રાધાનું પાત્ર કાલ્પનિક છે.

આપણા કવિઓ, લેખકો અને કથાકારોએ રાધાના પાત્રને એટલું ચગાવ્યું છે કે જાણે રાધા વિના કૃષ્ણનું જીવન અધૂરું લાગે. રાધાનો પ્રેમ, રાધાનો ત્યાગ અને રાધાની સમજદારીને એટલો બધો ઢોળ ચડાવીને ચમકાવવામાં આવે છે કે બિચારા કૃષ્ણ, રાધા સમક્ષ ઝાંખા પડી જાય! કૃષ્ણ કે જેમને વિષ્ણુના અવતાર ગણવામાં આવે છે એ પુરાણપુરુષને વામણા બતાવનારા સાક્ષરો અને ધર્મવીરો રાધાને ક્યારે અને ક્યાંથી ઊંચકી લાવ્યા અને કેવી રીતે એને કૃષ્ણના જીવનનું અવિભાજ્ય અંગ બનાવી દીધી તે વિષે ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. ‘મારા રામ તમે નહિ આવો સીતાજીની તોલે!‘ એવા વાહિયાત પણ અતિ લોકપ્રિય ભજનમાં જેમ સીતાના પાત્રને અતિશયોક્તિ અલંકાર વાપરીને ઉઠાવ આપવાની કોશિષ અણસમજુ લોકોએ કરી છે તેવું જ રાધાની બાબતમાં પણ થયું છે. સીતાજી તો રામાયણનું પ્રભાવી પાત્ર છે અને તેઓ ભગવાન રામચંદ્રજીના જીવનસંગિની હતાં જ્યારે રાધાનો તો મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં નથી. રામકથાની જેમ ભાગવત કથાની પારાયણો ખૂબ પ્રચલિત છે તે ભાગવત પુરાણમાં પણ રાધાનો ઉલ્લેખ નથી તેમ છતાં ભાવિકોના હૃદય આકાશે રાધાનો સિતારો ભગવાન કૃષ્ણ કરતા વધારે તેજથી પ્રકાશી રહ્યો છે!

અનુમાન લગાવી શકાય તેમ છે કે રાધાને કાલ્પનિક ગણાવવાના કારણે કેટકેટલા લોકોના હૈયે ‘ગહરી ચોટ‘ લાગી શકે તેમ છે. રાધા કોણ હતી અને કૃષ્ણના જીવનમાં તેનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થયો, ભગવાન કૃષ્ણના અવતારી કાર્યમાં રાધાનો ફાળો શો હતો એ કોઈ જણાવી શકે તેમ નથી. ‘ચોકીદાર ચોર છે‘ એવું સૂત્ર ગમે તેટલા લોકો ગમે તેટલીવાર બોલીને આકાશ ગજવે તેથી ચોકીદાર ચોર થઈ જતો નથી. કોઈ આધાર વગરની વાત ગમે તેટલા લાંબા સમયથી બોલાતી કે લખાતી આવે તેટલા માત્રથી તે સત્ય સિદ્ધ નથી થઈ જતી. આપણી એક તકલીફ એ છે કે મનને ગલગલિયાં કરાવે તેવી રોચક વાતો કોઈ ભગવાનના નામ સાથે જોડીને રજુ કરે તો તે આંખ મીંચીને સ્વીકારી લઈને રજુ કરનારની સાથે ડોલવા લાગી જઈએ છીએ; આ આપણું લક્ષણ રહ્યું છે. વળી પાછા કહીએ છીએ કે ‘શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર?‘. શ્રદ્ધાનું મૂલ્ય છે જ, એનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ‘યા દેવિ! સર્વ ભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:‘ એમ કંઈ અમસ્તું જ નથી કહેવાયું, પણ આપણી શ્રદ્ધાને સત્યનું પીઠબળ હોવું જરૂરી છે એ વાત ભૂલી જવાય છે. શ્રદ્ધા શબ્દમાં સત્ય નિહીત છે. સત્ વત્તા ધૃ ધારયતિ- જે સત્યને ધારણ કરે છે તેનું નામ શ્રદ્ધા. આપણે તો સાચી ખોટી માન્યતાઓને જ શ્રદ્ધા ગણાવતા ફરીએ છીએ.

ચાલો, આપણે રાધાનો પીછો પકડવાની થોડીક કોશિષ કરી જોઈએ. આપણી પાસે રાધાનું પાત્ર આવ્યું કેવી રીતે? કૃષ્ણ સાથે એનું નામ જોડાયું કેવી રીતે? મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ અને શ્રીમદ ભાગવત્ જેવા ગ્રંથોમાં કૃષ્ણ ચરિત્રની ચર્ચા તો છે, પણ તેમાં રાધાનું નામ ક્યાંયે જોવા મળતું નથી. રાધા આજે વૈષ્ણવ સમાજમાં શ્રી કૃષ્ણની પત્ની તરીકે સર્વમાન્ય રીતે સ્થાપિત થઈ ચૂકી છે. રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ થઈ શકતી નથી. આ બધું કેમ થયું?

રાધા-રાણીના ગરબા અને ભજનો તથા કવિતા દ્વારા આપણને રાધાની ઓળખાણ થઈ. કાવ્યો, ગઝલો, વાર્તા, નવલકથાઓમાં રાધાના કેરેક્ટરને ડેવલપ કરેલા જોયા. કથાકારોના મુખેથી રસાળ શૈલીમાં રાધા વિષેના વર્ણનો સાંભળ્યા, પણ આપણે કોઈ દિવસ કોઈને પૂછવાની તસ્દી નથી લીધી કે કયા પ્રમાણભૂત ગ્રંથોમાંથી આ વાત લેવામાં આવી છે. આપણા કથાકારો વ્યાસપીઠ પર ભાગવત કે રામચરિત માનસ ગ્રંથનું પોટલું લઈને તો જરૂર બેસે છે, પણ શ્લોક ટુ શ્લોક કે ચોપાઈ લઈને એનો અર્થ સમજાવવાનું ટાળે છે. એમને આવડતી અને એમને ગમતી વાતોનો વિસ્તાર કરીને સમયનો બગાડ કરે છે, પણ મહત્વની વાતો ઓમિટ કરી દેવાની લુચ્ચાઈ કરે છે!

શ્રી કૃષ્ણને તે જમાના પ્રમાણે આઠ રાણીઓ હતી. રુક્મિણી જોડે એમણે પ્રેમલગ્ન કરેલા. રુક્મિણીના પિતાએ તેના વિવાહ જરાસંધના પુત્ર શિશુપાળ સાથે ગોઠવી રહ્યાની ગંધ આવતાં જ રુક્મિણીએ એક પ્રેમપત્ર લખીને શ્રીકૃષ્ણને મોકલ્યો. તે શ્રી કૃષ્ણના અપ્રતીમ પરાક્રમથી અને વ્યક્તિત્વથી આકર્ષાઈને પોતાનું દિલ તેમને અર્પિત કરી ચૂકી હતી. જગતના અપ્રતીમ સૌંદર્યે એવા જ અપ્રતીમ પૌરુષને લખેલો ઈતિહાસનો એ પહેલવહેલો પ્રેમપત્ર ગણાય છે. અન્ય પત્નીઓ જાંબુવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. એ જમાનામાં પરાક્રમી પુરુષો જોડે સંબંધ સ્થાપિત કરવા ત્યારના રાજાઓ પોતાની બહેન કે દીકરીને પરણાવીને સંબંધની મધુરતા વધારતા તે રિવાજ મુજબ બનેલી પત્નીઓ છે. આ રીતે કૃષ્ણની આઠ રાણીઓ હતી. પણ કૃષ્ણ જાણે આજના જમાનાની જેમ ગેરકાનુની લગ્નબાહ્ય સંબંધ બાંધતા વિલાસી પુરુષ હોય તેમ રાધા જોડે એમનું નામ જોડવામાં આવે છે તે સાવ અજુગતું છે. સોળ સહસ્ર રાણીઓની વાત લખીને તો આપણા સાહિત્યકારોએ કૃષ્ણજીને સાવ વિલાસી જીવડો બનાવી દેવાની ધૃષ્ટતા કરી છે. તે સમયે આસામના નરકાસુરે સોળ હજાર કન્યાઓને કેદ કરી હતી. કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરીને એ કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરી. સમાજ એ મહિલાઓને દૂષિત થયેલી માનતો હતો. એવી ભ્રષ્ટ થઈ ચૂકેલી સ્ત્રીઓને વેશ્યા ગણીને એમના ભાઈ કે પિતા કે કોઈ સગાં પણ એમનો સ્વીકાર કરવા તૈયાર ન થયા ત્યારે અપમાનિત થયેલી એ સ્ત્રીઓ દુ:ખી હૃદયે શ્રી કૃષ્ણ પાસે ગઈ. બોલવા લાગી કે, ‘અમારો કોઈ સ્વીકાર કરતું નથી. તમે અમને કારાવાસમાંથી તો છોડાવી પણ હવે અમે ક્યાં જઈએ? અપમાનભરેલી આઝાદી કરતાં તો તે કારાવાસ સારો હતો‘. શ્રી કૃષ્ણે હિંમતભેર કહ્યું કે ‘કોઈ તમારો સ્વીકાર ભલે ન કરે, પણ હું તમારો સ્વીકાર કરું છું. આજથી તમે સૌ મારી પત્ની છો. કોઈ પૂછે તો વિશ્વાસપૂર્વક કહેજો કે અમે કૃષ્ણની પત્નીઓ છીએ.‘

મહાપુરુષો જેનો સ્વીકાર કરે તેનો અનાદર કોઈ કરી શકતું નથી. શ્રી કૃષ્ણે એ અપ્રતિષ્ઠિત મહિલાઓને પોતાની કાયદેસર પત્ની તરીકે અપનાવીને તેમને સમાજમાં પ્રતિષ્ઠાભર્યો દરજ્જો આપ્યો. શ્રી કૃષ્ણનું આ પગલું ક્રાંતિકારી હતું. કોઈનામાં આટલી હિંમત ન જ હોઈ શકે. ભારતને આઝાદી મળી અને ભાગલા પછી જે કત્લેઆમ. લૂંટ, બળાત્કાર અને હિંસાનું તાંડવ ખેલાયું ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. દૂષિત થયેલી સ્ત્રીઓને એમના પતિ, ભાઈ, પિતા અને સમાજે તરછોડી દીધી ત્યારે એમને વારાંગના થઈને જીવવાનો વારો આવ્યો. પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી નોંધે છે કે તે વખતે કૃષ્ણ જેવું વિરાટ વ્યક્તિત્વ આપણી સમક્ષ હોત તો એ બહેનોએ પતિત તરીકે જિંદગી ગુજારવી પડી નહોત. શ્રી કૃષ્ણ જેવા વીર ક્રાંતિકારી નાયકને સોળ હજાર રાણીઓ હતી એમ કહીને તેમનું વિલાસી ચિત્ર ઊભું કરનારની મતિ અતિ ક્ષુદ્ર છે એમ કહી શકાય. હદ તો ત્યારે થાય છે જ્યારે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો બાંધતા લંપટ પુરુષને ‘કાનુડા‘ નું લેબલ મારવામાં આવે છે!

‘બ્રહ્મવૈવર્ત‘ પુરાણના આધારે સંશોધન કરનાર હિંદીના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય નાટ્યલેખક શ્રી નારાયણ પ્રસાદ બેતાબે ‘રાધાકૃષ્ણ‘ નામની એક પુસ્તિકા બહાર પાડી હતી. તેમણે લખ્યું છે કે એ પુરાણમાં જુદા જુદા સ્થળે રાધા અને કૃષ્ણનો સંબંધ પિતા-પુત્રી, માતા- પુત્ર, પતિ-પત્ની વગેરેનો કહ્યો છે. આ બધામાંથી કયો સંબંધ સાચો તે તો ભગવાન જ જાણે! બ્રહ્મવૈવર્ત પુરાણ સિવાય બીજા કોઈ કૃષ્ણચરિત્રના આધારભૂત ગ્રંથમાં રાધાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ પુરાણ વેદવ્યાસ રચિત માની શકાય તેવું નથી. એની રચના સોળમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. કથાકારો પોતાની માન્યતા અને કલ્પનાનું ગિલિટ ચઢાવીને મનોરંજક ટૂચકાઓ ઉમેરીને પાત્રોની રજુઆત કરી શ્રોતાઓને મનોરંજન કરાવતા આવ્યા છે.

પુરાણકારોને સેક્સી વર્ણન કરતા કોઈ સૂગ નથી આવતી. તેઓ લખે છે” રાધા પૂર્ણ યૌવનથી ભરેલી યુવતિ હતી. રોઈ રહેલા બાળકૃષ્ણને શાંત કરવા ખોળામાં લઈને વહાલ વરસાવવા લાગી. પછી એનું માતૃત્વ કોણ જાણે ક્યાં ચાલી ગયું તે વહાલ વરસાવતાં વરસાવતાં તે રાધા કામવાસનાનો અનુભવ કરવા લાગી. બાળકૃષ્ણે પણ એક નવયુવાનનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી જે લખ્યું તે વર્ણન શરમ અને મર્યાદાનો લોપ કરનારું છે.ધૃત્વા ચ તાં કૃષ્ણ; સ્વાપચાચાસ વૃક્ષસિ ચ કાર શિથિલં વસ્ત્રં ચુમ્બન ચ ચતુર્વિધમ- રાધાનો હાથ પકડીને કૃષ્ણે તેને આલિંગનમાં લીધી. રાધાના વસ્ત્ર ઢીલાં કરીને ચારે તરફ ચુંબન કરવા લાગ્યા. આ તો સૌથી શ્લિલ એવો શ્લોક થયો તો પછી અશ્લિલ શ્લોકમાં કેવું વર્ણન આવતું હશે તેની કલ્પના થઈ શકે છે.

આરાધ્ય દેવ એવા શ્રી કૃષ્ણને લંપટ ગણાવવા એ કંઈ જેવી તેવી ધૃષ્ટતા નથી. આપણા દેવ જો આવા હોય તો પછી તેના ઉપાસકો પણ લંપટતા આચરે તેમાં કોઈ નવાઈ નથી. જે દેવની ઉપાસના કરતા હોય તેના ગુણો તેના ઉપાસકોમાં આવે! કૃષ્ણ જાણે કે રાધા સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહ્યા હોય એવું વર્ણન કરવું એ આપણા આરાધ્ય દેવનું હડહડતું અપમાન છે. યુગપુરુષને થતો રહેલો અન્યાય છે. પુરાણકારોને, કથાકારોને અને સાહિત્યકારોને પોતાના મનનો કિચડ પ્રગટ કરવા જાણે બીજું કોઈ પાત્ર જ  ન મળતું હોય તેમ રાધાના કાલ્પનિક પાત્ર સાથે કૃષ્ણનો સંબંધ કલ્પી લઈને તેમના પવિત્ર ચરિત્રને કલંકિત કરે તે કોઈ રીતે શોભાસ્પદ નથી.

પ્ર. મિ.

FACEBOOK ARTICLE PUBLISHED IN ‘PRIYAMITRA’ WEEKLY.

તમારા શરીર પર ડામના દાગ છે? ક્યાં, પેટ પર કે બરડા પર?!…

આજે જેઓ સાંઠથી ઉપરની ઉંમરના હશે અને ગામડામાં મોટા થયા હશે તેમના શરીર પર ક્યાંક તો ડામના અવિચળ ચિહ્નો હજીયે મોજુદ હશે. તેમને કદાચ યાદ પણ નહિ હોય કે એ ડામ તેમને કયા ગુનાની સજા તરીકે મૂકવામાં આવ્યા છે.

બાળપણમાં અમે મહોલ્લામાં ખમીશ ઉતારીને હુતુતુતુ રમતા ત્યારે બોકા પર નવા પૈસાની સાઈઝના ચાર ડામ તો અવશ્ય જોવા મળતા! ખમીશની નીચે ગંજી (બૉડિશ!) પહેરવાનું ચલણ ત્યારે નહોતું. ગંજીને બૉડિશ જ કહેતા હતા. બોકો એટલે પેટ! કોઈ બાળકના પેટ પર ગણપતિ બેસાડ્યા હોય તેવા ઢીંગલાના આકારમાં ડામ મૂકવામાં આવતા હતા. અમે એના પર આંગળીઓ ફેરવતા! બરડા પર બટાકાની વેફર ચોંટાડી હોય તેવો ગોળ ડામ પણ કેટલાક બાળકોના શરીર પર જોવામાં આવતો.

આ ડામ મૂકવાનું કારણ શું? એ કોઈ જાતની આઈડેન્ટિટી હશે? બચપણમાં મૂકેલા એ ડામ આજીવન સ્મૃતિચિહ્નો ધરાવતા હોય છે.

ગુજરાતીમાં કહેવત છે કે દુ:ખનું ઓસડ દહાડા. સમય એ કોઈપણ દુ:ખને ભૂલવાનું સૌથી અકસીર ઔષધ છે. ડામ પણ એવું જ એક ઔષધ ગણાય!. એ જમાનામાં હજી પેનેસિલિન ગામડાં સુધી પહોંચી નહોતી. પેનેસિલિનને અદભૂત ઔષધ ગણવામાં આવે છે કારણ કે  લગભગ સો ઉપરાંત રોગો પર દવા તરીકે અસર કરે છે. પણ પેનેસિલિન આવ્યું તે પહેલાં ડામનું સામ્રાજ્ય હતું! માત્ર સો જ નહિ, લગભગ તમામ રોગો પર ડામ એ અકસીર ઈલાજ ગણાતો હતો. શરીરના જે ભાગમાં પીડા થાય તે ભાગમાં છેલ્લો ઉપચાર ડામ! વડીલો ડામ મૂકવાની વાત કરે કે તરત ઘણાંના પેટમાં દુ:ખતું બંધ થઈ જતું!

