પહેલાં માંગવુ અને માંગેલું મળે ત્યારે રડવું!

માણસના સુખ દુ:ખનું કારણ કેવળ મન જ છે, એમ આપણા પ્રાચીન તેમજ અર્વાચીન શાસ્ત્રકારો સમજાવતા આવ્યા છે. પણ આટલી નાનકડી વાત સ્વીકારવી બહુ અઘરી લાગે; ગીતા કહે છે કે ‘મન એવ મનુષ્યાણામ્ કારણમ્ બન્ધ મોક્ષયો:‘ સુખ આપે તેવી તમામ સગવડો અને દુર્લભ એવા ભૌતિક પદાર્થો મળ્યા પછી પણ દુ:ખી થવાનું કોઈ ને કોઈ કારણ માણસનું મન શોધી જ કાઢે છે! જે મળ્યું તેનો માણસને સંતોષ નથી અને નથી મળ્યું તેનો અફસોસ કરવા લાગી જાય છે. મનને વાળવું જોઈએ પણ તે પહેલાં એને સમજવું જરૂરી છે. એના લક્ષણો સમજાય તો તેનો કોઈ ઉપાય વિચારી શકાય.

પહેલાંના વખતમાં જમાઈને એક અતૃપ્ત જીવ તરીકે ઓળખવામાં આવતો. એની યોગ્ય અયોગ્ય તમામ જીદ પૂરી કરવાના સતત પ્રયાસો પછી પણ જમાઈરાજને કદી સંતોષ જ ન થાય. એક સદગૃહસ્થના વાડામાં ઉગેલા આંબા પર કેરીઓ આવી. સ્વાભાવિક રીતે મજૂરને બોલાવીને ટોપલો ભરી કેરી દીકરીના સાસરે પહોંચાડી. કેરી સ્વાદિષ્ટ હતી, સુમધુર હતી, પિયરની હતી એટલે દીકરી તો ખુશ થઈ જ ઉપરાંત ઘરના અન્ય સભ્યો પણ ખૂબ ખુશ થઈ ગયાં, એકમાત્ર જમાઈને વાંકું પડ્યું! સાનુકુળ પ્રતિભાવ સાંપડશે એમ સમજી દીકરીએ તો હરખભેર કેરીના વખાણ કર્યા અને તે મોકલવા બદલ પિતાનો આભાર માન્યો. પણ જમાઈ જેનું નામ! તેણે કહ્યું કે ‘એક ટોપલો ભરીને કેરી મોકલી તેમાં શું ધાડ મારી? મોકલી મોકલી ને એક જ ટોપલો કેરી!..‘ દીકરીનું મોઢું પડી ગયું. એને થયું કે આ વરસે કેરીનો પાક જ ઓછો થયો છે અને બજારમાં જે આવે છે તેના દામ પણ ઊંચા જ છે. એ સંજોગોમાં મજૂરી ખર્ચીને પણ પિતાજીએ આટલી સરસ કેરી મોકલાવી તેની કોઈ કદર જ નહીં?

બીજે વરસે, કેરીની સિઝન આવી ત્યારે સસરાજીએ દસ મણ કેરી દીકરીને ત્યાં મોકલી. આશા રાખી હતી કે આ વખતે તો જમાઈરાજને જરૂર સંતોષ થશે અને વાંક કાઢવાનું કોઈ કારણ મળશે નહીં. પણ જમાઈની ખોપરી અલગ જ હતી. એણે કહ્યું, ‘ઠીક છે, પણ આંબા પરની બાકીની કેરી તો એ લોકોએ જ ખાધી ને!‘ બીજી વખતે સસરાજીએ આંબા પર જેટલી કેરી આવી હતી તે તમામ કેરી દીકરીને ત્યાં મોકલી આપી. તોયે જમારાઈ તે જમાઈરાજ! એ દીકરીને કહે કે ‘તારો બાપ કેટલો બધો કંજુસ છે!‘ દીકરીને થયું કે હવે વળી શું ઓછું પડ્યું? જમાઈ કહે કે ‘આંબા પરની તમામ કેરી મોકલી તેથી શું થઈ ગયું, આંબાની માલિકી તો એમણે પોતાની પાસે જ રાખી ને!‘

માણસનું મન કદી ધરાતું જ નથી. એને કોઈ વાતનો ઓડકાર કદી આવતો જ નથી. જેમ ખાતો જાય તેમ તેની ભૂખ વધે ને વધારે ઉઘડતી જ જાય છે.

