સાઉથની ટૂરના અમારા સહપ્રવાસી: અરવિંદલાલ દેસાઈ

કલાપી ગાર્ડનમાં મોર્નિંગ વૉક કરતી વખતે અનાયાસે જે વૃદ્ધ સજ્જન મળી ગયા તેમની સાથે અમારો પુરાણો નાતો છે. મેં પૂછ્યું, ‘મને ઓળખ્યો કે અરવિંદભાઈ!‘

દાંત વગરનું મોં ખુલ્લું રાખીને તેઓ મારા તરફ જોતા રહ્યા અને વિચારતા રહ્યા!

મને લાગ્યું કે વરસોના પડ ચડી ગયાં છે એ સંબંધ પર અને વયની પણ અસર થઈ છે, પછી તેમની યાદદાસ્તને વધારે તસ્દી આપવી સારી નહીં.

‘હું પરભુ મિસ્ત્રી, મને ન ઓળખ્યો? આપણે રામેશ્વર કન્યાકુમારીના પ્રવાસમાં સાથે હતા. પ્રવાસ દરમિયાન આપણે પરસ્પર સતત લડતા રહેતા હતા!

‘પરભુભાઈ મિસ્ત્રી?‘

 ‘હા. આપણી જોડે ટેક્ષ્ટાઈલ વેપારી હસમુખભાઈરાવલ હતા. એક મિ. ટાંક હતા….‘ થોડા સહપ્રવાસીઓના નામો મેં જણાવ્યા. બોખા મોં પર મલકાટ પ્રસરી ગયો! અબ બાત આયી સમજમેં! ‘તમારી તબિયત કેમ છે, દક્ષાબેન શું કરે છે, એમની તબિયત કેમ છે.‘ વગેરે પ્રશ્નો મેં કર્યા. વરસો પછી કોઈ આત્મીયજન મળ્યું હોય એટલો આનંદ અમે બંને જણાં માણી રહ્યા.બરાબર વીસ વરસ પહેલાંનું તોફાન નજર સામે ઊભરી આવ્યું. રમણભાઈ શાહ સંચાલિત નૂતન ટ્રાવેલ્સની અમારી એ ટૂરના સહપ્રવાસીઓના જીવ ઊંચા થઈ જતા હતા અમારા શબ્દબાણોને કારણે. અમે ક્યારે બાઝી પડીશું તેનું ઠેકાણું નહીં, એમ સૌને લાગતું હતું.. મારા સ્વભાવ વિરુદ્ધ હું વર્તી રહ્યો હતો!

પ્રાથમિક પરિચય પછી ટ્રેનના ડબ્બામાં વાતચીત ચાલી રહી હતી. મારા કંપાટમેન્ટમાં સિવિલ હોસ્પીટલની નર્સ બહેનોની મેજોરિટી હતી એટલે મારી બાજુના કંપાર્ટમેન્ટમાં વડીલોના ગૃપ વચ્ચે જઈને હું બેઠો હતો. કોઈ મુદ્દા પર મારો અભિપ્રાય લેવાનું એક વડીલે સૂચન કર્યું. અને અરવિંદલાલ દેસાઈએ બેપરવાઈથી અનાવિલને છાજે તેવું બોલી નાંખ્યું, ‘એ કુંભારને હું કારેલા હમજ પડે?‘

હું તો અનાવિલો અને પટેલોની જબાનથી બરાબર ટેવાયેલો એટલે મને તો  જરા પણ ઝાળ ન બળી! પણ મારી આવી ઘોર અવગણના બીજા વડીલોથી સહન ના થઈ. તેઓ બોલ્યા, ’અરવિંદભાઈ, જરાક તો માન અને સભ્યતાથીબોલો.‘ અરવિંદભાઈ કહે, ‘આનાથી વધારે વળી કેટલાક માનથી બોલવાનું હોય!‘ લોકોના ચહેરા પર કડવું હાસ્ય ઊભરી આવ્યું. મેં મનોમન નક્કી કરી લીધું કે આ અરવિંદ દેસાઈ જે ભાષા સમજે છે તે જ ભાષામાં મારે એમની જોડે વાત કરવી પડશે. પરિણામે, કોઈપણ મુદ્દા પર અમે પરસ્પર વાંકુ જ બોલવા માંડ્યા. આ ટુરમાં મારે અદ્દલ દેહાઈ તરીકેનો પાઠ ભજવવાનો છે! વડીલોને મનમાં થયું કે આ અરવિંદભાઈ તો એમના અનાવિલોના સ્વભાવ પ્રમાણે કડવું બોલે, પણ પરભુભાઈ એમની સામે કેવી રીતે ટક્કર ઝીલી શકશે.? આવું જ ચાલશે તો પ્રવાસ દરમિયાન સતત ચકમક ઝર્યા જ કરવાની.