એ જમાનામાં દાક્તરો નહોતા. કમ્પાઉન્ડર કક્ષાનો માણસ થોડા થોડા દિવસે સાઈકલ પર આંટો મારી જતો. કાનમાં ભુંગળું નાંખીને બીજો છેડો છાતી પર ફેરવતો. નાડી પકડતો, મોં ખોલીને જીભ જોતો અને જનરલ ડોઝ તૈયાર કરેલો હોય તેમાંથી પીવાની દવા આપતો. ઈંજેશન તો ક્યારેક જ મૂકાતું. ઈંજેશન મૂકાતું જોવા માટે ગામલોકો ટોળે વળતા! મોટાભાગના દરદો તો હાથઓસડથી જ મટાડવામાં આવતા. જડી બુટ્ટીના જાણકારોની ગામમાં કોઈ ખોટ નહોતી. કયા સમયે કઈ વનસ્પતિના પાન, ફળ, ફુલ, છાલ , દાતણ, મૂળિયાં કે રસ ઉપયોગમાં આવે તેનું જનરલ નોલેજ મોટાભાગના લોકો ધરાવતા હતા. રોગ તનનો રોગ હોય કે મનનો ઉપચાર હાથવગો જ હતો. મનોચિકિત્સકો નહોતા, પણ મનોચિકિત્સકોના બાપ જેવા ભુવા ભગતો હતા અને તેમનો ભારે દબદબો પણ હતો. કોઈના શરીરમાં ડાકણ ભરાયેલી હોય તેને ભગાડવા માટે પણ ડામ મૂકવામાં આવતા. ચોકમાં છાણાં સળગાવીને ડાંભણિયું લાલ થાય એટલી જ વાર! ચપકો મૂકો અને ડાકણ અલોપ!

આવા અણઘડ નિષ્ણાતોને કારણે કેટલાયે મનોરોગીને લાકડીના સપાટા ખાવા પડ્યા હશે અને કેટલાના શરીરે ડામ પડ્યા હશે તેની કલ્પના અતિ બિહામણી છે. મારે તો ખાલી, પેટ અને બરડા પર મૂકવામાં આવતા ડામ વિશે જ વાતો કરવાની છે. શિશુ અવસ્થામાં જાતજાતની શારીરિક તકલીફો આવતી હોય છે. તે પૈકીની એક છે ‘વાવળી‘. આ વાવળી થઈ હોય તેના ઉપચાર તરીકે પેટ પર ડામ મુકાવવાનું વલણ સામાન્ય હતું.

આજે રોગનો ઉપચાર કરતાં પહેલાં જેમ લેબોરેટરીના રિપોર્ટ કઢાવવામાં આવે છે અને એ રિપોર્ટ જોઈને નિષ્ણાત ડોક્ટરો દવા પ્રિસ્ક્રાઈબ કરે છે તેમ તે વખતના રોગ પારખુઓ શરીર તપાસીને મેંસથી નિશાન કરી આપે, પછી રવિવાર કે મંગળવારના દિવસે ડામ મૂકવાના નિષ્ણાત પાસે જવું પડે. એનો વટ એમ.ડી. ડોક્ટર કે સર્જ્યન કરતાંયે વધારે હતો! તેઓ પહેલાં ખાતરી કરી લે કે પરીક્ષણ કઈ લેબોરેટરીમાં કરાવ્યું હતું! જો કે આમાં ગાંધી વૈદનું સહિયારું જેવો કોઈ આર્થિક લાભ મેળવવાનો નહોતો. જે કંઈ થતું તે સેવાના ભાવથી જ થતું હતું. દરદીને સર્જરી માટે જેમ ઓપરેશન ટેબલ પર લેવામાં આવે તે જ ભાવથી તેને માનસિક રીતે તૈયાર કરીને ડામ લેવા તૈયાર કરવામાં આવે. સગડીમાં છાણાં સળગાવવામાં આવે. અસલ તેલ કાઢવા માટે જે પળી વાપરવામાં આવતી તેના જેવું ડાંભણિયું હોય, તેને રાતીચોળ ગરમ કરવામાં આવે અને પછી ડામ મૂકનાર વડીલ પૂરી સ્વસ્થતાથી યોગ્ય નિશાન કરેલી જગ્યા પર ડામ મૂકે. ચામડી બળે તેનો ચમ્મ દાઈને થતો અવાજ સંભળાય અને ધુમાડો નીકળતો પણ દેખાય! દરદીનો કણસાટ પણ સંભળાય. ડામ મૂકતી વખતે કંઈ લોકલ એનેસ્થેશિયાની સગવડ નહોતી. ઓપીડીમાંથી દરદી ઘરે જાય એટલે ડામને પકવવા માટે શાક તરીકે ખાસ કઠોળનો ઉપયોગ થાય તેમાંયે વાલ કે વાલની દાળ તો સર્વોત્તમ! ડામ કે શીતળાની રસીને પકવવામાં આવે એટલે તેમાં પરૂ ભરાય અને ભારે હેરાનગતિ થાય.

પણ તમે ‘સાપણ‘ વિશે સાંભળ્યું છે? સાપણ એટલે સાપની માદા. અમુક બાળકોના બરડા પર જે રુંવાટી હોય છે તેમાં કેટલાકને સાપણ દેખાય છે! આ સાપણ શું કરે? બાળકોને ખાઈ જાય! જે બાળક વારંવાર માંદું પડતું હોય તેનાથી મોટા ભાઈબેન પરના બરડા પર સાપણ હોય ત્યારે આવું બને છે એવો નિષ્ણાતોનો મત છે. બાળક અવારનવાર માંદું પડે અને મરી પણ જાય. તેના મૂળમાં હોય છે આ સાપણ. જેના બરડા પર સાપણ હોય તેને કંઈ નહિ થાય, પણ તેના પછીના સહોદરને આ સાપણ ખાઈ જતી હોવાથી એનું મોંઢું બાળી નાખવું પડે! હરતી ફરતી લેબોરેટરીના નિષ્ણાતો બરડા પર ધારી ધારીને જૂએ અને સાપણનું મોઢું તપાસી આપે. રવિવાર મંગળવારે એ વધારે સ્પષ્ટ દેખાઈ આવે. ઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેમ વધારે નિષ્ણાતો ભેગા થયા હોય ત્યારે સાપણનું મોઢું દરેકને જુદી જુદી જગ્યાએ દેખાય! જેની વાક્છટા વધારે પ્રભાવી હોય તેનો મત આખરી ગણવામાં આવે અને પછી તે નિશાન પર ડામ મૂકવામાં આવે. બિચારા પેલા બાળકની દશા તો બલિદાનના બકરા જેવી થાય! વગર વાંકે બરડો ડંભાવવાનો!!

બીજા કોઈની વાત કરવાને બદલે હું મારો અનુભવ કહેવાનું વધારે પસંદ કરીશ. મારા જનમ પછી છેક નવ દસ વરસના ગાળા બાદ મારી બહેનનો જન્મ થયો. એ ત્રણ ચાર વરસની થઈ હશે ને માંદી પડી. નિષ્ણાત કાકી-માસીઓ ભેગી થઈ અને મારા શરીર પર સાપણ હોવી જોઈએ એવો ઠરાવ બહુમતીથી પસાર થયો. એ સમાચાર હું સાંભળી ગયો અને ડરી ગયો! મારી માને પૂછ્યું. તેણે મને અસ્પષ્ટ જવાબ આપ્યો. હું ગુસ્સે થયો. મને મારી બહેન વહાલી હોવા છતાં ડામ મૂકવાના નિર્ણયનો મેં મક્કમતાથી વિરોધ કર્યો. ઘરમાંથી ભાગી જઈશ અને પાછો ઘરે આવીશ જ નહિ એમ મેં કહી દીધું. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલો ઠરાવ રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડી નાંખેલો તેટલી જ મક્કમતાથી મેં પણ તે વખતે ડામ લેવાની સાફ ના પાડી દીધેલી! બધા મને સમજાવે કે તારી બહેન મરી જશે તો? મેં કહી દીધું, ‘ભલે મરી જતી! તમને આટલા બધા વરસો દરમિયાન ક્યારેય મારા શરીર પર સાપણ દેખાઈ નહિ અને હું બાર તેર વરસનો થયો ત્યારે એ ઓચીંતી ક્યાંથી પ્રગટ થઈ?‘ મારી માને મારી દલીલમાં સચ્ચાઈ લાગી. મેં કહ્યું, ‘જો મારા બરડા પર સાચે જ સાપણ હોય તો બચપણમાં જ એને ડાંભી દેવી જોઈતી હતી. હવે એને ડાંભવાથી થતી પીડા હું સહન કરી શકું તેમ નથી. સાપણની વાત સાવ ઉપજાવી કાઢેલી જ છે. હું એમાં માનતો નથી.

મારી મક્કમતાથી નમતું મુકવામાં આવ્યું. હું ડામ લેવામાંથી બચી ગયો. મારી બહેનને પણ કંઈ થયું નહિ. સાંઠી વટાવીને એ પણ હજી જીવે છે!

પ્ર. મિ.

બીજો ચિરંજીવી ખલનાયક બલિરાજા!

      સત્યનારાયણની કથાના અંતે ગવાતી દશાવતારની આરતીમાં આવતી કડી, ‘‘પાંચમે અતિ બળિયો બળદેવ જેથી સુરપતિ યે કાંપે; વામનરૂપ ધર્યું મહારાજે બળિને પાતાળે ચાપે. જયદેવ જયદેવ‘ એ તો ઘણાને ખબર હશે. પુરાણકથા મુજબ બલિરાજા ખૂબ પરાક્રમી હતો, ખૂબ ધાર્મિક હતો. એણે પુષ્કળ યજ્ઞો કર્યા. એને ઈન્દ્ર જોડે વિરોધ હતો. એ ઈન્દ્રાસન પડાવી લેવા માંગતો હતો. જેનામાં લાયકાત હોય તે ઈન્દ્ર બને એમાં કંઈ બહુ મોટી વાત નથી. એ એનો અધિકાર પણ ગણાય. ઈન્દ્રએ ગભરાવાનું કોઈ કારણ પણ નહોતું. લાયકાત હોય તે માણસને આગળ આવવા દેવો જોઈએ. પણ બલિરાજા બગભગત હતો. એનું પ્રગટ કાર્ય સાત્વિક જણાતું હતું, પણ એની પછવાડે મોટી ચાલ હતી. ઈન્દ્રને એ વાતની જાણ હતી એટલે એણે વિષ્ણુને વાકેફ કર્યા હતા. ભગવાનને પણ છેતરે એવા ધાર્મિક પુરુષો આજે પણ ક્યાં ઓછા છે? વિષ્ણુ ભગવાને ઈન્દ્રરાજાને સંભાળવાનું માથે લીધું. બલિ જ્યારે યજ્ઞ કરતો હતો ત્યારે બટુકનું રૂપ લઈને ભગવાન તેની પાસે ગયા અને ભિક્ષા માંગી. જૂની હિંદી ફિલ્મ ‘વામન અવતાર‘નું ગાયન યાદ આવી જાય તેમ છે. ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી!‘ બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલાં પૃથ્વી માંગી. બલિએ રાજીખુશીથી પૃથ્વી લઈ લેવા કહ્યું.  ડગલાં ભરતી વખતે ભગવાને વિરાટ રૂપ લીધું અને પહેલા ડગલે પૃથ્વી અને બીજા ડગલે ત્રિભુવન માંગી લીધું. હવે ત્રીજું ડગલું ક્યાં ભરૂં એમ ભગવાને પૂછ્યું ત્યારે બલિએ કહ્યું કે મારા માથા પર પગ મૂકો. ભગવાને માથા પર પગ મૂક્યો અને બલિ પાતાળે ચંપાઈ ગયો. ભગવાને એને વચન આપ્યું કે હું તારા પુત્ર પરિવારનું રક્ષણ કરીશ તું પાતાળમાં નિરાંતે રહેજે. બલિના ત્યાગની અવેજીમાં વરસનો એક દિવસ એના નામે ઊજવવાનો નક્કી કર્યો. બલિ પ્રતિપદા એટલે કે બેસતું વરસ એ બલિની યાદમાં ઊજવાય છે; આ થઈ પૌરાણિક કથા.

એક સવાલ મગજમાંથી નીકળે તેવો નથી. બલિરાજા ધાર્મિક અને સાત્વિક પ્રકૃતિનો હોય અને સમાજ માટે સારી પ્રવૃત્તિઓ કરતો હોય તો ભગવાને એને પાતાળમાં કેમ ચાંપ્યો? પુરાણકારો જે વાત કરે છે તે બુદ્ધિમાં ઉતરે તેવી નથી. દંતકથા તો એમ પણ કહે છે કે બલિ એવો ચતુર નીકળ્યો કે એણે ભગવાનને પોતાના અંગરક્ષક-નોકર તરીકે રહેવાની ફરજ પાડી.

બલિ કોણ હતો? હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ હતો. પ્રહલાદનો દીકરો  વિરોચન અને વિરોચનનો દીકરો તે બલિ. પ્રહલાદ સાત્વિક પ્રકૃત્તિનો હતો. આધ્યાત્મિક હતો. તેને રાજગાદી પર બેસવાની લાલસા નહોતી, પણ નરસિંહ ભગવાને તેને બળજબરીપૂર્વક ગાદીએ બેસાડ્યો. સારા માણસો રાજકારણમાં આવવા જોઈએ. સંસાર અસાર છે, રાજકારણ એ કિચડ છે એમ સમજીને ‘ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્‘ કરીને ધ્યાનમાં બેસી જવું સરળ છે. હિમાલય ભ્રમણ કરવું પણ સરળ છે, પણ તેને બદલે રાજકારણના કિચડનો સામનો કરીને, પ્રજાને સુશાસન આપીને પણ પ્રભુસેવા કરી શકાય. આ પણ સાધના જ છે, તપ જ છે, આમાં આત્માની ઉન્નતિ અને સમાજકલ્યાણ બંને સચવાય જ છે એમ સમજાવીને પ્રહલાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. પ્રહલાદે સરસ રાજ્ય કર્યું. ત્યાર પછી પ્રહલાદનો દીકરો વિરોચન ગાદીએ આવ્યો. તે ઊંધો નીકળ્યો. વિરોચન નાસ્તિક હતો. તેનામાં બાપના કરતા દાદાના લક્ષણો વધારે હતા. ઉત્તમ પિતાના સંતાન ઉત્તમો જ હોય એવું બનતું નથી. હિરણ્યકશિપુ જેવો પ્રહલાદ ન નીકળ્યો અને પ્રહલાદ જેવો વિરોચન ન નીકળ્યો. મારા પિતા મહાન હતા એમ કેવળ બોલવાથી કામ ન ચાલે. જાતે મહાન કામો કરી દેખાડવા પડે. પિતાના સ્વસંપાદિત ગુણો સંતાનમાં આવતા નથી. પિતા કરતા દાદાના સંસ્કાર પૌત્રમાં વધારે આવે છે. પ્રહલાદના છોકરા વિરોચનમાં બાપના ગુણો ન હોવાથી તે નિષ્ફળ રહ્યો. સાત્વિક વિચારો સમજવા તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો.

વિરોચનનો છોકરો બલિ બાળપણથી જ બુદ્ધિશાળી અને કૂટનીતિજ્ઞ હતો. તેણે તેના પારિવારિક ઈતિહાસનો બરાબર અભ્યાસ કર્યો હતો. તેણે જોયું કે હિરણ્યકશિપુ તાકાતના જોરે બળજબરીથી શાસન કરવા ગયો તો એણે મરવું પડ્યું. પ્રહલાદ જેટલી ભક્તિ અને સંસ્કાર તેનામાં હતા નહિ. તે આસુરી સંસ્કૃતિનો હતો. હિરણ્યકશિપુ, પ્રહલાદ અને વિરોચનની મિશ્ર આવૃત્તિ એટલે બલિરાજા! બલિને સમજાઈ ગયું કે ખાઓ, પીઓ અને મજા કરો એ આસુરી વૃત્તિના વિચારો કેવળ સામર્થ્યના જોરે પ્રજા પર લાદી શકાશે નહિ, લોકો માનશે નહિ અને બીજો નરસિંહ ઊભો થશે! એટલે એણે મોટા મોટા યજ્ઞો કરીને ધાર્મિકતાનો દેખાવ ઊભો કર્યો. યજ્ઞ એટલે દેવપૂજા સંગતિકરણ મિત્રકરણ. જે મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી. લોકોમાં જે કંઈ ગુણો હોય તે બદલ તેમની પ્રશંસા કરી- પૂજા કરવી, તેમની સાથે આત્મીયતા ઊભી કરવી. આજના અનુસંધાનમાં કહેવું હોય તો બલિ રાજાએ વિપદગ્રસ્ત લોકોને મદદ કરીને અને સમાજના બુદ્ધિમાન લોકો- લેખકો, પત્રકારો, કાનૂની નિષ્ણાતો વગેરેને એવોર્ડ આપીને વિભૂષિત કર્યા. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ખુશ રાખ્યા એનો અર્થ એ જ કે સમાજના બૌદ્ધિક વર્ગને સુખ સગવડો આપીને સંતુષ્ટ રાખ્યા જેથી તેમની વફાદારી શાસન પ્રત્યે કાયમી રહે. બૌદ્ધિકોની ફરજ હતી કે તેઓ પ્રજામાં સંસ્કાર ઊભા કરે. સમાજને સભ્ય બનાવે, જવાબદાર નાગરિકત્વ નિર્માણ કરે. બલિએ આ વિકાસપ્રક્રિયા ચાલાકીપૂર્વક અટકાવી દીધી. બ્રાહ્મણોને પૂરતી દક્ષિણા મળતી હોય અને રાજદરબારમાં પ્રતિષ્ઠિત સ્થાન મળતું હોય તો એને બીજું જોઈએ પણ શું?

