રામચરિતમાનસમાં બહુ ઓછા શબ્દોમાં તુલસીજીએ ગહન વાતો કહી દીધી છે. નવસારીની રામકથા સાંભળતાં સાંભળતાં મારું મન અયોધ્યામાં જ રોકાઈ ગયું. એવું કેમ? તેની વાત કરવા જઈ રહ્યો છું.

સ્વ. મુકેશે ગાયેલી રામકથાના શબ્દો અને તર્જ મને બરાબર યાદ છે. વર્ષો પહેલાં મોરારિબાપુએ કહેલા શબ્દો પણ યાદ છે. તે સાથે અન્ય જગ્યાએ અન્ય વિદ્વાનોની વાંચેલી – સાંભળેલી વાત પણ માનસપટ પર જેમની તેમ અંકિત થયેલી છે. એ તમામ બાબતોએ મને અયોધ્યાના રાજમહેલની ઘટના આગળ રોકાઈ જવાની ફરજ પાડી.

તુલસીજીએ એ પ્રસંગનું વર્ણન ચોપાઈમાં કર્યું છે તે મુજબ:

बिस्वामित्र महामुनि ज्ञानी। बसहिं बिपीन सुभ आश्रम जानी।।

जहँ जप जग्य जोग मुनि करहीं। अति मारीच सुबाहुहि डरहीं।।

देखत जग्य निसाचर धावहिं। करहिं उपद्रव मुनि दु:ख पावहिं।।

गाधितनय मन चिंता ब्यापी। हरि बिनु मरहिं न निसिचर पापी।।

तब मुनिबर मन कीन्ह बिचारा। प्रभु अवतरेउ हरन महि भारा।.

एहूँ मिस देखौं पद जाई। करि बिनती आनौं दोउ भाई।।

ग्यान बिराग सकल गुन अयना। सो प्रभु मैं देखब भरि नयना।.

दोहरोo

बहुबिधि करत मनोरथ जात लागि नहीं बार।

करि मज्जन सरऊजल गये भूप दरबार।।

मुनि आगमन सुना जब राजा। मिलन गयेउ लै बिप्र समाजा।।

करि दंडवत मुनिहि सनमानी। निज आसन बैठारेन्हि आनी।।

चरन पखारि कीन्हि अति पूजा। मो सम आजु धन्य नहीं दूजा।।

बिबिध भाँति भोजन करवावा। मुनिबर हृदयँ हरष अति पावा।.

पुनि चरननि मेले सुत चारि। राम देखि मुनि देह बिसारी।.

भये मगन देखत मुख सोभा। जनु चकोर पूरन ससि लोभा।।

तब मन हरषि बचन कह राऊ। मुनि अस कृपा कीन्हिहु काऊ।।

कोहि कारन आगमन तुम्हारा। कहहु सो करत न लावउँ बारा।.

असुर समूह सतावहिं मोही। में जाचन आयउँ नृप तोही।.

अनुज समेत देहु रघुनाथा। निसिचर बध मैं होब सनाथा।

दोहरोo

देहु भूप मन हरषित तजहु मोह अग्यान।

धर्म सुजस प्रभु तुम्ह कौं ईन्ह कहँ अति कल्यान।

सुनि राजा अति अप्रिय बानी। हृदयँ कंप मुख दुति कुमुलानि।।

चौथेपन पाउं सुत चारि। बिप्र बचन नहिं कहेकु बिचारी।।

मागहु भूमि धेनु धन कोसा। सर्बस देउँ आजु सहरोसा।।

देह प्रान तें प्रिय कछु नाहीं। सोउ मुनि देउँ निमिष एक माहीं।

सब सुत प्रिय मोहि प्रान की नाईं। राम देत नहीं बनई गोंसाईं।.

कहँ निसिचर अति घोर कठोरा। कहँ सुंदर सुत परम किसोरा।।

सुनि नृप गिरा प्रेम रस सानी। हृदयँ हरष माना मुनि ग्यानी।।

तब बसिष्ठ बहुबिधि समुझावा। नृप संदेह नास कहँ पावा।।

બસ, વાત આટલી જ છે.

રામકથા સાંભળનારા ભાવિક મિત્રોને એ ચોપાઈનું ગુજરાતી ભાષાંતર લખીને સમજાવું તો તે ઘોર અપમાન લાગશે. રામકથા પ્રેમીઓને આ ચોપાઈનો અર્થ ખબર જ હશે. હોવો જ જોઈએ.

એટલી અપેક્ષા તો સહેજે રાખી શકાય.

આવડા પ્રસંગમાં મારું મન કેમ ચોંટી ગયું, તે વાત હવે પછી.

પ્ર. મિ.

સમષ્ટિના કલ્યાણના મુદ્દે પરસ્પર વિરોધી મહાપુરુષો એક થઈ ગયા!

————- ——— ———- ———- ——-

વીસમી સદીમાં મૂડીવાદી વિચારસરણી અને સામ્યવાદી વિચારસરણીનો ઝગડો ચરમ સીમાએ પહોંચ્યો હતો. વિશ્વ બે છાવણીમાં વહેંચાઈ ગયું હતું. બંને છાવણીઓ વચ્ચે દાયકાઓ સુધી શીતયુદ્ધ ચાલતું રહ્યું બિલકુલ એની યાદ અપાવે તેવો પ્રસંગ વૈદિક કાળમાં બ્રહ્મર્ષિ વસિષ્ઠજી અને રાજર્ષિ વિશ્વામિત્રજી સંબંધે બન્યો હતો એવું વિદ્વાનો નોંધે છે.

વસિષ્ઠજી બ્રહ્મતેજના પ્રતીક હતા તો વિશ્વામિત્રજી ક્ષાત્રતેજના પ્રતીક. કઈ સંસ્થા ચડે, ક્ષત્રિયોની રાજસત્તા કે તત્ત્વજ્ઞાનીઓની ધર્મસત્તા? કોનો પ્રભાવ વધારે? એક ઘટના એવી બની ગઈ કે વિશ્વામિત્રનું ક્ષાત્રતેજ વસિષ્ઠજીની આગળ ઝાંખુ પડી ગયું.

બ્રહ્મર્ષિ વસિષ્ઠજીના આશ્રમમાં મહેમાન બનેલા રાજર્ષિ વિશ્વામિત્રે નંદિની ગાયનું અપહરણ કરવાની કોશિષ કરી અને તેમાં તેમનો પરાભવ થયો. તેઓ લજ્જિત થયા. તેમને રાજર્ષિ હોવું મિથ્યા લાગ્યું. જો બ્રહ્મતેજ આટલું પ્રભાવી હોય કે તેની સમક્ષ ક્ષાત્રતેજ પાણી ભરે, તો મારે રાજર્ષિ નહીં, પણ બ્રહ્મર્ષિ જ બનવું જોઈએ.

માણસની વૃત્તિ બદલવી સહેલી નથી. ક્યાં ક્ષત્રિયોનો ગુસ્સો અને ક્યાં બ્રાહ્મણોનો શાંત સ્વભાવ? એકનું લોહી ધગધગતું, ગરમ અને બીજાંનું એકદમ ઠંડુ! માણસ પ્રયત્ન કરે તો યે બદલાઈ બદલાઈને કેટલો બદલાય? પણ વિશ્વામિત્ર જેનું નામ. સ્વભાવ બદલવા માટે એમણે ઘોર તપસ્યા કરી. વૃત્તિ બદલી નાંખી. પૂરેપૂરા જિન્સ બદલાઈ ગયા. તેમણે હવે બ્રહ્મર્ષિની લાયકાત પ્રાપ્ત કરી. સૌ એને બ્રહ્મર્ષિ તરીકે ઓળખવા લાગ્યા, પણ છેલ્લી એક કસોટી બાકી હતી! ખુદ વસિષ્ઠજી બ્રહ્મર્ષિનું પ્રમાણપત્ર આપે તો જ વિશ્વામિત્રજીનું બ્રહ્મર્ષિ પદ સાચું. અને તેઓ તો એમને હંમેશાં ‘રાજર્ષિ’ કહીને જ સંબોધન કરતા. વિશ્વામિત્રજીને એ હંમેશાં ખૂંચતું. હૃદયમાં સખત પીડા થતી. આ એક પરીક્ષા જ હતી તે તેમને સમજાયું નહીં. મૂળ ક્ષત્રિય લોહી ઉછાળો મારી આવતું અને વસિષ્ઠ સામે બદલો લેવાની વૃત્તિ જોર કરી ઊઠતી. એકવાર તો વસિષ્ઠજીનો કાંટો કાઢી નાખવા ખંજર લઈને ચોરી છૂપીથી એમની મઢૂલીમાં તેઓ સંતાયા. ચૈત્રની ચાંદની રાત્રિમાં વસિષ્ઠજી અને અરુંધતી આકાશ દર્શન કરતાં કરતાં જ્ઞાનવાર્તા કરી રહ્યા હતા. દરમિયાન અરુંધતીએ પતિદેવને પ્રશ્ન પૂછ્યો કે ‘ચંદ્રની આ શીતળ ચાંદની ધરતી પર અમૃત વરસાવી રહી છે. એને ઉપમા આપવી હોય તો કોની આપી શકાય?’ વસિષ્ઠજીએ બિલકુલ સહજતાથી ઉત્તર આપ્યો કે ‘બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના તપની જ ઉપમા આપી શકાય.’

મઢૂલીમાંથી એકાએક ‘ખડિન્ગ‘ કરતો અવાજ આવ્યો. અને એ બંને જણાં ચોંકી ઊઠ્યા. મધરાતે મઢૂલીમાંથી આવો અવાજ?

વસિષ્ઠજીએ વિશ્વામિત્રજીને પ્રગટપણે ક્યારેય બ્રહ્મર્ષિ કહ્યા ન હતા. આજે પત્ની અરુંધતી સામે કોઈ જાતના સંકોચ અને બનાવટ વિના પોતાને માટે તેમણે ‘બ્રહ્મર્ષિ’ વિશેષણ વાપર્યું; એટલું જ નહીં એમની તપસ્યાને મધ્યાકાશેથી પૃથ્વી પર અમૃત રેલાવનાર શીતળ ચાંદની સાથે સરખાવી! તે સાંભળીને તેમના હાથમાંથી ખંજર ફરકી પડ્યું. તેઓ કેવા બદઈરાદાથી અહીં આવ્યા હતા, તેનો પશ્ચાતાપ થયો. જઈને તરત વસિષ્ઠના ચરણોમાં પડ્યા અને રડતાં રડતાં, આંસુઓ વડે તેમણે વસિષ્ઠજીના ચરણો ધોયા. હાથ જોડી તેઓ વિનવવા લાગ્યા કે મને માફ કરો. વસિષ્ઠજીએ વાંકા વળીને તેમના બંને બાવડાં પકડીને ઊઠાડ્યા અને પૂછ્યું કે ‘બ્રહ્મર્ષિ, તમે આ શું કરો છો? તમે રડો નહીં.’

વિશ્વામિત્રમાં બાકી રહી ગયેલા રજોગુણનો પણ આજે નાશ થયો. પછી તો બ્રહ્મર્ષિ વિશ્વામિત્રજીના ઘણાં બધા પ્રદાનની નોંધ વૈદિક સાહિત્યમાં વાંચવા મળે છે. એક વખતના કટ્ટર શત્રુઓનું આજે અયોધ્યાના રાજદરબારમાં જુદા જ કારણે પુનર્મિલન થયું.

ગાધિતનય વિશ્વામિત્રજીએ શસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કર્યો અને શસ્ત્રો છોડી શાસ્ત્રો તરફ વળ્યા. તમામ શસ્ત્રો વાપરવાની કુશળતા હોવા છતાં શસ્ત્રો હાથમાં નહીં લેવાના અને તમામ શસ્ત્રવિદ્યાઓના જ્ઞાતા હોવા છતાં તે નહીં વાપરવાનું જીવનવ્રત પાળતા થયા. તેઓ યોગ યજ્ઞ કરતા હતા ત્યાં અસુરો આવીને વિઘ્નો પેદા કરતા હતા. મુનિની અકળામણનો પાર નહોતો. રાવણ એક વૈશ્વિક આતંકવાદી હતો. વિશ્વભરમાં તેના થાણાં હતા. અકળામણ વચ્ચે એમને જાણવા મળ્યું કે અસુરોના નાશ માટે પ્રભુએ અયોધ્યાનરેશ દશરથજીને ત્યાં અવતાર લીધો છે. ક્ષણભર વિચાર પણ આવી ગયો કે બ્રહ્મને પામવા માટે હું ક્ષત્રિય મટીને બ્રહ્મર્ષિ થયો ત્યારે બ્રહ્મ પોતે ક્ષત્રિયકુળમાં અવતર્યા. અજબ લીલા છે ભગવાનની!

જો પ્રભુએ ખરેખર અવતાર લીધો હોય તો હું તેમના દર્શન કરી આવું. નિર્ગુણ બ્રહ્મે સગુણ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એમની બાળલીલા નિહાળીને મારા નયનો અને અંતરની પિપાસા શાંત કરું. યજ્ઞના રક્ષણ માટે તેમને મારી પાસે લઈ આવું. મારી પાસે જે દિવ્ય શસ્ત્રો અને તેને ચલાવવાની જે વિદ્યા છે તે હવે મારા કામની રહી નથી. તો કિશોરવયના રામને એ સઘળું સમર્પિત કરી એમના અવતારી કૃત્યમાં સહભાગી પણ થાઉં. બધી યોજના ગોઠવીને તેઓ અયોધ્યા આવ્યા.