અમારા બંનેની ખાસિયત એ હતી કે અમે જાહેરમાં સામસામે ઘુરકિયાં કરીને બોલતા ખરા, પણ મારા પક્ષે તો એ ગોલાલડાઈ જ હતી. અમે બે એકલા મળીએ ત્યારે હું એમની સાથે ખૂબ માનથી વર્તન કરતો હતો.. અમને એ રીતે મિત્રભાવે ગોષ્ઠિ કરતા જોઈને અન્યોને ખૂબ નવાઈ લાગતી! હમણાં તો એકમેકને ખાઈ જવાના હોય તેમ ઉગ્ર ભાષામાં બોલતા હતા અને આમ અચાનક પરસ્પર ભાવ ક્યાંથી ફૂટી નીકળ્યો હશે! અરવિંદલાલ મને કહે, ‘અયલા હુંથાર, તને અમારી ભાઠલા બોલી હારી આવડતી દેહું. તું કાંથી હીખી લાયવો?‘ હું કહું, ‘એ તારે જોવાનું નથી. તમે દેહાઈ લોકો એમ સમજી બેઠા છે કે કડવી જબાન પર તમારો એખલાનો જ અધિકાર છે? અમારા બાપ દાદાનો ધંધો પણ છોડા કાઢવાનો છે. અમારી જીભ પણ કુહાડા જેવી હોય છે. પેલી કહેવત તમને યાદ કરાવું કે હુંથારની કરવત બેધારી હોય છે, આવતાંયે વહેરે ને જતાંયે વહેરે! અમારી જબાન કોઈ રીતે તમારાથી ઊતરતી નથી. હમસે પંગા લેના મત!‘ મારી પત્ની મનોમન અકળાય કે આમને શું થઈ ગયું છે! આ તો કંઈક જુદું જ રૂપ હું જોઈ રહી છું. હું એને સમજાવું કે તું તારે જોયા કર. મારે ક્યાં કોઈની  સાથે લડવાનું છે, આ તો એક નાટક છે. જો કે મારા સમજાવવા છતાં તેને હેયે ફડક તો રહેતી જ હતી. ક્યાંક હસવામાંથી ખસવું થઈ ગયું તો? એવો ભય પણ રહે.

અરવિંદભાઈની પત્ની દક્ષાબેનને મારી પત્ની સાથે અને મારી સાથે સારું બનતું હતું. કોઈ જગ્યાએ સાઈટ સીન જોવા ગયા હશે ત્યાં વોટર ફૉલ આગળ અરવિંસભાઈ અને દક્ષાબેને ફોટો પડાવ્યો. ગાડીમાં બેઠા પછી એ ફોટો જોઈને હસમુખ રાવળે વ્યંગ કરતા કહ્યું કે ‘અરવિંદભાઈ, આવા પ્રસંગે પણ તમે કેમેરા સામે જોવાને બદલે આઘું કેમ જૂઓ છો, અને ચહેરાની રેખા આટલી બધી તંગ કેમ? જરાકવાર તો હસતું મોઢું રાખવું હતું!‘ દક્ષાબેન કહે કે  ‘એ તો આખી જિંદગી એવા ને એવા જ રહ્યા છે!‘ અરવિંદભાઈને કંઈ ફરક ન પડે. એની દુનિયા જ જુદી! કોઈ વાતનો સીધો જવાબ આપવાને બદલે વાત ફેરવતા હોય તેમ દક્ષાબેન પાસે હળવેકથી લાઈટર માંગે! દક્ષાબેન ચિડાય. એમના પર અકળાય. ‘કેટલીવારમાં તલપ લાગી ગેઈ!‘ અરવિંદલાલ ચોરીછૂપીથી કરગરે, ‘આટલી વખત આપનીં! મગજમારી કર્યા વગર.‘ દક્ષાબેન કમને અને ગુસ્સાથી લાઈટર લગાડી મૂકે! અરવિંદલાલે દેવાનંદના જેવું શર્ટ પહેર્યું હોય અને દેવાનંદની સ્ટાઈલમાં જ સિગારેટ ફૂંકે. દેસાઈ લોકો રિક્વેસ્ટ કરે તેમાં પણ ટોન તો દાદાગીરીનો જ હોય!

બેંકોના ક્લિયરિંગ હાઉસમાં બેંક ઓફ બરોડામાંથી ચેક્સ લઈને આવતો વલસાડનો સતીષ દેસાઈ મારી બાજુમાં જ બેસતો હતો. તે મને કહેતો કે ‘અમારી જબાન તો આવી જ રહેવાની. ગામડાનો હોય કે શહેરનો હોય, ઓછું ભણેલો હોય કે ઉચ્ચ ડિગ્રી મેળવેલી હોય. ક્લાર્ક હોય કે મેનેજર દેસાઈ એ દેસાઈ જ રહેવાનો! તું મોરારજી દેસાઈની જ વાત કર ને! વડાપ્રધાન થયો તો પણ બોલવામાં તો આખ્ખો જ રહ્યો.પણ તું કેમ અમારા જેવું બોલે છે?‘ મેં કહેલું કે ‘હું ગામડેથી આવું ને એટલે!‘ એ ઘટના પણ મને યાદ આવી ગઈ.