ઉપલક રીતે ધાર્મિકતા ધમધમતી રહેતી. કથા પારાયણો ચાલતા રહેતા, હોમ હવનો ચાલતા રહેતા. ધાર્મિક સ્થળો ઊભાં થતાં હતાં, પણ ત્યાં પૂજા-પાઠ, ભજન- સત્સંગ અને આરતી- પ્રસાદથી વિશેષ કશું થતું નહિ. પ્રજાને ઉત્સવોની ઊજવણી કરવામાં મશગુલ રાખવામાં આવતી. માણસમાં માનવીય ગુણો પાંગરે અને વિકસે એ માટેની તમામ બારીઓ બંધ કરી દેવામાં આવી હતી. શિક્ષણ અને કેળવણી રાજ્યાશ્રિત બનતા જ જીવનલક્ષી પાઠો શિખવવાનું બંધ થયું અને રોજગારલક્ષી અભ્યાસક્રમને ઉત્તેજન આપવામાં આવ્યું. સમાજ સમસ્યાગ્રસ્ત બનતો ગયો અને દરેક સમસ્યાનો ઉકેલ બલિરાજા પાસે જ છે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. બલિ જ સૌનો બેલી છે. બલિ જેવો કોઈ રાજા થયો જ નથી અને બલિ જે કરી શકે તે કોઈનાથી ન થઈ શકે એવી ધારણા ઊભી કરવામાં આવી.

દેશના રક્ષણ માટે તત્પર એવા પરાક્રમી વીરજવાનોને વીરતા બતાવવાથી વંચિત રાખ્યા. એમને વૈશ્વિક માનવવાદના પાઠો ભણાવી એમના લોહીને ઠંડુ પાડી દેવામાં આવ્યું. માનવ અધિકારની દુહાઈ આપીને આતતાયીઓ સામે શસ્ત્ર ન ચલાવવાની સૂચના આપીને તેમના શૌર્ય પર લગામ મૂકી દીધી. સશસ્ત્ર આતતાયીઓ જોડે માનવતા દાખવીને તેમના પર શસ્ત્રપ્રહાર કર્યા વિના શહીદ કરવાનો કારસો ઘડાયો. ચાલાકીપૂર્વક ક્ષત્રિયત્વ ખલાસ કીધું. વહીવટી અધિકારીઓને બઢતી આપીને ખુશ રાખ્યા જેથી તેમની પાસેથી ઈચ્છિત ગેરકાનૂની કામ પણ લઈ શકાય. શાસકો પાસેથી કટકી- પ્રસાદ મળતી હોય અને પ્રજાને લૂંટવાની તરકીબ મળતી હોય તો વહીવટીતંત્ર કોઈ દિવસ શાસકો સામે માથું ઉંચકવાની હિંમત ના કરે! બલિ રાજા યાવત્ચન્દ્ર દિવાકરૌ સત્તા સંભાળે એવા આશીર્વાદ એને મળતા જ રહે. બલિ ખરેખર મુત્સદ્દી રાજકારણી હતો. ઉપરથી ભલો, પરોપકારી અને ધાર્મિક રહીને એણે સમાજજીવનના મજબૂત પાયા જ તોડી નાખ્યા. આટલો ક્રૂર તો હિરણ્યકશિપુ પણ નહોતો! એ તો જે કરતો તે ખુલ્લંખુલ્લા કરતો. તે દંભી તો નહોતો જ. બલિની ચાલાકી સામે કેટલાક અધિકારીઓએ માથું ઊંચક્યું તો એમને ‘રાજસત્તાનો લોભ છે‘ એવો આરોપ એમના માથે મૂકીને બદનામ કરવામાં આવ્યા.

બલિના સમયમાં એક આદર્શવાદી અને સાત્વિક પ્રકૃત્તિની સ્ત્રી હતી. તેનું નામ અદિતિ. અદિતિએ ભગવાન પાસે એવો પુત્ર માંગ્યો કે જે વૈદિક સંસ્કૃતિ મુજબ જીવન જીવે અને મરવા પડેલી વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરે. ભગવાન પોતે એમને ત્યાં પુત્ર થઈને જન્મ્યા, તેમનું નામ વામન. વામન બચપણથી જ કલ્પક બુદ્ધિના હતા. તેમણે શાંતપણે લોકો વચ્ચે જઈને લોકોને જગાડવાનું કામ કીધું. બાળવયમાં બાળકોને સાથે લઈને જંગલોમાં, કે નદી કિનારે લઈ જઈને રમતો રમાડતો, તેનામાં વીરતા જગાડતો, જીવનલક્ષી શિક્ષણ આપી તેમને સાચા અર્થમાં સંસ્કારી નાગરિક બનાવતો. દેશાભિમાન જગાડતો, સંસ્કૃતિપ્રેમ જગાડતો અને એ રીતે જાગૃત સમાજ ઊભો કરતો ગયો. બલિના ગુરુ શુક્રાચાર્યે બલિને ચેતવ્યો કે આ છોકરો સાધારણ નથી. એ તારા વિનાશનું કારણ બનશે. પણ બલિ એની ચતુરાઈ પર મુસ્તાક રહ્યો.

અને જેને વામન ધારેલો એ બટુક દિવસે દિવસે વિરાટ બનતો ગયો. જનસમાજમાં એની લોકપ્રિયતા વધતી ગઈ. લોકો ‘વામન! વામન!..‘ ના નારા લગાવવા લાગ્યા. બલિની ચતુરાઈ લોકો સમજી ગયા અને બલિમુક્ત સમાજનિર્માણ માટે સંકલ્પબદ્ધ થતા ગયા. એક દિવસ બલિરાજા યજ્ઞ કરતા હતા અને વામન તેમની સમક્ષ જઈને ઊભા રહ્યા. બલિએ વરદાન માંગવા કહ્યું અને વામને ત્રણ ડગલામાં જે માંગી લીધું તે સાંભળીને બલિના પગ તળેથી ધરતી ખસી ગઈ! હકીકતમાં વામને જ એ ધરતી ખેંચી લીધી હતી. બલિનું પતન થયું અને એ નજરકેદ થયો.

કમનસીબે, સમાજમાં આવા દંભીઓ પાકતા જ રહે છે જેઓ સમાજના બેલી હોવાનો દાવો કરતા જાય અને સમાજને નિર્માલ્ય બનાવતા જાય. તેમની સામે સદા જાગૃત રહેવાનો બોધ આપવા માટે બલિને ચિરંજીવી માનવામાં આવ્યો હશે એમ સમજાય છે.

પ્ર. મિ.

પ્રાત: સ્મરણીય ચરિત્રો

 ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ સવારે જાગીને પથારીમાં બેઠા થતાંની સાથે જ કરદર્શન કરવાનું હોય છે. કરદર્શનના શ્લોકો થકી માણસમાં ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. જમીન પર પગ મૂકતી વેળા ધરતી માતાને નમસ્કાર કરી એની ક્ષમા માંગવાની હોય છે. દાતણ કરતી વખતે વનસ્પતિને નમસ્કાર કરતો શ્લોક તથા સ્નાન કરતી વખતે ભારતની મુખ્ય નદીઓનું આવાહ્ન કરવામાં આવે છે. સાથે સાથે પુશ્યશ્લોક ચરિત્રો, મોક્ષદાયી સાત નગરીઓ, પાંચ સતીઓ તથા સાત ચિરંજીવી ચરિત્રોને યાદ કરવામાં આવે છે. એ શ્લોક આ મુજબ છે;

‘અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન્શ્ચ વિભિષણ; કૃપ: પરશુરામશ્ચ સપ્તૈ: તે ચિરજીવિત:‘

આ સાત ચિરંજીવીઓ હજી જીવે છે એવું કહેવાય છે. ખરેખર તેઓ સદેહે હજી સુધી હયાત હશે કે? શ્રદ્ધાળુઓ તો મક્કમપણે માને જ છે કે આ પાત્રો હજી હયાત છે. અને પ્રસંગોપાત અમુક ખાસ લોકોને દર્શન પણ આપે છે. એમની શ્રદ્ધા અને ભાવનાને નમસ્કાર કરીને આગળ વિચારીએ તો ચિરંજીવી એટલે અમર અથવા લાંબાકાળ સુધી ટકનારા; તેમનો દેહ અમર કે તેમના સદવિચારો અને તેમનું કર્તૃત્વ અમર? ભારતીય સંસ્કૃતિના આ મહાન પાત્રો તેમની વિશેષતાને કારણે જનમાનસમાંથી કદી વિસરાતા જ નથી. શાસ્ત્રકારોએ એમના દેહવિલય વિષે કંઈ લખ્યું નથી એટલે લોકો માને છે કે તેઓ હયાત હોવા જોઈએ, પણ આવું કદી હોઈ શકે નહિ. મહાભારતના મુખ્ય પાત્ર અને અવતારી પુરુષ એવા શ્રી કૃષ્ણને અને ઈચ્છિત મૃત્યુનું વરદાન પ્રાપ્ત ભીષ્મ પિતામહને મૃત્યુ આવે અને વ્યાસજીને મૃત્યુ ન આવે એવું બની શકે ખરું? અશ્વત્થામા અને કૃપાચાર્યના એવા તે કયા અવતારી કાર્યો બાકી રહી ગયા કે તેઓ હજી મૃત્યુને રોકીને જીવી રહ્યા હશે? રામાયણના રામ અને લક્ષ્મણ ચાલ્યા ગયા અને હનુમાનજીને ચારેય યુગમાં જીવતા રહેવાના આશીર્વાદ આપ્યા એટલે તેઓ હજી હાજરાહજુર છે એમ મનાય છે. હનુમાનજીનું સમગ્ર જીવન જ પ્રેરણાદાયી રહ્યું છે, વ્યાસ ભગવાનના વિચારો પણ માનવજીવનને નિત્ય માર્ગદર્શન આપતા રહેલા છે. તેઓ અમર રહે તે તો ઉત્તમ વાત છે જ, પણ ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સદેહે હયાત હોત તો અતિ ઉત્તમ ગણાત. તેઓ પ્રકૃત્તિના નિયમોને વશ થઈ કાળધર્મ પામ્યા તો આ સાત પાત્રોને કેમ અહીં મૂકી ગયા, એવો સવાલ મનમાં જાગવો સ્વાભાવિક છે.

કથાકારો કહેતા આવ્યા છે કે રામાયણની મંથરા હજી જીવે છે. બીજાનું સુખ જોઈને દ્વેષાગ્નિથી બળતા કે અદેખાઈ કરનારા લોકોને કથાકારો મંથરાનું રૂપ ગણે છે. કથાકારોને મંથરાના મૃત્યુનો ક્યાંય ઉલ્લેખ મળતો ન હોવાથી આવા ચિબાવલા વાક્યો ગોઠવી કાઢીને ભાવિકોના મગજમાં ફિટ બેસાડી દે છે. જાણે નવું સંશોધન થયું હોય તેમ આ બાબતને ભાવપૂર્વક વર્ણવવામાં આવે છે. એકે કહ્યું એટલે બીજાને પણ એમ કહેવાની ચળ ઉપડે છે અને મંથરાને ચિરંજીવી બનાવવાની ચાનક આગળ વધતી જ જાય છે. તો પછી સાત ચિરંજીવીઓમાં મંથરાનું નામ કેમ નથી લેવાતું? એવાં તો કેટલાયે પાત્રો છે કે જેમના મૃત્યુ વિશે કોઈ વિગતો ક્યાંય મળતી નથી એટલે તેઓ હજી મર્યા જ નથી એમ માનવામાં કોઈ ન્યાય નથી. આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ અને મા ભારતીના લાડકા સંતાન એવા સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું હોવાના પુરાવા ન મળવાના કારણે તથા તેમના અપ્રતીમ પરાક્રમ અને બુદ્ધિમતા પર ગજબનો વિશ્વાસ હોવાથી લોકો માનતા જ નહોતા કે તેમનું મૃત્યુ થયું છે. તેમના જીવિત હોવા વિષે અનેક દંતકથાઓ વરસો સુધી ચાલતી રહી, પણ સજીવોને જેમ જન્મ છે તેમ મૃત્યુ પણ છે જ, ‘નામ તેનો નાશ‘ એ અવશ્યંભાવિ ઘટના છે. એને ટાળી ન શકાય; ભાવનાથી માનવું તે અલગ વાત છે.

સાત ચિરંજીવીઓ પૈકી અશ્વત્થથામાને પ્રથમ ક્રમાંક અપાયો છે તે આશ્ચર્યજનક બાબત છે. અશ્વત્થામાએ એવું તે શું કર્યું કે એને યુગો સુધી માનવસમાજે જીવતો માનવો પડે? અશ્વત્થામા કોણ હતો? દ્રોણ ગુરુનો એ પુત્ર હતો અને જીવથીયે વહાલો હતો. ‘અશ્વત્થામા મરાયો છે એવા સમાચાર જ્યારે દ્રોણને મળશે ત્યારે દ્રોણ હથિયાર હેઠે મૂકી દેશે અને દ્રોણ હણાશે‘ એવો એને શ્રાપ કે વરદાન હતું. સામાન્ય રીતે દીકરા કરતા બાપ જ વહેલો મૃત્યુ પામતો હોય છે, પણ બાપની હયાતિમાં દીકરો મૃત્યુ પામે તો તે અમંગળ ઘટના વખતે પિતાના પ્રાણ પણ લગભગ ચાલ્યા જ ગયા હોય એવી કરુણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. પિતા નિરૂત્સાહી થઈ જાય છે અને જીવવાની ઈચ્છા ગુમાવી બેસે છે. મહાભારતના યુદ્ધમાં એવી તે કેવી સ્થિતિ ઊભી થઈ કે કૃષ્ણ જેવા અવતારી પુરુષે સત્યપ્રિય યુધિષ્ઠિરને સત્યભાષણ કરવાની પ્રતિજ્ઞા તોડીને અસત્ય વચન બોલવાનું સમજાવવાનો વખત આવ્યો?

દ્રોણગુરુ તે દિવસે રણાંગણમાં સાક્ષાત કાળ બનીને કાળો કેર વર્તાવી રહ્યા હતા. એવું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું કે પૃથ્વીનો પ્રલય થવાની જાણે કે ઘડીઓ ગણાઈ રહી હતી. એક બ્રાહ્મણ આટલો બધો ક્રુર અને નિષ્ઠુર બની શકે? દ્રોણની લોહીપિપાસાએ એને બ્રહ્મરાક્ષસ બનાવી દીધો હતો. એને અટકાવવો જરૂરી હતો. લાખો સ્ત્રીઓ વિધવા અને લાખો બાળકો અનાથ થવા જઈ રહ્યા હતા. આખરે કયા વેરને કારણે દ્રોણગુરુ આટલા બેફામ બન્યા હતા? નિર્ધનતાને કારણે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો અને હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્રવિદ્યા સ્વીકારવાનું સ્વીકાર્યું એ માટે એમની પાસે વાજબી કારણો હતા, પણ રાજકુમારોનું શિક્ષણ પૂરું થયા પછી હસ્તિનાપુરમાં પડી રહેવા પાછળ કઈ મજબૂરી હતી? કયો લોભ હતો? જે કારણથી એકલવ્યને એમણે બાણવિદ્યા શીખવવાની ના પાડી તે કારણ પોતાના દીકરા અશ્વત્થામાને કેમ લાગુ પાડ્યું નહિ? ક્ષત્રિય રાજકુમાર અર્જુનને તેની યોગ્યતા જાણીને બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું, પણ અશ્વત્થામાને કઈ યોગ્યતા જાણીને  બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા આપી? અને તે યે પાછી અધૂરી? બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું તે અશ્વત્થામા જાણતો નહોતો. (ગુરુ દ્રોણે એક કુપ્રથા શરૂ કરી તે હજી આજે યે ચાલુ છે. દ્રોણના પહેલાં, રાજકુમારો પણ ઋષિના તપોવનમાં ભણવા જતા અને અન્ય સામાન્ય બાળકોની સાથે આચારસંહિતા મુજબ રહીને અભ્યાસ કરતા હતા. સત્તાધીશો કે શ્રીમંતોના ઘરે જઈ, તેમના બાળકોને પ્રાયવેટ ટ્યૂશન આપવા જવાની ગૌરવહીન પ્રથા ગુરુ દ્રોણે ચાલુ કરી.)

ભારદ્વાજ ઋષિના વંશજો આટલા નપાવટ પાકશે એવું કોઈએ ધાર્યું નહિ હોય. દ્રોણ ગુરુની વિનાશલીલાને અટકાવવા યુધિષ્ઠિરનો પ્રતિજ્ઞાભંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. એ જમાનો પ્રાણને ભોગે પણ પ્રતિજ્ઞાધર્મને બચાવવાનો હતો, પછી ભલે જગતનું અકલ્યાણ થાય! દેવવ્રત ભીષ્મ પિતામહે હસ્તિનાપુરની ગાદી પર ન બેસવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા ન પાળી હોત તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. જગતના કલ્યાણ આડે પ્રતિજ્ઞા નડતી હોય તો એવી પ્રતિજ્ઞા તોડવી એ જ પરમ ધર્મ બની રહે છે. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ બોલવાની ફરજ પાડી કે અશ્વત્થામા હણાયો છે. અશ્વત્થામાના મરવાના સમાચાર સાંભળીને દ્રોણ જરા ઢીલા પડ્યા. સમાચારની ખાતરી કરવા યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને એમણે વાતની પૂર્તિ કરતાં જણાવ્યું કે ‘હા, અશ્વત્થામા હણાયો છે.‘ (નર: વા કુંજર: વા- એ શબ્દો યુધિષ્ટિર બોલ્યા જ નથી છતાં, એ તૂત ચાલુ જ છે!) પ્રતિજ્ઞા મુજબ દ્રોણે હથિયાર હેઠાં મૂકી દીધાં અને ધ્યાનાવસ્થામાં બેઠા. તે સમયે ધૃષ્ટદ્યુમ્ને એમનું માથું વાઢી લઈને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.

