્વત્થામાને પીવડાવવા દૂધ નહોતું. પાણીમાં પૌઆ ઘોળીને દૂધનો આભાસ કરાવીને તે અશ્વત્થામાને પટાવતી હતી. દ્રોણથી તે સહન ના થયું. બચપણનો મિત્ર દ્રુપદ યાદ આવ્યો. ભણતી વખતે દ્રુપદે તેને કહ્યું હતું કે હું રાજા થઈશ ત્યારે મારું અડધું રાજ્ય હું તને આપી દઈશ. દ્રોણાચાર્ય દ્રુપદના દરબારમાં ગયા અને વચન મુજબ અડધું રાજ્ય માગ્યું.

દ્રુપદે એની વાત હસી કાઢી. ‘તું ક્યાં ને હું ક્યાં? શું જોઈને તું મારી પાસે રાજ્ય માંગવા આવ્યો?‘ દ્રોણાચાર્ય તો દ્રુપદના વર્તનથી સ્તબ્ધ જ ગયો. બંને વચ્ચેની ગાઢ દોસ્તી અને બચપણનું વચન યાદ દેવડાવ્યું પણ રાજા બનેલા દ્રુપદે કહી દીધું કે ‘બચપણની એ વાત હવે તું ભૂલી જા. અણસમજમાં, લાગણીના અતિરેકમાં કંઈ બોલાઈ ગયું હશે તેથી કંઈ મારા રાજ પર તારો અડધો અધિકાર પ્રસ્થાપિત નથી થઈ જતો. બીજી કોઈ મદદ જોઈતી હોય તો બોલ.‘ અપમાનથી ડઘાઈ ગયેલા દ્રોણાચાર્યને ધુંધવતા પાછા ફરતા હોય છે ત્યાં કૌરવ- પાંડવોના પિતામહ ભીષ્મ મળે છે અને રાજકુમારો માટેની એક અલાયદી સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટી શરૂ થાય છે. તે પહેલાં શ્રી કૃષ્ણ સુદામા પણ સાંદિપની ઋષિના તપોવનમાં વિદ્યાભ્યાસ કરવા ગયા હતા.

વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી દ્રોણાચાર્ય ગુરુદક્ષિણા માંગે છે. ગુરુદક્ષિણામાં દ્રુપદ રાજાને યુદ્ધમાં હરાવીને તેને બાંધીને હાજર કરવાનો હોય છે. અર્જુન દ્રુપદને યુદ્ધમાં હરાવે છે. બંદીવાન બનાવીને દ્રોણ સમક્ષ હાજર કરે છે. પરાજિત દ્રુપદને મહેણું મારતાં દ્રોણ કહે છે કે, ‘કેમ આજે તું હાર્યો ને? તેં અડધું રાજ્ય આપવાની ના પાડી હતી. આજે તારું આખું રાજ્ય મેં જીતી લીધું છે!‘ દ્રુપદ ખડખડાટ હસે છે. ‘દ્રોણ, હારી તો તું ગયો છે!‘ દ્રોણ ચોંકી જાય છે, હું વળી કેવી રીતે હાર્યો? દ્રુપદ કહે છે કે ‘ક્ષત્રિયો માટે યુદ્ધ તો એક રમત છે. એમાં હાર- જીત તો સામાન્ય વાત છે. હું હાર્યો છું તે પણ એક ક્ષત્રિયના હાથે, એ કોઈ શરમજનક ઘટના નથી. પણ તું વિચાર કર કે તારું કેટલી હદે અધ:પતન થઈ ગયું છે. હાર્યો તો તું છે. તારા પિતા તપોવન છોડીને ક્યાંયે ભીખ માગવા ગયા નહોતા. હજારો વિદ્યાર્થીઓને રાજા કે રંકના ભેદભાવ વગર વિદ્યા ભણાવતા હતા તેને બદલે તેં તપોવન છોડીને રાજ્યાશ્રય સ્વીકાર્યો એ તારી હાર છે. મહાન ઋષિ ભરદ્વાજનો વંશજ કહેવડાવતા તને શરમ આવવી જોઈએ. પ્રતાપી રાજાઓ ઊઠીને આચાર્ય સમક્ષ મસ્તક નમાવવા આવતા જ્યારે તારું માથું હસ્તિનાપુરના રાજા સમક્ષ નમે છે. તારું તેજ હણાઈ ગયું, તું ગુલામ બની ગયો છે.‘

ચાલો, માની લઈએ કે દરિદ્રતાને કારણે દ્રોણ ગુરુએ નોકરી કરવી પડી. પ્રાઈવેટ ટ્યૂશન કરવા પડ્યા, પણ તે પછી હસ્તિનાપુરમાં પથારો પાડીને પડી રહેવામાં કઈ લાચારી હતી? જરા જેટલું પણ આત્મસન્માન બચ્યું હોય તો હસ્તિનાપુર છોડી દેવુ જોઈતું હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ લડ્યા તે પણ અધર્મના પક્ષે રહીને! શિક્ષણના વિનિપાતની શરૂઆત તો આચાર્ય દ્રોણના સમયથી ચાલુ થઈ ગઈ હતી એમ સમજાય છે.    

શિક્ષણ વ્યવસ્થા જેના હાથમાં હોય તેઓ પોતાનો એજન્ડા ચલાવતા હોય છે. વેપારી લોકો શૈક્ષણિક સંસ્થા ચલાવતા હોય તો નફો કરાવી આપનારી વિદ્યાશાખાઓ ઊભી કરે અને ઉદ્યોગપતિઓ શૈક્ષણિક સંસ્થા ચલાવતા હોય તો જે તે ઉદ્યોગને લગતા ટેકનિશિયનો તૈયાર કરનારી સ્કૂલ- કૉલેજો ઊભી કરે. એ લોકો ધનોપાર્જન માટે આ ક્ષેત્રમાં પડેલા હોવાથી તેઓ રોજગારલક્ષી અભ્યાસક્રમો તૈયાર કરતા હોય છે. પ્રજાનો પ્રાણપ્રશ્ન પણ રોજીરોટી મેળવવાનો જ હોય છે. અંગ્રેજ સરકારને બાબુઓની જરૂર હતી તેથી તેમણે કારકુનો પેદા કરવાની ફેકટરીઓ ખોલી. આપણી પુરાતન સામાજિક વ્યવસ્થામાં રોજગારીનો પ્રશ્ન આજના જેટલો વિકટ નહોતો. સુથારનો દીકરો સુથાર અને કુંભારનો દીકરો કુશળ કુંભાર બને, દરજીનો દીકરો દરજી અને લુહારનો દીકરો કુશળ લુહાર બનતો. ખેડૂતનો દીકરો ખેડૂત અને વેપારીનો દીકરો વેપારી બનતો. વૈદ એના દીકરાને વૈદું શીખવે, ગોર મહારાજ એના સંતાનોને કર્મકાંડ શીખવે. રોજગારની ટેકનિક શીખવા બીજે કશે જવું પડતું નહી. નાનપણથી જ જોતા આવેલા હોય એટલે વારસાગત ધંધામાં જલદીથી હાથ બેસી જતો અને કુશળતા પ્રાપ્ત કરતો. તો પછી ભણવાનું શા માટે? સમાજમાં કેવી રીતે જીવવું, જીવનમાં આવતી મુશીબતો સામે કેવી ટક્કર લેવી, આફતને અવસરમાં કેવી રીતે ફેરવવી, જીવનને ઉન્નત શી રીતે બનાવવું તેને માટે શિક્ષણ લેવાનું હોય. પેટનો ખાડો કઈ રીતે પૂરવો તેને માટે કંઈ નિશાળ કૉલેજ થોડાં જ હોય? જીવમાત્ર પોતાની મેળે પોતાનું ભોજન મેળવી લે છે. ઘણીવાર તો એવું જોવામાં આવે છે કે ખૂબ ભણેલી વ્યક્તિ કરતા સાવ ઓછું ભણેલી વ્યક્તિ સારું કમાતી હોય છે. ત્યારે શિક્ષણનો હેતુ કયો? રોજગાર પણ ન આપી શકતું હોય તો એ શિક્ષણ કેવું?

ઊંચી ઊંચી ડિગ્રી અને લખલૂટ વૈભવ પ્રાપ્ત કર્યા પછી પણ માણસ સુખી નથી. સ્વસ્થ નથી. સંતોષ અને સમાધાન નથી. એ અશાંત છે, અતૃપ્ત છે. બેચેન છે. હતાશ છે. સુખ દુ:ખમાં સમતા રાખીને કેવી રીતે જીવવું તેનું શિક્ષણ મળતું નથી તેને લીધે અનેક પ્રતિભાઓ વિલાઈ જાય છે. આ બહુ મોટી ખોટ છે. જીવનલક્ષી શિક્ષણ વિના માણસ ભટકાય છે. પણ એની કોઈને જરૂર જ લાગતી નથી. એ શિક્ષણ ક્યાં મળશે? એ શિક્ષણ કોણ આપી શકે તેમ છે?

આજનું શિક્ષણ કુશળ વહીવટકારો પેદા કરી શકે છે, સફળ બિઝનેશમેન અને ઉદ્યોગપતિઓ પેદા કરી શકે છે, પ્રભાવી વક્તા, કુશળ ઈજનેર, ડોકટર વગેરે પેદા કરે છે પણ માનવતાના ગુણોથી શોભતો, ટટ્ટાર, પ્રતાપી, સ્વમાની, પ્રામાણિક અને આત્મવિશ્વાસથી ઉભરાતો માણસ પેદા કરવામાં નિષ્ફળ ગયું છે. વ્યથાની વાત તો એ છે.

શિક્ષણનો દોર સરકારના હાથમાં હોય તો શું થાય તેનો આપણને અનુભવ છે. દેશના લોકોમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ ઊભો કરવો એ પ્રાથમિક જરૂરિયાત છે. રાષ્ટ્ર ઊભું થય તો તે એના ગૌરવવંતા ઇતિહાસમાંથી પ્રેરણા લઈને. તે માટે રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ દેશના નાગરિકોને સમજાવવું જોઈએ. આપણે ત્યાં એ ચૂકી જવાયું. ગુલામીમાં ઉછરેલી પેઢી એની અસલ ઓળખ જ ભૂલી ગઈ હતી. આઝાદી મળ્યા પછી એ પાયાનું કામ કરવું જરૂરી હતું પણ તે ભૂલીને આપણને ઊંધે રવાડે ચડાવવામાં આવ્યા. વૈદિકોનો ઝળહળતો, ઇતિહાસ ભુલાવી દઈને ઈરાદાપૂર્વક વિકૃત ઈતિહાસ ભણાવવામાં આવ્યો. લાલ અને લીલા ચશ્માથી તૈયાર કરાતાં પાઠ્યપુસ્તકોએ આપણામાં લઘુતાગ્રંથિ ઊભી કરી આપી. આપણે આપણી અસલ ઓળખ જ ગુમાવી બેઠા. આપણે ગૌરવહીણા અને આત્મવિશ્વાસ વગરના બની ગયા. જેટલું નુકસાન વિધર્મી અને વિદેશી શાસકોએ કર્યું તેનાથી વિશેષ નુકસાન આઝાદ ભારતની ચુંટાયેલી સરકારોએ કર્યું. રાજકારણીઓની દાનત જ ખોરી અને ખામી ભરેલી હોય ત્યારે રાજ્યાશ્રિત શિક્ષણવ્યવસ્થામાં શો ભલીવાર રહે?

જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે, વાવાઝોડાની જેમ પરિવર્તનો આવતાં જાય છે. દુનિયા જાણે એક ગામડા જેટલી નાની બની ગઈ છે. દેશ વિદેશના લોકો જોડેનો વહેવાર વધતો જાય છે. નવી નવી ભાષા અને બોલી શીખવી પડે છે. નવા નવા હુન્નરો શીખવા જ પડે છે. ટેકનોલોજીએ હરણફાળ નહીં પણ રોકેટફાળ ભરી છે એટલે એ તો શીખવી જ પડે. જમાનો હરિફાઈનો છે. અભિગમમાં ગુણાત્મક પરિવર્તનો લાવીને પોતાની જાતને સતત અપડેટ કરતા રહેવું પડે છે. સફળતા અને નિષ્ફળતા મળતી જ રહેવાની. સમૃદ્ધિ આવવાની અને કંગાલિયત પણ આવવાની. ડગલે ને પગલે કસોટી થતી જ રહેવાની એ સમયે મન બુદ્ધિનું સંતુલન રાખીને સ્વતેજ કેમ પ્રગટાવતા રહેવાનું તેવા શિક્ષણની આવશ્યકતા છે. તે આપણને કોણ આપવાનું?

આપણી પીડા છે આજનું ફોર્મલ એજ્યુકેશન મોઘું બનતું જાય છે તેની. સરકારે મફત શિક્ષણ આપવું જોઈએ. પહેલાંની સરકારોએ મફત શિક્ષણ આપ્યું જ હતું. તે કેવું હતું? એક વાત સ્પષ્ટ છે કે દુનિયામાં મફત કંઈ મળતું નથી. મફત મળે તેની કોઈને કદર નથી હોતી. ઉપલક નજરે જે સસ્તું કે મફત દેખાય છે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. શિક્ષણ વ્યવસ્થાનો દોર શિક્ષણશાસ્ત્રીઓના હાથમાં હોવો જોઈએ. અભ્યાસક્રમો તૈયાર કરવાથી માંડી વિદ્યાર્થીઓનો પ્રવેશ, શિક્ષકોની નિમણૂંક, કર્મચારીઓના પગાર, અન્ય સગવડો, સમગ્ર સંચાલન કેળવણીકારોના હાથમાં હોવું જોઈએ. ફંડની જોગવાઈ સરકારે કરી આપવાની, પણ તેમાં કોઈ વેપારી, ઉદ્યોગપતિ કે રાજકારણીની કોઈ દખલ ન હોવી જોઈએ.

પ્ર. મિ.

તા. ૦૩/૦૮/૨૦૨૨



ખોરાક અને ઉપવાસ

ઘરના ઓટલે બેસીને મિત્રો સાથે ગપ્પાં મારતાં બેઠા હોઈએ અને કિચનમાં રસોડાની રાણીએ વઘારનો ચપકો મૂક્યો હોય તો તેની સુગંધ આવતાં જ મોઢામાં પાણી આવે. રસ્તે પસાર થતાં હોઈએ અને પર્ફ્યુમવાળાની દુકાન આવે કે અટકી જવાનું મન થાય. કોઈ સૌંદર્યવાન મહિલા આપણી બાજુમાંથી પસાર થઈ જાય તો તેના ગયા પછી પણ પાછળ વળીને દૃષ્ટિ નાંખવાનું મન થાય. કનૈયાની મોરલી વેળા કવેળા મધુર સૂરાવલિ છેડે અને ગોપીઓ ચૂલા પર મૂકેલું આંધણ ઉભરાતું મેલીને સૂરની દિશામાં દોટ મૂકે. આ બધી કુદરતી ઘટનાઓ છે અને તેના પર કોઈનો કાબુ નથી. પણ આવું કેમ થાય છે?

આવું થાય છે કારણ કે વિષયો એ ઇન્દ્રિયોનો ખોરાક છે તેથી તે વિષયો તરફ ખેંચાય છે અને તેની પાછળ દોડે છે. વિષયો અને ઇન્દ્રિયો વચ્ચે કુદરતે આકર્ષણ મૂક્યું છે. એ સહેતુક હશે કે અહેતુક તેની ચર્ચા તો પછી આવે; આકર્ષણ થાય એ વાત મુખ્ય છે. વિષયો મનમાં વિકાર નિર્માણ કરે છે. વિકાર એટલે ફેરફાર. વિકારો ધ્યાનમાં આવ્યા પછી મન સ્વસ્થ રહેતું નથી. મનની સ્થિતિમાં ફેરફાર થાય છે. મન અસ્વસ્થતા અનુભવે છે. એને તે વિષયો ભોગવવાની લાલસા જાગે છે અને તે પ્રાપ્ત કરવા ઇન્દ્રિયોને હુકમ કરે છે. ત્વરિત પ્રાપ્ય ન હોય તો જેમ બને તેમ જલદી તેને પ્રાપ્ત કરવા માટેની યોજના આકાર લેવા માંડે છે. માણસના મનમાં આ વિકાર પેદા કરનાર વિષય તરીકે કોઈ પદાર્થ જ હોય એવું નહીં, પણ કોઈ વ્યક્તિ કે વિચાર પણ હોઈ શકે.

