દિવાન-એ-ખાસ

– વિક્રમ વકીલ

મોરીછાપી હત્યાકાંડ : સામ્યવાદીઓએ કરેલી કત્લેઆમનો વણકહ્યો લોહીયાળ ઇતિહાસ

*******

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવેલા ગરીબ હિન્દુઓને જ્યોતિ બસુએ કઈ રીતે મોતને ઘાટ ઊતાર્યા હતા?

*******

”પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારે અમારો આર્થિક બહિષ્કાર ચાલુ કર્યો હતો. 1979ની 26મી જાન્યુઆરી પોલીસની 30 જેટલી લોન્ચ બોટ અને ત્રણ જેટલી બીએસએફની સ્ટીમરે મોરીછાપી ટાપુને ઘેરી લીધો હતો. ઘણા દિવસોથી અમે અનાજ, પાણી કે દવા લેવા માટે ટાપુની બહાર જઇ શક્યા નહોતા. જ્યારે પણ અમારી હોડીઓ ટાપુથી દુર જવાનો પ્રયત્ન કરે કે પોલીસની લોન્ચ ટક્કર મારીને અમારી હોડીને ડુબાડી દેતી હતી અને હોડીમા સવાર લોકો ડુબી જતા હતા. અમારા નેતા સતીષ મોન્ડાલ અને રંગલાલ ગોલ્ડારે નક્કી કર્યું કે એક હોડીમાં ફક્ત સ્રીમોઓને બેસાડીને જ પાણી અને અનાજ લેવા મોકલીએ. પોલીસ કદાચ મહિલાઓને જોઇને હોડીને જવા દેશે. પરંતુ અમે ખોટા પડ્યા. ખાખી વર્દીધારીઓએ મહિલાઓની હોડીને પણ ટક્કર મારીને ડુબાડી દીધી. મહિલાઓ ડૂબી રહી હતી ત્યારે હું અને બીજા 400 જેટલા પુરુષો હિંમત કરીને એમને બચાવવા દોડ્યા. અમે નદીમાં ડુબકી મારીને તરતા તરતા પહોંચ્યા ત્યારે ડુબી રહેલી મહિલાઓ પર પોલીસે ફાઇરીંગ શરૂ કર્યું. જોકે અમે હિંમત કરીને કેટલીક મહિલાઓને બચાવી લીધી…. ”

બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવીને પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલા સંતોષ સરકાર ઉપરનો પ્રસંગ યાદ કરતા લગભગ રડી પડ્યા હતા. મોરીછાપી શું છે અને ત્યાં શું શું થયું હતું એની આપવીતી કહેવા માટે સંતોષ સરકાર જેવા બીજા કેટલાક બંગાળી હિન્દુઓ હજી હયાત છે.

પશ્ચિમ બંગાળમાં કલકત્તાથી આશરે 70 કીલોમીટર દૂર આવેલા સુંદરવનના જંગલોની વચ્ચે મોરીછાપી નામનો નાનકડો ટાપુ આવ્યો છે. 1947ના ભાગલા વખતે એ વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતમાં શરણાર્થી તરીકે આવેલા હિન્દુઓમાંથી, ઉપલા વર્ગના હિન્દુઓ કલકત્તા સ્થાયી થવા માટે નસીબદાર રહ્યા હતા. મોટા ભાગના ગરીબ અને દલિત હિન્દુઓને પશ્ચિમ બંગાળમાં આવકાર મળ્યો નહીં હોવાથી તેઓ ઓરિસ્સા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સ્થાયી થયા હતા. આ હિન્દુઓની હાલત ખૂબ જ કપરી હતી. જંગલમાં તેઓ આદિવાસીઓની સાથે રહીને ભૂખમરામાં દિવસો પસાર કરતા હતા. હિટલરના કોન્સનટ્રેશન કેમ્પમાં જે હાલત યહુદીઓની હતી એવી જ હાલત હિન્દુ શરણાર્થીઓની હતી. 60ના દાયકામાં પણ પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો દ્વારા થતા અત્યાચારથી કંટાળીને હિન્દુઓ મહામહેનતે ભારત શરણાર્થી તરીકે આવ્યા હતા. એ વખતે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી પક્ષ સીપીઆઇ (એમ) વિરોધ પક્ષ તરીકે હતો. મધ્યપ્રદેશના જંગલોમાં સ્થાયી થયેલા આ શરણાર્થીઓને બંગાળમાં સ્થાયી થવાનું આમંત્રણ અને લાલચ સામ્યવાદીઓએ આપી હતી.

