સાહિયત્યરત્ન શ્રી ભગવતીકુમાર શર્માજીને ૨૦૧૧ના વર્ષનો ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ‘ ગુજરાતરાજ્ય સરકાર દ્વારા બીજી ફેબ્રુઆરીના રોજ સુરતનાં સાહિત્યપ્રેમીઓની હાજરીમાં રાજ્યનાં રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિના મંત્રી ફકીરભાઇ વાઘેલાનાં હસ્તે અર્પણ થયો. આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા વપરાયેલી ભાષાનું સ્તર અપેક્ષા મુજબનું નહોતું એવી જાહેર ચર્ચા આ વિભાગમાં થઈ તે વાંચીને આનંદ થયો. ઉપસ્થિત શ્રોતાગણની જાગરૂકતા પ્રત્યે માન ઉપજ્યું. એવૉર્ડ જ્યારે સરકાર તરફથી અપાતો હોય ત્યારે સરકારના હોદ્દેદારના હાથે જ અપાય તે સમજી શકાય તેવી બાબત છે, પણ રાજકારણીઓ બધા સાહિત્યપ્રેમીઓ નથી હોતા એટલે એમની પાસેથી ગૌરવવંતી ભાષાની આશા રાખવી વધારે પડતી છે. આપણે સમજી શકીએ કે, મંત્રીશ્રીને મુ. ભગવતીભાઈ પ્રત્યે સ્નેહાદરની ભાવના હોય તો પણ એક સાહિત્યસભામાં બોલવા માટેની પાત્રતા એમની ભાષામાં નહોતી..
પ્રસ્તુત ઘટનાએ જુદી દિશામાં વિચાર કરવાની પ્રેરણા આપી. કોઈ પણ જાહેર કાર્યક્રમનું જ્યારે આયોજન થાય ત્યારે સંબંધિત લોકોએ જે તે લાગતા વળગતા ક્ષેત્રના વ્યક્તિવિશેષોને જ મુખ્ય મહેમાન તરીકે આમંત્રવા જોઈએ. દા.ત.કોઈ નિશાળ કે કૉલેજ જેવા વિદ્યાધામોમાં પ્રસંગ હોય ત્યારે શિક્ષણજગત સાથે સંકળાયેલા મહાનુભાવો પૈકી કોઈને બોલાવવા જોઈએ, દવાખાના, ઈસ્પિતાલ જેવી સંસ્થાના ઉદ્ ઘાટન પ્રસંગે જાણીતા તબીબોને બોલાવવા જોઈએ. ખેડૂતોની સભામાં કોઈ સાહિત્યકાર કે ધાર્મિક અગ્રણીને બોલાવવાથી તેમને ખેતી વિષય પર બોલવામાં તકલીફ થશે, તો વળી તેમના વક્તવ્યમાંથી ખેડૂતોને ખેતી વિષે કોઈ માર્ગદર્શન મળતું નથી. જાણીતી હસ્તીને જરૂર બોલાવીએ પણ તે સંબંધિત વિષયની જાણકાર હોય તો તે હોંશથી બોલશે, તેમનું વક્તવ્ય ખીલી ઉઠશે અને તેમના જ્ઞાન- અનુભવનો લાભ શ્રોતાઓને તેમના ક્ષેત્રમાં ઉપયોગી નીવડશે.. એટલી વાત સાચી, કે સરકારી તંત્રો પાસેથી કોઈ સગવડ કે આર્થિક લાભની ગણતરી રાખી હોય તેવા લાભો એમની પાસેથી નહિ મળે, પણ કીંમતી માર્ગદર્શન અને યોગ્ય સંસ્થા દ્વારા યોગ્ય વ્યકંતિને સન્માન તો જરૂર મળે જ મળે.
પરભુભાઈ એસ. મિસ્ત્રી
૫૪, શ્રી રામનગર સોસાયટી,
કબીલપોર, નવસારી