આપણા શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. જેનાથી આપણને વિષયનું જ્ઞાન થાય છે. આંખથી સારું-નરસું જોવું. કાનથી કોમળ-કઠોર શબ્દ સાંભળવા, નાકથી સુગંધ દુર્ગંધનો ભેદ પારખવો, જીભથી ખાદ્ય-અખાદ્યનો સ્વાદ જાણવો, અને ત્વચાથી કોમળતા- કઠોરતાનો અનુભવ થાય છે. આ દરેક ઈન્દ્રિયના એક એક દેવતા છે. તદ્દનુસાર આંખનો વિષય રૂપ છે અને તેનો દેવતા સૂર્ય છે. કાનનો વિષય શબ્દ છે અને તેનો દેવતા આકાશ છે. નાકનો વિષય ગંધ છે અને તેનો દેવતા પૃથ્વી છે. જીભનો વિષય રસ અને દેવતા જળ છે. ત્વચાનો વિષય સ્પર્શ અને દેવતા વાયુ છે. આ કારણે આપણી પાંચ જ્ઞાાનેન્દ્રિયો ખૂબ સશક્ત અને ઘણી રીતે ઉપયોગી છે.

આપણા શરીરમાં વાણી, હાથ, પગ, જનનેન્દ્રિય અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો છે. તેના વિષય અનુસાર વાણીથી આપણે બોલીએ છીએ. મુખથી સ્વાદ વર્તાય છે, હાથથી કાર્ય કરીએ છીએ જનનેન્દ્રિયથી મૂત્રત્યાગ અને ગુદાથી મળત્યાગ કરીએ છીએ.

આ દશ ઈન્દ્રિયો આત્માની વિકાસ યાત્રાનાં સહાયક સાધનો છે. જેની સહાયતાથી આત્મા પોતાની આવશ્યકતાઓ પૂર્ણ કરી સુખ મેળવે છે. આ ઈન્દ્રિયોના સદુપયોગથી પરમાત્મા આપણા પર પ્રસન્ન થાય છે. તે વરદાન આપી આપણા જીવનને સફળ બનાવે છે.

ઉપનિષદકારે કહ્યું છે, ”આ શરીર એક રથ છે. આત્માને આ વાહન મોક્ષપ્રાપ્તિ માટે મળ્યું છે. દશેય ઈન્દ્રિયો એ રથના ઘોડા છે. મન એ ઘોડાઓને નિયંત્રણમાં રાખનાર લગામ છે. આ વાહન પર મનુષ્યની બુદ્ધિ અને વિવેક સારથિ છે. જો તે સજાગ હોય તો ઈન્દ્રિયો વિષયમાં ન ભટકીને કુશળતાપૂર્વક પોતાના સ્વામીને પ્રભુની નજીક પહોંચાડી દે છે.” આપણા જીવનની સાર્થકતા આમ ઈન્દ્રિય સંયમમાં નિહિત છે. ઇન્દ્રિયો તો વિષય પાછળ ભટકે એ સમજી શકાય છે અને તેના પર મનની લગામ હોવાથી તેને ભટકતી અટકાવી શકાય, પણ નિયંત્રક એવું એ મન જ ભટકતું હોય તો? મન બહુ શક્તિશાળી છે, એને ભટકતું અટકાવવાનો ઉપાય શો?

જીવન ટકાવવા માટે ખોરાક લેવો જરૂરી છે. ખાધેલા ખોરાકનું પાચન થઈ તેમાંથી લોહી બને છે અને તે લોહી શરીરમાં સતત ફરતું રહે છે તેનાથી તમામ ક્રિયા કરવાની શક્તિ મળે છે. શરીરને એક યંત્ર સમજીએ તો તેના દરેક ભાગ વ્યવસ્થિત કામ કરી શકે તે માટે ફ્યુઅલ જોઈએ. લોહી એ શરીરયંત્રને ચલાવનારું ફ્યુઅલ છે. એ લોહી પૌષ્ટિક ખોરાકમાંથી પેદા થાય છે. કહેવાયું છે કે ભૂખે ભગતિ ન હોય ભુઆલુ. પહેલાં રોટલો પછી રામ. શરીરમાં શક્તિ ખૂટી ગઈ હોય ત્યારે કોઈ કામ થઈ શકતું નથી. સત્કાર્ય કરવા માટે તાકાત જોઈએ. એ તાકાતની ઉણપથી ભૂખ નામનો રોગ ઊભો થાય છે. જે માણસને પીડા આપે છે. અસુખ પેદા કરે છે, બેચેન બનાવે છે, ભોજન એ રોગની દવા છે. ભોજન મળવાથી ભૂખની પીડા શમી જાય છે. વિકારો આવશ્યક છે, વિષયો આવકાર્ય છે, પણ તેની મર્યાદા છે. વિષયોનો આવશ્યકતા કરતા વધારે ઉપયોગ કરવો એ ભોગ છે. અને ભોગો માણસને ખાઈ જાય છે. ભર્તૃહરિ કહે છે તેમ ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:- ભોગો જ માણસને ભોગવી જાય છે.અને શરીરની તમામ ઇન્દ્રિયોને શિથિલ કરી નાંખે છે. આ મોટું નુકસાન છે.

ગીતા કહે છે કે નાત્યશ્નસ્તુ યોગોSસ્તિ, ન ચૈકાન્તમનશ્નત: ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન- ઘણું ખાનારને જેમ યોગ સિદ્ધ થતો નથી તેમ બિલકુલ ન ખાનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી. તે જ રીતે બહુ ઉંઘનારને તેમ જ બહુ જાગરણ કરનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતિ દુ:ખહા- યોગ્ય આહારવિહારવાળાને તથા કર્મોમાં યોગચેષ્ટાવાળાને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ દુ:ખોનો નાશ કરનાર એ યોગ સિદ્ધ થાય છે. આપણી તકલીફ એ છે કે આપણે ન્યૂનતમ અને મહત્તમ નામના બે અંતિમો પર જીવીએ છીએ. વૈદ મહારાજ અમુક વસ્તુ લેવાનો નિષેધ કરે છે અને અમુક વસ્તુ લેવાની ભલામણ કરે છે તે તત્કાલ પૂરતું સૂચન હોય છે. વ્યાધિ પર નિયંત્રણ મેળવવા માટે એ જરૂરી છે; પછી પરિસ્થિતિ નોર્મલ થઈ જતાં એ સૂચન બદલાઈ જાય છે. હવે સમતોલ આહાર લેવા પર તેઓ ભાર મૂકે છે. આપણે એ ચૂકી જઈએ છીએ અને પરેજી તથા ભલામણને જ વળગી રહીએ તો બકરું કાઢતા ઊંટ પેઠું જેવો ઘાટ થાય છે!

વૈદિક સંસ્કૃતિ વિષયોના સમૂળગા ત્યાગને કે વિષયોને દૃઢતાથી ચોંટી રહેવાના અભિગમને કીંમત આપતી નથી. પણ સંયમને પ્રાધાન્ય આપે છે. આ સંયમ લાવવો કઠણ છે. ભજિયાં ખાવા જ નથી ઐ સંકલ્પ પાળી શકાય છે, પણ મારે બે જ ભજિયાં ખાવા ખે એ સંકલ્પ પાળવો અઘરો છે! દાઢે લાગ્યા પછી ભાવતી અને ગમતી વસ્તુને છોડવાનું કોઈને મન થતું નથી. આપણી વિવેકબુદ્ધિ તો સ્વીકારે જ છે કે કઈ વસ્તુ અને તેનું કેટલું પ્રમાણ આપણા માટે કલ્યાણકારી કે નુકસાનકારક છે, પણ મનનો હઠાગ્રહ તેમાં આડે આવે છે. મનને મનાવવું અઘરું છે. મન જો એકવાર માની જાય તો ઇન્દ્રિયો તો બિચારી ગુલામ છે. મન જેમ કહે તેમ તેઓ કરે. મનની ભૂમિકા કર્મચારીઓના નેતા જેવી છે. નેતા કહે કે હડતાળ પર જવાનું છે એટલે તે હડતાળ પર ઊતરે અને નેતા કહે કે હડતાળ સંકેલી લેવાની છે તો કર્મચારીઓ ફરજ પર હાજર થઈ જાય. તેથી કુશળ મેનેજરો યુનિયન નેતાને જ હાથ પર લેવાની ટેકનિક અજમાવતા હોય છે. શરીરયંત્રને સુચારુ રીતે ચલાવવા માટે પણ મનને હાથ પર લેવું જરૂરી છે. મનની ગતિવિધિ અતિ વિચિત્ર છે, એને પારખવામાં ભલભલા લોકો થાપ ખાઈ જાય છે. એની સાથે દુશ્મની કરવાથી તો કોઈ ફાયદો ન જ થાય પણ એની વાતમાં આવી જઈને એની ઈચ્છાનુસાર જીવવામાં પણ જોખમ રહેલું છે.

આજ સુધીનો ઇતિહાસ અને પુરાણકથાઓ પણ એમ જ માનવા પ્રેરે છે કે ‘મેં મારા મનને જીતી લીધું છે‘ એવો દાવો કોઈ કરી શકે તેમ નથી. મન કોઈ બંધનમાં આવતું નથી. મન રાજા છે! મનને જીતવાની કે  તેને અંકુશમાં લાવવાની હોડ બક્યા વગર મનને દોસ્ત બનાવી દઈએ તો? મનને મારવાની જરૂર નથી, મનને વાળવાની જરૂર છે. મન પાસે અગાધ શક્તિ છે. જો તેને મિત્ર બનાવી શકીએ તો આપણને તેની એ શક્તિનો લાભ મળે. શાસ્ત્રકારોએ તે માટે જ ઉપવાસ કરવાનું સૂચવ્યું. વિવિધ વ્રત કરવાનું સૂચવ્યું. કોઈ વિષયનો સંપૂર્ણ ત્યાગ નથી કરવાનો, સદાને માટે છોડી દેવાની વાત નથી, પણ થોડાક સમય માટે એના વગર ચલાવી લેતા શીખવાનું.

ઉપવાસ કરવાની વાત સરળ પણ છે અને કઠણ પણ છે! કોઈ વસ્તુની આપણને જરૂર જ ન લાગતી હોય અથવા તે અપ્રાપ્ય હોય અથવા તેમાં રૂચિ જ ન હોય તો તેના વગર ચલાવી લઈએ, પણ જે વસ્તુ અતિપ્રિય છે, આવશ્યક છે, સહજ પ્રાપ્ય છે, સહજતાથી તેનો ઉપભોગ કરી શકાય તેમ છે છતાં મનને સમજાવી લઈને અમુક સમય સુધી તેના પર સ્વેચ્છાએ રોક લગાવી દેવી એ એક જાતની કેળવણી છે. ભૂખ જ ન હોય અથવા ખાવાનું મળે તેમ જ નથી તે પરિસ્થિતિમાં નકોરડા રહેવું પડે એ લાચારી છે, એ તપ નથી. પણ ભાવતું ભોજન નજર સામે છે, પ્રિયજનનો પ્રેમાગ્રહ પણ છે. મોઢામાં તો લાળ ટપકે છે, છતાં આજે ઉપવાસનો સંકલ્પ હોવાથી મારે માટે ત્યાજ્ય છે એમ સમજીને લુલીને વશમાં રાખવી એ તપ છે. અભ્યાસ છે.

આપણે રોજબરોજની ઘટના અને ભાવતાં ભોજનની વાત કરી પણ એવી રીતે બાકીના તમામ વિષયોના ઉપવાસ માટે પણ એ પ્રયોગ વ્રત જરૂરી છે. ઘરમાં વડીલ બિમાર છે અથવા દીકરીના લગ્નનો પ્રસંગ છે, પૈસા નથી, પૈસા વગર ચાલે એમ નથી, ક્લાયન્ટ ગેરકાયદે કામ કરાવવા રૂપિયાની થેલી લઈને ઊભો છે, કોઈ જોતું પણ નથી, ઘડીભર એમ પણ લાગે કે જાણે ભગવાન જ એ રૂપ લઈને આપણને મદદ કરવા આવ્યો છે તે વેળા લાંચને પ્રેમથી ઠુકરાવી એ પણ ઉપવાસ છે, વ્રત છે. એ જ રીતે પત્ની પિયર ગઈ છે, ઘરમાં અન્ય કોઈ નથી અને સ્વરૂપવાન સ્ત્રી સામે ચાલીને લલચાવતી ઊભી છે, બધી લાઈન ક્લિયર છે, કોઈ જબરદસ્તી નથી, એકાંત છે, કોઈ જોતું નથી તે વેળા ચારિત્ર્ય જાળવવું એ ઉપવાસ છે.

દરેક ઈન્દ્રિયને પોતાનો ખોરાક છે અને તેના પર સમજણપૂર્વક કાપ મૂકવાથી માણસનું આત્મબળ ખીલે છે. એમાં પછી ફરાળ તરીકે છૂટછાટ લેવાનો કોઈ અર્થ નથી!

પ્ર. મિ.

લાભ અને અપેક્ષાથી ભરેલી ભક્તિ

સત્યનારાયણની કથા રાખી હોય ત્યારે મહોલ્લામાં બધાંને કહેવડાવવામાં આવે છે કે ‘અમારે ત્યાં કથા રાખી છે, તે સાંભળવા આવજો.‘ કોઈ ના પાડતું નથી પણ બહુ ઓછા લોકો કથા સાંભળવા જાય છે. કથામાં લેવાનું શું? એકની એક જ વાત હોય; સાધુ વાણિયો, તેની પત્ની લીલાવતી,  કલાવતી કન્યા અને કઠિયારો! એ તો બધાંને મોઢે જ હોય! એમાં નવું શું સાંભળવાનું? કથાના સારરૂપે લોકોએ એક વાત ગાંઠે બાંધી લીધી છે કે પ્રસાદનો કદી અનાદર ન કરવો. કોઈપણ સંજોગોમાં પ્રસાદ તો લેવો જ! ભૂલમાં વહેંચવાનો રહી ગયો હોય તો માંગીને પણ લેવો. મહીમાના પરસાદને ખાતાં પાવન થાય! કથામાં ખરું મહત્ત્વ તો પ્રસાદનું જ છે, એમ સમજતા વહેવાર ડાહ્યા લોકો સમય બચાવવા માટે બાળકોને કહી રાખે કે ‘આરતીની તૈયારી થવા માંડે ત્યારે બોલાવજો‘! દરેક બાબતમાં માણસ શોર્ટકર્ટ શોધે છે. દરેક જગ્યાએ માણસ ફાયદો જ શોધે છે. સંબંધોમાં જેમ વ્યાપારીપણું આવી ગયું છે તેમ ભક્તિમાં પણ  વ્યાપારીપણું ઘુસી ગયું છે. જે માણસ કામ આવી શકે તેમ હોય તેની સાથે સંબંધ રાખવો અને જેની પાછળ ઘસાવું પડે એવું જણાય તેની સાથેનો સંબંધ કાપી નાંખવો. માણસની આ જ વૃત્તિ ભક્તિક્ષેત્રે પણ ચાલતી રહેલી છે. રીતસરની સોદાબાજી. ઓછી મહેનતે વધારે કમાણી કેમ થાય, ઓછું વાંચીને પરીક્ષામાં પાસ કેમ થવાય, ઓછા રોકાણે વધારે નફો કેમ મળે- આવું જ વિચારતો રહેલો માણસ ઓછી મહેનતે કયો દેવ પ્રસન્ન થઈ જાય તેવું જ શોધતો રહેલો દેખાય છે.

સત્યનારાયણની વ્રતકથામાંથી વ્રત નીકળી ગયું છે. વ્રત સંપૂર્ણપણે ઓમિટ! માત્ર કથા જ રહી ગઈ છે. એ કથા પણ ગોર મહારાજ પાસે વંચાવવાની, પોતે વાંચવાની નહીં! આપણે તો માત્ર સાંભળવાની. કથાની શરૂઆત સમજવા જેવી છે. નૈમિષારણ્યમાં શૌનક ઋષિ અને સુત પુરાણી વચ્ચે સંવાદ થાય છે. આજના સમયમાં કયા દેવનું વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ મળે અને મનના મનોરથ ફળે એવો જ પ્રશ્ન પૂછાયો છે. ગરીબ બ્રાહ્મણ વ્રત કરે છે અને તેની ઊજવણી કરે છે તે પછી કથાના કોઈ પાત્રે સત્યનારાયણનું વ્રત કર્યું એવો ઉલ્લેખ આવતો નથી. બધાએ માનતા જ રાખી છે. સાધુ વાણિયાએ તો હદ કરી દીધી છે. પહેલાં મનોરથ સાકાર થાય પછી જ ઊજવણી! અને તેમાંયે ગલ્લાંતલ્લાં! સંતાન નહોતું એટલે સંતાન થયા પછી વ્રતની ઉજવણી કરવાની હતી. પત્ની લીલાવતીએ યાદ દેવડાવ્યું  તો સાધુ વાણિયો કહે કે શું ઉતાવળ છે?  એને મોટી થવા દો. મોટી થઈ ગઈ તોયે વાણિયાને વ્રત ઉજવવાનું સૂઝતું નથી. લગ્ન થવા દે, લગ્ન ભેગી સત્ય નારાયણની પૂજા પણ થઈ જશે. અલગ ખર્ચ કરવાનો મટે! લગ્ન થઈ ગયા પછી પણ એના પેટનું પાણી હલતું નથી. ઠરાવ પર ઠરાવ!