પિતાના મોતનો બદલો લેવા કે પછી દુષ્ટ દૂર્યોધનના વહાલા થવા માટે અશ્વત્થામાએ રાત્રિના ઘોર અંધારામાં, યુદ્ધ છાવણીમાં ભરનિદ્રામાં સૂતેલા દ્રૌપદીપુત્રોને પાંચ પાંડવો સમજીને જીવતા સળગાવી મૂક્યા એ કાયરતાપૂર્ણ દુષ્કૃત્ય કોઈ નરપિશાચ જ કરી શકે. ઉરીમાં શું બન્યું હતુ? અશ્વત્થામા આવ્યો હતો કે? એ જમાનામાં, દુશ્મનને સાવધ કરીને, તેના હાથમાં મનગમતું હથિયાર આપીને તેને યુદ્ધમાં લલકારવામાં આવતો. રાત્રે અસાવધ સ્થિતિનમાં નિંદર માણતા મહારથીઓને ચૂપકીદીથી ચોર પહલે આવીને સળગાવી મૂકવા જેટલી કુટિલતા એક બ્રાહ્મણ ક્યાંથી લાવ્યો હશે? સૂતેલા દ્રૌપદી પુત્રોની નિર્ઘૃણ હત્યા કર્યા પછી એણે જરીકે અપરાધભાવ ન અનુભવ્યો. એ જ્યારે પકડાયો ત્યારે એના હાથમાં બ્રહ્માસ્ત્ર હતું.

ગુરુપુત્ર અને બ્રાહ્મણપુત્ર સમજીને જેની હરકતોને માફ કરતા આવેલા એ નરાધમે બ્રહ્માસ્ત્ર ઉગામ્યું. પુત્રોની હત્યાથી કોપાયમાન અર્જુને પણ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. પૃથ્વીનો પ્રલય થશે એવી દહેશતથી વ્યાસજીએ તેમને બ્રહ્માસ્ત્ર વાળવાની અપીલ કરી. અર્જુને તો બ્રહ્માસ્ત્ર વાળી લીધું. પણ અશ્વત્થામા વાળી ન શક્યો. આકાશ કે પાતાળ જેવી કોઈ દિશામાં ફેંકવું અનિવાર્ય હતું. પાંડવોના વંશનું નિકંદન કાઢવાને સંકલ્પબદ્ધ એવા આ બ્રહ્મરાક્ષસે કુટિલતાથી અટ્ટહાસ્ય કરીને શહીદ નવયુવાન અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર નિશાન તાક્યું! માનવતા શરમાઈ નહિ, પણ ખરેખર ધ્રુજી ઊઠી. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પણ સ્તબ્ધ થઈ ગયા!

જગતમાં આવા લોકોની પણ કમી નથી, જેમને કોઈ કરતાં કોઈની શરમ નથી. તેઓ ગમે તે હદે જઈ શકે છે. વિદ્વાન બ્રાહ્મણો સુદ્ધાં બ્રહ્મરાક્ષસ બની શકે છે. સાક્ષરા: વિપરિતાનિ રાક્ષસા: ભવન્તિ. પોતાની જાત સિવાય કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. પળેપળ સાવધતા રાખવી જરૂરી છે. કોઈપણ મનુષ્યના દિમાગમાં પ્રવેશ કરીને શયતાન ગમે ત્યારે આપણા પર ત્રાટકી શકે છે. બનેલો માળો પીંખી શકે છે! એનું સતત સ્મરણ રહે તે માટે એને ચિરંજીવી રાખ્યો હશે?

પ્ર. મિ.

દેવોનું વતન- દેવભૂમિ વિશે કિંચિત્

દેવો કાલ્પનિક છે. મનુષ્યમાં જુદા જુદા સદગુણો વિકસાવવા માટે દેવોને પ્રતીક બનાવીને તેમનું ધ્યાન. જાપ અને તે ગુણ વિકસાવવાનો સભાન પ્રયાસ કરીને દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એનું નામ જ ભક્તિ એમ આપણે જોયું, પણ આ તો એક જુદો મુદ્દો થયો. સમાજમાં તો એવી જ માન્યતા પ્રવર્તતી આવી છે કે દેવો અંતરિક્ષમાં વસે છે. વાયુ સ્વરૂપે કે પછી અદૃશ્ય રીતે રહે છે અને સાધકની સાધનાથી પ્રસન્ન થઈને તેની સમક્ષ હાજરાહજુર પ્રગટ થાય છે.સાધકને ઈચ્છિત વરદાન માંગવાનું કહે છે અને માંગણી રજુ થાય કે તરત જ ‘તથાસ્તુ‘ કહીને અલોપ થઈ જાય છે. કેટલાક લોકોને દુન્યવી પદાર્થોની જરૂર હોય છે તેઓ સાંસારિક માંગણીઓ રજુ કરે અને કેટલાક સાધકો લખ ચોરાસીની આવન જાવનના ત્રાસથી મુક્ત થવા મોક્ષધામ, અક્ષરધામની ઈચ્છા રાખે છે. સ્વજનોના અવસાનના સમાચાર લખતી વખતે તેઓ દેવલોક પામ્યા, વૈકુંઠવાસી કે કૈલાસવાસી થયા, કાળધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા એવું લખવાનો રિવાજ આપણે ત્યાં છે. આપણી શ્રદ્ધાને અનુરૂપ જીવાત્મા જે તે દેવની સમીપ પહોંચ્યો એમ આપણે માનીએ છીએ. એ માન્યતાને ચકાસવાની કોઈ જરૂર આપણને લાગતી નથી. માનવું હોય તે માને અને ન માનતું હોય તે નમ્રતાથી બે હાથ જોડીને શ્રદ્ધાળુની શ્રદ્ધાને વંદન કરે. નાહકનું ચોળીને ચીકણું કરનાર કે વિવાદ ઊભો કરનારનું માન રહેતું નથી. છતાં જિજ્ઞાસુઓનું મન ઠરીને બેસતું નથી. તેમની શોધ ચાલુ જ રહે છે.

સ્વર્ગ નામનો કોઈ પ્રદેશ હોય અને ત્યાં અનેક દેવોના નિવાસ સ્થાન કે નગરો હોય અને મૃત્યુ પછી આત્મા ત્યાં જતો હોય એવી કલ્પના લોકો કરતા આવ્યા છે. ‘આપ મૂઆ વિણ કોઈથી સ્વર્ગે નહિ જવાય‘ એવી કહેવત પણ ખૂબ પ્રચલિત છે. સ્વર્ગમાં જવું હોય તો આ દેહ છોડીને જવું પડે, જીવતે જીવત સ્વર્ગમાં જઈ શકાતું નથી. સ્વર્ગ એટલે સુખની પરાકાષ્ઠા! દુ:ખનું નામોનિશાન નહિ! આપણે માનતા આવ્યા છીએ કે જનેતાના ચરણોમાં સ્વર્ગ છે. જે સ્થાન પર માણસ સર્વ ચિંતાથી મુક્ત હોય અને પોતે જાણે આનંદના ઉદધિમાં પરમ તૃપ્તિ અનુભવતો હોય એવી સ્થિતિને સ્વર્ગીય સુખની ઉપમા આપવામાં આવી છે. એટલે કે સ્વર્ગનું સ્થાન આપણા ભાવજગતમાં છે. આપણે ઇતિહાસમાં શીખ્યા છીએ કે મોગલ બાદશાહ જહાંગીરે પહેલીવાર સૌંદર્યધામ કાશ્મીર જોયું ત્યારે એના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, ‘પૃથ્વી પર ખરેખર સ્વર્ગ ક્યાંયે હોય તો તે અહીં છે, અહીં છે, અહીં જ છે!‘ કોઈને સ્વિત્ઝરલેન્ડમાં સ્વર્ગ લાગે તો કોઈને કેરળના પ્રાકૃત્તિક સૌંદર્યમાં સ્વર્ગની ઝાંખી થાય. સૌંદર્ય માણસના મનની આંખોમાં છે એટલે કચ્છના રણમાં પણ માણસ સ્વર્ગની અનુભૂતિ કરે એ શક્ય છે! જ્યાંથી નજર હઠવાનું નામ નહિ લે, પગ ચોંટડૂક થઈ પડે, જ્યાંથી પાછા આવવાનું મન જ નહિ થાય એવી જગ્યા એટલે સ્વર્ગ, એવી વ્યાખ્યા કરીને આપણે મન મનાવી લીધું છે.

આપણે ઉત્તરાખંડના ચારધામની યાત્રા કરવા જઈએ ત્યારે હરદ્વાર સ્ટેશને ઉતર્યા પછી ઋષિકેશ થઈને જમનોત્રી, ગંગોત્રી બદરિનાથ અને કેદારનાથ જઈએ છીએ. હરદ્વાર માટે બે જુદા જુદા શબ્દો વપરાતા આવ્યા છે. ‘હરદ્વાર‘ અને ‘હરિદ્વાર‘ હર એટલે મહાદેવ અને હરિ એટલે વિષ્ણુ. જેને શિવલોકમાં જવું હોય તે હરદ્વારથી જાય અને વિષ્ણુલોકમાં જવું હોય તે હરિદ્વારેથી જાય; સ્થળ તો તેનું તે જ!  જે હોય તે દરેકની શ્રદ્ધાનો સવાલ છે, પણ અહીંથી ઉપર ચઢતા જઈએ એટલે દેવભૂમિ તરફ આપણું પ્રયાણ થઈ રહેલું છે એમ સમજાય. યમુના એટલે યમની બહેન. સાક્ષાત મૃત્યુના દેવની એ બહેન. યમુના એ તાપીની જેમ સૂર્યપુત્રી છે. શું ઉત્તરાખંડ એ દેવોનો પ્રદેશ હશે? ગંગા નદીને સુરસરિ કહેવામાં આવી છે. ગોમુખથી ગંગા નીકળે છે અને ગંગોત્રીથી તે અઢાર કિલોમીટર દૂર છે. ગ્લેસિયરમાંથી ગંગા પ્રગટ થાય છે. શિવજીએ સ્વર્ગની નદી ગંગાને જટામાં ઝીલીને હળવેકથી પૃથ્વી પર ઊતારી તે સ્થળ ગંગોત્રી, એવું વર્ણન પુરાણોમાં આવે છે. અહીં ગૌરી કુંડ આવેલો છે. પહાડોને ચીરતો જલપ્રવાહ આગળ ભાગે છે તેને ભાગીરથી કહેવામાં આવે છે, દેવપ્રયાગ જતાં સાત નદીઓનો પ્રવાહ ભેગો થઈને ગંગા નામ ધારણ કરે છે.

કેદારનાથ પહોંચીએ, જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને ત્યાં રાત્રિવાસ કરીએ તો એવી અનુભૂતિ થાય છે કે જાણે આપણે સ્વર્ગમાં જ છીએ. આ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે તે નામ સાર્થક જ છે. બદરિનાથથી ત્રણ માઈલ દૂર આવેલા માના ગામમાં મહર્ષિ વેદવ્યાસજીની અને ગણેશજીની ગુફાઓ છે. વ્યાસગુફામાંથી વેદવ્યાસજી મહાભારતના શ્લોકો બોલે અને ગણેશગુફામાં બીરાજમાન ગણેશજી તે લખે એવી કથા છે. અહીં સરસ્વતી નદી છે. પાંડવો હિમાડો ગાળીને સદેહે સ્વર્ગે જવા પ્રયાણ કર્યું ત્યારે આ નદીને ઓળંગવાની હતી. ભીમસેને એક વિશાળ પથ્થર મૂકીને પુલ બનાવી દીધો અને તેના પર થઈને તેમણે સ્વર્ગારોહણ કીધું એવી દંતકથા છે અને એ વિગત દર્શાવતું પાટિયું પણ ત્યાં મૂકેલું છે. અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ રચાય છે. સરસ્વતી લુપ્ત થાય છે. તો શું મહાભારતમાં વર્ણવેલા સ્વર્ગના દ્વાર અહીં જ છે?

મહાભારતમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધ પહેલાં શિવજી પાસે પાશુપત્યાસ્ત્ર લેવા ગયેલા અર્જુનનું શિવજી સાથે યુદ્ધ થયું હતું. અર્જુન ઈન્દ્રનો પુત્ર હોવાથી તેની સહાય લેવા માટે તે સદેહે ઈન્દ્રપુરી ગયો હતો. પિતા ઈન્દ્ર પુત્ર અર્જુનના મનોરંજન માટે સ્વર્ગની અપ્સરા ઉર્વશીને તેની પાસે મોકલે છે. ધ્યેયનિષ્ઠ અર્જુનને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા સિવાય બીજા કશામાં રસ ન હોવાથી ઉર્વશીની પ્રણયચેષ્ટાનો કોઈ પ્રતિસાદ આપતો નથી પરિણામે અપમાનિત થયેલી ઉર્વશી અર્જુનને નપુંસકતાનો શાપ આપે છે. આ બધી કથા દ્વારા તો એવું ફલિત થાય છે કે માણસ સદેહે પણ સ્વર્ગે જઈ શકતો હશે.

વેદમૂર્તિ પદ્મભૂષણ પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજી દ્વારા સ્થાપિત ‘સ્વાધ્યાય મંડળ‘ કિલ્લા પારડીના મુખપત્ર ‘વેદસંદેશ‘ ના જુન ૨૦૧૮ના અંકમાં એક રસપ્રદ માહિતી સાંપડે છે. મહાભારત અને પુરાણકાળની ભૂગોળ સમજાવતાં સાતવળેકરજી લખે છે-

‘સ્વર્ગલોક- ત્રિવિષ્ટપતે આજનું તિબેટ. ત્રિવિષ્ટપ શબ્દનો અપભ્રંશ તિબેટ થયો છે. એ સ્વર્ગમાં મર્યા પછી જ જવાય એમ માનવાનું નથી. અર્જુન સદેહે સ્વર્ગના રાજા ઈન્દ્ર અને શંકર પાસે શસ્ત્રો લેવા સ્વર્ગમાં ગયો હતો. પાંડવો પણ સદેહે ગયા હતા. મહાભારતના સ્વર્ગારોહણ પર્વમાં તિબેટ જવાનો રસ્તો પણ બતાવેલો છે. એ પર્વ વાંચવાથી અને એ માર્ગનો નકશો જોવાથી સ્વર્ગને લગતો બધો સંદેહ દૂર થઈ જશે. ટૂંકમાં આજનું તિબેટ તે જ ત્યારનું ત્રિવિષ્ટપ સ્વર્ગ હતું. ત્યાં દેવોના રાજા ઈન્દ્ર રહેતા હતા. એનો અધિકાર સ્વર્ગ (તિબેટ), માનવલોક (આર્યાવર્ત) અને પાતાળ (કોંકણ) એ ત્રણે પર હતો. એને જ ત્રિલોક તરીકે ઓળખવામાં આવતું.

આ સ્વર્ગમાં દેવ જાતિનું રાજ્ય હતું. ત્યારના ભારતવાસીઓનું નામ આર્ય અને પાતાળ લોકનું નામ ‘સર્પલોક‘ હતું.ત્યાં સર્પજાતિના લોકો રહેતા હતા. સમુદ્ર તટનો દક્ષિણ તરફનો પ્રદેશ  ‘પાતાળ‘ ને નામે ઓળખાતો હતો. એ પાતાળ દેશની કન્યાઓ સ્વરૂપવાન હતી. આર્યો તેની સાથે લગ્ન પણ કરતા. કોકણદેશ એટલે મુંબઈથી કારવાડ સુધીનો પ્રદેશ, આમ સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાળ ઉપર જણાવ્યા મુજબ હતા અને તે પ્રદેશોમાં લોકો છૂટથી આવજા પણ કરતા. માનવલોકમાંથી ઘણાં વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવા એ જ સ્વર્ગમાં તિબેટ જતા અને ત્યાં દેહમુક્ત થતાં. એટલે જ સ્વર્ગવાસ, કૈલાસવાસ, વૈકુંઠવાસ એ શબ્દો મૃત્યુવાચક  હતા અને આજે પણ મનાય છે. જીવનને અંતે ત્યાં જઈને દેહત્યાગ કરવો એ શ્રેષ્ઠ પુરુષો માટે ઉત્તમ માનવામાં આવતું હતું.

ભૂતલોક એટલે આજનું ભૂતાન. મરણ પછી ભૂત થનારાઓનું ભૂતલોક એ માન્યતા બરાબર નથી. ભૂતલોક નામની માનવજાતિ હતી. અને એમનો રાજા કૈલાસમાં રહેતો હતો. એ લોકો પણ ભારતમાં આવતા અને ભારતના લોકો કૈલાસમાં જઈને રહેતા. વૈકુંઠ એ ઉપેન્દ્રનું સ્થાન હતું. આજે પણ ત્યાં વિષ્ણુપદ મોજૂદ છે. સ્વર્ગદ્વાર, સ્વર્ગકપાટ, વિષ્ણુપદ આજે પણ મોજૂદ છે. ઈન્દ્ર- ઉપેન્દ્ર એ પ્રમુખ- ઉપપ્રમુખની માફક માનવાના છે. ઉપેન્દ્ર ભારતના રાજ્યવ્યવહારની સંભાળ રાખતા એટલે એમને નારાયણને નામે ઓળખવામાં આવતા. નારાયણનો અર્થ થાય નરેષુ અયનમ યસ્યા- માનવલોકમાં જે આવજા કરે તે. ગંગા નદીને ત્રિપથગા (ત્રણે લોકમાં વહેતી નદી) કહેવામાં આવી છે કેમ કે તિબેટ, આર્યાવર્ત અને સમુદ્રતલ પ્રદેશમાં વહે છે.