રાજદરબારમાં એમનું ભવ્ય સ્વાગત થયું. આ બધી વાત ચોપાઈમાં છે જ.

तब मन हरषि बचन कह राऊ। मुनि अस कृपा कीन्हिहु काऊ।।

कोहि कारन आगमन तुम्हारा। कहहु सो करत न लावउँ बारा।.

असुर समूह सतावहिं मोही। में जाचन आयउँ नृप तोही।.

अनुज समेत देहु रघुनाथा। निसिचर बध मैं होब सनाथा।

મુનિએ રામ-લક્ષ્મણની યાચના કરી અને રાજાના ચહેરા પરથી લોહી ઊડી ગયું. જીવનની ઉત્તરાવસ્થામાં પ્રાપ્ત થયેલા સંતાનો રાજાને જીવ કરતા વહાલા છે.

सुनि राजा अति अप्रिय बानी। हृदयँ कंप मुख दुति कुमुलानि।।

चौथेपन पाउं सुत चारि। बिप्र बचन नहिं कहेकु बिचारी।।

‘હે બ્રાહ્મણ, તમે વિચાર કરીને માગ્યું નથી!’ ઘડી પહેલાંના મુનિવર સામાન્ય બ્રાહ્મણ બની ગયા. રાજાના મનમાંથી ઊતરી ગયા. મોરારિબાપુએ વર્ષો પહેલાં સમજાવેલું કે જેવી યાચના કરો કે તરત જ તમારું માન ઘટી જાય! યજમાનના મનમાંથી તમે ઊતરી જાઓ. વિશ્વામિત્રજી પોતાને માટે કંઈ માંગવા નહોતા ગયા. સૃષ્ટિના કલ્યાણ માટે, વૈદિક સંસ્કૃતિના જતન માટે યજ્ઞીય કાર્યમાં સહાય માંગી રહ્યા હતા. વિશ્વામિત્રની યોજના તેઓ સમજી શક્યા નહીં. પણ બાપ એ આખરે બાપ હોય છે. પોતાનો દીકરો ગમે તેટલો સમર્થ હોય તો પણ બાપને મન તે સગીર વયનો અને કોમળ જ લાગે! પછી તે દીકરો સ્વયં બ્રહ્મ કેમ ન હોય!

દશરથજીને લાગ્યું કે વસિષ્ઠજી મારી સ્થિતિ સમજશે અને મારા નિર્ણયનું સમર્થન કરશે. વળી પૂર્વાશ્રમમાં તેઓ પ્રતિદ્વન્દી પણ રહી ચૂક્યા છે. બહુ આશાભેર તેમણે વસિષ્ઠજીનું માર્ગદર્શન માંગ્યું. વસિષ્ઠજીની વાણી સાંભળીને રાજાને ઘોર નિરાશા મળી. સુપ્રિમકોર્ટનો ચુકાદો પણ તેમની તરફેણમાં ન આવ્યો! વસિષ્ઠજીએ સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું કે ‘યજ્ઞથી પ્રાપ્ત થયેલા પુત્રોને યજ્ઞની રક્ષા કરવા માટે મોકલવા એ તમારી ફરજ છે! તમે આનાકાની કરો તે ન ચાલે.‘

હવે રાજા શું બોલે?

છાતી પર પથ્થર મૂકીને રાજાએ પોતાના પ્રાણ સમાન બંને પુત્રો મુનિ વિશ્વામિત્રને સોંપ્યા. મહાભારતના કર્ણ રાજાએ કવચ અને કુંડળનું દાન આપતી વખતે જે વેદના અનુભવી હશે તેની તો અહીં કોઈ વિસાત જ નથી. વિશ્વામિત્ર અને વસિષ્ઠ એટલે તે સમયની જાણે બે મહાસત્તાઓ. રાવણના ઉત્પાતથી માનવસમાજ અને માનવ સંસ્કૃતિને બચાવવા માટે તત્કાલીન સાત્વિક પુરુષોએ જે ગુપ્ત યોજનાઓ ઘડી અને તેને સાંગોપાંગ પાર પાડી ત્યારે રામાયણ રચાયું. હજારો વરસોથી વિશ્વના લોકો જે ‘રામરાજ્ય‘ અર્થાત ‘કલ્યાણરાજ્ય‘ ની ઝંખના રાખતા આવ્યા છે તેની પાછળ અનેક સજ્જનોનો પુરુષાર્થ છે. કેવળ રામનામનો જાપ કરવાથી રામરાજ્ય નહીં આવે. રામરાજ્ય લાવવા માટે અહંતા, મમતા મૂકી દઈને સમાજના તમામ સ્તરેથી નક્કર પુરુષાર્થ કરવાની આવશ્યકતા રહે છે. રામકથા સાંભળનાર રામાયણપ્રેમીઓને માથે ભગવાન રામે એ જવાબદારી મૂકી છે. આજની યુવાપેઢી માટે મુનિગણોનો આ જ સંદેશો છે.

પ્ર. મિ.

સોશિયલ મિડિયા પર કેવળ ફાલતુ જ્ઞાન પીરસાય છે, એ અભિગમ બદલો

વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના પ્રકારને અમુક વિદ્વાનો દાઢમાં “વોટ્સએપ યુનિવર્સિટી” કહીને ઉતારી પાડતા હોય છે. એવું નકામું ઘણું બધું આવતું પણ હોય છે, તેની ના નહીં, પણ બધું એવું જ આવે છે એ વાત ખરી નથી.

કોઈ મિત્રે મારા પર ફોરવર્ડ કરેલી એક પોસ્ટ મેં વાંચી. મને એ ખૂબ ઉપયોગી જણાતાં અહીં મૂકવાની લાલચ રોકી ન શક્યો.

વાંચો ત્યારે! જાતે જ નક્કી કરો કે કેવી લાગી અને યોગ્ય જણાય તો તમારો પ્રતિભાવ લખો અથવા લાઈક કરો. એ લાઈક મારા માટે નહીં, પણ તમારી સમજણ માટે જ છે એમ માનજો.

*आप कितने परिपक्व (Mature) हैं* ***********************

कहा जाता है कि एक बार किसी ने आदि शंकराचार्य जी से एक प्रश्न किया कि “परिपक्वता” का क्या अर्थ है…!

आचार्य शंकर ने “परिपक्वता” की कुल 10परिभाषाएं दीं!

उन्होंने बताया :–

1. परिपक्वता वह है – जब आप दूसरों को बदलने का प्रयास करना बंद कर दें, इसके बजाय स्वयं को बदलने पर ध्यान केन्द्रित करें!

2. परिपक्वता वह है – जब आप दूसरों को, जैसे हैं, वैसा ही स्वीकार करें!

3. परिपक्वता वह है – जब आप यह समझें कि प्रत्येक व्यक्ति उसकी अपनी सोच अनुसार सही है!

4. परिपक्वता वह है – जब आप “जाने दो” वाले सिद्धांत को सीख लें!

5. परिपक्वता वह है – जब आप रिश्तों से लेने की उम्मीदों को अलग कर दें और केवल देने की सोच रखें!

6. परिपक्वता वह है – जब आप यह समझ लें कि आप जो भी करते हैं, वह आपकी स्वयं की शांति के लिए है!

7. परिपक्वता वह है – जब आप संसार को यह सिद्ध करना बंद कर दें कि आप कितने अधिक बुद्धिमान हैं!

8. परिपक्वता वह है – जब आप दूसरों से उनकी स्वीकृति लेना बन्द कर दें!

9. परिपक्वता वह है – जब आप दूसरों से अपनी तुलना करना बंद कर दें!

10. परिपक्वता वह है – जब आप स्वयं में शांत हैं!

મોરારિબાપુ ખિલ્યા

સંસ્કાર નગરી નવસારીને ત્રીસ વરસ પછી પૂ. મોરારિબાપુની રામકથા પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો મળ્યો. રામકથા પ્રેમીઓ અતિ ઉત્સાહમાં છે અને ભાવિકોથી રોજેરોજ ઉભરાતો જતો કથા મંડપ એ વાતની સાક્ષી પૂરે છે. બાપુ પણ સોળે કળાએ ખીલ્યા છે. ક્યારેક રમુજના છબછબિયાં કરાવતા કરાવતા ગહન તત્ત્વજ્ઞાનની સફર પણ કરાવતા રહે છે. ચોમેર પ્રસન્નતાનું વાતાવરણ છવાયું છે. પ્રેમચંદભાઈ લાલવાણીએ કથાનો ભરપુર આનંદ લેવા ખાતર જ કથાનું આયોજન કર્યું છે. સઘળી વ્યવસ્થા પરફેક્ટ જણાય છે. કોઈ જાતની ખામી નથી. સભામાં હકડેઠઠ મેદની છે. ઉત્તમોત્તમ વ્યવસ્થા છે.

ચોથા દિવસની કથાનું અખબારી વૃત્તાંત અને તસવીર નીચે મૂકી છે.

બાપુ પ્રસન્ન છે. ભાવિકો પ્રસન્ન છે. આપણે પણ પ્રસન્ન છીએ. પણ મારી પ્રસન્નતા જરા જુદા કારણે છે.

પૂ.બાપુએ આદિવાસી સમાજમાં થઈ રહેલા ધર્મપરિવર્તનની નોંધ લઈ તેની ચિંતા દર્શાવી છે. આ દિશામાં મોડેમોડે પણ જાગૃતિ આવતી જાય છે એ આનંદની વાત છે. મોરારિબાપુએ વર્ષો પહેલાં જ એની શરૂઆત કરી દીધી હતી. યુવાન મોરારીબાપુ તેમના ઉતારા પર તો સૌને મળવા આમંત્રણ આપતા જ હતા તદુપરાંત નજીકના આદિવાસી વિસ્તારોમાં સૌને મળવા જવાનો કાર્યક્રમ પણ રાખતા જ આવ્યા છે. ગઈકાલે પૂ્. બાપુએ વરસમાં એક કથા આદિવાસી વિસ્તારમાં કરવાનો મનોરથ જાહેર કર્યો છે તે આવકારદાયક સમાચાર છે.

આ બાબતે મારે વિશેષ વાત જણાવવી છે.

વર્ષો સુધી આદિવાસી અને દલિત સમાજથી આપણા લોકોએ અંતર રાખ્યું. એમની ઘોર અવગણના કરી.એમને પછાત ગણ્યા. આ બહુ મોટું અપમાન હતું. ભગવાન રામે આદિવાસી સમાજ જોડે સંબંધ બાંધ્યો, મિત્રતા કરી તેમને ગળે લગાડી પોતીકાપણું સ્થાપિત કર્યું. પણ રામકથા કરનારા તો ઠીક પણ, સાંભળનારા શ્રોતાઓએ કથામાંથી કોઈ બોધપાઠ લીધો નહોતો. તરછોડાયેલા એ સમાજ પાસે મિશનરીવાળા પહોંચ્યા. તેમણે સેવા દ્વારા તેમના દિલ જીત્યા. તેમની સારવાર કરી. તેમની ભૌતિક જરૂરિયાતો પૂરી કરી. આ લોકો એમને પોતાના લાગ્યા. એમણે ક્રોસ પહેરાવી તેમને ખ્રિસ્તી બનાવ્યા. આમ પણ હિંદુ સમાજથી તરછોડાયેલો આ વર્ગ ધર્મ વિમુખ હતો. એમની અલગ આદિવાસી સંસ્કૃતિ હતી પણ ધર્મ નહોતો. તેઓ સ્વેચ્છાએ ખ્રિસ્તી બન્યા. આ બધું મોટા પાયા પર બન્યું ત્યારે ધર્માચાર્યો આંખ ચોળતા રહી ગયા. આપણે જ આપણા લોકોને સાચવી ન શક્યા તો બીજાઓએ પગપેસારો કર્યો ને? વાંક કોનો? સાલું, ભગવા કપડા પહેરેલો કોઈ બાવો સુદ્ધાં ભીખ માંગવાની ગરજે પણ એ લોકો સુધી ન પહોંચ્યો!

આજે લોકો એમની પાસે જતા થયા છે પણ એ સમાજની વ્યથા સાંભળવાનો કોઈની પાસે સમય નથી. એમનું અંતર વાંચવાની તસ્દી કોઈ લેતું નથી. રાજકારણીઓ વોટબેંક ઊભી કરવા જાય છે. વેપારીઓને ધંધાની તક દેખાય છે. ઘણી બધી સેવા સંસ્થાઓ પણ આ સમાજની જરૂરિયાતો પૂરી પાડવા સક્રિય બની છે. હિંદુ સંપ્રદાયો પણ જાગ્યા છે. આદિવાસી અને દલિત સમાજને સમજાતું નથી કે એકાએક આટલો બધો ઊભરો કેમ આવ્યો છે! આમ અચાનક અમારું મહત્ત્વ વધી જવાનું કારણ શું હશે?