સત્યનારાયણના વ્રતમાં માણસે સાચું તો બોલવું જ જોઈએ, પણ સાધુ વાણિયો તો એકદમ અસત્ય બોલ્યો કે મારા વહાણમાં તો વેલા અને પાંદડા સિવાય બીજું કંઈ નથી. પછી દેવ કોપાયમાન થયા. સજા ભોગવવી પડી. છેલ્લે છેલ્લે પણ કલાવતી કન્યા પ્રસાદને ન્યાય આપવાને બદલે પતિ અને પિતા દેશદેશાવરનો વ્યાપાર ખેડીને આવી રહ્યા છે એ સમાચાર સાંભળતાં જ ભગવાનને ઊંચા મૂકી પતિદર્શન કરવા આતુર બની. કિનારે આવેલું વહાણ અલોપ થઈ ગયું. લાલચ, બેઈમાની, અસત્ય આચરણ અને ભયથી ભરેલી કથામાંથી આપણે એટલું જ શીખ્યા કે પ્રસાદનો અનાદર ન કરવો નહીંતર તો દેવ કોપાયપાન થશે! શું આને ભક્તિ કહેવાય કે?

અલબત્ત, સત્યનારાયણની વ્રતકથા થવી જોઈએ. જીવનમાં વિકટ લાગતી કોઈ સમસ્યાનો સુખદ ઉકેલ આવી જાય તો માનવું જોઈએ કે ભગવાનની કૃપા થવાથી આપણું કામ સિદ્ધ થયું છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. કોઈ કામની સફળતા પાછળ માણસનો એકલો પુરુષાર્થ કામ નથી આવતો. માણસની મહેનતમાં ઈશ્વરની કૃપા ભળે ત્યારે જ મનોરથ સાકાર થાય છે. તે વખતે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પૂજા થવી જ જોઈએ. આનંદનો એ શુભ પ્રસંગ સગાં સ્નેહીઓની ઉપસ્થિતિમાં ઉજવાય તેનું વિશેષ મહત્ત્વ પણ છે, પણ જીવનમાંથી વ્રત નીકળી ગયું અને વહેવાર ઘુસી ગયો તે ચિંતાજનક બાબત છે.

આપણી ભક્તિમાં માંગણી ઘુસી ગઈ છે. ભગવાન અથવા કોઈપણ દેવ દેવીની પૂજાનો કાર્યક્રમ આપણા ઘરે ત્યારે જ ગોઠવાય જ્યારે આપણી કોઈ માનતા સંતોષાય. આપણી માનતા ન ફળે તો એક દેવને બાજુ પર મૂકીને બીજો કોઈ દેવ પકડીએ! જાણે કે ઘરનો નોકર ન બદલતા હોઈએ! નોકરો પણ જલદી નથી બદલતા કારણ કે એની તંગી છે, પણ દેવ તો તેત્રીસ કરોડ પડેલા છે! તું નહીં તો તારો ભાઈ બીજો!  આપણા દેવની આટલી જ ઈજ્જત? આપણને શરમ પણ નથી આવતી પોતાને ધાર્મિક કે આસ્તિક કહેવડાવતાં.

ભદ્રાયુ વચ્છરાજાનીએ દંતાળી આશ્રમવાળા ક્રાંતિકારી વિચારક સન્યાસી સ્વામી સચ્ચિદાનંદજીની મુલાકાત લીધી અને તેના અંશો અખબારી કોલમમાં રજૂ કર્યા. સ્વામીજીએ તેમની વિશિષ્ટ શૈલીમાં ભક્તોના મુખ્ય ત્રણ પ્રકારો પાડ્યા છે. તાલિયા, માનીયા અને ખાનિયા! જેમને ગાવા, નાચવા વગાડવાનો શોખ હોય તેવા લોકો મંદિરમાં ભેગા થાય છે. ગરબા ગાવા, ભજનો ગાવા અને તેની સાથે વિવિધ વાજિંત્રો વગાડનારા ભેગા થાય છે. તેમાં સંગીત છે અને ભાવ પણ હશે પણ શોખ પૂરો કર્યાની તૃપ્તિ જ વિશેષ રહેલી છે. એ ભક્તિ નથી. બીજે કશે એ શોખ પૂરો ન થતો હોવાથી એવા લોકો મંદિરમાં આવતા હોય છે.

સ્વામીજીની દૃષ્ટિએ બીજો વર્ગ માનીયા લોકોનો છે. તેઓ માનના ભૂખ્યા હોય છે. મંદિરમાં જવાથી મહારાજ માન આપે, લોકો પણ માન આપે અને ભગત કહેવાઈએ. મોટાભાગના કથાપ્રસંગોમાં આવા લોકો મોડેથી પધારતા હોય છે. ચાલુ કથાએ કથાકાર ભગવત્ કથાને અટકાવીને, ભગવાનને બાજુ પર હડસેલી દઈને શેઠ કે રાજકારણીને આવકારવા એટલો બધો ઉમળકો દર્શાવે છે કે જાણે સાક્ષાત ભગવાન મળી ગયા. હાજર શ્રોતાઓ સમક્ષ એમના ગુણગાન ગવાય છે. લોકો અહોભાવથી એ મહાનુભાવોને નીહાળે છે. સૌ કૃતકૃત્યતા અનુભવે છે. માણસના અહમ્ ને પોષતી આવી સસ્તી ધાર્મિકતા અને કથાકારની ખુશામત જોઈને કોઈને ચીડ કેમ નથી થતી? એવા માનિયાને જ્યારે માન મળતું બંધ થઈ જાય તો મંદિરમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં જતા તેઓ બંધ થઈ જાય છે. તેઓ બોલે છે કે એ કાર્યક્રમમાં કંઈ લેવાનું નથી! એનો અર્થ એ થયો કે અત્યાર સુધી તેઓ કંઈક લેવા માટે જ આવતા હતા. ઘણા કાર્યક્રમોમાં એવું સ્પષ્ટ જોવામાં આવે છે કે ધાર્મિક આગેવાનો રાજકારણીઓ અને તથાકથિત સમાજસેવકોને શ્રોતાવર્ગ સમક્ષ પ્રોજેક્ટ કરે છે. તેમને મહાન ચીતરવા માટે તેમની વાક્છટાને લાળભીની કરે છે. માનપૂર્વક આગળ બેસાડે છે. બદલામાં એ મહાનુભાવોનો એટીએમની જેમ ઉપયોગ કરે છે. આ નરી સોદાબાજી હોય છે. કોઈ કારણે એ સંબંધોમાં ઢીલાશ આવે ત્યારે ‘તેરા તેલ ગયા, ઔર મેરા ખેલ ગયા!‘ ગાળિયું ઉતારી દેતા કોઈને શરમ નહીં નડે.

ત્રીજો પ્રકાર ખાનિયા લોકોનો છે. લોકોને લાગે કે અહીં તો શુદ્ધ ઘીના લાડુ બને છે. મહારાજ આગ્રહપૂર્વક મહાપ્રસાદ લઈને જ જવાનું કહે છે. કેટલીકવાર તો ઘરને માટે પડીકાં પણ બંધાવી આપે છે. જૂની કહેવત છે કે જયાં મળી તાડી ત્યાં છોડી ગાડી! મોટાભાગના લોકો પેટભરુઓ હોય છે. મફતનું ખાવાનું મળે એ તેય વળી ભાવતું ભોજન હોય તો લોકો જવાના જ. મહારાજનો ઉદ્દેશ હોય કે ખાવાના ઈરાદે આવશે તોયે તેઓ પ્રવચનના બે શબ્દો સાંભળશે તો તેમનું જીવન સુધરી જશે. ધીમે ધીમે ખાવાનું બંધ થશે તો ખાનિયા લોકોનો મંદિર તરફનો પ્રવાહ પણ અટકી જશે.

આપણે બધા પરસાદિયા ભગતો છીએ. આપણી ભક્તિ અપેક્ષાઓથી ભરેલી છે. એમાં સુગંધ નથી. સ્વાર્થની દુર્ગંધ છે. આવી ભક્તિ બંધ થઈ જાય તોયે સમાજને કોઈ નુકસાન નહીં થાય. ગરજ મતલબવાળા સંબંધો  જેટલા જલદી તૂટે તેમાં જ સમાજને ફાયદો રહેલો છે.

એક દૃષ્ટાંત કથા કશે વાંચેલી તે મુજબ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વીલોક પણ આંટો મારવા નીકળ્યા. મંદિરોમાં ઉમટતી ભીડ જોઈને લક્ષ્મીજી રાજીના રેડ થઈ ગયા. તેમણે ભગવાનને કહ્યું કે લોકો ખૂબ ધાર્મિક બની ગયા છે. પોતાના સ્વામીના કોઈ ગુણગાન ગાય તે કઈ સ્ત્રીને ન ગમે? પણ ભગવાન તો અંતર્યામી હોવાથી જાણતા હતા કે ભક્તોના મનમાં શું છે. તેઓ મંદ મંદ હસ્યા અને લક્ષ્મીજીને કહ્યું કે ‘દેવી તમે સમજો તેવું નથી. એ બધાને મારા પર પ્રેમ નથી, પણ તારા પર પ્રેમ છે! એ લોકોને હું નથી જોઈતો પણ તું જોઈએ છે! પોતાની એષણાઓ પૂરી કરવા સાધન તરીકે આપણો ઉપયોગ કરવા માગતા મતલબી લોકો છે. તું મંદિરમાં જઈને એમના મન વાંચી આવ.‘ લક્ષ્મીજી મંદિરમાં જાય છે અને લોકોની પ્રાર્થના સાંભળી આવ્યા પછી કહે છે કે તમારી વાત સાચી છે.

તો શું અપેક્ષા રાખવી જ નહીં? અપેક્ષા રાખવી એ કંઈ ખોટી વાત નથી, સ્વામીજી સમજાવે છે કે અપેક્ષા ત્રણ પ્રકારની હોય છે. તામસી, રાજસી અને સાત્વિક. ધાર્મિકક્ષેત્રે આ ત્રણમાંથી કોઈ ને કોઈ અપેક્ષા લોકોને હોય જ છે. અમુક મહારાજનું સરકારમાં ખૂબ ચાલે છે. તેથી પેલી જમીન મારા નામે કરાવી આપશે, મારા શત્રુને ઠેકાણે પાડી આપશે એવી અપેક્ષા તામસી છે. અમુક મહારાજ મને વિદેશ લઈ જશે, એમની લાગવગથી મને નોકરી મળી જશે, મારો ધંધો સારો ચાલશે, મને પૈસાની મદદ મળી રહેશે એવી અપેક્ષા રાજસી છે. મોટાભાગના લોકોની અપેક્ષા આ બે પ્રકારમાં સમાઈ જાય છે. આ પ્રકારની અપેક્ષા ધરાવતા ભક્તોની ભગવાન સમક્ષ કોઈ કીંમત નથી.

ત્રીજા પ્રકારની અપેક્ષા સાત્વિક અપેક્ષા છે, માણસને એમ લાગે છે ભક્તિ કરવાથી મને ભગવાન મળે કે નહીં મળે એ વાત જુદી છે, પણ મારું જીવન ચોક્કસ સુધરશે. હું સુખી થઈશ. મારા જીવનમાં સદગુણોની સુગંધ ઉમેરાશે. આવી અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી. એટલું જ નહીં, એવી ધારણાથી જ ભક્તિ કરવી જોઈએ. ભગવાને ગીતામાં આખો અધ્યાય કહ્યો છે ભક્તિ વિશેનો. અવારનવાર ‘યો મદ્ ભક્ત: સ મે પ્રિય:‘ એમ કહીને કેવો ભક્ત ભગવાનને અત્યંત પ્રિય છે તે વિશે વિસ્તૃત વાતો કહી છે.

એક ભાવગીત અત્યંત લોકપ્રિય બન્યું છે, ‘એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને.‘ હરીશ કોઠારીનું એવું જ બીજું એક ભાવગીત છે, ‘ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે! વાસુદેવને ભૂલીને વાસનામાં મન લગાડીશું તો અટવાઈ જઈશું.

પ્ર. મિ.

ચકમક અને લાઈટર

બાળપણની વાત કરું છું, તે પણ પચાસના દાયકાની અને અંતરિયાળ ગામડાની. રોડ નહિ, સડક નહિ પણ ગઢેર અને નાળનો જમાનો! બળદગાડા ચાલવાથી ઊંડી ગઢેર પડી ગયેલા રસ્તા. ચોમાસામાં કીચડથી ભરેલા અને શિયાળા ઉનાળામાં ધૂળ ભરેલા. એ ધૂળ ભેગા કાંટા પણ હોય અને ખીલી કે કાચના ટૂકડા પણ હોય. રસ્તાની બંને ધાર પર આંબા- આમલીના ઊંચા તોતિંગ વૃક્ષો હોય. નાળની બંને બાજુ મરીકંથાર અને કરમદીઓ ઊગેલી હોય તેના પર કવચના ફાફડા, ચણોઠીના વેલા અને બીજા અનેક જંગલી વનસ્પતિએ ઊગેલી હોય. નાળ સાંકડી અંધારી અને બીક લાગે તેવી હોય. જર જનાવર કે ચોર પણ છુપાયા હોય તે ખબર ન પડે.

ગામડામાં રોડ નહિ, તેમ લાઈટ પણ નહિ. બસ સર્વિસ દિવસમાં ચાર પાંચ હોય તેયે ચોમાસાનો પહેલો વરસાદ પડે ત્યારથી બંધ થઈ જાય. વાહન વ્યવહાર મોટેભાગે અગિયારની લોકલ દ્વારા જ ચાલે! અગિયારના બે એકડા એટલે બે પગ. અગિયારની લોકલ એટલે પગપાળા! જ્યાં જવું હોય ત્યાં તરત તૈયાર. બહુ જ આઘે જવાનું હોય તો બળદગાડું કરવામાં આવે. સાઈકલ તો આખા ગામમાં ભાગ્યે જ એકાદ બે જોવામાં આવે. સાઈકલ સવારનો રૂઆબ તો ઘોડેસવારી કરનાર કોઈ રાજકુમાર જેટલો. એની ઘંટડીનો રણકાર સાંભળીને જ આપણે ધન્ય થઈ જઈએ!

ગામમાં તે વખતે દિવસ નાનો અને રાત મોટી લાગતી. કૂકડો બોલે એ જ એલાર્મ અને એ જ ઘડિયાળ પણ. રાત્રે તારા જોઈને સમયનું અનુમાન લગાડવાનું અને દિવસે સૂરજ જોઈને કે પડછાયાથી કેટલો સમય થયો તે નક્કી કરવાનું. કાંડા ઘડિયાળ તો ઠીક પણ દિવાલ ઘડિયાળ પણ ફળિયામાં એકાદ હોય તો હોય નહિતર રામ રામ! આવતી જતી બસ પરથી અને નિશાળના ઘંટ થકી પણ સમય માંડવામાં આવતો. સાંજે સૂરજ ડૂબે પછી અંધારું આખા ગામને બહુ જલદી ઘેરી વળે. ગામ અને સીમ અંધારામાં એકાકાર થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘરથી બહાર નીકળે. ક્યારેક એક હાથમાં ફાનસ અને બીજા હાથે લાકડી પકડીને નીકળવાનું થાય. લાકડી પછાડતા ચાલવાથી જર જનાવર રસ્તામાં પડ્યું હોય તે ખસી જાય! પણ પવનને કારણે ફાનસ ભડકા કરે તે જોખમ વધારે. જાણે ભૂત પલિત હવે ત્રાટકવાની તૈયારી કરે છે એમ લાગે!