અરવિંદભાઈની પત્ની દક્ષાબેનને હું મારી મોટી બેન જેવી ગણું. મારાથી બે વરસ જ મોટી હશે. અમે સમવયસ્ક જ ગણાઈએ.હું બાવન વરસનો, દક્ષાબેન ચોપનના જ્યારે અરવિંદલાલ બાસઠના! એ દેખાવે ઊંચા, પાતળા, સિગારેટ ફૂંકી ફૂંકીને ફેફસાં બગાડી મૂકેલા. ઊભા હોય તો સ્હેજ વાંકા વળી ગયેલા દેખાય. ઘડપણ પ્રવેશી ચૂકેલું. મગજમાં કાયમ ભમરીભરી રાખેલી હોય તેવો રૂક્ષ ચહેરો. કોઈને ઝૂડી કાઢવા તત્પર હોય તેવા જ ભાવો એના ચહેરા પર દેખાય.  માણસે એની પત્ની જોડે પણ પ્રસન્ન ચહેરે કદી વાત કરી હશે કે કેમ તેની શંકા જાય. દક્ષાબેનને તો હંમેશાં તતડાવ્યા જ કરે. દક્ષાબેને અમારી આગળ દિલ હળવું કર્યું. મેં મનોમન નક્કી કર્યું કે મારે એને ઉશ્કેરવા છે અને પછી હસાવવા છે.

બેંગલોરમાં સાઈટ સીન જોવા ગયાં. બસમાં બારી પાસે દક્ષાબેન બેઠા, એમની બાજુમાં હું બેઠો અને આ મહાશય તો પોતાને વીઆઈપી સમજે એટલે બસમાં છેલ્લે એન્ટ્રી મારે. મારી બાજુમાં આવીને બેઠા. એની નજર બારી બહાર હોય પણ સૌંદર્ય જોવાને બદલે કંઈક બીજા જ વિચારો એના મગજમાં ચાલતા હોય. એના રસના વિષયો જુદા. થોડીવાર પછી એ ખાનગી વાત કરવાના હોય તેમ દક્ષાબેનને સંકેત કરે. દક્ષાબેન જોયું ન જોયું કરે, ભાવ નહીં આપે! પતિદેવ અકળાય. હું વચમાં અવરોધ થઈને બેઠેલો. એ ઊંચાનીચા થાય એટલે હું ટોંકુ, જરાક હખેથી બેહો ને અમને હો બેહવા દો. દાંત તો મોંમાં હતા નહીં તોયે મારા પર દાંત કચકચાવે! હું કહું, ‘જુઓ અરવિંદલાલ, દક્ષાબેન મારી બેન છે એટલે તમે મારા બનેવીલાલ થયા! હું તમને અરવિંદલાલ કહું કે બનેવીલાલ કહું કે દેહાઈ કહું તે તમારે ચલાવી લેવું પડે. બસમાં ચવરચવર કયરા વગર સાંતિથી બેહો.‘ એ મને કહે કે ‘હુંથાર તુ નીં હમજે!‘ હું દક્ષાબેનને પૂછું કે કેમ ચવર ચવર કરે છે ને મને કેમ કહે છે કે તને હમજ ન પડે?‘ તે કહે ,‘ભાઈ ડોક્ટરે એને સિગારેટ પીવાની ના પાડેલી છે અને મને કહેલું કે એને લાઈટર જ નહીં આપવાનું.‘ મને સમજાયું કે ભાઈનું નિકોટિનનું લેવલ ઘટી જવાથી બેચેન છે!

                              **  ૨  **

 અરવિંદલાલ આજે જેટલા વૃદ્ધ દેખાય છે તેટલા જ વૃદ્ધ વીસ વરસ પહેલાં પણ દેખાતા હતા. પરિણામે દક્ષાબેન અને એમની ઉંમર વચ્ચે વાસ્તવિક જે તફાવત રહેલો છે તેના કરતા વધારે તફાવત દેખાતો હતો. તેમાં પત્ની સાથેની એમની વર્તણૂકને કારણે બંને વચ્ચે એક આખી પેઢીનું અંતર હોય એમ લાગતું હતું. એ પરિસ્થિતિમાં સંગમ ફિલ્મનું ‘મૈં કા કરું રામ, મુઝે બૂઢ્ઢા મિલ ગયા!‘ ગીત ન યાદ આવે તો જ નવાઈ. અરવિંદલાલ પત્નીને જાત્રા કરાવવા કે સહેલ કરાવવા નીકળ્યા છે એવું માનતા હતા, પણ પોતે જાત્રા કે પિકનિકના મૂડમાં નહોતા જણાતા. તેઓ અમારી વચ્ચે હતા અને છતાં નહોતા! મતલબ કે એમનું શરીર જ અમારી વચ્ચે હતું બાકી ચિત્ત તો કશે બહાર જ ભમતું જણાતું હતુ. ‘બૈરી બૈરીની વ્હાયે!‘ એને ઘરમાંથી બહાર લાવ્યો તે જ એનો મોટો ઉપકાર! એવી ભાવના કેટલાક પતિદેવોમાં હોય છે. અરવિંદલાલ એ કેટેગરીમાં આવતા હતા.