અમારે નિયમિત આ સમાજ વચ્ચે જઈને બેસવાનું થયું. એમની સાથે પ્રીત બંધાઈ અને એમની અકળામણ જાણવા મળી. એમની પાસે જનાર દરેક વર્ગ પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે. કોઈ ઉપદેશ આપવા આવે છે. કોઈ એમને લાચાર સમજીને મદદ કરવા આવે છે અને પોતે કરેલા સામાજિક કાર્યના ફોટા પડાવી પ્રસિદ્ધ કરે છે. કોઈ તારણહાર બનીને જાય છે પણ તેઓ પૈકી કોઈ એમને પોતીકા સમજીને અપનાવતુ નથી. તેઓ ભાવના ભૂખ્યા છે. એ ભૂખ કોઈ સંતોષતું નથી. બધો ઉપરછલ્લો પ્રયત્ન થાય છે.

પૂ. બાપુએ વરસમાં એકવાર કથાનો મનોરથ જાહેર કર્યો. એમની ભાવનાને વંદન પણ કથાથી કોઈ વિશેષ પરિણામ આવે એ વાતમાં મને શંકા છે. એમની પાસે જવું હોય તો સેલિબ્રિટી બનીને નહીં પણ સામાન્ય માણસ બનીને જવું જોઈએ. ચાહકોનો રસાલો લઈને નહીં પણ એકલા કે બે ત્રણ જણાની કંપનીમાં જવું જોઈએ. શીખામણ આપવા કે મદદગાર દેખાવા નહીં પણ નિર્મળ દિલથી નિર્હેતૂક પ્રેમ દર્શાવી તેમને પોતીકા માનીને જવું જોઈએ. અમારો આછો પાતળો આ પુરુષાર્થ ખરેખર રંગ લાવતો જોયો છે એટલે આ વાત લખવાની ગુસ્તાખી કરી.

કોઈને વધારે પડતું લાગ્યું હોય તો ક્ષમસ્વ મામ!

ધારો કે….

ધારો કે એટલે શું?

Let us assume… માની લઈએ કે…

પણ ધારવું જ શા માટે જોઈએ? અને તમે કહો છો તે જ શા માટે ધારવું જોઈએ?

આ “ધારી લેવાનું‘‘ એટલે કે કલ્પના કરવાનું કામ ‘ધારવા‘ જેટલું સરળ નથી! મારી દીકરીને જ્યારે હું ભૂમિતિ શીખવવા બેઠો ત્યારે આ બાબતે હું ખૂબ ગુંચવાયો હતો. તે વખતે એના વર્ગમાં પ્રમેય ચાલતો હતો. એણે મને કહ્યું કે પપ્પા મને ભૂમિતિમાં કંઈ જ સમજ પડતી નથી. તેમાં આ પ્રમેયે તો મારું મગજ બગાડી દીધું.

પ્રમેય હતો ‘ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એક સો એંસી અંશ થાય છે‘ એમ સાબિત કરવાનો. આ સીધી સરળ લાગતી વાત નાના બાળકોના હૈયૈ કેમ બેસાડવી તે બહુ કપરું કામ છે.. પ્રમેયમાં પક્ષ, સાધ્ય, (જરૂર પડે તો રચના) અને સાબિતી- અગત્યના અંગો છે. આ પ્રમેયમાં સાબિતી લખવાની શરૂઆતમાં એવું ધારી લેવાનું કહેવામાં આવ્યું કે, ‘ધારો કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એક સો એંસી અંશ નથી.‘ – અને આ જ મુદ્દા પર મારી દીકરીની પીન ચોંટી થઈ ગઈ હતી. ધારી લીધા વિના શું કોઈ સાબિતી જ ન આપી શકાય? આ ધારી લેવાની વાત એના મગજમાં બેઠી નહીં ; તેમાંયે પાછી જે વાત સાબિત કરવાની છે તેનાથી ઊલટી વાત શા માટે ધારવી જોઈએ તે વાતનો તો એને સખત વાંધો હતો!

આજે ‘ધારવું‘ ક્રિયાપદે મારા મગજનો કબજો લીધો. અમે ભણતા ત્યારે મારા મિત્રના મોટાભાઈએ એસ.એસ.સીમાં ગણિતનો વિષય છોડી દીધો હતો. અંગ્રેજીમાં નપાસ થયો હતો, પણ આઠ વિષયો રાખેલા હોવાથી પાસ જાહેર થયો. અંગ્રેજીના વિષયનું પેપર ઓક્ટોબર ટ્રાયલમાં ક્લિયર કરેલું. એનાથી ચાર વરસ પાછળ ભણતા મારા મિત્રે પહેલેથી અંગ્રેજી પર વધારે ધ્યાન આપ્યું પણ ગણિતમાં રૂચિ રાખી નહીં. એણે ધારી જ લીધું કે અમારા ઘરમાં કોઈને ગણિત ધારતું જ નથી! એણે પણ એસ.એસ.સી.માં ગણિત છોડ્યું અને ઓક્ટોબર ટ્રાયલમાં અંગ્રેજી ક્લિયર કર્યું. એનાથી બે વરસ પાછળ બીજો એક ભાઈ એ જ હાઈસ્કૂલમાં ભણવા ગયો તો એણે પણ પહેલેથી જ ધારી લીધું કે અમારા કુટુંબમાં ગણિત કોઈને ધારતું જ નથી એટલે એમાં મગજ બગાડવા જેવું નથી. એણે પણ ગણિત છોડ્યું અને ઓક્ટોબર ટ્રાયલ અંગ્રેજીનું ટ્યૂશન લઈને પાસ કરી.

‘મને ધારતું નથી‘ આ શબ્દપ્રયોગ મેં લગ્નપ્રસંગની બાબતે પણ સાંભળેલો. અમારી આગલી પેઢીના લોકો તેમના પરિવારમાં બે પુત્રી કે બે પુત્રોના લગ્ન એક જ માંડવે એટલે કે એક જ તિથિએ ગોઠવતા જેથી લગ્નના ખર્ચમાં રાહત થાય. આ એક વ્યાવહારિક શાણપણ પણ છે. પણ એમાં કોઈકે ક્યાંકથી એવો સરડો (વહેમ) ઘાલી દીધો કે એવા જોડિયા લગન બધાંને ધારતા નથી! ધારતા નથી એટલે કે સફળ થતાં નથી! બેમાંથી કોઈ એકના લગ્નજીવનમાં ડખો થાય છે અને વાત ફારગતી (Far ગતિ!) પર પહોંચે છે. એ તો વળી ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિ. ન કરે નારાયણ અને આપણા કેસમાં પણ આવું બને તો? આ શંકા એકવાર ઘર ઘાલી ગઈ કે પછી સમાજમાં કોને કોને ત્યાં જોડિયા લગન થયેલા અને કોના કોના લગન તૂટેલા તેનો ડેટા રજૂ કરનારા વહેવારિયાઓનો તો તોટો નથી હોતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં એક માંડવે કરી શકાતા લગન ટાળીને બે જુદા પ્રસંગો ઊભા કરવામાં આવતા હતા. લગ્ન નિષ્ફળ જવા માટે કોઈ તિથિ કે સમય જવાબદાર નથી, જોડિયા લગન પણ કોઈ રીતે જવાબદાર નથી. જવાબદાર તત્વ છે સમજદારીનો અભાવ. બહુ વહેમીલા લોકો રામાયણનું તેમનું જ્ઞાન પણ જોડી આપે અને સાબિત કરે કે રામ, લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ ચાર ભાઈઓના લગ્ન એક જ ચોરીએ થયેલા તે પૈકી કોણ સુખી થયું? લાંબો વિરહ, અનેક વિટંબણા અને સીતાના કેસમાં તો વળી પાછી જુદાઈ!

મને ઉપવાસ ધારતા નથી, મને કોઈ વ્રત ધારતું નથી. મને પ્રવાસ ધારતા નથી. મને નકલી ઘરેણાં ધારતા નથી. આ બધાં મનના કારણો નહીં તો બીજું શું છે? આવી નકારાત્મક ધારણાઓથી જીવનમાં પડકાર ઝીલવાની તાકાત જ રહેતી નથી. ડરપોક લોકોને ડરાવનારા પણ ઘણાં મળી જ રહેતા હોય છે.

છેલ્લે, આ ‘ધારવું‘ સાથે ખેતીકામ સાથે કેવી રીતે જોડાયેલો છે તેની વાત કરું. કાકરાપાર અને ઉકાઈ સિંચાઈ યોજના આવી તે પહેલાં અમારા દક્ષિણ ગુજરાતના ગામડાંઓમાં દેશી જુવારની ખેતી થતી હતી. જુવારના ઊંચા ઊંચા છોડ થતા. શેરડી જેવા! એ જુવારનો પાક તેયાર થાય અને કણસલામાં દાણા ભરાય એટલે ચકલાંના ઝૂંડના ઝૂંડ ખેતરોમાં ઊતરી આવે અને કુમળાં કુમળાં દાણા ફોલી ખાય, તે ચકલાં ઊડાડીને ‘જુવાર રાખવા‘ ખેતરે જવું પડતુ. આ રાખવું શબ્દ રક્ષવું પરથી આવેલો છે. રક્ષા એટલે રાખ. એના પરથી રાખડી. હવે ધારવું શબ્દ પર આવું. કણસલાં પાકાં થાય. એટલે જુવારના છોડને કાપવાનો સમય થયો ગણાય. ખેડૂતને પૂછીએ કે આજે શું કરો છો, તો જવાબ મળે કે જુવાર ધારવાનું કામ ચાલે છે. જુવાર ધારવા માટે લુહારને ત્યાં ટપરાવેલા અને પાણી પાયેલા ધારદાર દાતરડાં જોઈએ. લગભગ માણસની કેડ જેટલી ઊંચાઈએથી કણસલા વાળો છોડ કાપીને તે છોડના પૂળા બાંધીને ખળીમાં લાવીને કણસલા ઊતારી લેવાય. કણસલાંને સૂકવીને, પાર જોડીને દાણા કઢાય અને સૂકાયેલા છોડના પૂળા કે જેને કડબ કહેવાય તે બળદને ખવડાવાય. કેડ જેવડા શેષ ભાગ રહેલા હોય તેને થડિયા સાથે કોદાળીથી ખોદી કાઢવામાં આવે તે ખૂપરા બળતણ તરીકે વપરાય. તે ભડભડ કરતા સળગી ઊઠે!

પણ ધારવું શબ્દના મેં જે અર્થો જણાવ્યા તે કોઈ શબ્દકોશમાં કે ઈવન ભગવદ ગોમંડળમાં પણ નથી. એ તો લોકબોલીના અર્થો છે.

પ્ર. મિ.

[પ્રાસંગિક]

નવસારીમાં થયેલી રામકથા વિશે

सब खतम?… ના જી. કંઈ જ ખતમ નથી થયું. થવાનું પણ નથી. રામકથાના શબ્દો હવામાં ગૂંજતા જ રહેવાના છે.

टाटा? बाय बाय?… ના, ના. સદૈવ સ્વાગતમ્. ભલે પધારો. સર્વ દિશાઓમાંથી આવતા શુભ વિચારોનું સદૈવ સ્વાગત છે.

નવસારીમાં મોરારિબાપુની રામાયણકથા ચાળીસ વરસ પહેલાં, સૌ પ્રથમ લુન્સીકૂઈના મેદાન પર જ થયેલી. તે વખતની ધૂળ ભલે ધરતીમાં દટાઈ ગઈ હશે, પણ કથાના એ શબ્દો હવામાં હજીયે પડઘાયા કરે છે. જેમણે એ કથા સાંભળી હશે તેમને તો વ્યાસપીઠ પર બીરાજમાન એ યુવાન મોરારિદાસ હરિયાણીનો મિજાજ અને તેમના એ શબ્દો હજીયે યાદ આવતા હશે. હાલની રામકથા પૂર્વે જ મેં પોતે જૂની કથાના સંસ્મરણોરૂપે બાવીસ જેટલી પોસ્ટ મૂકી હતી. ચાળીસ વરસોમાં શું બદલાયું? કઈ વાત હજીયે અકબંધ છે? શું ઉમેરાયું?

તે વખતે અમે યુવાન હતા અને મોરારિબાપુ પણ યુવાન હતા. અમે લગભગ સમવયસ્ક ગણાઈએ એટલે અમારી પેઢીના પ્રતિનિધિ તરીકે અમે ગૌરવ અનુભવતા. ત્યારના એ યુવાન કથાકારને મેં સંત તુલસીદાસજીની ઉપમા આપી હતી. મેં મારા આદરણીય શિક્ષકોને વિનંતી કરી હતી કે ગમે તેમ કરીને એકાદ દિવસ કથા માટે ફાળવો, આપને ખરેખર લાગશે કે સંત તુલસીદાસ જાણે સ્વયં વ્યાસપીઠ પર બીરાજમાન થઈને તેમણે રચેલી ચોપાઈના ગુઢાર્થ પ્રગટ કરી રહ્યા છે. એમની વાણીમાં ઓજસ છે, તણખા પણ છે, મસ્તી છે અને અધિકૃતતા છે. મારા મિત્ર જગદીશ મેરાઈએ આખા નવસારીની દિવાલો પર રામચરિતમાનસની ચોપાઈઓ લખાવીને નવસારીને રામમય બનાવી દીધું હતું.