ગંધર્વલોક- અપ્સરાઓનો દેશ મધ્ય હિમાલયમાં છે. અહિગણ દેશ અફઘાનિસ્તાન- અફઘાન છે. એ પિશાચ દેશ હતો. પિશાચનો અર્થ ‘પિશિતાસ‘ છે એટલે લોહી પીનારા માંસભક્ષી. એને મરણ પછીની પિશાચયોનિ ગણવાની નથી.

અસીરિયા એટલે અસુર દેશ. ત્યાંના લોકો અસુર લોક તરીકે ઓળખાતા. દાન્યુબ નદીની પાસેનો પ્રદેશ ‘દાનવ‘ ને નામે ઓળખાતો. અસુર અને દાનવ એ બે જુદા હતા. બાક્ટ્રિઆ દેશમાંથી બક લોકો ભારતમાં આવ્યા હતા. એ બક લોકોને ભીમસેને માર્યા હતા. વૃત્ર દેશ દક્ષિણ રશિયામાં હતો. અને ‘રાક્ષસ‘ રશિયાના રહેવાસી હતા. આ લોકો આર્યને સતાવતા. તેમને હઠાવવા માટે ઉપેન્દ્રે- વિષ્ણુએ પ્રયત્ન કરવો પડતો.

સાતવળેકરજીના મત મુજબ તો તિબેટનો પ્રદેશ એ સ્વર્ગ હોવો જોઈએ. જો આ વાત સત્ય હોય તોયે એક સવાલ તો મનમાં ઊભો જ રહે છે કે એક વેળાના સમૃદ્ધ સ્વર્ગનું પતન ક્યારે થયું, કેવી રીતે થયું, દેવતાઓ બધા ક્યાં ગયા સ્વર્ગની જાહોજલાલી ક્યાં અદૃશ્ય થઈ ગઈ. શું આખી દેવસૃષ્ટિ અંતરિક્ષમાં ચાલી ગઈ હશે? વિજ્ઞાનીઓએ મોકલેલા અવકાશયાનોના કેમેરા પણ એ દેવસૃષ્ટિની તસવીરો લઈ શક્યા નથી. તો શું સ્વર્ગ  કપોળપલ્પિત સ્થાનનું નામ છે? એમ લાગે છે કે ફિલોસોફી, વિજ્ઞાન અને સાહિત્યિક વાર્તાઓનું કચુંબર થઈ ગયું છે!

પ્ર. મિ.

હોલી આયી હૈ

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત કે જાન્યુઆરી મહિનાના અંતમાં વસંત ઋતુ આવે અને વસંતપંચમીના તહેવારથી વસંત ઋતુની શરૂઆત થાય છે .

વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી  ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.

વસંત એટલે એક રીતે કહીએ તો શૃંગારની ઋતુ, ઉન્માદની ઋતુ, ગાંડપણની ઋતુ. અવિવેક કરવાની ઋતુ. એના પર સંયમ ન રાખવામાં આવે તો માણસનો ઉન્માદ ફાટીને આસમાને પહોંચે. ઉન્દથી માણસ બહેકી જાય. આ ઋતુમાં આવતો હોળી-ધૂળેટીનો તહેવાર એટલે ગાંડપણનો મહોત્સવ. વરસના બારે મહિના સંયમ અને આમન્યાનો મને ક-મને ભાર વેંઢારનારો માણસ આ તહેવારમાં થોડોક વખત ખુલ્લાપણાનો અનુભવ કરવા લલચાય છે. પ્રકૃતિ એમાં મદદરૂપ થાય છે. માણસને થાય છે કે નથી જોઈતું આ સભ્યતાનું બંધન! ક્યારેક તો શરમ છોડીને વર્તવાની જીવનમાં છૂટ હોવી જોઈએ. એમ ન થાય તો જીવ ગુંગળાય. સતત ગુંગાળાયા કરવા કરતાં બે દિવસ મુક્તિની હવા માણી લેવી સારી. જેને જે કહેવું હોય તે છો કહેતા. ખૂદ પ્રકૃતિ જ માણસને પ્રાકૃત થવાનું આમંત્રણ પાઠવતી હોય ત્યારે સભ્યતા જાય તેલ લેવા! મન ગીત ગાવા લાગે છે, ‘તું રંગાઈ જા ને રંગમાં!…‘

હોળી કંઈ હિંદુઓનો જ તહેવાર નથી. મનુષ્યમાત્રનો તહેવાર છે. સૃષ્ટિ પોતે જ જ્યારે શૃંગારરસનું મૂર્તિમંત રૂપ ધારણ કરતી હોય ત્યારે સૃષ્ટિનું અભિન્ન અંગ એવો કોઈપણ સજીવ શૃંગારથી અલિપ્ત કેવી રીતે રહી શકે? ખેતી પ્રધાન દેશમાં નવો પાક લણાઈને ખેતરમાંથી ખળાંમાં આવી ગયો હોય અને ત્યાંથી બજારમાં પણ પહોંચી ગયો હોય ત્યારે વિશ્રાંતિ પામેલો માણસ ગમ્મત મસ્તીએ ચડીને થાક ઉતારે અને જિંદગીના રસને માણે એ સ્વાભાવિક છે.

હોળી વિષે પ્રચલિત પૌરાણિક કથા અનુસાર અસુર રાજા હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ રાજાજ્ઞા અને પિતૃ આજ્ઞા અવગણીને ભગવાનનું નામ લેતો હતો તેને મારી નાખવાના અનેક કારસ્તાનો પૈકીનું એક કારસ્તાન તે એને જીવતો બાળી મૂકવાનું કૃત્ય હતું.. કોઈ બાપ આટલો બધો નિષ્ઠુર કેવી રીતે થઈ શકતો હશે? સગા દીકરાને જીવતો સળગાવતાં જીવ કેમ ચાલતો હશે? વૈરાગ્નિમાં સળગતો માણસ નિર્દયતાની આટલી બધી નીચ હરકત કેવી રીતે કરી શકે? તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા એટલે રાજાએ પોતાની બહેન હોલિકાની મદદ લેવાનું વિચાર્યું. અદભુત વાત એ હતી કે હોલિકા પાસે ફાયરપ્રૂફ સાડી હતી. એ સાડીને અગ્નિ સ્પર્શી શકતો નહોતો. જો હોલિકા પ્રહલાદને ખોળામાં બેસીને ચિતા પર બેસે અને સળગાવવામાં આવે તો હોલિકા તો નહિ સળગે, પણ પ્રહલાદનો દેહ તો બળીને ભડથું થઈ જાય એ વાત નિશ્ચિત હતી. આસુરી તત્વોએ મહાગઠબંધન રચ્યું અને પ્રહલાદને જીવતો સળગાવવા કટિબદ્ધ થયા. આનંદની ચિચિયારીઓ વચ્ચે એમણે હોળી સળગાવીને તહેવાર ઉજવ્યો. પછી સૌ સૌના ઘરે ગયા. બીજે દિવસે ઊઠીને જોવા ગયાં તો જોઈને સ્તબ્ધ રહી ગયા. પ્રહલાદ તો જીવતો રમતો હતો અને અને હોળિકાનું દહન થઈ ચૂક્યું હતું. આમ કેમ થયું તે કોઈને સમજાયું નહિ! ફાયરપ્રૂફ સાડીની એક્ષ્પાયરી ડેટ વીતી ગઈ હશે કે પછી હોળીની જ્વાળાથી સાડી ઊલટી ફરી ગઈ હશે? શું થયું તે કોઈ સમજી ન શક્યું.

પ્રહલાદ જીવતો બચ્યો એટલે સાત્વિક પ્રકૃતિના લોકોના જીવમાં જીવ આવ્યો. તેમણે પરસ્પર ગુલાલ અને કેસુડાનો રંગ છાંટીને તેમનો આનંદ વ્યક્ત કર્યો, પણ આસુરી તત્વો રોષે ભરાયા તેમણે ભાંગ અને દારૂમાં છાકટા બનીને છાણ, પાણી, કાદવ- કિચ્ચડ, ઉછાળીને હોળી ઊજવી. મેંશથી એકમેકના મોંઢા રંગ્યા! ઉન્માદ તો બંને પક્ષે હતો પણ દરેકે તેમની સભ્યતા અને સંસ્કાર મુજબ વર્તન કર્યું. કમનસીબે, આસુરી લોકોની આ પ્રથા હજી પણ ચાલુ જ છે.

હોળી અને ધૂળેટી તો હમણાં જ ગઈ, પણ ચૂંટણીની ધૂળેટી ઊજવવાની હજી ચાલુ જ છે. લોકશાહીમાં થતી ચૂંટણીનું પર્વ પણ હોળી ધૂળેટીના જેવો ઉન્માદ જગાવનારું છે. એક લોકોક્તિ છે કે ‘નાગા સાથે હોળી ન રમાય!‘ સજ્જનો લાખ કોશિષ કરે તોયે બદમાશો જેટલા હલકટ નથી થઈ શકતા. સજ્જનોને સભ્યતા અને સંસ્કાર નડે છે. ચૂંટણીવેળા રાજકીય પક્ષોના નેતાઓ પરસ્પર જે બેફામ વાણી વિલાસ કરે છે, ગાળ ગલોચ કરે છે, ઉપજાવી કાઢેલા આક્ષેપોની ઝડી વરસાવે છે તે જોતાં ક્યારેક એવું લાગે છે કે નાગા જોડે સજ્જનો ભલે હોળી ન રમી શકે પણ નાગાઓ તો પરસ્પર હોળી રમી જ શકે ને! જે ચારિત્ર્યહનન અને વસ્ત્રહરણ થાય છે તે જોઈને એમ લાગે છે કે આમના જેવા બેશરમ બીજા કોઈ નથી.

ધરાઈ ધરાઈને વાગ્વિલાસ કરતા અને પ્રતિસ્પર્ધી અકળાઈ જાય ત્યાં સુધી એમને હોળી રમતા જોયા પછી એમ લાગે કે આ લોકો બીજીવાર  એકમેકનું મોઢું જોવાનુંયે પસંદ ન કરે, પણ સાવ એવું નથી. જાહેરમાં બોલાય છે તે જુદું અને વાસ્તવિક વહેવાર જુદો! તેઓ ખરેખર ઉદાર છે કે પછી નફ્ફટ છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય એ હદે તેઓ હરખભેર એકમેકને અપનાવી લે છે. તેમના સંતાનોને પરણાવીને સ્નેહસંબંધથી જોડાવામા પણ તેમને કોઈ શરમ નથી નડતી. એકમેકના પક્ષમાં સરળતાથી તેમની આવનજાવન થતી હોય છે. તેમની ખેલદીલીને કોઈ ગોલાલડાઈ પણ કહી શકે. અલબત્ત, એવી ખેલદિલી હોવી એ સારી બાબત છે. એકમેકને જાહેરમાં અપમાનિત કરવાની એકેય તક ન ચૂકનાર રાજકારણીઓ અંગત સંબંધો ક્યારેય બગાડતા નથી એ તેમનો સૌથી મોટો સદગુણ છે. નેતાઓ પાસેથી પ્રજાએ શીખવા જેવો આ મહાન સદગુણ છે તે વાત ભૂલવા જેવી નથી. પરસ્પર વિષવમન કર્યા પછીયે અંતરના ઉમળકાથી ગળે લગાડી, ગઈ ગુજરી ભૂલી જનાર નેતાઓ આજનું સૌથી મોટું આશ્ચર્ય છે.

પ્ર. મિ.

દેવો કોણ? દેવની ભક્તિ કરવી એટલે શું?

સૃષ્ટિનું સર્જન કરનારી શક્તિ એક જ છે. જેને આપણે ઈશ્વર, અલ્લાહ, ગૉડ કે અન્ય નામોથી ઓળખીએ છીએ. શક્તિ એક જ છે, પણ જુદી જુદી ભૂમિકા ભજવતી વખતે એ જ શક્તિને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશના નામથી ઓળખાવવામાં આવે છે. બ્રહ્માએ આ વિશ્વનું સર્જન કર્યુ, વિષ્ણુ એનું પાલન કરે છે અને જ્યારે એ વ્યવસ્થા ખોરવાય ત્યારે એનું ડિમોલિશન કરીને નવેસરથી સુશોભિત કરનાર સંહારક શક્તિને (સંહાર એટલે સમ્ વત્તા હાર, સમ્યક સુશોભિત) શિવશક્તિ તરીકે ગણવામાં આવી છે. શિવજી સંહારના અને કલ્યાણના દેવતા ગણાયા છે. કેવળ પ્રલય અર્થાત વિનાશ નહિ, પણ સૃષ્ટિના કલ્યાણ માટે, અસમતોલ પરિસ્થિતિને સંતુલિત અને વ્યવસ્થિત કરવા માટે થતી શસ્ત્રક્રિયા એટલે શિવશક્તિ.

જો ઈશ્વર અર્થાત પરમ તત્વ એક જ હોય તો અન્ય દેવતાઓ ક્યાંથી આવ્યા? સૃષ્ટિસંચાલનમાં તેમની કઈ ભૂમિકા હશે? દેવો કેટલા, દેવો ક્યાં રહે છે એવા સવાલો થવા સ્વાભાવિક છે. નરસિંહ મહેતાની એક રચનાની કડી છે, ‘સર્વ દેવોને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરજામી, ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસૈંના સ્વામી.‘ એટલે એક વાત તો નિશ્ચિત થઈ ગઈ કે ભગવાન જુદા અને દેવો જુદા. મનુષ્યોની જેમ દેવોને માથે પણ સંકટો આવે છે અને તેમણે પણ સહાય માટે પરમેશ્વરને શરણે જવું પડે છે.દેવોની સંખ્યા તેત્રીસ કોટિ કહેવામાં આવી છે. કોટિનો અર્થ હજાર પણ થાય અને કૂળ એવો પણ થાય. હજાર કરતા કૂળ અર્થ વધારે બંધબેસતો જણાય છે. દેવો અને અસુરો વચ્ચે કાયમ યુદ્ધો ચાલ્યાં જ કરતા હોય એવી વાર્તા આપણને વાંચવા મળે છે. તપ અને મંત્રશક્તિથી દેવો પ્રસન્ન થાય છે અને સાધકને ઈચ્છિત વરદાન આપે છે. વાર્તાઓમાં એવું પણ જાણવા મળે છે કે અસુરો ખૂબ તપ કરે છે. ઘોર તપશ્ચર્યા કરીને દેવોને પ્રસન્ન કરે છે, તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કરી બળવાન બને છે અને પાછા દેવો જોડે જ યુદ્ધ કરી તેમને પજવે છે.!

        દેવો વિલાસી છે, ભોગવાદી છે, બીકણ છે અને અસુરોને હાથે માર ખાધા પછીયે તેમને વરદાન આપવાની મૂર્ખાઈ આચરતા હોય એવું લાગે છે. તેમ છતાં તેમને દાનવ અને માનવો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. દેવોના અધિપતિ ઈન્દ્રરાજા કહેવાય છે. સર્વ દેવો પર તેનું આધિપત્ય રહેલું છે. ઈન્દ્ર પરથી ઈન્દ્રિય શબ્દ આવ્યો હશે? માણસની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો પર મનનું આધિપત્ય હોય છે. મનને જે ઈચ્છા થાય તે ભોગવવા માટે તેના તાબા હેઠળની ઈન્દ્રિયોને તે આદેશ આપે છે. મનને સુમધુર સંગીત સાંભળવાની ઈચ્છા થાય અને તે કર્મેન્દ્રિયોને સૂચના આપે એટલે પગ કાર્યાન્વિત થાય, હાથ પણ સક્રિય બને અને મ્યુઝિક વાગવાનું શરૂ થાય. શ્રવણેન્દ્રિયને આદેશ મળે એટલે તે અવાજના મોજાંને મગજ સુધી પહોંચાડે અને મન પોતે સંગીત માણે! આપણને લાગે કે સંગીત સાંભળીને આપણા કાન તૃપ્ત થયા, હકીકતમાં કાનનો ઉપયોગ કરીને મન પોતાની ઈચ્છા પાર પાડે છે. એ જ રીતે મનને સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય અને મુખમાં આવેલી રસના- જીભ મારફતે રસાસ્વાદ કરે. ખાવાનો ભભડો થાય માણસના મનને, તૃપ્તિ પામે મન અને વગોવાય બિચારી જીભ!

કામવાસના જન્મે છે માણસના મનની અંદર, એટલે તો કામનું એક નામ છે મનોજ. મનોજ એટલે જે મનમાં જન્મે છે તે. સર્વસત્તાધીશ મન, જાતીય અવયવોને આદેશ કરીને પોતાની વાસના તૃપ્ત કરે છે. દુષ્કર્મ કરનારને જ્યારે સજા થાય છે ત્યારે એ સજા કર્મેન્દ્રિયો ભોગવે છે. અસલી ગુનેગાર એવું મન તો છટકી જાય છે. માણસને સુધારવું હોય તો એના મનનું શુદ્ધિકરણ કરવું પડે, પણ મન હાથમાં આવતું જ નથી. જેણે પોતાનું મન જીત્યું તેણે દુનિયા જીતી એમ કહેવાયું છે તે યથાર્થ જ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કુમારિકાને સૌથી પહેલો ઈન્દ્ર ભોગવે છે. એનો અર્થ એ છે કે મન તેને ભોગવે છે. સૌથી પહેલાં જાતીયક્રિયા મનમાં થતી હોય છે. ઈન્દ્રે કુમારિકાને ભ્રષ્ટ કરી એનો અર્થ ઈન્દ્ર નામનો દેવ મનુષ્ય રૂપે તેને ભોગવી ગયો એવો હરગિઝ નથી. પણ મનમાં કામભોગના વિકારો જન્મ્યા છે એવો કરી શકાય.