ચાર દિવાલો વચ્ચેથી બહાર નીકળીને દુનિયા જોવાનો, રૂટિનથી અલગ જિંદગી જીવવાનો. પતિનું સાંન્નિધ્ય માણવાનો, સજોડે ચાલવાનો, બેસવાનો, જમવાનો, પ્યારભરી મીઠી મીઠી વાતો કરવાનો પત્નીને હૈયે હરખ હોય કે નહીં? રેઢિયાળ જિંદગીથી અલગ સપનાની દુનિયામાં મહાલવાનો યત્કિંચિત લ્હાવો લેવાનું દરેકને મન થતું હોય છે. અરવિંદલાલને આ બધું સમજાવવું એ ભેંસ આગળ ભાગવત સમાન હતું.

 સમુદ્ર કિનારે તાડના ઊંચા વૃક્ષો ઊગી નીકળ્યા હોય તેવું દૃશ્ય ઊભું કરતી પવનચક્કીઓ જોઈને અરવિંદલાલે એમની માહિતી શેર કરતાં જણાવ્યું કે ‘આ બધી પવનચક્કીઓનું સૌથી વધારે પ્રોડક્શન સૂઝલોન કંપની કરે છે અને આપણે ત્યાં ગુજરાતના વાપીમાં પણ એ તૈયાર થાય છે!‘ મને એ નહોતી ખબર, પણ એ જાણીને સંતોષ થયો કે ગુજરાત વીજ ઉત્પાદન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યું છે. નાનપણમાં મેળામાંથી ખરીદેલી રંગબેરંગી આકર્ષક ચકરડી અને તાડના પતિયામાંથી તથા દુકાનેથી આવેલા પડીકાના કાગળમાંથી બનાવેલી ચકરડી હાથમાં પકડીને મહોલ્લામાં ગબેડી મારતા તે ઘટના યાદ આવી ગઈ. તેનું વિકસાવેલું સ્વરૂપ તે આ પવનચક્કી. પવનની ગતિ શક્તિનું વિદ્યુતશક્તિમાં રૂપાંતર એ શક્તિની અચળતાનો ગુણધર્મ દર્શાવે છે. શક્તિનો કદી નાશ થતો નથી. એનું રૂપાંતર માત્ર થાય છે. આત્મા મરતો નથી, વાસાંસિ જિર્ણાનિ યથા વિહાય.. અને પછી પુનર્જન્મની વાત ગીતામાં સમજાવેલી છે. બાળકો જે ચકરડી ફેરવવાનો આનંદ માણે છે તેમાં વિદ્યુત શક્તિ મળતી નથી; તેમાં તો દોડવાની ગતિશક્તિ અને હવાની શક્તિનું રૂપાંતર ‘આનંદશક્તિ‘માં થતું હોય છે. એ ઉત્સાહ, આનદ અને સંતોષ માપવાનું કોઈ યંત્ર હજી સુધી શોધાયું નથી.

 એક સ્થળે અમને હોલ્ટ આપવામાં આવ્યો હતો. જેમને જ્યાં ફરવું હોય ત્યાં યથેચ્છ ફરી શકે. પ્રવાસીઓ ગૃપ બનાવીને નીકળી પડ્યા. દક્ષાબેન અરવિંદભાઈને શોધે, પણ અરવિંદલાલ કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયા! વર એણે ગોત્યો ગોત્યો ને ક્યાંયે ના જડ્યો. આ સ્વૈરવિહારી જીવને પોતાની પત્નીની કોઈ ચિંતા નહોતી. એખલી થોડી જ છે, બીજાં બધાં પણ છે ને! બેન ટેવાઈ ગયેલાં હશે કે આ તો રોજનું રહ્યું. બધાં ફરીને આવી ગયાં પણ અરવિંદલાલનો કોઈ પત્તો નહીં. ક્યાં ગયા હશે?  પ્રવાસ આયોજક રમણભાઈ રમુજી માણસ હતા. તેમણે રમુજ કરી કે ખોટો સિક્કો ક્યાંયે ખોવાય નહી. એમના વિશે વાતો થઈ. કેટલાક જણે મજાક પણ કરી. અચાનક તેઓ પ્રગટ થયા. એમનો ચહેરો આત્મવિશ્વાસથી છલકાતો દેખાયો. બધા પૂછવા લાગ્યા કે ક્યાં ગયેલા? અરવિંદલાલે ગજવામાંથી કેટલાક વિઝિટિંગ કાર્ડ્સ કાઢીને દેખાડ્યા. જણાવ્યું કે હું આટલી આટલી કંપનીઓમાં જઈ આવ્યો અને પવનચક્કી માટે સોદો કરવાની વાત કરી આવ્યો. લોકો તાજ્જુબ થઈ ગયા. પત્નીની નિરાશાની એમને કંઈ પડી નહોતી.