કાળ હંમેશાં વહેતો જ રહે છે. અમારી યુવાની ચાલી ગઈ. સફેદીએ શિર પર આક્રમણ કર્યું. અમારા કરતાં બાપુ પર એ આક્રમણ પહેલું થયું. તેઓ જાણે બાપુમાંથી બહુ જલદી બાપા બની ગયા. જોકે એ દરમિયાન એમણે ઘણાં કીર્તિમાનો સ્થાપિત કર્યા. તે સાથે થોડા વિવાદોમાં પણ ઘેરાયા. ચાહકોથી એ સહન ન જ થાય, પણ આ બધું બનવું સામાન્ય છે. જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ વિશે સારું અને ખરાબ બોલાતું જ આવ્યું છે, એની નવાઈ નથી રહી. બાપુ જ એક ભજન ગવડાવતા હતા કે ‘સંતને સંતપણા રે, મફતમાં નથી મળતા, એના મૂલ ચૂકવવા પડતા.‘ અમારી યુવાનીમાં અમને જે વિચારોની ભૂખ હતી, આવશ્યકતા હતી, તે બહુ યોગ્ય સમયે અમને રામકથાના માધ્યમથી મોરારિબાપુએ પૂરી પાડી. એ સમય એવો હતો કે જો મોરારિબાપુ કંઠી પહેરાવતા હોત તો કંઠીધારકોના પહેલા બેચમાં અમે જરૂર હોત. એંસીના દાયકાનો એ પૂર્વાર્ધ હતો. બાપુએ સતર્કતા અને સાવધતાનો પરચો કરાવતા જાહેર કરેલું કે એવી ભૂલ હું જિંદગીમાં કરવાનો નથી. સમાજ આજે એટલા બધા સંપ્રદાયોમાં વિભાજિત થઈ ચૂકેલો છે કે એમાં એકનો વધારો કરવાનું પાપ મારે કરવું નથી. અમે પૂરેપૂરા કન્વિન્સ થઈ ગયા. કથા દરમિયાન એમણે ત્રિકાળસંધ્યાના શ્લોકો પાકા કરાવ્યા અને શ્રૂતિભક્તિથી એક પગથી આગળ કૃતિભક્તિ માટે પૂ.પાંડુરંગ દાદાના સ્વાધ્યાય તરફ વળવાનો જાણે કે સંકેત કર્યો.

એકવાર ડૉ. ગુણવંતભાઈ શાહે મને મળવા માટે આમંત્રણ આપ્યું, પણ હું ગયો નહી. મેં નમ્રપણે જણાવ્યું કે ત્રણ મહાપુરુષો માટે મને અત્યંત આદરની લાગણી છે પણ તેમને મળવાથી હું હંમેશાં દૂર રહ્યો છું. કથાકાર તરીકે મોરારિબાપુ, કટારલેખક તરીકે ગુણવંતભાઈ શાહ અને પ્રવચનકાર તરીકે પાંડુરંગદાદાનું નામ પડતાં મારા હાથ જોડાઈ જાય છે છતાં, તેમને રૂબરૂ મળવાની મને કોઈ જરૂર નથી લાગતી. કારણ એટલું જ કે મને એમની પાસેથી જે વિચારો અને માર્ગદર્શનની આવશ્યકતા છે તે તેમને વાંચવાથી અને સાંભળવાથી પૂરેપૂરી સંતોષાય છે. અને તેમના પ્રત્યે મારા દિલમાં જે પૂજ્યભાવ છે તેને પ્રદર્શિત કરવાની મને કોઈ જરૂર નથી જણાતી. મને ખબર છે કે મળવાની ઉત્કટ ઈચ્છા થવા છતાં તેના પર સંયમ રાખવો બહુ અઘરો છે.

કથાકાર તરીકે બાપુએ ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. એમણે કથાનું સ્વરૂપ પણ બદલી કાઢ્યું છે. રામકથાના પ્રસંગો સળંગ વર્ણવવાના એમણે બહુ વહેલા બંધ કરી દીધા હતા. લોકોએ રામાયણ સિરિયલ પણ જોઈ હશે. રામાયણ પણ વાંચ્યું હશે એટલે પ્રસંગોનું પુનરાવર્તન કરવાનું એમને જરૂરી નહીં લાગ્યું. તેને બદલે એ પ્રસંગો દ્વારા અને એ ચોપાઈ દ્વારા સમાજે કઈ વાત સમજવાની જરૂર છે તેના પર એમણે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ આખો ફેરફાર બહુ મહત્ત્વનો છે. બાપુની શૈક્ષણિક લાયકાત કેટલી છે તેના પર કોઈ ચર્ચાનું કામ નથી. બાપુએ વિશ્વના અન્ય ચિંતકોને કેટલા વાંચ્યા હશે તેનું પણ મહત્ત્વ નથી. ભારતીય સંસ્કૃતિ ‘સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્‘ સૂત્ર પર ભાર મૂકતી આવી છે. શ્રવણ કરવું એ બહુ મોટું તપ છે. આપણી સંસ્કૃતિમાં બહુશ્રૂત વ્યક્તિનું સ્થાન ઘણું ઊંચું છે. ઘણાં વર્ષોથી એમણે ‘અસ્મિતાપર્વ‘ માં અનેક અધિકૃત વિદ્વાનોને સાદર નિમંત્રણ આપીને તેમને એકચિત્તે સાંભળ્યા છે. તેમનું ગૌરવ કર્યુ છે. સન્માન્યા છે. તેમના દિલ જીત્યા છે. લેખકો, કવિઓ, અન્ય કલાકારોને પણ પુરસ્કાર આપીને ગૌરવાન્વિત કર્યા છે. આ એમનું બહુ મોટું પ્રદાન છે. એમની કથા દ્વારા એકત્રિત થયેલા ફંડમાંથી અનેક ધાર્મિક, સામાજિક કાર્યો થયા છે તે તો એક સિદ્ધિ ખરી જ તદુપરાંત એમની કથા સાંભળીને કેટલાયે ભાવિકોના મનને શાંતિ મળી, તેમના વ્યાવહારિક જીવનની ગૂંચ ઉકેલવાની પ્રેરણા મળી. ભારતીય સંસ્કૃતિ માટેનો પ્રેમ જાગ્યો. એમની કથાના પ્રતાપે લોકચેતના સળવળી. જનજાગૃતિનું કામ થયું. કંઈક નવું અને રચનાત્મક પ્રવૃત્તિ કરવા સમાજ કટિબદ્ધ બન્યો.

અવસ્થાની અસર તો બધા પર થતી જ હોય છે, કોઈને વધારે તો કોઈને ઓછી. મોરારિબાપુ પણ હવે જુવાન નથી રહ્યા. પણ વ્યાસપીઠ એમની શક્તિનો સ્રોત છે. એકવાર પીઠાધીશ થયા પછી બાપુનો અસલ મિજાજ પ્રગટ થાય છે. સમસ્ત વિશ્વના બાદશાહ હોય તેવો તેમનો રૂઆબ વર્તાય છે. એમના સ્થૂળ દેહની ફરતે એક આભા વર્તુળ રચાય છે. પહેલાં તેઓ બોલતા ત્યારે લાગતું કે તુલસીદાસ બોલી રહ્યા છે; તે વખતે તેઓ રામકથા કહેતા હતા. હવે લાગે છે કે સ્વયં રામ બોલી રહ્યા છે. તેથી બાપુ જે કંઈ બોલે છે તે રામકથા જ છે. બોલતી વખતે કોઈ મુદ્દા આમતેમ થાય અગર જલદી યાદ ન આવે એમ બને પણ તેમની દરેક વાત રામ ભણી લઈ જનારી, રામ પ્રત્યે પ્રેમ ઊભો કરનારી અને રામ સાથે જોડનારી હોય છે. બાપુ સ્વૈરવિહારી છે. ગુરુત્વાકર્ષણથી સાવ મુક્ત! તેઓ ગમે ત્યાંથી શરૂ કરે અને ગમે ત્યાં આવીને પૂરું કરે. છતાં એ રામકથા જ હોય એ પણ એક ખૂબી છે. ક્ષણભર તો એમ લાગે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પણ બધું બરાબર જ હોય. વ્યાસપીઠ પરથી બાપુ જે રજૂઆત કરે છે તે માત્ર રામકથા જ નથી, પણ રામાયણ અને જીવનનો અર્ક હોય છે.

જે જેનું સતત ચિંતન કરે, જેનું ધ્યાન ધરે તે તેવો જ થાય છે. કીટભ્રમર ન્યાય એમ જ કહે છે. રામકથા કહેતાં કહેતાં, એના ગૂઢાર્થોનું ચિંતન કરતાં કરતાં માણસ સ્વયં જીવ થકી શિવ થવા તરફ ગતિ કરતો જાય છે. વક્તા બોલીને અને શ્રોતાઓ સાંભળીને એક સાથે જીવનવિકાસની યાત્રા પર આગળ ધપતા જાય છે. ‘હરિ અનંત, હરિ કથા અનંતા‘ કથાનો પાર આવતો નથી કૈલાસ શિખર પરથી શિવજીએ કહેલી કથા હજી ચાલુ છે. ગરૂડજી ભલે કથા સાંભળીને વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા હોય, કાગભૂષંડીજી કથા કરતા જ રહ્યા છે. રામકથાને કાળ જર્જરિત કરી શક્યો નથી.

કથાનો સાર: નવે નવ દિવસ નવસારી રામમય બની ગયું. દુનિયાના એક સો સિત્તેર દેશોના લોકોએ આસ્થા ચેનલના માધ્યમથી સંસ્કારી નગરી નવસારીનું દર્શન કર્યું. કરેલું કર્મ કદી નાશ પામતું નથી. રામકથા પણ નિષ્ફળ નહીં જ જાય. સેંકડોના હૃદય પીગળ્યાં. હૈયાં દ્રવિત થયાં આંખો ભીની થઈ. વૈચારિક અને બૌદ્ધિક જડતા ઢીલી પડી. ગેરસમજણો તૂટી અને સૌના મન નિર્મળ બન્યા. લુન્સીકૂઈથી પસાર થતી વેળા મોરારિબાપુ દ્વારા રામકથાના સ્પંદનો વરસો સુધી અનુભવાતા રહેશે. વ્યક્તિ વિદાય થશે તોયે વિચારો વિદાય નહીં થાય. પ્રેરણાદાયી નવા વિચારો પણ ઉમેરાતા જશે. સર્વેત્ર સુખિન: સન્તો.

પ્ર. મિ.

સુકા જોશી કોણ?

સુકા કે સુખા?

સુ. કા. જોશી એ ઈનિશિયલ છે કે પછી એનું નામ જ સુખા છે?

કંઈ ખબર નથી.

85 ની સાલમાં હું સ્વાધ્યાયમાં જતો થયો. પછી મેં જોયું કે સુરતથી બહારના સ્વાધ્યાયી લોકોનુ જો સુરતમાં આગમન થયું હોય તો તેઓ સુરતના વનિતા વિશ્રામ કેન્દ્રમાં જરૂર આવે કારણ કે ત્યાં તે વખતે વિડિયો કેન્દ્ર ચાલુ થયું હતું. આ રીતે મહારાષ્ટ્રથી આવેલો એક છોકરો મારું ઘર પૂછતો મારે ત્યાં આવ્યો. એ જલગાંવથી આવ્યો હતો અને જલગાંવની કોલેજમાં ભણતો હતો. એણે જલગાંવની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે મને માહિતી આપવા માંડી, તેમાં સુકા જોશીનું નામ અવારનવાર બોલાતું સંભળાયું. ‘સુકા જોશી’ અથવા ‘જોશી સર’ નો નામોલ્લેખ વારંવાર થતો રહ્યો. ‘સુકા જોશી’ના વખાણ કરતાં એ જાણે થાકતો ન હતો. સુકા જોશીનું કુટુંબ તન, મન, ધનથી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હતું. સુકા જોષી વિદ્વાન, વિવેકી અને નિષ્ઠાવાન અધ્યાપક હતા. વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા અને આદરભર્યું સ્થાન ધરાવતા હતા એમ સમજાયું. તેઓ જલગાવમાં ડીબીટી કેન્દ્ર પણ ચલાવતા હતા. ડીબીટીમાં ગ્રેજ્યુએટો અને કોલેજીયનો આવતા હોય. ડીબીટી એટલે ડિવાઇન બ્રેઇન ટ્રસ્ટ. આવા કેન્દ્રમાં પ્રવચન અને ચર્ચાનું સ્તર ઘણું ઊંચું હોય છે. અહીં યુવાનોના અભ્યાસ અને તર્કશક્તિ ખિલવવાનું કામ થતું હોય છે. યુવાની ખીલે તેવા પ્રકારની પ્રવૃત્તિઓનું ધામ એટલે ડીબીટી. કારણ કે ‘યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે, સાચી સમજ વિના જીવન લજાવે!’