સૂરજ ઊગે તે પહેલા તો ખેડૂત સીમમાં ખેતરે પહોંચી ગયો હોય. ઘરના વડીલો કૂકડા કરતા વહેલા ઊઠી પડે. ઊઠીને પહેલાં ચૂલો સળગાવે. નહાવાનું પાણી ગરમ કરવા મૂકે. ગાય ભેંસ બળદને ઘાસ પરાળ નીરે. દાતણ પાણી થઈ જાય એટલે ઢોરને ગામના હવાડે પાણી પાવા લઈ જાય. હાથમાં સળગતી બીડી હોય. થોડી થોડીવારે દમ મારે એટલે મળસ્કાના અંધારામાં મંગળ ગ્રહ આકાશમાંથી પૃથ્વી પર ફરવા આવ્યો હોય એમ લાગે અને બીડીમાંથી ઊડતા ચણગા તે જાણે કે આકાશમાંથી ખરતી ઊલ્કા!

ઠીક યાદ આવી ગઈ, બીડી સળગાવની રીત. તૈયાર બીડી બહુ ઓછા લોકો તાણતા. એમાં કંઈ દમ નહિ. પટ દાખલ જરા અમસ્તો તમાકુ એમાં ભરેલો હોય. સાવ સૂરસૂરિયા જેવી! ગામડાના લોકો તો એક દાબડો રાખતા. તેમાં તમાકુ અને શિતરાના પાતરાનો પડો હોય. કોઈ ભાઈબંધ કે સગા સ્નેહી આવે એટલે બેઠક જામે. બેઠક વચ્ચે દાબડો ફરે અને પોતાની જરૂરિયાત મુજબની બીડી બનાવી લે. પછી ઘરના છોકરાંને વંહદેર લાવવા બૂમ પાડે! આ વંહદેર એટલે વહ્નિદેવ ઊર્ફે અંગારો! અંગારો હોય તો સાણસી વડે પકડીને સાચવીને ઓટલે સૌ બેઠા હોય ત્યાં લઈ આવવાનો. ચૂલામાં ઈંધણના લાકડાં ભડભડ બળતા હોય પણ અંગારો છૂટો ન પડ્યાં હોય તો સળગતું છીણકું લઈ આવવાનું. મોઢામાં બીડી મૂકી હોય તેને એક હાથે પકડવાની અને બીજા હાથે દેવતા કે છીણકું પકડીને ઊંચો શ્વાસ લઈ હોઠ વડે બ્હા બ્હા કરવાનું એટલે બીડી સળગતી જાય. એક જણની બીડી સળગે પછી દેવતા ઓલવાઈ જાય તોયે વાંધો નહિ. સળગતી બીડી સાથે બીજી બીડી અડકાડીને ઊંચો શ્વાસ લેવાનો એટલે એકનો આત્મા બીજીમાં પણ દાખલ થઈ જાય! દીવાસળીની કાંડી સળગાવવાનું પોષાય તેમ નહોતું. છતા વંહદેરે કોઈ દીવાસળી સળગાવે તો ઉડાઉ ગણાય. મૂરખમાં જ ખપે. દીવાસળી મોંઘી પડતી. એક બાકસનો એક આખો આનો (જૂના ચાર પૈસા)આપવો પડતો.

ખેતમજૂરોને બીડી તમાકુ આપવા પડતા. સીતરાના પાતરાની બીડી એમને નાની પડતી. તેઓ આંબાના લાંબા પાંદડા તોડીને શરણાઈ જેવી લાંબી બીડી બનાવતા. આદિવાસી મહિલાઓ પણ બિન્દાસ મોટ્ટી બીડી બનાવીને પીતી! બિલકુલ અમેરિકન કલ્ચર! વળી તમાકુ પણ એકદમ કડક કાળો, ખાખરી નહિ ચાલે! તમાકુને એ લોકો ‘તબાક‘ કહેતા. ચોમાસામાં દેવતા સહેલાઈથી મળે નહિ. દિવાસળી પણ વરસાદના ભેજથી હવાઈ ગઈ હોય એટલે સળગે નહિ ત્યારે એ લોકો ચકમકના પથ્થરનો ઉપયોગ કરતા. રસ્તા પર નદીમાંનું ભાઠું નાખ્યું હોય તેના ઢગલા પર બેસીને રમતા બાળકો જાતજાતના પથ્થરના ટૂકડા ભેગા કરતા. તેને પરસ્પર ઘસીને ચેક કરતા કે એમાં ચકમકનો પથ્થર કયો છે. ચકમકિયો પથ્થર જડી આવે તો જાણે રામ રમકડું જડિયું હોય એવી તૃપ્તિ અનુભવતું બાળક એ પથ્થરને દોલતની જેમ ખિસ્સામાં રાખીને ફરતું. એ તો એક રમત હતી પણ એનું વ્યાવહારિક રૂપ પેલા બીડીના શોખીનો કરતા. રેશમના કીડાનો કોસેટો હોય તેમાં કાણું પાડીને શીમળાના વૃક્ષના ડોડામાંથી નીકળતો રેશમ જેવો રૂ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતો. એની પાસે ચકમકનો પથ્થર રાખીને લોખંડના નાના પણ પકડી શકાય તેવા ટૂકડા સાથે ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતો. એનાથી પેલો રૂ સળગે તેના પર બીડી રાખીને બ્બા બ્બા કરે ત્યારે વડીલોના ગાલમાં ખાડા પડતા દેખાય! અદભુત દૃશ્યો હતા એ.

દિવાસળી ચોમાસામાં તો હવાઈ જાય, કંઈ કામ ન લાગે, તો પછી બીડીની તલબવાળા જાય ક્યાં. આફ્રિકાથી આવેલા કોઈ ગ્રામવાસીના હાથમાં જ્યારે લાઈટરને સળગાવતું જોયું તો લોકોને ભારે વિસ્મય થયું. એક હાથમાં પકડીને, અંગુઠા વડે એક ધાર દબાવવાથી તણખો થાય અને અંદરની નાનકડી દિવેટ સળગે! પેન્સિલના ગેદાનો નાનકડો ટૂકડો હોય તેવી પથરી એમાં ગોઠવેલી હોય, એ ચકમકનું કામ કરે. પ્લાસ્ટિકની નાની નળીમાં પેટ્રોલ ભરેલું હોય તેની સાથે દિવેટ લગાવેલી હોય એટલે તે સળગે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ આગળ જતાં એમાં પેટ્રોલને બદલે પ્રવાહી ગૅસ ભરવાની વ્યવસ્થા થઈ. બીડી સિગરેટ પીતા લોકો આજે મોટેભાગે ગૅસ લાઈટર રાખે છે. પણ આ દેસી લોકોની ખાખી બીડી વચ્ચે યુરોપિયન કૂળની સફેદ સિઘરેટ ક્યાંથી ઘુસી ગઈ! ‘જો જિસસે મિલા સીખા હમને, ગૈરોંકો ભી અપનાયા હમને!‘ વાહ, આપણી ઉદાર સંસ્કૃતિમાં તો કોઈ આપણને પરાયું લાગતું જ નથી. જે આવે તે તમામ સમાઈ જાય!

પણ હવે પછી શું? લાઈટરનું કોઈ નવું વર્ઝન? છે કંઈ ધ્યાનમાં?

પ્ર. મિ.

૦૯/૧૦/૨૦૧૯

ભગવતીકુમાર શર્મા કોણ હતા?….

‘એ તમે જાણો‘!

બુધવાર, પાંચ સપ્ટેમ્બર, 2018ની સવારે છ વાગ્યે પાર્થિવ દેહ છોડી ગયેલા આદરણીય ભગવતીકુમાર શર્માને ભાવાંજલિ.

ચોર્યાસી વરસનું આયુષ્ય ભોગવી સંસારમાંથી વિદાય પામનાર ભગવતીભાઈ માટે મિડિયામાં અનેક વાતો આવી ગઈ. દરેકે એમના સાહિત્ય સર્જનને બીરદાવ્યું. એમના પત્રકારિત્વને વખાણ્યું. ફેસબુક પર એમના વિષે જેટલી પોસ્ટ આવતી ગઈ તે લગભગ તમામમાં મેં પણ યથાશક્તિ ડબકો મૂક્યો. મારી જાતને ભગવતીભાઈના સમર્થક, ચાહક અને ભાવક તરીકે મેં પ્રસ્તુત કરી. કોઈની કમેન્ટને લાઈક કરી તો કોઈની કમેન્ટમાં ઉમેરો કર્યો. મેં પોતે એમના વિષે કેમ કોઈ પોસ્ટ ન મૂકી? બીજાના ગરબામાં ‘રે લોલ‘ કરતો રહ્યો, પણ પોતે એકેય ગરબો કેમ નહિ ગવડાવ્યો?

મને લાગ્યું કે બધાના ગરબા પૂરા થઈ જવા દો. અત્યારે તો બીજાના ગરબા ઝીલવામાં મજા આવી રહી છે. બધાએ સારા ગરબા બનાવ્યા છે, સૌનો કંઠ પણ મારા કરતા સારો છે, ત્યારે મારો અવાજ રજુ કરવાની ધૃષ્ટતા કર્યા વગર ભક્તિભાવપૂર્વક લોલેલોલ કરીને ધન્યતા માણવી એ જ ઉત્તમ છે. આપણા વગર કંઈ રહી જતું નથી. સાહિત્યજગતના ધુરંધરો તરફથી ઉમંગપૂર્વક અને ગૌરવપૂર્વક જે પ્રમાણિત રજુઆતો થઈ રહી છે તેનું રસપાન કર્યા પછી મારે કહેવા જેવું કંઈ બાકી રહી જતું હશે તે ક્યારેક લખીશ એમ વિચારી મૌન રહ્યો.

ભગવતીભાઈનો પરિચય ગુજરાતમિત્ર અખબાર મારફતે થયો. નાના હતા ત્યારે સ્કૂલમાં બે જ અખબારો આવતા. એક ગુજરાતમિત્ર અને બીજું પ્રતાપ. બંને અખબારો સૂરતથી પ્રકાશિત થતાં હતાં. દક્ષિણ ગુજરાતમાં સંદેશ અને ગુજરાત સમાચારની એન્ટ્રી તો બહુ પાછળથી પડી. ગુ. મિત્રના તંત્રીલેખો વાંચીને અમે તત્કાલીન દેશ વિદેશની ઘટના અને રાજકીય પરિસ્થિતિ વિષે સમજણ મેળવતા. અમારી પેઢીના લોકોનો વૈચારિક પીંડ તૈયાર કરવામાં આ તંત્રીલેખોનો પણ મોટો ફાળો રહ્યો છે. એ તંત્રીલેખો ભગવતીભાઈ લખતા હતા. નવસારી કોલેજમાં ભણતો થયા પછી તો ભગવતીભાઈ માટે કલ્પનાની એક મૂર્તિ હૃદયમાં અંકિત થઈ ગઈ. કોલેજ પૂરી કરીને નોકરી અર્થે સૂરત રહેવાનું બન્યું ત્યારે શહેરમાં યોજાતા કવિસંમેલનો કે જાહેર શૈક્ષણિક પ્રવચનોમાં એમને સાંભળવા જવાનું બનતું. ઘણા બધા લેખકો અને કવિઓને જાહેરમાં સાંભળ્યા, પણ કોઈની સાથે વ્યક્તિગત પરિચય કેળવવાથી હું દૂર રહ્યો. તેમને જાહેરમાં સાંભળ્યા પછી તેમની કઈ વાત મને ગમી ગઈ અને કઈ વાતમાં સમજણ નથી પડી તે પોસ્ટકાર્ડમાં લખી મોકલતો. સૂરતમાં ઘણા સાહિત્યકારો મને નામથી ઓળખે, પણ સામે જઈને ઊભો રહું તો ઓળખે નહિ, એ સંતાકૂકડી રમવાનું મને ફાવી ગયું!

ઈમર્જન્સીમાં પ્રેસ સેન્સરશીપ લાદવામાં આવી. સરકાર મનમાન્યું કરવા લાગી. વિરોધનો જરા સરખો પણ સૂર પ્રગટતો માલમ પડે તો મિસાના કાયદા હેઠળ ધરપકડ કરીને સીધા જેલની કોટડીમાં મોકલી દેવામાં આવે. તે દિવસોમાં ભગવતીભાઈએ ‘નિર્લેપ‘ ની કોલમ ચાલુ કરી. હળવું હાસ્ય નિસ્પન્ન કરતી આ કૉલમ બેહદ લોકપ્રિય બની. વિવિધ વિષયો પર શ્રીમાન- શ્રીમતી કે કોઈ બે જણા વચ્ચે રસપ્રદ સંવાદ થતો હોય તેવી આ કોલમમાં છેલ્લે એક પ્રાણપ્રશ્ન પૂછાય અને તેના જવાબરૂપે છેલ્લું વાક્ય હોય, ‘એ તમે જાણો!‘ આ તકિયાકલામ એટલો તો વ્યાપક બન્યો કે લોકો કોઈ વાત પર લડતા ઝગડતા હોય ત્યારે પણ ‘એ તમે જાણો!‘ એ શબ્દપ્રયોગ કરવા લાગ્યા. નિર્લેપ શબ્દ બહુ જાણીતો અને માનીતો બની ગયો. ગુ.મિ. આવે એટલે પહેલાં નિર્લેપની કોલમ વાંચી લેવાની. સવારના સ્મિતથી હળવાફુલ થઈને પછી વાંચવાનો તંત્રીલેખ. પછી આખું અખબાર નહિ વંચાય તો ચાલે. કટોકટીરાજમાં તે વખતે સૌ ભયભીત હતા. ભગવતીભાઈ આ બંને કોલમ લખવામાં મુત્સદ્દીગીરી વાપરતા હતા. નિર્લેપની રમુજ વેરતી કોલમમાં હસતાં હસતાં સરકારને લાત મારી દેતા હતા. જે સમજી જાય તે મૂછમાં મલકાય! ન સમજે તે સ્થૂળ હાસ્ય તો જરૂર માણે. તંત્રીલેખમાં પણ તેઓ મોઘમ પ્રહાર તો કરી જ લેતા હતા. સેન્સરના ડફોળ અધિકારીઓને નિર્લેપે કરેલી રમુજની ભીતરનો મર્મ નહિ સમજાય! સુજ્ઞ વાચકો આ મર્મ ભલીભાંતિ સમજી જાય.પાછળથી જ્યારે ભગવતીભાઈ જોડે ઘનિષ્ટ સંપર્કમાં આવવાનું થયું ત્યારે આ બાબતે અમે ચર્ચા કરતા. હસતાં હસતાં તેઓ કહેતા કે શબ્દરમત દ્વારા સરકારને ઉલ્લુ બનાવવાની મજા આવતી હતી. હું કહેતો કે ભગવતીભાઈ તમારી એ મજા અમને ખૂબ રાહત પહોંચાડતી હતી.

પત્રકાર તરીકે નિર્ભીક અને તટસ્થ રિપોર્ટિંગના તેઓ આગ્રહી હતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ બાબરી મસ્જિદ તૂટ્યા પછી શહેરમાં થયેલા રમખાણો એ અત્યંત દુ:ખદ ઘટના હતી. તટસ્થતાના આગ્રહી વાચકો ગુજરાતમિત્ર તરફ આશાની મીંટ માંડી બેઠા હતા ત્યારે તેના સમાચારો અને તંત્રીલેખો પણ પક્ષપાતી, એકતરફી અને ઉશ્કેરાટ વધારનારા પ્રકાશિત થઈ રહ્યા હતા. લોકોમાં ઉકળાટ હતો, ગુસ્સો હતો, હતાશા હતી. આખરે લોકોએ ગુ. મિ. ખરીદવાનું અને વાંચવાનું બંધ કર્યું. સર્ક્યુલેશન સાવ ઘટી ગયું. ભગવતીભાઈ ધુંધવાયા. જિંદગીભર અખબારી મૂલ્યોનું જતન કરીને જેનું સંવર્ધન કર્યું હતું તે અખબાર જનાધાર ગુમાવી ચૂક્યું હતું. એમણે પરિસ્થિતિનો દોર હાથમાં લીધો. તટસ્થ મૂલ્યાંકન કરી તંત્રીલેખો લખવા ચાલુ કર્યા. એ તંત્રીલેખો એક દસ્તાવેજી ઈતિહાસ બની ગયા અને શ્રેઠ તંત્રીલેખોનો એમને પુરસ્કાર એનાયત થયો.

મહાનુભાવોના ઈન્ટર્વ્યુ લેતી વખતે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તીક્ષ્ણ સવાલો તેઓ પૂછતા. પત્રકારધર્મનું પાલન કરવા માટે ભગવતીભાઈ એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય.