અમારી ટૂરમાં બીજું પણ એક દેસાઈ કપલ હતું. ખૂબ સમજદાર અને વિવેકી. તેઓ બીલીમોરાના હતા. વેલ એજ્યુકેટેડ હતા. પતિ પત્ની વચ્ચે સાયૂજ્ય હતું. તેઓ મારી સાથે શાંતિથી ઘણી બધી વાતો કરતા. આ બે અનાવિલ દંપતિના વ્યવહાર વચ્ચે આભ જમીનનો તફાવત હતો. નર્સિંગ ગૃપમાં બિન્દાસ્ત સ્વભાવ માટે જાણીતા પન્નાબેન દેસાઈ પણ હતા. ક્યારેક એવું બોલી પાડે કે આપણે શરમમાં મુકાઈ જઈએ. મને એકવાર તેમનો અનુભવ થઈ ગયેલો. મારા ઘરે મારી પત્ની સાથે આવેલી. જતી વખતે તેઓ રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે મેં એમને આવજો કહ્યું, તો તરત જ મારા ઘરમાં આવીને મારી પાસે બેસી ગઈ. મને કહે કે ‘હવે હું અહીં જ રહેવાની. મારે હવે તારી સાથે જ રહેવું છે!‘ મેં સાંભળેલું હતું કે પન્ના દેસાઈ બહુ બોલ્ડ સ્વભાવના છે, પણ તેઓ મને શરમમાં મૂકશે એવું કદી ધાર્યું નહોતું. એવા પન્નાબેને મને જણાવ્યું કે હું પણ દેસાઈ છું તે તમે અરવિંદલાલને કહેતા નહીં. મારા ગામનું નામ પણ કહેતા નહીં. જો કે અરવિંદલાલની તો દુનિયા જ જુદી હતી. ખપ પૂરતા જ આ દુનિયામાં અમારી વચ્ચે આવી જતા. અને વે તેવા સુપરમેન હોય તેવો વ્યવહાર કરતા.

એક વાત હું જણાવવાની ભૂલી ગયો કે 2002 ની સાલમાં મોબાઈલ ફૉનનું ચલણ હજી ચાલુ થયું નહોતું. કોઈ પાસે કોડલેસ ડબલા ફૉન હોય તેયે વૈભવ ગણાતો હતો! મોબાઈલ તો ભાગ્યે જ કોઈના હાથમાં જોવામાં આવતો હતો. અરવિંદલાલ તે જમાનામાં મોબાઈલ હાથમાં લઈને ફરતા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે એને મોબાઈલ ફોનથી કોઈની જોડે વાત કરતા કોઈએ જોયા નહોતા. મેં એમને પૂછ્યું કે તમારા હાથમાં આ રમકડું શેનું છે? તો કહે, એ રમકડું નથી. એ મોબાઈલ ફૉન છે. મેં સળી કરતાં કહ્યું કે મોબાઈલ ફૉન હોય તો એનો ઉપયોગ કેમ નથી કરતા. મને લાગે છે કે પ્રવાસમાં બધા પર રૂઆબ છાંટવા માટે અસલી મોબાઈલને બદલે બાળકોને રમવાનું રમકડાનું મોબાઈલ લાવેલા લાગો છો! અરવિંદલાલ અકળાઈ ગયા. તેઓ બોલ્યા કે ‘અરે ભાઈ, અસલી મોબાઈલ જ છે.‘ તો પછી વાત કેમ કરતા નથી? તેઓ કહે કે બેટરી ખલાસ થઈ ગઈ છે. મેં કહ્યું કે એ બધા બહાના છે! લોકોને ઉલ્લુ બનાવો છો! એમણે થેલીમાંથી ચાર્જર કાઢીને બતાવ્યું. હકીકતમાં મોબાઈલ ફૉન વિશે મને કોઈ જાણકારી જ નહોતી એટલે મેં કહ્યું કે આ વળી નવો સ્ટંટ!

વાત એમ બનેલી કે એમના દીકરાએ એમને એ ફૉન લઈ આપેલો અને કેમ વાપરવાનો તે પણ શીખવી દીધેલું. પ્રવાસમાં જવાનું થાય ત્યારે મોબાઈલ ઘણો કામ લાગે. બેટરી ઊતરી જાય તો ચાર્જ કરવા માટે ચાર્જર પણ સાથે લાવેલા હતા. ટ્રેનની મુસાફરી દરમિયાન બેટરી પૂરી થઈ ગયેલી. ફૉન મરી ગયેલો હતો! ગાડીમાં તે વખતે મોબાઈલ ચાર્જ કરવા માટેના પોઈંટ નહોતા. અરવિંદલાલની ગણતરી હતી કે હોટેલમાં ઊતારો મળે ત્યારે રૂમમાં ચાર્જ કરી લેવાશે. કમનસીબે, રૂમમાં પંખા લાઈટની સ્વીચ સિવાય પીન નાંખવા માટેના પ્લગ નહોતા. બહાર ફરવા નીકળીએ ત્યાં કોઈ દુકાનદાર પાંચ મિનિટ માટે પણ ચાર્જરની પીન નાખવા નહોતા દેતા! પ્રવાસ પૂરો થયો ત્યાં સુધી ઠેક ઠેકાણે પ્રયત્ન કરી જોયો, પણ મોબાઈલ ચાર્જ કરવા દેવાની ઉદારતા કોઈ દુકાનદાર કે હોટેલવાળાએ બતાવી નહીં. છતા સાધને ફજેતી થઈ રહી હતી.

