માંગો તે મળશે! શોધો તે જડશે!

આપણા લોકોમાં એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે ‘માંગ્યા વિના તો મા પણ ના પીરસે!‘ એકે કહ્યું, બીજાએ કહ્યું અને વાત આગળ વધતી ગઈ. કોઈ માએ પણ એનો વિરોધ કરવાની હિંમત ના બતાવી. દરેક માતાએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ છે કે શું કથન સંપૂર્ણ સાચું છે? આપણો બધાંનો અનુભવ તો એમ કહે છે કે આ જગતમાં મા અને ઈશ્વર એ બે જ એવાં છે કે જે માગ્યા વગર પણ આપે જ છે! એનાથી વિપરીત ઘણીવાર તો માંગી માંગીને થાકી જઈએ તો પણ આપતા નથી. બાળકનો અને ભક્તોનો તો સ્વભાવ હોય માંગ માંગ કરવાનો એટલે માંગે, પણ મા અને ઈશ્વર બહુ સારી રીતે સમજે છે કે બાળકનું/ભક્તનું કલ્યાણ શેમાં છે. એને કઈ વસ્તુની ખરી જરૂર ક્યારે છે અને કેટલી છે; તે મુજબ યોગ્ય સમયે, યોગ્ય વસ્તુ, યોગ્ય માત્રામાં આપે છે. આ તેમનો સ્વભાવ છે. મા અને ઈશ્વર એ બંને જવાબદાર સરકાર જેવાં છે. જ્યારે માણસની ઈચ્છાઓ વિરોધ પક્ષ જેવી છે! વિરોધપક્ષોનું કામ છે લોકોમાં ઈચ્છા અને અસંતોષ જગાડવાનું, લીડરશીપ લઈને સરકાર સામે માંગણી કરવાનું, પણ કોઈ સરકાર માંગતાંની સાથે જ કોઈ સગવડ આપી દેતી નથી.

માંગેલી તમામ વસ્તુ મા નથી આપી દેતી. બાળકની જરૂરિયાત કોઈ મા તાત્કાલિક નથી સંતોષી દેતી. બાળકની માંગણી પર તે ગંભીરતાથી વિચાર કરે છે અને આશ્વાસન આપે છે કે હું તારી ઈચ્છા સંતોષવાનો પ્રામાણિક પ્રયત્ન જરૂર કરીશ પણ તેને માટે વાર લાગશે. કેટલી વાર લાગશે તે ખબર નહીં, પણ તને એ મળશે જરૂર. દીકરા તું મોટો થા પછી તને પરણાવીશ! બાળક છે એટલે એ માંગે તો ખરું જ, પણ એની તમામ માંગણી સ્વીકારવા જેવી નથી હોતી; એમ કરવા જાય તો એ બાળક માટે જ હાનિકારક નીવડવાની પૂરી શક્યતા હોય. કેટલીક માંગણીઓ અણસમજમાં પણ કરેલી હોય. સરકાર પણ વિવિધ સમુદાયની માંગણીઓ પર સહાનુભૂતિથી વિચારવાની ખાતરી આપે છે. પૂરેપૂરી તમામ માંગણી સંતોષી શકતી નથી તેથી નેતાઓ જરૂર કરતા વધારે જ માગણી મૂકે છે જેથી કાપકૂપને અંતે જરૂરી મુદ્દા પર સમાધાન થાય. ભગવાન પણ માંગતાંની સાથે જ કોઈને કંઈ આપી દેતા નથી. હરજીની મરજી પડે ત્યારે તે આપણી અરજી પર નજર કરે. એની સામે આંદોલન કરી શકાતું નથી.

એક એવી વિચારધારા પણ સમાજમાં ચાલી રહેલી છે કે માંગવામાં જાય શું? માગણી કર્યા વિના કોઈને ખબર કેમ પડે કે આપણને શું જોઈએ છે. સરકારી કર્મચારીઓનો તો અનુભવ રહ્યો છે કે વાજબી માંગણી સંતોષવામાં પણ સરકાર આનાકાની કરે છે. છેવટે હડતાળનું શસ્ત્ર અજમાવવું પડે છે. નાક દબાવીએ તો મોઢું ખૂલે જ! કર્મચારીઓ અસહકાર કરીને તંત્રોની કામગીરી ખોરવી નાંખે, જાહેર જનતા અટવાય અને સરકાર પર દબાણ વધે, પરિણામે સરકાર ઢીલી પડે અને અનિચ્છાએ પણ માગણી સ્વીકારે. બાળકો પણ ઘણીવાર જીદ્દ પર ઊતરે છે, મા બાપનું ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરે છે અને બાળકને શાંત કરવા માટે માવતરે નાછૂટકે કેટલીક વસ્તુ લગાડી મૂકવી પડે છે! પણ પછી માણસ નજરમાંથી ઊતરી જાય છે. તેના પ્રત્યેનો ભાવ ઘટી જાય છે.