મારા લખેલા ચર્ચાપત્રો તેઓ વાંચતા હશે કે કેમ તે વિષે મને શંકા હતી, પણ પહેલીવાર એક મેદાનમાં અમે મળી ગયા અને મને પૂછ્યું કે તમે શું કરો છો, મેં મારી નોકરી અંગે જણાવ્યું. મારી જોડે હતા તે સુમનભાઈ પટેલે મારા ચર્ચાપત્ર લેખન અંગે માહિતી આપી. ભગવતીભાઈએ જણાવેલું કે મારી તો એવી ધારણા હતી કે તમે શિક્ષક હશો. એક જ વખતની મુલાકાતમાં તેઓ આખા વ્યક્તિને માપી લેતા અને તે સ્મૃતિ કાયમ માટે રહેતી. વરસોના ઈન્ટર્વલ પછી રાતના અંધારામાં તેમને મળીએ તો પણ અવાજ પરથી આપણને ઓળખી લેતા. મારા ધ્યાન બહાર એમણે મારી એક ખાસિયત નોંધેલી તે એટલી સચોટ હતી કે મને ખૂદને નવાઈ લાગેલી. કિશોરભાઈ સિંદુરિયા સમક્ષ તેમણે પોતાનું નિરીક્ષણ મૂકતાં કહેલું કે ‘કિશોર, ચર્ચાપત્રો તો તું પણ લખે અને પરભુભાઈ મિસ્ત્રી પણ લખે. બંને જણા વરસોથી લખે, બંને જણા બેંકમાં નોકરી કરે, પણ તેં આજ સુધી બેંકને લગતા જ ચર્ચાપત્રો લખ્યા, લખવા માટે બેંક સિવાય તને બીજો કોઈ વિષય જ નહિ જડ્યો, જ્યારે પરભુભાઈ મિસ્ત્રીએ આટલા વરસોમાં બેંક વિષે એકપણ ચર્ચાપત્ર લખ્યું નથી, બેંક સિવાય બીજા અનેક વિષયો પર એમણે ચર્ચાપત્રો લખ્યા‘. વાત સાચી હતી.એમની કોમેન્ટ પછી જ મારું ધ્યાન ગયું કે મેં બેંક વિષે ખરેખર જ ક્યારેય કશું જ લખ્યું નહોતું. વાચકો પૈકી કોઈને હું બેંક કર્મચારી છું એમ લાગતું જ નહોતું. ભગવતીભાઈએ મારા નામ સાથે એક મુલ્યવાન લેબલ લગાવી આપ્યું હતું. ‘સમાજ હિતલક્ષી‘ ચર્ચાપત્રી! મને તો બહુ મોડેથી ખબર પડી, પણ એમનું અવલોકન સાવ સાચું હતું. વ્યક્તિ જીવન અને સમાજજીવનને સ્પર્શતી હોય તેવી જ બાબતો પર મેં મારા વિચારો પ્રગટ કર્યા હતા.

ભગવતીભાઈ કંઈક લખવા માટે કલમ લઈને બેસે એટલે સાક્ષાત સરસ્વતી એમની કલમ પર આવીને બેસી જતી હોય એમ લાગતું. એક એક અક્ષર કે એકેએક શબ્દ પસંદગીનો અને સાર્થક જ હોય. એમણે લખેલા શબ્દોને બદલવા કોઈ પર્યાય શોધવો મુશ્કેલ. તેમનું લખેલું એકેએક વાક્ય જાણે બ્રહ્મવાક્ય. કવિસંમેલનમાં તેઓ કવિતા રજુ કરતા હોય કે કોઈ સભામાં પ્રવચન આપતા હોય ત્યારે એમની જીભને નિમિત્ત બનાવીને જાણે માતા સરસ્વતી જાતે બોલતાં હોય એવું અનુભવાતું. શબ્દના સાધક ભગવતીભાઈના મુખેથી બોલાતો પ્રત્યેક શબ્દ કાનમાંથી દાખલ થઈ સીધો હૃદય સુધી પહોંચી જતો. તેઓ બોલતા ત્યારે સભામાં નીરવતા પ્રસરી જતી. શબ્દબ્રહ્મની હાજરીનો એહસાસ થતો. ગુણવત્તા જોડે બાંધછોડ કરવાની તેમને આદત જ નહોતી. બલ્કે મૂલ્યના આગ્રહી હોવાથી કોઈપણ લખાણ નબળું માલમ પડે તો તેઓ મક્કમતાથી તેને રિજેક્ટ કરતા. પછી એ લખાણ ગમે તેવા મહાન લેખક તરફથી કેમ ન આવ્યું હોય. બાંધછોડ કે પક્ષપાત કરવાથી તેઓ હંમેશ આઘા રહેતા. આ મારું કેવળ અવલોકન જ નથી, રુબરુ મુલાકાતો દરમિયાન અમારી વચ્ચે થયેલી ચર્ચાનું આ તારણ છે. તંત્રીની ખુરશીમાં બેઠેલા ભગવતીભાઈ કોઈને કઠોર લાગ્યા હોય એ બનવાજોગ છે, એ મિજાજ જુદો હતો એમની એ અલગ ભૂમિકા હતી. પણ મુશાયરા, પ્રવચનો અને વાર્તાલાપ તથા અંગત સંબંધોમાં પ્રગટ થતું એમનું વ્યક્તિત્વ એ એમનું અસલ વ્યક્તિત્વ હતું. તેઓ સંબંધોના માણસ હતા. દરેકને લાગતું કે ભગવતીભાઈ અમારા છે. ભગવતીભાઈ સાથે આટલા વરસના મારા સંબંધો હતા એમ કહીએ તો સાંભળનારને એવું લાગે કે આ માણસ પોતાની મોટાઈ વધારવા આવું કહે છે, પણ હકીકત એ છે કે એમની સાથેના સંબંધો અને સ્મરણો વાગોળીને માણસ જીવનની ધન્યતાનો અનુભવ કરે છે. એમની સાથેના મધુર સંબંધો ગૌરવ પ્રદાન કરનારી ઘટના છે.

સ્વાધ્યાય પરિવારમાં મારી એક ભૂમિકાના ભાગરૂપે હું કવિ, લેખકો, સાહિત્યકારો અને પત્રકારો જોડે ભળતો થયો તે દરમિયાન લગભગ મહીના સુધી એમના ઘરે એમની જોડે બેસવાનું થતું. વિવિધ વિષયો પર અનેક ચર્ચા થતી ત્યારે મને જાણવા મળ્યું કે દુર્બળ દેહધારી કે નબળી આંખ ધરાવતા આ કવિનું વ્યક્તિત્વ કેટલું વિરાટ છે. એમની દૃષ્ટિ કેટલું બધું દૂરનું અને કેટલું બધું ઝીણું પણ જોઈ શકે છે. સાહિત્યના જે જે ક્ષેત્રમાં એમણે કલમ ચલાવી ત્યાં તેમણે એક માઈલ સ્ટોન ઊભો કરી દીધો. પોતાની સઘળી શક્તિ નીચોવીને સર્વોત્તમ પ્રદાન કર્યું જેને પ્રતાપે એમણે સિદ્ધિના સર્વોત્તમ શિખરો સર કર્યાં. એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોઈ શકે જ નહિ.

તેઓ કડક થઈ શકે, તેઓ રમુજ કરી શકે, પડકારો ઝીલી શકે, પડકારો કરી શકે, સંગ્રામ ખેલી શકે, શાંત રહી શકે, કોઈપણ વિષય પર લખી શકે. બોલી શકે અને તે પાછું અર્થપૂર્ણ હોય. દર બુધવારે પ્રગટ થતી ‘આપણે બધા‘ એમની લોકપ્રિય કોલમ વાંચવાની હંમેશાં આતુરતા રહે. બે ત્રણ પ્રસંગો એવા હતા જ્યારે એમની કોલમમાં મારો નામોલ્લેખ થયો હોય. એક વિશિષ્ટ પ્રસંગે તો આખો લેખ મારા વિષે જ લખાયો હતો તેની વાત હું ક્યારેક લખીશ. મારો એક પત્ર એમને એટલો ગમી ગયેલો કે તેમાં એમને સાહિત્યના અંશો દેખાયા એટલે એમણે લેખ તરીકે છાપ્યો, વિષય હતો અવાજના પ્રદૂષણ અંગેનો. એ લેખ છપાવાથી અમારા કાર્યાલયમાં મારી વિરુધ્ધ બેંક મેનેજરને ઉશ્કેરીને મારા પર કામ ચલાવવાનું દબાણ ઊભું કરવાનો પ્રયાસ અમારા યુનિયન નેતાએ કરેલો. ભગવતીભાઈનો મારા પરનો પ્રેમ લોકોની ઈર્ષ્યાનું કારણ બની ગયેલો.અવાજનું પ્રદૂષણ માનસ પ્રદૂષણમાં પરિવર્તિત થઈ ગયેલું. એમના આશીર્વાદ મારે માટે આફતમાં ફેરવાઈ ગયેલા!

ડો. શશિકાંત શાહની દીકરી સ્વાતિના લગ્નનો કાર્યક્રમ એમના વતનના ગામ બૌધાન મુકામે યોજાયેલો હતો. ત્યાં અમારી મુલાકાત થઈ. એમની જોડે અમે તાપી નદીમાં નહાવા ગયેલા. એમણે અગાઉથી પૂછી રાખેલું કે ગામમાં નદી હોય તો હું ધોતિયું લઈને જ આવું! નદીમાં પાણી જોઉં એટલે મને નહાવાની લાલચ થઈ આવે. મેં પણ એમની હળવી મજાક કરતાં કહેલું, ‘ભગવતીભાઈ, તમે મને અખાનું સ્મરણ કરાવી દીધું.‘ તેઓ તરત સમજી ગયા, મલકી પડ્યા, બોલ્યા, ‘બિલકુલ એમ જ છે. અખાને મારા જેવો કોઈ મળી ગયો હશે!‘ અખાના શબ્દો હતા, ‘એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ; તુલસી દેખી તોડે પાન, જળ દેખીને કરે સ્નાન!‘ બિલકુલ નાના મોંઢે મોટી વાત હતી, પણ એ અધિકાર કદાચ, તેમણે જ આપ્યો હતો અથવા માન્ય રાખ્યો હતો.

ગુ.મિ. પર કોઈ કામ અંગે જવાનું થયું હોય અને ત્યાંથી નીકળવા પગથિયું ઉતરતો હોઉં, તો ક્યારેક તેઓ પગથિયાં ઉતરીને રસ્તો ઓળંગવાનો મોકો શોધતા ઊભેલા દેખાય, અને મને જતાં જૂએ તો પ્રેમથી ઊભો રાખી મારા ખભે હાથ મૂકીને રસ્તો ઓળંગવામાં મદદ માંગતા. આવો અનુભવ તો ઘણાંને થયો હશે જ્યારે ભગવતીભાઈએ કોઈના માથે કે ખભા પર હુંફાળો હાથ મૂક્યો હોય અને એ હાથમાંથી આશીર્વાદ વરસતા અનુભવ્યા હોય કે ઊર્જા પ્રાપ્ત કરી હોય. આપણે કહીએ કે ઘર સુધી મૂકી જાઉં, તો હસતા હસતા ના પાડે. તેઓ કહેતા, ‘નહિ, હવે તો હું આરામથી ઘરે જઈ શકીશ‘. ભગવતીભાઈનું નામ હતું, ભગવતીકુમાર હ. શર્મા. એમાં જે ‘હ‘ છપાય છે તેમાં મને ભગવતીભાઈની દેહાકૃતિ સમાયેલી છે એવું લાગતું! તેઓ સંવેદનશીલ હતા કે ઋજુ હૃદયના હતા એમ કહેવામાં મુંઝવણ અનુભવાય. ઋજુતા શબ્દનો અર્થ એમને ઓળખ્યા પછી વધારે સારી રીતે સમજાય. રણમાં ખિલ્યું ગુલાબ કે રણમાં ખિલેલું પારિજાત એવા શબ્દો આપણે સાંભળ્યા છે, પણ ભગવતીભાઈ માટે કોઈ શબ્દ વાપરવો હોય તો ‘રણના તડકામાં ખિલેલો લજામણીનો છોડ‘ એમ લખવાનું મને ગમે!

એમના હરિગીતોનો એક સંગ્રહ સોલી કાપડિયાએ સ્વરબદ્ધ અને સંગીતબદ્ધ કરેલો. ઈન્દુમતી સુશીલચંદ્ર જોશી નામની વિદૂષી મહિલા ચર્ચાપત્રો લખતી હતી. તેઓ મને દીકરા જેવો ગણતાં હતાં. તેમણે એ કેસેટ મને ભેટ આપી. મેં ભગવતીભાઈ જોડે એ હરિગીતોની, સોલીના કંઠની અને સંગીતની ચર્ચા કરી. એમણે સૂચવ્યું કે કેસેટ કરતા તમે સીડી સાંભળશો તો એની મધુરતા વધારે સારી રીતે માણી શકાશે.

ભગવતીભાઈની સંગીતની સૂઝ અતિ સૂક્ષ્મ હતી. કૌમુદી મુનશીએ ગાયેલા ગુજરાતી ગીતોની એક કેસેટ બહાર પડી હતી ‘ગીત કૌમુદી‘ એનું નામ. ગીતો સારાં, કંઠ સારો, પણ સાંભળતી વખતે મોનોટોનસ જેવું લાગે. બે ત્રણ ગીતો સાંભળીને ધરાઈ જઈએ. ઈંદુમાસી જોડે હું એ વિષે ચર્ચા કરતો રહેતો. એકવાર ગુ.મિ. માં ભગવતીભાઈએ એ કેસેટનો રસાસ્વાદ કરાવ્યો અને બધી ખૂબી વિગતે સમજાવી ત્યારે મગજમાં પ્રકાશ થયો. બધી ગુંચવણ નીકળી ગઈ. કૌમુદી મુનશીના અવાજને એમણે ‘મધ સાથે મિશ્રિત કરેલી સાકર અને એલચી‘ ના સ્વાદની ઉપમા આપી હતી. ભગવતીભાઈના ઘરની બાજુમાં પંડિત મહાદેવ શર્મા શાસ્ત્રીનું ‘સંગીત ઉપાસના મંદિર‘ આવેલું હતું. એમના કાન શાસ્ત્રીજીના ઘરમાંથી રેલાયેલા સંગીતના સૂરોથી કેળવાયેલા હશે કે કેમ તે તેઓ સંગીતની સમાધિનો આનંદ લઈ શકતા તથા તેનું રસપાન વાચકોને કરાવી શકતા.

જૂની ફિલ્મો વિષે તેમની જાણકારી અને સ્મૃતિ એટલી તેજ હતી કે આપણને એમ લાગે કે આવડા નાના મગજમાં આટલી બધી માહિતી અને સંવેદના કેવી રીતે સાચવી રાખી હશે! જેટલા શબ્દના તેટલા જ ધ્વનિના પણ તેઓ મર્મી હતા. એમના ઘરના પતરા પર વરસતા વરસાદના અવાજમાં તેઓ સંતુરવાદનની મજા માણી શકતા, પણ વાહનોના ખખડાટ અને હોર્નના કાન ફાડી નાખતા અવાજો તેમનું હૃદય ચીરી નાખતા, તેઓ અસ્વસ્થ થઈ જતા. ત્રાસ અનુભવતા. શુદ્ધ ઉચ્ચારના તેઓ આગ્રહી હતા, તેથી તેમનું પ્રવચન સાંભળવું એ ઉચ્ચારશુદ્ધિ શીખવાનો તાસ ભરતા હોઈએ એવી લગનથી હું એકદમ સાવધતાથી સાંભળતો. કોઈ ધ્વનિ અંશ સાંભળવાનો ચૂકી ન જવાય તેની કાળજી રાખતો.