                               **  ૩  **

 આ મોબાઈલ પ્રકરણે તો અમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધેલા. એવું ક્યારે અને કેમ થયેલું તે જાણ્યા પછી લોકોને ખરેખર હસવું આવશે! પણ તે પહેલાં અરવિંદલાલ સાથેના અમુક પ્રસંગો યાદ કરીને લખી દઉં.

એમનું અંગ્રેજી પાવરફુલ હતું. અને આત્મવિશ્વાસ તો એમના જિન્સમાં હોય જ. કોઈની પણ જોડે દલીલ કરતી વખતે આક્રમકતા પણ હોય જ. એમને છેડવા એ જોખમી કામ હતું. બિચારી દક્ષાબેન તો પારેવા જેવી. આવા જમદગ્ન્ય જેવા માણસ જોડે જિંદગી કાઢવી એ એક તપ જ છે. મારે એમની સાથે શાબ્દિક ટપાટપી જરૂર થઈ, પણ ટપાટપી પછી જે દોસ્તી જામે છે તેની વાત જ ન્યારી છે. પેલું એક ગીત છે કે પ્યાર મેં અકસર પ્રેમી પહલે ઝગડા કરતે હૈં. મગર ફિર આહેં ભરતે હૈ;, એકદૂજે પે મરતે હૈં! પરસ્પર જેટલું ઘસાતું બોલી શકાય તેમ હોય તે સઘળું બોલી દીધા પછી જે સંબંધ બંધાય છે તેમાં પછી ફરિયાદ કરવાને કોઈ અવકાશ રહેતો નથી. મારે અને અરવિંદલાલને એવું જ બન્યું. મારે માટે આવું પ્રથમવાર નથી બન્યું. મહાનુભાવો સાથેના મારા મોટાભાગના સંબંધો ઝગડ્યા પછી જ રંગ લાવ્યા છે. એક તરફ કાતિલ બોલિંગ બેટિંગ ચાલતી હોય તે સાથે જ તેના અમુક મજબૂત પાસાંનો પરિચય થતો જાય છે અને જેમ જેમ એ ખબર પડતી જાય છે તેમ તેમ માણસમાં રહેલી પ્રતિભાનું આકર્ષણ થતું જાય છે. અરવિંદલાલ મારાથી દસેક વરસ મોટા તો હતા જ તે સાથે વાસ્તવિક ઉંમર કરતાં વધારે ઘરડા દેખાતા હતા. તે મારા માટે આદરણીય વડીલ બની રહ્યા.

મદ્રાસથી અમે તિરુપતિ બાલાજી દર્શને ગયા. ધારવા કરતા દર્શન વહેલા થઈ ગયા. માત્ર અડધા જ કલાકમાં જ પતી ગયું. પછી ત્યાંના બજારમાં આમતેમ ફરતા હતા. કોઈ નવીન વસ્તુ ખરીદવા જેવી લાગે તે ખરીદીને બસમાં ભેગા થવાનું હતું. અરવિંદલાલને ખરીદીમાં કોઈ ઈન્ટરેસ્ટ નહોતો. એમને શામાં ઈન્ટરેસ્ટ હતોતે સમજવું જ મુશ્કેલ હતું. તેઓ બસ આગળ જ ઊભેલા હતા. બધાં બસમાં બેસવા આવ્યા તેમની સાથે દક્ષાબેન પણ આવ્યા. દક્ષાબેનના હાથમાં આર્ટિફિશિયલ ગુલાબની કળી અને ફૂલોનો મનમોહક ગુલદસ્તો હતો. એ જોઈને અરવિંદલાલનો પિત્તો ગયો! તેઓ પત્ની પર તાડૂકી ઊઠ્યા, ‘આ હું કામ લીધું?‘ દક્ષાબેને શાંતિથી કહ્યું કે મને ગમી ગિયુ એટલે લેઈ લીધુ. પતિદેવે એને ઠોંહાટી કાઢી. નકામા પૈહા બગાયડા, આવા પ્લાસ્ટિકના ફૂલ તો સુરતની શનિવારી બજારમાં જોઈએ તેટલા મલે છે.‘

પોતાની પસંદગીની વસ્તુનું આવું અવમૂલ્યન થતું જોઈને દક્ષાબેનથી ન રહેવાયું. જિંદગીમાં તો ખબર નહીં, પણ આટલા દિવસના પ્રવાસ દરમિયાન પહેલી જ વાર એમણે ફૂંફાડો માર્યો! ‘તમે કોઈ દિવસ મને ચોક બજાર સુધી જવા દીધી છે ખરી?‘ સૌના કાન ઊંચા થયા. બધાંને આ ફૂંફાડો ગમ્યો. અરવિંદલાલ ખિસિયાણા પડી ગયા. જાહેરમાં તેમની બેઈજ્જતી થવાથી ગલવાઈ ગિયા. દક્ષાબેનમાં અચાનક આવી હિંમત ક્યાંથી આવી ગઈ એવું વિચારતા હશે, પણ સ્વજનને કાયમ ઉતારી પાડવાનું પરિણામ આવું જ આવે. ક્યારેક તો તે માથું ઊંચકે જ. કાયમ ઝગડતા દંપતિએ પણ જાહેરમાં તો એકમેકનું માન જાળવવું જ જોઈએ.