સુખી થવા માટે જરૂરી તેટલાં સાધન સામગ્રી મળ્યાં પછી બીજી એક પંચાત ઊભી થાય છે. તે એ કે ‘બીજાને મારા કરતાં વધારે કેમ મળ્યું?‘ બીજાનું સુખ માણસથી સહન થતું નથી. પરિણામે એને જે સુખ મળ્યું છે તે પણ એ ભોગવી શકતો નથી! ઈર્ષ્યાળુ અને અદેખા લોકો સુખના સાગર વચ્ચે પણ મનમાં ને મનમાં બળ્યા જ કરે છે. કેટલાક લોકો એનાથીયે આગળ જઈને એમ વિચારે છે કે મને જે મળ્યું તે પ્રાપ્ત કરવાની કોઈનામાં લાયકાત નથી. બીજાએ જે સિદ્ધિ મેળવી તે તો જાણે કે ગેરરીતિ કરીને મેળવી, યોગ્યતા ન હોવાથી અપ્રામાણિકતાથી મેળવી, કાળાંધોળાં કરીને મેળવી. તેનો સંતાપ તેને સતત પીડા આપતો રહે છે. અપાર સમૃદ્ધિ વચ્ચે પણ માણસ સુખ ચેનથી કેમ નથી જીવી શકતો તેનું આશ્ચર્ય છે.

સંસ્કૃતમાં એક સુભાષિત ભણાવાય છે કે અભાવ વચ્ચે, દરિદ્રતા વચ્ચે પણ મસ્તી અને ખુમારીથી જીવી શકાય છે. સર્પા: પિબન્તિ પવનમ્ ન ચ દુર્બલાસ્તે, શુષ્કૈ: તૃણૈ: વનગજા: બલીનો ભવન્તિ. કન્દૈ: ફલૈ: મુનિજના ક્ષપયન્તિ કાલમ્. સંતોષ એવ મનુષસ્ય પરમ્ નિધાનમ્. ચાર્લ્સ મેકેનું અતિપ્રસિદ્ધ કાવ્ય ‘મિલર ઓફ ડી‘ ઘણાંના ભણવામાં આવ્યું હશે. ડી નદીને કાંઠે અનાજ દળવાની ઘંટી ચલાવતો સામાન્ય ઘંટીવાળો વહેલી સવારથી સાંજ સુધી અનાજ દળવાનું કામ કરતો હતો. મસ્તીથી ગાતો હતો કે I envy nobody – no, not I – And nobody envies me!’ હું કોઈની અદેખાઈ કરતો નથી અને કોઈ મારી અદેખાઈ કરતું નથી. પણ મજાની વાત એ બને છે કે રાજાને તેની અદેખાઈ આવે છે. રાજા વિચારે છે કે આટલી સમૃદ્ધિ વચ્ચે પણ હું ઉદાસ રહું છું. મને ચેન નથી. હું તારી જેમ મોટેથી, મસ્તીથી ગાઈ શકતો નથી. મારા કરતાં તો તું વધારે સુખી છે. લોટથી મેલી થયેલી તારી ટોપી મારા સુવર્ણમુગટથી વધારે મૂલ્યવાન છે.

ઘંટીવાળો કહે છે કે હું આત્મનિર્ભર છું. ડી નદી મારી ઘંટી ફેરવે છે, અને તેનાથી મારા કુટુંબનું પોષણ કરું છું. મારો રોટલો હું જાતે રળું છું. હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું. મારે માથે કોઈ દેવું નથી. રાજા શાણો છે તે કહે છે કે તારા જેવો માણસ એ મારા ઈંગ્લેન્ડનું ગૌરવ છે, હું તને શુભેચ્છા પાઠવું છું કે તું સુખી જ રહે.; પણ મહેરબાની કરીને એવું ગાતો નહીં કે તારી અદેખાઈ કરવાવાળું કોઈ જ નથી!