સામ્યવાદી કહો, ડાબેરી કહો, માઓવાદી કહો કે અર્બન નક્સલ કહો. પ્રજાતિ એક જ છે. આ પ્રજાતિ હંમેશા એવો દેખાડો કરે છે કે તેઓ ગરીબોના મસિહા છે. લિબરલ છે. સેક્યુલર છે. પોતાના વિરોધીઓ માટે તેઓ હંમેશા ફાસિસ્ટ, કોમવાદી, માસ મર્ડરર… જેવા શબ્દપ્રયોગનો ઉપયોગ છુટથી કરે છે. સામ્યવાદીઓનો અસલી ચહેરો જોવો હોય તો ઘણા બધા દાખલા આપી શકાય. પરંતુ હમણા જ પ્રકાશિત થયેલા એક પુસ્તકે આ સામ્યવાદીઓનો એક એવો બિહામણો અને બર્બર ચહેરો એક્સપોઝ કર્યો છે કે કદાચ હિટલર અને મુસોલિની જેવા ક્રુર શાસકોને પણ સારા કહેવડાવે.

સામ્યવાદીઓ જે ઇતિહાસને વિશ્વથી છુપાવવા માંગતા હતા, જેના ઉલ્લેખ માત્રથી છળી ઊઠતા હતા એ હવે વિશ્વસમક્ષ બેનકાબ થઈ ગયો છે.

સિત્તેરના દાયકાના અંતભાગમાં પશ્ચિમ બંગાળની સત્તા પર પહેલી વખત સામ્યવાદીઓએ કબજો જમાવ્યો. મુખ્યપ્રધાન તરીકે જ્યોતિ બસુ હતા. સામ્યવાદીઓની વાતમાં વિશ્વાસ રાખીને કેટલાક હજાર શરણાર્થીઓ મોરીછાપી ટાપુ પર સ્થાયી થયા. જાત મહેનતે એમણે જંગલમાં મંગલ જેવું વાતાવરણ ઉભુ કર્યું. તેઓ માંડ બે પાંદડે થયા તે સામ્યવાદીઓની આંખમાં ખૂંચવા માંડ્યા. આ શરણાર્થીઓમાંથી મોટા ભાગના નવશુદ્ર તરીકે ઓળખાતા દલિત હતા. સામ્યવાદી સરકારે મોરીછાપીના શરણાર્થીઓને ધમકી આપવાની ચાલુ કરી કે તેઓ ટાપુ ખાલી કરી નાંખે. ધમકીઓથી ડરીને કેટલાક શરણાર્થીઓ સુંદરવન જંગલની અંદર ભાગી ગયા. આ ભાગેલા શરણાર્થીઓમાંથી કેટલાકને રેલવે સ્ટેશન પરથી જ પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. દિવસો સુધી એમને ખોરાક અને પાણી આપવામાં આવ્યા નહીં. કેટલાકને તડીપાર કરવામાં આવ્યા. ત્યાર પછી મોરીછાપીમાં રહી ગયેલા 40 હજાર જેટલા દલિત શરણાર્થીઓ પર જે અત્યાચાર થયા તેનો જોટો સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જડે તેમ નથી.