એક દિવસ અમે મૂડમાં હતા. અમે બે જ જણા હતા ત્યારે મેં અરવિંદલાલને વાત કરી કે તમારી અટકમાં જે છેલ્લો અક્ષર ઈ આવે છે ને તે બહુ ખતરનાક છે. સિગારેટનો ધુમાડો કાઢતા કાઢતા તેઓ મારી સામું જોતા રહ્યા. મારા બોલવાનો અર્થ સમજવા મથી રહ્યા. એમણે પૂછ્યું, ‘કેમ, એમાં તને હું દેખાયું?‘ મેં કહ્યું કે એ ‘ઈ‘ જોઈને મને ફેણિયો સાપ યાદ આવે છે! એમનું કુતૂહલ વધ્યું. ફેણ માંડેલો સાપ ક્યારે કોઈને ડંખ મારી બેસે તેનો ભરોસો નહી. એ ‘ઈ‘ એ તમારા જેવા દેસાઈ લોકોના ઈગોનો ‘ઈ‘ છે! હું બહુ જોખમી શબ્દો બોલી રહ્યો હતો. પણ મારી વાત સાંભળીને તેઓ હસી પડ્યા. એના મગજમાં કોઈ વિચાર ઝબકી ગયો. મને કહે, ‘અયલા હુંથાર, અમારું અનાવિલ લોકોનું જય શુકલેશ્વર નામનું એક ચોપાનિયું બહાર પડે છે તેમાં તારે આવું લખવું જોઈએ.‘ મેં કહ્યું, ‘મને મારી નંખાવવો છે? એક સાથે અનેક ફેણિયા મને ડંખ મારવા ધસી આવશે. તમે મને બચાવવાના છો‘ તેઓ વિચારમાં પડી ગયા. મને થયું કે મોઢા સુધી ધસી આવેલા બીજા શબ્દો પણ બોલી જ દઉં, અત્યારે વાતાવરણ જરાક અનુકૂળ લાગે છે.

બીજી એક વાત કરું? તમારા લોકોમાં કેટલાક પુરુષો તેમના નામ સાથે કુમાર, ચંદ્ર, ભાઈ કે લાલ લખવાને બદલે રાય લખે છે તે ખોટું છે! એમણે પૂછ્યું કે કઈ રીતે ખોટું કહેવાય? મેં પૂછ્યું રાય એટલે શું? તો કહે ‘રાય એટલે રાજા.‘ મેં કહ્યું કે રાજાઓના રાજ ગયા અને અંગ્રેજોનો તાજ પણ ગયો, લોકશાહી દેશમાં હવે કોઈ રાજા રહ્યું જ નથી છતાં તમે લોકો રાજા હોવાના વહેમમાં કેમ જીવો છો?‘ મૌન રહીને તેઓ સાંભળતા રહ્યા. મને મજાક સૂઝી એટલે ઉમેરો કર્યો કે ‘રાયને બદલે રાઈ લખો તો બરાબર મેળ બેસે!‘ એમણે પૂછ્યું, ‘એનાથી હું ફરક પડે? મેં કહ્યું કે તમે લોકો રાય એટલે રાજા તો છો જ નહીં. પણ તમે લોકો ભેજામાં રાઈ રાખીને જીવો છો! વળી એમાં આવતો ઈ તમારા ઈગોની ઓળખ આપતો હાજરાહજુર છે એટલે આટલો સુધારો કરવા જેવો છે. અરવિંદલાલે કબૂલ કર્યું કે અમારા અનાવલાના લક્ષણો જોતાં તું કહે છે તે વાત ખોટી નથી.

એકવાર કોઈ મંદિરના ભોજનાલયમાં અમે પંગતમાં જમવા બેઠા હતા. તેઓ મારી બાજુમાં જ હતા. બેસી તો ગયા, પણ પીરસાવાની વાર હતી. અરવિંદલાલને એકાએક કંઈ યાદ આવ્યું એટલે મને કહે કે ‘અયલા, તારી પોરીના લગન થાય તિયારે જમવા હારુ મને બોલાવજે હં કે!” મેં એમનો પતંગ ભર દોરીએ કાપી નાંખ્યો. મેં કહ્યું, ‘એનું અત્યારથી કંઈ કહેવાય નહીં, તે વખતે તારા અને મારા સંબંધો કેવા રહ્યા હશે તેના પર બધો આધાર છે.‘ અનપેક્ષિત જવાબ મળવાથી નિરાશ થાય તે બીજા! એમણે કહ્યું કે ‘અયલા કરવામાંથી તો ગિયા પણ બોલવામાંથી હો ગિયા?‘ મેં કહ્યું કે એવી કાલ્પનિક સભ્યતા દેખાડવાનું મને આવડતું નથી.  મને કહે કે ‘તુ હો દેહાઈ જેવો જ આખાબોલો છે.‘