ભગવદ ગીતા કહે છે કે ‘શરીરમ્ યદવાપ્નોતિ યત્ ચાપિ ઉત્ક્રામતીશ્વર:, ગૃહીત્વા એતાનિ સંયાતિ વાયુ: ગન્ધાનિવાશયાત્.- જીવ જ્યારે આ દેહ છોડી જાય છે ત્યારે (વાયુ જેમ ગંધને તેના એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જાય છે તેમ) મન સહિત સૌ ઇન્દ્રિયોને પોતાની સાથે લઈ જાય છે. જન્મજન્માંતરથી મન જીવાત્માની સાથે જ ફરતું રહે છે. એક જન્મમાં કરેલી ઈચ્છા તેના મનમાં સચવાઈ પડેલી હોય છે અને કર્મફળ પાકતાં કે યોગ્ય સ્થિતિ સંજોગો પ્રાપ્ત થતાં તે ઈચ્છા સાકાર થાય છે. જ્યારે ઈચ્છા કરી હતી ત્યારે જે સુખદ જણાતું હતું તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દુ:ખનું કારણ બની જાય છે. માણસ ઘણીવાર ફરિયાદ કરે છે કે આવું દુ:ખ મને જ કેમ, પણ એને ખબર નથી હોતી કે આપણને જે સુખ અને દુ:ખ મળે છે તે તો એક સમયે એણે પોતે જ માંગ્યું હતું.

નોકરી દરમિયાન, એક સમયે આપણા સંજોગોને અનુરૂપ આપણે જ રિક્વેસ્ટ ટ્રાન્સ્ફર માંગી હોય છે. પણ તે સમયે ન થઈ હોય. વર્ષો પછી નિયમો બદલાય, બદલીનું ચક્કર ચાલવા માંડે અને જૂના રેકોર્ડને આધારે આપણે માંગેલા સ્થળે જવાનો ઓર્ડર નીકળે ત્યારે આપણને તે સજા લાગે છે!

નગરમાં એક નવી સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું હતું. મકાન માટે પાયા ખોદનારા, કડિયાકામ કરનારા શ્રમજીવીઓ કામ કરતા હતા તે બાજુની સોસાયટીના બંગલાવાસીઓ જોયા કરે. મજૂર અને મજૂરણ ભારે અગવડ વચ્ચે પણ ખિલખિલાટ કરતાં, મસ્તી કરતા કામ કરતાં રહે છે. તેમનું નાનું બાળક ઝાડની ડાળીએ કે લાકડાના ખૂંટાથી બનાવેલા કામચલાઉ ઘોડિયામાં સૂતું હોય. એ રડતું હોય તો મજૂરણ વચ્ચે વચ્ચે આંટો મારીને ઝુલાવી આવે છે. બાળકને પણ લાગે છે કે મા મારી જોડે જ છે. તેને હૂંફ મળે છે. તે નિશ્ચિંત થઈ ઊંઘી જાય છે. બપોરે રિસેસ સમયે મજૂર દંપતિ જમવા બેસે છે. પતિ જાહેર નળ પરથી પાણી ભરી લાવે છે. પત્ની રોટલો શાક કાઢે છે. બંને જણાં અતિ આનંદથી ભોજન આરોગે છે. એકમેક વચ્ચે પ્રેમાગ્રહથી ‘તું ખા, નહીં તું ખા!‘ નો ભાવભર્યો સંવાદ ચાલે છે. નજીકમાં જ સાદડી પર બાળકને સુવાડ્યું હોય છે. તે પણ હાથપગ ઉછાળતું રમી રહ્યું છે. આ મનોરમ્ય દૃશ્ય બંગલાવાસીઓ એકીટસે જોયા કરે છે. તેમના મનમાં ઈચ્છા નિર્માણ થાય છે કે, ‘આનું નામ જિંદગી કહેવાય!‘ ભગવાને તથાસ્તુ કહ્યું હોય કે ન પણ કહ્યું હોય, પણ અર્ધજાગૃત મન આ ઈચ્છાને પકડી રાખે છે અને હવે પછીના આવનારા સમયમાં કે જન્મારામાં એ ઈચ્છા ફળિભુત થાય છે ત્યારે માણસ ફરિયાદ કરે છે કે મને આવી સજા કેમ?!

પ્ર. મિ.

31/12/2022

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s