વર્ષો પછી અમારે ત્યાં ઉપરથી એવો આદેશ આવ્યો કે જ્યાયસ અને અવર જ્યાયસ લેવલના તમામ ભાઈઓએ તેમને ફાળવેલા નિશ્ચિત ગામો પકડીને તમામ શક્તિ તે વિસ્તારમાં જ કામે લગાડવી. સ્વાધ્યાય પ્રવૃત્તિને પરિણામ લક્ષી બનાવવી હોય તો એક જ જગ્યાએ ખૂંપી જવું. ‘ભક્તિફેરી’ હોય કે ‘તીર્થયાત્રા’ હોય તેમણે આ જ ગામડાં પકડી રાખવા. ગામમાં એટલી હદે ઓતપ્રોત થઈ જવું કે ગામની પ્રત્યેક વ્યક્તિને તમે પ્રેમથી નામ દઈને બોલાવી શકો અને ગામના લોકો તમને પ્રેમથી નામ દઈને બોલાવતા થાય. તમારી અઠવાડિક રજા કે તહેવારના દિવસોમાં પણ તમારે એ જ ગામોમાં ધામો નાખવો. આમ કરવાથી સાતત્ય જળવાવાના કારણે વિચારોનું પરિણામ ગામના લોકોમાં જોવા મળશે. કામ ઊગી નીકળેલું દેખાશે. “ટૂંકમાં, તમારે સૌએ સુકા જોશી બનવાનું છે.”

ઘણા મિત્રોએ આ પહેલાં સુકા જોશીનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે! સૌના મનમાં પ્રશ્ન થયો કે આપણને સુકા જોશી બનવાનું કહેવામાં આવ્યું છે, તો એ સુકા જોશી છે કોણ? અને એણે એવું તે શું કર્યું કે આપણે સૌએ એનું અનુકરણ કરીને એના જેવા થવાનું?

વાત સાંભળી કે દર રવિવારે માધવબાગ પાઠશાળામાં ચાલતા પૂજ્ય દાદાના પ્રવચનમાં પણ વ્યાસ પીઠ પરથી ‘સુકા જોશી’ના કર્મયોગનો ઉલ્લેખ થતો હતો. ‘સુકા જોષી’એ કર્યું તેવું કાર્ય કરવા દરેક યુવાને આગળ આવવું જોઈએ. ‘સુકા જોશી’ દર રવિવારે અને વેકેશનમાં પણ એના પુત્ર પરિવાર સાથે આદિવાસી ગામડાંઓમાં જઈને તેમની વચ્ચે રહીને સ્વાધ્યાય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. આને કહેવાય સમજણ, આને કહેવાય નિષ્ઠા, આને કહેવાય ભક્તિ, આને કહેવાય જીવન અને આને જ કહેવાય તપ. ‘સુકા જોશી’નો કર્મયોગ જોવો હોય તો નર્મદા જિલ્લામાં, ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગવાલી અને કાકડી આંબા ગામ એકવાર જોઈ આવો.

તમે ‘યોગેશ્વર કૃષિ’ જોઈ હશે તમે ‘વૃક્ષ મંદિર’ જોયું હશે પરંતુ, યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર એ બંનેની ગરજ સારે એવું કામ થયું છે ગવાલી અને કાકડીઆંબા ગામમાં.

આદિવાસીઓએ ક્યારેય કદી કાજુ બદામ નહીં ખાધા હોય, જોયાં પણ નહીં હોય પરંતુ, સુકા જોશીના પ્રયત્નથી ગામમાં કાજુ બદામના વૃક્ષોનું વાવેતર થયું. સુખા જોશી એટલે જાણે આદિવાસીઓનો દેવ, સુખા જોશી એટલે જાણે એમનો ભગવાન. સુખા જોશી એટલે એક એવું વ્યક્તિત્વ કે એમના એકે એક શબ્દ માં અમારું કલ્યાણ જ હોય, એવું આદિવાસીઓના મનમાં ઠસી ગયું. એમણે આદિવાસીઓને ત્રિકાળ સંધ્યા શીખવી. અભણ એવા આદિવાસીઓ સંસ્કૃત શ્લોકો બોલતાં થયાં. આ આદિવાસીઓ સવાર સાંજ વૈદિક પ્રાર્થના અને સંસ્કૃત સ્તોત્રો ચોપડીમાં જોયા વગર બોલતાં થયાં. આ આદિવાસીઓએ ‘વૃક્ષમાં વાસુદેવ છે’ એમ સમજીને વૃક્ષો રોપ્યા. એ વૃક્ષોનો ઉછેર કરવો અને તેનું જતન કરવું, એ જ એમની મૂર્તિપૂજા અને એ જ એમની ભક્તિ છે એવી સમજણ એમણે કેળવી. આખું ગામ એક ‘પરિવાર’ બની ગયું. સૌના આચાર વિચાર અને ધ્યેય એક થયાં. આખું ગામ ‘વૃક્ષમંદિર’ બની ગયું. કાજુના વૃક્ષ પર કાજુ આવતાં થયાં. પૂજ્ય દાદાના કાન સુધી આ વાત પહોંચી અને પૂજ્ય દાદા સ્વેચ્છાએ પોતે તે ગામોમાં પધાર્યા. અહીંનું કાર્ય જોઈને તેઓ ખુશ થઈ ગયા અને પગપાળા ચાલીને આ તપસ્વીનું કાર્ય તેમણે નજરો નજર જોયું. એમનું દિલ પ્રસન્ન થઈ ગયું અને સુખા જોશીને તેમણે હૈયાના આશીર્વાદ આપ્યા. પ્રેમથી એમની પીઠ થાબડી અને અન્ય યુવાનોએ પણ આ જ રીતે કાર્ય કરવું જોઈએ એવી પ્રેરણા આપી.

સુકા જોશીને જોયા વગર એમના વિશે એક માનભરી આકૃતિ સ્વાધ્યાયીઓના મગજમાં આકાર લેવા માંડી અને ગવાલી તથા કાકડીઆંબા- એ બંને ગામોની એકવાર જાત્રા કરવી જોઈએ એવી ભાવના થવા માંડી! લોકો બસ ભાડે કરીને એ ગામો જોવા માટે એક ટ્રીપ ગોઠવવા લાગ્યા. ખરેખર, અદભુત કામ થયું હતું. બુદ્ધિનિષ્ઠા કોને કહેવાય એનું પ્રત્યક્ષ પ્રમાણ સૌને જોવા મળ્યું.

આયોજન મુજબ દરેક જિલ્લાના દરેક તાલુકાના અગ્રણી ભાઈઓએ તેમના તાલુકાના ગામો દત્તક લીધાં અને કૃતિશીલ સ્વાધ્યાયી કાર્યકર્તાઓની ટીમ નિયમિત રીતે એમને ફાળવેલા ગામડાઓમાં જઈને કાર્ય કરવા લાગી.

પછી અચાનક શું બન્યું તેની કોઈ જાણ કર્યા વગર ઉપરથી આદેશ આવ્યો કે “સુકા જોશીને હવે ભૂલી જાઓ. એનું નામ પણ હોઠ પર આવવું જોઈએ નહીં!” કાર્યકર્તાઓને નવાઈ લાગી. પૂછ્યું પણ ખરું કે ‘જેમના જેવા થવાનું અમને કહેવામાં આવ્યું હતું, તેના જેવા થવાની વાત તો દૂર પણ તેનું નામ સુદ્ધાં ન લેવાનું શું કારણ?’ કોઈ પ્રતીતિકર જવાબ તો ન મળ્યો. એટલું જ કહેવામાં આવ્યું કે “તમને એનું નામ લેવાની ના પાડી એટલે વાત એટલથી જ બંધ. એના વિશે ઊંડા જઈને વિચારવાની કોઈ જરૂર નથી.”

અંદરો અંદર ગણગણાટ થયો એટલે એવું કહેવામાં આવ્યું કે “સુખા જોશીનો ઘમંડ વધી ગયો છે. એના સત્કાર્યનું એને અભિમાન આવી ગયું છે. જે ઘમંડ કરે છે તેનું પતન થાય જ છે માટે હવે એનું નામ આપણે માટે ત્યાજ્ય છે. ‘સુખા જોષી’એ એવું કયું કામ કર્યું કે જેમાં એનો ઘમંડ પ્રગટ થતો હોય તે કોઈએ જણાવ્યું નહીં. પણ જે સત્ય છુપાવવામાં આવે છે તે કોઈને કોઈ રૂપે પ્રગટ થયા વગર રહેતું નથી. ક્યારેક ને ક્યારેક તો એ બહાર આવતું જ હોય છે.

યોગેશ્વર કૃષિ અને વૃક્ષ મંદિર જેવા પ્રયોગોમાં ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદનને વેચીને એમાંથી જે લક્ષ્મી પેદા થાય છે તેને કહેવાય ગ્રામલક્ષ્મી. આ ગ્રામલક્ષ્મી એ આ સમુદાયની માતા છે અને કટોકટીના કાળમાં તે આ સમુદાયની પ્રેમપૂર્વક સંભાળ લે છે. તાત્કાલિક એ રકમ ગામમાં ન રાખતાં હેડ ઓફિસ, મુંબઈ મોકલી આપવામાં આવતી હોય છે. દરેક ગામ ખાતે તેમના ખાતામાં એ રકમ જમા કરવામાં આવે છે, એવી સામાન્ય માહિતી આપવામાં આવતી હોય છે અને એના પર સૌને ગળાં સુધીનો વિશ્વાસ પણ છે.

સાંભળવા મળ્યા મુજબ દુકાળના વર્ષોમાં આદિવાસીઓ બેહાલ થઈ ગયા. સુખા જોશીને લાગ્યું કે “આ ગામો તરફથી જમા કરાવાયેલી મહાલક્ષ્મીમાંથી પ્રસાદ રૂપે એમને કંઈક મળવું જોઈએ કે જેથી તેઓ આજના કારમા દુકાળના પ્રસંગે ટકી શકે.” વાત ખોટી નહોતી. આ જ તો એમની ખરી જરૂરિયાતના ખરા દિવસો હતા. અને એક રીતે જોઈએ તો એમના પરસેવાની આ કમાણી હતી. પરંતુ, સુખા જોશીને ધરાર ના પાડી દેવામાં આવી. “એક વખત ભગવાનને અર્પણ થઈ ગયેલી લક્ષ્મી પર માત્ર ને માત્ર ભગવાનનો જ અધિકાર હોય છે, તે સિવાય બીજા કોઈનો નહીં ! અપાયેલું દાન પાછુ મંગાય ખરું? ના, ન જ મંગાય. એ રકમ પર હવે ગ્રામવાસીઓનો કોઈ અધિકાર થતો નથી.” સુખા જોષીને છેતરાયાની લાગણી થઈ! એમણે અવાજ ઊંચો કર્યો અને મહાલક્ષ્મી વિશેની જે કલ્પના આજ સુધી સમજાવવામાં આવી હતી તે યાદ કરાવી. તો આ થયો એનો ઘમંડ. પછી લોકમાનસમાંથી સુખા જોશીની એ છાપને ભૂંસી નાખવાના પ્રયત્નો શરૂ થયા. પહેલું કામ થયું એમને ભૂલી જવાનું અને ત્યાર પછીનું કામ એમના ચાહકોના દિલમાં એને અપ્રતિષ્ઠિત કરવાનું. શું એના હૃદયમાં રામ નહોતો? એના લોહીનો રંગ બદલાઈ ગયો હતો?

જે ગામોમાં સુખા જોષીએ કર્મયોગ સિદ્ધ કર્યો હતો તે જ ગામમાં આરોગ્યની સેવા આપવાના નિમિત્તે ‘પતંજલિ ચિકિત્સાલય’ ઊભું કરવામાં આવ્યું અને તબીબોની ટૂકડીઓ એમના વારા પ્રમાણે ત્યાં નિયમિત જવા લાગી. દૂર દૂરના ગામોમાંથી અને શહેરોમાંથી તબીબો, નર્સો અને બીજા સ્વાધ્યાયી કાર્યકરો ભેગા થઈને કાર કે ટેમ્પોનું આયોજન કરીને નિયમિત પૂજારી તરીકે ત્યાં જવા લાગ્યા.

ગરીબ રોગીઓની સારવાર કરવાનો જ ધ્યેય હોય તો શહેરના સ્લમ એરિયામાં કે આજુબાજુના આર્થિક રીતે પછાત ગામડાઓમાં જઈને પણ એવા કેમ્પ ગોઠવી શકાયા હોત. એમ કરવાથી કાર્યકરોનો જવા આવવાનો સમય પણ બચે, શક્તિ પણ બચે, વાહનભાડાના નાણાં પણ બચે અને વધારે રોગીઓની સારવાર થઈ શકે; તેને બદલે સુરત વલસાડ જેવા દૂરના શહેરોમાંથી આટલે બધે દૂર આવો પ્રયોગ ગોઠવવાની કોઈ જરૂર નહોતી અથવા એના જેવા બીજા પ્રયોગો નજીકના વિસ્તારમાં પણ ગોઠવી શકાયા હોત પણ તેવું થયું નથી. એટલે આ પ્રયોગ પાછળ સુખા જોશીના કામને ભૂંસી નાખવાનો બદઇરાદો જ હતો એવી શંકા જરૂર થઈ શકે.

પછી તો ઇન્ટરનેટ પરથી એવી પણ વિગતો જાણવા મળી કે સુકા જોશીએ બનાવેલા મંદિરમાંની મૂર્તિ બાબતે એમના પર કેસ કરવામાં આવ્યો અને ભગવાન યોગેશ્વરની એ મૂર્તિને જેલના સળિયા પાછળ રાખવામાં આવી! પરિવાર કદી સ્પષ્ટતા કરતો નથી એટલે સાચી વિગતો બહાર આવતી નથી અને બીજા માધ્યમો દ્વારા આવી વિગતો બહાર આવે તો એક જ દલીલ કરવામાં આવે છે કે “આપણું કાર્ય એ જ છે આપણો જવાબ!” કોઈપણ વિવાદના જવાબમાં ઢાલ તરીકે કાર્યને આડે મૂકી દેવાનો અભિગમ લોકોને ગળે ઊતરતો નથી.