મનના લક્ષણો વર્ણવવા જઈશું તો મન આપણને બીજા દેવો વિશેની વાત તરફથી અન્યત્ર ખેંચી જશે, તેથી એ વાત અહીંથી જ અટકાવીએ. આપણે વાત કરતા હતા દેવોની કોઈ સૃષ્ટિ છે કે દેવો કલ્પિત છે? મનુષ્યમાં  રહેલા અનેક ગુણોને જાગૃત કરવા- સ્ટિમ્યુલેટ કરવા જુદા જુદા દેવ દેવીઓની  કલ્પના કરવામાં આવી હશે. જે તે દેવ- દેવી એટલે તે વર્ણવવામાં આવેલા સદ્ગુણોનો ભંડાર! પછી તેના રૂપની  કલ્પના થઈ હશે. વિદ્યાની દેવી સરસ્વતી નક્કી થઈ એટલે વાણીની મધુરતા, સાત્વિકતા, ચરિત્ર, જ્ઞાનમાં નિપૂણતા વગેરેની કલ્પના થઈ હશે.પછી તેને શ્વેતકમળના આસન પર શુભ્ર વસ્ત્રો ધારણ કરાવેલી અને હાથમાં વીણા તથા પુસ્તકો સહિતની એક વાત્સલ્યમૂર્તિ નિર્માણ થઈ હશે. ગણપતિ અથવા ગણેશ એટલે તત્વજ્ઞાની, નેતાના ગુણો કલ્પવામાં આવ્યા હશે, તેમને વિવેકબુદ્ધિ અને શાણપણના ભંડાર માનવામાં આવ્યા હશે. લંબોદર અને હાથીની સૂંઢવાળું, કદરૂપું છતાં મંગળકારી ગણાતું જે રૂપ ઋષિઓને ધ્યાનાવસ્થામાં દેખાયું હશે તે મુજબની મૂર્તિ બનાવવામાં આવી હોય એમ સમજાય છે. શિવજી એટલે કલ્યાણના દેવ. તેઓ દુ:ખી, પીડિત લોકોના કલ્યાણ માટે કંઈપણ કરી છૂટવા સદાયે તત્પર એવા દેવની કલ્પના થઈ હશે. દેવોની આરાધના કરવી કે તેની ઉપાસના કરવી તેનો અર્થ એવો નથી કે તેની પ્રસન્નતા પ્રાપ્ત કરીને ઈચ્છિત વરદાન મેળવવા. ભક્તિ એટલે ખુશામદ કરવી એમ નથી, પણ ભક્તિ એટલે કોઈક ગુણના પ્રશંસક હોવું અને તે ગુણો આપણામાં લાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરવા.

હવે એટલું તો સમજાય છે કે શિવજીની આરાધના કરનારા ભક્તો કોઈ સમાજકલ્યાણની પ્રવૃત્તિ તો જરૂર કરતા હશે. સરસ્વતીના ઉપાસકો સરસ્વતી માતાના બનાવેલા સ્થૂળ મંદિરે મૂર્તિના દર્શન કરીને તો અટકી નહિ જતો હોય. તેનું સ્થાન પુસ્તકાલયોમાં કે જ્ઞાનીઓની સભા વચ્ચે હશે. લક્ષ્મીના ઉપાસકો લક્ષ્મીના માલિક બનીને પોતાની મનોવાંછના સંતોષવામાં તેનો ઉપયોગ નહિ કરતો હોય, પણ લક્ષ્મીજીના સાચા સ્વામી એવા નારાયણ ભગવાનને અર્પણ કરતો હોય અને શ્રી સૂક્ત ગાઈને નારાયણ સાથે પોતાને ત્યાં વસવા લક્ષ્મીજીની સ્તુતિ કરતો હોય. હનુમાનજી પરાક્રમ અને વિવેકના દેવ છે. બુદ્ધિમાનોમાં તેમને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. હનુમાનજીનો ભક્ત મૂર્તિને તેલ સિંદુર ચડાવ્યા બાદ અખાડામાં જઈને શરીર સુદૃઢ બનાવતો હોવો જોઈએ તથા ‘રામુ કાજુ કિયે બિના મોંહે કહાં બિશ્રામ‘ મંત્ર યાદ રાખીને ભગવદકાર્ય કરવા માટે હંમેશાં તત્પર રહેતો હોવો જોઈએ. દેવ વિશેની સમજણ અને ભક્તિના સિદ્ધાંત મુજબ આટલી અપેક્ષા જરૂર રાખવામાં આવે છે. જો એમ ન થતું હોય તો આપણે દેવોને સમજ્યા નથી અને આપણી ભક્તિ સાચા રાહ પર ચાલતી નથી એમ કહેવું પડશે. ભારત દેશ ભક્તિપ્રધાન દેશ હોવા છતાં ભક્તિનું જે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થવું જોઈએ તે વર્તાતું નથી તેથી એમ કહેવાનું મન થાય છે કે આપણે ભક્તિના મારગમાં અટવાઈ ગયાં છીએ. ભક્ત તેજસ્વી હોવો જોઈએ, ગૌરવશાળી હોવો જોઈએ તેને બદલે દીન, લાચાર અને પામર બની જતો હોય તો આપણી સમજણમાં જરૂર કંઈક ખૂટે છે એમ સ્વીકારવું પડશે.

ભક્તિ અને ખુશામતને એક જ ગણનારા લોકોએ ભક્તિનો સાચો અર્થ સમજવામાં ગરબડ કરી નાંખી છે. વ્યવહારમાં માણસો એમ જ માનતા આવ્યા છે કે કોઈ સમર્થ વ્યક્તિ પાસેથી કંઈક પ્રાપ્ત કરવું હોય તો તેના વખાણ કરવા જોઈએ. તેની સ્તુતિ અર્થાત ખુશામત કરવી જોઈએ. જગતનો વહેવાર આ રીતે જ ચાલતો રહેલો છે એટલે માણસ એમ સમજી બેઠો છે કે દેવના વખાણ કરીશું, એના જાપ કરીશું, ગુણગાન કરીશું તો દેવો પ્રસન્ન થશે અને તેમની પાસેથી ઈચ્છિત કામો કરાવી લેવાશે! હકીકતમાં આમ થતું નથી. તમે શક્તિશાળી છો, સામર્થ્યવાન છો, દયાળુ છો, તમે મારા માઈ બાપ છો એમ સતત રટણ કરતા રહીએ અને કંઈ કામ ન કરીએ તો સગા મા-બાપ પણ મદદ ન કરે અને ચિડાય તે નફામાં, તો દેવ વળી શા માટે કૃપા કરે? જાપનો અર્થ જ એ છે કે દેવોના ગુણોનું ચિંતન કરતાં કરતાં એના જેવા થવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો. એને જ કહેવાય દેવો ભૂત્વા દેવમ્ યજેત્. વિકાસ તો માણસે પોતે કરવાનો છે. મન લગાવીને સતત પ્રયત્ન કરવાનો છે. આપણને વિકાસશીલ ભક્તિ કોઈએ બતાવી નથી એટલે જ્યાં ને ત્યાં, જે સમર્થ દેખાયો તેમની સમક્ષ માગણની જેમ માંગતા જ રહેલા છીએ.પણ પેલી કહેવત છે તેમ ભીખનું હાંડલું કદી શીકે ચડતું નથી. ગુણો આપણી અંદર છે, દેવો આપણી અંદર છે તેને સ્વચ્છ કરીને બહાર લાવવા માટે ભક્તિ છે.

પ્ર. મિ.

રંગોની દુનિયા

આપણે આ ધરતી પર જન્મ લઈને આવીએ અને આંખનું પોપચું ઉઘાડીને જોઈએ ત્યારથી અનેક વિસ્મયો જોવાના ચાલુ થઈ જાય. વિવિધ પ્રકારના રંગો એમાંનું એક વિસ્મય છે. વિસ્મયની સાથોસાથ આકર્ષણ પણ એમાં રહેલું છે. વિવિધ રંગનો પહેરવેશ. બળેવના રંગબેરંગી ફૂમતાં, રમકડાં, પતંગિયાં, પુષ્પો, કાંકરા અને આકાશમાં દેખાતું મેઘધનુષ તો વિસ્મયની પરાકાષ્ટા કહેવાય. કોણે બનાવ્યાં હશે આટલા બધા રંગો! કેટલા બધા મનમોહક! પક્ષીઓનાં સુંવાળાં રંગીન પીંછા જોતાં જરાયે ધરવ જ ના થાય. આંખો ફાડીને જોયા જ કરીએ બસ, જોયા જ કરીએ એટલું બધું કુતૂહલ અને આકર્ષણ ભર્યું હોય છે એમાં.

નિશાળમાં ભણતી વખતે એ રંગોનો ઉપયોગ કરવાની બાળકોને ખૂબ મજા પડે! જેવું આવડે તેવું ચિત્ર દોરીને તેમાં રંગીન પેન, પેન્સિલ, વોટરકલર કે સ્કેચપેનથી રંગો પૂરીને એને સોહામણું બનાવવાનો આનંદ એ સમાધિના આનંદથી જરાયે ઊતરતો નથી હોતો. બાળપણમાં આપણને શીખવવામાં આવે છે કે લાલ પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય, બાકીના બીજાં બધાં મેળવણીથી થાય. સપ્તરંગી મેઘધનુષ જોઈએ ત્યારે મનમાં એમ થાય કે લાલ, પીળો, વાદળી ઉપરાંત આ બધાં રંગો કેવી રીતે બનાવી શકાતા હશે? નિશાળમાં શીખવવામાં આવે કે મેઘધનુષના વર્ણપટમાં રાનાપીલીવાનીજા- એમ સાત રંગો હોય છે. રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અને જાંબલી. ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનું કિરણ પસાર થાય ત્યારે સહેદ રંગના કિરણનું વિઘટન થાય છે અને ઈન્ફ્રા રેડથી અલ્ટ્રાવાયોલેટ સુધીનો દૃશ્ય વર્ણપટ આંખો સામે મંડાય છે તેમાં આ આ રંગોની છાયા આપણને જોવા મળે છે. આ છાયાઓ તો આંખની મર્યાદામાં આવતી છાયાઓ છે. નરી આંખે ન જોઈ શકાતી અન્ય છાયાઓની તો આપણને ખબર જ નથી. અનેક રંગોનું સંમિશ્રણ કરવાથી સફેદ રંગ બને તો પછી કાળો રંગ ક્યાંથી લાવવો? અનેક રંગોનું અપ્રમાણસર મિશ્રણથી કાળો રંગ બનતો હશે?

નિશાળમાં આપણને એમ પણ સમજાવવામાં આવે છે કે, આપણો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો બનેલો છે. કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે અને લીલો રંગ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેની પર તમામનાં જીવન આધારિત છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતા અર્થાત વિકાસનું પ્રતીક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતના વિકાસને હવે રોકી શકાશે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતિનિધિ બનશે. તે દિવસનાં 24 કલાકનું પણ દર્શક છે- એમ સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણે સમજાવ્યું હતું.

તિરંગાની સાથે થોડીક વાત સિનેમાની પણ કરી લઈએ. પહેલાંની ફિલ્મો મોટેભાગે બ્લેક એન્ડ વ્હાઈટ આવતી હતી. પછી સિનેકલર, ટેકનિકલર, ફ્યુજિ કલર અને ગેવા કલર જોવા મળ્યા. પાર્ટલી કલર ફિલ્મો પણ આવી અને આજે તો ઈસ્ટમેન કલરનો જમાનો છે.

ક્યારેક વિચાર આવે કે જે રંગો આપણા નયનોને આકર્ષે છે અને મનને લોભાવે છે તે રંગો આપણા જીવન પર કોઈ વિશેષ અસરો ઊભી કરતા હશે ખરા? કોઈને અમુક જ રંગ પ્રિય હોય અને અમુક રંગ જોવાનો મુદ્દલે ગમતો ન હોય એવું શાથી બનતું હશે? કોઈ રંગ પ્રિય કે અપ્રિય હોવા પાછળ માણસનો સ્વભાવ કે વૃત્તિ જવાબદાર હોતી હશે? રંગો પણ કોઈ વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરતા હશે? રંગો આપણા જીવન પર સારો કે માઠો પ્રભાવ ઊભો કરી શકે ખરાં? આવા વિચારો આવવા સ્વાભાવિક છે. સંન્યાસીઓ કેમ કેસરી કે ભગવા રંગનાં જ વસ્ત્રો પહેરતા હશે? અન્ય રંગોના વસ્ત્ર પહેરવાથી એમના ત્યાગ વૈરાગ્ય અને શાંતિમાં ભંગ પડતો હશે? યુવાનીમાં માણસને ભડકાઉ રંગોનું આકર્ષણ હોય અને પછી એ ઓસરતું જાય એમ કયા કારણે બનતું હશે? સફેદ વસ્ત્રો હવે બેસણાનો યુનિફોર્મ બનતો જાય છે. શું સફેદ રંગ શોકદર્શક છે? કંકોતરી લાલ અક્ષરે અને કાળોતરી કાળા રંગે જ કેમ લખાતી આવી છે?

કાળો રંગ જાદુ ટોના અને મૃત્યુ સાથે સંકળાયેલો છે. કાળા વસ્ત્રને અપશુકનિયાળ ગણીને શુભ પ્રસંગે વર્જિત મનાયો છે. સફેદ રંગ સાત્વિકતા અને સાદાઈ સાથે જોડાયેલો છે. મીરાંબાઈ ભલે એમ ગાતી હોય કે ‘ઓઢું હું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોઈ‘ પણ આપણે જાણીએ છીએ કે કાળો રંગ ડાઘ છુપાવવાનું કામ કરે છે. સ્વચ્છ અને નિર્મળ જીવનના પ્રતીક તરીકે તો સફેદ રંગ જ વધારે યોગ્ય ઠરે છે. દેવી સરસ્વતીની સ્તુતિમાં કહેવાયું છે કે ‘જેણે સફેદ પુષ્પોનો હાર ધરણ કર્યો છે, જેણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, જેનું આસન શ્વેત પદ્મનું છે તે ભગવતી સરસ્વતી અમારું રક્ષણ કરો અને અમારા અજ્ઞાનનું અંધારું દૂર કરો.‘

રંગોની દુનિયામાં સફર કરવા જઈએ તો અવનવી વાતોનો ખજાનો સાંપડે છે, પણ આપણા કુતૂહલને સંતોષવા થોડીક વાતો આચમન તરીકે માણીએ.

સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે? લાલચોળ ચહેરો અને રાતી આંખ ગુસ્સો દર્શાવે છે લાલ લાલ ગાલ પ્રેમ અને શરમ સૂચવે છે, લાલ રંગ રોમાન્સ સાથે જોડાયેલો છે, તો ગુલાબી રંગ શાનું પ્રતીક છે? ‘ગુલાબી આંખે જો તેરી દેખી..‘ આંખ ગુલાબી હોય ખરી કે? ગુલાબી રંગ રોમાન્સનું પ્રતીક ગણાયો છે. વેલેન્ટાઈન ડે પર ગુલાબ આપવાનો રિવાજ છે. ગુલાબ વિવિધ રંગના હોય છે, પણ અસલમાં તો તેનો રંગ ગુલાબી જ છે.  રિલેશનશીપમાં હોય તો પાર્ટનરને લાલ ગુલાબ અપાય છે. કોઇની મિત્રતા ઇચ્છતા હોય તો તેને પીળા રંગનું ગુલાબ અપાય છે. આભાર વ્યક્ત કરવા માટે ગુલાબી રંગનું ગુલાબ અને જેના માટે ગર્વની લાગણી હોય તેને નારંગી રંગનું ગુલાબ આપવાનો રિવાજ છે. પોતાના લોકો સાથે લડાઇને પૂર્ણ કરીને નવી શરૂઆત કરવી હોય તો સફેદ રંગનું ગુલાબ આપવામાં આવે છે. 

ગુલાબી ઠંડી, ગુલાબી મોસમ, ગુલાબી સ્વભાવ! ગુલાબી રંગમાં માદકતા છે. લાલ રંગમાં સફેદ ઉમેરીએ તો ગુલાબી બને છે. સુખ સમૃદ્ધિનો રંગ લાલ છે. લક્ષ્મીજી ઐશ્વર્યના દેવી છે. એમના વસ્ત્રો ગુલાબી રંગના છે. કમળનો રંગ પણ ગુલાબી છે. જો લાલ રંગ કીર્તિ, ઐશ્વર્ય, ગરિમા અને ભોગ-વિલાસનું પ્રતીક છે તો સફેદ રંગ દયા, કરુણા, શાંતિનું પ્રતીક છે. જ્યાં આ બન્ને છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય છે. પ્રેમને કારણે માણસમાં આ બન્ને ગુણ જમા થાય છે. જો પ્રેમ સાચો હોય તો શક્તિ બનીને સુખ-સમૃદ્ધિને મેળવે છે.