હવે મોબાઈલની વાત લખીને અટકું. વળતી વખતે અમારી ગાડી ભુસાવળમાં ઊભી રહી. ગાડી થોભવાની હતી. એ સમય દરમિયાન પ્લેટફોર્મ પર આંટા મારવા નીકળ્યા. અરવિંદલાલની અધૂરી ઈચ્છા સળવળી ઊઠી. ચોકડાવાળી લીલા રંગની લુંગી  ઉપર ખમીશ પહેરેલું હતું. હાથમાં મોબાઈલ અને ચાર્જિંગ વાયર લઈને પ્લગ પોઈંટ શોધવા નીક્ળી પડ્યા. સાથે હું પણ ગયો. સ્ટોલ પર અને પ્લેટફોર્મ પર નજર કરતા કરતા આગળ નીકળી ગયા. એક જગ્યાએ નંબર લાગી ગયો. ત્યાં પીન ખોસી દીધી. ચાર્જિંગ ચાલુ થઈ ગયું, પણ ધીમું થતું હતું.  અમારી એક નજર મોબાઈલ પર અને બીજી નજર અમારા ડબ્બા પર હતી. એકાએક અમે જોયું કે ગાડી ચાલુ થઈ ગઈ હતી. માયા સંકેલીને જલદી જલદી  અમે દોડ્યા. અમારો ડબ્બો તો નીકળી ગયો હતો એટલે જે ડબ્બામાં ઘુસાય તે ડબ્બામાં ઘુસી ગયા. પછી ડબ્બો બદલી લેવાશે એમ સમજીને  બેઠા તો ખરા, પણ પેસેન્જરોની વાત પરથી સમજાયું કે ગાડી સુરત તરફ આવવાને બદલે જલગાંવ તરફ જઈ રહી હતી! મતલબ કે અમે ભૂલમાં બીજી જ ગાડીમાં ઘુસી ગયા હતા. અમે ફસાયા. ચેઈન પુલિંગના નિયમો પણ બદલાયા હતા એટલે તાત્કાલિક ગાડી થોભાવાય તેમ નહોતું. જ્યારે ગાડી ઊભી રહી ત્યારે અમે ખાસ્સા દૂર પહોંચી ગયા હતા. બહાર જઈને અમે રિક્ષા કરી. પણ ભુસાવળ સ્ટેશન સુધી આવવાનું ભાડુ જેટલા પૈસા ક્યાં હતા! અરવિંદલાલ તો લુંગીમાં જ હતા. ખમીશના ગજવામાં પાંચ રૂપિયા હતા. સદભાગ્યે મારા ખિસામાંથી એમના કરતા વધારે પૈસા નીકળ્યા. જલદી જલદી ભાડું ચૂકવી અમે પ્લેટફોર્મ તરફ દોટ મૂકી. સુરત તરફ જતી ગાડી જોડે અમારો ડબ્બો જોડેલો હતો. અમારી એ ગાડીને અમારી નજર સામે સ્ટેશન છોડતી જોઈ રહ્યા. આવી લાચાર સ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે સાલું લાગી આવે. જરાકને લીધે અમે ગાડી ચૂકી ગયા. મૂઓ એ મોબાઈલ! એ મરેલો હતો તે એને મરેલો જ રહેવા દીધો હોત તો સારું થાત!

સ્ટેશન માસ્તર પાસે જઈને વીતક કથા કહી. લુંગીએ સ્ટેશન માસ્તરને કન્વિન્શ કરી દીધો. બંને ગાડીનો સમય એકસરખો હોવાથી આવું થાય છે. એમને સમજાવ્યું કે અમારી પાસેના પૈસા તો ડબ્બામાં જ રહી ગયા છે. એમણે ત્યાર પછીની ગાડીમાં અમારી વ્યવસ્થા કરી આપી. ટૂર આયોજક ભલા હતા. એમણે પણ એમની રીતે તોડ કાઢવાનો પ્રયત્ન કર્યો. ગાડીમાં બેઠા પછી નવરા પડ્યા એટલે યાદ આવ્યું કે મોબાઈલ ચાર્જ થયો કે નહીં. અરવિંદલાલે દીકરાને કોલ કરીને તમામ વિગતો જણાવી દીધી અને પ્રવાસીઓ સુરત પહોંચે અને ઘરના લોકો વાહન લઈને બધાંને લેવા આવે ત્યારે અમે ‘સલામત છીએ‘ નો સંદેશો સૌને પાઠવવા જણાવ્યું.

કલાપી ગાર્ડનમાં સવારની પાંચેક મિનિટ ચાલેલી એ મુલાકાતે તો મારા મગજમાં પડેલો આટલો બધો અ ધ ધ ધ કહેવાય તેવો ઊભરો આણી દીધો!

ઇતિ અરવિંદાયન સમાપ્ત:

Leave a comment