વનવગડાના ફૂલ

શ્રી દિનેશ પાંચાલ કે જેઓ બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ કર્મચારી અને ગુજરાતમિત્ર અખબારના કટારલેખક છે એમણે એમની સાહિત્યયાત્રા વિષે ખૂબ સારી લેખમાળા ઈન્ટરનેટ પરથી રજૂ કરી. શ્રી પાંચાલ ગુ.મિ. માં આવ્યા તે પહેલાં ગુજરાત સમાચારમાં ‘દર્પણ જૂઠ ના બોલે‘ કોલમ લખતા હતા. એકવાર તેમનો કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો. લેખમાં લખેલી વાતો રેશનલ હતી અને લેખક મારી જેમ જ બેંક કર્મચારી હતા અને સમવયસ્ક જણાયા; તે કારણસર કે પછી પાંચાલ અને મિસ્ત્રીની સામાજિક ધરી એક જ હતી તે કારણે, ગમે તે હોય હું એમનાથી આકર્ષાયો. તેઓ ગુ.મિ.માં રેગ્યુલર લખતા થયા એટલે એમને નિયમિત વાંચવાનું બન્યું. અમારી વચ્ચે લેખક વાચકનો બંધાયેલો સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. એમના ઘરે જવાનું પણ અને અન્યત્ર મળવાનું પણ થતું રહ્યું. સાહિત્યમાં એમનું પ્રદાન મોટું છે. રેડિયો નાટક, વાર્તાઓ અને નિબંધો એમ વિવિધ ક્ષેત્રોમાં કલમ અજમાવી ચૂક્યા છે અને એમના ઘણાં બધા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. મને પોતાને એમનું વાર્તાલેખક તરીકેનું રૂપ વધારે પસંદ રહેતું આવ્યું છે.

હમણાં જ એમની એક પોસ્ટમાં આપવીતી વર્ણવતાં એમણે લખ્યું કે તેઓ વાંસદા તાલુકાના વનપ્રદેશમાં આવેલા ભિનાર ગામમાં એક લુહારના ઘરે જન્મેલા. તે જમાનો અભાવ વચ્ચે જીવવાનો હતો. તેમાંયે જંગલ વિસ્તારનું નાનકડું, અંધારું ગામડું અને અકિંચન કુટુંબ. શ્રમ કરીને પેટિયું પુરવાનું. સામાન્ય સગવડનાં યે ફાંફા પડતા હોય ત્યાં ભણતર પાછળનો ખર્ચ શ્રમજીવી લોકોને તો પોષાય જ નહિ. છોકરો ભણે તેના કરતા જલદી કામધંધો કરતો થઈ જાય તો ઘર ચલાવવામાં બાપાને મદદરૂપ થાય. છોકરી પરણવા લાયક થાય તેની ચિંતા સતાવે, પણ છોકરો મોટો થતો જાય તેમ હાથલાકડી કરતો થાય એ સ્થિતિ વડીલોના મનમાં આશા જગાડે. ભણતર કંઈ તે વખતે મોઘું તો નહોતું જ; પ્રાથમિક શિક્ષણ સૌને માટે સાવ મફત હતું અને ગુણવત્તા સભર પણ હતું. ઘરનું કામ કરતાં કરતાં કે મજૂરીની આવક ઊભી કરીને પણ ભણી શકાતું. વિદ્યાર્થી એના મા બાપને ભારે તો નહોતો જ પડતો કારણ કે, એની ભણતરની જરૂરિયાત જેટલું તો એ વેકેશનમાં કમાઈ જ લેતો. અમે બધા એ જ પરિસ્થિતિમાં ભણ્યા છીએ. ગરીબાઈ અને અગવડ એ કંઈ નવાઈની વાત નહોતી. બધા જ સમદુ:ખિયા હતા.

સવાલ હાઈસ્કૂલમાં ભણવાનો હતો. યુનિફોર્મ સીવડાવવાનો ખર્ચ કરવો પડતો. ટર્મ ફી અને શિક્ષણ ફીના પૈસા ભરવા પડતા. એ રકમ માસિક પાંચ કે દસ રૂપિયા હતી, જે આજની સરખામણીએ ભલે સાવ નગણ્ય કહેવાય. પરન્તુ તે વખતે રિસેસમાં ચણા ખાવાના બે પૈસાયે નહોતા મળતા ત્યારે પાંચ રૂપિયા તો બહુ મોટી રકમ ગણાતી. જે કુટુંબો આર્થિક રીતે પછાત હોય એટલે કે જેમની આવક વાર્ષિક નવસો- બારસોથી ઓછી હોય તેમને સરકાર તરફથી તે વખતે ફી માફી મળતી અને તે સહાયને આધારે અંગ્રેજી બે ચોપડી ભણવા માટે ભાગ્ય ખુલતું. અભ્યાસ સારો હોય તો એસ.એસ.સી પૂરું કરી શકાતું નહિતર તે જમાનામાં 60-70 ના દસકામાં નવો નવો હીરા ઉદ્યોગ ખીલવા લાગ્યો હતો તેમાં ઝંપલાવવાના અરમાન રહેતા. એ હીરાઘસુનું કામ શીખવા માટે પણ પાંચસો રૂપિયા ભરવાના હતા. છ મહિના પછી હીરા ઘસવાની મજુરીની આવક ચાલુ થઈ જતી. એ રકમ સારી એવી મોટી હતી. અમારા ઘણા સહાધ્યાયીઓ અને કેટલાક શિક્ષકો સુદ્ધાં ચાલુ નોકરી છોડીને હીરામાં બેસી જતા હતા. હીરામાં થતી કમાણી ઈર્ષ્યા જગાવે તેવી હતી. આ સંજોગોમાં વડીલો એસ.એસ.સી. સુધી આપણને ભણવા દે એ જ એમનો મોટો ઉપકાર અને એ જ આપણા માટેનો એમનો ત્યાગ! યુવાન એસ.એસ.સી થાય એ જ મોટી લાયકાત ગણાતી. પ્રથમ વર્ગ તો ભાગ્યે જ કોઈનો આવે, પણ જો આવે તો એને એટલી પ્રતિષ્ઠા મળે કે જાણે એ સ્કૂલમાં નહિ, પણ બોર્ડમાં પ્રથમ આવ્યો હોય! એવા વિદ્યાર્થીઓ ગામનું ગૌરવ ગણાતા.

આ સંજોગોમાં દિનેશભાઈ પાંચાલ ભણ્યા અને બેંકમાં નોકરી કરતા કરતા સાહિત્ય ખેડાણ કરતા રહ્યા અને એમની એકધારી નિષ્ઠાને કારણે સાહિત્યજગતમાં જે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા તે સાચેમાચ એક વિરલ સિદ્ધિ છે. મારી એક વોટ્સેપ પોસ્ટમાં એમની સાહિત્ય યાત્રાને મેં ‘તળેટીથી શિખર સુધીની નહિ, પણ ઊંડી ખીણથી ઊંચા શિખર સુધીની વિકાસયાત્રા‘ તરીકે મેં બીરદાવી છે. વનવગડામાં ઊગેલા ફૂલના સૌંદર્ય અને સુગંધ વિષે મોટેભાગે કોઈને માહિતી નથી હોતી અને તેથી તેની કદર પણ નથી થતી. ઊગે છે, ખીલે છે, કરમાય છે અને ખરી પડે છે; એની નોંધ કોણ લે ભલા? શા માટે લે?

ભિનારના વનવગડામાં ઊગેલા ફૂલો પૈકીનું એક ફૂલ જેમ શ્રી દિનેશભાઈ પાંચાલ છે તેમ મારી જાણમાં ભિનાર ગામના જ અન્ય બે ફૂલો પણ છે; જે કોઈ પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર પ્રગતિ કરતા રહ્યા છે અને જીવનના ઊચ્ચ મુકામ સુધી તેઓ પહોંચી શક્યા છે, જેમના નામો પણ ક્યાંય સાંભળવા મળતા નથી. એ બે ફૂલો પૈકીનું એક ફૂલ તે એડવોકેટ રમણલાલ પી. પટેલ અને બીજું ફૂલ તે ભાગ્યેન્દ્રકુમાર પટેલ. બંને જણા શિડ્યુલ ટ્રાઈબ એટલે કે ઢોડિયા પટેલ જાતિમાં જન્મેલા. રમણભાઈ ૧૯૪૨માં, દિનેશભાઈ ૧૯૪૯ માં અને ભાગ્યેન્દ્રકુમાર ૧૯૬૭ માં જન્મેલા છે, આટલો તફાવત તેમની ઉંમરમાં છે. રમણભાઈ તે જમાનામાં ગ્રેજ્યુએટ થયા એટલું જ નહિ, પોસ્ટ ગ્રેજ્યુએટ પણ થયા. એલ.એલ.એમ. પણ થયા એ બહુ મોટી સિદ્ધિ ગણાય. નવસારીની લૉ કોલેજના પ્રિન્સિપાલ પણ બન્યા. વનવગડાનું ફૂલ કાયદાનું ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજના સર્વોચ્ચ પદે બીરાજે સ્વયં એક બહુ મોટી સિદ્ધિ ગણાય. એટલું જ નહિ રમણભાઈએ એમના વિસ્તારમાં પોતાની સઘળી કમાણી ખર્ચીને એક વૃદ્ધાશ્રમ પણ ઊભો કર્યો. આ કંઈ જેવું તેવું પ્રદાન ન ગણાય. પછાત વિસ્તારની પછાત કોમમાં જન્મીને આવા વિરલ સામાજિક કામો કરનાર ખરેખર નમસ્કારને પાત્ર છે. એમણે ક્યારેય પોતાના નામની કે કામની ક્યારેય જાહેરાત કે આત્મપ્રશંસા નથી કરી. તેઓ ભલા અને તેમનું કામ ભલું.

ભાગ્યેન્દ્ર પટેલની તો વાર્તા જ કોઈ દંતકથા જેવી લાગે. એમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એ વીસ બાવીસની ઉંમરનો છોકરો હશે. તે સૂરતના અલથાણ ટેનામેન્ટ પાસે આવેલી ભારતીશ સોસાયટીમાં ભાડેથી રહેતો હતો. નારગોલની ચિત્રકળા વિદ્યાલયમાંથી આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફરની ડિગ્રી મેળવી હતી. લોકો એને ભગુ પેન્ટર તરીકે ઓળખતા. સૂરતમાં જાહેરાતોના હોર્ડિગ ચિતરવા એ પાલખ બાંધીને સખત મજુરી કરતો. સાહિત્યમાં શોખ હોવાથી વાંચતો અને લખતો. રેડિયો અને સંગીતમાં સારી એવી દિલચસ્પી. એક ચર્ચાપત્ર દ્વારા અમારો પત્રસંબંધ બંધાયેલો. પછી રૂબરૂ મળવાનું થયું. તે વખતે એ નજીકની એક હિંદી માધ્યમની હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયો હતો. સૂરતના એફ. એમ રેડિયો સ્ટેશન પર કામ કરવાની તીવ્ર ઈચ્છા હતી, પણ એની પસંદગી નહિ થયેલી. નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના રેડિયો સ્ટેશન પર જઈને સૌને આસિસ્ટ કરતો રહ્યો.

એકાએક એના ભાગ્યનો સિતારો ચમક્યો. દિલ્હીની નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી વિભાગમાં કામ કરવાની એને તક મળી. દિલ્હી ગયા પછી એ કામમાં એવો મંડી ગયો કે ઊંચું જોવાની ફૂરસદ ન મળી. એની ક્રિયેટિવીટીને જાણે પાંખો ફૂટી. ભારે સંઘર્ષ કરીને એણે એનું સ્થાન મજબૂત કર્યું. આ માણસમાં અપાર શક્તિ ભરેલી છે. સાહસિક છે, વિવેકી છે, આભને બાથ ભરવાનો આત્મવિશ્વાસ છે. સાંઈ બાબામાં આસ્થા ધરાવે છે. સંગીતની સૂઝ છે. વાર્તાકાર છે, ચિત્રકાર છે, ફોટોગ્રાફર છે, સંપાદક છે, રેડિયો પર સમાચાર વાચક છે. નાટ્ય અને ફિલ્મ નિર્માતા છે, દિગ્દર્શક છે, ગીતકાર અને ગાયક છે. સાહિત્યકારો સાથે સતત સંપર્કમાં રહે છે. પુસ્તકોનો પ્રચારક છે. એના અક્ષરો એટલે મોતીના દાણા! ચાલુ ટ્રેને એણે મને લખેલા પત્રોમાં ના એના અક્ષરો જોઈને મને મારા અક્ષરોની શરમ લાગે. સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં મશગુલ રહે છે. જે કોઈ કામ હાથમાં લે છે તે જીવ રેડીને કરે છે.