સરકારે પોલીસ મોકલીને શરણાર્થીઓના ઝુંપડાઓ સળગાવી દીધા. ટાપુને ચારે તરફથી ઘેરી લઈને અનાજ અને પાણીનો પૂરવઠો અટકાવી દેવામાં આવ્યો. અનાજ, પાણી અને દવા વગર હજારો શરણાર્થીઓ મૃત્યુ પામ્યા. પોલીસ અત્યાચારમાં બાકીના બીજા જે મૃત્યુ પામ્યા એ બધાનો આંકડો ગણતા એમ કહેવાય છે કે 10 હજાર હિન્દુ શરણાર્થીઓની કત્લેઆમ કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ પછી જ્યારે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું ત્યાર પછી ત્યાંના હિન્દુઓ પર થતા અત્યાચારમાં ઘટાડો થયો નહીં એટલે અહીંના હિન્દુઓ માટે સૌથી મોટી દ્વિધા એ હતી કે એમણે કરવું શું ?

શરૂઆતમાં જે શરણાર્થીઓ આવ્યા હતા તેમને દંડકારણ્યમાં કામચલાઉ તંબુઓ તૈયાર કરીને રાખવામાં આવ્યા હતા. આવા હિન્દુ શરણાર્થીઓ માટે મોરીછાપીનો ટાપુ એ કાયમના વસવાટનું સ્થળ બની શકે એમ હતું. શરણાર્થીઓ આવ્યા એ પહેલાં મોરીછાપી ટાપુ પર કોઈ વસવાટ કરતુ નહોતું એટલે સામ્યવાદી સરકાર પાસે દલિતોની કત્લેઆમ કરવા માટે કોઈ કારણ પણ નહોતું.

દિપ હલદર નામના તેજસ્વી પત્રકારે મોરીછાપી હત્યાકાંડમાંથી બચી ગયેલા અને જેમણે હત્યાકાંડ વિશે ફર્ટ્મહેન્ડ માહિતી મેળવી હતી તેવાઓને મળીને ‘બ્લડ આઇલેન્ડ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પહેલાં મોરીછાપીના હત્યાકાંડને પૃષ્ઠભુમીમાં રાખીને અમિતાવ ઘોષ નામના જાણીતા લેખકે એક નવલકથા પણ લખી હતી. નવાઇની વાત એ છે કે 1984ના શીખ હત્યાકાંડ વિશે તપાસ કરવા યોગ્ય રીતે જ ઘણા કમિશનો નિમાયા અને ઘણા લેખો લખાયા, પરંતુ મોરીછાપી હત્યાકાંડ વિશે દેશ-વિદેશમાં બહુ ઓછાને ખબર છે. જ્યોતિ બસુની સરકારે મોરીછાપીના શરણાર્થીઓ પર અત્યાચાર કરવાનું જે કહેવાતું કારણરજુ કર્યું હતું એ પ્રમાણે મોરીછાપી એ પ્રતિબંધીત ટાપુ છે અને શરણાર્થીઓને કારણે ત્યાંના પર્યાવરણને નુકશાન થાય એમ હતું ! જોકે મોરીછાપીના હત્યાકાંડ વિશે જાણકાર કેટલાકની દલીલ છે કે સામ્યવાદીઓને દલિતો પ્રત્યે અણગમો હોવાથી તેઓ ઇચ્છા નહોતા કે પશ્ચિમ બંગાળમાં તેઓ સ્થાયી થાય. મોરીછાપીના હત્યાકાંડ પાછળનું કારણ જે કંઈ હોય, પરંતુ એક વાત નક્કી છે કે જો આ હત્યાકાંડની ફરીથી તપાસ થાય અને સત્ય બહાર આવે તો દેશના અર્બન નક્સલોનું માથું જિંદગીભર શરમથી ઉચું નહીં થાય !

* * *

(નરેન્દ્ર મોદીને હિટલર ગણાવતા લાલભાઈઓએ અરીસામાં મોઢું જોવાની ખાસ જરૂર છે..)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s