તેઓ રેડિયો કાયમ સાંભળતા. અવાજની મધુરતા અને ઉચ્ચારશુદ્ધિના આગ્રહી ભગવતીભાઈને એક રેડિયો એનાઉન્સરનો અવાજ બેહદ પસંદ પડી ગયો. એ અવાજ એમણે સૂરત કોર્પોરેશન દ્વારા યોજાતી નાટ્યસ્પર્ધામાં ભજવાયેલા નાટકના એક કલાકારના મુખેથી સાંભળ્યો. અવાજની અને વ્યક્તિની પહેચાન થઈ ગઈ, પછી જ્યારે જ્યારે એ એનાઉન્સરનો અવાજ સૂરતના એફ.એમ બેન્ડ પરથી સાંભળે તરત તેઓ આકાશવાણીને ફોન કરીને એનાઉન્સરને અભિનંદન આપે. એકવાર એમના લખેલા કોઈ નાટકની સંમતિ માટે એમનું ગૃપ ભગવતીભાઈ પાસે પહોંચ્યું ત્યારે એમનો માનીતો અવાજ, લહેકો અને ઉચ્ચારશુદ્ધિ એમની સન્મુખ પ્રત્યક્ષ થયા. એમણે એ કલાકારને નામ પૂછ્યું, ‘દીકરા તારું નામ શું?‘ કલાકારે નમસ્તે કરીને એનું નામ ‘હિના મિસ્ત્રી‘ કહ્યું. તે સાથે તેઓ ચમકી ગયા. હિનાએ કહ્યું કે, ‘અંકલ, હું પરભુભાઈ મિસ્ત્રીની દીકરી છું!‘ સાંભળતાંવેંત તેમણે હિનાને પ્રેમથી ધબ્બો માર્યો. મીઠો ઠપકો આપતાં બોલ્યા કે, ‘ક્યારનું બોલી કેમ નહિ!‘ આ દૃશ્ય તો અમને હંમેશાં પુલકિત કરતું રહેશે.

ભગવતીભાઈએ સિરિયલમાં પણ કામ કીધું છે એ વાત બહુ ઓછા લોકોને ખબર હશે! ‘વીર કવિ નર્મદ‘ ગુજરાતી સિરિયલનું શૂટિંગ ડુમસ પાસે સુલતાનાબાદમાં થઈ રહ્યું હતું. નર્મદની પત્ની ડાહીગૌરીની ભૂમિકા હિના કરી રહી હતી. ભગવતીભાઈ ત્યાં સૌને મળ્યા. સિરિયલનો અંત આવી રહ્યો હતો. નર્મદનું અવસાન થઈ ગયું છે, એના દેહના અગ્નિસંસ્કાર કરવાના છે. કોણ આપશે નર્મદના મૃતદેહને મુખાગ્નિ? એક અજાણ્યો સુરતી મુખાગ્નિ આપવા આગળ આવે છે. એ અજાણ્યા સૂરતીનો પાઠ ભગવતીભાઈએ ભજવ્યો છે!

ભગવતીભાઈના જીવનના કેટલાંક પૃષ્ઠો રજુ કરતી વેળા જાણ્યે- અજાણ્યે અથવા અનિવાર્યપણે મારો ‘હું‘ એમાં ટપકી પડેલો લાગશે, તે મારી મહત્તા વધારવા માટે નહિ, પણ ભગવતીભાઈને હાઈલાઈટ કરતા સ્વાભાવિકપણે આવી ગયો છે.

સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ગણનાપાત્ર સિદ્ધિ મેળવનાર અને સીમાચિહ્નો સર્જનાર ભગવતીભાઈ અનેક પારિતોષિકોથી વાજબી રીતે પોંખાયા, એવોર્ડ દ્વારા ભગવતીભાઈ ગૌરવાન્વિત થયા કે ભગવતીભાઈ થકી એવોર્ડસ્ ગૌરવાન્વિત થયા? ભગવતીભાઈ ગુજરાતી સાહિત્યનું અમુલ્ય ઘરેણું બની રહ્યા એ તો હકીકત છે જ, પણ તેમણે સાચા અર્થમાં સૂરતીજનોનું પ્રતિનિધિત્વ પણ કર્યું તે સત્ય કેમ વિસરાય!

ભગવતીભાઈનું સાહિત્ય વાંચતાંની સાથે જાણે સૂરત આપણી સાથે વાત કરતું અનુભવાય. સૂરતીજનોના લહેરી લાલાપણાનો મિજાજ, સૂરતીજનોની બેપરવાઈ, નિખાલસતા, મુસીબતોને હડસેલો મારી ફેંકી દઈને મોજ કરવાની વૃત્તિ, ઉત્સવપ્રિયતા, સ્વાદપ્રિયતા વગેરે અનેક ખાસિયતોનું ગુજરાતને, રાષ્ટ્રને તથા વિશ્વને સબળપણે દર્શન કરાવનાર, સૂરતની વિશિષ્ઠ ઓળખ કરાવનાર અને ગૌરવ પ્રદાન કરનાર ભગવતીભાઈની ષષ્ઠિપૂર્તિ કે અમૃતમહોત્સવ દ્વારા એમને પોંખવામાં સૂરત કેમ ઊણું ઊતર્યું? – આ સવાલ ખટકે છે. ક્યાં વાંધો પડ્યો, કઈ અડચણો આવી, શું ખૂટ્યું? આટલા બધા ચાહકો, આટલા બધા મહાનુભાવો જોડેના સંબંધો, આટલી બધી સંસ્થાઓ સાથેના સંબંધો, સૂરતની આટઆટલી સાહિત્ય સંસ્થાઓ, કલાસંસ્થાઓ, મહાનગરપાલિકા, ગુજરાતમિત્ર જેવું માતબર અખબાર સુદ્ધાં એમનું જાહેર સન્માન કરવામાં કેમ પીછેહઠ કરી ગયું? જાગૃત, પ્રહરી એવા પત્રકારો અને ચર્ચાપત્રીઓએ પણ કોઈ ઈશારો કર્યો નહિ? બધા કોઈ વાતે રિસાઈ ગયા હતા કે કેમ? નારાજ તો નહોતા ને! ભગવતીભાઈ ખૂદ ના પાડે તોયે તેમને પ્રેમવશ કરીને જાહેરમાં આવવાની ફરજ પાડી શકાઈ હોત. અનેક જગ્યાએ પાણીની જેમ પૈસા વહાવનાર સૂરતને ભગવતીભાઈ માટે ફંડફાળો ઊભો કરવામાં કોઈ કઠણાઈ નડવાની નહોતી. તેમના સમારંભનો ખર્ચ કોઈ વ્યક્તિ કે સંસ્થાને બોજારૂપ બનવાનો નહોતો. માત્ર વાત વહેતી મૂકવાની જરૂર હતી. આયોજન માથે લેવાની જરૂર હતી, લોકો સ્વેચ્છાએ હરખભેર પૈસા આપવા આગળ આવ્યા હોત. પણ આટલા બધા બુદ્ધિમાનો અને ચાહકોમાંથી કોઈએ એમને પોંખવાની દરખાસ્ત સુદ્ધાં નહિ મૂકી એ આશ્ચર્યની અને અફસોસની વાત છે. સૂરતીઓ સ્વભાવે ઉડાઉ છે એમ તો સાંભળ્યું હતું, પણ આટલું કંજુસ હશે, આટલું કંગાળ હશે, આટલું કૃતઘ્ન હશે એમ પહેલીવાર અનુભવ્યું.

પ્ર.મિ.

૧૮/૦૯/૨૦૧૮

પાતરાંની કહાણી!

‘રેવાબેન! આજે રસોઈમાં કઈ વાનગી બનાવશો, આજે તો તમારે ત્યાં મહેમાન આવ્યા છે ને?‘

પાડોશણે ટહૂકો કર્યો.

‘આજે તો …. શિખંડ, પૂરી ને પાતરા ! ‘ રેવાબેને ઉમળકાભેર જવાબ વાળ્યો.

‘કેમ ભજિયાં નહિ? શિખંડ, પૂરી સાથે ભજિયાંનો મેળ સારો બેસે છે.‘

‘ના, ભાઈ! ભજિયાં કરાવે કજિયા!. મારા ભાઈને ભજિયાં કરતા પાતરા જ વધારે ભાવે.‘

પચાસ સાંઠ વરસ પહેલાંનો આ ડાયલોગ.

પાતરા ખાઈએ તો પાતરા (પાતળાં) થઈ જવાય. ભજિયાં ખાય તેની તબિયત ભજિયાં જેવી થઈ જાય- એવાં વાક્યો તે વખતે સંભળાતા.

પાતરા એટલે પતેડિયા. કોઈ એને પતરવેલિયા પણ કહે. ગામડામાં ઘરકાછાના વાડામાં ચોમાસામાં આપમેળે ઊગી નીકળે. આછા લીલા રંગના પાતરા. વરસાદ પડ્યો હોય તેનાં ટીપાં એ પાન પર મોતી જેવાં સચવાઈ રહ્યા હોય. આપણો હાથ અડે એટલે પારાની જેમ નીચે રવી જાય. એ છોડને અમારા પૂર્વજો ટેરિયાં કહેતા. ટેરિયાના પાનના પતેડિયા બનાવીએ તો એના લોટ સાથે ખાટી આમલી ભેળવવી પડે. જો આમલી ન ભેળવી હોય તો એ પાતરા મોઢામાં વવરે, વવરે એટલે કરડે, વવરે એટલે વલુર કરે. એટલે આમલી નાખવી ફરજિયાત.

એવું જ વવરિયું સૂરણ પણ વાડામાં ઊગી નીકળતું. એની ડાળખી જાણે સાબરના શિંગ. એ સૂરણનું શાક બનાવાય પણ તેમાંયે ખાટી આમલી નાંખવી જ પડે. એને દેશી સૂરણ પણ કહેતા. પછી તો મીઠું સૂરણ સાર્વત્રિક બન્યું. આજે દેશી સૂરણ વિસરાઈ ગયું છે.

જેમ વવરિયા સૂરણનો બહેત્તર વિકલ્પ મીઠું સૂરણ છે તેમ વવરિયા ટેરિયા પાતરાંનો વિકલ્પ દૂધિયા પાતરાં છે. એનો વર્ણ સહેજ કાળાશ પડતો ભૂરો હોય છે અને બજારમાં એ દૂધિયાં પાતરાં જ મળે છે. પાતરાં એટલે દૂધિયાં પાતરાં જ ! ટેરિયાનો છેદ ઊડી ગયો છે.

પચાસ સાંઠ વરસ પહેલાંના ગામડાંમાં પણ દૂધિયા પાતરાં તો હતાં જ. તે જમાનામાં એ મહામૂલી દોલત ગણાતી. ગામડાંની બહેનો અરસપરસ અલખોડાંની ગાંઠની આપ-લે કરતી. જી, હા. એ પાતરાં એટલે અલખોડાના પાતરાં! એનું વૈજ્ઞાનિક નામ અળવી. બજારમાં જઈને અળવીના પાન માંગો તો નહિ મળે, પણ અલખોડાના કે પતેડિયાના પાન માંગો તો ઝૂડીબંધ મળી આવે.

નાનપણમાં એ સમજાતું નહોતું કે ખાટી આમલી નાંખવાથી વવરતું કેમ બંધ થઈ જાય? નિશાળમાં એસિડ બેઈઝ ભણતી વખતે ખ્યાલ આવ્યો કે વવરિયા પાતરા અને સૂરણમાં બેઈઝ તત્વ રહેલું છે અને આમલીમાં ટાર્ટરિક એસિડ! બંનેનું સંયોજન થવાથી બંને પોતાના મૂળ ગુણધર્મો ગુમાવે અને ક્ષાર વત્તા પાણી શેષ રહે! આ તટસ્થીકરણનો ઉત્તમ કીમિયો ગામડાંનાં અભણ બૈરાંઓ ક્યાંથી શીખી લાવ્યાં હશે તેનું આશ્ચર્ય થાય તેમ છે.

દેશી, ટેરિયાં તો વાડામાં આપમેળે ઊગી નીકળે, પણ અળવીની ગાંઠને તો રોપવી પડે. જેને ત્યાં વાડો ન હોય તે લોકો એને ક્યાં રોપે? વાડો ન હોય પણ પાછલે બારણે (હા, એને વાડે બારણે પણ કહેતા) નાનકડું ના‘વણિયું તો હોય જ. તે સમયે બંધ બાથરૂમ નહોતા. નહાવા બેસવા માટે બે સપાટ મોટા પથ્થર મૂકી દીધા અને ફરતે કંતાન કે ખજૂરીના છટિયાંનું ઓથું કરી દીધું કે ના‘વણિયું તૈયાર! કપડાં પણ ત્યાં જ ધોવાય અને લગભગ વાસણ પણ ત્યાં જ અજવાળાય.(મંજાય) એટલે અળવીની ગાંઠને પાણીનો પૂરવઠો મળ્યા કરે!.

ના‘વણિયામાં એકલી અળવી જ નહિ હોય. એને એકલું ન લાગે તે માટે બે વેંગણ પણ હોય અને એકાદ બે મરચી પણ હોય! અરે લીલી ચા પણ હોય!

ઘરમાં જે દિવસે પાતરા કે મૂઠિયા બને તે દિવસે નાના બાળકોને બહુ મજા પડી જતી. કૂકર તો તે વખતે હતા નહિ તો પાતરા- મૂઠિયા કેવી રીતે બનાવતા હશે એવો સવાલ મનમાં જાગે ને? દાથરો બનાવવામાં આવતો. માટીના વાસણના તળિયામાં ઘાસ- પરાળ કે તુવેરની કરસાંટીના માપસરના ટૂકડા મૂકીને પાણી રાખવામાં આવતું. તેના પર મૂઠિયા કે પાતરા વણીને બાફવા મૂકાતા. તળિયામાં રહેલા પાણીની વરાળથી પાતરા બફાય તેની બાળકો આતુરતાથી રાહ જોતા હોય.

મા પાતરાને લોટ ચોપડતી હોય તે જોવાની બાળકોને મજા પડે. લોટમાં મીઠું મરચું બરાબર નંખાયું છે કે નહિ તેની ખાતરી કરવા બાળકોને હથેળીમાં ચાખવા આપે. બાળકો નિષ્ણાતની અદાથી કિંમતી અભિપ્રાય આપે! લોટ પાથરીને પછી પાતરાને નીચેના છેડેથી વિંટાળતી વિંટાળતી ઉપરના છેડા સુધી આવે એટલે પતેડિયું તૈયાર. આવા કાચા પતેડિયા વાસણમાં વ્યવસ્થિત ગોઠવીને ચડવા મૂકવાના. એ ચડી રહે ત્યાં સુધીમાં ઢોર માટે ખાસ, પરાળ ગભાણમાં ગોઠવવું કે માળ પરથી ઈંધણ- લાકડાં છાણાં પાડવા કે લેસન પતાવવા જેવાં કામો કરવાં. જો કે જીવ તો પતેડિયામાં જ રહેતો હોય!

પતેડિયાં ચડી ગયા કે નહિ, તે મા ચકાસતી હોય તેની આસપાસ ભૂલકાં ઝુમેટા મારતા હોય. આ ઝુમેટા મારવા એટલે આગળ પાછળ ઘેરીને ફરતા રહેવું. નમૂનાનું પાતરું કે મૂઠિયું ચડી ગયું છે એવા ભાવ માના ચહેરા પર દેખાય એટલે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી! થાળીમાં કાઢીને છરીથી તેના ટૂકડા કરીને કરસાંટીના ડિંગલામાં એક ટૂકડો મા પોઈ આપે (પરોવી આપે) એટલે બાળક બ્રહ્માનંદમાં મહાલે!

સાલું, એવું લાગે કે આપણે તો અધ્યાત્મ જીવતા જીવતા જ જાણે મોટા થયા!.

પતેડિયાને માટીના કાળા પાટિયામાં તેલમાં બનાવ્યા હોય તેનો તો વળી સ્વાદ જ સાવ અનોખો. એ પાટિયામાં વાલની સિપદાળ પણ બહુ ટેસ્ટી લાગે અને માંસાહારીઓના કહેવા મુજબ ગોસ્તનો અસલી સ્વાદ તો એ પાટિયામાં રંધાય તો જ માલમ પડે! હવે એ પાટિયાનો સ્વાદ ગયો.

આ પતેડિયાં બાળકોની જેમ લુખ્ખા લુખ્ખા પણ ખવાય, ગરમ પતેડિયા પર ઘી કે તેલ નાંખીને ખવાય, વઘારીને દૂધ સાથે ખવાય અને સ્પેશિયલી ગરવાણા સાથે ખવાય. ગરવાણું અદભૂત ચીજ છે! કોઈનું ગરવાણું કરી નાંખ્યું એવો રૂઢિપ્રયોગ પણ છે. બાળક કોકના હાથે માર ખાઈ આવે ત્યારે મોટેરાં ઠપકો આપીને એમ કહે કે તેના ઘરે તું શું પતેડિયા ખાવા ગયો હતો!

કેરીના રસ સાથે ઈદડા ખાવાની પ્રથા ચાલુ થઈ તે પહેલાં રસ પાતરાંની આઈટેમ બહુ પ્રચલિત હતી.