લાલ રંગ ભયસૂચક પણ છે. અગ્નિ પણ લાલ રંગનો હોય છે. આગની જ્વાળા માત્ર બળતી નથી. પ્રકાશ પણ આપે છે અને કુંદનને બાળી સોનું બનાવે છે. આવો જ પ્રેમ છે. પ્રેમની રમતમાં વ્યક્તિ અગ્નિની જેમ બળે છે. પ્રેમ જેટલો જલાવે, બાળે, તડપાવે તેટલો જ માણસને પોતાના અનુભવોથી સોનાની જેમ ચમકાવે છે. જો સાચો પ્રેમ હોય તો તેની જ્વાળાથી માણસનો બધો અહંકાર ભસ્મ થઈ જાય છે. પ્રેમરૂપી આગ માણસને પીગળાવે છે અને નવા રૂપમાં ઢાળે છે. વિચારસરણીની દૃષ્ટિએ જોઈએ તો સામ્યવાદનો રંગ લાલ છે. લાલ રંગમાં પીળો ઉમેરીએ તો નારંગી, કેસરી કે ભગવો રંગ બને છે. ભગવો રંગ આજકાલ ભારતીય જનતા પક્ષનો ગણાય છે. લાલ રંગથી સાવ નજીકના રંગો હોવા છતાં બંને વચ્ચે છત્રીસના આંકડા જેવો સંબંધ છે.

રંગો વિશે રહસ્યમય અનેક વાતો છે, પણ સાઈકોલોજીની દૃષ્ટિએ માણસના વ્યક્તિત્વ પર અસર કરતા જાણીતા સોળ રંગોની ખાસિયત વર્ણવીને લેખ પૂરો કરીએ.

લાલ રંગ એ ઉત્સાહ ,જોશ-ઝનુન, ક્રિયા, મહત્વાકાંક્ષા, અને દૃઢ નિશ્ચયનો છે, તદુપરાંત લાલ રંગ જાતીય ઝનુન અને ગુસ્સાને પણ સૂચવે છે. ઓરેન્જ રંગ એ સામાજિક વ્યવહાર, આશાવાદને સૂચવે છે પણ નકારાત્મક રીતે તે નિરાશાવાદ અને સુપરફિશિયલતાની (ઉપલકિયાપણાની) નિશાની છે. પીળો રંગ મગજ અને બુદ્ધિને દર્શાવે છે તદુપરાંત આશાવાદી અને ખુશખુશાલનો રંગ પણ છે. તે અધીરાઈ, ટીકા અને ડરપોકપણું પણ સૂચવે છે. લીલો રંગ સંતુલન અને અભિવૃદ્ધિ સૂચવે છે લીલો રંગ જાત પરનો ભરોસો કે આત્મવિશ્વાસ અને બીજા પર પ્રભુત્વ સૂચવે છે. આસમાની વાદળી રંગ શાંતિ અને વિશ્વાસનો રંગ છે. વાદળી રંગન વિશ્વસનીયતા અને પ્રમાણિકતા સૂચવે છે તેવી જ રીતે રૂઢિચુસ્તતા અને નીરસતા પણ સૂચવે છે. ભૂરો રંગ અંતર્જ્ઞાનનો રંગ છે. આદર્શવાદ અને નશાકારક એમ બે રીતના અર્થ સૂચવે છે. જાંબુડિયો રંગ કલ્પનાનો રંગ છે તે વ્યક્તિગત અને સર્જનાત્મક તથા અપરિપકવ અને અવ્યવહારુપણું સૂચવે છે. ટર્કીશ- પીરોજ કલર મનની સ્પષ્ટતા અને સંચારના અર્થને સૂચવે છે તેવી જ રીતે આદર્શવાદી અને અપરિપકવતાને પ્રગટ કરે છે. ગુલાબી રંગને કલર સાયકોલોજીમાં બિનશરતી પ્રેમ અને જતનના અર્થમાં લેવાય છે તેમજ તે નાદાન, અવિકસિત અને છોકરીયાળ જેવા અર્થને પણ સૂચવે છે. મજેન્ટા રંગ વૈશ્વિક સુમેળ અને લાગણીઓના સમતોલનના અર્થમાં છે, તે આધ્યાત્મિક હોવા છતાં વ્યવહારુ, સામાન્ય સૂઝને ઉત્સાહકારક અને જીવન દૃષ્ટિકોણનું સમતોલન સૂચવે છે. બદામી કે તપખીરિયો રંગ હમદીલ-માયાળુ છતાં ગંભીર અને વાસ્તવિકતાને તથા સુરક્ષા, સગવડ, આરામ અને ભૌતિક સંપત્તિના અર્થને પણ સૂચવે છે

ગ્રે કલર  ક્ષણિક-ચંચલતાનો રંગ છે. કલર સાયકોલોજીમાં ગ્રે રંગ સરખામણીનો છે અને લાગણીહીન, અનિર્ણાયક અને અલિપ્ત અર્થ પણ થઇ શકે છે. સિલ્વર એટલે કે રૂપેરી રંગ સ્ત્રૈણ-સ્ત્રીઓને લગતી ઉર્જાના અર્થમાં હોય છે. રૂપેરી રંગ ચંદ્ર, ભરતી અને ઓટ વિષયક છે. તે વહેતું રહેતું અને ભાવનાશીલ અને સંવેદનશીલ અને રહસ્યમય અર્થ પણ સૂચવે છે. ગોલ્ડ સોનેરી રંગ સફળતા, સિદ્ધિ અને યશસ્વિતાનો રંગ છે અને સોનેરી રંગ સમૃદ્ધિ અને જાહોજહાલી ભોગવિલાસ અને ગુણવત્તા પ્રતિષ્ઠા અને વ્યવહારદક્ષતા મુલ્ય અને સુરુચિપૂર્ણતા સાથે જોડાયેલ છે. તેમજ કલર સાયકોલોજી મુજબ વિપુલતા, અતિરેક અને ભૌતિક સંપત્તિના અર્થને ગર્ભિત કરે છે. હવે સમજાયું કે લોકોને સોનું કેમ પસંદ આવે છે! સફેદ રંગનો અર્થ પવિત્રતા, નિષ્કપટતા, પરિપૂર્તિ અને સપૂર્ણતા છે. સાયકોલોજી પ્રમાણે કાળો રંગ ગુપ્ત, અદૃશ્ય, ખાનગી, અજાણ્યું, રહસ્યમય રીતે હવામાં રાચવુંના અર્થને સૂચવે છે, જગતથી વસ્તુને સંતાડેલી રાખવા કે ઢાંકેલી-બંધ રાખવાની કળાનો અર્થ પ્રગટ કરે છે.

પ્ર. મિ.

પૌરાણિક વાર્તાઓ સત્ય કઈ રીતે હોઈ શકે?

ગણિતશાસ્ત્રના અભ્યાસ દરમિયાન ઘણીવાર કૂટપ્રશ્નો ઉકેલવાના આવતા હોય છે. કૂટ એટલા માટે કહેવાય કે એ સરળ નથી હોતા. એને ઉકેલવા માટે વિશેષ યુક્તિઓ વાપરવી પડતી હોય છે. સાદી પદ્ધતિથી કૂટપ્રશ્નના દાખલા ગણવા જઈએ તો ગુંચવાઈ જવાય છે. સાધારણ બાળકો એવા દાખલાને ઓમિટ કરતા હોય છે. ખરા હોશિયાર વિદ્યાર્થીઓને એવા અઘરા દાખલા ગણવામાં ઓર મજા આવતી હોય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ વિરોધાભાસી અને ગળે ન ઊતરે તેવી અતાર્કિક લાગતી બાબતો ઘણી છે. શ્રદ્ધાળુઓને તો કોઈ તકલીફ નથી, જે વાંચવામાં કે જે સાંભળવામાં આવ્યું હોય તેને યથાતથ સ્વીકારી લે છે, કોઈ દલીલબાજી નહિ, પણ જેઓ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે છે તેમના મનમાં પ્રશ્નો થાય છે. તેઓ સમજવા માગે છે, પણ કોઈ સમજાવી શકતું નથી. તાર્કિક ઉકેલ ન મળતાં તેઓ નાસ્તિકવાદ તરફ સરકી જાય છે. શાસ્ત્રો પર શંકા ન થાય એમ માનનારા લોકો એમને નાસ્તિક અથવા પાપિયા તરીકે ઓળખાવે છે. ચાલો ભાઈ, શાસ્ત્ર પર શંકા ન રાખીએ, પણ જિજ્ઞાસા તો રાખી જ શકાય ને? જિજ્ઞાસા હોવી એ શું પાપ છે? જિજ્ઞાસા પણ ન રાખવાની હોય તો ભગવાને બુદ્ધિ આપી જ શા માટે?

કેલિફોર્નિયાથી એક વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલે કેટલાક પ્રશ્નો કર્યા. વયોવૃદ્ધ એટલા માટે કે તેમની હાલની ઉંમર બ્યાસી વરસની છે અને તેઓ જુના જમાનાના  સ્ટ્રકચરલ એન્જિનિયર છે. ખૂબ અભ્યાસી વ્યક્તિ છે અને આ ઉંમરે તેઓ બ્લોગ દ્વારા જ્ઞાન- વિજ્ઞાન પીરસવાનું કામ કરી રહ્યા છે. તેમણે વાંચેલી વાતો મુજબ જ્યોતિશશાસ્ત્રમાં સૂર્યને રાજા અને ચંદ્રને રાણી કહેવામાં આવી છે. એ ચંદ્રે ગુરુની પત્ની તારા જોડે વ્યભિચાર કર્યો હોવાથી ગુરુને અને ચંદ્ર વચ્ચે દુશ્મનાવટ છે. જો ચંદ્ર રાણી હોય તો તે ગુરુની પત્ની જોડે વ્યભિચાર કરીને બુધ નામનો પુત્ર કેવી રીતે પેદા કરી શકે? બે સ્ત્રી વચ્ચેના સંયોગથી પુત્ર પેદા થઈ શકે ખરો?…

હકીકતમાં એ બધા આકાશી પીંડો છે, તેઓ માણસ નથી કે તેઓ નર, નારી, રાજા, રાણી, સેનાપતિ, યુવાન, વૃદ્ધ, મિત્ર કે શત્રુ અથવા શુભ, અશુભ, પાપી, દુષ્ટ કે સીધી, બાડી નજરવાળા હોઈ શકે. વાસ્તવિક દૃષ્ટિએ સાવ હમ્બગ લાગતી આવી વાર્તાઓ જ્યોતિષશાસ્ત્રના નિયમો યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. શુષ્ક નિયમો યાદ નથી રહેતા જ્યારે વાર્તા સરળતાથી યાદ રહી જાય છે. જ્યોતિશશાસ્ત્રમાં તો સૂર્યને શનિનો પિતા કહેવામાં આવ્યો છે અને એ બાપ દીકરાને ક્યારેય બનતું નથી એમ કહેવાયું છે. આમ જોવા જઈએ તો સૂર્ય બધા ગ્રહોનો પિતા છે. કારણ કે બિગબેન થિયરી મુજબ સૂર્યમાં વિસ્ફોટ થવાથી આ ગ્રહમાળા સર્જાઈ તેથી બધા જ ગ્રહો તેના સંતાનો ગણાય. સૂર્ય અને શનિ વચ્ચે દુશ્મનાવટ કેમ છે તેને લગતી વળી એક ઓર વાર્તા છે કે શનિ એ છાયાનો પુત્ર છે. છાયા આવી એટલે શનિને માતૃછાયા નડી ગઈ! તે કાળો પડી ગયો. અદ્દલ મા પર ગયો. વિષયને રસપ્રદ બનાવવા માટેની આ તરકીબ છે. આકાશમાંના સૂર્ય અને શનિ ક્યારેય ન લડે, પણ જન્મકુંડળીમાં સૂર્ય શનિ એક જ રાશિમાં આવી ગયા કે શનિથી ત્રીજે, સાતમે, દસમે સ્થાને સૂર્ય આવતો હોય તો જાતકના પિતાને કષ્ટ આપે જ. આવી બધી વાર્તાઓ જે છે તે સામાન્યજનો માટે નથી, પણ તે જ્યોતિશશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેના કોડવર્ડ છે.

રાહુ અને કેતુની વાર્તા લગભગ તમામને ખબર છે. દેવો અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. સમજુતિ પ્રમાણે બંને પક્ષોએ સરખા ભાગે એ વહેંચી લેવાના હતા, પણ દરેક ગઠબંધનના ઘટકો સ્વાર્થી જ હોય છે. ચૌદ પૈકીનું એક રત્ન તે અમૃત. અમૃતપાન કરે તે અમર થઈ જાય અને અમર થવાની અભિલાષા તો સૌને હોય. દેવોનેય અમર થવું છે ને અસુરોએ પણ અમર થવું છે. ગઠબંધનમાં જેમ બધાંને વડાપ્રધાન થવું છે અથવા મહત્વના દફતરો પોતાની પાસે રાખવાનું વલણ હોય છે. અને તે માટે ચાલાકી કરાતી હોય છે. દેવોએ સંપી જઈને નક્કી કર્યું કે અમૃતનું ટીપું સુદ્ધાં અસુરો સુધી પહોંચવું જોઈએ નહિ. અસુરોમાં રાહુ આ વાત જાણી ગયો. એણે કુંભમાંથી અમૃત પીવા ઘુંટ તો ભર્યો પણ દેવોએ કુંભ ઝૂંટવી લીધો. આવું જ થતું આવ્યું છે. એનો શિરચ્છેદ થઈ ગયો. અમૃત ગળામાં જ અટકી ગયું અને કેતુ એટલે કે પૂંછડી અમૃત વગર તરફડતી રહી ગઈ! રાહુ –હેડ તૃપ્ત થઈ ગયો અને – પૂંછડી અતૃપ્ત ! હવે જુઓ કે ગ્રહમાળામાં રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહો જ નથી પણ જ્યોતિશશાસ્ત્રમાં એને ગ્રહો ગણવામાં આવે છે, સૂર્ય એ ગ્રહ નથી પણ તારો હોવા છતાં તેને ગ્રહ જ કહેવાય છે. ચંદ્ર ગ્રહ નથી, પણ એ પૃથ્વીનો ઉપગ્રહ હોવા છતાં એને ગ્રહ તરીકે જ ઓળખવામાં આવે છે. રાહુ અને કેતુનું અવકાશી પિંડ તરીકે કોઈ સ્થાન જ નથી. એ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતના ક્રાંતિમાર્ગ પરના કાલ્પનિક છેદબિંદુઓ છે છતાં, એનો છાયાગ્રહ તરીકે જ્યોતિશશાસ્ત્રમાં ઉલ્લેખ થાય છે.

વાર્તા સાવ કાલ્પનિક છે, રાહુ, કેતુ પણ કાલ્પનિક બિંદુઓ છે છતાં જોવાની ખૂબી એ છે કે કુંડળીના જે ભાવમાં રાહુ વિદ્યમાન હોય તે ભાવને લગતી બાબતોની તૃપ્તિનો એહસાસ કરાવે છે, કારણ કે અમૃત પીધેલું તે ગળાવાળો ભાગ છે, જ્યારે કેતુ જે ભાવમાં બેઠેલો હોય તે ભાવની સંબંધિત બાબતો મેળવવાનો તલસાટ જાગે છે, પ્રબળ ઝંખના થાય છે, પણ પરિણામ ઝાંઝવાના જળ જેવું હોય છે. કેતુ અતૃપ્તિ આપે છે.

હવે ચંદ્રની વાત કરીએ. પૌરાણિક વાર્તા પ્રમાણે દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ હતી. આ બધી પુત્રીઓ તેમણે સોમ નામના રાજવી સાથે પરણાવેલી. જેમાંની એક કન્યા રોહિણીને તે વધારે ચાહતો હતો. સૌંદર્યને અનુરૂપ સંસ્કાર મળે ત્યારે સૌંદર્ય સોળે કળાએ ખિલી ઊઠતું હોય છે. રોહિણી સૌંદર્યવાન અને સંસ્કારી હતી. અન્ય બહેનોને રોહિણીના સુખની અદેખાઈ આવી તેથી પિતા દક્ષને સોમ વિષે ફરિયાદ કરી કે સોમ અમારી અવગણના કરે છે. દક્ષ પ્રજાપતિએ સોમને વેરોવંચો ન કરવાની ચેતવણી આપી. સોમ પર સસરાના એ અલ્ટિમેટમની કોઈ અસર ના થઈ અને તે રોહિણીને જ વધારે પ્રેમ કરતો રહ્યો. રોહિણીની બહેનો ફરીથી પિતા પાસે ગઈ. આ વખતે દક્ષ ધુંધવાઈ ઊઠ્યો અને સોમને શાપ આપ્યો કે તારું શરીર ઉત્તરોત્તર ક્ષીણ થતું જશે. તને ક્ષય થશે. શાપની અસર વર્તાવા લાગી એટલે સોમ ગભરાયો. તેણે રોહિણી સાથે પ્રભાસપાટણના દરિયાકિનારે શિવજીનું ઘોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે દક્ષના શાપને સાવ નિર્મૂળ તો નહિ કરી શકું, પણ તને વરદાન આપું છું કે આકાશમાં રહેલા આ ચંદ્રના ગોળાની જેમ મહિનાના પંદર દિવસ તારું શરીર ક્રમશ: વધતું જશે અને ત્યાર બાદ પંદર દિવસ ક્રમશ: ક્ષીણ થતું જશે.

ખગોળ સમજાવતી આ રસપ્રદ ઘટના છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે નિરંતર પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેલો છે. તેના આ ભ્રમણમાર્ગમાં બાર રાશિ ચિહ્નો અને સત્તાવીસ નક્ષત્રો આવેલાં છે. ચંદ્ર એક રાશિમાં લગભગ સવા બે દિવસ રહે છે. પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ચંદ્રને ૨૭. ૩ દિવસો લાગે છે. એટલે કે એક નક્ષત્રમાં ચંદ્ર એક દિવસ રહે છે. વાર્તા મુજબ દરેક પત્નીની સાથે તે એક દિવસ વીતાવે છે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવેલું છે અને વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો બને છે. ચંદ્ર અહીં ખિલેલો જણાય છે અને તેથી તે બળવાન બને છે. વૃષભનો ચંદ્ર જાતકને શુભ ફળ આપે છે. રોહિણી જેવી પ્રિયતમાના ઘરમાં તો એ ફુલ ગુલાબી મુડમાં હોય જ  એમાં કોઈ આશ્ચર્ય નથી!