આટલા બધા પ્રવૃત્તિમય રહેવા છતાં ભાગ્યેન્દ્ર સંબંધોનો માણસ છે. એના સંબંધમાં હોય તેવી કોઈ વ્યક્તિને મદદરૂપ થવાની તક મળતાં જ તેના ટાઈટ શિડ્યુલમાંથી કોઈ પણ રીતે સમય કાઢીને તમામ મદદ સહજ ભાવે કરે છે. આ બહુ મોટી વાત છે.

એના માટે તો એક સ્વતંત્ર લેખમાળા કરવી પડે.

પ્ર. મિ.

જોડણીદોષની વ્યથા કોને કહેવી?

આપણે ઉચ્ચારો સાંભળીને શીખીએ છીએ અને જોડણી જોઈને શીખીએ છીએ.

રોજ રોજ જે લખાણ નજરે પડતું હોય તેનાથી તે અક્ષરોના આકાર અને શબ્દોની જોડણી આપણા મગજમાં રેકોર્ડ થઈ જતી હોય છે. તેનાથી કંઈક જુદું કે વિપરીત જોવામાં આવે ત્યારે આપણે મુંઝાઈ જઈએ; આપણને શંકા પડે કે અત્યારે નજર સામે છે તે સાચું કે આજ સુધી જે જોતા આવેલાં છીએ તે સાચું. સામાન્ય જનતાને તો કોઈ ફરક પડતો નથી, તેમને તો લખનાર શું કહેવા માંગે છે તે મુદ્દો સમજાઈ જાય એટલે વાત પૂરી. સવાલ વિદ્યાર્થીઓને, શિક્ષકોને, સાહિત્યકારોને, પત્રકારોને અને પ્રૂફ-રીડરોને થતો હોય છે. યોગ્ય શબ્દ, યોગ્ય જોડણી, વિરામચિહ્નો વગેરેની જરૂર તેમને વધારે પડતી હોય છે.

સામાન્ય રીતે પાઠ્યપુસ્તકોમાં છપાયેલા શબ્દોની જોડણી પ્રમાણિત હોય છે. નવલકથા, વાર્તા, પ્રવાસવર્ણન કે ચિંતનાત્મક લખાણોમાં સ્પષ્ટતા કરેલી હોય છે કે જોડણી સાર્થ જોડણીકોશ મુજબ રાખી છે. નવજીવન પ્રકાશનના પુસ્તકો વાંચનારના મનમાં શબ્દોની જોડણી બરાબર અંકિત થઈ ગયેલી હોય છે. જે સામગ્રી ઉતાવળે પ્રકાશિત થાય છે તેમાં પ્રૂફરીડિંગ થતું હશે ખરું, પણ તેમાં કેટલાક દોષો રહી જવાની સંભાવના રહેલી છે તેથી વર્તમાનપત્રોમાં છપાયેલા શબ્દોની જોડણીને પ્રમાણભૂત માનવામાં જોખમ રહેલું છે. પહેલાં, ‘ગુજરાતમિત્ર‘, ‘સમકાલીન‘ જેવાં અખબારોમાં જોડણીની શુદ્ધતા જળવાતી હતી. હાલમાં જોડણીની એટલી ચોકસાઈ કોઈ રાખતું હોય એમ જણાતું નથી. આપણે લખેલા શબ્દોની જોડણી સાચી છે કે ખોટી તે ચકાસવા માટે આપણી પાસે એકમાત્ર આધાર છે માન્ય જોડણી કોશ. પ્રૂફરીડરોએ જોડણીકોશને અનુસરવાનું હોય છે. માત્ર અનુમાનને આધારે કોઈ લખાણને પ્રમાણિત કરી શકાય નહીં.

કવિમિત્રોના લખાણમાં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે, એમણે લઘુ- ગુરુની મર્યાદા સ્વીકારીને કાવ્યરચના કરવી પડતી હોય છે. અનુસ્વાર, હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ નો ખ્યાલ રાખીને જ તેમણે શબ્દો પ્રયોજ્યા હોય છે. અન્ય લેખક મિત્રોને શબ્દોની સાચી જોડણી ખબર હોવા છતાં એમની ભૂલ રહી જવાની શક્યતા એટલા માટે હોય છે કે વિચારોના તેજ પ્રવાહોને શબ્દોમાં ઉતારતી વખતે જોડણી સુધારવાનો તેમની પાસે સમય નથી રહેતો. એ બધું સુધારવા જાય તો પેલો પ્રવાહ અટકી પડે, તે જરાય પોસાય નહીં; જોડણી તો પછીયે સુધારી શકાય. વળી, એ કામ માટે તો પ્રૂફ રીડર પણ મળી શકે.

હમણાં, મારી એક પોસ્ટમાં મેં ‘દ, ઘ, અને ધ‘ વિશે લખ્યું હતું. ‘ધ્ધ‘ અને ‘દ્ધ‘ માં થતા ગોટાળા પર પ્રકાશ પાડ્યો હતો. ચર્ચામાં ભાગ લેતાં એક મિત્રે શંકા કરી કે ‘મુદ્રિત શબ્દોની જોડણી મુજબ હાથે કાગળ પર લખી ન શકાય. શુદ્ધ જોડણીના આગ્રહી એવા ગાંધીજીએ પણ શુદ્ધ, બુદ્ધ, શ્રાદ્ધ લખવાને બદલે શુધ્ધ, બુધ્ધ, શ્રાધ્ધ એમ જ લખ્યું હોવાની ધારણા છે.‘

મિત્રે દાવો કર્યો કે ‘‘અમે જાણીતા દૈનિકોમાં પ્રૂફ રીડિંગ કર્યું છે, ઘણાં પત્રકારોના લખાણનું પ્રૂફરીડિંગ કર્યું છે, સ્વયં અમે પણ લેખક અને પત્રકાર તરીકે ઘણા લેખો, વાર્તાઓ- નવલકથા લખી છે પરંતુ તમે જે રીતે ‘દ્ધ‘ હાથે લખવાના આગ્રહી છો એવાં ‘દ્ધ‘ લખનારના સંપર્કમાં આવ્યા નથી. અમે આજે પણ પ્રબુધ્ધ કે અનિરુધ્ધ જ લખી શકીએ છીએ. પેઈન્ટર પણ ‘શુધ્ધ ઘી મળશે‘ માં ‘ધ્ધ‘ જ લખતાં હોવાનાં પૂંઠા પરના બોર્ડ જોયાં છે…‘‘

ચોંકાવનારું સત્ય રજૂ કરવા બદલ એ મિત્રનો હાર્દિક આભાર માનવો જ રહ્યો. છાપામાં કેવી રીતનું પ્રૂફરિડિંગ થઈ રહ્યું છે તેનો ચિતાર આપવા એમણે સ્વાનુભવ રજૂ કરવાની હિંમત દાખવી, એમની નિખાલસતાને બીરદાવવી જ જોઈએ. છાપાંઓમાં ‘નિષ્ણાંત‘ અને ‘આંતકવાદ‘ જેવા શબ્દો કેમ છપાય છે તેના મૂળ અહીયાં પડેલાં છે! જોડણીકોશનો ઉપયોગ કર્યા વિના જ લખાણ એપ્રુવ કરે એવા સંનિષ્ઠ પ્રૂફરીડરો આપણી શિક્ષણ વ્યવસ્થાએ તૈયાર કર્યા છે!

સાચી જોડણી લખવી બહુ અઘરી છે. શુદ્ધતાનો આગ્રહ રાખનાર વ્યક્તિની જોડણી હંમેશાં સાચી જ હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહી. શંકાના સમાધાન માટે એણે પણ જોડણીકોશનો આધાર લેવો પડે છે. ઘણા મહાનુભાવો લખતી વખતે જોડણીકોશ હાથવગો રાખતા હોય છે. રાખવો જ જોઈએ. તેમ છતાં ક્યાંક તો ક્ષતિ રહી જવાની શક્યતા રહે જ છે. પ્રૂફ રીડિંગ એ બહુ કડાકૂટવાળો વ્યવસાય છે. ગમે તેટલી કાળજી રાખીને પ્રૂફ તપાસ્યાં હોય તોયે તેમાં કોઈ ને કોઈ કચાસ તો રહી જ જાય છે. જેટલીવાર તપાસો તેટલીવાર કંઈ નહીં ને કંઈ ક્ષતિ રહી ગયેલી માલુમ પડે. બીજા કોઈ ભૂલ કરે તે તો સમજ્યા, પણ જેમને જોડણીની ભૂલ સુધારવાનું કામ સોંપાયું હોય તેઓ પણ જોડણીકોશ જોવાની તસ્દી લીધા વિના ‘હાંક, સુલેમાન ગાલ્લી!‘ કોઈ જોવાનું નથી- એવો અભિગમ અપનાવે ત્યારે એ વ્યથા કોને કહેવી?

પ્રૂફરીડરની અણઆવડત, એની બેદરકારી, એણે ઉતારેલી વેઠ ગુજરાતી ભાષાને ખૂબ મોંઘી પડે છે. વાચકો સામાન્ય રીતે એણે પ્રમાણિત કરેલી જોડણીને અનુસરતા હોય છે. તેથી પ્રૂફ રીડરની ભૂલ વિસ્તરતી જ રહે છે અને એ પાપ માટે તેઓ જ વધારે જવાબદાર છે. મહેનતાણું ઓછું પડતું હોય તો માંગી લેવું જોઈએ અથવા કામ છોડી દેવું જોઈએ, પણ વેઠ તો ન જ ઉતારવી જોઈએ. એવી વેઠનું ગૌરવ લેનાર સુજ્ઞ લોકોમાં હાંસીને પાત્ર બને છે.

આપણે પેઈન્ટરોની જોડણીને અનુસરી શકીએ નહીં. તેઓ બિચારા ઓછું ભણેલા છે. તેમને જેવાં વાક્યો લખી આપ્યાં હોય તે મુજબ તેઓ બોર્ડ ચીતરે છે. એમાં દોષ રહી જતો હોય તો તેને માટે તેઓ જવાબદાર નથી. તેમનો એવો દાવો પણ નથી હોતો કારણ કે તેઓ સમજે છે કે એ તેમનો વિષય જ નથી. જેમનો એ વિષય છે તેમને કોઈ ચિંતા ન હોય તો એ શું કામ માથાકૂટમાં ઊતરે? આપણને આપણા કામ સાથે નિસબત હોવી જોઈએ.

આશા રાખું છું કે પ્રૂફરીડર ભાઈઓ જોડણીકોશનો ઉપયોગ કરતા થાય! એ ખરીદવાની શક્તિ ન હોય તો પ્રકાશક પાસે માંગણી કરે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે. ચલતી કા નામ ગાડી – સૂત્ર ભૂલી જવા જેવું છે. એ સૂત્ર મુજબ ચાલવાથી જ તો આજની દુ:ખદ પરિસ્થિતિ સર્જાઈ છે.

અસ્તુ.

પ્ર. મિ

8Suresh Desai, Ramesh Tanna and 6 others

2 Comments

Like

Comment

Share

શ્રમનું વિભાજન: એક સુવ્યવસ્થા

એક સમૃદ્ધ પરિવારમાં ચાર પુત્રવધૂઓ હતી. સાસુમાને થયું કે આજ સુધી તો મેં પરિવારને સારી રીતે સાચવ્યો. ઘરનું સંચાલન, સામાજિક ફરજો તમામ જવાબદારી મારી એકલીના શિરે હતી. ઘણી તકલીફો પડી, પણ મારી હયાતિ પછી એવું ન બનવું જોઈએ કે કોઈ એકલીના માથે જ બધું આવી પડે. એવું પણ ન બનવું જોઈએ કે ઘરની જવાબદારીમાંથી સૌ હાથ ઊંચા કરી દે! આવું થાય તો તો વરસોની મહેનત અને કાળજી કુનેહથી ઊભી કરેલી સમૃદ્ધિ નાશ પામે અને પ્રતિષ્ઠાનું યે પડીકું વળી જાય. અગમચેતી દાખવીને મારે હવે એ નિર્ણય લેવો જોઈએ કે ઘરની કઈ જવાબદારી કઈ વહુને સોંપવી. આમ તો ચારેચાર પુત્રવધૂઓ સંસ્કારી છે, સક્ષમ છે તેમ છતાં એકવાર તેમની પરીક્ષા મારે લેવી જોઈએ. તેમની રૂચિ શેમાં છે તે જાણ્યા પછી જવાબદારી સોંપાય તો તે ભારરૂપ નહીં લાગે અને મન મૂકીને ફરજ નિભાવે.

એક દિવસ સાસુમાએ ઘરની મોટી વહુને ડાંગરના પાંચ દાણા આપ્યા  અને તેને કહ્યું કે આ તને સાચવવા માટે આપું છું. મને જરૂર પડે ત્યારે તારી પાસેથી માંગીશ. આ રીતે વારાફરતી બાકીની વહુઓને પણ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને માગું ત્યારે મને પાછા આપજો એમ જણાવ્યું. આ દાણા સાચવવા આપવા પાછળનો હેતુ તો ફક્ત સાસુને જ ખબર; વહુઓને તો એટલી જ ખબર કે સાસુમા જ્યારે માંગશે ત્યારે એ પાછા આપવાના છે. એક વહુને લાગ્યું કે ઘરમાં કોઠારમાં અનાજના આટલા દાણા ભર્યા છે, સાસુમા જ્યારે માંગશે ત્યારે કોઠારમાંથી પાંચ દાણા કાઢીને આપી દેવાશે, આ પાંચ દાણાને અલગથી સાચવવાની જરૂર નથી એમ સમજીને તેને ફેંકી દીધ!. બીજીએ એક નાની ડબ્બીમાં એ દાણા સાચવી રાખ્યા. ત્રીજી વળી એ દાણા છોલીને ચોખા ખાઈ ગઈ. ચોથીએ શું કર્યું તે ખબર ન પડી.