યાદ આવ્યું એટલે પૂછી લઉં કે તમે તેલમાં તળેલા, બારડોલીના જલારામના કરકરા પતેડિયા ખાધા છે? ન ખાધા હોય તો જરૂર ખાજો અને સગાંસંબંધીઓને પણ મોકલાવજો!

પ્ર. મિ.

૦૯/૦૭/૨૦૧૮

ખાંડિયા કૂવામાં બે બિલાડાં!

અમારા ગામની મધ્યમાં આવેલો ખાંડિયો કૂવો!

એક ખંડિયેર કૂવો, જ્યાંથી કોઈને પાણી ભરતાં અમે ક્યારેય જોયા નથી.

આ કૂવા પાસે થઈને અમે બાળકો રોજ નિશાળે આવીએ. પાસે જઈને ડોકિયું કરીએ.

વડીલો જોઈ જાય તો અમને વઢે; કૂવામાં ડોકિયું કરીને જોવાનું નહીં!

એમ તો, વડીલો કાયમ જ અમને વઢે, જ્યારે અમે કોઈ પણ કૂવામાં કેટલું પાણી છે તે જોવા માટે ઊભલાવીને ડોકિયું કરતા હોઈએ. એ ઊભલાવીને જોવાથી શું મળે? કંઈ જ નહિ. પાણીનું લેવલ જોયું એટલે આનંદ! મુખ પર પ્રસન્નતા! વડીલોની નજર ચૂકાવીને જોયું એ જ મોટું પરાક્રમ લાગે!

ડોકું કૂવાની અંદર તરફ હોય, આંખો પાણીનું લેવલ શોધતી હોય, કેટલા કંદ પાણી છે તેનો અંદાજ લગાવતા હોઈએ અને પગ નીચે, જમીનથી અધ્ધર હોય એટલે સ્વાભાવિક છે કે વડીલોનો જીવ પણ અધ્ધર થઈ જાય. તેઓ અમને ટોંકે એટલે વડીલધર્મ બજાવ્યાનો તેમનેય સંતોષ થાય. એણે જો ટોક્યા ન હોત તો આજે એ બાળક નક્કી કૂવામાં પડ્યો જ હોત એમ માનીને બીજા વડીલો પણ અમને ડાંટે! (આ ડાંટના એટલે ઠપકો આપવો એમ તો બહુ પાછળથી ભણવામાં આવ્યું!)

પણ આ ખાંડિયા કૂવાની પાળ કે કઠેરો તૂટી ગયેલો હતો. એટલે જ તો લોકો એને ખાંડિયો કહેતા હતા! એમાં જોવા માટે ઊભલાવવાની જરૂર નહોતી. એની ફરતે, કેટલીક ઈંટો અવશેષ રૂપે દેખાતી હતી. એ કૂવાની પાળે એક ઝાડ હતું. એ શેનું ઝાડ હતું તે આજે યાદ નથી. તે વખતે પણ ખબર નહોતી કે એ ઝાડ શેનું છે! આ લખાણ વાંચયા પછી મારા ગામના મિત્રે માહિતી આપી કે એ પીપરી હતી. એના પાંદડાં કૂવામાં પડતાં હતાં. ક્યારેક અમને હાથમાં ચળ આવે ત્યારે પથ્થર, ઢેફું કે તૂટેલા નળિયાનો કટકો એ કૂવામાં ફેંકતા. કેવળ બાલિશ ચેષ્ટા! એનાથી શું મળે? કાંઈ નહિ! નાના બાળકો એટલે એમનામાં વાંદરાનાં લક્ષણો વધારે હોય. નિરર્થક ચેષ્ટા કરવી એ જ એમનું સ્વભાવગત લક્ષણ!

ખાંડિયા કૂવાને અને આંખને કોઈ સંબંધ હશે ખરો? ખબર નહિ, પણ વડીલો કોઈવાર અમને જોઈને, અમે સાંભળીએ તેમ બીજા કોઈને સમાચાર આપતા હોય તેમ બોલતા કે ‘આજે તો ખાંડિયા કૂવામાં બે બિલાડાં પયડા છે‘. વ્યંગ અને કટાક્ષ વિષે અમને કંઈ ખબર નહોતી. પણ કોઈક અર્થ અમારાથી છૂપો ,અમારા વિષે કોઈ અજુગતી માહિતી તેઓ બીજાને આપી રહ્યા છે- એવો વહેમ તો ચોક્કસ પડતો. અમે તપાસ પણ કરી આવતા કે ખરેખર ખાંડિયા કૂવામાં કોઈ બિલાડી પડી છે કે કેમ! એનું કારણ છે કે વલ્લભદાદાના ઝાંપાથી નીકળીને નંદી ‘ઓલી‘ના (એના ધણી રવજી ગોવનને ગામલોકો ‘ઓલો‘ કહેતા ) ઘર તરફ, લપાઈને જતી બિલાડી અમે ઘણીવાર જોઈ હતી. બેધ્યાનપણે અગર ગભરાટમાં, ભાગતી વેળા ભૂલથી એ ખાંડિયા કૂવામાં કદાચ પડી પણ હોય!

અમને નવાઈ લાગતી કે આજ સુધી એ કૂવામાં કોઈ કૂતરું- બિલાડું તો ઠીક, પણ કોઈ ઉંદરું સુદ્ધાં અમે પડેલું જોયું નહોતું. ત્યાં એકી સાથે બબ્બે બિલાડાં પડ્યાંની વાત કોઈ કરે તે વાત અમને રહસ્યમય જરૂર લાગતી. વાતનો તાગ ન મળે ત્યાં સુધી મન અસ્વસ્થ રહે, કંઈ ચેન નહિ પડે! આજે પણ એવું કુતૂહલ તો રહે જ છે એટલે એક વાત તો નક્કી કે અમારું બાળપણનું એ લક્ષણ અમારામાં હજી અકબંધ સચવાઈ પડેલું છે.(આમ પણ, હવે સિત્તેરની ઉંમરે,ઘડપણ અને બાળપણ બેઉ સરખા જ ગણાય)જ્યારે રહસ્યોદ્ઘાટન થયું ત્યારે અમારા ચહેરા પર પણ મલકાટ પ્રસરી વળ્યો! હકીકત એ હતી કે ‘ખાંડિયા કૂવામાં બે બિલાડાં પડવાં‘ એનો અર્થ થતો હતો, ‘આંખોમાં મેંસ આંજવી!‘ પછી તો અમારાથી નાના બાળકોની આંખે મેંસ આંજેલી જોઈને અમે પણ બીજાને કહેતા થયા, ‘ ખબર છે, આજની નવીનતા શી છે તે?‘ પેલો ઉત્સુકતાથી સામે પૂછે કે ‘શું?‘ આપણે કહીએ કે ,‘આજે તો ખાંડિયા કૂવામાં બે બિલાડાં પડ્યાં!‘ એટલે પેલો અન્યોની આંખમાં મેંસ શોધવા લાગી જાય. ‘હાં. ખરેખર હેં! આજે તો સાચ્ચેસાચ બે બિલાડાં પડેલા મેં પણ જોયાં!‘ અને શરારતી આંખે પેલા મેંસ આંજેલા બાળક તરફ જૂએ એટલે તે અકળાય, ચીડાય અને ક્યારેક મારવા પણ દોડે!

આ કૂવો ગામની મધ્યે કોણે ખોદાવ્યો, બંધાવ્યો અને એનો વપરાસ થતો કેમ બંધ થઈ ગયો, ક્યારથી બંધ થઈ ગયો તે વિષે અમારી પાસે કોઈ જ માહિતી નથી. પણ એવો સાવ નિરૂપયોગી, અવાવરુ અને જોખમકારક કૂવો આજ લગી ગામ વચ્ચે લોકોએ રહેવા કેમ દીધો તેનું અમને આશ્ચર્ય થતું હતું. અમે થોડાક મોટા થયા અને એક યુવકમંડળ ઊભું કર્યું. મંડળનો ઉદ્દેશ તો હતો રમત રમવાનો. સભ્ય થનારે માસિક ચાર આના ફી આપવાની, રમતના સાધનો ખરીદવાના અને રમવાનું. મિટિંગ માટે અમે ખાંડિયા કૂવા પાસે ભેગા થતા હતા. ઊભા ઊભા કેટલીવાર સુધી વાતો કરી શકીએ? બેસવાની કોઈ જગ્યા હોવી જોઈએ એવું લાગતું હતું.

અમને એક સુવિચાર સૂઝ્યો. આ ખાંડિયો કૂવો કોઈ રીતે ઉપયોગી નથી, ઊલટો જોખમકારક છે. કોઈની માલિકીનો પણ નથી. સરકારી જમીન પર જ તો છે. ચાલોને, સૌ ભેગા મળીને એને પૂરી દઈએ! બેસવાની સરસ જગ્યા થઈ જશે. ગામની વચ્ચે ચોરો જેવો લાગશે. અમે મંડી પડ્યા. ક્યારીમાંથી ઢેફાં લાવ્યા અને રામસેતુ બાંધનાર વાનરોની જેમ એક એક ઢેફા નાંખીને કૂવો પૂરી દીધો. એક મહાન કામ કરી દીધાનો આનંદ અમે અનુભવી રહ્યા. ગામના વડીલો પણ હરખાયા. કેટલાયે વરસોથી જે કામ પેન્ડિંગ પડેલું હતું તે કામ આજે થઈ ગયું. આજની પેઢીને ખબર પણ નહિ હોય કે આજે જે ચોરો છે તેની નીચે ખાંડિયો કૂવો, તેનો ઇતિહાસ અને એક રૂઢિપ્રયોગ પણ દટાયેલો પડ્યો છે! આપણા ગામમાં અને સમાજમાં આ ખાંડિયા કૂવા જેવા સાવ નિરૂપયોગી અને જોખમકારક ઘણા રિવાજો અને માન્યતાઓ પૂરવાના હજી બાકી છે. કોઈ પહેલ કરે તો બધું સમુંસૂતરું થઈ જાય તેમ છે

અહીં શહેરના મિત્રોને માટે કદાચ અજાણો લાગે તેવો એક શબ્દ છે, ‘ઊભલાવવું‘ એટલે શું? ઉભલાવવું એટલે પગના પંજા પર ઊભા રહીને ડોક ખેંચીને ડોકાવવું. એમાં પડી જવાનો ભય રહેલો છે.

પ્ર. મિ.

૨૩/૦૮/૨૦૧૮

અમારા ગામનાં વાંદરાં!

નદી કિનારે, જંગલની બાજુમાં આવેલું, તે વખતનું અમારું ગામ કોઈને ગામ નહિ લાગે, પણ આખું ગામ જાણે ફાર્મહાઉસ લાગતું! જંગલની વચ્ચે જુદી જુદી ટેકરીઓ પર વસેલો જનસમુહ. ટેકરીઓ વચ્ચેથી પસાર થતી ગઢેર એ જ અમારો રાજમાર્ગ. જુદા જુદા ફળિયાઓ જુદી જુદી ટેકરી પર વસેલા. હવે ટેકરીઓ ઘસાઈ ગઈ છે અને ગઢેરે રસ્તાનું સ્વરૂપ લીધું છે. પુરાણ પામી પામીને રસ્તાઓ ઉપર આવી ગયા છે. ગોકુળમાં ગોવર્ધન પર્વત બે વરસ પહેલાં જોયો ત્યારે એ પૌરાણિક પર્વતની દયા આવી. જો પર્વતની આ હાલત થતી હોય તો ગામની ટેકરીઓની તે વળી શી વિસાત!

વૃક્ષ કહેતાં ઝાડવાંઓથી ઘેરાયેલું અમારું ગામ. આગલે બાન્ને (બારણે) અને પાછલે બાન્ને, ( બાય ધ વે, બારણે બેસવા જવું- એ શબ્દપ્રયોગ એક અલગ અર્થમાં વપરાતો. લોકો વાડામાં ઝાડ કે કૂંદવાની પાછળ બારણે બેસવા જતા!) ઘરકાછામાં કે જાહેર રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં ખાટી આમલી, વિલાતી આમલી, પીપરડી અને આંબાના ઊંચા ઘેઘુર ઝાડવાં કરમદી અને મરીકંથાર તથા રતનજોગિયાના ઝૂંડ અંકોલી, કિરેય, હાંખલા, ખટામણાના ઝાડ સડક પરની વાડ પર ચણોડી અને કવચના વેલા! કેટલીક કેડી પર તો દિવસના પણ અંધારું લાગે અને જન- જનાવરનો ભય રહે. ગડહા, કેંકાયા, ફોડચી, ધામણ, કામળિયા જેવા સાપ ગમે ત્યાં ગુંચળું વળીને પડ્યા હોય. અજાણતા પગ પડી જાય તો આવી જ બન્યું સમજો. સૂકા પાંદડા વચ્ચેથી ખર..ખર.ખર..ખર કરતો સરડો પસાર થાય તોયે સાપ જતો હોવાનો ભાસ થાય અને બીક લાગે. વિંછી, મંકોડા, સાપબામણી, ગરોળી (પદેવલી), કૂદકા મારીને ફરતી ખલેડી (ખિસકોલી) એ બધું તો જાણે સાવ સામાન્ય. પણ આજે મને તે વખતના વાંદરાં યાદ આવ્યાં.

ઝાડની ડાળીએ લટકતા નાના નાના વાંદરાં જોવાની મજા આવતી, પણ એમના વાલી એવા મોટા વાંદરા જેને ઊદો અથવા ઘડચો કહેતાં તે દાંત કચકચાવતા અમને મારવા ધસે ત્યારે બીક લાગતી, જીવ લઈને ભાગતા!. ગઢેર એટલે કે નાર(નાળ)ની ધાર પર બંને બાજુએ ઊંચા ઝાડોની હાર હોય. બાજુની ઝાડીમાંના વાનરને મન થાય કે ચાલો, આજે પિકનિક રાખીએ અને માણસોની વસ્તી વચ્ચે જઈને મન બહેલાવીએ, એટલે સહકુટુંબ- બાળબચ્ચાં ને પત્નીઓ સહિત એમનું વૃંદ માનવ વસ્તીમાં ટપકી પડે. વડીલો તો ખેતરોમાં ગયા હોય, કાકી- માસીઓ ઘરના કામમાં મશગુલ હોય; નવરા હોય અમારા જેવા બાળકો. એમ તો ઘરડાં લોકો અમને, બાળકોને પણ વાંદરાં જ કહેતા. લોંઠા અને નીચકા જેવા શબ્દો તો બાળકો માટે સાવ કોમન. પોયરાં અને સોકરાં તો એકદમ સંસ્કારી શબ્દો કહેવાય. સામે પક્ષે ઘરડાં માણસો માટે પણ વાંદરો –વાંદરી કે ઘડચો- ઘડચી જેવા શબ્દો તેમની વહુઓ વાપરતી. એક શબ્દ હતો ‘ટચરો‘. સસરા માટે કોઈ કોઈ બૈરીઓ ‘અમારે ત્યાંનો ટચરો‘ એમ શબ્દપ્રયોગ કરતી! હવે ટચરા ટચરીની વાતને બાજુ પર મેલીને વાંદરાંની જ વાતો કરીએ.

અમારા ગામને પાદરે હળપતિઓની વસાહત હતી. શેરડીની રાળથી છાયેલા છાપરાં હતા. હળપતિ યુવાનો નવરા એટલે વાંદરાં સાથે બાથ ભીડે. આખો દિવસ વાંદરાંને એક ઝાડ પરથી બીજા ઝાડ પર, એક શેરીમાંથી બીજી શેરીમાં ખદેડ ખદેડ કરે. ધારિયા અને લાકડી લઈને મેદાને પડે, સાથે કૂતરાઓ પણ રાખે. આ કૂતરા એટલે દેશી કૂતરા, પાલતુ વિલાતી કે શિકારી કૂતરા નહિ. આ સાધનો વડે તેઓ જંગલનાં વાંદરા સાથે જંગ માંડે. ઘણીવાર તો તેઓ રાત્રે પણ સીમ ગજવે. અંતે વાંદરાના વૃન્દોને જંગલભેગા કરીને જ જંપે. બધા જ થાકે, ભૂખા પ્યાસા થાય, યુદ્ધમાં વિજય થાય. હાશ અનુભવે પછી જ બીજાં કામો સૂઝે! એ આખી વસાહત એટલે કે હળપતિવાસનું નામ જ પડી ગયેલું ‘વાંદરફળિયા‘. ફળિયાનું આવું નામ ભાગ્યે જ કશે સાંભળ્યું હતું. મોટા થયા ત્યારે જાણવા મળ્યું કે વાંસદામાં ‘વાંદરવેલા‘ કરીને ગામ છે. કદાચ, માણસોના વાંદરવેડા પરથી વાંદરવેળા અને ત્યારબાદ વાંદરવેલા થઈ ગયું હશે.