જ્યોતિશશાસ્ત્રમાં ગ્રહોને ઉચ્ચ, નીચ, શુભ, અશુભ, પાપી, ક્રૂર, ઠંડા, ગરમ, ઉગ્ર અને વિવિધ સ્વરૂપના, વિવિધ અવસ્થાના તથા પરસ્પર મિત્રતા, શત્રુતા અને તટસ્થ ભાવ દર્શાવતા બતાવવામાં આવેલા છે. તે માટે જાતજાતની વાર્તાઓ ઘડી કાઢવામાં આવેલી છે. વાસ્તવમાં ગ્રહો તો અવકાશી પીંડો જ છે તેને માણસ જેવા ગણીને બનાવવામાં આવેલી વાર્તાઓ કાલ્પનિક છે, છતાં એ રસપ્રદ હોવાથી યાદ રહી જાય છે અને ફળકથન કરવામાં ઉપયોગી સિદ્ધ થાય છે. આ એની ઉપયોગિતા છે.

પ્ર. મિ.

અતિથિ દેવો ભવ

ઈતિહાસના કોઈપણ સમયખંડ કરતાં આજના સમયમાં શિક્ષણનું મહત્વ અનેકગણું વધી ગયું છે. વાલીઓ વધારે સજાગ બન્યા છે. વિદ્યાલયોની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનારાની સંખ્યા વધતી જ જાય છે તેમ છતાં જીવનવ્યવહારને સંદર્ભે શિક્ષિત અને અશિક્ષિતો વચ્ચે કોઈ ભેદ વર્તાતો નથી. કેટલીકવાર અશિક્ષિતોનું વર્તન ગૌરવશાળી જોવામાં આવે છે જ્યારે શિક્ષિતોનું વર્તન શિક્ષણને લજાવનારું હોય છે. આમ કેમ?

આપણે આપણા બાળકોને સારો ડોક્ટર કે એન્જિનીયર બનાવવાનું પસંદ કરીએ છીએ. સારો અભિનેતા, ચિત્રકાર, ગાયક, કુશળ કારીગર અને બિઝનેસમેન બનાવીએ છીએ. જિંદગીમાં સારું કમાય અને સુખી થાય એવું આપણે ઈચ્છીએ છીએ. પૈસો હોય તો જ સુખી થવાય એવી માનસિકતાને કારણે  જે વ્યવસાયમાં કમાણીની કે નોકરીની તક વધારે દેખાતી લાગે તે તરફ આપણો ધસારો થતો રહે છે. વિદ્યાલયો એટલે જાણે વિવિધક્ષેત્રના નિષ્ણાતો કે  ટેકનોક્રેટ બનાવી આપનારા કારખાના! માણસ બધું શીખે છે, પણ માણસ કેમ બનવું તે જ શીખતો નથી. શિક્ષણ વ્યવસાયલક્ષી બને તેનો વાંધો નથી, પણ જીવનલક્ષી શિક્ષણનો એકડો જ નીકળી જાય એવું તો ન જ બનવું જોઈએ.

વિદ્વાનો જીવનને જુદી જુદી ઉપમા આપતા રહેલા છે. જીવન એક રમત છે તો તેમાં હાર અને જીત આવવાના જ છે. જીવનને રણસંગ્રામ ગણીએ તો રણમેદાનમાં કોઈપણ દિશામાંથી પ્રાણઘાતક હુમલો થવાનું નિશ્ચિત છે. જીવન એક જુગાર છે એમ માનીએ તો ક્યારેક લાભ તો ક્યારેક હાનિ થવાની જ છે. જીવનને વેપાર સમજીએ તો નફો અને ખોટ એની સાથે સંકળાયેલા છે. જીવન દ્વન્દ્વાત્મક છે અને તેમાં અવારનવાર અનુકૂળતા-પ્રતિકૂળતા આવવાના જ છે. તુલસી રામચરિતમાં કહ્યું છે ‘हानि लाभु जीवनु मरनु जसु अपजसु बिधि हाथ ॥‘ એ તો વિધિના હાથમાં છે. ગીતામાં ભગવાન અર્જુનને દ્વન્દ્વો સહન કરવાનું કહે છે. માણસથી દુ:ખ, પરાજય, નુકસાન સહન થતાં નથી અને પ્રતિકૂળ સંજોગો આવતાં સાવ પાણીમાં બેસી જાય છે. એટલું જ નહિ, સુખ, જીત અને લાભ મળે તે પણ સહન થતાં નથી. એનો મિજાજ બદલાઈ જાય છે! માણસ સ્વસ્થ રહી શકતો નથી.

નિષ્ફળતા મળે ત્યારે માણસ સાવ ભાંગી પડે છે. હતાશ થઈ જાય છે, જાત પ્રત્યે તિરસ્કાર પેદા થાય છે, જીવન જીવવાનું આત્મબળ ખલાસ થઈ જાય છે અને આપઘાતને માર્ગે વળે છે. બોર્ડની પરીક્ષામાં ધારેલું પરિણામ ન આવતાં વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે, યુવક યુવતિઓ ધારેલા પાત્ર જોડે લગ્ન ન થતાં આત્મહત્યા કરી લે છે. વડીલોએ ઠપકો આપતાં ઘર છોડી ભાગી જનારા કે નાની સરખી વાતમાં કૂવો, તળાવ, બગડોલ કે ગાડીના પાટાને શરણે જનારને આપણે હલકા મગજના કહીએ છીએ. એમનાથી જરા જેટલીય પ્રતિકૂળતા સહન નથી થતી. વેપારમાં ખોટ જવાથી વેપારી આત્મહત્યા કરી લે છે. ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિજ્ઞાની, ડોક્ટર, એન્જીનિયર કે મોટો અધિકારી પણ આત્મહત્યા કરીને પલાયનવાદને શરણે જાય છે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કેમ કરવો તેની તાલીમના અભાવને કારણે આપણે આશાસ્પદ પ્રતિભાઓ ગુમાવવી પડે છે. આનો કોઈ ઉપાય શોધાવો જોઈએ. વિષમ સંજોગો વખતે સ્વસ્થતા કેમ જાળવવી તે શીખવવાનું આજના અભ્યાસક્રમમાં આવતું નથી.

શિક્ષણની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. નવાં નવાં સંશોધનો થતાં જાય છે. એ બધાં ક્યાં કેદ થઈ જાય છે? જ્ઞાનસરિતા તો સતત વહેતી રહેવી જોઈએ તેને બદલે પ્રવાહ ક્યાંય અટકી જતો માલમ પડે છે. કેટલી બધી વિદ્યાશાખાઓ અસ્તિત્વમાં છે અને એમાં નિત નવું રિસર્ચ થયા જ કરે છે છતાં આપણી પાસે તેના વિષે કોઈ માહિતી જ આવતી નથી, આવું કેમ? એ સંશોધનો પ્રયોગશાળા કે વિશ્વ વિદ્યાલયોની લાયબ્રેરીમાંથી બહાર જ નથી નીકળતા. સામાન્ય લોકો સાથે જાણે એને કંઈ લાગતું વળગતું જ નથી. પહેલાંના કરતા પીએચડી થનાર લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. પણ તેમણે કયા વિષયમાં શું સંશોધન કર્યું તેની આપણને જાણ સુદ્ધાં નથી થતી તેનાથી સમાજને કેવી રીતે લાભાન્વિત કરવો એ વિચારવાનો તો સવાલ જ નથી ઊભો થતો.

જેમ જ્ઞાનસરિતાનો પ્રવાહ ક્યાંક રૂંધાઈ ગયો છે તેમ જ્ઞાની પુરુષો પણ ક્યાંક અટકી ગયા છે, તેઓ ચોટડૂક થઈ ગયા એમ લાગે છે. જ્ઞાની અને વિદ્વાન પુરુષોનો સમાજ સાથે જાણે કશો સંબંધ જ રહ્યો નથી. જેમ ‘રૂપિયો હંમેશાં ફરતો રહેવો જોઈએ‘ અને ‘નદી સતત વહેતી રહેવી જોઈએ‘ એવું કહેવાય છે તેમ જ્ઞાન પણ ફરતું રહેવું જોઈએ અને તે માટે જ્ઞાનીઓ સમાજમાં સતત ફરતા રહેવા જોઈએ. લોકોની સમજણનું અપડેશન થતું રહેવું જોઈએ તે થતું નથી એને કારણે સમાજ પતિત થતો જાય છે. વિદ્વાનો એમને અનુકૂળ સ્થાનો પરથી પ્રવચનો કરે છે અને વિદ્વાન લેખકો એમના પ્રકાશિત થયેલા પુસ્તકોની સંખ્યા ગણતા બેઠા છે. લોકો સુધી એ વિચારો પહોંચાડવાનો પ્રયત્ન થતો નથી અથવા થાય છે તો તે અતિ પાંગળો છે.

સમાજના એક ખૂણે કોઈ ટેકનોલોજી શોધાય તો તેની ખબર લોકો સુધી પહોંચી જાય છે, જીવનોપયોગી કોઈ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો તેને માર્કેટમાં આવતાં વાર નથી લાગતી. માર્કેટિંગ એજન્ટો દ્વારા ગામેગામ અને ગલીએ ગલી તે ચીજ વસ્તુ મળતી જાય છે, પણ જીવનોપયોગી કોઈ વિચાર સમાજમાં પ્રસરતો નથી. એનું પણ માર્કેટિંગ થવું જોઈએ.

આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવ‘ એ સૂત્ર પ્રચલિત છે. આંગણે આવેલા અતિથિને તું દેવ માન અર્થાત તેની આજ્ઞા તું પાળ- એવો બોધ એ સૂત્રમાં રહેલો છે. અતિથિનો અર્થ આપણે બહુ સીમિત કરી નાંખ્યો છે. આપણા સગાં સંબંધીઓ આપણે ત્યાં પધારે તેમનું દેવતુલ્ય સ્વાગત થવું જોઈએ એવો અર્થ આપણે પકડી બેઠા છીએ. તેઓ આપણા મહેમાન છે, અતિથિ નહિ! તો પછી જેને દેવ માનવાનો આદેશ ભારતીય સંસ્કૃતિએ આપ્યો છે તે અતિથિ કોણ? પ્રાચીન કાળમાં ઋષિઓના તપોવનમાં ભણવા ગયેલો યુવાન વ્યવસાયલક્ષી તથા જીવનલક્ષી વિદ્યા ભણીને સમાજ વચ્ચે આવતો હતો. ભણતી વખતે મગજમાં જેટલી વિદ્યા હોય છે તેટલી કાયમ તે ટકતી નથી. જીવનવ્યવહાર વચ્ચે છૂટ લેતાં લેતાં ઘણું બધું છૂટી જતું હોય છે. વિવાહ સંસ્કાર વખતે સપ્તપદીમાં આપેલા કોલ ભૂલી જવાય છે. નાની નાની વાત પર મન ઊંચા થઈ જાય છે. દામ્પત્યો કથળે છે. મિત્રો અને સંબંધીઓ વચ્ચેના સંબંધો બગડે છે, મન સંકુચિત થઈ જાય છે. બુદ્ધિમાં સ્વાર્થ ઘર કરી જાય છે. ત્યારે ઋષિઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરવા મોકલેલા બ્રાહ્મણો, ભિક્ષુકો કે સન્યાસીઓ ગૃહસ્થીના આંગણે આવીને ઊભા રહેતા. એમનો આવવાનો કોઈ દિવસ નક્કી નહિ તેથી તેઓ અતિથિ કહેવાતા. આ અતિથિઓને દેવ માનવાની આજ્ઞા આપણી સંસ્કૃતિએ કરી છે.

તેઓ અચાનક આપણે આંગણે આવીને ઊભા રહેતા તેથી આપણા જીવનની દુર્બળતાઓ પકડાઈ જતી.. પતિ અને પત્ની વચ્ચે અબોલા હોય કે મન ઊંચા થયેલા દેખાય તો અતિથિ તરીકે આવેલો બ્રાહ્મણ પૂછતો કે લગ્ન વખતે અગ્નિની સાક્ષીએ સમાજની હાજરી વચ્ચે લીધેલી પ્રતિજ્ઞા તું ભૂલી ગયો? પત્ની તો ઘરની લક્ષ્મી છે અને તેની તું અવગણના કરે છે? ઋષિના તપોવનમાં શાસ્ત્રમાં જે ભણેલો તે તું આટલું જલદી ભૂલી ગયો? મા બાપ તો ભગવાનનું રૂપ છે એમ તને શીખવવામાં આવેલું અને આજે તું મા બાપથી મુખ ફેરવી બેઠો? માણસ માત્રમાં ભગવાન આવીને બેઠો છે અને અંદર બેસીને તે સૌનું જીવન ચલાવે છે એમ શીખેલા તે પણ તને યાદ નથી? ઊંચ નીચના કે અન્ય કોઈ જાતના ભેદભાવ રાખીને તું જ્યારે બીજાની અવગણના કરે છે ત્યારે તને ખ્યાલ નથી આવતો કે એની અંદર રહેલો રામ તારા પર નારાજ થાય છે? ભગવાને તને બાળક આપીને બાળઉછેરની જવાબદારી સોંપી છે તે પણ તું ભૂલી ગયો? સરપ્રાઈઝ ચેકિંગમાં આ બધી બાબતો પકડાઈ જાય છે. બચાવ કરવાની કોઈ તક રહેતી નથી કારણ કે અપરાધ કરતા રંગે હાથ પકડાઈ જઈએ છીએ. જીવનને પતિત થતું અટકાવવા માટે અતિથિઓ મહત્વની ભૂમિકા ભજવતા. બગડેલા જીવનને પાટા પર લાવવાનું કામ તેઓ કરતા. તેમની આજ્ઞા પાળવાનું કે તેમને દેવ માનવા પાછળની તેમની આ ભૂમિકા રહેલી છે. એક રીતે જોતાં તેઓ ઈન્ટરનલ ઓડિટર જેવા છે, જેઓ આપણી ભૂલ શોધીને આપણને દેખાડે છે અને તે કઈ રીતે સુધારવી તેનું માર્ગદર્શન આપે છે.

સતત મળતી નિષ્ફળતાઓથી હતાશ થયેલા જીવો સમક્ષ આ લોકો જઈને કહેતા કે ‘અરે, આમ માથે હાથ દઈને શું કામ બેઠો છે? કામ કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કદી નિષ્ફળ જતું નથી. તારી જાત પર અને ઈશ્વર પર ભરોસો રાખ. કામ કરતો જા અને પરમ શક્તિને હાક મારતો જા. મદદ તૈયાર છે.‘ નિરાશ જીવનમાં આશાનો પ્રાણ સંચાર થતો. વિશ્વને ચલાવનાર શક્તિ મારી જોડે છે. હું એકલો નથી. આ સમજને કારણે માણસોને જીવવાનું બળ મળતું. લોકોની પાસે બેસીને તેમની સમસ્યાને સહાનુભૂતિપૂર્વક સમજીને તેને નક્કર માર્ગદર્શન આપતા એ ભિક્ષુક બ્રાહ્મણોને લોકો ભૂદેવ કહીને સન્માન આપતા. ભૂદેવ એટલે પૃથ્વી પરના દેવ. અસંસ્કારી જીવન જીવતા લોકોને તેઓ સંસ્કારી બનાવતા અને નિરુત્સાહી જીવનમાં ઉત્સાહ રેડતા.

‘ચરૈવેતિ ચરૈવેતિ‘ નો મંત્ર લઈને સમાજ વચ્ચે સતત ભ્રમણ કરતા સાધુ સન્યાસીઓનો એક વર્ગ આપણે ત્યાં સક્રિય ભૂમિકા બજાવતો રહ્યો ત્યાં સુધી સમાજ સ્વસ્થ રહી શક્યો. એ પ્રથા તૂટી અને સમાજનું પતન થવા માંડ્યું. આચાર્યોના ચાતુર્માસ પાછળ પણ આ જ ભાવના હતી. તેનાથી સમાજના સમસ્યાગ્રસ્ત લોકોને જીવનનું માર્ગદર્શન મળતું. જ્ઞાન કદી બંધિયાર ન બનવું જોઈએ. આપણી તીર્થયાત્રા પણ વહેતી જ્ઞાનસરિતા હતી અને કુંભમેળા પણ આખું વરસ ચાલે એટલા લાંબા જ્ઞાનસત્રો હતા.

ફાધર વાલેસનો એક પ્રેરણાદાયી પ્રયોગ ઉલ્લેખનીય છે. નિવૃત્ત થયા પછી તેઓ જુદી જુદી ઝૂંપડપટ્ટીમાં જઈને રહેતા. ગરીબ શ્રમજીવીના ઘરે ઓછામાં ઓછી જરૂરિયાતથી સાધુની જેમ રહેતા. તેમની દિનચર્યા અને જીવનવ્યવહારને પ્રત્યક્ષ નિહાળીને લોકો તેમને અનુસરતા. ફાધર લોકોની સમસ્યાથી પરિચિત થતા. તેમના સુખ દુ:ખ સમજતા. પ્રેમથી તેમને ઉચિત સમજણ આપતા.

 જયાં સુધી વિદ્વાનો, શ્રીમંતો, વિચારકો, સજ્જનો સમાજાભિમુખ નહિ બને, અને સામાન્ય લોકો સાથે સંપર્ક કે સંબંધ ઊભો નહિ કરે ત્યાં સુધી સમાજ સમસ્યાગ્રસ્ત જ રહેવાનો. હવે સમય પાકી ગયો છે કોસેટામાંથી બહાર નીકળવાનો.

પ્ર. મિ.