ચાર પાંચ વરસ પછી સાસુમાએ ચારે વહુઓ પાસેથી એ દાણાની ઉઘરાણી કરી. પહેલી તો તરત જ જઈને કોઠારમાંથી પાંચ દાણા ગણીને કાઢી લાવી અને સાસુના હાથમાં મૂક્યા. બીજી વહુ એના કબાટમાંથી ડબ્બી શોધી લાવી અને તે ખોલીને પાંચ દાણા જે હતા તે કાઢી આપ્યા. ત્રીજીએ કહ્યું કે મારી પાસે તે દાણા નથી. એ દાણા તો હું ખાઈ ગઈ હતી! ચોથીને પૂછ્યું કે મેં તને પાંચ દાણા આપેલા તે ક્યાં છે. તેણે નમ્રતાથી કહ્યું કે ‘મા, તે દાણા અત્યારે હું હાજર કરી શકું તેમ નથી. તે લાવવા માટે તો તમારે મારા પિયરમાં ગાડું મોકલવું પડશે‘. સૌને નવાઈ લાગી કે પાંચ દાણા લાવવા માટે વળી ગાડું મોકલવાનું હોય! એની વાત કોઈને સમજાઈ નહીં. સાસુમાએ એ જાણવા માગ્યું કે એણે આપેલા પાંચ દાણાનું એણે શું કર્યું. વહુએ જણાવ્યું કે તમે આપેલા પાંચ દાણા મારા પિયરમાં મે વાવ્યા. તે પાંચ છોડ પર કંટી આવી અને તેમાં અનેક દાણા આવ્યા. પાંચ દાણાના પાંચસો થયા. એ તમામ દાણાને બીજે વરસે મેં વાવ્યા તો પાંચસો છોડ પર એટલા બધા દાણા આવ્યા કે એક ગુણ ભરાઈ ગઈ. બીજે વર્ષે તે વાવ્યા તો કોઠી ભરીને ડાંગર પાકી. દાણા વધતા જ ગયા. આજે મારા પિયરમાં એટલા બધા દાણા છે કે તેને લાવવા માટે ગાડું જ મોકલવું પડે. તમે આપેલા પાંચ દાણાનો એ પ્રતાપ છે.

ચારેચાર વહુ ગુણિયલ હતી. સાસુમાને વહાલી હતી પણ દરેકની કાર્યક્ષમતા અને વૃત્તિ જુદી જુદી હતી એ સાસુમાને સમજાઈ ગયું. ઘરના બધાં જ કામો સરખાં મહત્ત્વના છે. કોઈ કામ હલકું નથી. દરેક કામ અગત્યનું છે. ક્યારેક કોઈ કામ જેને સોંપાયું હોય તે વ્યક્તિ ઉપલબ્ધ ન હોય તો ઘરના અન્ય કોઈ પણ સભ્યે તે જાતે કરી લેવું પડતું હોય છે. ઘરના કામમાં બાદશાહ ગુલામ એવી કહેવત છે. પછી સાસુમાએ ચારે વહુઓને તેમની વૃત્તિને અનુરૂપ કામ વહેંચી આપ્યાં. ઘરની જવાબદારી વહેંચી આપી. જેને ફેંકતા આવડતું હતું તેને ઘરની સાફસૂફીનું કામ સોંપ્યું. કઈ વસ્તુ જરૂરી છે ને કઈ જરૂર વગરની છે એનો ખ્યાલ રાખીને ઘરની ચીજવસ્તુઓને ગોઠવવાની કે નિકાલ કરવાની અને ઘરને સુઘડ રાખવાની જવાબદારી સોંપવામાં આવી. બીજીને ઘરનું રસોડું સોંપી દીધું. એને ચાખતાં સારું આવડતું હતું! ત્રીજીને તિજોરીની ચાવી આપવામાં આવી.તેની સાચવણી સારી હતી. પણ ચોથીને? ચોથીને પરિવારની મુખ્ય વ્યક્તિ બનાવી ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી. આમાં કોઈને સજા કરવાનો કે કોઈને સરપાવ આપવાનો સવાલ નથી, પણ જેની જે કામમાં નિપુણતા છે તે મુજબનું કામ તેમને સોંપાયું. સાસુમાને નિરાંત થઈ ગઈ કે હું નહીં હોઉં ત્યારે પણ મારી વહુઓ પરિવારને સારી રીતે ચલાવશે, સૌની કાળજી લેવાશે, પરિવાર પ્રગતિ કરશે અને એની પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતી રહેશે. ચારે વહુઓ સંસ્કારી છે, પરિવારને સમર્પિત છે અને પરસ્પર લાગણીવાળી છે. ‘પુત્રવધૂઓની પરીક્ષા‘ નામનો એક પાઠ પ્રાથમિક શાળામાં ભણવામાં આવેલો તેની આ વાત છે.

આપણે આપણા ઘરમાં સામાજિક પ્રસંગ લઈને બેઠા હોઈએ ત્યારે આપણાં ઘણાં બધા સગાં સ્નેહી અને મિત્રો ભેગાં થાય છે. પ્રસંગને સારી રીતે પાર પાડવા માટે તેઓ કોઈ ને કોઈ જવાબદારી લેવા ઉત્સુક હોય છે, પણ દરેકની સમજણ, રૂચિ, કેપેસીટી જુદી જુદી હોય છે, તેથી તે ઓળખીને તે મુજબ તેમને કામ સોંપવામાં આવે તો તેઓ ઉમંગભેર અને પૂરતી ચોકસાઈથી તે કામગીરી બજાવે છે. પોતે કામ આવ્યાનો તેમને ય આનંદ અને આપણું કામ સારી રીતે પાર પડ્યાનો આપણનેય આનંદ. કોઈ પરાયું નથી, કોઈ નકામું નથી. કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક વ્યક્તિની ભાગીદારી, દરેકની ઉપયોગિતા અને દરેકનું સરખું મહત્વ જળવાય છે. કોઈને એમ નહીં લાગે કે અમે તો નકામા અટવાયા! પાંચ આંગળીઓ કદી સરખી હોતી નથી. દરેકનું કામ જુદું પણ કોઈ કામ હલકું કે ઉતરતું નહીં. દરેક કામ અતિ મહત્વનુ. દરેક માણસ પણ સરખા મહત્વનો.

નાનામોટાં મંડળોથી માંડીને કોઈ સંસ્થા, સંગઠન કે તંત્રમાં પણ લગભગ આ જ રીતે વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. કોઈક ઉદ્યોગગૃહ હોય તો પ્રોડક્શન સાથ સંકળાયેલા કર્મચારીઓનો એક વર્ગ હોય છે. તેમના કામનું સુપરવિઝન કરનાર બીજો એક વર્ગ હોય છે. તેનાથી ઉપર ત્રીજો એક વર્ગ હોય છે જે નિષ્ણાતોનો વર્ગ છે. તેઓ અવારનવાર અપડેશન કરતા રહે છે અને સૌથી ઉપર એક વર્ગ એવો છે જે નીતિ વિષયક નિર્ણયો લે છે. કામ કરવાની ક્ષમતા અને અનુભવને આધારે તેમને પ્રમોશન પણ મળતા રહે છે. ઉદ્યોગગૃહની પ્રગતિમાં તમામ સરખા હિસ્સેદાર હોય છે. સમય સમય પર સાચા નિર્ણયો લેવાવા જોઈએ. એ નિર્ણયોને અનુરૂપ પ્રોગ્રામ સેટ થવા જોઈએ. તે ગુણવત્તા મુજબ વર્કરોએ કામ કરવું જોઈએ. આ બધામાં ક્યાંક પણ ચૂક થાય તો વ્યવસ્થા ખોરવાય છે અને ધારેલા પ્રોજેક્ટ સમયસર પાર પડતા નથી. દરેક વર્ગ વચ્ચે સાયુજ્ય હોવું જરૂરી છે.

આપણા સરકારી તંત્રોમાં પણ સ્ટાફ વચ્ચે વ્યવસ્થાના ભાગરૂપે એક ભેદરેખા હોય છે. કામના પ્રકાર અને જવાબદારી મુજબ ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓ હોય છે ત્યારબાદ ક્લાસ વન, ક્લાસ ટુ ઓફિસર કે મેનેજરો હોય છે.અને નિર્ણયો લેનાર, પોલીસી ઘડવાનું કામ સરકાર કરતી હોય છે. આ સૌ વચ્ચે સમજદારી હોય, કોઓર્ડિનેશન હોય તો તંત્ર સારી રીતે ચાલે છે.. જો વ્યવસ્થા ઢીલી તો તંત્ર ઢીલું અને વ્યવસ્થા જડબેસલાક હોય તો તંત્ર વધારે કાર્યક્ષમ પુરવાર થાય છે.

આ વ્યવસ્થા દુનિયામાં સઘળે જોવા મળે. જે પીંડે તે બ્રહ્માંડે. આપણા શરીરમાં દરેક અંગો કામના છે અને દરેકનું મહત્ત્વ છે, પણ વિચાર કરવાનું અને નિર્ણયો લેવાનું કામ મગજ કરે. સંરક્ષણ કે આક્રમણ કરવા માટે આપણા હાથ તત્પર જ હોય. કામ કરવા માટે શક્તિ જોઈએ. ખોરાક પચાવવાથી માંડી તેનું લોહી બનાવી તેને સતત ફરતું રાખીને પુરવઠો પહોંચાડવાનું કામ પેટ કરે અને કામ કરવા કે સેવા કરવા શરીરને ઊંચકીને ફેરવવાનું કામ પગ કરે. પગમાં ઘા થાય તો મગજમાંથી હુકમ છૂટે અને હાથ તરત જ મદદે પહોંચે, લોહીનો વધુ પુરવઠો મોકલાય. શરીરનું સમગ્ર તંત્ર સક્રિય થઈ જાય. આજ ફોર કાસ્ટ સિસ્ટમ તો નથી ને?

સમાજ એ ઘણા બધા માનવોનો બનેલો સમુદાય છે. સમાજમાં જીવનની આવશ્યકતાઓનું ઉત્પાદન કરનાર વર્ગને ઉત્પાદક નામ આપીએ. રોટી, કપડા અને મકાન, દવા, શિક્ષણ, મનોરંજન એ જરૂરી વસ્તુઓ છે. અને તેની સાથે સંકળાયેલો વર્ગ પણ ઉત્પાદક જ ગણાય. આ  સેવાનું કામ છે. સફાઈ કરવી એ જ એકમાત્ર સેવા નથી.આજે જુદી જુદી સર્વિસ આપનારા સેન્ટર ખૂલ્યાં છે. જેઓ તાકીદે સેવા અપે છે અને યોગ્ય ચાર્જ લે છે. ઉત્પાદન કરનાર વર્ગ જાતે સમાજમાં ફરીને તેનું ઉત્પન્ન પહોંચાડી શકતો નથી એટલે એ બધાંની કિંમત આપીને એકત્ર કરી તેના પર પોતાનું યોગ્ય મહેનતાણું ચડાવીને સમાજમાં વિતરણ કરનારો એક વર્ગ ઊભો થયો.. તેને વિતરક કહીએ. કોઈપણ સમાજને સમૃદ્ધ બનાવવો હોય તો આ ઉત્પાદક અને વિતરક વર્ગ સક્ષમ હોવા જોઈએ. તો અને તો જ જરૂરિયાની વસ્તુઓ સમાજના એકેએક માણસ સુધી પહોંચી શકે.

આવા સમૃદ્ધ સમાજ પર બહારના આક્રમણનો ભય રહે. સુવ્યવસ્થા ઢીલી પડેતો આંતરિક પ્રશ્નો પણ ઊભા થાય. તેથી સલામતી અને સુરક્ષા માટે સંરક્ષક વર્ગ હોય. અને તમામ લોકોએ અંગત તેમજ જાહેર જીવન કેવી રીતે જીવવું તેની કેળવણી આપનાર ચિંતકોનો એક વર્ગ હોય. આ ચારેચાર વર્ગ વચ્ચે સાયુજ્ય હોય, એકરાગિતા હોય, અનુકૂલન હોય તો સમાજ સ્વસ્થ રહે.  જેને આપણે ઉત્પાદક વિતરક, સંરક્ષક અને ચિંતક નામ આપ્યાં તેને જ અંગ્રેજીમાં પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યૂટર, પ્રોટેક્ટર અને થિંકર કહેવાય. આપણા સૌના પૂર્વજ એવી આર્ય પ્રજાએ એને શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ નામ આપ્યાં એમાં ખોટું શું છે? ખોટું એ થયું કે આપણે વર્ણને વર્ગ સમજવાને બદલે જ્ઞાતિ સમજી બેઠા અને તેમાં ઊંચનીચના ભેદ દાખલ થયા. અપડેશન કરીને રજુ કરવામાં આવે તો શ્રમ વિભાજન કરનારી ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા જગતની શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

પ્ર. મિ.