એક લલ્લુદાદા યાદ આવી ગયા. બધા એને લલિયો બોબડ કહેતા. તેઓ બોલે તે સમજવા તેમને બરાબર ધ્યાન દઈને સાંભળવા પડે, પછી જ તે શું કહેવા માંગે છે તેનો તાગ મળે. આ લલ્લુદાદા એના બળદોને પાણી પાવા માટે ગામના હવાડે લઈ જતા હતા ત્યારે નાળમાં ચાલતાં ચાલતાં આમલીના ઝાડ નીચેથી પસાર થતી વખતે; એમના માથા પર છાંટા પડવાથી એમણે ઠંડક અનુભવી! લલ્લુદાદાએ આંખ આડા કાન કર્યા. વળતી વખતે એ જ ઝાડ નીચેથી પસાર થતી વેળા કોઈએ એમના માથે છાણાં થાપ્યા અને ગરમીનો અનુભવ થયો. એ ગરમી એમના માથે ચડી ગઈ એટલે એમનો ગુસ્સો સ્પ્રિંગની માફક ઉછળ્યો.એમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા,‘ માલાં હહલાં માણહ તો અલાઈ કલે તો કલે, હવે તો વાંદલા હો અલાઈ કલતા થૈ ગિયા! માલી હાહુ મુતલી તો મુતલી પણ અધી હો. સાલી હદ થૈ ગેઈ‘ કોઈએ આ બબડાટ સાંભળ્યો એટલે પૂછ્યું કે, ‘દાદા હું થિયું?‘ દાદા વરસી પડ્યા. ‘ આ માલી હાહુ વાંદલી! જતી વખતે માલા માથા પલ મૂતલી, મેં એને જવા દીધી. ઓહે, ભાઈ થેઈ ગયુ તે થેઈ ગયુ, પણ એની આલાઈ તો જો, વલતી વખતે એ જ રાંડ માલા માથા પર અધી! એની માની…‘ બસ, પછી તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. આ ડાયલોગમાં લોકોએ પોતાના શબ્દો પણ ઉમેરવા માંડ્યા.

વાંદરા ગામમાં આવે તે હુપાહુપ કરતા આવે અને અમારી અંદર બેઠેલા વાનરને ઉશ્કેરતા આવે. અમે તે વખતે નાના એટલે અમારામાં એમના લક્ષણો પ્રગટતાં ઝાઝી વાર ન લાગે. અમારા સંબંધીઓ આવ્યા એમ જાણીને અમને હૈયે હરખ થાય અને તેમનું સામૈયું કરવા જવા પગ થનગને. અમારી પ્રતિવાનર સેના ભેગી થઈ જતી. એમનુ હુપાહુપ એ જ જાણે રમત- યુદ્ધનું જંગે એલાન! રણશિંગુ વાગ્યું જાણીને બાળકો ઉત્સાહથી ભેગા થઈ જાય. વાંદરાને ચીડવવાની મજા આવે. મદારીની ડુગડુગી સાંભળીને બાળકો ભેગા થાય તેમ વાંદરાના ‘હુપા હુપ અને ખેંકો ખેંક‘ ધ્વનિ દ્વારા તેમના આગમનના સંકેત આપે. બાળકો વાંદરાંને ચીડવવા લલકારે ‘વાંદરા વાંદરા હૂપ તારી ચોટલીમાં ધૂપ!‘ વાંદરાને ચોટલી તો હોય નહિ, લામ્બી પૂંછડી હોય. બાળકોને તો લલકારવા માટે જોડકણાં જોઈએ, એનો અર્થ શો થાય તે જાણવાની માથાકૂટ એ અવસ્થામાં તો વળી કોણ કરે! વાંદરાં દાંતિયા કરે અને મારવા દોડે એટલે આપણું હથિયાર એના લક્ષ્ય પર લાગેલું સફળ!

વાંદરાં ઝાડ પર હોય તો ફળ તોડીને ફેંકે, ઝાડનાં ડાળખાં તોડી નાખે અને કોઈના ઘર પર હોય તો નળિયાં ઉખેડીને ફેંકે. કપડાં સૂકવવા નાંખેલા હોય તો તે ઉપાડી જાય અને ફાડીને ફેંકી દે! ચોકમાં કે ખળીમાં અનાજ તપાવવા મૂકેલું હોય તેમાં મૂઠ્ઠા ભરે અને વેરે. સાવ જંગલી જાત! એકવાર તો ઓટલા પર સૂતેલી નાની બાળકીને ઉપાડીને ઝાડ પર ચડી ગયેલા. સૌનો જીવ ઊંચો ચડી ગયેલો. વાત એકદમ ગંભીર થઈ ગઈ. વાંદરાને શું? હાથમાંથી મૂકી દે તો બાળકી સીધ્ધી ઉપ્પર! પણ ઘરડા લોકોએ રસ્તો કાઢ્યો. તેમણે શાંતિથી અને કુનેહથી કામ લીધું. રોટલા ઘડીને વાંદરો જૂએ તેમ ખળીમાંના ઝાડ પાસે મૂક્યા. વાંદરો બાળકીને લઈને નીચે આવ્યો. બાળકીને સાચવીને જમીન પર મૂકી અને રોટલો લઈને ઝાડ પર ચડી ગયો. જેમ માણસમાં વાંદરાપણું હોય તેમ વાંદરામાં પણ માણસાઈ રહેતી હશે ને?

પ્ર. મિ.

12/07/2018

ભગવાનની ભૂમિકા (૨)

‘ઉપદ્રષ્ટા અનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વર-‘ – શ્લોકમાં ભગવાનની શરૂઆતની બે ભૂમિકા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રાથમિક તબક્કે સાક્ષી તરીકેની ભૂમિકામાં રહી ભગવાન આપણા સારા નરસા કૃત્યોની નોંધ કરી રહ્યા છે. ચિત્રગુપ્તના ચોપડાની પૌરાણિક વાત યાદ આવે છે. અહીં કોઈ મહેતાજી નોંધપોથી અને કલમ લઈને હિસાબ લખવા બેઠા નથી, ચિત્રગુપ્ત નામની કોઈ વ્યક્તિની મદદ વગર આપણા કૃત્યોના ગુપ્ત ચિત્રોની ફાઈલ આપણા અંતર્મનમાં સંગ્રહાતી જાય છે. જે કોઈ જાણતું નથી. માત્ર આપણે જાણીએ અને આપણો પરમેશ્વર જાણે! આપણે તો કેટલીક વાતો કદાચ, ભૂલી ય જઈએ પણ તે બધું અજાગૃત મનમાં નોંધાયેલું યાદ રાખે છે. જે જીવોએ વિકાસની કેડી પકડી છે, તેના કર્મો જોતી અને નોંધતી વખતે ભગવાન લુખ્ખા પ્રેક્ષક ન બની રહેતા સારા કર્મો જોઈને ખુશી અને દુષ્કર્મો જોઈને નારાજી પ્રગટ કરે છે. આ સંકેતને આપણે આત્માનો અવાજ તરીકે ઓળખી શકીએ. સંવેદનશીલ માણસને મનમાં થાય કે મારાં અમુક કર્મો ભગવાનને ગમતાં નથી, તે મને અટકી જવાનો સંકેત આપે છે, પણ મારાં અમુક કર્મો ગમે છે અને ભગવાન તેનું અનુમોદન કરે છે તથા તે કર્મો કરવા મને પ્રોત્સાહિત કરે છે. વ્યાવહારિક ભાષામાં લોકો કહે છે કે, જેણે પોતાના આત્માને મારી નાંખ્યો છે તેવા દુર્જનોને આત્માનો અવાજ સંભળાતો નથી.

માણસ જ્યારે પોતાના મનની મલીનતા ધોવા લાગે, બુદ્ધિને સુધારવા લાગે તથા વાસનાને દબાવવા લાગે ત્યારે ભગવાનની અનુમન્તાની ભૂમિકા ટોચ પર હોય છે. માણસ બદલાવા લાગે છે. સારા લોકો જોડે સંબંધ બાંધવાનું ગમે, સારા પુસ્તકો વાંચવાનું મન થાય. સત્કાર્યમાં રુચિ વધવા લાગે. આ ભૂમિકામાં ભગવાન થોડાક ક્રિયાશીલ છે પણ પૂરેપૂરા ખીલીને ક્રિયા કરતા હોય તેમ લાગતું નથી. અનુમન્તાની ટોચ પર  પહોંચ્યા પછી ભગવાન ભર્તાની ભૂમિકા ધારણ કરે છે અને ખુલ્લી રીતે સાથ આપવા લાગે છે. ભર્તા એટલે ભરણ પોષણ કરનાર. તમામ જવાબદારી ઉઠાવનાર. યોગક્ષેમ વહન કરનાર.

વ્યવહારમાં આપણે પતિને ભર્તા કે ભરથાર તરીકે ઓળખાવીએ છીએ. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે, ભક્તિ એટલે જીવનું ભગવાન જોડેનું આધ્યાત્મિક લગ્ન! અને ભગવાન જોડે પરણવું હોય તો જીવે તેને માટે યોગ્યતા કેળવવી પડે. ગીતાના બારમા અધ્યાયમાં ભક્તના છત્રીસ લક્ષણો ગણાવ્યા છે; એને વર કન્યાના મેળાપકના છત્રીસ ગુણો સાથે સરખાવી શકાય. ભગવાનને ભર્તા ઠરાવવાના હોય તો ભક્તમાં સ્ત્રીના નૈસર્ગિક ગુણો આવવા જોઈએ. અગતિકતા અર્થાત્ માત્ર તું જ મારો આધાર છે, તારા વિના મારું બીજું કોઈ નથી એમ માનવું ( Passivity), ગ્રહણશીલતા (Receptivity), સમર્પણ (Surrender) અને વર્તનચાતુર્ય (Tact) આ સ્ત્રીના નૈસર્ગિક ગુણો છે.

સ્ત્રી પાસે વર્તનચાતુર્ય હોય છે. પતિને પ્રેમ કરવો છે, પણ કોઈને એ દેખાડવું નથી. પતિને પણ ખબર ન પડવી જોઈએ કે હું એને પ્રેમ કરું છું; આ એક કળા છે. ભક્તને જગતમાં રહેવું છે, પણ પોતાને અને ભગવાનને સંબંધ થયો છે એની જાણ કે જાહેરાત કરવી નથી; આ વર્તન ચાતુર્ય છે.

ભગવાન ભર્તાની ભૂમિકામાં આવે એટલે ચાંલ્લાવિધિ થઈ ગયો એમ કહેવાય, લગ્ન થયા નથી, જીવ પોતે વાગ્દત્તાની અવસ્થામાં છે. આ સંજોગોમાં એવું થાય છે કે કન્યાને હમણાં પરણવું નથી. હજી ભણે છે, અભ્યાસ પૂરો થયા પછી લગ્ન કરવા છે. તેની ફી તેનો થનાર વર ભરી દે છે. તેને મોબાઈલ લઈ આપે છે, તેમાં રિચાર્જીંગ વાઉચર પણ તે જ ભરી દે છે. સિનેમા જોવા જાય તો  ટિકિટ તે કઢાવે,અને હોટેલમાં જમવા જાય તો તેનું બિલ પણ તે જ ચૂકવે છે.આ બધો ખાનગી વહેવાર છે. લગ્ન થાય એટલે કન્યાના યોગક્ષેમની તમામ જવાબદારી તેનો સ્વામી ઉઠાવે. બધી ચિંતા ધણીના માથે, એણે તો ધણીને સમર્પિત થઇને રહેવાનું અને ધણીનું કામ કરતા રહેવાનું. મહાન ભક્તોની સ્થિતિ એવી પતિવ્રતા સ્ત્રી જેવી હોય છે. પતિવ્રતા સ્ત્રી અનન્યભાવે ધણીને સમર્પિત હોય છે તેમ આવા ભક્તો અનન્યચિત્તે ભગવાનની ભક્તિ કરતા હોય છે. ન કોઈ માંગણી, ન કોઈ ફરિયાદ ! ‘રામ રાખે તેમ રહીએ, ઓધવજી ! રામ રાખે તેમ રહીએ‘ એમ ગાનાર મીરાંબાઈ જેવી સ્થિતિ.

ગીતાનો બીજો એક શ્લોક અહીં યાદ આવે; ‘અનન્યાશ્ચિન્તયન્તો મામ્ યે જના: પરિ ઉપાસતે, તેષામ્ નિત્ય અભિયુક્તાનામ્ યોગક્ષેમમ્ વહામિ અહમ્‘. અનન્ય ચિત્ત થયેલા ભકતોની જવાબદારી ઉપાડવાનું ભગવાને વચન આપ્યું છે. અનન્ય ચિત્ત એટલે જેને ન માનની અપેક્ષા, ન કીર્તિની કોઈ ખેવના. માલ- મિલકત સોના ચાંદી તો અત્યંત તુચ્છ બાબત ગણાય. સાંસારિક સુખોમાં અનાસક્તિ. એક માત્ર પ્રભુ અને પ્રભુને ગમતા કાર્યો એ જ જેમના જીવનનું લક્ષ હોય તેને કહેવાય અનન્ય ચિત્ત. અહીં ગીતાનો બીજો એક શબ્દ યાદ આવે છે, તે છે ‘અવ્યભિચારિણી ભક્તિ‘. ભક્તિ પણ વ્યભિચારિણી હોઈ શકે? ભગવાન સિવાય અન્ય કશાનો વિચાર પણ કીધો તો ભક્તિ વ્યભિચારિણી બની જાય. ભગવાન ઈચ્છે છે કે, ‘મયિ એવ મન આધસ્ત્વ. મયિ બુદ્ધિમ્ નિવેશય‘. તારા મન અને બુદ્ધિ કેવળ મારામાં જ સ્થિર રાખ ! તો જ ભગવાન ભર્તા બને.

આપણા મનમાં પ્રશ્ન થાય કે, શું વ્યવહારમાં આવી સ્થિતિ લાવવી શક્ય છે? પ્રચલિત ભક્તિમા એવી કોઈ તાકાત છે ખરી? ભક્તિમાર્ગમાં તો લાખો કરોડો ભક્તો જોડાયેલા છે તે પૈકી કેટલા લોકો આ સ્થિતિએ પહોંચતા હશે? પૂણ્યશાળીને પૂણ્યના બદલામાં ભગવાનના લવલેટર મળવા શરૂ થઈ જાય. સારા જીવનસાથી મળે, સારા સંતાનો મળે, ઘરમાં લક્ષ્મી પધારે, સત્તા અને કીર્તિ મળે, પ્રમોશન મળે, પચ્ચીસ પચાસ લોકો વાહવાહ કરે, માથા નમાવે એટલે જીવ ભટકાઈ જાય. મા બાળકને ચોકલેટ અને રમકડા અને બાળક રમતમાં પડી જાય તેમ જીવ પણ ભગવાને આપેલા રમકડાં રમવા લાગી જાય તો એના વિકાસનું ધ્યેય વિસારે પડી જાય. ચતુર બાળકો એક હાથમાં ચોકલેટ પણ પકડી રાખે અને બીજા હાથ વડે માતાનો પાલવ પણ પકડી રાખે. શાણા ભકતો ભગવાને આપેલા રમકડાં પણ રમતા જાય અને ભગવાન જોડેનો સંબંધ પણ અતૂટ રાખે.

ઈશ્વર જોડે સંપૂર્ણ સમર્પિત એવા જીવ જોડે ભગવાન પરણવા આતુર હોય છે, પણ એવી ભૂમિકાએ પહોંચેલા ભક્તો કેટલા? એક મર્યાદિત જિંદગીમાં આટલો વિકાસ શક્ય ખરો કે કેમ? ભગવાન કહે છે કે ‘બહુનામ્ જન્મનામ્ અન્તે‘ એ જીવ મને પ્રાપ્ત થાય છે. એ ‘બહુનામ્‘ એટલે કેટલા તેનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મતલબ કે સાધના પથ પર જેની જેટલી ગતિ હોય તે મુજબ વાર લાગે. ભર્તાની ભુમિકામાં ભક્ત નચિંત હોય, તેની તમામ જવાબદારી ભગવાન ઉપાડે, ત્યાર પછી ભોક્તાની ભૂમિકા શરુ થાય.