પણ આપણે વાત સુખ અને દુ:ખ વિશે કરતા હતા. તમામ અપેક્ષાઓ સંતોષાયા પછી પણ માણસને સુખ નથી મળતું તેનું શું? ભૌતિક પદાર્થો માણસને સુખની ગેરંટી નથી આપતા. આપણી એક ગેરસમજ એવી છે કે પૈસા, પ્રતિષ્ઠા અને પદ માણસને સુખ આપે છે. ઘણા સંપત્તિવાનો માટે તેમની સંપત્તિ જ દુ:ખનું કારણ બનતી હોય છે. હોદ્દો પણ કાંટાળો તાજ બની રહેતો હોય છે. પ્રતિષ્ઠાથી હૈયાની વેદના શાંત નથી થતી. લગ્ન કરીશ તો સુખી થઈશ એવી ધારણા બાંધી હોય છે, પણ ઘણા કિસ્સામાં લગ્ન જ દુ:ખનું કારણ બની જાય છે. ઈચ્છિત વ્યક્તિ જોડે લગ્ન કરીને હું સુખી થઈશ એમ માનતા હોઈએ અને લગ્ન પછી તે પ્રિયપાત્ર તરફથી જ વધારે સંતાપ ભોગવવો પડે એમ બની શકે. દંપતિને સંતાન માટે આરત હોય. શેર માટીની ખોટ સતત પીડા આપતી હોય, તેને માટે તમામ પ્રયત્નો દિલ રેડીને કર્યા હોય, પણ એ શેર માટી જ મગજની પાંચશેરી બની જતી હોય એવું પણ જોવા મળે છે. તો પછી સુખ મેળવવાનો ઉપાય શો? કુંવારો કોડે મરે અને પરણેલો પીડા ભોગવે! હોય તોયે દુ:ખ અને ન હોય તોયે દુ:ખ!

સુખ અને દુ:ખ આપણા મનમાં જ પડ્યા છે. મન જો સમજતું હોય તો અભાવો વચ્ચે પણ માણસ આનંદથી જીવતો હોય છે મન ન સમજતું હોય તો જગતભરની સમૃદ્ધિ વચ્ચે પણ માણસની અકળામણનો પાર નથી હોતો. બધો આઘાર મન પર છે. આપણા ધર્મશાસ્ત્રો હંમેશાં મનને ઓળખવાની અને મનને સમજાવવાની વાત કરે છે. વિવિધ યુક્તિઓ દ્વારા મનને શિક્ષણ આપવાનું સૂચવે છે. વ્રત ઉપવાસ દ્વારા મનગમતી વસ્તુઓ વગર ચલાવી લેવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રમશ: વસ્તુની જરૂરિયાત ઓછી કરતા જઈ છેવટે વસ્તુ વિના પણ જીવન સારી રીતે ચાલે છે એનો સ્વીકાર મન કરે છે. જીવનને ઉન્નત બનાવનારા સદવિચારોનો નિયમિત ડોઝ આપવામાં આવે છે. તેનું સાતત્ય રાખવાનું સૂચવે છે. પરિણામે મન પલોટાય છે અને સદવિચારોનું રૂપાંતર સદવૃત્તિમાં થાય છે. ત્યાર પછીનું પગથિયું તે સદપ્રવૃત્તિનું છે. વૈદિક સંસ્કૃતિનો એક મંત્ર છે, ‘સમાનિ વ આકૂતિ: સમાના હૃદયાનિ વ:‘ સદવિચારો અને સદવૃત્તિ ધરાવનાર લોકોનો એક સમુદાય બને. એ સમુદાય વિસ્તાર પામતો રહે તો સમગ્ર સમાજ સુખી થાય, સમગ્ર સમાજ પ્રગતિ કરે. સહનાવવતુ સહ નૌ ભુનક્તુ, સહ વીર્યમ્ કરવાવહૈ. તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. પછી ત્રણે પ્રકારની (આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક) શાંતિનો અનુભવ દરેકને પ્રાપ્ત થાય.

મનનું એ લક્ષણ રહ્યું છે કે એને જે જોઈએ તે એ મેળવે જ છે. મન અત્યંત શક્તિશાળી છે. જાગૃત મન કરતા અજાગૃત મનનો હિસ્સો ઘણો મોટો છે. લો ઓફ એટ્રેકશન મુજબ મન જેનું સતત ચિંતન કરે છે તે વસ્તુ કે તે પરિસ્થિતિ તે પ્રાપ્ત કરી જ લે છે. વાસનાનું ચિંતન સતત ચાલતું રહે તો એ વાસના સંતોષાય એ પરિસ્થિતિ જીવ માટે નિર્માણ કરશે અને વાસુદેવનું ચિંતન કરવાની ટેવ પાડી હશે તો વાદુદેવનું મિલન કરાવશે. ગુગલ સર્ચમાં એક વખત આપણી પસંદગીના વિષય બાબતે કંઈ સર્ચ કર્યું હોય તો બીજીવાર સર્ચ કરતી વખતે તે વિષય પરની ઢગલેબંધ માહિતીનો ખડકલો આપણી સમક્ષ કરે છે. શું સર્ચ કરવાનું તે આપણા સંસ્કાર અને ધ્યેય પર આધાર રાખે છે. મન પાસે આપણે સુખ શોધીશું તો સુખની અઢળક સામગ્રી ઠાલવશે; દુ:ખ શોધીશું તો ડૂબી જઈએ એવડો મોટો દરિયો આપણી સામે મૂકી દેશે. આપણને શું જોઈએ છે, સુખ કે દુ:ખ? ભુક્તિ કે મુક્તિ? વાસના કે વાસુદેવ?

પ્ર.મિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s